આ બીજી સર્જિકલ સ્ટ્રાઈકને આગામી ચૂંટણી સાથે જોડનારાઓ વિશે

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : શનિવાર, 2 માર્ચ 2019)

મોદી આવતી ચૂંટણીમાં ભારે બહુમતીથી જીતીને સરકાર બનાવશે એટલે અમુક રાજકીય વિશ્ર્લેષણકારો ભાંભરશે મોદીએ ઈન્ડિયન ઍર ફોર્સનો ‘ઉપયોગ’ કરીને બાલાકોટ, પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી એટલે ચૂંટણી જીતી ગયા. કેટલાક પોલિટિકલ ઍનેલિસ્ટો તો અત્યારથી જ કહેવા લાગ્યા છે કે મોદીએ ચૂંટણી જીતવા માટે જ ભારતીય વાયુ સેનાને ‘વાપરીને’ સર્જિકલ સ્ટ્રાઈક કરાવી. આનો અર્થ એ થયો કે પુલવામામાં સી.આર.પી.એફ.ના 44 જવાનોને શહીદ કરવાનું આતંકવાદી કાવતરું મોદીએ પાકિસ્તાનને કહીને કરાવ્યું. તટસ્થતાનો અંચળો ઓઢીને કરન્ટ અને રાજકીય બાબતો પર કમેન્ટ્સ કરનારાઓની સોચ કેટલી હલકી હોય છે એનું આ પ્રમાણ છે અને ચૂંટણી જેમ નજીક આવતી જશે એમ આવાં પ્રમાણો વધતાં જશે. ચૂંટણીનાં પરિણામો આવ્યાં પછી આ ફ્રસ્ટ્રેટેડ પ્રજા તદ્દન નિર્વસ્ત્ર બનીને પોતાના તમામ પૂર્વગ્રહો તથા મોદીદ્વેષને બૅલેન્સ્ડ વ્યુની આડશ હેઠળ પ્રગટ કરીને પ્રજાને ગુમરાહ કરવાની કોશિશ કરશે. હવે લોકોએ ભરમાવાવું બંધ કરી દીધું છે. પ્રજા ઓળખી ગઈ છે દેશપ્રેમની વાતો કરીને, સહિષ્ણુતા તથા અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનાં ગાણાં ગાઈને દેશ સાથે ગદ્દારી કરનારાઓને.

મોદી દેશના ખેડૂતો માટે, દેશના કોઈ પણ રાજ્ય માટે કોઈ નવી યોજના લઈને આવે એટલે આ લોકો કહેશે કે મોદી ચૂંટણીને લક્ષ્યમાં રાખીને આ બધી સ્કીમો લાવે છે. શું મોદીએ પી.એમ. બન્યા પછી, અત્યાર સુધીના 57 મહિના દરમ્યાન દેશ માટે જે કંઈ કર્યું તે 2019ની ચૂંટણી જીતવા માટે કર્યું? ચાર હજાર એનજીઓનું વિદેશી ફન્ડિંગ અટકાવ્યું, નોટબંધી કરી, જીએસટી લાવ્યા, યુપી કબજે કર્યું, બુલેટ ટ્રેનની યોજના બનાવી, રેલવે તંત્રને સુદૃઢ કર્યું, વચેટિયાઓને દૂર કરીને સરકારી યોજનાનાં નાણાં સીધા જ લાભાર્થીઓના બૅન્ક ખાતામાં જમા થાય એવી યોજનાઓ કરી, લાખો ગામડાંમાં શૌચાલયની સુવિધા ઊભી કરી, લાખો ગરીબોને પોતાનાં ઘર કરાવી આપ્યાં, આંખમાં ઉજાગરા આંજીને ચીન, અમેરિકા, ફ્રાન્સ, યુકે વગેરે ડઝનબંધ દેશોના પ્રવાસો કરીને દેશ માટે અબજો ડૉલરનું ઈન્વેસ્ટમેન્ટ લઈ આવ્યા – દેશની તાકાત વધારીને દુનિયા આખીને ભારતનું ઉપરાણું લેતાં કરી દીધી, દેશને કોમી રમખાણો તથા આતંકવાદી ઘટનાઓથી મુક્ત કર્યો, પ્રજાજનોનું જીવન ધોરણ ઉપર લઈ આવ્યા, શિક્ષણ ક્ષેત્રની ક્વૉલિટી સુધારવા હજારો કરોડ રૂપિયા ફાળવ્યા, દેશની આર્થિક પરિસ્થિતિમાં પ્રચંડ સુધારો કર્યો, પરદેશમાં વસતા દરેક ભારતીયને ત્યાંના સ્થાનિક લોકો માનભેર જોતા થઈ ગયા, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવું વાતાવરણ સર્જ્યું કે ત્રણ અઠવાડિયાના ગાળામાં ‘ઉડી’, ‘મણિકર્ણિકા’, ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ અને ‘ઠાકરે’ જેવી ચાર ચાર રાષ્ટ્રપ્રેમી ફિલ્મો સેક્યુલરિયાઓનું જ્યાં વર્ચસ્વ છે એવી ઈન્ડસ્ટ્રીમાં બની અને રિલીઝ થઈ અને હિટ થઈ. એટલું જ નહીં હજુ તો બીજી અડધો ડઝન ફિલ્મો આવી રહી છે અને ડઝનબંધ ફિલ્મો પ્લાનિંગના સ્ટેજ પર છે. શું આ બધું મોદીએ 2019ની ચૂંટણી કરવા માટે જ કર્યું?

મોદીએ ભારતની કાયાપલટ કરવાનું કામ શરૂ કર્યું છે. મોદી પહેલાનું ભારત અને મોદી પછીનું ભારત – આ વિશે એક આખું પુસ્તક લખાય. લખાશે જ. મોદીએ શું આ કાયાપલટ કરવાનું બીડું 2019ની ચૂંટણી જીતવા માટે ઝડપ્યું છે? આ લોકો સમજતા નથી અથવા સમજે છે પણ કબૂલ કરતા નથી કે મોદી ઈઝ મચ મોર ધૅન અ પોલિટિશ્યન ઓર અ પ્રાઈમ મિનિસ્ટર. ભારતે આવો કોઈ રાજનેતા ભૂતકાળમાં ક્યારેય જોયો નથી એટલે કોઈને ખબર નથી પડતી કે મોદીની સરખામણી કોની સાથે કરવી. મોદીની સરખામણી કોઈની સાથે થઈ શકે એમ નથી. એ અજોડ છે. ભારતવિરોધીઓને મોદીનું અસ્તિત્વ આંખમાં કણાની જેમ ખૂંચે એ સ્વાભાવિક છે. જેમના બે નંબરી ધંધાઓને તાળાં લાગી ગયાં છે, જે સેક્યુલરોનો ગરાસ લૂંટાઈ જઈ રહ્યો છે, જે લેફ્ટિસ્ટોનું સમગ્ર અસ્તિત્વ જ ખતરામાં છે, જે ભ્રષ્ટાચારીઓએ જિંદગીમાં ક્યારેય વિચાર્યું નહોતું કે પોતે ઈઝી મનીવાળી લાઈફ સ્ટાઈલ છોડીને મહેનત-મજદૂરીની જિંદગી અપનાવવી પડશે, જે કામચોરો સળી ભાંગીને બે કર્યા વિના બેઠ્ઠો પગાર ખાઈને પેન્શન પર ઊતરી જવાનાં સપનાં જોતા હતા એ બધા જ લોકોને મોદીનાં વખાણ કરનારાઓ પ્રત્યે દ્વેષ હોય એ સ્વાભાવિક છે. પણ આવી દ્વેષીલી પ્રજા આ દેશમાં સિંગલ ડિજિટના પર્સન્ટેજમાં છે. 90 ટકા કરતાં વધારે પ્રજા મોદીથી ખુશ છે, મોદીએ સર્જેલા નવા ભારતથી ખુશ છે.

ચિંતા 2019ની નથી કરવાની, 2024ની કરવાની છે. વારંવાર કહ્યું છે અને ફરીવાર આ સ્થાનેથી કહું છું કે ઉપર જણાવેલા તમામ લોકો વિરોધી અને દેશદ્રોહી લોકો જાણે છે કે 2019 પછી મોદી જે જે કાર્યો કરશે તેને લીધે એ સૌનું અસ્તિત્વ નેસ્તનાબૂદ થઈ જશે. એ લોકો જીવ પર આવીને મોદીનો સામનો કરશે. અત્યારે જે જે ભાષામાં મોદીની ટીકા કરે છે એના કરતાં અનેક ગણી હલકી ભાષા વાપરશે અને દેશની કેટલીક પ્રજાને ઉશ્કેરશે. કોમી રમખાણો થાય, દેશમાં સિવિલ વૉર ફાટી નીકળે એવા પ્રયત્નો કરાવશે. સત્તા પર રહીને આ સૌએ સાત પેઢી સુધી ચાલે એટલી સંપત્તિ જમા કરી લીધી છે જેનો ઉપયોગ 2019થી 2024 દરમ્યાન મોદીએ સર્જેલા નવભારતનો સર્વનાશ કરવામાં વપરાશે. આ રાજકીય પક્ષોને એ પણ ખબર છે કે 2019 પછીની સર્જિકલ સ્ટ્રાઈક એમનાં કરતૂતો પર થવાની છે. વાડ્રા અને ચિદમ્બરમ્ તો હિમશીલાની ટોચ પણ નથી. હિમશીલાનો 99 ટકા હિસ્સો હજુ સુધી આપણે કોઈએ જોયો નથી જેની ફાઈલો આઈ.બી. તથા બીજી તપાસ એજન્સીઓએ તૈયાર કરી લીધી છે. દેશની આ ઉધઈઓને સાફ કરવા માટે 2019 પછી પેસ્ટ ક્ધટ્રોલનું કામ શરૂ થવાનું છે. આ ઉધઈઓએ ખોતરી કાઢેલા લાકડાને બતાવીને મીડિયાના લેફ્ટિસ્ટો, ભાંગફોડિયાઓ તમને કહે છે કે જુઓ, આ લોકોએ કેવું સુંદર કોતરકામ કર્યું છે અને મોદી આવી કળાકારીગરીને પ્રોત્સાહન આપવાને બદલે એમનો સર્વનાશ કરવા માગે છે, ગજબનો જુલમ કરે છે. આવા મીડિયાને હજુ પણ ભારતીય રેલતંત્ર ખાડે ગયેલું દેખાય છે, નવી હાઈ સ્પીડ ટ્રેનો શરૂ થાય છે ત્યારે એમના પેટમાં દુખે છે. આવા મીડિયાને જૂના સાથીઓ તથા એક જ વિચારધારામાં માનતા એવા રાજકીય પક્ષો – ભાજપ તથા શિવસેનાની યુતિ કઠે છે પણ મિયાં-મહાદેવના કજોડા જેવા માયાવતી-અખિલેશ કે કેજરીવાલ, મમતા, નાયડુ વગેરેના તકવાદી મહાગઠબંધન વિશે તેઓ એક અક્ષર નહીં બોલે. તેઓ પોતાનાં વિશ્ર્લેષણો દ્વારા, મથાળાં દ્વારા, બનાવટી તટસ્થતા દ્વારા પ્રજાને ગુમરાહ કરવાની કોશિશ કરતા રહ્યા છે અને 2019 પછી જ્યારે પાણી એમના નાક સુધી આવી ગયું હશે ત્યારે મરતા ક્યા નહીં કરતાના ન્યાયે મોદીનું, આ દેશનું ધનોતપનોત નીકળી જાય એવી પ્રવૃત્તિઓ કરતા થઈ જશે.

વાસ્તે, સાવધાન!

તમારી માન્યતાને પડકારીને તમારા ખભા પરના બકરાને કૂતરું ગણાવીને એને પડાવી લેવા માટે આ રાજકીય વિશ્ર્લેષકોની ઠગ ટોળી ઊભી જ છે. એમના કહ્યામાં ન આવતા. તેઓ આ દેશને ગુલામ બનાવવા માગે, તમને તાબામાં લઈને, તમારી માનસિકતાને તોડીને તમને ફરી અપંગ બનાવી દેવા માગે છે. એમનો ટાર્ગેટ મોદી નથી, આ દેશની પરંપરાને ધ્વસ્ત કરવાનું એમનું લક્ષ્ય છે. મોદી એમને આડે આવે છે એટલે પહેલાં તેઓ મોદીને ખતમ કરવા માગશે, પછી તમને સૌને.

અને અમારું ગળું ઘોંટવાનો પ્રયાસ તો સૌથી પહેલાં થવાનો. અમે શું કરીશું? મોદીભક્તથી માંડીને અજીબ અજીબ વિશેષણોથી નવાજીને અમને ઉતારી પાડનારાઓ અમારી કલમ છીનવીને એના બે ટુકડા કરી નાખવાની કોશિશ કરશે ત્યારે અમે શું કરીશું? બેઉ ટુકડા વડે બે હાથે બમણું લખવાનું શરૂ કરીશું અને નરસિંહ મહેતાને યાદ કરીને ગાઈશું: ‘એવા રે અમે એવા રે, તમે કહો છો વળી તેવા રે…’

(લેખ લખ્યા તારીખ 27 ફેબ્રુઆરી, 2019, બુધવાર)

આજનો વિચાર

પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઈમરાન ખાનનું અત્યાર સુધીનું સૌથી મોટું સ્ટેટમેન્ટ: ‘દુનિયાના કોઈપણ દેશની તાકાત નથી અમારી સાથેના સંબંધો કાપી શકે… અમે બધા જોડે ઉધાર લઈને બેઠા છીએ, પાછા જોઈએ છે કે નહીં?

એક મિનિટ!

બકો: પકા, ઈમરાને પણ પાકિસ્તાની સેનાને ખુલ્લી છૂટ આપી દીધી છે.

પકો: શું વાત કરે છે?

બકો: હા, જેણે જ્યાંથી ભાગવું હોય ત્યાંથી ભાગી જઈ શકે છે!

27 COMMENTS

  1. ચિદમ્બરમની એક બકવાસ લેખમાળા ગુજરાત સમાચારમાં છપાઇ રહી છે. તેમણે અને કાર્તી ચિદમ્બરમે અસંખ્ય આર્થિક કમ્ભાંડો કર્યા છે. ઘરની ટેરેસ કે ફળિયામાં ઉગાડેલ એગ્રીકલ્ચર ઉપજનાં નામે કરોડોની આવક ધોળી કરી છે. અને એટલે જ ચિદમ્બરમ તેનાં અગાઉનાં IT RETURN લોકોથી છુપાવે છે. એમને ઉઘાડા પાડતા લેખ આપવા વિનંતિ.

  2. Saurabhbhai,

    Very nice and informative article. As suggested by some readers, this information should be translated and published in other parts of the country in vernacular language of the respective areas.
    Please keep it up!!!?

  3. આફરીન, સૌરભભાઇ! ખૂબ સચોટ વિશ્લેષણ છે આજની પરિસ્થિતિનું. પણ અફસોસ એ વાતનો છે કે આ વિચારો માત્ર ગુજરાતીઓ સુધી જ પહોંચી શકે છે. આ લેખનો અનુવાદ દેશની દરેક ભાષામાં થાય ને દેશને ખૂણે ખૂણે પહોંચે તો આપના અભિપ્રાયો સાર્થક થાય અને આપણું લક્ષ્ય સાકાર થાય. કારણ કે દેશના ગ્રામ્ય વિસ્તારના લાખો લોકોને ગુમરાહ કરવા એ વિરોધ પક્ષના નેતાઓ માટે અઘરું નથી.

  4. Superb. I wish those who agree will help others to understand it and see that in 2019 Indians vote for safer hands.

  5. એકદમ સરસ. મોદી ભકતના વિરોધીઓ હજી પણ સુધરી જાય તો સારુ.

  6. ખુબજ સુંદર લેખ, સૌરભભાઈ પ્લીઝ આવી હકીકતો દેશ સમક્ષ નિરંતર મુક્ત રહેજો , આ મહામાનવ ની સેવાઓ ની દેશ ને હજુ ખૂબ જરૂર છે

  7. જ્યોતીન્દ્ર તમાકુવાલા.4 ભક્તિવેદાંત રો હાઉસ હનીપાર્ક રોડ અડાજણ સુરત.

    સાહેબ આપનો લેખ જનતાની માત્ર આંખ ઉઘાડનાર જ નહીં મગજને પણ જાગૃત કરીને નગ્ન વાસ્તવિકતા રજૂ કરે છે. દેશભક્તિના મુખવટા માં છુપાયેલા અમીચંદઓ નો વિકરાળ ચહેરો ઉજાગર કરવા બદલ ,તટસ્થ રીતે ,સચોટ પુરાવા સહિત ,દેશની પ્રજાને જાગૃત કરવાનું બહુમૂલ્ય પ્રદાન કરવા બદલ અભિનંદન.

  8. Very nice ,eye opener and clear picture of what Prime Minister Modi is doing for India .

  9. Saurabhbhai, kudos to you for the well written article analyzing the de facto present day scenario of political arena in new India.Please keep it up Sir. Jai Hind.

  10. વાહ. …..
    ચોક્કસ તથ્યો – વિગતો સાથેનો લેખ છે.
    આપને અભિનંદન.
    જય હિન્દ

  11. વાહ સૌરભભાઇ વાહ…
    તમામ દેશભક્ત ની રાષ્ટ્રવાદી વિચારો ને તમારા શબ્દો ને તમારી કલમ મા વાંચી ખૂબ આનંદ થયો. . ..કાયમ માટે આવા લેખ લખવા બદલ ખૂબ ખૂબ આભાર. …

  12. વાહ વાહ સૌરભભાઈ અદભુત આકલંન, અને ખુબ ખુબ જ સુંદર બેલેન્સ જાળવી ને આર્ટિકલ લખ્યો છે, બાકી કરપટ મિડિયા અને તેવા જ હલકટ દેશ દ્રોહી રાજકારણી નો માત્ર ઉલ્લેખ કરીને માનનીય મોદીજી એ કરેલ કામો ગણાવી ને આઈ ઓપનર જેવો અફલાતુન આર્ટીકલ લખ્યો છે. આભાર અને આફરીન બોસ.

  13. श्रीमान , अभिवादन ।
    कृपया इन लेखो को हिंदी में पढ़ने के लिए लिंक सूचित करे। अगर हिंदी में नहीं हैँ तो कृपया तुरंत हिंदी अनुवाद की उपलब्धता करें। सही दृष्ष्टीकोण एक भाषा तक सीमित नहीं रहना चाहिये ।
    आभार

  14. જો ચૂંટણી જીતવા માટે પણ આવા કામ થતા હોય તો એમણે જીતવું જ જોઈએ…. બાકી પાછલી સરકારો ની તો આપણ ને ક્યાં ખબર નથી…..

  15. Sacchhaio thi barpur ne khubaj sachot lekh
    Avu j lakhta raheso election sudhi ne tyar pachi pan…. Prajja ne ava rastredrohio ni khaber pade ne khota margge nahi dorvai jai te mate khubaj jaruri
    ??????????????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here