22 જાન્યુઆરી સુધી પહોંચવા માટે આ સવાસો પગથિયાં ચઢવા પડ્યાં છે : સૌરભ શાહ

(‘ગુડ મૉર્નિંગ એક્‌સક્લુઝિવ’ : સોમવાર, 22 જાન્યુઆરી 2024)

આજે પ્રાણપ્રતિષ્ઠા સમયે યાદ રાખવા જેવા 125 મુદ્દા. આ તમામ ઘટનાઓ પછી આજનો સુવર્ણ દિવસ આવ્યો છે તે ભૂલવું નહીં:

1. ત્રેતાયુગમાં ભગવાન રામના પુત્ર કુશે અયોધ્યાની ભૂમિ પર જે રામજીની જન્મભૂમિ છે, તેના પર પિતાની સ્મૃતિમાં એક ભવ્ય રામમંદિર બાંધ્યું. યુગેયુગે આ મંદિરનો જિર્ણોદ્ધાર થતો રહ્યો.

2. મુસ્લિમ આક્રમણખોરો ભારતમાં આવ્યા તે પછી અયોધ્યા નગરી અને તેની આસપાસના વિસ્તારોના હિંદુઓને લૂંટીને, એમની કતલ કરીને ત્યાં મુસ્લિમોને વસાવવમાં આવ્યા.

3. સિક્ખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકદેવે ઈ.સ. 1510-11માં અયોધ્યાના રામમંદિરમાં વિરાજમાન રામલલાનાં દર્શન કર્યાં. મોગલ સલ્તનતના સ્થાપક જહિરુદ્દદીન મોહમ્મદ ઉર્ફે બાબરના કહેવાથી ઈ.સ. 1527-28માં એના સેનાપતિ મીરબાકી તાશ્કંદીએ અયોધ્યાના રામમંદિરને તોપગોળાથી નષ્ટ કર્યું. એ પહેલાં મંદિરના વ્યવસ્થાપક સિદ્ધ મહાત્મા શ્યામનંદજી રામલલાની પ્રતિમા સરયુ નદીના તટમાં છુપાવીને હિમાલય ચાલ્યા ગયા.

4. બાબરના હુકમથી રામજન્મભૂમિ પર મસ્જિદ બાંધવામાં આવી જે બાબરી મસ્જિદના નામે ઓળખાવા લાગી. એને મસ્જિદ-એ-જન્મસ્થાનના નામે પણ ઓળખવામાં આવતી.

5. રામજન્મભૂમિને મુક્ત કરાવવા પંડિત દેવીદીન પાંડે, હંસવરના મહારાજા રણવિજય સિંહ વગેરેએ બાબરના સૈનિકોની સામે બહાદુરીથી લડીને પ્રાણ ત્યાગ્યા.

6. બાબરની ઔલાદ હુમાયુંની સેના સાથે લડીને સ્વામી મહેશ્વરાનંદ તથા રાણી જયકુમારીએ પ્રાણ ત્યાગ્યા.

7. હુમાયુંપુત્ર અકબરના વખતમાં મોગલસેનાની તાકાત ઓછી થતી હતી. અકબરે પેંતરો રચીને હિંદુઓને ખુશ કરીને એમને કાબુમાં રાખવા માટે બિરબલ તથા ટોડરમલ જેવા હિંદુ સલાહકારોના કહેવાથી બાબરી મસ્જિદના પરિસરમાં એક ચબુતરો ચણાવીને ખસની ટટ્ટીથી બનેલી ઝૂંપડીમાં એક નાનું મંદિર બનાવી આપ્યું.

8. અકબરના શાહજાદા શાહજહાંના સમય સુધી ત્યાં પૂર્જા-અર્ચના થતી રહી.

9. ઈ.સ. 1660માં શાહજહાંના બેટા ઔરંગઝેબે હિંદુસ્તાનમાંથી સનાતન ધર્મને અને એનાં પ્રતીકોને નેસ્તનાબૂદ કરવાનું પ્રણ લીધું. કાશી-મથુરા સહિત અનેક મંદિરોને નષ્ટ કરાવ્યાં.

10. ઔરંગઝેબના શાસનકાળથી 1857 સુધી નિહંગ ખાલસાઓ સહિત અનેક ધર્મપ્રેમીઓએ રામજન્મભૂમિને મુક્ત કરાવવાના પ્રયત્નોમાં પ્રાણ ગુમાવ્યા.

11. 1858માં ભારત પર અંગ્રેજો છવાઈ ગયા. અયોધ્યાના બે ગણમાન્ય મહાપુરુષો રામચરણદાસ અને મૌલવી આમિર અલીએ સ્થાનિક હિંદુ-મુસ્લિમ પ્રજાની સહમતિ સાથે રામજન્મભૂમિનો વિવાદ ઉકેલી નાખ્યો. અંગ્રેજોએ એ બંનેને 18 માર્ચ 1859ના રોજ એકસાથે અયોધ્યાના કુબેર ટીલા પરના આમલીના ઝાડ પર ફાંસીએ લટકાવી દીધા.

12. 1859માં અયોધ્યામાં હિંદુ-મુસ્લિમ રમખાણો થયાં. અંગ્રેજોએ રામજન્મભૂમિ ફરતે વાડ બાંધી દીધી. વાડની અંદરના પરિસરમાં મુસ્લિમોને અને બહારના પરિસરમાં હિંદુઓને પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું.

13. 1885ની 19 જાન્યુઆરીએ મહંત રઘુવીરદાસે સૌ પ્રથમવાર આ મામલે ફૈઝાબાદની કોર્ટમાં કેસ દાખલ કર્યો. અરજીમાં એમણે વિનંતી કરી કે રામજન્મભૂમિ પર બનેલી બાબરી મસ્જિદને તોડીને ત્યાં ફરી એકવાર રામમંદિર બનાવવામાં આવે. કોર્ટે આ બાબતમાં કોઈ હસ્તક્ષેપ કરવાની ના પાડીને પરિસ્થિતિ જેમ છે તેમ જાળવી રાખવાનો હુકમ કર્યો.

14. 1947માં ભારત સરકારના આદેશથી મુસ્લિમો આ સ્થળથી દૂર રહે એ માટે મસ્જિદને તાળું મારવામાં આવ્યું. હિંદુ આસ્થાળુઓ માટે અલગ દ્વારથી પ્રવેશ કરવાની સુવિધા કરી આપવામાં આવી.

15. 1949ની 23 ડિસેમ્બર. વિવાદિત બનાવવામાં આવેલા સ્થળે રાતોરાત રામલલાની મૂર્તિ પ્રગટ થઈ. મુસ્લિમોમાં વિરોધનો જુવાળ ફાટી નીકળ્યો.

16. વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતને મૂર્તિ હટાવવાનો હુકમ કર્યો. મૂર્તિ નહીં હટે તો મુસલમાનો કૉન્ગ્રેસથી નારાજ થઈ જશે એવું પ્રધાનમંત્રી નેહરુનું કહેવું હતું. મુખ્યમંત્રી પંતે સામે જવાબ આપ્યો કે મૂર્તિ હટાવવાથી હિંદુઓ નારાજ થઈ જશે. પણ નેહરુના આદેશને લીધે પંતે ફૈઝાબાદ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે વાત કરી. ડીએમએ કહ્યું કે પોતે રાજીનામું આપવા તૈયાર છે પણ મૂર્તિ હટાવવાનો હુકમ આપવા તૈયાર નથી કારણ કે મૂર્તિ હટશે તો પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહેશે.

17. મૂર્તિ યથાવત્‌ રહી. બેઉ પક્ષોએ અદાલતમાં અરજીઓ દાખલ કરી. સરકારે રામજન્મભૂમિને ‘વિવાદાસ્પદ’ સ્થળ જાહેર કરીને રામલલાની મૂર્તિ આગળના લોખંડના સળિયાવાળા દરવાજાને બંધ કરીને તાળું મારી દીધું. ભગવાન રામ પોતાની અયોધ્યામાં કેદી બની ગયા.

18. 6 માર્ચ 1983. વિશ્વ હિંદુ પરિષદે અશોક સિંહલના નેતૃત્વપદે મુઝફ્ફરનગરમાં જાહેરસભા યોજીને વડા પ્રધાન ઇંદિરા ગાંધી સમક્ષ માગણી કરી કે અયોધ્યા, કાશી અને મથુરાનાં ધર્મસ્થળો સનાતન ધર્મીઓને સોંપી દેવામાં આવે. આરએસએસના વડા રજ્જુભૈયાનું આ માગણીને સંપૂર્ણ સમર્થન હતું.

19. 25 ડિસેમ્બર 1984ના રોજ જનજાગરણ માટે સીતામઢીથી કુલ છ રામ-જાનકી રથયાત્રાઓ કાઢીને દેશભરમાં લઈ જવામાં આવી. ભારતની હિંદુ પ્રજાને જાણ થઈ કે પોતાના આરાધ્યદેવને અયોધ્યામાં કેવી રીતે બંદી બનાવીને રાખવામાં આવ્યા છે.
20. 31 ઑક્ટોબર 1984ના રોજ ઈંદિરા ગાંધીની હત્યાને કારણે રથયાત્રા સ્થગિત કરવામાં આવી જે 1985ની વિજયા દશમીની છએય યાત્રાઓ ફરી શરૂ થઈ.

21. 31 ઑક્ટોબર 1985ના રોજ વિશ્વ હિંદુ પરિષદે ઉડુપી (કર્ણાટક) ખાતે યોજેલી બીજી ધર્મ સંસદમાં અધ્યક્ષ મહંત રામચંદ્ર પરમહંસે અશોક સિંહલ, મહંત નૃત્ય ગોપાલદાસ તથા મહંત અવૈધનાથ સહિત 851 ધર્માચાર્યો સમક્ષ પ્રતીજ્ઞા લીધીઃ ‘1986ની શિવરાત્રિ સુધીમાં જો તાળું નહીં ખોલવામાં આવે તો અમે સૌ સાધુસંતો સત્યાગ્રહ કરીને જેલભરો આંદોલન કરીશું અને હું સ્વયં આત્મદાહ કરીને પ્રાણ ત્યજી દઈશ.’

22. 21 જાન્યુઆરી 1986ના રોજ વકીલ ઉમેશ પાંડેએ અયોધ્યાની સિવિલ કોર્ટમાં રામજન્મભૂમિનું તાળું તાત્કાલિક ખોલવામાં આવે એ માટે અરજી દાખલ કરી.

23. ન્યાયાધીશે અરજી સ્વીકારીને સિટી મેજિસ્ટ્રેટને આ કેસને લગતા જૂના પુરાવાઓને લગતો રિપોર્ટ સબમિટ કરવાનું કહ્યું.

24. સિટી મેજિસ્ટ્રેટે 1949થી 1986 સુધીના તમામ રેકોર્ડને બારીકીથી તપાસીને જે રિપોર્ટ સબમિટ કર્યો તે વાંચીને સિવિલ કોર્ટના ન્યાયાધીશે આ કેસને જિલ્લાની સેશન્સ કોર્ટમાં લઈ જવાનું કહ્યું.

25. 1 ફેબ્રુઆરી 1986. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તથા જિલ્લાના પોલીસ વડાએ કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિનો ભંગ નહીં થવા દઈએ એવી લેખિત ખાતરી આપ્યા બાદ સેશન્સ જજે તાળાબંધીને ગેરકાનૂની ઘોષિત કરી અને એક કલાકમાં તાળું ખોલી દેવાનો હુકમ કર્યો.

26. તાળું ખોલવાનો આદેશ લાગતાવળગતા અધિકારીઓ સુધી પહોંચે તે પહેલાં જ રામભક્તોએ હથોડાથી તાળું તોડીને રામલલાને કેદમાંથી મુક્ત કરી દીધા. બીજે દિવસે દૂરદર્શન દ્વારા અને છાપાં દ્વારા આ ઉત્સાહવર્ધક સમાચાર આખા દેશના રામભક્તો સુધી પહોંચી ગયા. વિશ્વ હિંદુ પરિષદની અપીલથી સૌ કોઈએ ફટાકડા ફોડ્યા, દીવા પ્રગટાવ્યા અને મીઠાઈઓ વહેંચીને દિવાળી ઉજવી.

27. 5 ફેબ્રુઆરી 1986. મુસ્લિમ પક્ષે બાબરી મસ્જિદ ઍક્શન કમિટી નામની સમિતિની રચના કરી. આ કમિટીમાં સૈયદ શાહબુદ્દીન, ઈમામ બુખારી અને સલાહુદ્દદીન ઓવૈસી સહિતના કટ્ટરવાદી નેતાઓ હતા.

28. કોર્ટના ઑર્ડરનો વિરોધ કરવા આ કમિટીએ 1987ના પ્રજાસત્તાક દિવસનો બહિષ્કાર કરવાની અપીલ કરી.

29. 1 ફેબ્રુઆરી 1989. વિશ્વ હિંદુ પરિષદે અલાહાબાદમાં (હવે પ્રયાગરાજ) યોજેલી ત્રીજી ધર્મસંસદમાં ઘોષણા થઈ કે 10 નવેમ્બર 1989ના રોજ રામજન્મભૂમિ પર નિર્માણકાર્ય શરૂ કરવા માટે શિલાન્યાસ થશે. આ કાર્ય માટે દેશના તમામ ગામ-શહેરમાંથી પૂજન કરેલી ઈંટરૂપી રામશિલા એકઠી કરવામાં આવશે. મંદિર નિર્માણ માટે દરેક પ્રજાજનને સવા રૂપિયાનો ફાળો આપવાની અપીલ થઈ.

30. દેશવિદેશથી સાડા ત્રણ લાખ રામશિલા અયોધ્યા પહોંચી. 6 કરોડ રામભક્તોએ આર્થિક ફાળો આપ્યો. શિલાન્યાસ પહેલાં નિશ્ચિત સ્થળે આઠ બાય આઠ ફીટનો ચબુતરો બનાવીને ભગવો ધ્વજ લ્હેરાવવામાં આવ્યો.

31. વડાપ્રધાન રાજીવ ગાંધીએ ગૃહ પ્રધાન બુટા સિંહે તથા પુરીના મુખ્યમંત્રી એન.ડી.તિવારીએ દેવરહા બાબાને શિલાન્યાસ માટે કોઈ અન્ય સ્થળની પસંદગી કરવાનું કહ્યું.

32. આ વિનંતીને ગણકાર્યા વિના 9 નવેમ્બર 1989થી મહંત અવૈધ નાથ, સંત વામદેવ તથા રામચંદ્ર પરમહંસની ઉપસ્થિતિમાં શિલાન્યાસ માટે નિર્ધારિત કરેલા સ્થળે ખોદકામ શરૂ કરવામાં આવ્યું. બીજા દિવસે, 10 નવેમ્બર 1989ના રોજ વિશ્વ હિંદુ પરિષદના પદાધિકારીઓ તથા સાધુસંતોની હાજરીમાં બિહારના દલિતબંધુ કામેશ્વર ચૌપાલે પોતાના હાથે પ્રથમ શિલા મૂકી.

33. 1989ની લોકસભા ચૂંટણીમાં કૉન્ગ્રેસ હારી ગઈ. રાજીવ ગાંધીના સ્થાને વી.પી.સિંહ વડાપ્રધાન બન્યા. ભાજપે અને સામ્યવાદીઓએ સરકારને બહારથી ટેકો આપ્યો. યુપીમાં મુલાયમ સિંહ મુખ્યમંત્રી બન્યા.

34. સંતોએ 14 ફેબ્રુઆરી 1990થી રામમંદિર માટે કારસેવા શરૂ થશે એવી ઘોષણા કરી. વડાપ્રધાન વી.પી.સિંહે 6ઠ્ઠી ફેબ્રુઆરીએ રામજન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિના સભ્યોને બોલાવીને આ સમસ્યાના ઉકેલ માટે થોડો સમય આપવાની વિનંતી કરીને કારસેવાને મુલતવી રાખવાનું કહ્યું. સંતોએ વડાપ્રધાનની વિનંતી સ્વીકારી.

35. પણ આ બાબતે નક્કી થયેલી સમયમર્યાદામાં કોઈ પગલાં લેવાયાં નહીં એટલે 24 જૂન 1990ના રોજ હરદ્વારમાં યોજાયેલી વિશ્વ હિંદુ પરિષદની કેન્દ્રીય માર્ગદર્શક સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો કેઃ 30 ઑક્ટોબર 1990ની દેવઉઠી અગિયારસના દિવસે કારસેવાનો આરંભ થશે અને એ પહેલાં જનજાગૃત્તિ માટે દેશભરમાં રામજ્યોતિ યાત્રાઓ કાઢવામાં આવશે. આ દેશના તમામ મંદિરોમાં પહોંચેલી રામજ્યોતિમાંથી દિવાળીના દિવસે દેશના દરેક ઘરમાં દીવો પ્રગટાવાશે.

36. આ બાજુ ભાજપના પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીએ 12 ઑગસ્ટ 1990ના રોજ દિલ્હીના ભાજપના કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવીને 25 સપ્ટમ્બર 1990થી સોમનાથથી અયોધ્યા સુધી 10,000 કિલોમીટર રથયાત્રાનો આરંભ કરવાની ઘોષણા કરી.

37. 18 ઑક્ટોબર 1990ના રોજ રામજ્યોતિથી પ્રગટાવેલા દીવડાઓ વડે દેશભરમાં દિવાળીની ઉજવણી થયા બાદ હજારો રામ સેવકોએ કાર સેવા માટે અયોધ્યા જવા કૂચ કરી.

38. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી મુલાયમ સિંહે કારસેવા પર પ્રતિબંધ મૂકીને કારસેવકોની ધરપકડ કરવાનો હુકમ કર્યો. 30 ઑકટોબર 1990ના રોજ અયોધ્યામાં કરફ્યુ લાદવામાં આવ્યો.

39. લાલ કૃષ્ણ અડવાણીની રથયાત્રા માટેનો પ્રજામાં ઉત્સાહ જોઈને બિહારના મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે 25 ડિસેમ્બર 1990 રોજ રથયાત્રા સમસ્તીપુરમાં પ્રવેશી કે તરત જ અડવાણીની ધરપકડ કરાવી.

40. 30 ઑક્ટોબર 1990ના દિવસે મુખ્યમંત્રી મુલાયમ સિંહના આદેશથી થયેલા પોલીસ ગોળીબારમાં અનેક કારસેવકોએ બલિદાન આપ્યાં.

41. 2 નવેમ્બર 1990ની કાર્તિકી પૂર્ણિમાથી ફરી એકવાર વિનય કટિયારના નેતૃત્વ હેઠળ કારસેવા શરૂ થઈ. ફરી ગોળીબાર થયો જેમાં અનેક કારસેવકો મૃત્યુ પામ્યા. અખબારોમાં આ આંકડો 40થી 400 સુધીનો આપવામાં આવ્યો. જો કે, સત્તાવાર કબૂલાત મુજબ માત્ર 17 કારસેવકોને ઠાર મારવામાં આવ્યા છે એવું કહેવામાં આવ્યું.

42. 30 ઑક્ટોબરની કારસેવા દરમ્યાન બાબરીના ઢાંચા પર જઈને વચ્ચેના ગુંબજના મથાળે ભગવો લહેરાવનાર 22 વર્ષના રામકુમાર કોઠારી અને 20 વર્ષના શરદકુમાર કોઠારીને પછીથી પોલીસે શોધી કાઢીને ઠાર માર્યા. 4 નવેમ્બરના રોજ હજારો રામસેવકોની હાજરીમાં સરયુ નદીના કિનારે કોઠારીબંધુ સહિત અનેક સદ્દગત કારસેવકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

43. કારસેવકો પર થયેલા આત્યાચારને કારણે ભારતીય જનતા પાર્ટીએ વી.પી.સિંહની સરકારને આપેલું સમર્થન 10 નવેમ્બર 1990ના રોજ પાછું ખેંચી લીધું. કૉન્ગ્રેસના ટેકાથી ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા.

44. સદ્દગત કારસેવકોના અસ્થિકળશને ભારતભરમાં થયેલી યાત્રા બાદ 14 જાન્યુઆરી 1991ના દિવસે પ્રયાગરાજમાં વિસર્જિત કરવામાં આવ્યા.

45. 4 એપ્રિલ 1991ના રોજ વિશ્વ હિંદુ પરિષદે દિલ્હીની બોટ ક્લબના વિશાળ મેદાનમાં 25 લાખ રામભક્તોની રેલી કરી. અશોક સિંહલ જાહેરાત કરી કે 6 ડિસેમ્બર 1992ની ગીતા જયંતિએ ફરી કારસેવાનો આરંભ થશે અને એ પહેલાં 28 સપ્ટેમ્બર 1992ના રોજ ભારતના દરેક ગામ-શહેરમાં રામપાદુકા પૂજનનો કાર્યક્રમ થશે.

46. કારસેવકો પર ગોળીબાર કરીને મુખ્યમંત્રી મુલાયમ સિંહ મુસ્લિમોમાં લોકપ્રિય બની ગયા હોવાથી કૉન્ગ્રેસને પોતાની વોટબેન્ક લૂંટાઈ જતી હોય એવું લાગ્યું. કૉન્ગ્રેસે મુલાયમ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું.

47. યુપીમાં વચગાળાની ચૂંટણી યોજાઈ જેમાં ભાજપને ચોખ્ખી બહુમતિ મળી. યુપીમાં સૌપ્રથમવાર ભાજપની સરકાર બની. 24 જૂન 1991ના દિવસે કલ્યાણ સિંહે મુખ્યમંત્રીપદના શપથ લીધા.

48. શપથવિધિના બીજા જ દિવસે કલ્યાણ સિંહે પોતાના મંત્રીમંડળના તમામ સભ્યોની સાથે અયોધ્યા જઈને રામલલાનાં દર્શન કર્યાં. કલ્યાણ સિંહે દર્શન કરીને સોગંદ લીધા કે રામલલા વિરાજમાન છે એ જ જગ્યાએ વિરાટ મંદિર બનાવીને જંપીશ.

49. 10 સપ્ટેમ્બર 1991ના રોજ રામજન્મભૂમિ ન્યાસના પ્રતિનિધિઓએ કલ્યાણ સિંહને મળીને રામકથા કુંજની સ્થાપના કરવા માટે જમીન આપવાની માગણી મૂકી. મુખ્યમંત્રીએ બાબરી ઢાંચાને અડીને આવેલી 42 એકર જમીન રામકથા કુંજ માટે લીઝ પર આપી. સાથે વચન આપ્યું કે યાત્રીઓની સુવિધા માટે એની બાજુની 2.77 એકર જમીન સરકાર હસ્તગત કરશે.

50. ઉત્તર પ્રદેશ સરકારે બે વટહુકમ બહાર પાડીને 7 ઑક્ટોબર અને 10 ઑક્ટોબર જમીનો એક્‌વાયર કરી લીધી. વક્ફ બોર્ડ દાવો કર્યો કે આમાંથી 0.70 એકર જમીન સુન્ની વક્ફ બોર્ડની છે.

51. 17 ઑક્ટોબર 1991ના રોજ મૌલાના હાશિમ અન્સારીએ 2.77 એકર જમીનને સરકાર દ્વારા હસ્તગત કરવાના વટહુકમને હાઈકોર્ટમાં પડકાર્યો.

52. 10 નવેમ્બર 1991ના રોજ હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે પ્રાથમિક દ્દષ્ટિએ જોતાં લાગે છે કે 2.77 એકર જમીન હસ્તગત કરવાના સરકારી વટહુકમમાં કોઈ ખામી નથી, પરંતુ આ જગ્યા પર કોઈ સ્થાયી બાંધકામ કરવું નહીં તેમ જ સરકારે આ જમીન બીજા કોઈને આપવી નહીં.

53. માર્ચ 1992ના અંતમાં ઉત્તર પ્રદેશ સરકારે હસ્તગત કરેલી 42 એકર જમીન પર રામ જન્મભૂમિ ન્યાસને રામકથા પાર્ક બનાવવાની પરવાનગી આપવામાં આવી.

54. જૂન 1992માં આ 42 એકરની ભૂમિ પર બાંધકામ શરૂ કરતાં પહેલાં એને સમથળ કરતાં કરતાં બાબરી ઢાંચાના દક્ષિણ-પૂર્વ (અગ્નિ) ખૂણે આવેલી જમીનમાંથી શિવપાર્વતીની ખંડિત મૂર્તિ મળી આવી. આ ઉપરાંત અનેક અવશેષો મળ્યા જે સાબિત કરતા હતા કે આ જગ્યાએ મંદિર હતું.

55. 9 જુલાઈ 1992. વિશ્વ હિંદુ પરિષદે 2.77 એકરની સરકારે હસ્તગત કરેલી ભૂમિ પર સિંહદ્વારના નિર્માણ માટે કાર સેવા શરૂ કરીને કોન્ક્રીટનો ચબૂતરો બાંધવાનો આરંભ કરી દીધો.

56. બાબરી મસ્જિદ ઍક્શન કમિટી સુપ્રીમ કોર્ટમાંથી હુકમ લઈ આવી કે 2.77 એકરની ભૂમિ પર થઈ રહેલું બાંધકામ રોકવું અને એ ભૂમિ જેમ છે એવી જ પરિસ્થિતિમાં રહેવા દેવી.

57. સુપ્રીમ કોર્ટના આદેશ પછી 26 જુલાઈ 1992ના રોજ વડાપ્રધાન પી.વી.નરસિંહરાવ સાધુસંતોને મળ્યા. વડાપ્રધાનને કહેવામાં આવ્યું કે 2.77 એકરની ભૂમિ સરકારે હસ્તગત કરી તે પહેલાં જ ખરીદી લેવામાં આવી હતી અને એ ભૂમિ પર શિલાન્યાસની વિધિ થઈ ચૂકી છે તો હવે એને વિવાદાસ્પદ શા માટે ગણવામાં આવે છે. નરસિંહ રાવે વચન આપ્યું કે તેઓ કોઈને કોઈ રસ્તો કાઢશે પણ ત્યાં સુધી નિર્માણકાર્ય અટકાવી દેવું.

58. સાધુસંતોએ એ જ દિવસે સાંજે 4 વાગ્યાથી કારસેવા બંધ કરવાની ઘોષણા કરી. પણ સાથે જણાવ્યું કે 6 ડિસેમ્બરે કારસેવા થશે જ જેથી વડાપ્રધાને કોર્ટને વિનંતી કરવી કે 2.77 એકર ભૂમિ વિશેનો ચુકાદો 6 ડિસેમ્બર પહેલાં આપી દેવામાં આવે.

59. 30 ઑક્ટોબર 1992. નવી દિલ્હીના કેશવપુરમ્ સ્થિત રાણી ઝાંસી સ્ટેડિયમમાં પાંચમી ધર્મસંસદનું આયોજન થયું જેમાં 4 એપ્રિલ 1991ના રોજ 25 લાખ રામભક્તોના વિરાટ હિન્દુ મહાસંમેલનમાં લેવાયેલા, 6 ડિસેમ્બર 1992ની ગીતા જયંતીથી કારસેવા શરૂ કરવાના, નિર્ણયને અનુમોદન આપવામાં આવ્યું.

60. 28 નવેમ્બર 1992એ ઉત્તરપ્રદેશની કલ્યાણ સિંહ સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું નોંધાવીને કહ્યું કે બાબરી ઢાંચાની સુરક્ષા કરવા માટે યુપી સરકાર પૂરેપૂરી કટિબદ્ધ છે.

61. છઠ્ઠી ડિસેમ્બરની કારસેવામાં ભાગ લેવા દેશભરમાંથી કારસેવકો ટ્રેન-બસ દ્વારા અયોધ્યા આવવા લાગ્યા. મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહે લખનૌમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવીને સૂચના આપી કે કારસેવકોને સહેજ પણ અસુવિધા ન થવી જોઈએ, એમના રહેવા-જમવા માટેની પૂરતી વ્યવસ્થા કરવાની છે. 4 ડિસેમ્બરની રાત્રે તમામ કારસેવકો માટે અયોધ્યાના ‘વાલ્મિકી ભવનમાં’ રહેવા-જમવાની ગોઠવણ થઈ ગઈ.

62. 5 ડિસેમ્બર 1992ની રાત્રે ‘કનક ભવનની’ પાછળના વિશાળ મેદાનમાં મંચ પર લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સાધ્વી ઉમા ભારતી, સાધ્વી ઋતમ્ભરા વગેરેની હાજરીમાં અશોક સિંહલે કારસેવકોને સૂચના આપીઃ ‘કાલે, 6ઠ્ઠી ડિસેમ્બરની સવારે 11 વાગ્યે કારસેવાનો આરંભ થશે. તમામ કારસેવકો સરયુ નદીમાંથી એક લોટ જળ અને નદીના તટ પરથી પોટલીમાં એક મુઠ્ઠી જેટલી માટી લાવીને પાછળ જે ખાડો ખોદવામાં આવેલો છે એમાં સમર્પિત કરશે.’

63. છઠ્ઠી ડિસેમ્બર 1992ની સવારે 11 વાગ્યે સાધુ સંતોના નેતૃત્ત્વમાં કારસેવકો સરયુમાંથી જળ-માટી લઈને કારસેવાના સ્થળે પહોંચ્યા અને કારસેવા શરૂ થઈ.

64. એકાએક કારસેવાના સ્થળ અને વિવાદિત ઢાંચા વચ્ચે બાંધેલી બેરિકેડને કારસેવકોએ તોડી નાખી અને જોતજોતામાં હજારો કારસેવકોએ વિવાદિત પરિસરમાં પ્રવેશ કર્યો. આ બાજુ મંચ પર બેઠેલા નેતાઓ માઈક પર કારસેવકોને વિનંતી કરતા રહ્યા કે સૌ શિસ્તમાં રહો, શાંતિ રાખો…

65. સાડા અગિયાર વાગ્યે રાજ્યના ડિરેક્ટર જનરલ ઑફ પુલિસનો ફોન કલ્યાણ સિંહ પર ગયો. ડીજીપીએ મુખ્યમંત્રીને સાબદા કર્યા કે હજારો કારસેવકોએ સમગ્ર પરિસર પર કબજો કરી લીધો છે. ભીડ અનિયંત્રિત છે. કારસેવકોએ ભગવો ઝંડો લહેરાવી દીધો છે. ફાયરિંગ કર્યા વિના ભીડ કાબૂમાં નહીં આવે. મુખ્યમંત્રી કલ્યાણ સિંહે ડીજીપીને કડક સૂચના આપી કેઃ ‘ ભીડને રોકવા માટેનાં તમામ ઉપાયો તાબડતોબ કરો’, પછી ઉમેર્યું, ‘પણ કોઈપણ સંજોગોમાં ગોળીબાર નથી કરવાનો.’

66. બાર વાગ્યા સુધીમાં કારસેવકોએ બાબરી ઢાંચામાં બે ગુંબજ જમીનદોસ્ત કરી નાખ્યા. ડીજીપીએ ફરી મુખ્યમંત્રીને ફોન કરીને કહ્યું, ‘ત્રીજો ગુંબજ પણ તોડી નાખવામાં આવ્યો છે. ભીડને કાબૂમાં લેવા ગોળીબાર કરવો જ પડશે.’ કલ્યાણ સિંહે ફરી કહ્યું : ‘જે કરવું હોય તે કરો પણ ગોળીબાર નથી કરવાનો. એક પણ કારસેવકનું મૃત્યુ તો દૂરની વાત, એમને ઈજાનો ઘસરકો પણ ન થવો જોઈએ.’

67. વાત દિલ્હી સુધી પહોંચી એટલે કેન્દ્રીય ગૃહપ્રધાન શંકરરાવ ચવ્હાણે કલ્યાણ સિંહ સાથે ફોન પર વાત કરી. ગૃહપ્રધાને કહ્યું કે કારસેવકોને પરિસરની બહાર કાઢો અન્યથા હેલિકોપ્ટરથી કેન્દ્રીય સુરક્ષા દળના જવાનોને ત્યાં મોકલવામાં આવશે. કલ્યાણ સિંહે કહ્યું: ‘કારસેવકો પર ગોળી ચલાવવાનું કામ મારાથી નહીં બને. મુખ્યમંત્રીપદ તો આજે છે ને કાલે નથી, કારસેવકની જિંદગી મુખ્યમંત્રીપદ કરતાં ઘણી કિંમતી છે.’

68. સાંજે ચાર વાગ્યા સુધીમાં ત્રણેય ગુંબજ પૂરેપૂરા જમીનદોસ્ત કરીને કારસેવકો રામલલા જ્યાં વિરાજમાન હતા તે ભૂમિને સમથળ કરીને તંબુમાં કામચલાઉ મંદિર બનાવવાના કામમાં લાગી ગયા. ડીજીપીએ આ સૂચના મુખ્યમંત્રીને આપી એટલે કલ્યાણ સિંહે સ્મિત સાથે પોતાની ઑફિસથી નીકળીને રાજભવન તરફ પ્રયાણ કર્યું. રાજ્યપાલ વી. સત્યનારાયણ રેડ્ડીને મળીને કહ્યું: ‘ઢાંચાને તોડવા માટે કોઈ કારસેવક, કોઈ સરકારી અધિકારી, કોઈ પોલીસ જવાબદાર નથી. આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી મારા શિરે છે. મારું રાજીનામું સ્વીકારો.’

69. અડધો કલાક બાદ રાજીનામું આપીને રાજભવનની બહાર ઊભેલી લાલ બત્તીવાળી ગાડીને બદલે પોતાના કાફલામાં સાથે લીધેલી અંગત માલિકીની કારમાં બેસીને કલ્યાણ સિંહ મુખ્યમંત્રીના સત્તાવાર બંગલે જવાને બદલે મૉલ એૅવન્યુ સ્થિત પોતાના અંગત નિવાસસ્થાને આવી ગયા.

70. બાબરી ઢાંચાને તોડ્યા પછી કાટમાળમાંથી અહીં મંદિર હોવાનો પુરાવો આપતા 400 જેટલા અવશેષો મળ્યા. કારસેવકોએ એ તમામ અવશેષોને એક જગ્યાએ સુરક્ષિત મૂકી દીધા. પ્રશાસને એ સમગ્ર ક્ષેત્રને પોતાના કબજામાં લઈ લીધો.

71. અશોક સિંહલે ઘટનાસ્થળે પત્રકારોને મુલાકાત આપતાં કહ્યું કે, આ અવશેષો પરથી પ્રાથમિક રીતે સાબિત થાય છે કે બાબરી ઢાંચો બંધાયો તે પહેલાં અહીં મંદિર હતું. આ અવશેષો કાનૂની દ્દષ્ટિએ તેમ જ પુરાતત્ત્વની દ્દષ્ટિએ મહત્વપૂર્ણ પુરાવા છે માટે સરકારે તાત્કાલિક એની યાદી તૈયાર કરાવીને પુરાતત્ત્વના નિષ્ણાતોને સોંપી દેવી જોઈએ.

72. પત્રકારો સાથેની વાતચીત પૂરી થઈ કે તરત જ કોમી તંગદિલી સર્જવાનો આરોપ મૂકીને અશોક સિંહલ તથા વિનય કટિયારની અયોધ્યામાં તથા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, વિષ્ણુ હરિ દાલમિયા, તથા ઉમા ભારતીની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી.

73. દિલ્હીમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરી કે સાંપ્રદાયિક તંગદિલી ઊભી કરવા બદલ આરએસએસ, વિશ્વ હિંદુ પરિષદ તથા અન્ય સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. કેન્દ્ર સરકારે એવી પણ જાહેરાત કરી કે બાબરી મસ્જિદનું એ જ સ્થળે પુનઃનિર્માણ કરવામાં આવશે.

74. 11 ડિસેમ્બર 1992ના રોજ અલાહાબાદ હાઈકોર્ટની વિશેષ બેન્ચે 2.77 એકરની જમીનને લગતો ચુકાદો આપ્યો અને યુપી સરકારના 2.77 એકરની જમીનને હસ્તગત કરવાના વટહુકમને અવ્યવહારિક ગણાવ્યો અને કહ્યું કે 2.77 એકરની જમીનનું સ્ટેટસ વટહુકમ પહેલાં જેવું હતું તેવું જ રહેશે.

75. વિશ્વ હિંદુ પરિષદે કહ્યું કે અદાલતના આ ચુકાદાનો અર્થ એ થયો કે સરકારના વટહુકમ પહેલાં 2.77 એકરની જમીનમાંથી 2.07 એકર જમીન રામજન્મભૂમિ ન્યાસે ખરીદી લીધી હતી અને રામ ચબુતરો પણ એ 2.07 એકર જમીન પર જ બાંધવામાં આવ્યો છે. કોર્ટે જો આ ચુકાદો અઠવાડિયા પહેલાં જ આપી દીધો હોત તો ન્યાસે પોતાના કબજા હેઠળની 2.07 એકરની અવિવાદિત જમીન પર જ કારસેવા કરી હોત (અને બાબરી ઢાંચો સલામત રહ્યો હોત).

76. એ જ દિવસે, 11 ડિસેમ્બર 1992ના રોજ મૌલાના અસલમ ઉર્ફે ભૂરે તરફથી એમના વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી આપી કે સુપ્રીમ કોર્ટમાં આપેલા સોગંદનામાનો અમલ ન કરીને કોર્ટનો તિરસ્કાર કરી બાબરી મસ્જિદ તોડવાના ગુના બદલ કલ્યાણ સિંહ તથા અન્ય અધિકારીઓ પર માનહાનિનો કેસ ચલાવવામાં આવે.

77. બાબરી મસ્જિદનું ફરી નિર્માણ કરવાની ઘોષણા, આંદોલન સાથે જોડાયેલા હિંદુ નેતાઓ અને કાર્યકરોની ધરપકડ, હિંદુ સંગઠનો પર પ્રતિબંધ અને ઢાંચાના કાટમાળમાંથી મળી આવેલા નક્કર પુરાવઓને કારણે દિલ્હીની કેન્દ્ર સરકારને હિંદુ વોટ ગુમાવી દેવાની બીક લાગી. સરકારે સાધુસંતો અને શંકરાચાર્ય સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો. પણ કૉન્ગ્રેસ સામેનો સૌનો ગુસ્સો યથાવત્‌ રહ્યો.

78. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કલ્યાણ સિંહે સામેથી જવાબદારી લઈને રાજીનામુ આપી દીધું હોવા છતાં કેન્દ્ર સરાકરે કોઈ વાંકગુના વગર 16 ડિસેમ્બર 1992ના રોજ ભાજપ શાસિત ત્રણ રાજ્યસરકારોને બરતરફ કરીને રાષ્ટ્રપતિ શાસન લાદ્યું— મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ. કેન્દ્ર સરકારે પ્રમુખ હિંદુ સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો અને જેનું કોઈ અસ્તિત્વ જ નહોતું એવા બે મામૂલી મુસ્લિમ સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો પણ બાબરી મસ્જિદ ઍક્શન કમિટી પર પ્રતિબંધ ન મૂક્યો તેને લીધે પ્રજામાં ખૂબ રોષ જન્મ્યો.

79. 14 ડિસેમ્બર 1992ના રોજ અચ્છન રિઝવીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી અંગે 19 ડિસેમ્બર 1992ના દિવસે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો: ‘ ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારે આ અદાલતને સોગંદનામું આપ્યું હતું કે ઢાંચાની સુરક્ષા કરવામાં આવશે. પણ છેવટે ઢાંચો તોડી પાડવામાં આવ્યો જેને કારણે અદાલતની માનહાનિ થઈ છે માટે અદાલત કલ્યાણ સિંહ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓને આ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપે છે.’

80. છઠ્ઠી ડિસેમ્બરે ઢાંચો જમીનદોસ્ત થયો એ પછી તંબુમાં બિરાજમાન રામલલા સુધી કોઈને જવા દેવામાં આવતા નહોતા. 22મી ડિસેમ્બરે 1992એ સાધુસંતો તથા રામભક્તો કરફ્યુ તોડીને રામલલાનાં દર્શન કરવા તંબુમાંના કામચલાઉ મંદિરે પહોંચી ગયા. પોલીસે એમને રોક્યા તો પોલિસને કહેવામાં આવ્યું કે 1986માં ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશથી તાળું ખોલીને સૌને દર્શન કરવાની છૂટ આપવામાં આવી હતી. કોર્ટના આ આદેશનું ઉલ્લંઘન થશે તો પોલીસ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ થશે. પોલીસે આ સમસ્યાને સુલઝાવવા બે દિવસનો સમય માગ્યો.

81. 22 ડિસેમ્બર 1992ના રોજ સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરનારા વકીલ હરિશંકર જૈને અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ સમક્ષ એક અરજી મૂકીને સૌને રામલલાનાં દર્શન કરવા માટેની અનુમતિ માગી. સરકારી વકીલે રાજ્ય સરકાર વતી જવાબ આપવા માટે એક દિવસની મહેનત માગી જે ન્યાયાધીશે મંજૂર રાખી.

82. બેઉ પક્ષોને સાંભળ્યા પછી 1 જાન્યુઆરી 1993ના રોજ અલાહબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે શ્રદ્ધાળુઓ દૂરથી રામલલાનાં દર્શન કરી શકે છે અને હુકમ કર્યો કે કાટમાળમાંથી જે મૂર્તિઓ તથા અવશેષો મળ્યાં છે તેની યોગ્ય સુરક્ષા કરવામાં આવે.

83. 25 જાન્યુઆરી 1993. પ્રયાગરાજમાં એક વિરાટ સંત સંમેલનમાં મંદિરના નિર્માણ માટે ‘રામજન્મભૂમિ ટ્રસ્ટ’ની રચના કરવાની ઘોષણા થઈ. ટ્રસ્ટના અધ્યક્ષ સ્વામી વામદેવ તથા સંયોજક આચાર્ય રામનાથ સુમન રહેશે એવી જાહેરાત થઈ. સ્વામી વામદેવે પ્રવચનમાં કહ્યું: ‘અયોધ્યા નગરીની સીમા બહાર મસ્જિદ બંધાતી હોય તો અમને મંજૂર છે પણ અમે રામલલાની જન્મભૂમિના ટુકડા નહીં થવા દઈએ. અને અમારું ટ્રસ્ટ જ મંદિરનું નિર્માણ કરશે, કોઈપણ સરકારી ટ્રસ્ટ નહીં કરે.’

84. 3 એપ્રિલ 1993. દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની મીટિંગમાં વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવે નિર્ણય લીધો કે સંસદમાં વટહુકમ પસાર કરીને વિવાદિત પરિસર સહિતની 67.7 એકર જમીન કેન્દ્ર સરકાર હસ્તગત કરશે.

85. આ વટહુકમને પડકારતાં ઈસ્માઈલ ફારૂખી સહિત અન્ય લોકોએ અલાહાબાદ હાઈકોર્ટને અરજી કરી કે આ વટહુકમ ગેરવાજબી છે, આમાં મસ્જિદવાળી જમીનનો પણ સમાવેશ થાય છે જ્યાં નમાજ પઢવામાં આવતી હતી.

86. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટમાં મૂકાયેલી ફારૂખીની અરજી સહિતની વટહુકમને લગતી તમામ અરજીઓને પોતાના દાયરામાં લઈ ફારૂખીની યાચિકા પર ચુકાદો સંભળાવતાં કહ્યું: ‘નમાજ પઢવા માટે મસ્જિદ અનિવાર્ય નથી. નમાજ કોઈ પણ જગ્યાએ પઢી શકાય છે. માટે આ અરજી ફગાવી દેવામાં આવે છે.’

87. સુપ્રીમ કોર્ટની માનહાનિવાળા કેસમાં 28 ઑક્ટોબર 1994ના રોજ સુપ્રીમ કોર્ટે કલ્યાણ સિંહને તથા અન્યોને પ્રતીકરૂપે 1 દિવસની કેદ તથા 20,000 રૂપિયાનો દંડ ભરવાની સજા સંભળાવી. કલ્યાણ સિંહની તાબડતોબ ધરપકડ થઈ. એક દિવસ માટે તેઓ તિહાર જેલમાં રહ્યા.

88. 1998માં લોકસભાની ચૂંટણી થઈ. ભાજપ સત્તામાં આવી. 14 માર્ચ 1998ના દિને અટલ બિહારી વાજપેયીએ દેશના વડા તરીકે શપથ લીધા.

89. 6 ડિસેમ્બર 2001ના રોજ વિશ્વ હિન્દુ પરિષદે બાબરી ઢાંચો જમીન દોસ્ત કરવાના દિવસની ઉજવણીરૂપે શૌર્ય દિવસ મનાવવાનું આયોજન કર્યું અને અશોક સિંહલે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ઘોષણા કરી કે રામજન્મભૂમિ પર બંધાયેલા કામચલાઉ મંદિરની જગ્યાએ ભવ્ય રામમંદિર બનાવવા માટે વિશ્વ હિંદુ પરિષદ સંકલ્પબદ્ધ છે.

90. 10 જાન્યુઆરી 2002ના રોજ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ રામજન્મભૂમિના વિવાદનું સમાધાન લાવવા ‘અયોધ્યા સમિતિ’ રચી જેમાં વરિષ્ઠ આઈએએસ અધિકારી શત્રુઘ્નસિંહને હિંદુ તથા મુસ્લિમ પક્ષકારો સાથે વાટાઘાટ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા.

91. એ જ દિવસે વિશ્વ હિન્દુ પરિષદે ઘોષણા કરી કે અમે 15 માર્ચ 2002થી રામમંદિરના નિર્માણનું કાર્ય શરૂ કરીએ છીએ. આ નિમિત્તે ફેબ્રુઆરીથી પૂર્ણાહુતિ યજ્ઞનો આરંભ થશે જે જૂનમાં પૂરો થશે. પૂર્ણાહુતિ યજ્ઞમાં ભાગ લેવા દેશભરમાંથી કારસેવકો અયોધ્યા આવવા લાગ્યા અને પોતાની જવાબદારી પૂરી કરીને, અન્ય કારસેવકોને સેવાની તક મળે તે માટે, અયોધ્યાથી પાછા પોતાના ઘરે જવા લાગ્યા.

92. 27 ફેબ્રુઆરી 2002. સમય સવારના 7.43. અયોધ્યાથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ગોધરા સ્ટેશને રોકાઈ ત્યારે કેટલાક મુસ્લિમોએ એસ. સિક્સ કોચને સળગાવીને 58 કારસેવકોને જીવતા સળગાવી દીધા. આમાં 23 પુરુષ, 15 મહિલા અને 20 બાળકો હતાં. એમને બચાવવાની કોશિશ કરનાર એક વ્યક્તિ પણ બે દિવસ બાદ મૃત્યુ પામી.

93. ગોધરા હિંદુ હત્યાકાંડને પગલે આખા દેશમાં તંગદિલી ફેલાઈ. ગુજરાતમાં કેટલાક ઠેકાણે કોમી રમખાણો થયાં. બાબરી ઢાંચાને ધ્વસ્ત કરવામાં ન આવ્યો હોત તો ગોધરા હિંદુ હત્યાકાંડ ન થયો હોત એવું કહીને કૉન્ગ્રેસ તથા સેક્યુલર મીડિયાએ ભોગ બનેલાઓને જ દોષિત ઠેરવ્યા એટલું જ નહીં રમખાણો માટે પણ હિંદુઓ એકલા જ જવાબદાર છે એવું વાતાવરણ સર્જ્યું.

94. 5 માર્ચ 2002ના રોજ વિશ્વ હિંદુ પરિષદ વતી અશોક સિંહલે પ્રેસ કૉન્ફરન્સમાં બાંહેધરી આપી કેઃ રામજન્મભૂમિ વિશે માનનીય અદાલતનો જે કંઈ નિર્ણય હશે તે વિહિપને અને રામજન્મભૂમિ ન્યાસને માન્ય હશે.

95. 15 માર્ચ 2002. મહંત રામચંદ્ર પરમહંસ તથા અશોક સિંહલના નેતૃત્વમાં અયોધ્યામાં યોજાયેલો શિલાદાનનો કાર્યક્રમ શાંતિથી પાર પડ્યો.

96. 6 એપ્રિલ 2002. કેન્દ્ર સરકારના કહેવાથી અલાહાબાદ હાઈકોર્ટની ત્રણ જજોની બેંચના ન્યાયાધીશો સુધીર નારાયણ અગ્રવાલ, ધર્મવીર શર્મા તથા એસ.યુ. ખાને રોજેરોજ સુનાવણીની કાર્યવાહી શરૂ કરી

97. 1 ઑગસ્ટ 2002ના રોજ હાઈકોર્ટે જમીનની માલિકીના હક્ક માટે ભારતીય પુરાતત્ત્વના સર્વેક્ષણ દ્વારા આધુનિક ટેક્‌નિક અપનાવીને વિવાદિત સ્થળની જાંચપડતાલ કરવાનો આદેશ આપ્યો.

98. જિયો રેડિયોલોજી વગેરે ટેક્‌નિકથી તપાસ કરીને એ.એસ.આઈ.એ રિપોર્ટ તૈયાર કરીને 17 ફેબ્રુઆરી 2003ના રોજ હાઈકોર્ટને સોંપ્યો.

99. 5 માર્ચ 2003ના રોજ હાઈકોર્ટે આ રિપોર્ટના આધારે વિવાદિત સ્થળના ખોદકામ માટે એ.એસ.આઈને આદેશ આપ્યો અને સૂચના આપી કે ખોદકામ કરનારી ટીમમાં બેઉ ધર્મના લોકોને સામેલ કરવામાં આવે.

100. હાઈકોર્ટના આદેશ અનુસાર 12 માર્ચ 2003થી 7 ઑગસ્ટ 2003 સુધી વિવાદિત સ્થળ પર ખોદકામ થતું રહ્યું.

101. આ દરમ્યાન નાવેદ યાર ખાને સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને ખોદકામ રોકવા માટેનો હુકમ માગ્યો. સુપ્રીમ કોર્ટ આ અરજી ફગાવી દઈને ખોદકામ ચાલુ રાખવાનું જણાવ્યું.

102. 25 ઑગસ્ટ 2003. એ.એસ.આઈએ ખોદકામ પૂરું કરીને હાઈકોર્ટને રિપોર્ટ આપ્યો. રિપોર્ટમાં વિગતે જણાવાયું કે વિવાદિત ઢાંચાની નીચેથી દેવતાઓની ખંડિત મૂર્તિઓ સહિત મંદિરના અનેક અવશેષો મળી આવ્યા છે એટલું જ નહીં, એમાંથી ગુપ્ત યુગ તથા કુષાણયુગના અવશેષો પણ મળી આવ્યા છે.

103. હાઈકોર્ટના ત્રણે જજોએ 26 જુલાઈ 2010ના રોજ સુનાવણી પૂરી કરી અને 30 સપ્ટેમ્બર 2010ના દિવસે જમીનના માલિકી હક્ક વિશે અલગ-અલગ ચુકાદો આપ્યો. ન્યાયાધીશ ધર્મવીર શર્માએ કહ્યું કે: રામમંદિરને તોડીને બનાવવામાં આવેલી મસ્જિદ ઇસ્લામના સિદ્ધાંતો વિરુદ્ધ બનાવવામાં આવી હતી જેથી તેને મસ્જિદ કહી શકાય નહીં. એ.એસ.આઈ.એ એકઠા કરેલા અવશેષોથી સાબિત થાય છે કે આ ભૂમિ પર હિન્દુ ધર્મસ્થાન જ હતું. આ સંપત્તિ રામચંદ્રની જન્મભૂમિ છે અને હિંદુઓને ત્યાં પૂજા કરવાનો પૂરેપૂરો અધિકાર છે. એ પછી બીજા ન્યાયાધીશ એસ.યુ.ખાને પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું: મસ્જિદના પરિસરમાં હિંદુ ધર્મસ્થળ હોય એ વાત અદ્દભુત છે. વિવાદિત સ્થળ પર બેઉ પક્ષોનો સંયુક્ત કબજો છે. મધ્ય ગુંબજની નીચેનો હિસ્સો, જ્યાં અત્યારે કામચલાઉ મંદિર છે તેનો કબજો હિંદુઓને મળે. અને ત્રણેય પક્ષકારોને બાકીની જમીનનો એક તૃતિયાંશ ભૂમિના માલિક ઘોષિત કરવામાં આવે છે. ત્રીજા જજ સુધીર નારાયણ અગ્રવાલે પોતાના ચુકાદામાં કહ્યું: 2.77 એકરની વિવાદિત ભૂમિ પર જે જગ્યાએ રામલલા બિરાજમાન છે તે મૂર્તિ ત્યાં જ રહે. આ જમીનનો ત્રીજો ભાગ રામલલાને આપવામાં આવે છે. રામ ચબૂતરો અને સીતા રસોઈવાળો ભાગ નિર્મોહી અખાડાને તથા જે જગ્યાએ મુસ્લિમો નમાજ પઢતા હતા તે એક તૃતિયાંશ હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવે છે.

104. 9 મે 2011 સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો આર.એસ. લોઢા તથા આફતાબ આલમે હાઈકોર્ટના આ ચુકાદાને રદ જાહેર કર્યો. હાઈકોર્ટના ચુકાદાથી બેઉ પક્ષોને સંતોષ નહોતો એટલે હિંદુ મહાસભા તથા સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

105. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર અયોધ્યા વિવાદને સમાપ કરવા માટે નિરંતર પ્રયત્નો કરતી રહી. એક પ્રશ્નના ઉત્તરમાં મોદીએ કહ્યું: ‘મેં 1991માં મારી અયોધ્યા યાત્રા દરમ્યાન સંકલ્પ કર્યો હતો કે હવે હું અયોધ્યા ત્યારે જ આવીશ જ્યારે રામલલાનું મંદિર બનશે અને લાગે છે કે આ સૌભાગ્ય મને બહુ જલદી પ્રાપ્ત થશે.’

106. 21 માર્ચ 2017. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે એસ. ખેહરે અયોધ્યા મામલાની સુનાવણી દરમ્યાન બેઉ પક્ષે સમજૂતી કરાવવાના નિષ્ફળ પ્રયાસો કર્યા. એ પછી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો દીપક મિશ્રા, અશોક ભૂષણ તથા એસ. અબ્દુલ નઝીરની બેન્ચે 11 ઑક્ટોબર 2017થી પુનઃ સુનાવણી શરૂ કરી.

107. 8 માર્ચ 2019ના રોજ સુપ્રીમ કોર્ટે ફરી એકવાર મધ્યસ્થી માટે નિવૃત્ત જજ એમ.એફ.આઈ ખલીફુલ્લાના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરી. જેમાં શ્રી શ્રી રવિશંકર તથા સિનિયર એડવોકેટ રામ પંચૂ સામેલ હતા. મધ્યસ્થીની મંત્રણાઓને ગુપ્ત રાખવાનો આદેશ આપવામાં આવ્યો.

108. 2 ઑગસ્ટ 2019. ફરી એકવાર મધ્યસ્થીની પ્રક્રિયા નિષ્ફળ પુરવાર થઈ એટલે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે 6ઠ્ઠી ઑગસ્ટ 2019થી આ મામલે રોજેરોજ સુનાવણી કરીને અદાલત નિર્ણય લેશે. 40 દિવસની લગાતાર સુનાવણી 16 ઑક્ટોબર 2019ના રોજ પૂરી થઈ. સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બર 2019ના રોજ રામજન્મભૂમિ વિવાદ વિશે પોતે ચુકાદો આપશે એવી જાહેરાત કરી.

109. 9 નવેમ્બર 2019. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે સર્વાનુમતે ચુકાદો આપીને કહ્યું: 1.એએસઆઈના રિપોર્ટ મુજબ બાબરી મસ્જિદનું નિર્માણ કોઈ ખાલી જમીન પર નહોતું થયું તે પુરવાર થાય છે. વિવાદિત ઢાંચા નીચે બીજો એક ઢાંચો હતો જે ઇસ્લામિક ઢાંચો નહોતો. 2. મુસ્લિમ પક્ષ વિવાદિત જમીન પર પોતાનો હક્ક સાબિત નથી કરી શક્યો. નિર્મોહી અખાડાનો દાવો પણ નામંજૂર કરવામાં આવે છે. શિયા વક્ફ બોર્ડનો દાવો પણ ખારિજ કરવામાં આવે છે. 3. વિવાદિત જન્મભૂમિ પર રામલલાનો સંપૂર્ણ હક્ક છે. સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં જ કોઈ યોગ્ય સ્થળે મસ્જિદ બાંધવા માટે પાંચ એકર જમીન સરકાર દ્વારા આપવામાં આવે. 4. કેન્દ્ર સરકારે ત્રણ મહિનામાં મંદિર નિર્માણ માટે એક ટ્રસ્ટની સ્થાપના કરીને એ ટ્રસ્ટની દેખરેખ હેઠળ મંદિરના નિર્માણ કાર્યનો શીઘ્ર આરંભ કરી દેવો.

110. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો હોવાથી 9મી નવેમ્બરની સવારથી આખા દેશમાં ઠેકઠેકાણે પોલીસ બંદોબસ્ત હતો, સડકો સુમસામ હતી, બજારો બંધ હતાં. પણ ચુકાદો આવ્યા પછી ક્યાંય રમખાણો થયાં નહીં. બધું શાંતિથી પતી ગયું. એ સાંજે વડાપ્રધાન મોદીએ ટીવી પર રાષ્ટ્રજોગ સંદેશમાં કહ્યું: ‘સુપ્રીમ કોર્ટે આજે એક એવો ઐતિહાસિક ચુકાદો આપ્યો જેનો વિવાદ દીર્ઘકાળથી ચાલતો આવ્યો હતો. દાયકાઓ સુધી ચાલી રહેલી ન્યાયપ્રક્રિયા હવે સમાપ્ત થાય છે.’

111. 5 ફેબ્રુઆરી 2020ના દિવસે મોદીએ સંસદમાં રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ રચવાની ઘોષણા કરી.

112. 19 ફેબ્રુઆરી 2020. ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે મહંત નૃત્યગોપાલ દાસ તથા મહામંત્રી તરીકે ચંપતરાયની સર્વાનુમતે વરણી થઈ. સ્વામી ગોવિંદગીરી દેવને ટ્રસ્ટના કોષાધ્યક્ષનું પદ સોંપવામાં આવ્યું.

113. કોરોનાની મહામારીને કારણે ભૂમિપૂજનનો કાર્યક્રમ ઠેલાતો ગયો. 5 ઑગસ્ટ 2020ના દિવસે બપોરે 12.44ના અભિજિત મુહૂર્ત 40 કિલોની રજત શિલાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા આર.એસ.એસ.ના સરસંઘચાલક મોહન ભાગવતે શિલાન્યાસની વિધિ કરી જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માત્ર 150 મહેમાનો સહિત 200 જણાની હાજરી હતી.

114. 22 જાન્યુઆરી 2024. પાંચ વર્ષના રામલલા પોતાના સ્થાને વિરાજમાન થશે. પ્રાણપ્રતિષ્ઠાનો આ મહોત્સવને ભારતવાસીમાં શતાબ્દિના સૌથી વિરાટ ઉત્સવ તરીકે સદીઓ સુધી યાદ રાખશે.

115. અને હવે કેટલીક એવી ઘટનાઓ જે સીધી યા આડકતરી રીતે રામમંદિરના નિર્માણ સાથે અને રામજન્મભૂમિ માટે થયેલા સંઘર્ષ સાથે જોડાયેલી છે: 12 માર્ચ 1993. બાબરી ઢાંચાને તોડી પાડવાની ઘટનાનો બદલો લેવાના બહાને દાઉદ ઈબ્રાહમ અને તેના સાથીઓએ મુંબઈના
12 હિંદુ વિસ્તારોમાં બોમ્બ ધડાકાઓ કર્યા, જેમાં 257 નાગરિકોએ જાન ગુમાવ્યા અને 1,400 ઈજાગ્રસ્ત થયા.

116. પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ 2008ની 25મી નવેમ્બરે મુંબઈના સીએસટી તથા તાજ મહાલ અને ટ્રાઈડન્ટ હોટેલો સહિતની જગ્યાઓ પર હુમલો કરીને 164 નાગરિકોના જાન લીધા, 300થી વધુને ઈજા પહોંચાડી. આ ઘટનાને હિંદુ આતંકવાદીઓએ અમલમાં મૂકી એવી ભ્રમણા ફેલાવવાની યોજના નિષ્ફળ ગઈ પણ કૉન્ગ્રેસનાં દિગ્વિજય સિંહ સહિતના કેટલાક નેતાઓ ‘હિંદુ આતંકવાદ’નાં ગાણાં ગાતા રહ્યા. અને સેક્યુલર મીડિયાનું સમર્થન મેળવતા રહ્યા.

117. 2014માં વડાપ્રધાન બન્યા પછી મોદીએ 3,000થી વધુ એન.જી.ઓને તાળાં લગાવી દીધાં. એમાંની કેટલીક વિદેશી ફંડ મેળવીને ભારતમાં આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ એવા લોકોને મદદ કરતી હતી. મીડિયા આ એન.જી.ઓ.નું ઉપરાણું લેતું હતું.

118. ઝીરો બેલેન્સવાળા ખાતાં ખોલતી જનધન યોજના, યુપીઆઈ અને આધાર કાર્ડ લાવીને મોદીએ સરકારી નાણાકીય રાહતમાં ચવાઈ જતા 85 ટકા હિસ્સાને બચાવીને એ નાણાં દ્વારા દેશમાં અબજો રૂપિયાના ખર્ચે રસ્તા, પુલ, રેલવે, વીજળી, વગેરેની યોજનાઓ સાકાર કરી જેનો લાભ દેશની સમગ્ર પ્રજાને મળ્યો.

119. નોટબંધી અને જીએસટી દ્વારા સરકારને મળતા કરવેરાઓમાં પ્રચંડ વધારો થયો. એ નાણાં પણ વિકાસ કાર્યોમાં વપરાયાં. જેનો લાભ દેશની સમગ્ર પ્રજાને થયો.

120. 2019માં મોદી ફરી વડાપ્રધાન બન્યા અને સાબિત થઈ ગયું કે ભારતની પ્રજા મોદીના નિર્ણયોને દિલથી સપોર્ટ આપે છે.

121. સર્જીકલ સ્ટ્રાઈક દ્વારા તેમ જ ભારતીય વાયુ સેનાના ફાઈટર પાયલટ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્તમાનને પાછો લાવીને મોદીએ પાકિસ્તાનને ભારતની તાકાતનો પરચો આપી દીધો, જેને કારણે ભારતમાં રહેલા પાકિસ્તાન પરસ્ત દેશદ્રોહી લોકો તેમ જ મીડિયાને સંદેશો પહોંચી ગયો કે દેશમાં આતંકવાદ ફેલાવનારા તત્વોને સાથ આપ્યો છે તો ખબરદાર.

122. 22 જાન્યુઆરી પહેલાં 11 દિવસનું અનુષ્ઠાન કરીને મોદીએ વગર ઘોષણા કર્યે સાબિત કરી દીધું કે ભારત એક હિંદુ રાષ્ટ્ર હતું, ભારત એક હિંદુ રાષ્ટ્ર છે અને ભારત એક હિંદુ રાષ્ટ્ર રહેવાનું છે— હજારો વર્ષ સુધી.

123. સોનિયા ગાંધીની મનમોહન સરકારે 2004ની દિવાળીની પૂર્વસંધ્યાએ પુરીના શંકરાચાર્યની ખૂનના જુઠ્ઠા આરોપસર ધરપકડ કરાવીને હિંદુઓમાં ખોફ ઊભો કરવાની કોશિશ કરી હતી કે તમારા સર્વોચ્ચ ધર્મગુરુની અમે આ હાલત કરી શકતા હોઈએ તો તમે તો વળી કઈ વિસાતમાં મીડિયા પણ સોનિયાનાં કુકર્મોની સાથે હતું.

124. વડાપ્રધાન તરીકે મનમોહન સિંહે 2008માં ઘોષણા કરી હતી કે આ દેશનાં સંસાધનો પર સૌ પ્રથમ હક્ક મુસ્લિમોનો છે.

125. 2004માં સોનિયાની સરકારના શિક્ષણ પ્રધાન કપિલ સિબ્બલે ભારતીય શાળાઓ માટેનો અભ્યાસ નક્કી કરવાની સમિતિમાં, કુખ્યાત બની ગયેલી તિસ્તા સેતલવાડનો સમાવેશ કર્યો. હિંદુ પ્રજા વિરુદ્ધ કૉન્ગ્રેસ તથા તેના પાળેલા મીડિયાએ સર્જેલી ઇકો સિસ્ટમને ધીરજપૂર્વક ખંડિત કરતાં રહીને મોદીએ સૌને સાથે લઈને સૌનો વિકાસ કર્યો અને એક નવી, સનાતન પરંપરાનો આદર કરતી ઇકો સિસ્ટમ બનાવવાનું શરૂ કર્યું. સુપ્રીમ કોર્ટે સર્વાનુમતે રામમંદિર બનાવવાનો માર્ગ મોકળો કરી આપ્યો તેમાં મોદીએ સર્જેલા આ વાતાવરણનો ઘણો મોટો ફાળો છે. જો આવું વાતાવરણ ન સર્જાયું હોત તો હજુય સુપ્રીમ કોર્ટ રામજન્મભૂમિના મામલે કોઈ ચુકાદો આપવાનું ટાળ્યા કરતી હોત અને આપણા જીવનમાં 22મી જાન્યુઆરી ક્યારેય ન આવી હોત.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

5 COMMENTS

  1. While reading 125 steps I revisited again in the past. It is as if I myself was climbing all the steps. I consider myself clucky to have seen the tenure of MODIJI as PM. Reading again and again all the 125 steps have the feeling of watching a Documentary film. SIYAVAR RAMCHANDRA KI JAI.

  2. આટલો વિગતવાર લેખ આજસુધી કોઈએ લખ્યો હોય એવું મારી જાણમાં નથી. આ આખા લેખની પુસ્તિકા (પરિચય પુસ્તિકા જેવી) છપાવીને ઉત્સાહિત ભક્તોમા વહેંચવી જોઇએ, જેથી નવી પેઢી અપડેટ રહે. ધન્યવાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here