ના રોકો આજ, ધોને દો ચરન આંખોં કે પાની સે : સૌરભ શાહ

( આવતી કાલે, બાવીસમી જાન્યુઆરીએ રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય તે પહેલાં આ મહાન ઘટનાનું બૅકગ્રાઉન્ડર બાંધવા છેલ્લા ૫-૭ દિવસથી મેં વર્ષો પહેલાં લખેલા દસ્તાવેજી મુલ્ય ધરાવતા કેટલાક લેખો તમારી સાથે શેર કર્યા. આજે આ લેખોથી શ્રેણીનું સમાપન કરીએ. શીર્ષકની પંક્તિવાળું ભક્તિગીત સ્વયં મોદીજીએ પોતાના સોશિયલ મીડિયા થકી વાઈરલ કર્યું છે જરૂર સાંભળજો. )

અયોધ્યામાં સરયૂ નદી, કનકભવન, હનુમાનગઢી અને રામજન્મભૂમિની યાત્રા

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : બુધવાર, 2 જાન્યુઆરી 2019)

થર્ટી ફર્સ્ટની ઉજવણી સૌએ પોતપોતાની રીતે કરી. અમે અમારી રીતે કરી – અયોધ્યાની રામજન્મભૂમિ પર સ્થપાયેલી રામ લલ્લાની મૂર્તિનાં દર્શન કરીને.

પણ પરંપરા એવી છે કે રામના દર્શન કરતાં પહેલાં હનુમાનગઢીમાં દર્શન કરવાના. અમે હનુમાનગઢી જતાં પહેલાં સવારે નાગેશ્ર્વર મંદિરમાં શિવજીનાં દર્શન કર્યાં. પછી સરયૂ નદીના કિનારે ગયા. અયોધ્યા સરયૂના તીરે વસેલી નગરી છે. તમને ખબર છે. રામચરિત માનસમાં સરયૂના ઉલ્લેખો અનેકવાર આવ્યા છે. અવધિ બોલીમાં સરયૂના ‘ય’નો ‘જ’ થઈ જાય. સરજૂ. ઋગ્વેદમાં 3 વાર સરયૂ નદીનો ઉલ્લેખ છે.

સરયૂ સાથે ઘણી કથાઓ સંકળાયેલી છે. ખૂબ પહોળો પટ છે સરયૂનો. હવે તો એના પરથી મોટો બ્રિજ પસાર થાય છે. સરયૂમાં નૌકાયન કરતાં કરતાં અમે વિચારતા રહ્યા કે આ જ નદીમાં ઘડો ડુબાડીને પોતાની કાવડમાં જેમને તીર્થયાત્રા કરાવી રહ્યો હતો એ તરસ્યા માબાપ માટે શ્રવણકુમાર પાણી ભરતો હતો. બુડબુડ અવાજ સાંભળીને મૃગયા માટે નીકળેલા રાજા દશરથે દૂરથી કલ્પના કરી કે કોઈ પ્રાણી હશે. તીર છોડ્યું અને અનર્થ થઈ ગયો છે એવું સમજાયું ત્યારે દશરથ રાજા પોતે પાણી ભરેલો ઘડો લઈને શ્રવણનાં માબાપ પાસે ગયા. પણ અંધ માબાપ પામી ગયા કે આ પોતાનો પુત્ર નથી. રાજાએ ખુલાસો કર્યો, માફી માગી. માબાપે શાપ આપ્યો. અમારી જેમ તું પણ તારા પુત્રના વિરહમાં પ્રાણનો ત્યાગ કરીશ.

એક કથા એવી પણ છે કે રામે રાજ્યાભિષેક પછી, રામરાજ્ય સ્થાપીને, યોગ્ય રીતે શાસન કર્યા પછી, પોતાની અંત વેળાએ આ જ નદીમાં સમાધિ લીધી હતી. એમની સાથે શત્રુઘ્ન તથા ભરત તેમ જ કેટલાક ખૂબ નજીકના અયોધ્યાવાસીઓ પણ હતા. કથા છે આવી.

ગંગાજીમાં અનેક પેટા નદીઓ સર્જાઈ છે. આ પેટા નદીઓમાંથી વળી અનેક ટ્રિબ્યુટરીઝ સજાર્ર્ઈ છે. સરયૂ એમાંની એક છે. પવિત્ર છે. (બાય ધ વે, ‘ગાઈડ’ તેમ જ ‘માલગુડી ડેઝ’ની વાર્તાઓમાં આર. કે. નારાયણે માલગુડી ગામ જે નદીના કિનારે વસાવ્યું છે તે નદીનું નામ સરયૂ આપ્યું છે.)

સરયૂનું જળ માથે ચડાવી અમે કનકભવનનાં દર્શને ગયા. ભવ્ય રાજમહેલ જેવું ભવન છે. રાજમહેલ જ હતો. રામનાં લગ્ન વખતે કૈકેયીએ રાજા દશરથ પાસે આ મહેલ બનાવડાવ્યો હતો – સીતાજી પરણીને આવે ત્યારે એમને મુંહદિખાઈરૂપે ભેટ આપવા. રાજા દશરથે શ્રેષ્ઠતમ સ્થપતિઓ અને વિશ્ર્વકર્માઓને જવાબદારી સોંપી. લગ્ન પછી રામ-સીતા કનકભવનમાં જ રહેતાં હતા. વિધિની વક્રતા જુઓ જે કૈકેયીએ ઉત્સાહથી આ કનકમહેલ બનાવડાવીને ભેટ આપ્યો તે જ કૈકેયીને કારણે રામ-સીતાએ આ મહેલ છોડીને વનવાસે જવું પડ્યું. એ વખતની અયોધ્યાનગરીનો આ સૌથી દિવ્ય-ભવ્ય મહેલ હતો, આજના અયોધ્યાની સૌથી સુંદર ઈમારત કનકભવન જ છે.

માતાપિતાની સ્મૃતિમાં એમના પુત્રોમાંના કુશે સીતારામની મૂર્તિ આ ભવનમાં સ્થાપી. આજની તારીખે અહીં નાના સીતારામ અને મોટા સીતારામની મૂર્તિઓ બાજુબાજુમાં છે. દર્શન કરતી વખતે ડાબે તમને નાના સીતારામની મૂર્તિ દેખાય. એમને અડીને તમારા જમણા હાથે મોટા સીતારામનું સ્વરૂપ દેખાય.

કનકભવનનો ઈતિહાસ ઘણો લાંબો છે. ત્રેતાયુગથી લઈને આજના કળિયુગ સુધીમાં અનેક વખત જિર્ણોદ્ધાર પામેલા આ કનકભવનની વિશાળતા અને ભવ્યતાનાં દર્શન ન કર્યા હોય તો અયોધ્યાની મુલાકાત અધૂરી ગણાય. વર્તમાન કનકભવનનું નિર્માણ ઓરછા રાજ્યના રાજા સવાઈ મહેન્દ્ર પ્રતાપ સિંહના પત્ની મહારાણી વૃષભાનું કુંવરીની દેખરેખ હેઠળ 1891ની સાલમાં (એટલે કે ગાંધીજી બાવીસેક વર્ષના હતા ત્યારે) થયું. આ મંદિરના ગર્ભગૃહ પાસે જ શયનસ્થાન છે જે ભગવાન રામનું શયનગૃહ હતું. આ કુંજની ચારે દિશામાં આઠ સખીઓનાં કુંજ છે જેના પર એમનાં ચિત્રો પણ છે. દરેક સખી ભિન્ન ભિન્ન સેવાઓ કરતી. જેમ કે ચારુશીલા ભગવાનના મનોરંજન તથા ક્રીડા માટે પ્રબંધ કરતી. આ જ પ્રમાણે ક્ષેમા, હેમા, વરારોહા, લક્ષ્મણા, સુલોચના, પદ્મગંધા અને સુભગા ભગવાન માટે વિવિધ સેવાઓ આપતી. આ આઠેય સખી ભગવાન રામની સખીઓ તરીકે ઓળખાતી. આ ઉપરાંત સીતાજીની સેવા માટે બીજી આઠ સખીઓ હતી. સીતાજીની અષ્ટ સખીઓમાં ચન્દ્રકલા, પ્રસાદ, વિમલા, મદનકલા, વિશ્ર્વમોહિની, ઉર્મિલા, ચંપાકલા તથા રૂપકલા છે. જાનકીજી સાથે રામજી પ્રતિદિન ચોપાટ રમતા એટલે અહીં ચોપાટ પણ રાખવામાં આવી છે. આવી બધી કથાઓ કનકભવનના ઈતિહાસ સાથે જોડાયેલી છે.

કનકભવનનાં દર્શન કરીને હનુમાનજીને મળવા અમે હનુમાનગઢી ગયા. કનકભવનમાં જેમ નિરંતર રામચરિત માનસનું ગાન થાય છે એમ અહીં હનુમાન ચાલીસાનો પાઠ ગવાય છે: શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ/ બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ…

76 પગથિયાં ચડીને હનુમાનજીનાં દર્શન માટે તમે એમના આ નિવાસસ્થાને પહોંચો છો. લંકા વિજય પછી અયોધ્યા આવીને હનુમાનજીએ એમની સાથે જ રહેવાની આજ્ઞા માગી. રામજીએ એમને હનુમાનગઢીની ઊંચી ટેકરી પર ભવ્ય મહેલ જેવી વિશાળ જગ્યા આપી એટલું જ નહીં જે લોકો મને મળવા માગતા હોય એમણે સૌથી પહેલાં હનુમાનજીને મળવું પડશે એવો આદેશ પણ રામજીએ આપ્યો.

રામજીનો આદેશ માથે ચડાવીને અમે રામજન્મભૂમિ જતાં પહેલાં હનુમાનજીને મળવા ગયા. હનુમાનજીની સૌથી નાની પ્રતિમા, માત્ર છ ઈંચની પ્રતિમા, અહીં છે. હનુમાનજીની આજ્ઞા મળી ગઈ છે એના પુરાવારૂપે કપાળ પર સિંદૂરનું તિલક કરીને અમે રામજન્મભૂમિનાં દર્શને ચાલ્યા. ત્યારે અમારા સમગ્ર અસ્તિત્વમાં આ શબ્દો ગુંજી રહ્યા હતાં.

રામ દુઆરે તુમ રખવારે,
હોત ન આજ્ઞા બિનુ પૈસારે.

સબ સુખ લહે તુમ્હારી સરના,
તુમ રક્ષક કાહૂ કો ડરના.

આપન તેજ સમ્હારો આપૈ,
તીનોં લોક હાંક તે કાંપૈ.

ભૂત પિસાચ નિકટ નહીં આવૈ,
મહાબીર જબ નામ સુનાવૈ.

નાસૈ રોગ હરૈ સબ પીરા,
જપત નિરંતર હનુમંત બીરા.

ગોસ્વામી તુલસીદાસે જે જમાનામાં રામચરિત માનસની રચના કરી અને હનુમાનચાલીસાનું સર્જન કર્યું તે જમાનામાં સેક્યુલરો અને લેફ્ટિસ્ટો અનુક્રમે ભૂત અને પિશાચ તરીકે ઓળખાતા હતા એવી પણ કથા છે!
************

મક્કા વિવાદાસ્પદ નથી, જેરૂસલેમ વિવાદાસ્પદ નથી, રામજન્મભૂમિ વિવાદાસ્પદ છે

ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ

( મુંબઇ સમાચાર : બુધવાર, 3 જાન્યુઆરી 2019)

ઈસુના કે મોહમ્મદ પયગંબરના જન્મના પુરાવાઓ ન માગનારા ભારતના ડાબેરીઓ, સેક્યુલરો અને દેશદ્રોહીઓને ભગવાન રામનું બર્થ સર્ટિફિકેટ જોઈએ છે.

રામ જન્મભૂમિને ‘વિવાદાસ્પદ મુદ્દો’ ગણાવનારાઓ જંગલી અને જાહિલ કહેવાય. આ આસ્થાનો વિષય તો છે જ, ઐતિહાસિક પુરાવાઓનો પણ વિષય છે.

તમે મને થપ્પડ મારીને મારું પૈસાનું પાકીટ છીનવી લો અને પોલીસ ચૂપચાપ જોયા કરે, અને હું તમારો કૉલર પકડીને તમે તફડાવેલું મારું પાકીટ પાછું લઈ લઉં તો પોલીસ મને ડંડૂકા મારે એ વળી ક્યાંનો ન્યાય કહેવાય?

ઈ.સ. ૧૫૨૮-૨૯ દરમ્યાન અહીંનું રામ મંદિર તોડીને મીર બાકીએ મોગલ આક્રમણકર્તા બાબરના હુકમથી મસ્જિદ બાંધી. મૂળ તાશ્કંદનો રહેવાસી બાકી તાશ્કંદી મીર બાકી તરીકે ઓળખાતો. બાબરે એને અવધ (અયોધ્યા)નું શાસન સોંપેલું. મારી પાસે બાબરની જીવનકથાનું એક દળદાર પુસ્તક (‘બાબરનામા’) છે જેમાં બાકી તાશ્કંદીનો ઉલ્લેખ બાકી બેગ તેમ જ બાકી મિંગબાશી તરીકે છે, પણ ક્યાંય એને મીર બાકી તરીકે ઓળખવામાં નથી આવ્યો. ‘મીર’નો બનાવટી હોદ્દો ૧૮૧૩ના અરસામાં બાબરી મસ્જિદ પર લગાવવામાં આવેલી તકતી પર કોતરવામાં આવ્યો હતો.

ઈનફેક્ટ બાબરી મસ્જિદ બંધાવાનો આખો ઈતિહાસ જ ગરબડ ગોટાળાવાળો છે. ૧૫૨૮-૨૯માં બાબરીના નામની મસ્જિદ બની નહીં હોય પણ એના ઘણા દાયકાઓ કે એકાદ-બે સદી બાદ બની હોઈ શકે. કારણ કે રામચરિત માનસના રચયિતા જેમનો જન્મ ૧૫૩૨માં થયો અને એમનું દેહાવસાન ૧૬૨૩માં થયું, એમણે ક્યાંય રામજન્મભૂમિ પર મસ્જિદ બંધાઈ હોવાનો કોઈ ઈશારો કે ઉલ્લેખ સુધ્ધાં એમના કોઈ ગ્રંથમાં કર્યો નથી.

બાબરી મસ્જિદ ગણાવાય છે એટલી પ્રાચીન નથી આ એક વાત. બીજી વાત કે આ મસ્જિદ મંદિરને તોડીને બનાવવામાં આવી છે એના આર્કિયોલૉજિકલ પુરાવાઓ અલાહાબાદ (હવે પ્રયાગરાજ)ની હાઈ કોર્ટે મંજૂર રાખ્યા છે. પુરાતત્ત્વ ખાતાએ બાબરીનો ઢાંચો જ્યાં હતો તે જગ્યાએ ઉત્ખનન કરીને આ પુરાવાઓ ભેગા કરીને અદાલતને સોંપ્યા હતા.

બાબરી મસ્જિદ ૧૯૪૦ પહેલાં મસ્જિદ-એ-જન્મસ્થાન તરીકે ઓળખાતી હતી એની જાણ બહુ ઓછા લોકોને છે, કારણ કે આ આખી વાત જ ડાબેરી ઈતિહાસકારોએ ભૂંસી કાઢી છે. મસ્જિદ-એ-જન્મસ્થાન તરીકેનો બાબરી મસ્જિદનો ઉલ્લેખ એક નહીં ત્રણ પુસ્તકોમાં થયેલો છે. ત્રણેય પુસ્તકો વિદેશી સંશોધકોએ લખેલાં છે, વિદેશી પ્રકાશન સંસ્થાઓએ પ્રગટ કર્યાં છે. ૧૯૪૦ પહેલાંના રેવન્યુ રેકોર્ડસ જેવા તમામ સરકારી દસ્તાવેજોમાં બાબરી મસ્જિદ તરીકે ઓળખાવાના શરૂ થયેલા સ્થળને ‘મસ્જિદ-એ-જન્મસ્થાન’ નામે ઓળખવામાં આવ્યું છે. ડાબેરી ઈતિહાસકારોએ કઈ હદ સુધી ભારતના ઈતિહાસ સાથે ચેડાં કર્યાં છે એનો આ સૌથી મોટો પુરાવો છે. કારણ કે મસ્જિદ-એ-જન્મસ્થાન એને કોઈ ક્યારે કહે? અહીં મોહમ્મદ પયગંબરનું જન્મસ્થાન હતું એટલે? ઈસુનું જન્મસ્થાન હતું એટલે? ભગવાન રામનું આ જન્મસ્થાન છે, આ રામજન્મભૂમિ છે એવું અહીં મંદિર તોડીને મસ્જિદ બનાવનારાઓએ ખુદ સ્વીકાર્યું છે. શક્ય છે કે આવું નામ આપીને તેઓ પોતાની તાકાત કેટલી છે એવું અહીંની બહુમતી હિન્દુ પ્રજાને જતાવવા માગતા હશે. આજની તારીખેય અયોધ્યા જિલ્લામાં ૯૨ ટકા કરતાં વધુ હિંદુ પ્રજા વસે છે છતાં અત્યારના સી. એમ. યોગી આદિત્યનાથના પુરોગામી તકવાદી – મુસ્લિમવાદી શાસકોએ આ આખા જિલ્લાને ફૈઝાબાદનું નામ આપી દીધું હતું. યોગીજીએ પાછું અયોધ્યા કર્યું.

એક જમાનાની બાબરી મસ્જિદવાળી ઈમારતની જગ્યા કોઈ પણ તર્ક, પુરાવા તથા ઐતિહાસિક સંદર્ભો મૂકીને જોઈએ તો તે હિન્દુઓની જ છે. આઝાદી પહેલાં આ મામલો કોર્ટમાં ગયો ત્યારે અંગ્રેજ જજોએ આને લટકતો રાખીને હિંદુઓને મુસ્લિમો સાથે લડાવવાની નીતિ રાખી. આઝાદ ભારતમાં અદાલતોએ નેહરુ સરકારને ખુશ કરવા આ વિવાદને વકરાવ્યા કર્યો. કાયદેસર આ જગ્યા નિર્મોહી અખાડાની છે. સુન્ની મુસ્લિમોએ આ જગ્યા પર પોતાનો દાવો કર્યો છે જે તદ્દન ખોટો છે. કારણ કે શિયા મુસ્લિમોએ આ જગ્યામાં બંધાયેલી મસ્જિદ પોતાની હોવાના પુરાવાઓ આપીને સાબિત કર્યું છે કે સુન્નીઓનો કોઈ હક્ક નથી. વળી આજની તારીખે શિયાઓએ સમજણ દેખાડીને સુપ્રીમ કોર્ટને લખીને આપ્યું છે કે આ જગ્યા પરનો દાવો તેઓ જતો કરે છે, અહીં રામ મંદિર બંધાય તો એમને કોઈ વાંધો નથી. સરકાર અહીં ભવ્ય રામ મંદિર બાંધવા પ્રતિબદ્ધ છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો શું આવે છે એના પર આધાર છે કે સરકારે ઓર્ડિનન્સ દ્વારા, અધ્યાદેશ કાઢીને રામ મંદિર બાંધવું પડશે કે નહીં. સુપ્રીમ કોર્ટનો ચુકાદો હિંદુઓ તરફી આવે કે ગોળગોળ જલેબીઓ પાડતો આવે, અસ્પષ્ટ કે સંદિગ્ધ આવે તો સેક્યુલરો બુમરાણ મચાવશે જ. સ્પષ્ટ રીતે હિંદુ તરફી ન હોય એવા ચુકાદા પછી જો સરકાર અધ્યાદેશ કાઢશે તો પણ આ લેભાગુ ડાબેરી પ્રજા એમના ભ્રષ્ટ મીડિયા દ્વારા ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બર પછી જેવો કકળાટ કરેલો એવો કકળાટ કરીને મુસ્લિમોને ઉશ્કેરવાની કોશિશ કરશે. આને કારણે હિંદુઓ પણ વળતા પ્રહારો કરશે.

મક્કાને કે જેરૂસલેમને પવિત્ર સ્થળો તરીકે સ્વીકારનારા લોકોને અયોધ્યાની રામજન્મભૂમિ શું કામ આંખમાં કણાની જેમ ખૂંચે છે તેની ખબર નથી. આપણે ક્યારેય બીજા ધર્મોના આરાધ્ય સ્થળો, આરાધ્ય દેવો કે એમની આસ્થાઓ વિશે વિવાદ ઊભો નથી કરતા. એટલું જ નહીં, એ સૌનો આદર કરીએ છીએ. અને અહીં ભારતમાં જ જન્મેલી સેક્યુલર, ડાબેરી પ્રજા કેટલાક મુસ્લિમોને ઉશ્કેરીને રાજકીય લાભ ખાટવા માગતા રાજકારણીઓના પિઠ્ઠુ બનીને ભગવાન રામની જન્મભૂમિ વિશે કેવું કેવું લખે છે ખબર છે? ૧૯૯૨માં બાબરી ઢાંચાને તોડ્યા પછી આનંદ ઉત્સવ મનાવવાને બદલે હિંદુ વાચકો તથા જાહેરખબર દાતાઓના પૈસે કરોડપતિ બની ગયેલા હિંદુ માલિકોના મીડિયા હાઉસે છાપેલું કે આ જગ્યાએ હવે મંદિર તો ન જ બનવું જોઈએ, જાહેર શૌચાલયો બાંધવા જોઈએ. આવા પ્રકાશનની જાહેરમાં હોળી કરવી જોઈએ એવું સૂચન જ્યારે કરવામાં આવ્યું ત્યારે મેં કહેલું કે: ના, ઇન્ડિયા ટુડેને બાળવું નહીં જોઈએ, દફનાવવું જોઈએ જેથી એની ધાર્મિક લાગણી દુભાય નહીં!

અયોધ્યાની રામજન્મભૂમિનાં દર્શન કરવા નીકળ્યા ત્યારે આંખમાં આંસુ સાથે આ પવિત્ર સ્થળ સાથે જોડાયેલી આવી કેટકેટલી યાદો તાજી થઈ.

****************

( આ શ્રેણીનો ત્રીજો અને અંતિમ લેખ તમે બે દિવસ પહેલાં વાંચ્યો હશે. ન વાંચ્યો હોય તો તમારે શોધવાની તસ્દી ન લેવી પડે એ માટે અહીં ફરીથી મૂકું છું. )

(૨૨ જાન્યુઆરીના ઉત્સવની ઉજવણી કરતી વખતે યાદ રહેવું જોઈએ કે આ દિવસ જોતાં પહેલાં આ દેશ કેવી કપરી પરિસ્થિતિઓમાંથી પસાર થયો છે. એટલે જ આજે વાંચો આ ક્લાસિક પીસ. )

મહેલમાં હોવા જોઈએ એ ભગવાન અયોધ્યામાં ઉજ્જડ વેરાન તૂટ્યાફૂટ્યા તંબૂમાં રહે છે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ : મુંબઇ સમાચાર : શુક્રવાર, 4 જાન્યુઆરી 2019)

૧૮૫૩ની સાલમાં, દોઢેક સદી અગાઉ નિર્મોહી અખાડાના સાધુઓએ બાબરીવાળી જગ્યા પર કબજો કરીને એક ચબૂતરો બાંધી દીધો જેને કારણે મસ્જિદ બે ભાગમાં વહેંચાઈ ગઈ. એક ભાગમાં રામ ચબૂતરા તરીકે ઓળખાતી જગ્યા હતી જે બહારનો ભાગ હતો અને હિંદુઓ ત્યાં આવીને પૂજા-કિર્તન કરતા. અંદરનો ભાગ મસ્જિદનો જ્યાં નમાઝ પઢાતી.

૧૮૮૩માં ચબૂતરા પર મંદિર બાંધવાની કોશિશ થઈ પણ મુસ્લિમોના વિરોધને કારણે તે વખતના અંગ્રેજ શાસનના ડેપ્યુટી કમિશનરે મંદિર નિર્માણ પર પ્રતિબંધ લાદ્યો. ૧૮૮૬માં ડિસ્ટ્રિક્ટ જજના ચુકાદામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે હિંદુઓ માટે પવિત્ર ગણાતી ભૂમિ પર જ મસ્જિદ બંધાઈ છે છતાં આ જજે ‘જેમ છે તેમ’ (સ્ટેટસ કો)નો હુકમ કરીને મંદિરનું બાંધકામ ન થાય એવી જોગવાઈ કરી. આ અંગ્રેજ જજના ચુકાદા પછી આ બાબતની અપીલને પણ બીજા અંગ્રેજ જજે ફગાવી દીધી.

છેક ૧૯૩૬માં સુન્ની વકફ બોર્ડે આ જગ્યા પર પોતાનો હક્ક દાવો કોર્ટમાં કર્યો. અને શિયા-સુન્ની મુસ્લિમો વચ્ચે ફાટફૂટ પડી, કારણ કે મૂળ આ જમીન અમારી છે એવો દાવો શિયાઓએ કર્યો હતો. શિયાઓએ સુન્ની દાવાને નકાર્યો, પડકાર્યો.

ડિસેમ્બર ૧૯૪૯. આ મહિનો અને સાલ રામજન્મભૂમિના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. અખિલ ભારતીય રામાયણ મહાસભાએ નવ દિવસનો અખંડ રામચરિત માનસ પાઠ મસ્જિદની બહાર કર્યો અને એ પછી ૨૨-૨૩ ડિસેમ્બરની રાત્રે ૫૦-૬૦ જણાએ મસ્જિદમાં જઈને સીતારામની મૂર્તિઓની સ્થાપના કરી દીધી. ૨૩ ડિસેમ્બરે અખંડ પાઠના આયોજકોએ લાઉડસ્પીકરો દ્વારા જાહેરાત કરી કે ચમત્કાર થઈ ગયો છે, રામસીતાની મૂર્તિઓ સ્વયંભૂપણે પ્રગટ થઈ છે, સૌ કોઈ દર્શન માટે પધારો, હજારો રામભક્તો આવવા લાગ્યા. પ્રશાસને મસ્જિદને વિવાદાસ્પદ જગ્યા ગણાવીને પ્રવેશદ્વારોમાંથી કોઈ પ્રવેશી ન શકે એવો બંદોબસ્ત કરી દીધો.

તે વખતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ આદેશ કર્યો કે સીતારામની મૂર્તિઓ હટાવી દેવામાં આવે, પરંતુ ફૈઝાબાદના ડેપ્યુટી કમિશનર કે.કે. નાયરે ડર દેખાડ્યો કે આવું કરવા જઈશું તો હિંદુઓની લાગણી દુભાશે અને વિસ્તારની શાંતિ જોખમાશે.

૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે બાબરીનો ઢાંચો ધ્વસ્ત થયો. ૧૯૪૯ કરતાંય એક દાયકા અગાઉથી અહીં કોઈ નમાજ પઢતું નહોતું. ૧૯૪૯માં રામલલ્લાની મૂર્તિની સ્થાપના થયા પછી તો આ સ્ટ્રકચર ઑફિશિયલી ઈસ્લામની ઈબાદત માટે હરામ થઈ ગયું. આમ આ ઈમારત મસ્જિદ મટી ગઈ. છતાં ૫૦ વર્ષ પછી પણ એને મસ્જિદ ગણાવીને મીડિયાએ મુસ્લિમોની ધાર્મિક લાગણી ઉશ્કેરી અને દુનિયાભરમાં ભારતની બદનામી કરી. સૂટબૂટ પહેરીને જર્નલિઝમ કરનારા અંગ્રેજોની ઔલાદ જેવા પોતાને એલિટ માનનારા પત્રકારોનો તથા એમને પાળનારા મીડિયા હાઉસીસનો એ જમાનો હતો જે છેક ૨૦૦૨ના ગોધરા હિંદુ હત્યાકાંડ પછીની પ્રતિક્રિયારૂપે સર્જાયેલાં રમખાણો સુધી જારી રહ્યો. ૨૦૧૪ પછી જો બાબરી તૂટી હોત તો ઈવન સાઉદી અરેબિયાએ પણ આ ઘટના વધાવી લીધી હોત.

ખૈર.

૧૯૪૯માં જે મૂર્તિઓ સ્થાપવામાં આવી તેનાં દર્શન કરવાનો લહાવો પણ છે, ગમગીની પણ છે. જે જગ્યાએ ભગવાન રામજીનું ભવ્ય વિશ્ર્વમંદિર હોવું જોઈએ ત્યાં માત્ર ટેમ્પરરી તાડપત્રીના તૂટ્યાફૂટ્યા છાપરા હેઠળ ધૂળ-તડકો સહન કરતી રામજીની મૂર્તિ જોઈને આ બંને ફિલિંગ મને થઈ હતી.

રામલલ્લાના દર્શન કરવા માટે તમારે કુલ પાંચ જગ્યાએ બૉડી ફ્રિસ્કિંગમાંથી પસાર થવું પડે. મોબાઈલ, ચામડાની ચીજો, ઘડિયાળ સાથે લઈ જવાની મનાઈ છે. પ્રથમ પોલીસવાળાઓ અને ત્યારબાદની ચોકીઓમાં અર્ધલશ્કરીદળના જવાનો તમારું ચેકિંગ કરે. ઠેર ઠેર સીસીટીવી કૅમેરા. એક જ માણસ ચાલી શકે એવી કેડી. મારા જેવો સહેલાઈથી નીકળી જાય પણ ભારે શરીરવાળાએ બેઉ બાજુએ બાંધેલી જાળી સાથે કદાચ ઘસાવું પડે એટલી સાંકડી કેડી. માથા ઉપર પણ જાળી. સીધેસીધો માર્ગ હોઈ શકત પણ આ જાળીવાળી કેડીને ભુલભુલૈયા જેવી વાંકીચૂંકી, આડીઅવડી બનાવી છે. દરેક જગ્યાએ અર્ધલશ્કરીદળોના જવાનભાઈઓ (અને કેટલીક જગ્યાએ બહેનો પણ) યુનિફોર્મ પહેરીને સતર્ક નજરે સેમી ઑટોમેટિક રાઈફલ સાથે તહેનાત. એક વખત આ પાંજરાનુમા કેડીમાં પ્રવેશ્યા પછી તમે બહાર નીકળી ન શકો એવું એનું બાંધકામ છે. ફાયરબ્રિગેડનું એન્જિન જોયું. જવાનોની છાવણીઓ ઠેરઠેર જોઈ. જવાનો આસાનીથી હરફર કરી શકે એ માટે લોખંડના પિંજરા જેવી પાતળી કેડીની ઉપરથી નાના નાના બ્રિજ બનાવવામાં આવ્યા છે. ચારેબાજુ ઉજ્જડ વિસ્તાર. ભેંકાર અને નિર્જન જગ્યા. લાંબું ચાલ્યા બાદ તમારી જમણી તરફ લગભગ ૫૦ ફીટના અંતરે તૂટેલી તાડપત્રી નીચે એક નાનકડા ટીંબા પર બિરાજતા રામલલ્લાનાં તમે દર્શન કરો છો. ભગવાન ફરી એક વાર વનવાસ વેઠી રહ્યા છે એવી ભાવના થાય. એક આંખમાં લોહી ધસી આવે અને બીજી આંખમાં ગરમ આંસું. જેમણે મહેલ જેવા મંદિરમાં રહેવાનું હોય તે ઉજ્જડ વેરાન ફાટેલા તંબૂ નીચે વસે છે. આંખોમાંથી રોષ અને ભાવુકતા-બેઉ એકસાથે વહે. સુરક્ષાકર્મીઓની કૃપાથી શાંતિથી દર્શન થયાં. પૂજારીએ જાળીના બાકોરામાંથી મુઠ્ઠી ભરીને સાકરિયાનો પ્રસાદ જમણી હથેળીમાં મૂક્યો જેને માથે ચડાવી અમે એ જ પિંજરાકેડી પર આગળ ચાલ્યા. પ્રવેશ અને નિર્ગમ માર્ગ મળીને દોઢેક કિલોમીટરનું અંતર હશે. બહાર આવ્યા ત્યારે તીર્થસ્થાન પર જોવા મળે એવી દુકાનો જ દુકાનો. ખૂબ ભીડ. મેળા જેવું વાતાવરણ. રામલલ્લાનાં દર્શન બપોરના ૧ થી ૫ દરમ્યાન જ ખુલ્લાં હોય છે છતાં લોકોનો પ્રવાહ ઓછો થવાનું નામ લેતો નથી.

કંઈ કેટલાય સાધુઓ અને રામભક્તોએ બલિદાન આપ્યું છે – રામજન્મભૂમિ માટે.

************

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 90040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

હવે તમે તમારું કૉન્ટ્રિબ્યુશન આ QR કોડ સ્કેન કરીને પણ મોકલી શકો છો.

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here