સુપ્રીમ કોર્ટના આ લેન્ડમાર્ક ચુકાદો પાછળ કોણ કોણ છે, શું શું છે?

ગુડ મૉર્નિંગ:સૌરભ શાહ
(મંગળવાર, 12 નવેમ્બર 2019)
(અયોધ્યા ચુકાદો સિરીઝ: પહેલો લેખ)

વર્ષો નહીં, દાયકાઓ સુધી કોર્ટમાં પેન્ડિંગ રહેલા એક સદી કરતાં વધુ જૂના વિવાદના ઉકેલરૂપે આટલો ચોખ્ખોચણાક-સ્પષ્ટ-અનએમ્બિગ્યુઅસ ચુકાદો કેવી રીતે આવી ગયો? કોણ કોણ અને શું શું કારણભૂત છે આ ચુકાદા પાછળ. એના વિશેની તાર્કિક તપાસ આ નવી લખાઈ રહેલી દસ હપ્તાની શ્રેણીનું હાર્દ છે. આ એક્‌સરસાઈઝ કરવાનું કારણ શું? એક નહીં બે છે. એક તો સુપ્રીમ કોર્ટના આ અયોધ્યા ચુકાદાની સપાટી પર દેખાતા ઈશ્યુમાં સહેજ ઊંડા ઊતરીને સમજવું કે શું થયું, શું થઈ શક્યું હોત અને ભવિષ્યમાં એનાં પરિણામોની શું અસરો હોઈ શકે છે. બે: અયોધ્યાનો તો ઘણો મોટો અને અતિ મહત્વનો પરંતુ એક જ પ્રશ્ન થયો. ભારત સામે આવા બીજા પણ પડકારો છે. વિવિધ ક્ષેત્રોમાં. અને ભવિષ્યમાં પણ આવવાના. કોઈ પણ રાષ્ટ્ર માટે આવે. અયોધ્યાના શકવર્તી ચુકાદાનો આ ઍન્ગલથી અભ્યાસ કર્યો હશે તો અન્ય પ્રશ્નોના કેસ અદાલતમાં ચાલતા હશે ત્યારે કે પછી લીગલ મૅટર બનાવાને બદલે એ ઈશ્યુઝ કોર્ટમાં ગયા વગર મીડિયામાં ચર્ચાઈ રહ્યા હશે ત્યારે આ જ પેરામીટર્સથી આપણે એનું પણ આકલન કરી શકીએ. આ જ માપદંડોનો યોગ્ય સંદર્ભમાં ઉપયોગ કરીને વખત આવ્યે એ ઈશ્યુઝને સમજી શકીએ, સમજાવી શકીએ.

સુપ્રીમ કોર્ટના આ અયોધ્યા ચુકાદા માટે જો એક જ કારણ આપવાનું હોય તો તે છે મારા મનમાં પણ આ તબક્કે મનની વાત મનમાં રાખીને (એને દસમા છેલ્લા હપ્તામાં રિવીલ કરીને) અત્યારે એ વાત પર ફોકસ કરવું છે કે આ ચુકાદો આવવા પાછળનાં નૉન લીગલ કે લીગલ કે સેમી લીગલ પરિબળો ક્યાં? કાયદાકીય પરિબળો તથા કારણો તો હજાર પાનાનાં ચુકાદામાં આવ્યાં જ છે જેની સમરી વર્તમાનપત્રો તથા ઈલેક્‌ટ્રોનિક મીડિયા તમને આપી ચૂક્યાં છે. આમ છતાં જો આખો ચુકાદો વાંચવાની હોંશ, ધીરજ અને ઈચ્છા હોય તો આ લેખ સાથે એની પી.ડી.એફ. ફાઈલ મૂકીશું. પણ આ પ્રકારના કેસીસ માત્ર કાયદાકીય આંટીઘૂંટીથી નથી ઊકેલાતા હોતા. લીગલ આંટીઘૂંટી કરતાં ક્‌વોસિ-લીગલ આંટીઘૂંટી વધુ પેચીદી હોય છે અને નૉન લીગલ આંટીઘૂંટી તો એથીય વધુ અટપટી હોવાની.

આગળ વધતાં પહેલાં, શ્રેણીની આ પ્રસ્તાવનાના એક ભાગરૂપે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનાં ઊડીને આંખે વળગે એવાં ત્રણ લક્ષણો જોઈ લઈએ.

૧. આ ચુકાદામાં કોઈ વાત અસ્પષ્ટ રાખવામાં આવી નથી – સંદિગ્ધ રાખવામાં આવી નથી. કોઈ વાત ગોળગોળ કહેવામાં આવી નથી. કોઈ વાત એવી રાખવામાં આવી નથી જેમાં છિદ્રો હોય, લીગલ લૂપહોલ્સ હોય. કોઈ વાત એવી નથી જેમાં સામસામા છેડાનાં ઈન્ટરપ્રીટેશન્સ થઈ શકે. દૂધ-દહીંમાં પગ રાખ્યા વિના બેધડકપણે એકેએક વાત અંગે ચોખ્ખો અભિપ્રાય/ચુકાદો આપવામાં આવ્યો છે. ધર્મને લગતા વિવાદમાં આવો સ્પષ્ટ ચુકાદો આપીને સર્વોચ્ચ અદાલતે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી છે.

૨. આ ચુકાદાથી જે જે પાર્ટીઓ હર્ટ થઈ શકે એમ હોય તે તમામ પાર્ટીઓની બોલતી બંધ કરવા માટે એમને ટ્રસ્ટીપદથી માંડીને જમીન સુધીની લૉલીપોપ પકડાવી દેવામાં આવી છે. આવું ન કર્યું હોત તો પણ ચાલત. હર્ટ થયેલી પાર્ટીઓ પાસે રિવ્યુ પીટિશન કરવા માટે કોઈ મુદ્દા બાકી નથી રહ્યા. આમ છતાં સુપ્રીમ કોર્ટે એમની ઘવાયેલી લાગણીઓનો ખ્યાલ રાખીને દીર્ઘ દૄષ્ટિ રાખીને ઉદારતાપૂર્વક એમના જખમો પર લેપ લગાડી, એમની પીઠ પર હાથ પસવાર્યો છે.

૩. કાયદાકીય રીતે (માત્ર કાયદાકીય રીતે જ) જે વાત ખોટી હતી તેને ખોટી કહીને સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને વિવાદાસ્પદ થતાં અટકાવ્યો છે. એ મુદ્દો હતો છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી ઈમારતનો વિધ્વંસ કરવાનો, સો કૉલ્ડ મસ્જિદના ઢાંચાને તોડી પાડવાનો જે નિઃશંક કાયદાની નજરમાં (માત્ર કાયદાની નજરમાં) ગુનો હતો. આ ત્રીજા મુદ્દાની બાબતમાં સુપ્રીમ કોર્ટ સાથે અસહમતિ દર્શાવવા માટેનાં વેલિડ અને સોલિડ કારણો છે. આગળ વધતાં પહેલાં ઊદાહરણ સહિત એની વાત કરી લઈશું.

ચુકાદાનાં આ ઊડીને આંખે વળગે એવાં ત્રણ લક્ષણો પર ઊડતી નજર નાખીને વધુ એક મુદ્દા વિશે ઊમેરણ કરવાની જરૂર લાગે છે અને તે છે ચુકાદા પહેલાંની તૈયારીઓ – સરકાર તરફથી થયેલી અનેબિન સરકારી એન્ટિટીઓ દ્વારા થયેલી. નૉર્મલી આવા કોઈ પણ મહત્વના ચુકાદા પહેલાં બેઉ પક્ષના સમર્થકો દ્વારા હાકોટાછીંકોટા શરૂ થઈ જતા હોય. જોઈ લઈશું, આવું થશે તો એનાં પરિણામો ગંભીર આવશે, પ્રજાના માનસનો પડઘો પડવો જોઈએ, કાયદાનું માન જળવાવું જોઈએ – એવાં વિધાનો ઊછાળવામાં આવે. મીડિયા એના પર બિલોરી કાચ મૂકીને પોતાની ભાખરી ( ટીઆરપીની) શેકવામાં મશગૂલ થઈ જાય. પણ સરકારે આવું ન થાય એની પૂરતી તકેદારી રાખી. આરએસએસ વગેરે તેમજ સુન્ની વકફ બોર્ડ વગેરે સૌ કોઈએ સરકારની વાતને દોહરાવીને પોતપોતાના અનુયાયીઓ/સમર્થકોને કાબૂમાં રાખ્યા. આગ લાગે ત્યારે કૂવો ખોદવાને બદલે પહેલેથી જ મકાનને ફાયરપ્રૂફ બનાવી દેવામાં આવ્યું જેથી કોઈ પલીતો ચાંપવાની કોશિશ કરે (જે કેટલાક લોકોએ કરી. નામ દઈને કહીએ તો ઓવૈસીએ, દિગ્વિજ્ય સિંહે, એમ્નેસ્ટીવાળા આકાર પટેલે) તો પણ એમનું સૂરસૂરિયું થઈ જાય. સરકારે માત્ર બયાનબાજી જ નહોતી કરી, ચાંપતી સુરક્ષા માટે પોલીસ-અર્ધલશ્કરી દળો તથા ઈન્ટેલિજન્સ એજન્સીઓના હજારો લોકોને કામે લગાડી દીધા હતા. અડધું અઠવાડિયું થવા આવશે એ ચુકાદાને. આવડા મોટા દેશમાં એક છમકલું સુધ્ધાં નથી થયું. ભવિષ્યમાં પણ નહીં થાય. ચુકાદા પછીનો આવો માહોલ કોઈ પણ દેશ માટે અભૂતપૂર્વ ઘટના છે, ગૌરવની ઘટના છે.

આવતી કાલથી દસ હપતાની સિરીઝ શરૂ થાય તે પહેલાં આ પ્રસ્તાવનાનો એક છેલ્લો મુદ્દો – પેલો બાબરી ઢાંચાને ગિરાવવાની ઘટનાને ગેરકાયદે ગણાવવાનો મુદ્દો.

એક દિવસ એક ભાઈ ટ્રેનમાં પ્રવાસ કરતા હતા ત્યારે એમનું ખિસ્સું કપાયું. એ ભાઈએ તરત જ ખિસ્સાકાતરુને પકડી પાડ્યો અને પ્લેટફોર્મ પર ઘસડીને એને સારી પેઠે પીટ્યો. પોલીસ આવી ગઈ. પિકપોકેટરને પકડીને હવાલાતમાં બંધ કરી દીધો. કોર્ટમાં હાજર કરવામાં આવ્યો ત્યારે ખિસ્સાકાતરુએ મૅજિસ્ટ્રેટને કહ્યું કે જે માણસનું ખિસ્સું કાપવાનો આરોપ મારા પર છે એના પર મારે કેસ કરવો છે – એણે કાયદો હાથમાં લઈને મારી મારપીટ કરી છે! (મૅજિસ્ટ્રેટે પોલીસને ખાનગીમાં બોલાવીને કહ્યું કે આ માણસને કસ્ટડીમાં બે દિવસ વધારે રાખીને થોડો વધારે મેથીપાક ખવડાવશો જેથી એની સાન ઠેકાણે આવી જાય).

તમે વર્ષોથી જે ઘરમાં રહેતા હો એ ઘર પર કોઈ બીજી વ્યક્તિ પોતાનું જોર વાપરીને તાળું મારી દે અને મામલો કોર્ટમાં જાય અને વર્ષો પછી કોર્ટ ચુકાદો આપીને તમારું ઘર તમને પાછું અપાવે પણ ચુકાદો આપતી વખતે ટકોર કરે કે આ કેસ અદાલતમાં ચાલતો હતો ત્યારે તમારા ઘરના દરવાજે પેલાએ લગાવેલું તાળું તોડવાની તમે કોશિશ કરી તે કૃત્ય ગેરકાનૂની હતું તો તમે શું કહેશો? એ જ કહેવાનું કે તમારા ચુકાદા પછી એટલું તો નક્કી થઈ ગયું કે એ ઘર મારી માલિકીનું હતું, બરાબર? હવે મારી માલિકીના ઘરનું તાળું હું તોડું કે મારી બારીના કાચ હું ફોડું તો એમાં વળી મેં ક્યો ગુનો કર્યો? અને ટેક્‌નિકલી જો એ ગુનો ગણાય તો પણ તમારા ચુકાદા પછી એ મુદ્દો જ આખો નલ ઍન્ડ વોઈડ થઈ જાય.

બાબરી ઢાંચાને તોડવાનો (ટેક્‌નિકલ ગુનો આચરવાનો) જેમના પર આક્ષેપ છે તે લાલકૃષ્ણ અડવાણી અને ઉમા ભારતી સહિતના સૌ કોઈને અદાલતે આ જ લૉજિક વાપરીને બાઈજ્જત બરી કરવા જોઈએ. રામ મંદિર બાંધવા માટેનો માર્ગ સરળ થાય એ માટે અદાલતે નહીં તો આપણે સૌએ, એ સૌની સુવર્ણતુલા કરીને મંદિરના નિર્માણમાં સહયોગ આપવો જોઈએ. તિરુપતિ-બાલાજીનું ટેમ્પલ ટ્રસ્ટ રૂપિયા ૧૦૦ કરોડનું દાન અયોધ્યામાં રામ મંદિર બાંધવા માટે આપી ચૂક્યું છે.

વધુ આવતી કાલે.

7 COMMENTS

  1. અયોધ્યા ચુકાદો સિરીઝ: પહેલો લેખ નહિ, પણ પ્રસ્તાવનામાં જ થયેલી છણાવટે જમાવટ કરી દીધી છે ; એટલે હવે 10 લેખોની જબરદસ્ત મજા તો આવવાની જ છે, પણ એક માગણી ય કરી લઉં – મથુરા, કાશી માટે 1947ની ‘જૈસે થે’ સ્થિતિ જ રહેશે એવી સુ. કૉ. ની સૂચના કેટલા અંશે વ્યાજબી ગણાય ? એ વિષયે જરૂર લખશો, પ્લીઝ !!!

  2. આપણે બધા એવા ભ્રમ માં છીએ કે કૉર્ટ ન્યાય આપે છે.ખરેખર તો કૉર્ટ એટલું જ બતાવે છે કે કાયદો વાદી ના પક્ષે છે કે પ્રતિવાદીના પક્ષે. કાયદા પ્રમાણે જોઈએ તો તમને કોઈ તમાચો મારે અને સામે તમે પણ એને તમાચો મારો તો બંને એ ગુનો કર્યો ગણાય.એટલે કૉર્ટ તો બાબરિધ્વન્સ ને પણ ગુનો જ ગણશે.

  3. તમારી પ્રસ્તાવના થી હવે ૧૦ એપિસોડ ની રાહ વધી ગઈ છે……
    તમારું અનાલિસિસ ખૂબ જ રસપ્રદ…. સરળ અને સત્ય હશે .. એની ખાતરી છે… ખૂબ જ આભાર

  4. તમારો લેખ સમયસરનો છે. અડવાણીજી અને બીજાઓ વિશે તમારો અભિપ્રાય તાર્કિક છે. (મથાળું ભુલથી તારીખ ૧૧ અને મંગળવાર દેખાડે છે)

  5. શ્રી સૌરભભાઈ,
    વાત ખૂબ ગમી. સુપ્રીમ કોર્ટે હવે અર્થહીન થયેલા મુદ્દાને હવે ફગાવી દઈ દાખલો બેસાડવો જોઈએ.

  6. Sir,
    Looking forward to your 10 week article on Ayodhya verdict. For all those who may not have read the judgement which runs into 1045 pages and 170 paragraphs, your articles will analyse sans the legal language and technicalities. Kudos for these efforts of yours
    Apeksha Vora

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here