‘અર્પણ’ પાનાની ઓળખાણો – ‘અયોધ્યાથી ગોધરા’ કોને કોને અર્પણ થયું છે : સૌરભ શાહ

(‘ગુડ મૉર્નિંગ’ એક્સક્લુઝિવ : શનિવાર, ૩ ફેબ્રુઆરી ૨૦૨૪)

બેએક સપ્તાહ પહેલાં ‘અયોધ્યાથી ગોધરા’ પુસ્તક પ્રેસમાં જતું હતું ત્યારે છેલ્લી ઘડીએ ફરી એકવાર એનાં ફાઈનલ પ્રુફ પર નજર ફેરવી. મારી નજર પહેલા જ ફર્માના ‘અર્પણ’ પાના પર અટકી ગઈ. જે ત્રણ મિત્રોને મેં આ પુસ્તક અર્પણ કર્યું છે એમની સાથેના એ દિવસો મને યાદ આવી ગયા. અર્પણ પંક્તિ છે : ‘દૈનિક પત્રકારત્વના એ ઝંઝાવાતી જલસાઓની યાદમાં’.

મને થયું કે આ ત્રણેય મિત્રોની ઓળખાણ આપવા દરેકના નામની નીચે એક-એક વાક્ય ઉમેરું. પછી વિચાર્યું કે એટલો ટૂંકો પરિચય આ ત્રણેયની પ્રતિભાને પૂરતો ન્યાય નહીં કરે. પ્રસ્તાવનામાં એમના વિશે એક ફકરો ઉમેરવાનો વિચાર આવ્યો. પણ એ સ્કોપ હવે રહ્યો નહોતો. પુસ્તકનાં પાનાં નંબરમાં ગરબડ કરવી આ છેલ્લા તબક્કે જોખમી હતું. ઉપરાંત મારે એમના વિશે એક ફકરાને બદલે વધુ લખવું જોઈએ એવું પણ લાગતું હતું. ‘અયોધ્યાથી ગોધરા’ની પહેલી નકલ મારા હાથમાં આવી ત્યારે અર્પણ પાનું વાંચીને મેં નક્કી કર્યું કે આ ત્રણેય મિત્રો વિશે હું શાંતિથી, નિરાંતે મારે જે લખવું છે તે લખીને ફેસબુક પર લખીશ અને આ લેખ પુસ્તકની નવી આવૃત્તિમાં પરિશિષ્ટરૂપે ઉમેરી દઈશ.

‘અયોધ્યાથી ગોધરા’ના અર્પણ પાનાની ઈમેજ આ સાથે મૂકેલી છે. વાંચી જાઓ: ‘અર્પણ : રાજેશ થાવાણી, હિતેશ ચુડાસમા અને શિશિર રામાવતને —દૈનિક પત્રકારત્વના એ ઝંઝાવાતી દિવસોની યાદમાં.’

આ ત્રણેય મિત્રોની તમને ઓળખાણ કરાવું :

રાજેશ થાવાણી : 1999ના મે મહિનામા હું મુંબઈના દૈનિક ‘મિડ-ડે’માં તંત્રી તરીકે જોડાયો ત્યારે પહેલાં એકબે અઠવાડિયાં માટે મારે માત્ર ઓરિયેન્ટેશન મેળવવાનું હતું. અર્થાત્ રોજ ઑફિસે જવાનું, કામ કંઈ નહીં કરવાનું (પગારનું મીટર ચાલુ!) માત્ર જોયા કરવાનું કે સિસ્ટમ કેવી રીતે ચાલે છે. નિવૃત્ત થઈ રહેલા તંત્રી જનક શાહ સાથે ગપ્પાં મારવાનાં. તંત્રી વિભાગના પત્રકારો સાથે ચાપાણી પીવાનાં. એચ.આર.વાળાઓએ જે જે ડિપાર્ટમેન્ટલ હેડ્સ સાથે મારી મીટિંગો ગોઠવી હોય તે ડિપાર્ટમેન્ટમાં જઈને એ લોકોની કામગીરી નિહાળવાની —પ્રિન્ટિંગ, જાહેરખબર, ફાઈનાન્સ, સર્ક્યુલેશન વગેરે વિભાગોમાં જવાનું. ક્યારેક મૅનેજિંગ ડિરેક્ટર સાથે બેસવાનું.

આ બાર-પંદર દિવસો દરમ્યાન મેં જોઈ લીધું કે તંત્રી વિભાગમાં કોણ કયા કામમાં પાવરધું છે. તંત્રી જનક શાહના વિદાયમાન બાદ મારે જે દિવસે જવાબદારી સંળાળવાની હતી તે શનિવાર હતો. તે વખતે રવિવારે ગુજરાતી ‘મિડ-ડે’ પ્રગટ થતું નહોતું. મારે સોમવારની એડિશન માટે તૈયારી કરવાની હતી. તે વખતે લોઅર પરેલમાં ઑફિસ હતી (જે પછીથી તાડદેવ શિફ્ટ થઈ. અત્યારે બીકેસીમાં છે).

ભૂતપૂર્વ તંત્રી જનક શાહને ચર્ચગેટની ‘સમ્રાટ’માં પાંત્રીસેક જણની હાજરીમાં ગુજરાતી થાળીની લંચપાર્ટી આપીને અમે સૌ લોઅર પરેલની ઑફિસે આવ્યા. મારી કૅબિનમાં જતાં પહેલાં હું ઑફિસની નજીક આવેલી પરેલના મધ્યમ વર્ગીય લત્તાની બજારમાં ખરીદી કરવા નીકળી પડ્યો. એક દુકાનમાંથી મેં જમીન પર પાથરવાની પ્લાસ્ટિકની ચટાઈ લીધી અને હવાથી ફુલાવવાનું એક ઓશિકું લીધું. આટલી ખરીદી કરીને હું ઑફિસે પાછો આવ્યો.

શનિવારે રાત્રે કામ પૂરું કરીને મારી કૅબિનમાં ચટ્ટાઈ પાથરતો હતો ત્યારે મોટા કાચની બહાર મેં જોયું કે સ્ટાફમાં બે-ચાર પત્રકારો અંદરોઅંદર વાત કરીને કૅબિન તરફ જોઈને હસીમજાક કરી રહ્યા હતા.

મેં બહાર આવીને એમને પૂછ્યું તો કોઈ કહે નહીં કે શું મજાક થતી હતી. પછી એક જણે ધીમેથી કહ્યું, ‘સર, આ કહેતો હતો કે સૌરભભાઈ પોતાની સાદડી પાથરે છે!’

હું હસી પડ્યો. મેં કહ્યું, ‘સાલાઓ, મારી જ નહીં તમારામાંથી એકએકની સાદડી, બેસણું, ઉઠમણું, પ્રાર્થનાસભા બધું જ થવાનું છે – તૈયાર રહેજો!’.

એ દિવસથી તંત્રીવિભાગના તમામ મિત્રોએ દિવસરાત એક કરીને મને સાથ આપવાનું શરૂ કર્યું અને ‘મિડ-ડે’નું સર્ક્યુલેશન, ‘મિડ-ડે’ની આવક અને ખાસ તો, ‘મિડ-ડે’ ની એડિટોરિયલ ક્વૉલિટી જમીન પરથી ઉઠીને આસમાનને સ્પર્શવા લાગી.

આ બધામાં મને રાજેશ થાવાણીનો ઘણો મોટો સાથ મળતો. થાવાણીએ 1995માં ‘મિડ-ડે’ શરૂ થયું ત્યારે તંત્રી જનક શાહના હાથ નીચે કામ કરતાં પહેલાં ‘અભિયાન’માં પ્રુફ રીડર( પ્રૂફ ખોટો ઉચ્ચાર છે. અંગ્રેજીમાં ડબલ ઓવાળા સ્પેલિંગમાં દર વખતે દીર્ઘ ઉચ્ચાર ન થાચ) તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. થાવાણી પોતે જન્મે સિંધી પણ ગુજરાતી ભાષા-વ્યાકરણ-જોડણી પરનું એનું પ્રભુત્વ ઈમ્પેકેબલ. જનક શાહ વખતના ‘મિડ-ડે’ના તંત્રીવિભાગમાં એનું સ્થાન ચોથું-પાંચમું હતું. ફીચર્સ અને મૅગેઝિનનાં પાનાં એ સંભાળતો.

મારા ઓરિયેન્ટેશનના ગાળા દરમ્યાન મેં રાજેશ થાવાણીમાં ઘણું મોટું પોટેન્શ્યલ જોયું. એને ફીચર્સ વગેરે ઉપરાંત ન્યુઝમાં પણ ઊંડી સૂઝ હતી, પણ અત્યાર સુધી એ ક્ષેત્રમાં એવો કોઈ સ્કોપ નહોતો મળ્યો. મેં મનોમન નક્કી કરી લીધું કે મારે રાજેશને કઈ જવાબદારી સોંપવી છે.

બાય ધ વે, હું જ્યારે ‘મિડ-ડે’માં જોડાયો ત્યારે એડિટોરિયલ ક્વૉલિટીની દૃષ્ટિએ તે અત્યંત કંગાળ હતું અને એનું સર્ક્યુલેશન સતત ઘટતું જતું હતું. ત્રણ વર્ષના ગાળામાં સારી એવી ખોટ કરી ચૂકેલું. મને ‘મિડ-ડે’ એડિટ કરવાની ઑફર આવી ત્યારે બે મહિના સુધી મેં એ લોકોને હા નહોતી પાડી. મારા મનમાં કેટલાંક રિઝર્વેશન્સ હતાં. જ્યારે જોડાવાનું નક્કી કર્યું ત્યારે ‘મિડ-ડે’ ના મૅનેજિંગ ડિરેક્ટર તારીક અન્સારીએ મને કહ્યું હતું, ‘અત્યારે ‘મિડ-ડે’માં જેટલો સ્ટાફ છે તેમાં તમે કોઈ ઉમેરી નહીં શકો.’

મને દૂર રહીને અંદાજ તો હતો કે ‘મિડ-ડે’માં કોણ કેવું કામ કરે છે. મેં તારીક અન્સારીને કહ્યું, ‘બાદબાકી તો કરી શકું ને!’

ઓરિયેન્ટેશન દરમ્યાન મેં જોઈ લીધુ કે સ્ટાફમાં કોને કોને વિદાય આપવા જેવી છે. ચાર જણને મેં વારાફરતી છૂટા કર્યા જેમાંના એક જનક શાહના નંબર ટુ હતા જેઓ પત્રકારત્વની સાથે કેટરિંગનો (કે રસોઈનાં વાસણો ભાડે આપવાનો) ફુલફ્લેજેડ બિઝનેસ કરતા હતા. આ ઉપરાંત એક શરાબખોર પટાવાળો હતો જે હંમેશાં ડ્યુટી પર પીને આવતો. પ્રુફ રીડિંગમાં એક બહેન હતાં જેમની ઘરની જવાબદારીઓને કારણે નોકરી પર આવવાનું ફાવતું નહોતું, પ્રુફ રીડિંગ તો ફાવતું નહોતું જ. ચોથા એક ભાઈ હતા.

મેં એચઆરને આ ચારેયને વિદાય કરવાની જવાબદારી મારી છે એમ કહીને એમને વધુમાં વધુ કેટલું પેકેજ આપીને રાજીનામું લેવું જોઈએ તે વિશે નેગોશિયટ કરી રાખ્યું હતું.

મારા ઓરિયેન્ટેશનના ૧૦-૧૨ દિવસો પૂરા થવાના હતા ત્યારે મેં રાજેશને બોલાવીને કહ્યું: હું જે દિવસથી ચાર્જ લઈશે તે દિવસથી તું મારો નંબર ટુ હશે. તને આસિસ્ટન્ટ એડિટરનો હોદ્દો તેમ જ આ પોસ્ટને અનુરૂપ તોતિંગ પગારવધારો તેમ જ બીજી સવલતો અપાવીશ. પણ એ બધી વિધિઓમાં એચઆરવાળા બે-ત્રણ અઠવાડિયા લઈ લે તો તારે એક મહિનો અત્યારના તારા પગાર અને હોદ્દાથી સંતોષ માની લેવાનો પણ કામ મારા નંબર ટુ તરીકેનું કરવાનું.

રાજેશ થાવાણીએ મારા આસિસ્ટન્ટ એડિટર તરીકે નેત્રદીપક જવાબદારી નિભાવી. દર વર્ષે એના કે.આર.એ. વખતે હું એને ધરખમ ઈન્ક્રીમેન્ટ અપાવતો. ‘મિડ-ડે’માંથી વિદાય લેતી વખતે મને પૂછવામાં આવ્યું કે તમારી જગ્યા સંભાળી શકે એવો કોઈ પત્રકાર તમારા ધ્યાનમાં હોય તો અમે એને ઈન્ટરવ્યુ માટે બોલાવીએ.

મેં કહ્યું કે બહારથી કોઈને બોલાવવાની જરૂર નથી. તમારે ત્યાં જ છે – રાજેશ થાવાણી. ‘મિડ-ડે’ના તંત્રીપદ માટે એ સૌથી કૅપેબલ પત્રકાર છે.

પણ કોણ જાણે કેમ મૅનેજમેન્ટે મારા ગયા પછી એડિટોરિયલ ડિરેક્ટર બચી કરકરિયાને તંત્રી બનાવ્યાં. જોકે, થોડા જ દિવસોમાં ભૂલ સુધારીને રાજેશ થાવાણીને ‘મિડ-ડે’ના તંત્રી બનાવવામાં આવયો. રાજેશે ‘મિડ-ડે’ના તંત્રી તરીકે બેમિસાલ કામ કર્યું. એના તંત્રીપદ હેઠળ ‘મિડ-ડે’નો ફેલાવો ઓર ઉપર ગયો, આવક પણ ખૂબ વધી. સવા દાયકા કરતાં વધુ સમય એણે ‘મિડ-ડે’ના તંત્રી તરીકેની ફરજ બજાવી.

રાજેશ થાવાણી સાથે કામ કરવાના ઘણા કિસ્સાઓ યાદ આવી રહ્યા છે. એમાંથી માત્ર બે જ અહીં શેર કરું.

અંગ્રેજી ‘મિડ-ડે’ બપોરના છાપા તરીકે શરૂ થયું હતું. 1970 ના દાયકાના અંતિમ વર્ષોમાં ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’માં હડતાળ પડી હતી જે ઘણી લાંબી ચાલી હતી. એ વખતે મુંબઈમાં બે અંગ્રેજી ઈવનિંગર નીકળતાં એક ‘ફ્રી પ્રેસ જર્નલ’નું ‘બુલેટિન’ અને બીજું ‘ટાઈમ્સ’નું ‘ઈવનિંગ ન્યુઝ.’

બહેરામ કૉન્ટ્રાક્ટર ‘બિઝી બી’એ પોતાની વિખ્યાત કૉલમ ‘રાઉન્ડ ઍન્ડ અબાઉટ’ ‘બુલેટિન’માં શરૂ કરી હતી. પછી તેઓ ‘ઈવનિંગ ન્યુઝ’માં જોડાયા ત્યારે એમણે આ અતિ લોકપ્રિય કૉલમ એમાં શરૂ કરી. ‘ટાઈમ્સ ગ્રુપ’ની હડતાળમાં ‘ઈવનિંગ ન્યુઝ’ પણ બંધ પડ્યું એટલે ‘સ્પોર્ટ્સવીક’ નામનું વિખ્યાત સ્પોર્ટ્સ સાપ્તાહિક ચલાવતા ખાલિદ અન્સારીએ ‘ઈવનિંગ ન્યુઝ’ની ખોટ પુરવા ‘મિડ-ડે’ શરૂ કરવાનું નક્કી કર્યું અને બહેરામ કૉન્ટ્રાક્ટરને સંપાદક તરીકે લઈ લીધા. (ખાલિદ અન્સારી પાસે પોતાના વડવાઓએ શરૂ કરેલું ઉર્દૂ દૈનિક ‘ઈન્કિલાબ’ પણ હતું જે હજુ પ્રગટ થાય છે).

‘ઈવનિંગ ન્યુઝ’ એના નામ મુજબ સાંજનું છાપું એટલે ‘મિડ-ડે’એ એ બજારમાં આવે તે પહેલાં–લંચ ટાઈમે–વાચકો સુધી પહોંચી જવાનું રાખ્યું હતું.

ગુજરાતી ‘મિડ-ડે’ પણ બપોરના બાર સુધીમાં બજારમાં પહોંચી જતું. મારા પુરોગામી તંત્રી જનકભાઈ સવારે સાત વાગે ઑફિસે પહોંચી જતા અને અડધો કલાકમાં–સાડા સાતના સુમારે છાપું પ્રેસમાં મોકલી આપતા. એ પછી તેઓ બીજા દિવસનાં પાનાં તૈયાર કરતા. આને કારણે ‘મિડ-ડે’માં વાસી સમાચાર છપાતા.

મેં મૅનેજમેન્ટ સાથે બાર્ગેન કર્યું. મને સાડા સાતને બદલે નવ વાગ્યાની ડેડલાઈન કરી આપો. મૅનેજમેન્ટ માટે આ ભગીરથ કાર્ય હતું. અંગ્રેજી ‘મિડ-ડે’ તથા ‘ઈન્કિલાબ’ પણ એ જ પ્રેસમાં છપાતાં. મૅનેજમેન્ટે કહ્યું કે તમે વધારાના દોઢ કલાકમાં આપીઆપીને વળી કેટલું નવું આપશો?

મેં કહ્યું કે ‘દોઢ નહીં, ચાર કલાકમાં.’

‘કેવી રીતે?’

‘હું સાત વાગે નહીં પણ પાંચ વાગ્યે ઑફિસે આવીને કામ શરૂ કરીશ.’

‘તમે તંત્રી થઈને સવારે પાંચ વાગ્યે ઑફિસે આવશો?’

‘જી, હા.’

‘પણ તમારા તંત્રી વિભાગનો સ્ટાફ, ટાઈપસેટર્સ, પ્રૂફ રીડર્સ, પટાવાળા?’

‘એ તમે મારા પર છોડી દો.’

મૅનેજમેન્ટ સાથે આ વાત મારા ઓરિયેન્ટેશનના દિવસને દરમ્યાન થઈ હતી. મેં સ્ટાફને વિશ્ર્વાસમાં લઈને પરોઢિયે પાંચ વાગ્યાથી કામ શરૂ કરી દીધું એટલું જ નહીં એક નાઈટ શિફ્ટ પણ શરૂ કરાવી દીધી.

હું રોજ સવારે ઘરે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને પોણા પાંચના ટકોરે ઑફિસે પહોંચી જતો. ફ્રેશ થઈને બરાબર પાંચ વાગ્યે કૅબિનની બહાર નીકળીને ન્યુઝરૂમમાં આવી જતો અને સાડા ત્રણ કલાક નોનસ્ટોપ કામ કરીને સાડા આઠ વાગ્યે ફાઈનલ પાનું પ્રેસનોટ માટે રિલીઝ કરતો. ( મૅનેજમેન્ટે સાડા સાતમાંથી મારી માગણી મુજબની નવની નહીં પણ સાડા આઠની ડેડલાઈન કરી આપી હતી.) એ પછી ચાનાસ્તો કરીને દિવસ આખો કામ ચાલુ રહેતું.

એક દિવસ ફાઈનલ પાનું રિલીઝ થઈ ગયું ત્યાં જ રાજેશ થાવાણીનું ધ્યાન ગયું કે ફ્રન્ટ પેજની હેડલાઈનમાં એક શબ્દમાં ઇતિહાસના ઇ ને બદલે ઈશ્વરનો ઈ ટાઈપસેટ થયો છે.

મેં કહ્યું, ‘પ્રોસેસને કહો કે કરેક્શન સાથે નવું પાનું આવે છે.’

રાજેશ કહે કે આટલી ભૂલમાં શું કામ મોડું કરાવીએ?

મેં હસીને એને ઈશારાથી કહ્યું કે પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટને મારી સૂચના મોકલી આપો.

મોટા ‘ઈ’માંથી નાનો ‘ઇ’ કરાવીને નવું ફ્રન્ટ પેજ રવાના થઈ ગયા પછી મેં આખા સ્ટાફની સાથે ચા-નાસ્તો કરતાં કહ્યું, ‘આજે તમે જોયું કે આપણે સમયસર પેપર પૂરું કર્યું હોવા છતાં મેં પાંચ મિનિટ મોડું કરાવ્યું. સોમવારની મૅનેજમેન્ટ સાથેની મીટિંગમાં મારે એનાં કારણો આપવાનાં આવશે. હવે હું તમારી સાથે જે વાત કરવાનો છું તે જ હું મૅનેજમેન્ટને કહીશ. નાના ઇ અને મોટા ઈ વચ્ચેનો તફાવત હરિવલ્લભ ભાયાણી જેવા ભાષાશાસ્ત્રી સિવાય આપણા કોઈ વાચકને ખબર નથી પડવાનો એ હું જાણું છું. આવી ભૂલને કારણે આપણી એક કૉપી પણ ઓછી વેચાવાની નથી. ભાયાણીસાહેબ તો આદુનિયામાં નથી પણ તેઓ જતાં જતાં થાવાણીસાહેબને અહીં મૂકતા ગયા છે! રાજેશે જોડણીમાં જે ચીવટ રાખી તેવી જ ચીવટ એ ન્યુઝ એડિટિંગમાં પણ રાખે છે. આવી જ ચીવટ મારા સહિત આપણે સૌ પોતપોતાના કામમાં રાખીએ તો વિચાર કરો ‘મિડ-ડે’ની ક્વૉલિટી ક્યાંથી ક્યાં પહોંચી જાય?’

અને ખરેખર એવું થયું. મારા જોડાયાના ત્રણ જ મહિના પછી મૅનેજમેન્ટે ‘મિડ-ડે’ની કિંમત સીધી બમણી કરી નાખી તે છતાં ફેલાવો ઘટવાને બદલે વધતો ગયો. એ જ રસોડું, એ જ શાકભાજી,એ જ બધા મસાલા વાપરીને ‘મિડ-ડે’ મુંબઈના વાચકો માટે તાજી અને સ્વાદિષ્ટ રસોઈ પીરસતું થઈ ગયું જેની સીધી અસર અમારા ફેલાવા પર અને એડ રેવન્યુ પર પડતી ગઈ. અને આને કારણે નવો સ્ટાફ નથી લેવાનો એવી પાબંદીમાં મને છૂટ મળી જેનો ફાયદો ઉઠાવીને મેં બીજા બે ચોવીસ કેરેટના સોનાના સિક્કાઓને ‘મિડ-ડે’માં સામેલ કરી લીધા. એમની વાત કરું તે પહેલાં રાજેશ થાવાણી સાથેનો બીજો એક કિસ્સો.

તારીખ હતી 1 માર્ચ 2002.

27 ફેબ્રુઆરીની ગોધરા હિદુ હત્યાકાંડની ઘટના પછી હું ઘણો વ્યથિત હતો. એ પછીના દિવસોમાં છાપાં વાંચીને વધુ વ્યથિત થયો. મોટાંમોટાં અંગ્રેજી છાપાઓના રિપોર્ટિંગમાં અને તંત્રીલેખોમાં જે વાત થવી જોઈએ તે થતી જ નહોતી. મેં ‘મિડ-ડે’માં સાઈન્ડ પેજ તંત્રીલેખ લખવાનું નક્કી કર્યું. અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ મોડી રાત્રે ઑફિસેથી ઘરે આવીને થોડું જમ્યા પછી મેં લખવાનું શરૂ કર્યું. ઘણા મુદ્દાઓ યાદ આવે. લખાતું જ ગયું. સાડા ત્રણ વાગી ગયા. નહાઈધોઈ તૈયાર થઈને ઑફિસે જવાનો સમય થઈ ગયો હતો. બાકીનો તંત્રીલેખ ઑફિસ જઈને પૂરો કરીશ એવું વિચારીને મેં નહાવા જતાં પહેલાં ઘરે વાંચવા આપીને કહ્યું કે આ તંત્રીલેખ છપાયા પછી જે પરિણામ આવે તે ભોગવવા તૈયાર રહેવાનું છે.

ઑફિસે પહોંચીને રાજેશના હાથમાં અધૂરા તંત્રી લેખનાં પાનાં મૂકીને કહ્યું કે,’આટલું વાંચી લે અને ટાઈપસેટિંગ કરાવીને પ્રુફ રીડિંગમાં આપી દે.’

બાકીનો તંત્રીલેખ પૂરો કરીને મેં રાજેશને વાંચવા આપ્યો. મેં પૂછ્યું : ‘બરાબર છે?’

રાજેશે ઈશારાથી કહ્યું : ટૉપ.

‘આ તંત્રીલેખ ન છાપવો જોઈએ એના કોઈ કારણો ખરાં?’

‘છાપવો જ જોઈએ.’

આખો તંત્રીલેખ ખૂબ લાંબો થયો. બ્રોડ શીટના ફ્રન્ટ પેજની બે પૂરેપૂરી કૉલમો અને બેક પેજ પર એટલું જ લાંબું અનુસંધાન. (મારા સમયગાળામાં મેં ‘મિડ-ડે’ને ટેબલોઈડમાંથી બ્રેડશીટ બનાવી દીધું હતું જે મારા ગયા પછી પાછું ટેબ્લોઈડ બની ગયું).

આખો એડિટોરિયલ ટાઈપસેટ થઈ ગયા પછી પેપરને પ્રેસમાં મોકલતાં પહેલાં મેં ન્યુઝરૂમમાં આખા સ્ટાફની મીટિંગ બોલાવી. સૌની હાજરીમાં આખો તંત્રીલેખ મેં વાંચી સંભળાવ્યો અને બધાનો અભિપ્રાય માગ્યો. મેં કહ્યું કે તમને સૌને સંભળાવવાનો અર્થ એ નથી કે આ તંત્રીલેખ લખવાની અને છાપવાની જવાબદારીમાંથી હું છૂટી જવા માગું છું. એ જવાબદારી મારા એકલાની છે અને જે પરિણામ આવશે તે મારે એકલાએ જ ભોગવવાનાં છે. તમારા સૌનો અભિપ્રાય મને એટલા માટે જોઈએ છે કે જો ક્યાંક મેં એવું લખી નાખ્યું હોય જેને કારણે સમાજને અને દેશને નુકસાન થાય એમ હોય તો હું સુધારી લઉં.

સૌએ કહ્યું કે આ તંત્રીલેખ છાપવો જ જોઈએ, અને અમે તમારી સાથે છીએ. સ્ટાફમાં માત્ર બે અપવાદ નીકળ્યા. એક રિપોર્ટરે કહ્યું કે આમાં ફલાણી જગ્યાએ તમારે વધારે આકરા શબ્દો વાપરવાની જરૂર હતી!

અને બીજા એક સિનિયર પત્રકાર જતીન દેસાઈએ કહ્યું કે અત્યારના સંજોગો જોતાં લાગે છે કે આવો તંત્રીલેખ ન છાપવો જોઈએ.

મેં બેઉ અભિપ્રાયો સાંભળ્યા. પણ એમના સુચન પ્રમાણે કશું ન કર્યું. તંત્રીલેખ છપાઈ ગયો. પછી? રેસ્ટ ઇઝ ધ હિસ્ટરી. ‘અયોધ્યાથી ગોધરા’ પુસ્તકના પહેલા જ પ્રકરણમાં એ આખો તંત્રીલેખ છે, અને આ તંત્રીલેખ લખવાનું શું પરિણામ આવ્યું તેની વિગતો પુસ્તકનાં ત્રણ પરિશિષ્ટોમાં છે જેમાનું એક પરિશિષ્ટ સિનિયર ગુજરાતી પત્રકાર અને મારા મિત્ર વિક્રમ વકીલે એમના ‘હૉટલાઈન’ સાપ્તાહિક માટે લીધેલી આ વિષય પરની મારી દીર્ઘ મુલાકાતનું છે.

હિતેશ ચુડાસમા અને શિશિર રામાવત નામની બીજી બે સુવર્ણમુદ્રાઓની વાતો હજું બાકી છે.

તાજા કલમ : ‘મિડ-ડે’ની વાતો નીકળી જ છે તો બીજા પાંચેક સાથીદાર પણ યાદ કરી લઉં. આમ તો બધા જ વિશે કંઈને કંઈ વાત મારે કરવાની છે, દરેકની સાથેના સુખદ સ્મરણોની બારાત આવી રહી છે. પણ પૂરું કરતાં પહેલાં નિમેશ દવે, વિરલ શાહ, આરિફ નાલબંધ, અક્ષય અંતાણી અને દીનેશ પટેલ (સાવલિયા)ને યાદ કરી લઈશ.

આ તમામ વાતો આવતી કાલે.

***
ગુજરાતી પુસ્તકોના પ્રતિષ્ઠિત પ્રકાશક આર આર શેઠ દ્વારા પ્રગટ થયેલું સૌરભ શાહનું બહુચર્ચિત પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’ ગુજરાતી પુસ્તકો વેચતી એમેઝોન સહિતની તમામ ઑનલાઈન બુક શૉપ પર તેમ જ પુસ્તકોની દુકાનોમાં ઉપલબ્ધ છે. તમારી સુવિધા માટે અહીં કેટલીક લિન્ક મૂકી છે:

આર આર શેઠ:
https://rrsheth.com/shop/ayodhyathi-godhra/•••

લોકમિલાપ:

*લોકપ્રિય અને બેસ્ટસેલર લેખક સૌરભ શાહનું નવું પુસ્તક આજે બહાર પડ્યું છે.*

સૌરભભાઇનાં ચાહકો અને લોકમિલાપ પરિવારના મિત્રો માટે *₹200 નું આ પુસ્તક ફક્ત ₹170 માં મળશે. (કુરિયર ચાર્જ અલગ).* ઓર્ડર કરવા 8734918888 પર વોટ્સએપ કરશો. આભાર.

આ ઉપરાંત નીચે લિસ્ટમાં આપેલા સૌરભ શાહના કોઈ પણ પુસ્તકને સાથે ખરીદશો તો એ પુસ્તક પર પણ 15% વળતર મળશે.

https://lokmilap.com/Filter?category=&brand=62&orderby=

•••

બુકપ્રથા:
https://www.bookpratha.com/Product_listing/Index?authorid=60316

•••

પ્રેમ પુસ્તક ભંડાર, ભુજ:
+91 98796 30387

***

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 90040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

નવા કૅલેન્ડર વર્ષનો આરંભ થઈ ગયો છે. આપ સૌનું 2024નું વર્ષ શુભદાયી અને સુખદાયી નીવડે. આ વર્ષે બે દિવાળી આવે છે તે યાદ રાખશો. આસોની અમાસે તો ખરી જ, 22 જાન્યુઆરીએ પણ દીપોત્સવ છે જે 500 વર્ષ રાહ જોયા પછી ઉજવાશે.

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Paytm-
90040 99112

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. વડીલ શ્રી સૌરભભાઈ અમો તમારા લેખો વર્ષોથી વાંચીએ છીએ, તમોને ફિડબેક મૂકવા પેહલા કોઈ સરળ માધ્યમ ન હતું જે હાલમાં છે.

    તમારું નવું પુસ્તક અયોધ્યાથી ગોધરા વાંચવા ઉત્સુક છીએ. પણ હાલમાં હું કેનેડા માં છું. એમેઝોન પર ઉપલબ્ધ હસે તો ભારત માં ઘરે મંગાવીને રાખી શકીશું.

    તમારી કલમ તમારા વિચારોને શબ્દ દેહ આપતા હોય છે. એકદમ કલિયર કોઈ ની શરમ અને બીક રાખ્યા વગર ના તંત્રી લેખો સુજ્ઞ વાચકો ના હર્દય સુધી ઉતરી જતા હોય છે. ભારત આવ્યા પછી એકવાર તમોને રૂબરૂ મળવાની ઇચ્છા છે. અવસર આપશો. 👏👏👏 ઉમેશભાઈ નાથાણી – કેલગરી કેનેડા.

  2. કટ્ટર હિન્દુવાદના નાં નામે તમને નફરત કરતો વાચક… તમારી પત્રકારી જિંદગી… અતરંગ સચોટ વાતો… કાર્યનિષ્ઠા જોઈ… તમને સહજ રીતે વહાલ કરતો થઈ જાય છે.
    સૌરભબાબુ
    (રાજેન્દ્ર પટેલ, અમદાવાદ )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here