ગુરુદેવ કહે છે કે તમારા કામમાં બીજાનો હાથ માગો, બીજાનો સાથ માગોઃ સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવઃ ભાદરવા સુદ દસમ વિક્રમ સંવત 2077, ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021)

જેમને કામ કરવું છે એમને કોરોના, લૉકડાઉન કશું નથી નડતું. આપણે જોયું છે કે અત્યારની પરિસ્થિતિની ગંભીરતા સ્વીકારીને, સાવચેતીનાં પૂરતાં પગલાં લઈને તમામ કર્મશીલોએ પોતપોતાનું કામ ચાલુ રાખ્યું છે – ચાહે એ વડા પ્રધાન હો, સ્વામી રામદેવ હો, સદ્‌ગુરુ જગ્ગી વાસુદેવ હો, મોરારી બાપુ હો કે પછી ફિલ્મલાઇનમાં અમિતાભ બચ્ચન કે અક્ષય કુમાર હો અને મીડિયામાં અર્નબ ગોસ્વામી સહિતના બીજા અનેક પત્રકારો હો.

આવું જ એક ઝળહળતું નામ છે આચાર્ય રત્નસુંદરસુરિ મહારાજ સાહેબનું.

પ્રથમ લૉકડાઉનના થોડાક જ સપ્તાહ પહેલાં માર્ચ 2020માં મુંબઈમાં માટુંગા ખાતે એમના 350મા પુસ્તકના પ્રાગટ્ય સમારંભમાં હાજર રહેવાનું સદ્‌ભાગ્ય મળ્યું હતું. એ પછી બરાબર દોઢ વર્ષ વીતી ગયું. વીતેલા અઢાર મહિનામાં ગુરુદેવે લખેલાં બીજાં પાંત્રીસ પુસ્તકો પ્રગટ થયાં. પ્રેક્ટિકલી દર મહિને લગભગ બે પુસ્તક જેટલી સરેરાશ આવે. મહિને બબ્બે પુસ્તક! જેની આજીવિકા માત્ર પુસ્તકો લખીને ચાલતી હોય એવા પ્રોફેશનલ લેખક માટે પણ આટલું બધું લખવું અશક્ય છે જ્યારે ગુરુદેવ તો સાધુ છે, સંન્યાસી છે. લેખનકાર્ય તો એમની અનેક જવાબદારીઓમાંની એક છે. રોજ પ્રવચન આપવું, કેટલાય ભાવકોને રૂબરૂ મુલાકાત આપવી, શિષ્યો સાથેનો સંવાદ, પોતાના માટેની સાધના તથા વિદ્યાભ્યાસનો સમય ઉપરાંત બીજી કેટલીય પ્રવૃત્તિઓ વચ્ચે એક્કેક મિનિટ તારવીને-બચાવીને લખતાં ઘણા લોકોએ એમને જોયા છે.

કર્મઠતાની પરાકાષ્ઠા તો ત્યારે આવે છે જ્યારે તેઓ કોરાનાની ભયંકર મહાબીમારીનો ભોગ બને છે, હૉસ્પિટલમાં દાખલ કરવા પડે એવી કટોકટી સર્જાય છે. કોરોનામાંથી હેમખેમ બહાર આવ્યા પછી થોડાક જ વખતમાં સાંધા ઢીલા કરી નાખતા ચીકનગુનિયાના રોગનો શિકાર બનીને ફરીવાર હૉસ્પિટલમાં સારવાર લેવી પડે છે. આવી બે મોટી બીમારીઓનો સામનો કર્યા પછી અશક્ત થઈ ગયેલા શરીરે આ કર્મઠયોગી ફરી પોતાનું રૂટિન સ્થાપવાની કોશિશમાં કામિયાબ નીવડે છે. એમનાં પુસ્તક નં.384 અને પુસ્તક નં.385 ગયા અઠવાડિયે પ્રગટ થયાં. આ બેઉ પુસ્તકો બીમારીના પડકારો ઝીલતાં ઝીલતાં લખાયાં છે. 75ના આરે પહોંચેલા ગુરુદેવ એટલી ત્વરાથી લેખનકાર્ય કરતા રહે છે કે એમનાં પુસ્તકો પ્રગટ કરવા માટે એક કરતાં વધારે પ્રિન્ટિંગ પ્રેસની મદદ લેવી પડતી હોય છે.

ગુરુદેવનાં આ બે લેટેસ્ટ પુસ્તકોનાં શીર્ષક છે: ‘આભાર’ અને ‘શૂન્યનું રૂપાંતરણ પૂર્ણમાં’.

‘આભાર’ના આરંભે જ ગુરુદેવે એક મહત્ત્વની વાત કહી છેઃ ‘લક્ષ્યને ચૂકી જવાની પીડા કરતાં ય લક્ષ્ય નિર્ધારિત ન થવાની પીડા વધુ જાલિમ હોય છે.’

કેટલીક વખત ડરના માર્યા આપણે જીવનમાં કોઈ ધ્યેય રાખતા નથી હોતા. ભૂતકાળમાં કોઈક કે અનેક લક્ષ્ય સુધી પહોંચી ન શકાયું હોય એને કારણે આવો ડર સર્જાયો હોઈ શકે અથવા તો જાત પરનો ભરોસો તૂટી ગયો હોય કે પછી બીજું કોઈ પણ કારણ હોય—આપણે જીવનમાં શું કરવું છે, ક્યાં પહોંચવું છે, શું શું અને કેટલું પ્રાપ્ત કરવું છે આ વિશે કોઈ લક્ષ્ય નિર્ધારિત નથી કરતા.

ગુરુદેવ કહે છેઃ ‘…લક્ષ્યમાં ધારી સફળતા ન પણ મળે પણ કોઈ લક્ષ્ય નિર્ધારિત કર્યા વિના લક્ષ્યહીન જીવન જીવી જવામાં તો જીવનમાં હારી જવાનું જ બને છે.’

ગુરુદેવ કહે છેઃ ‘વિચારથી વાણીનું નિર્માણ થાય છે. વાણીથી વર્તનનું નિર્માણ થાય છે. વર્તનથી આદતનું અને આદતથી ચારિત્ર્યનું નિર્માણ થાય છે.’

આ જ પુસ્તકમાં એક પ્રકરણ છેઃ ‘પારકી આશા સદા નિરાશા’. આ સમગ્ર પ્રકરણનો સાર છે કે ‘આપણે તનાવગ્રસ્ત રહીને જીવનને ઢસડવું છે કે પ્રસન્ન રહીને જીવનને ઊંચકવું છે’ તે બીજા કોઈના હાથમાં નથી, આપણા જ હાથમાં છે.

ગુરુદેવ કહે છે કે જીવનમાં બે પ્રકારની ઘટનાઓ સતત બનતી જ રહેવાની છે – કેટલીક તમને ગમે એવી અને બીજી કેટલીક એવી જે તમને નહીં ગમે. આમાંની અમુક ઘટનાઓ પર તમારો કોઈ કાબુ નથી હોતો કારણ કે બહારની પરિસ્થિતિઓને કારણે કે બીજાઓના વ્યવહારને કારણે એ સર્જાતી હોય છે. જે ઘટનાઓ તમને અનુકૂળ હોય પણ તમે પોતે જો એનું અર્થઘટન યોગ્ય રીતે નહીં કરો તો એ તમારામાં પ્રસન્નતાને બદલે ઉદ્વેગને જન્મ આપશે. એ જ રીતે જે ઘટનાઓ તમને પ્રતિકૂળ હોય પણ તમે પોતે જો એને યોગ્ય અર્થમાં સમજીને સ્વીકારી લેશો તો આ નહીં ગમતી ઘટના પણ તમને ઉદ્વેગને બદલે પ્રસન્નતા આપી શકશે.

‘મહાન વિજેતા ક્ષુદ્ર બાબતોમાં અટકતો નથી’ શિર્ષક હેઠળના પ્રકરણમાં ગુરુદેવે એક સીધોસાદો દાખલો આપ્યો છેઃ મુંબઈ અને દિલ્હી વચ્ચેનું અંતર સમાન હોવા છતાં ફાસ્ટ ટ્રેન જલદી પહોંચે છે જ્યારે લોકલ ટ્રેનને પહોંચવામાં વિલંબ થાય છે. કારણ? શું ફાસ્ટ ટ્રેનની ગતિ તેજ હોય છે અને લોકલ ટ્રેનની ગતિ મંદ હોય છે? ના. સાચું કારણ એ છે કે ફાસ્ટ ટ્રેન નાના-નાના સ્ટેશને થોભતી નથી જ્યારે લોકલ ટ્રેન દરેક નાના-નાના સ્ટેશને થોભતી હોય છે અને આ જ કારણે ફાસ્ટ ટ્રેનની ગતિ તેજ હોય છે જ્યારે લોકલ ટ્રેનની ગતિ ધીમી હોય છે. ગુરુદેવ કહે છેઃ ‘અધમ આત્મા અને મહાન આત્મા અહીં જ અલગ પડતા હોય છે.’

પછી વધુ સમજાવતાં કહે છે કે પ્રત્યેક ક્ષુદ્ર બાબત આગળ અટકી જવું, એને વજન આપતાં રહેવું, એની ખાતર ગમે તેની સાથે ઝઘડી બેસવું – આ વૃત્તિમાં રાચતો હોય એ અધમ આત્મા. જ્યારે મહાન આત્મા તો જગતની દૃષ્ટિએ મોટી ગણાતી બાબતોને પણ હસી કાઢવાની, એની ખાતર પોતાની પ્રસન્નતાને ખંડિત ન જ થવા દેવાની, કોઈનીય સાથે દુશ્મનાવટ ન જ કરવાની પ્રચંડ ક્ષમતા લઈને બેઠેલો હોય છે.

‘આદત એ બીજો સ્વભાવ છે’ પ્રકરણમાં ગુરુદેવ કહે છેઃ ‘વિચારથી વાણીનું નિર્માણ થાય છે. વાણીથી વર્તનનું નિર્માણ થાય છે. વર્તનથી આદતનું અને આદતથી ચારિત્ર્યનું નિર્માણ થાય છે.’

ઘણાને એમ લાગે છે કે સારી આદત પાડવી બહુ મુશ્કેલ છે. ગુરુદેવની સલાહ મુજબ એક સારું વર્તન કર્યા પછી વારંવાર એનું પુનરાવર્તન કર્યા કરવાથી એ વર્તન આદતમાં પલટાઈ જશે. ગુરુદેવના શબ્દોમાં : ‘પાટી પર પ્રથમ વખત લખાતો એકડો જો વર્તન છે તો સેંકડો વખત ઘૂંટાતો એકડો આદત છે.’

આજે આપણે વગર પ્રયત્ને સડસડાટ લખી શકીએ છીએ તે આ એકડો ઘૂંટવાની આદતને લીધે જ. કેવું સચોટ ઉદાહરણ!

ગુરુદેવ કહે છે કે જીવનમાં પાંચ પરિબળો એવા છે જે માણસના દુઃખદ વર્તમાનને તાજગીસભર પણ રાખી શકે છે તો માણસના સુખદ વર્તમાનને તનાવસભર પણ બનાવી શકે છે. આ પાંચ પરિબળો છેઃ
1.ધારણા
2. ઇચ્છા
3. સપનાં
4. આશા
5. કલ્પના
આ પાંચમાંના કોઈ પણ પરિબળનો કે એમાંના કોઈક બે-ત્રણ-ચાર કે પછી પાંચેય પરિબળોનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો એના પર આધાર છે કે એ તમારા દુખદ વર્તમાનને તાજગીસભર બનાવશે કે તમારા સુખદ વર્તમાનને તનાવસભર બનાવશે.

આજની દુઃખની ઘડીમાં ઉજ્જવળ ભવિષ્યની ધારણા, ઇચ્છા, સપનાં, આશા, કલ્પના તમારું દુઃખ હળવું કરી શકે. અને આજના તમારા સંતોષજનક વર્તમાનને તમે કરેલી શેખચલ્લી જેવી કલ્પનાઓ, ધારણાઓ વગેરે તમને તનાવમાં જીવતા કરી દે એવું પણ બને.

ગાંઠે બાંધી રાખવા જેવી એક ઔર વાત ગુરુદેવે કરી છેઃ શું તમે તમારા કામને સરળ બનાવવા માગો છો? ઓછું અને મામૂલી (હળવું) કરી નાખવા માગો છો? કાર્યની સમ્પન્નતા પછી (થાકીને ઢગલો થઈ જવાને બદલે) હળવાશ અને પ્રસન્નતા અનુભવવા માગો છો? તો એક કામ કરો – તમારા કામમાં બીજાનો હાથ માગો, બીજાનો સાથ માગો. આ સંદર્ભમાં ગુરુદેવ પૂછે છે કેઃ આ વાસ્તવિકતા છે છતાં માણસ પોતાના કામમાં બીજાનો સાથ લેવા તૈયાર કેમ નહીં થતો હોય?

આ પ્રશ્ન વિશે વધુ ચિંતનમનન બાદ ગુરુદેવને એનો જવાબ જડી જાય છેઃ આ પ્રશ્નના કદાચ અનેક જવાબ હોઈ શકે છે પણ મુખ્ય જવાબ એ છે કે માણસ પાસે સંપત્તિના ત્યાગની ઉદારતા છે, સુખસગવડોના ત્યાગની પણ ઉદારતા છે પણ બીજાને યશ આપતા રહેવાની ઉદારતા નથી.

આ જ વાતને આગળ સમજાવતાં ગુરુદેવ વધુ સ્પષ્ટતા કરે છેઃ પોતાના કામમાં માણસ જો બીજાનો સાથ લે છે તો કાર્ય સમ્પન્નતાનો યશ એણે બીજાને પણ આપવો પડે છે. આવું કરવા માટે એનું મન બિલકુલ તૈયાર નથી. બસ, આ એક જ કારણસર માણસ એક વાર પોતે હાથમાં લીધેલું કામ છોડી દેવા તૈયાર થઈ જાય છે. અરે, ક્યારેક તો કામને હાથમાં લેવાનો જ ઈનકાર કરી બેસે છે પણ બીજાનો સાથ લઈને કાર્ય સમ્પન્ન કરવા તૈયાર થતો નથી.

આ આખી વાત મનમાં બરાબર ઠસીને કાયમી સ્થાન લઈ લે એ માટે ગુરુદેવ કહે છેઃ ‘કામનો યશ ભલે કોઈને પણ મળે પણ કામ તો થવું જ જોઈએ – આ માનસિકતા જો વર્તમાન જગતની બની જાય તો આપણે કલ્પ્યાં ન હોય એટલાં સંખ્યાબંધ સત્કાર્યો આજે પણ સમ્પન્ન થઈ શકે તેમ છે.’

ગુરુદેવ સાધુ છે, એમણે સંસાર ત્યાગી દીધો છે. છતાં એમનામાં વ્યવહારુ ડહાપણ આપણા સૌના કરતાં વધારે છે. આપણે ઘણી વખત વિચારતા હોઈએ છીએ કે જેની પાસે નબળો માલ હોય એને જ પોતાનું નેટવર્ક ફેલાવીને, પ્રચંડ જાહેરાતો કરીને, આત્મશ્લાઘા કરીને પોતાનો માલ વેચવો પડે. આપણી પાસે તો ઉત્તમ કક્ષાનો માલ છે – આપણે શા માટે એવી બધી લપ્પન-છપ્પનમાં પડીને આપણાં સમય-શક્તિ ખર્ચવાં જોઈએ.

ગુરુદેવના શબ્દોમાં : ‘જે પોતાના માલ અંગે મૌન છે, શાંત છે, ઉદાસીન છે – “જેને ગરજ હશે એ સામે ચડીને મારી પાસે માલ લેવા આવશે, બાકી હું મારા માલનાં વખાણ મારા મોઢે કરવાનો જ નથી” – આવી વિચારસરણી અત્યારના જમાનામાં રાખવી આત્મઘાતક બની જાય.’ શું કારણ? ‘આ જગતના જેટલા પણ અગત્યના, મહત્ત્વના, અસરકારક અને તાકાતપ્રદ સાધનો છે એ તમામનો પ્રથમ દુરુપયોગ દુર્જનો જ કરે છે. સજ્જનોના હાથમાં એ સાધનોનો ઉપયોગ કરવાનું ત્યારે જ આવે છે જ્યારે એ સાધનો નિષ્પ્રાણ, જૂનાં કે બિનઅસરકારક બની ચૂક્યાં હોય.’

આવી પરિસ્થિતિમાં ગુરુદેવની સલાહ એ છે કે બોલે એનાં બોર વેચાય. તેઓ લખે છેઃ ‘કોણ સમજાવે કે બગીચામાં ઊગેલા પુષ્પની સુવાસને જો નગરની ગલીગલી સુધી પ્રસરાવવી હશે તો પવનને કામે લગાગ્યા વિના એમાં કોઈ કાળે સફળતા મળતી નથી.’

વાત સમજાઈ હવે? નબળા માલને જો ‘પવન’ની મદદ વડે વેચી શકાતો હોય તો ઉપયોગી માલના પ્રચાર-પ્રસાર માટે એ જ ‘પવન’ની મદદ શું કામ ન લેવી!

(વધુ આવતી કાલે)

9 COMMENTS

  1. મનને પ્રફુલ્લિત કરનારો અને વિચારોને અજવાળી નાખનારો લેખ.
    “કામનો યશ ભલે કોઈને પણ મળે પણ કામ તો થવું જ જોઈએ.”
    એટલે જ લેખમાંથી copy-paste થઈ શકે છે. (?)
    એ જાણીને ખરેખર આદર થાય છે કે આચાર્ય રત્નસુંદરસુરિ મહારાજ સાહેબ અને શ્રી સૌરભભાઈ સંઘર્ષમય સ્થિતિમાં પણ જનકલ્યાણ માટે લખી શકે છે.
    આવી લેખનકળા બધાની પાસે નથી હોતી. અને હોય તેને લખવાનું પ્રેરકબળ ક્યાંથી મળતું હશે તે આશ્ચર્યજનક અને કલ્પનાનો વિષય છે.
    વધુ આવતીકાલે જણવા મળશે.

  2. વાહ! સૌરભભાઈ 🙏🏻 હંમેશાં ની જેમ 👌🏻👌🏻 આપના બધા જ લેખ સાચવીને, સંભાળી સંગ્રહિત છે.વારંવાર વાંચવા સાથે નવું કંઈક હંમેશા પ્રાપ્ત થાય છે.બસ,આમજ માં સરસ્વતીની કૃપા આપ પર બની રહે એ જ પ્રાર્થના 🙏🏻🙏🏻

  3. Your power of explanation gurudev’s writing is so sweet that I went through it from start to end at a stroke and it made me realised what treasure might be hidden in 350 books written by shree Gurudev!

  4. I have read SHRI GURUDEV books in past.writing is very good & very practical. I suggest that all should read books written by SHRI GURUDEV. GURUDEV never force to believed in only certain religious. GURUDEV mind & thinking is very broad.

  5. વાહ સાહેબ વાહ…. અને ધન્ય ગુરુદેવ….. મજા આવી ગઈ…. જબરદસ્ત અનાલીસિસ… ગુરુદેવ ના પુસ્તક નું…..૧૦ માં ધોરણ માં વાંચેલા એમના 1 પુસ્તક એ મારી સમગ્ર જિંદગી બદલી કાઢેલ છે….. લખી રાખો આરસ ની તકતી પર…..મારી પોતાની ઓફિસે આ પુસ્તક ની મોટી કોપી રોજ આંખ સામે મુકેલ છે…. કાલ ના તમારા લેખ ની આતુરતા થી ઇંતેજાર રહશે….આભાર…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here