( લાઉડમાઉથ : બુધવાર, 1 જુલાઈ 2020)
તમે શું માનો છો કે કોઈ પણ દેશના વડા પ્રધાન દિવસમાં ચાર વાર એમના સલાહકારોને પૂછ-પૂછ કરતા હશે કે મારા ફલાણા પગલા વિશે કે ફલાણી નીતિ વિશે સોશ્યલ મિડિયામાં લોકો કેવી રીતે કમેન્ટ કરે છે એ મને કહો તો જરા.
કોઈ પણ ક્ષેત્રની ટોચની -સુપર સક્સેસફુલ વ્યક્તિઓ શું એવી ચિંતામાં અડધી થઈ જતી હશે કે સોશ્યલ મિડિયામાં મારા વિશે ટ્રોલર્સ શું કહે છે?
જેમને ખબર છે કે પોતે શું કરવું છે અને નિષ્ઠાપૂર્વક જેઓ એ કામ કર્યા કરે છે એમને જરા સરખી પડી નથી હોતી કે લોકો પોતાના કામને વખાણી રહ્યા છે કે વખોડી રહ્યા છે. લોકોના પ્રતિભાવો શું આવશે કે શું આવી રહ્યા છે એની ચિંતા કરવા જાય તો તેઓ પોતાના કામમાં ઓતપ્રોત થઈ શકે નહીં. એમનું ધ્યાન ફંટાઈ જાય. કોઈ આવું કહેશે એટલે મારે એમને ખુશ રાખવા આવું નહીં પણ તેવું કરવું જોઈએ અથવા કોઈ મારા વિશે આવું ન માની બેસે એટલે મારે આ કામ ન કરવું જોઈએ એવું વિચારીને ચાલનારાઓ ચીલો ચાતરી શકતા નથી, ઇતિહાસ સર્જી શકતા નથી. જેઓ પોતાના વિઝન મુજબ, પોતાની દીર્ઘદ્રષ્ટિ મુજબ, બીજાઓને ખુલાસા કર્યા વિના અને પોતાની જાતને જસ્ટિફાય કર્યા વિના પોતે જે ધારેલું છે તે કામ કરતા રહે છે, સતત આગળ વધતા રહે છે એમનું નામ દેશના અને સમાજના પોતાના ક્ષેત્રમાં આપોઆપ સુવર્ણાક્ષરે લખાઈ જતું હોય છે.
મને કોઈના રિએક્શનની કંઈ પડી નથી, હું તો મારું ધાર્યું જ કરવાનો- આવું બોલવાનું ન હોય, કરીને બતાવવાનું હોય. બોલવામાં તો એવી ઇમેજ ઊભી કરવાની કે હું તો ભૈ, તમે લોકો જે કહેશો તે જ કરીશ, તમારા સૌનો સાથ મારા માટે અનિવાર્ય છે, તમે છો તો હું છું વગેરે. પણ અંદરથી તમને ખબર છે કેઃ તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે… જ્યારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી તારા મનનું ગાણું એકલો ગાને રે… જો સૌએ પાછાં જાય… ત્યારે કાંટા રાને તારે લોહી નીગળતે ચરણે ભાઈ એકલો ધા ને રે… જ્યારે દીવો ન ધરે કોઈ, જ્યારે ઘનઘેરી તુફાની રાતે બાર(દ્વાર) વાસે તને જોઈ ત્યારે આભની વીજે તું સળગી જઈને સૌનો દીવો એકલો થાને રે… તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે.
રવીન્દ્રનાથ ટાગોરના મૂળ બંગાળી ગીતને કિશોરકુમારથી લઈને સોનુ નિગમ સુધીના અનેક ટોચના ગાયકોએ ગાયું છે. આ ગુજરાતી અનુવાદ પચાસ વર્ષની ભરવસંતે દુનિયા છોડી ગયેલા મહાદેવ દેસાઈએ કર્યો. ગાંધીજીના અંગત સચિવ તેઓ.
એકલો જાને રે… મહાન માણસો માટે આ પોતાનું રાષ્ટ્રગીત છે, જીવનગીત છે. સામાન્ય માણસો માટે પણ આ જ વાત સાચી છે અને એમના માટે ટાગોરના આ અમર ગીતનું પાણી નાખેલું, જલદીથી પચી જાય એવું, પૉપ્યુલર વર્ઝન આનંદ બક્ષીએ બનાવ્યું છે. કુછ તો લોગ કહેંગે લોગોં કા કામ હૈ કહના… આ ફિલ્મી ગીત ભલે હોય પણ નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલાં એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે આ એમનું ફેવરિટ સોન્ગ છે (હોય જ). અને મોરારીબાપુ પણ આ ગીતને ભજનના ઢાળમાં અનેકવાર જાહેરમાં ગાતા હોય છે, ગવડાવતા હોય છે. અફકોર્સ, કુછ તો લોગ કહેંગે અને એકલો જાને રે ના ભાવમાં સરખાપણું હોવા છતાં ટાગોરના ગીતની ઊંચાઈ અનેકગણી છે- ટાગોરે લખ્યું છે એટલે નહીં પણ એ ગીતમાં જે વાતો કરવામાં આવી છે એટલે.
તમે શું માનો છો કે દેશના અબજોપતિ ઉદ્યોગપતિઓ રોજ તિજોરી ખોલીને પોતાની પાસે કેટલા પૈસા છે એની ગણતરી કરતા હશે?
લોકો તમારા વિશે સારું સારું બોલતા હોય ત્યારે એ પ્રવાહમાં તણાઈ જવાનું ન હોય કારણ કે આ જ લોકો, પોતાના સીમિત અનુભવો તથા પોતાની સીમિત દ્રષ્ટિ તથા સમજને કારણે તમારી પાછળ ક્યારે ધોકો લઈને દોડવા લાગશે એ કંઈ કહેવાય નહીં. લોકો તમારા વિશે ગમે તેવી ભાષામાં બોલ્યા કરતા હોય એ પણ ધ્યાનમાં લેવાનું ન હોય. ઊલટાનું કહેવાનું હોય કે મારી ટીકાઓ થાય છે ત્યારે મને એમાંથી શીખવાનું મળે છે, હું મારા ટીકાકારોનો આભારી છું- આવું માત્ર કહેવાનું હોય (જો કંઈ કહેવું જ હોય તો) બાકી, બધા જ ટીકાકારો-વિરોધીઓ- અપમાન કરનારાઓ – મજાક ઉડાવનારાઓ – પથ્થર મારનારાઓ- વિઘ્નો ઊભા કરનારાઓનું મૂલ્ય તમારી જિંદગીમાં ટોયલેટમાં મૂકેલા ટિશ્યૂ પેપરના રોલ જેટલું જ છે એવું માનીને તમારે તમારું કામ આગળ ધપાવવાનું હોય, કોઈની ધમકીભરી રાડ સાંભળીને રોકાઈ જવાનું ન હોય.
આ એક વાત થઈ. હવે બીજી વાત.તમે શું માનો છો કે દેશના અબજોપતિ ઉદ્યોગપતિઓ રોજ તિજોરી ખોલીને પોતાની પાસે કેટલા પૈસા છે એની ગણતરી કરતા હશે? આજે મારી નેટવર્થ કેટલી વધી કે ઘટી, આજે હું ભારતના સૌથી શ્રીમંતોમાં કેટલામા નંબરે છું, એશિયામાં-દુનિયામાં કેટલામા નંબરે છું એવું પોતાના અકાઉન્ટ્સ વિભાગને પૂછ્યા કરતા હશે? દુનિયાનો કોઈ રિયલ શ્રીમંત આવું ન કરે. તેઓ પોતાનું કામ કરતા રહે, અવિરત. ધંધામાં નફો-નુકસાન તો ભરતીઓટની જેમ આવ્યા કરે. રોજ કંઈ પરચૂરણ ગણવા ન બેસાય. નાનો વેપારી કે દુકાનદાર રોજનો ગલ્લો ગણે એવું મૂકેશભાઈ ન કરે. એ પોતાનું કામકાજ કરતા રહે. હિસાબકિતાબ રાખવા માટે તો માણસો છે જ. પણ પોતે જે કરી રહ્યા છે તે બધું જ કંઈ માણસો પર ન છોડાય. ખૂબ કમાતા લોકો ક્યારેય ફિકર નથી કરતા કે આજે હું કેટલું કમાયો ને આજે મેં કેટલું ગુમાવ્યું. દરેક ક્વાર્ટર અને વરસના અંતે જ એની ફિકર કરવાની.આંકડાબાજીથી અને આંકડાઓની રોજેરોજની ગણતરીથી અને એને કારણે રોજેરોજ ઊભી થતી માનસિક અસરથી દૂર રહેવાનું. તો જ તમે તમારું ધાર્યું કામ કોઈ ફફડાટ વિના, કઈ લાલચ વિના, નક્કી કરેલા માર્ગે કરી શકો.
અમુક કામ હું હમણાં ને હમણાં નહીં કરી નાખું તો બીજું કોઈ કરી નાખશે, મારાથી આગળ વધી જશે, મારો બધો જશ એ લઈ જશે, પછી હું એનો કૉપીકેટ લાગીશ – આવી માનસિકતા પડતી મૂકવાની.
આ થઈ બીજી વાત. અને હવે ત્રીજી ને છેલ્લી વાત. ઉતાવળે આંબા ન પાકે અને ધીરજનાં ફળ મીઠાં એવી પચાસ કહેવતો વડીલો શીખવાડી ગયા. આ દરેકે દરેક કહેવતને જીવનનું સૂત્ર બનાવીને જીવનની પ્રત્યેક ક્ષણમાં વણી લેવાનું. દરેક કાર્યને આરંભથી અંત સુધી લઈ જવામાં નિશ્ચિત સમય લાગવાનો છે – જેવું કાર્ય. કામ કરવામાં ઝડપ રાખવી, નિયમિતતા જાળવવી અને સાતત્ય પણ રાખવું. પરંતુ ધીરજ ખોઈ બેસીએ એવા ઉતાવળિયા સ્વભાવથી કોઈ કામ ન થાય, ઊલટાનું કામ બગડે અને ફરીવાર કરવું પડે- સમય અને સંસાધન બેઉનો વ્યય થાય એમાં.
અમુક કામ હું હમણાં ને હમણાં નહીં કરી નાખું તો બીજું કોઈ કરી નાખશે, મારાથી આગળ વધી જશે, મારો બધો જશ એ લઈ જશે, પછી હું એનો કૉપીકેટ લાગીશ – આવી માનસિકતા પડતી મૂકવાની. તમે તમે છો, તમારું કામ યુનિક છે, તમારી દ્રષ્ટિ આગવી છે. ઉતાવળ કરીને તમારે તમારાં આ બધાં આગવાં લક્ષણોનો ભોગ આપી દેવાની જરૂર નથી. જ્યાં ઝડપ રાખવી જરૂરી છે ત્યાં રાખવાની જ છે. મંથર ગતિએ કે આળસ રાખીને કોઈ કામ ન થાય. પણ ધીરજ ગુમાવી દેવાથી તો કામ ઉલટાનું બગડે. અમુક કામ અમુક સમય લેવાનું જ છે એવું સ્વીકાર્યા વિના તમે જ્યારે એ કામને બહુ જલદી અંજામ સુધી લઈ જવાની કોશિશ કરો છો ત્યારે અડધે રસ્તે આવીને હાંફી જાઓ છો, એને ત્યાં ને ત્યાં જ છોડી દો છો. અધીરા બનીને ઉતાવળિયાં પગલાં ભરવાને બદલે નિયમિતતા જાળવીને કામમાં સાતત્ય જાળવીએ છીએ ત્યારે એક પછી એક કામ સુંદર રીતે આટોપાતાં જાય છે.
તમારી આસપાસના મહાનુભાવો, મહાનકાર્યો કરી રહેલી બધી જ હસ્તીઓ તમને ઘણું બધું શીખવાડી જતી હોય છે.
સાયલન્સ પ્લીઝ!
આસપાસ બનતી રહેતી દરેકેદરેક ઘટનાને તમારી કમેન્ટની જરૂર નથી હોતી.
—અજ્ઞાત
••• ••• •••
આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.
‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ
પ્રિય વાચકો,
ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.
તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.
‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.
વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.
‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.
આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.
કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)
‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.
તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.
દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.
‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.
‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.
‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/
Very nice article sir
સરસ લેખ સાહેબ…. વાત પણ 100% સાચી છે. આપનો લેખ વાચી પછી એમ લાગે હવે મારે પણ આજ પ્રકાર ની વૃતિ રાખવી જોઈએ… બીજે જ દિવસે સાહેબ આ ંમનોઉત્સાહ ઉતરી જાય છે… કારણ એક ડર નાસીપાસ થવાનો.. અને પછી સૌરભ શાહ ના લેખ ભુલી જવાય છે. આ એકલો જાને રે… ની હિમત સવાર માં હોય.. પછી હતા ત્યાં નાં ત્યાં…?. આભાર સાહેબ ?વંદન સાથે આપનો વાચક મિત્ર.