તમે શાંત સ્વભાવના છો કે પછી તમારી કમાન વારેઘડીએ છટકી જાય છે? : સૌરભ શાહ

રાજ કપૂરના ફેવરિટ ગીતકાર શૈલેન્દ્ર અકાળે ગુજરી ગયા હતા. શૈલેન્દ્રના પુત્ર શેલી શૈલેન્દ્રે પોતાના કવિપિતા વિશે એક વાત કહી હતી. (ઇંગ્લેન્ડના જાણીતા રોમેન્ટિક કવિ પર્સી શેલીના નામ પરથી શૈલેન્દ્રએ પોતાના દીકરાનું નામ પાડેલું). ગીતકાર શૈલેન્દ્ર બાળક પર ક્યારેય ગુસ્સે થતા નહીં. સંતાન ન કરવા જેવું કામ કરે કે કોઈ પ્રકારનું તોફાન કરે ત્યારે એને પાસે બોલાવતા પણ ધમકાવવાને બદલે પોતે જ રડી પડતા. પિતાનાં આ આંસુમાં લાચારીની વ્યથા વ્યક્ત થતી. બાળકો પોતાના કહ્યામાં ન હોય એનું એક કારણ એ તો ખરું જ કે એમના ઉછેરમાં ક્યાંક પેરન્ટ્સની ખામી રહી ગઈ છે.

અત્રિ અને અનસૂયાના પુત્ર દુર્વાસા મુનિનો ક્રોધ પુરાણકથાઓ દ્વારા વિખ્યાત છે. દુર્વાસામાં શિવનો અંશ હતો એવું મનાય છે. દુર્વાસાના આશીર્વાદથી કુંતીની કૂખે સૂર્યપુત્ર કર્ણનો જન્મ થયો, પણ દુર્વાસાના ક્રોધથી ભલભલાં દેવીદેવતાઓ ધ્રૂજતા. બિચારી શકુંતલાએ દુર્વાસાને થોડી રાહ શું જોવડાવી, મુનિશ્રીએ ક્રોધમાં આવીને કહી દીધું કે અણીના સમયે દુષ્યંત તને ભૂલી જશે.

મહાભારતમાં એક કથા આવે છે. દુર્વાસા એક વખત શ્રીકૃષ્ણના મહેમાન હતા. જમણ બાદ મુનિના પગ પાસે પડેલો થોડો એંઠવાડ સાફ કરવા પ્રત્યે ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન ગયું નહીં. ભગવાનની આવી બેદરકારીથી દુર્વાસા ક્રોધે ભરાયા અને કૃષ્ણ તથા યાદવોના જીવનનો ભયંકર ખરાબ અંત આવશે એવો શ્રાપ આપ્યો. દુર્વાસાના ક્રોધથી પ્રગટેલા શ્રાપને કારણે યાદવાસ્થળી સર્જાઈ જેમાં સૌ યાદવોનો સંહાર થયો. કૃષ્ણ ભગવાનનો પારધીના તીરે દેહોત્સર્ગ થયો.

શાંત સ્વભાવના માણસો વાતવાતમાં ક્રોધે ભરાતા નથી. નાનીમોટી અનેક અન્યાયકારી બાબતોને તેઓ સહન કરી લેતા હોય છે, પણ એમનો રોષ ભભૂકે છે ત્યારે બધું જ ભસ્મીભૂત કરીને તેઓ જંપે છે. બ્રિટિશ કવિ-નાટ્યકાર જૉન ડ્રાયડને સાચું જ કહ્યું હતું: બીવેર ધ ફ્યુરી ઑફ અ પેશન્ટ મૅન.

કશુંક અણગમતું થાય કે તરત પ્રથમ પ્રતિક્રિયા એ ન ગમતી ઘટનાના પ્રતિકારની આવે. આ પ્રતિકાર એટલે જ ગુસ્સો કે ક્રોધ. જિંદગીમાં એવા કેટલાય માણસો તમે જોયા હશે જેઓ વાતવાતમાં ગુસ્સે થઈ જતા હોય. એની સામે એવી પણ કેટલીય વ્યક્તિઓ જોઈ હશે જેમની પાસે ગુસ્સે થવાનાં સજ્જડ કારણો હોય છતાં તેઓ ઠંડે કલેજે અને પ્રસન્નચિત્તે બેસી રહે.

ગુસ્સો ખોટી રીતે વગોવાઈ ગયો છે. જાહેર જીવનમાં તેમ જ અંગત જીવનમાં એ માત્ર ઉપયોગી જ નથી, અનિવાર્ય પણ છે. ક્યાંક કશુંક ખોટું થતું હોય ત્યારે માણસને ગુસ્સો ન આવે તો માની લેવું કે એની માનસિકતા નાન્યતર જાતિની છે. અન્યાય થતો જોઈને લોહીનું ઊકળવું સ્વાભાવિક છે. ક્રાન્તિઓ આવા ગુસ્સામાંથી જ સર્જાતી હોય છે. ચૂપચાપ સહન કરી લેવાની વૃત્તિને સહનશીલતા કે ધીરજના ઉચ્ચ આસને બેસાડી શકાય નહીં. ‘એમાં મારા કેટલા ટકા’ વાળી ઍટિટ્યુડ દ્વારા પોતાની સામાજિક જવાબદારી ફંગોળી દેનારાઓ ગુસ્સાને વગોવે છે. આવા લાખો લોકોમાંથી જ્યારે કોઈ એક જણ ઊભો થઈને આક્રોશ વ્યક્ત કરતાં વિરોધના સૂરમાં કહે છે કે જે ખોટું થઈ રહ્યું છે તે હવે અટકવું જોઈએ ત્યારે એને ટપલાં મારીને બેસાડી દેવાની ચેષ્ટાઓ થાય છે. એની વિરુદ્ધ બેફામ આક્ષેપબાજીનું વાતાવરણ સર્જાય છે, એને બદનામ કરવા માટેનો પ્રચાર કરવાનું ષડ્યંત્ર રચાય છે. પોતાની માનસિક નિર્વીર્યતાને ખુલ્લી પડી જતાં જોઈ ન શકનારા લોકો ક્રોધ દ્વારા વ્યક્ત થઈ જતી કોઈકની ખુમારીને, મર્દાનગીને, એના શૌર્યને સહન કરી શકતા નથી.

જાહેરજીવનમાં ગુસ્સો વ્યક્ત કરવાની એક તરાહ હોય. આવેશમાં આવીને જેમતેમ બોલી નાખીને વ્યક્ત થતો ગુસ્સો ગમે તેટલો સાચો પણ હોય તોય એ વેડફાઈ જાય. આવી તક ગુમાવી દેવાથી બે રીતનું નુકસાન થાય. ગુસ્સો કરનારની જેન્યુઈનનેસ ઢંકાઈ જાય અને જેઓ ગુસ્સાને પાત્ર છે તેઓને આરોપી મટીને ફરિયાદી બનવાની તક મળી જાય.

અંગત જીવનના ગુસ્સાની બાબતમાં પણ લગભગ આ જ માપદંડો લાગુ પડે. વ્યક્તિ સાથે વ્યવહાર દ્વારા કે લાગણી દ્વારા જોડાયેલી અન્ય વ્યક્તિઓ સામે ગુસ્સો ન જ કરવો એવું ન કહી શકાય. સામેની વ્યક્તિ કશુંક ખોટું કરતી હોય ત્યારે એના હિતમાં ગુસ્સો કરવો પડે. સામેની વ્યક્તિઓ તમને અન્યાયકર્તા વર્તણૂક દેખાડતી હોય ત્યારે પણ ગુસ્સો કરવો પડે, પણ આવો ગુસ્સો જેમતેમ બોલી નાખવાથી કે ઘાંટા પાડીને દલીલો કરવાથી વેડફાઈ જવાનો. ગુસ્સો કરવાનો કોડ ઑફ ક્ધડક્ટ કોઈએ નક્કી નથી કરી આપ્યો એટલે દરેક વ્યક્તિએ પોતાની જાતે જ એના નિયમો બનાવી લેવા પડે.

મગજ તપી જાય કે માથું ફાટફાટ થાય એવી પરિસ્થિતિમાં ઈન્સ્ટન્ટ ગુસ્સો પચવામાં ભારે સાબિત થાય. વાસ્તવમાં એ ગુસ્સો નહીં, આવેશ હોય છે. નકરી ઈન્સ્ટન્ટ પ્રતિક્રિયા-બીજું કશું જ નહીં. અંગત જીવનમાં પણ ગુસ્સો વ્યક્તિનિરપેક્ષ બનવો જોઈએ અર્થાત્ સામેની વ્યક્તિ કશુંક ખોટું કરી રહી હોય ત્યારે ‘તમે તો છો જ આવા’ એવા શબ્દો વાપરીને આખેઆખી વ્યક્તિને ઝપટમાં ન લેવાની સાવચેતી રાખીને ગુસ્સાને વસ્તુલક્ષી કે મુદ્દાલક્ષી બનાવી શકાય. આ ચોક્કસ બાબત વિશેનું તમારું વર્તન ન ગમ્યું. આ ખાસ પ્રસંગે તમે જે નિર્ણય લીધો તે બરાબર નહોતો. કે પછી તમારા વ્યક્તિત્વની આટઆટલી બાબતો સાથે હું બિલકુલ સહમત થઈ શકું એમ નથી: આવું કહીને તમારા ગુસ્સાને સંસ્કારી બનાવી શકાય.

ગુસ્સો કાબૂમાં કેવી રીતે રાખવો?

માનસશાસ્ત્રીઓએ દસ વિવિધ ઉપાયો સૂચવ્યા છે. આમાંથી કોઈપણ એક ઉપાય કે એક કરતાં વધુ ઉપાયોનું કૉમ્બિનેશન ઉપયોગી પુરવાર થઈ શકે. શક્ય છે કે આ બધા ઉપાયો ભૂલીને તમે તમારી આગવી રીતે ક્રોધનું નિવારણ કરવાની યુક્તિ શોધી શકો:

૧. ગુસ્સો આવે ત્યારે તાત્કાલિક એ સ્થળ, વાતાવરણ કે વ્યક્તિથી દૂર થઈને કોઈક ગમતા કે પછી ન્યુટ્રલ વાતાવરણમાં અથવા ગમતી કે ન્યુટ્રલ વ્યક્તિ પાસે જતા રહેવું.

૨. ખોરાક, આરામ, પ્રવાસ, ઊંઘ, સંગીત, ગમતી પ્રવૃત્તિ, શાંતિ, પ્રાકૃતિક સ્થળોની મુલાકાત વગેરેથી ક્રોધ શાંત થઈ શકતો હોય છે.

૩. ક્રોધ પ્રગટાવતી ઘટનાઓની વિગતવાર નોંધ પર્સનલ ડાયરીમાં કરી રાખવી.

૪. પોતાની જાત પર એવું બંધન લાદવું કે મને મારો ગુસ્સો રોકવામાં સફળતા મળશે ત્યારે હું મારી અમુક ચોક્કસ મનગમતી ચીજ હું મને આપીશ અને ગુસ્સો રોકી ન શકાય ત્યારે એનાથી વંચિત રહીશ.

૫. કોઈકની, ખાસ કરીને મનગમતી વ્યક્તિની, વર્તણૂકની પ્રતિક્રિયારૂપે આવતા ક્રોધમાંથી પ્રગટતા શબ્દો એ વ્યક્તિને ગુસ્સામાં કહેવાને બદલે ગુસ્સો શાંત થઈ ગયા પછી એ જ વાત હસતા હસતા કહી શકાય.

૬. આ જિંદગી, આ દુનિયા અને આસપાસના તમામ લોકો આપણી ઈચ્છા મુજબ ચાલે એ અશક્ય છે. આટલું સત્ય સ્વીકારીને મન ઘણું સ્વસ્થ બની શકે.

૭. ક્રોધ પ્રગટ થશે તો એનાં માઠાં પરિણામ કયાં કયાં આવશે એ વિશે વાકેફ રહેવું.

૮. વ્યાયામ, યોગાસન, ધ્યાન, સ્નાયુઓ હળવા કરવાની રિલેક્સેશનની કસરતો વગેરેથી મનને કાબૂમાં રાખવાના પ્રયત્નો કરવા.

૯. નજીકની વ્યક્તિઓને ક્રોધ કાબૂમાં રાખવા સાથે લઈ શકાય. એમને કહી દેવાનું કે અમુક વ્યક્તિની અમુક બાબતે હું સખત ગુસ્સે છું. અને તમારો સાથ લઈને ગુસ્સાને કાબૂમાં રાખવા પ્રયત્નશીલ છું. અણીને સમયે મન હળવું કરવાથી પણ ફાયદો થતો હોય છે.

૧૦. ક્યારેક માણસ પોતાની અસમર્થતા બીજા આગળ તેમ જ પોતાની સમક્ષ ઉઘાડી પડી જતાં ક્રોધે ભરાય છે. ઈચ્છિત વસ્તુ ન મળવાથી ક્રોધ ભરાતો હોય છે. આવા સમયે ક્ષણભર રોકાઈને વિચારવું કે ઈચ્છિત વસ્તુ મેળવવાની આપણી પાત્રતા છે? અને જો એવું લાગતું હોય કે હા, પાત્રતા છે તો વિચારવું જોઈએ કે કઈ પરિસ્થિતિ એ વસ્તુને નજીક આવતા રોકી રહી છે? એ પરિસ્થિતિ પર આપણો કાબૂ છે? અસમર્થતા પ્રગટ થઈ જતાં જે હતાશા ઘેરી વળે છે તે ક્રોધરૂપે પ્રગટ થાય છે. આવા સમયે આપણી અસમર્થ પરિસ્થિતિ શેના કારણે સર્જાઈ તે સમજીને એનો સ્વીકાર કરવો જોઈએ.

ગુસ્સો દાબવો નહીં, માત્ર ખાળવો અને કોઈક બીજા રસ્તે વાળી દેવો. દાબી દીધેલો ગુસ્સો શક્ય છે કે કોઈક અન્ય પ્રકારે ફૂટી નીકળે. મનમાં ધૂંધવાયા કરવાને બદલે એ ધુમાડો બહાર નીકળી જાય એ જ સારું. પણ વધારે સારું એ કે બહાર નીકળતો આ ધુમાડો ચારેકોર પ્રસરી જાય એ રીતે બહાર નીકળે એને બદલે ચીમની કે ધુમાડિયા વાટે ફેંકાઈ જાય. જેમની પાસે આવી ચીમની નથી હોતી એમના વ્યક્તિત્વની દીવાલો પેલા પ્રસરી જતા ધુમાડાની મેશથી કાળી બની જતી હોય છે. દરેક ઘરમાં જેમ એક મોરી કે ખાળ હોવી જરૂરી છે એવી રીતે દરેક માણસમાં આવી ચીમની પણ અનિવાર્ય છે.

સાયલન્સ પ્લીઝ!

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ;

અમે કમભાગી કે ના કંઈ પણ દઈ અમને દોડાવ્યા

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત

સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા

– મનોજ ખંડેરિયા

( લાઉડમાઉથ : ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 13 જુલાઈ 2022)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

5 COMMENTS

  1. શું લખીયે સૌરભ ભાઈ!
    તારીખ સિવાય : 02-08-2022 (શ્રાવણ શુક્લ પાચમ)

    સાહેબ યોગે તમારું તમારી સાથે યોજન કર્વ્યું હોય એવું
    પ્રતીત થાય છે. ખૂબ જ તાજગી સભર આલેખન.

    —_—

    સૌરભ ભાઈ,
    નાં દેરખ લેખ લોક ની નાડ માં પહોંચે.

    આજ નાં સટિક, સરળ અને નોખા લેખ માટે
    આભાર સાથે સાધુવાદ.

  2. ચારપગા જેવુ કરવુ, થોડુક સહન કરવુ પછી સજ્જડ લાત મારી દેવી

  3. તમારી વિદ્વતા, હકારાત્મક અને સરળ – સચોટ રજૂઆત શૈલી ને કારણે તમામ લેખો વાંચવા ખુબજ ગમે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here