લોકો તો આવું કહે છે… : સૌરભ શાહ

(તડકભડકઃ ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, ભાદરવા સુદ છઠ, વિક્રમ સંવત ૨૦૭૭. રવિવાર, 12 સપ્ટેમ્બર 2021)

તમારે જ્યારે પોતાના નામનું બિલ ન ફાડવું હોય ત્યારે તમે તમારા અભિપ્રાયોને લોકોના નામે ચડાવી દો છો—લોકો આવું કહે છે, લોકોમાં આવી વાત ચાલે છે, લોકો આવું માને છે.

આપણા પૂર્વગ્રહો અને અભિપ્રાયો અંગત નથી પણ સમાજમાં સર્વવ્યાપી છે એવી છાપ ઊભી કરવા આપણે લોકોનો સહારો લેતા હોઈએ છીએ. અમુક જાતિના કે અમુક પ્રદેશના કે અમુક દેશના કે અમુક વ્યવસાયના માણસો માટે તમને દ્વેષ હોય કે પછી ક્યારેક સારોનરસો અનુભવ થઈ ચૂક્યો હોય ત્યારે માની બેસો છો અને કહેતા ફરો છો કે પેલા રાજ્યના લોકો તો આવા જ હોય, ફલાણી ભાષા બોલનારાઓ તો તેવા જ હોય. શું તમે જોવા ગયા છો કે પેલા પ્રદેશના બધા જ લોકો આવા હોય છે? કોઈ સર્વે કરાવ્યો છે તમે? એ પ્રદેશમાં રહેતા પાંચ કરોડ લોકોમાંથી તમને કેટલાનો અનુભવ થયો? પાંચ, પચાસનો? એ પણ નહીં. તમે જે પ્રચલિત માન્યતાઓ છે એને જ દોહરાવીને તમારામાં પંડિતાઈ આવી ગઈ છે એવો દેખાડો કરતા ફરો છો.

કોઈ એકાદબે વ્યક્તિના કડવા અનુભવ પછી તમે એના આખા પ્રદેશ કે એની માતૃભાષાના તમામ લોકો કે એના જેવો વ્યવસાય કરનારા બધાને ઝપટમાં લઈ લો છો —આ લોકો તો આવા જ હોય. આડેધડ સર્વવ્યાપી વિધાનો કરવાની ટેવ પડી ગઈ છે. તમને લાગે છે કે આવું બોલવાથી તમે કેટલા અનુભવી અને સમજુ છો એવી છાપ પડશે. તમે જમાનો જોયો છે, પીઢ છો એવું બીજાઓ માનશે. તમને ક્યારેય વિચાર જ નથી આવતો કે બીજાઓ તમને દ્વેષીલા, પૂર્વગ્રહયુક્ત- બાયસ્ડ કે છીછરા અને બિનભરોસાપાત્ર ગણશે.

ક્યારેક તમારામાં હિંમત નથી હોતી ખુલ્લેઆમ ટીકા કરવાની. કોઈ વ્યક્તિ વિશે તમારે ખરાબ બોલવું છે—કારણ ગમે તે હોય પણ ઊંધુંચત્તું બોલવું છે—એના વ્યવહારો વિશે, ચારિત્ર્ય વિશે કે પછી સ્વભાવ વિશે. પણ જેની આગળ તમે તમારો અભિપ્રાય પ્રગટ કરો છો એ બીજા કોઈની પાસે તમે કહેલા શબ્દો ઠાલવી દેશે તો તમારું કેવું લાગશે એનો તમને ડર હોય છે. ડર એટલા માટે હોય છે કે તમને ખબર છે કે તમે જે અભિપ્રાય આપી રહ્યા છો એમાં કોઈ વજૂદ ન હોય એવું બને, તમે ભોંઠા પડી જાઓ એવું બને અથવા જેના વિશે આવું કહી રહ્યા છો એના સુધી તમારો અભિપ્રાય તમારા નામે પહોંચે તો એ એનો બદલો લે અથવા તો પોતાની ગુડ બુક્સમાંથી તમારું નામ છેકી કાઢે એવું બને.

એટલે તમે તમારો અભિપ્રાય ‘એ માણસ આવો છે’ કહીને પ્રગટ કરવાને બદલે કહો છોઃ ‘લોકો એવું કહે છે કે એ માણસ તો આવો છે’ અથવા ‘મેં સાંભળ્યું છે કે એ માણસ આવો છે, બાકી આપણને કંઈ ખબર નથી’ અથવા ‘હમણાં જ કોઈક મળ્યું હતું અને કહેતું હતું કે એ માણસ આવો છે.’

ક્યારેક કોઈક થર્ડ પર્સન કે જેની સાથે તમારે કોઈ લેવાદેવા ન હોય, કોઈ જાહેર વ્યક્તિ કે જેને તમે ક્યારેય મળ્યા ન હો, મળવાના પણ ન હો – એવી તમારી પહોંચ ન હોય – એના વિશે તમે બોલતા હો છો કે, ‘ફલાણી વ્યક્તિ માટે પબ્લિકનું પર્સેપ્શન હવે પહેલાં જેવું નથી રહ્યું. એમના વિરુદ્ધ ઘણા લોકોને ફરિયાદ છે. પબ્લિકની આંખમાંથી એ ઊતરી ગયા છે, સાવ ફેંકાઈ ગયા છે.’
આવું બોલનારાઓને તમે ચૅલેન્જ કરો તો બહાર આવશે કે આ એમનું અંગત પર્સેપ્શન છે, એમનો અંગત નજરિયો છે, એમનો પોતાનો અભિપ્રાય છે. આવા લોકોને ઉઘાડા પાડવા માટે એટલું જ પૂછવાનું : તમને કોણે કહ્યું કે એમના વિશે આવું પર્સેપ્શન છે કે એમની લોકપ્રિયતા ઘટતી જાય છે કે એ સાવ ફેંકાઈ ગયા છે.

જવાબ મળશેઃ ‘મારે એક જણ સાથે વાત થતી હતી ત્યારે એવું કહ્યું.’ ‘તો એ તમારો અંગત અભિપ્રાય થયો ને?’ ‘ના, પણ એમણે પણ આ જ વાત કરી.’ ‘તો પછી એ તમારા બે જણનો અભિપ્રાય થયો – પબ્લિક આમાં વચ્ચે ક્યાંથી આવી?’ ‘પણ એ તો કહેતા હતા કે એ કોઈ પ્રવચનકારે મોટી સભામાં આ વાત કરી હતી’ ‘તો આ અભિપ્રાય તમારા બેનો વત્તા પેલા પ્રવચનકારનો થયો.’ ‘અરે પણ મીડિયામાંય એમના વિશે આવું લખાય/બોલાય છે.’ ‘કયા મીડિયામાં? તમે ભારતમાં પ્રગટ થતા અખબારોમાંથી કેટલા વાંચો છો? કેટલી ટીવી ચેનલો જુઓ છો?’ ‘જુઓને, મારે ત્યાં રોજ આ બે છાપાં આવે છે અને ફલાણી પાંચ ચેનલો જોયા વિના મને ચેન ન પડે.’

તો આ અભિપ્રાય મીડિયાના કેટલાક અંશનો, એક પ્રવચનકારનો તથા તમારા મિત્ર તેમજ તમારા પોતાનો થયો – એને પબ્લિક પર્સેપ્શન ન કહેવાય. 130 કરોડમાંથી 50 કરોડ લોકો પણ આવું કહેતા કે માનતા હોય તો કદાચ એને પબ્લિક પર્સેપ્શન કહી શકીએ જ્યારે અહીં 50 કરોડ તો શું, પાંચ કરોડ કે પાંચ લાખ પણ જવા દો – માત્ર પાંચ-પચ્ચીસ લોકો પાસેથી તમે વાત સાંભળી છે – કદાચ એટલાય નહીં હોય અને જે કોઈ હશે તે તમારી આસપાસનાઓ હશે. એમના કે તમારા અભિપ્રાયોને તમે આખા સમાજના કે આખા દેશના અભિપ્રાય તરીકે બીજાઓના ગળે ઉતારવા માગતા હો તો એવી હરકત કરવાનું રહેવા દો. જે કંઈ કહેવું હોય તે—આ મારી અંગત માન્યતા છે— એવું સ્પષ્ટ કરીને કહો અથવા તો ચોક્કસ કઈ વ્યક્તિ કે એક્ઝેટ કયા છાપામાં કે કઈ ટીવી ચેનલ દ્વારા તમને આવું કહેવામાં આવ્યું છે તે ટાંકીને બીજાઓ સુધી વાત પહોંચાડો અન્યથા તમે તમારી વિશ્વસનીયતા ગુમાવી બેસશો અને તમારા અભિપ્રાયોનું મૂલ્ય ગામના ચોરા પર કે શહેરની કિટલી પર ઊભેલા ચાર નવરા લોકોની ચર્ચા જેટલું જ ગણાશે.

હિંમત હોય તો આપણા અંગત અભિપ્રાયોની અને આપણી અંગત માન્યતાઓની જવાબદારી આપણે પોતે લઈએ. પછી એનું જે પરિણામ આવે તે. આપણી આસપાસ જે કંઈ બોલાતું હોય તેને પબ્લિક પર્સેપ્શન માનીને, તેને બહુજન સમાજનો અભિપ્રાય માનીને બીજાના ખભા પર બંદૂક મૂકીને ફોડીશું તો કાયર, ડરપોક અને બીકણ ગણાઈશું.

પાન બનાર્સવાલા

જે કંઈ કામ પ્રસન્નતાપૂર્વક કરશો એ કામનો થાક નહીં લાગે અને હસતાં-રમતાં પૂરું થઈ જશે
-સદ્‌ગુરુ

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. છેલ્લે “પાન બનાર્સવાલા” એ જોડણીની ભૂલ છે કે ઇરાદાપૂર્વક લખાય છે…??

    • ઇરાદાપૂર્વક!
      બનારસનો ઉચ્ચાર બનાર્સ કરવામાં નશો છે, ત્યાંના પાનને મોઢામાં મૂકવા જેવો જ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here