સ્વામી રામદેવના યોગગ્રામમાં પહેલા દિવસનો અનુભવ કેવો રહ્યો : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ફાગણ અમાસ, વિક્રમ સંવત ૨૦૭૮. શુક્રવાર, ૧ એપ્રિલ ૨૦૨૨)

છેવટે એ દિવસ આવી ગયો. આજે સવારે અગિયાર વાગ્યે હરદ્વારના નિરામયમ-યોગગ્રામના આંગણે પહોંચી ગયા. મુખ્ય દરવાજાની બહાર સિક્યુરિટીના ગેટ પર ડબલ વેક્સિનેશનનું સર્ટિફિકેટ બતાવ્યું એટલે અડધું કામ પૂરું થયું. મેં જોયું કે બીજા કોઈક ગ્રુપમાં એક જણ પાસે વેક્સિનનું સર્ટિફિકેટ હતું પણ ફોનમાં મળતું નહોતું એટલે એમને ત્રીસ કિલોમીટર દૂર હરદ્વાર પાછા જઈને હૉસ્પિટલમાંથી RTPCR ટેસ્ટ કરાવીને આવવાનું કહ્યું. રેપિડ એન્ટિજન ટેસ્ટ તો જ કરી આપે જો વેક્સિન સર્ટિફિકેટ હોય. અમારો રેપિડ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી અમારા માટે દરવાજા ખુલી ગયા. ટેક્સીમાં ખડકેલો સામાન રૂમ સુધી લઈ જવા માટે ઇલેક્ટ્રિક રિક્શા આવી ગઈ. આ સેવા અહીં આવનારાઓ માટે નિઃશુલ્ક છે. સામાન લઈને રિસેપ્શન પર આવ્યા પછી પંદરેક મિનિટ લાંબી પ્રવેશ વિધિ પૂરી કરીને તાબડતોબ અમને અહીંના મુખ્ય ડૉક્ટર પાસે મોકલવામાં આવ્યા. (અત્યારે રાતના સાડા નવ થયા છે. દસ વાગ્યે સૂઈ જવાનું કમ્પલસરી છે. પણ આજની દિનચર્યા વિશે તમને જણાવતાં જણાવતાં અગિયાર તો સહેજે વાગશે.)


છેલ્લા થોડા દિવસોથી મારા એક નવા આવી રહેલા પુસ્તકનું ફાઈનલ એડિટિંગ કરી રહ્યો હતો જેનું થોડુંક જ કામ બાકી હતું. જો પૂરું ન કરું તો બીજા પચાસ દિવસ મોડું થઈ જાય અને પ્રિન્ટિંગનો શેડ્યુલ ખોરવાઈ જાય. બ્રાહ્મમુહૂર્તમાં એ કામ હાથમાં લીધું. પૂરું કરીને કુરિયરનું પેકેટ તૈયાર કરી દીધું. સવાર પડી ગઈ હતી. હવે સૂવાનો કોઈ સવાલ જ નહોતો. આખી રાત ઉજાગરો કરીને કામ કરવાની ટેવ છૂટી ગઈ હતી. વર્ષો પછી કામ માટે ઉજાગરો કર્યો હોવા છતાં એકદમ તાઝગી લાગતી હતી.

ભગવાનનું નામ લઈને ઘરેથી નીકળ્યા અને નિર્વિઘ્ને દહેરાદૂન થઈને સાંજ પહેલાં હરદ્વાર પહોંચી ગયા. નિરામયમ-યોગગ્રામ હરદ્વાર શહેરથી કલાકેકના અંતરે છે. અગાઉની માહિતી મુજબ દસ-બાર કિલોમીટરના અંતરે છે એવી ગણતરી હતી. પણ વધારે દૂર છે. સાંજે હરદ્વારમાં હર કી પૌડી પર જઈને ગંગાજીનાં દર્શન કરી મોહનજીની વર્લ્ડ ફૅમસ દુકાન પર જઈને પૂરીભાજીનો નાસ્તો કર્યો. વેરી વેરી ટેસ્ટી. સારાં ઓશીકાં અને ઓઢવા-પાથરવા માટે તેમ જ યોગાસન કરતી વખતે ગાદી પર પાથરવા માટે ઘરની ચાદરો હોવી જોઈએ એવું મને ઘણા વખતથી લાગતું હતું. તે જ વખતે નક્કી કર્યું હતું કે એ બધું મુંબઈથી ઉપાડીને નથી લઈ જવું. હરદ્વારથી ખરીદી લઈશું. હરદ્વારમાં પૂછતાં પૂછતાં એક સારી દુકાન મળી ગઈ. વાજબી ભાવે ઉત્તમ ક્વૉલિટીવાળું બધું જ મળી ગયું. રાત્રે હૉટેલના રૂમ પર પાછા આવીને એવી ઘસઘસાટ ઊંઘ આવી ગઈ કે સીધા પરોઢિયે ચાર વાગ્યે આંખો ખુલી. રૂમમાંથી જ ગંગાજીનાં દર્શન થતાં હતાં. મુંબઈમાં મોડી રાત સુધી ટ્રાફિક વગેરેનો અવાજ સુષુપ્ત રીતે પણ તમને હેરાન કરતો હોય છે. ખલેલ વગરની ઊંઘ વર્ષો પછી મળી. સવારે સાડા છ વાગ્યે ગંગાકિનારે ચાલવા નીકળ્યા. ચાલતાં ચાલતાં એટલી મઝા આવી કે આઠ વાગ્યે નીકળીને નવ વાગ્યે યોગગ્રામ પહોંચવાના કાર્યક્રમમાં કલાક -બે કલાક મોડું થશે તો કોઈ વાંધો નહીં પણ આ લહાવો છોડવો નથી એવું નક્કી કરી નાખ્યું.

હૉટેલથી હર કી પોડી ચાલતાં જતાં હતાં – ડાબે હાથે ગંગાજી અને જમણે હાથે રિવરફ્રન્ટની સુવિધાજનક સડક. અચાનક એક જગ્યાએ ખુલ્લામાં ખુરશી-આયનો ગોઠવેલી ‘મોબાઈલ હેરકટિંગ સલૂન’ જોઈ. અગાઉ ક્યારેય આવી રીતે ન તો વાળ કપાવ્યા છે, ન તો દાઢી કરાવી છે. ઝાઝો વિચાર કર્યા વિના બેસી ગયો. વાળ કપાવવાની તો જરૂર નહોતી. કોરોનાનાં બે વર્ષ દરમ્યાન સલૂનમાં ગયો નહોતો અને ખાસ્સો ચોટલો બાંધતો થઈ ગયો હતો. તે કપાવીને વાળ અગાઉના જેવા કરી નાખ્યા હતા. પછી હરદ્વાર જવાનું નક્કી થયું એટલે હેર ડ્રેસર પાસે ફરી જઈને કહ્યું કે લાંબા ગાળા માટે મુંબઈની બહાર જવું છે તો વાળ એવી રીતે કાપી આપો કે ત્રણેક મહિના સુધી વધે તો વાંધો ન આવે. દાઢી ટ્રિમ કરાવવાનું રહી જતું હતું. ગંગાકિનારે ગંગાજળ મોઢા પર ચોપડીને દાઢી ટ્રિમ કરાવી લીધા પછી હર કી પૌડી જઈને ફરી મોહનજીની દુકાન પર સવારના નાસ્તામાં ખસ્તા કચોરીનો સ્વાદ લીધો. સુપર્બ.

હર કી પૌડી પર આટલી વહેલી સવારે યાત્રાળુઓની ભીડ જુઓ તો મઝા આવી જાય. લોકો શ્રદ્ધાપૂર્વક, શાંતિથી, કોઈ ધમાચકડી આવ્યા વિના ગંગાસ્નાન કરતા દેખાય. અમુક લોકો અસ્થિ વિસર્જન માટે આવ્યા હોય. અમુક પિંડદાન માટે તો અમુક બાધા ઉતરાવવા માટે નાના બાળકને સાથે લાવ્યા હોય. હરિનું દ્વાર છે આ. અહીંથી આગળ જાઓ એટલે ઉત્તર ભારતનાં, ચારધામ સહિતનાં, અનેક તીર્થસ્થળો આવે. ભવિષ્યમાં હરદ્વારની બાજુમાં જ આવેલા ઋષિકેશ જઈને ગંગાકિનારે બેસીને ઘણા વખતથી પ્લાન કરેલી એક થ્રિલર નવલકથા લખવાની ઇચ્છા છે. જોઈએ ક્યારે પૂરી થાય છે.

યોગગ્રામની ઑફિસમાંથી ફોન આવી ગયો કે ‘આજથી તમારા નામનું બુકિંગ છે, કેટલા વાગ્યે આવો છો?’ મેં કહ્યું, ‘નવને બદલે અગિયાર વાગ્યે પહોંચું છું.’ ‘જલદી આવજો, ડૉક્ટર સાડા બાર સુધી જ મળશે ,મોડા આવશો તો કાલે જ મળી શકાશે.’

ડૉ. આકાશ અહીંના મુખ્ય ડૉક્ટર છે. યુવાન છે. ખૂબ ભણેલા અને અનુભવી છે. હું અહીં પૂરા પચાસ દિવસ માટે રહેવા આવ્યો છું એ જાણીને એમને મારામાં રસ પડ્યો. નૉર્મલી લોકો અઠવાડિયા દસ દિવસનો પ્રોગ્રામ કરીને આવતા હોય છે. બહુ બહુ તો ત્રણ અઠવાડિયાં. કોઈકને બહુ જ ક્રોનિક બીમારી હોય તો મહિનો દોઢ મહિના માટે આવે. મારે તો એવી કોઈ ગંભીર કે ક્રોનિક બીમારી નહોતી છતાં અહીં પચાસ દિવસ રહેવાનું કેમ નક્કી કર્યું? ડૉક્ટરે પૂછ્યું. મેં આવતા ચાળીસ વર્ષ સુધી કામ કરતાં રહેવાનો મારો કાર્યક્રમ સમજાવ્યો. એમણે મારો વ્યવસાય પૂછ્યો. એ ખુશ થયા. મારી આ લેખમાળા હિંદીમાં પણ મૂકાશે એ જાણીને વધારે ખુશ થયા મારા હિંદી વૉટ્‌સઍપ ગ્રુપમાં એમને પણ ઉમેરવાના છે અને રિસેપ્શનમાં જે સંજયભાઈ મળ્યા એ તો બાર વર્ષ ગુજરાતમાં રહી ચૂક્યા છે. ગુજરાતી શીખવા માટે ‘સંદેશ’ પણ વાંચતા હતા. એમને તો ગુજરાતી અને હિન્દી બેઉ વૉટ્‌સએપ ગ્રુપોમાં જોડાવું છે.

ડૉક્ટરસાહેબે ધીરજથી મારી બધી વાત સાંભળી. સાત વર્ષ પહેલાં સ્મોકિંગ અને ત્રણ-ચાર વર્ષ પહેલાં પીવાનું છોડી દીધું છે એ જાણીને એમને શ્રદ્ધા બેસી કે અહીંના આહાર- યોગ વગેરેના તમામ નિયમોનું હું ચુસ્તપણે પાલન કરી શકીશ. મેં એમને કહ્યું હતું કે તમારે મારી પાસે જેટલી કડક પરહેજી પળાવવી હોય એટલી પળાવો, જે કંઈ કઠોર યોગાસન-વ્યાયામ કરાવવાં હોય તે કરાવો, મારે અહીં કાયાકલ્પ (અને સાથે માયાકલ્પ) કરીને પાછા જવું છે. ડૉક્ટરે હસીને કહ્યું, ‘તમે બિલકુલ સ્ટ્રેસફ્રી થઈ જાઓ. અહીં તમારે કોઈ તકલીફ સહન કરવાની નથી. તમે રિલેક્‌સ્ડ મૂડમાં રહેજો, બસ. બાકીની બધી જવાબદારી અમારા લોકો પર છોડી દેજો.’

ડૉક્ટરને મળી લીધા પછી એમણે આપેલા ચાર્ટ મુજબ રોજ શું ખાવાનું, ક્યારે ખાવાનું, કેટલું ખાવાનું તેનો પ્લાન આગામી ચાર દિવસ માટે નક્કી થઈ ગયો. પછી પ્રોગ્રેસ જોઈને એમાં જરૂરી ફેરફારો થશે. ટ્રીટમેન્ટ વગેરેની યાદીમાંથી મારા માટે કઈ કઈ જરૂરી છે તેની યાદી પણ કૉમ્પ્યુટરાઈઝ્ડ ચાર્ટમાં ઉમેરવામાં આવી. આ ચાર્ટ હંમેશાં જ્યાં જાઓ ત્યાં સાથે રાખવાનો જેથી તમને શું ખવડાવવું અને ક્યારે કઈ ટ્રીટમેન્ટ આપવી તેની સામેવાળાને ખબર પડે.

બપોરના ભોજનનો સમય અહીં સાડા અગિયારથી સાડા બાર વચ્ચેનો છે. ભોજનાલયમાં પહોંચ્યા ત્યારે એક વાગી ગયો હતો. ત્યાં પહોંચીને અમારો ચાર્ટ જોઈને એમાં લખ્યા મુજબ અમને વેલકમ ડ્રિન્ક આપવામાં આવ્યું —કારેલાંનો જયુસ! સ્ટ્રૉબેરી મિલ્કશેક વિથ આઈસ્ક્રીમ અને આખો ફાલુદા (અડધો નહીં) ના શોખીન જીવ માટે આથી વધુ સુખદ વેલકમ ડ્રિન્ક બીજું કોઈ હોઈ શકે જ નહીં.

જમવામાં ટામેટાંનો સૂપ. અતિ સાત્વિક રીતે બનાવેલો, જીરૂં નાખેલો. સ્વાદિષ્ટ હતો. પછી બે નાના ગરમાગરમ પાતળા રોટલા (રાગી, જવ અને અન્ય કેટલાક લોટમાંથી બનેલા)ની સાથે કોફતા કરી અને મિક્સ વેજ (પનીર, ગાજર, કોળું, મશરૂમ) સાથે ટમાટરની ચટણી અને સ્વામી રામદેવે શોધેલી એલોવિરા (કુંવારપાઠું), ફણગાવેલી મેથી તથા કાચી હળદરમાંથી બનેલી બીજી ચટણી. નો રાઈસ, નો આચાર, નો પાપડબાપડ. પણ બધું જ ખાવાનું અતિ સ્વાદિષ્ટ. ઓછું નમક અને નહિવત મસાલા, તેલ તો બિલકુલ જ નહીં. છતાં સવારે અને આગલી સાંજે હર કી પૌડી પર મોહનજીની દુકાને જઈને જે ચટપટા નાસ્તા કર્યા હતા એવો જ ટેસ્ટી મામલો. લોકો સાત્વિક ભોજનને નકામા વગોવે છે.

જમ્યાના પંદર મિનિટ પછી ગરમ પાણી સાથે લેવાની એક પડીકી બાંધી આપી અને જમ્યાના કલાક પછી પીવા માટેનો એક ગ્લાસ ક્વાથ પણ આપવામાં આવ્યો. થર્મોસમાં વિજયસારનું પાણી ભરી આપ્યું – દિવસમાં જયારે જયારે તરસ લાગે ત્યારે આ પાણી પીવાનું.

જમ્યાના બે કલાક પછી શ્યુગર ચેક કરવાની હતી અને એ પહેલાં રૂમ પર આવીને એરટેલનું રાઉટર બધાં ફોન સાથે જોડીને ખાતરી કરી લેવાની હતી. પરફેક્ટ. ઇમરજન્સી સિવાય ફોન જોવાનો જ નહીં એવું નક્કી કર્યું હતું. મુંબઈથી નીકળવાની આગલી સાંજે એક ખૂબ અંગત એવા આદરણીય પત્રકારમિત્રે સૂચન કર્યું હતું કે, ‘સૌરભ, તું ત્યાં જઈને નાનીનાની બાબતોના સમાચાર ફૉલો કરવાનું છોડીને વિશાળ દ્રષ્ટિકોણથી દેશની-દુનિયાની સ્થિતિને જોવાની ટેવ પાડજે. ભૂલી જજે કે કેજરીવાલ શું કરે છે, મમતાબાનુ શું કરે છે!’

મારા માટે આ સોનેરી સલાહ હતી અને હું એમની આ અમૂલ્ય વાતને અમલમાં કોશિશ કરવાનો છું.

બપોરે સાડા ત્રણ વાગ્યે ટ્રીટમેન્ટ માટેની સુવિધાઓ જ્યાં હતી તે મકાનમાં પહોંચી જવાનું હતું. સૌથી પહેલાં તો ઊંધા સૂવડાવીને પીઠ પર લેપ કર્યો. શેનો? કાંદા-લસણ-આદુની પેસ્ટનો. કફ-શરદીનો આ ઇલાજ છે. ઉપર ધગધગતા ગરમ પાણીમાં ઝબોળેલો નેપકીન ઢાંકી દીધો અને એ નેપકીન પર ગરમ પાણી ભરેલી રબરની કોથળી મૂકીને અને ઢાંકી દીધી. બે મિનિટ પછી એને હટાવીને બરફનાં ચોસલાં ખીચોખીચ જેમાં તરતાં હતાં એ પાણીમાં બોળેલો ઠંડો ટુવાલ પીઠ પર મૂકાયો. ફરી ગરમ. ફરી ઠંડું. આવું પાંચેક વખત ચાલ્યું. એ પછી પગની પીંડી (કાફ) પર તેલથી માલિશ થયું. ખબર પડી કે આને કારણે પાચનક્રિયા સુધરી જાય. પેટની નસો પીંડી સાથે જોડાયેલી હોય. પછી એ તેલવાળા પગ પર સફેદ પાટો વીંટાળી દીધો અને એના પર ઘેરા ગેરૂઆ રંગનો પાટો વીંટાળી દીધો. એ જ રીતે પીઠ પર લેપ હતો તેવો જ લેપ છાતી પર લગાડીને એના પર પણ સફેદ રંગીન પાટા બાંધી દીધા. કલાક-બે કલાક પછી છોડી નાખવા સૂચના મળી. ડૉક્ટરે મને દાંત માટે રોજ ઑઈલ પુલિંગ કરવાની સૂચના લખી આપી હતી. અડધો ગ્લાસ ભરીને સરસવનું તેલ આપાવામાં આવ્યું. બેઝિન પાસે જઈને ઑઈલ પુલિંગ કરવાનું હતું. પહેલાં સરસવનું તેલ એક ઘૂંટડા જેટલું મોઢામાં ભરવાનું પછી આંગળી વડે દાંત, દાઢ, પેઢા પર આગળપાછળ ઘસીને તેલ મોઢામાં જ રાખીને, ગળામાં ન ઉતરે એનું ધ્યાન રાખીને, અંદરના એક ગાલ પરથી બીજા ગાલ સુધી લઈ જઈ પાછું લાવવાનું. આ રીતે ફરીવાર ફેરવીને કોગળો કરી નાખવાનો. નવું તેલ લેવાનું પાંચેક વખત કરો એટલે અડઘા ગ્લાસમાં ભરેલું તેલ પૂરું થઈ જાય. સરસવનું તેલ મને સહેજ પણ ભાવે નહીં. જરા સરખું પણ નહીં. અથાણામાં નાખેલું હોય તો અથાણાં ભાવતાં હોવા છતાં હું ન લઉં એટલી એલર્જી મને એની સુગંધની. ઘરમાં બધાને ભાવે. ઘણાને સરસવના તેલમાં તળેલી વાનગીઓ ખૂબ ભાવતી હોય છે. સિંગતેલ વગેરે કરતાં સ્વાસ્થ્યની બાબતમાં ઘણું સારું. આ બધી જાણકારી ખરી પણ આ બાબતમાં આપણું દુર્યોધન જેવું – જાનામિ ધર્મમ્ ન ચ મે પ્રવૃત્તિ… ધર્મ શું છે એ જાણું છું છતાં આચરી શકતો નથી.

ત્યાં સુધીમાં એક ગ્લાસ ભરીને જામફળ (પેરુ)નાં પાંદડાં અને લીલી હળદરને ઉકાળીને બનાવેલા પાણીનો ગ્લાસ હાજર થઈ ગયો. પીવા માટે નહીં, કોગળા કરવા માટે—મોઢામાં લઈને માથું ઉચું કરીને ગર્‌ર્‌ર્‌ અવાજ સાથે કોગળા પતાવીને સાંજે બીજા એક ડૉ. અનુરાગને મળવા જવાનું હતું. પણ એ પહેલાં એક્યુપ્રેશરની સીટિંગ હતી. બેઉ હથેળી પરનાં વિવિધ પૉઈન્ટ્સ દબાવીને સમજાવવામાં આવ્યું કે કઈ જગ્યાએ દબાણ આપવાથી શરીરના ક્યા અંગ સાથે જોડાયેલી નસ વધારે એક્ટિવેટ થતી હોય છે.

ડૉ. અનુરાગનું નામ સ્વામી રામદેવનાં પ્રવચનોમાં ઘણું સાંભળ્યું હતું. એમને રૂબરૂ મળીને પ્રસન્નતા થઈ. સવારે ડૉ. આકાશે જે ચાર્ટ આપ્યો હતો તે જોઈને ડૉ. અનુરાગે આયુર્વેદની કેટલીક દવાઓના ડોઝ લખી આપ્યા. નિરાંતે વાત કરી.
હવે યજ્ઞશાળામાં જવાનું હતું. ધૂમ્ર ચિકિત્સા. હોમ, હવન, યજ્ઞ આ બધું સનાતન પરંપરાનો એક ભવ્ય અને અભિન્ન હિસ્સો છે. અમુક કારણોસર કેટલાક લોકો એને ક્રિયાકાંડ ગણીને નિરર્થક પ્રવૃત્તિમાં ખપાવી દેતા હોય છે. અહીં આવવાના બેએક મહિના પહેલાં તાંબાનો હવનકુંડ વસાવીને હું મુંબઈમાં મારા ઘરમાં, મોટેભાગે તો સ્ટડીરૂમમાં, લગભગ રોજ હવન કરતો થઈ ગયો હતો – સ્વામી રામદેવની પ્રેરણાથી જ.

હવન ચિકિત્સા પછી યોગના ક્લાસ માટે જવાનું હતું. મોડા પડ્યા. સૂર્યનમસ્કાર અને મંડુકાસન સહિતના કેટલાક યોગાસનો શીખ્યા પછી નિયમિત પ્રેકટિસના અભાવે ભૂલી ગયો હતો. રોજ સાંજે અહીંના યોગવર્ગમાં પચાસ દિવસ દરમ્યાન સઘન તાલીમ મળવાની છે.

રાત્રે પતંજલિનો મેગાસ્ટોર બંધ થાય તે પહેલાં ત્યાં પહોંચીને ડૉ. અનુરાગે લખાવેલી દવાઓ તેમ જ રૂમમાં વાપરવા માટેનો થોડોક સામાન ખરીદી લીધો. એ બહાને યોગગ્રામમાં આટો માર્યો. અત્યંત રમણીય સ્થળ છે. આમ તો આ આખો કૉમ્પ્લેક્સ સાડા છસો એકર જેટલો છે જેમાં વિશાળ ખેતરો, વાડીઓ પણ છે. એ બહાને થોડું ચાલવાનું પણ થયું. સવારે તો ગંગાજીના કિનારે ચાલ્યા જ હતા. સાંજે થોડું વધુ. મુંબઈ પાછા જઈને ગંગાજી કે યોગગ્રામનું વાતાવરણ તો મળવાનું નથી પણ સવારસાંજ ચાલ્યાની આદત આ પચાસ દિવસોમાં પાડી હશે તો વૉકની સાથેસાથે આ બધી સ્મૃતિઓ પણ તાજી થશે.

રાત્રે ભોજનમાં સૌથી પહેલાં ફરી મારો વહાલો કારેલાંનો જયુસ! પછી કોળાં-પાઈનેપલનો જયુસ એક નાનો રોટલો (સવાર જેવો જ). સાથે ઝુકિની (વિદેશી કાકડી)નું રસાવાળું શાક અને કોબી-ગાજરનું વરાળથી રાંધેલું કચુંબર. સવાર જેટલું સ્વાદિષ્ટ નહોતું પણ ખાઈ લીધું. ભૂખ વધારે લાગી હોત તો ખાવાની વધુ મઝા આવી હોત.

અરે હા, એક વાત રહી ગઈ. સાંજે પાંચ વાગ્યે મારા ચાર્ટમાં લખેલો કે.કે.ટી.એસ.જી. જયુસ પીવા ભોજનાલયમાં ગયો હતો. મેં પૂછ્યું આ શેનું શૉર્ટફૉર્મ છે? તો કહે ‘કારેલાં, કાકડી, ટમાટર, એસ પરથી સમથિંગ હતું – યાદ નથી અને ગિલોયનો જયુસ!’

ઓત્તારી, આ તો હું વર્ષોથી મુંબઈમાં રોજ સવારે મારા ડિટોક્સના એક ભાગરૂપે પીઉં જ છું. રામદેવજીમાંથી જ શીખેલો. એક કારેલું, એક ટામેટું અને એક કાકડી સ્લો જયુસરમાં નાખીને એક ગ્લાસ જયુસ બનાવી એમાં એક ચમચી ગિલોય ઉમેરીને પી જવાનું. પહેલા દિવસથી જ ઘર જેવું લાગવા માડયું છે હવે તો.

હજુ બેગો ગોઠવી નથી, પુસ્તકો વગેરે પણ ગોઠવ્યાં નથી. સામાન કાલે અનપેક કરીશું. અત્યારે રાતના સાડા અગિયાર થવા આવ્યા છે. મારું ટાઈપસેટિંગનું કામકાજ સંભાળતા ભાઈ પણ અમદાવાદમાં ઉજાગરો કરી રહ્યા છે. હાથે લખેલું આ મૅટર એમને મોકલીશ પછી ટાઈપસેટિંગ થઈને આવશે, જરૂરી સુધારાવધારા ઉમેરા થશે, અને બીજા સંસ્કારો સાથે તમારા સુધી કાલે પહોંચશે.

કાલે સવારે સવા પાંચ વાગ્યે સ્વામી રામદેવ યોગાસન-પ્રાણાયામની બે અઢી કલાકની સેશન લેશે. ‘આસ્થા’ ટીવી પર રોજ લાઈવ આવે છે. રિપીટ ટેલીકાસ્ટ પણ થાય છે. યુટુબ પર તો મુકાય જ છે. વીતેલાં વર્ષોમાં વારંવાર સ્વામીજીને ટીવી પર આ રીતે જોયા છે. પ્રત્યક્ષ દર્શન કરવાનો લ્હાવો કાલે પહેલપહેલીવાર મળવાનો છે.

અમને આપેલા ‘ચિકિત્સા કાર્યક્રમ’ના છાપેલા ટાઈમટેબલ મુજબ સવારે 4 વાગ્યે ઊઠી જવાનું છે અને સવા ચાર વાગ્યાથી ષટ્કર્મ વગેરે શરૂ થઈ જશે એવું લખ્યું છે. મેં નક્કી કર્યું છે કે એ તો લખે, આપણે આપણી રીતે સાડા ત્રણ વાગ્યે જ ઊઠીને નીરવ શાંતિમાં ટહેલવા નીકળી પડવાનું.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

71 COMMENTS

  1. એટલું સચોટ વર્ણન છે કે જાણે અમે સૌ પતંજલિ આશ્રમ માં હાજર હોઇએ.

  2. મેં પહેલા જ દિવસથી આપની સાથે આપનો અનુભવ જાણવાની ઈચ્છા હતી પણ…..અતિ વ્યસ્તતાને કારણે આજથી આપણી સાથે જોડાઈ રહ્યો છું…..ખૂબ મજા આવી….

  3. તમારા ત્યાના રોકાણ નો અને સારવાર નો કેટલો ખર્ચ આવ્યો તે જાણવાની उत्सुकता છે…. તો જણાવશો

  4. શ્રી સૌરભ ભાઈ , તમારા ન્યૂઝ પ્રેમી નાં લગભગ બધા લેખો વાંચ્યા છે અને ગમે છે એ વાત મારા લગભગ બધા લેખો વાંચવાના ઉલ્લેખવામાં જ આવી જાય છે. પણ એક વાત ની નવાઈ લાગી. કે કોરોના ની સાવચેતી માટે RTPCR ટેસ્ટ ની વાત તો સમજાય છે પણ રસીકરણ પ્રમાણપત્ર નો આ આશ્રમ માં આગ્રહ મને સમજાયો નથી જ્યારે રસી લીધેલા પણ કોરોના થી સંક્રમિત થયા છે અને કેટલાક ને આ રસી ની આડઅસર પણ થઈ છે અને સરકારી રાહે તેને ફરજિયાત કરી નથી જ. અને પતંજલિ ની કોરોનીલ દવા પણ છે.અને તેઓ ટીવી પર અન્ય ઉપાયોની ઉપયોગિતા પણ બતાવી ચૂક્યા છે. તો પ્રયોગોનાં કટોકટી ને નામે ઉતાવળા પરિણામો જાહેર કરી વ્યાપાર કરવા જલ્દી કમાઈ લેવા બજાર માં મૂકાયેલી રસીઓ (કોવિશિલ્ડ સ્વદેશી નથી જ. સ્વદેશી કોલોબ્રેશન વાળી વિદેશી જ છે) માટે ઓછા માં ઓછું આ સંસ્થા આગ્રહ નહીં રાખે એવી સામાન્ય માણસો ની અપેક્ષા રહે જ, કે જ્યારે એલોપથી નાં કેટલાક એમ ડી ડોકટરો પણ ફરજિયાત રસીકરણ નાં વિરોધી રહ્યા છે.

  5. આપના આ લેખ થી ઘણું જાણવાનું મળ્યું એમ કહું તેના કરતા આપની સાથે માનસી યાત્રા કરવાનું બન્યું ..ખુબ ગમ્યું ..ખબર ના હોય તેવી જાણકારી પણ મળી … મન મા એક બીજ પણ રોપાયું …આપની ભલી લાગણી અને સ્વામી રામદેવ તેમજ આચાર્ય બાળકૃષ્ણ અને સમગ્ર ટીમ ને વંદન ..

  6. Thanks for taking us on tour at Haridwar and Yog Gram.

    I will be with you till 50 days.

    Dhanyvad.

  7. ખૂબ જ સરસ લખી રહયા છો. તમે પચાસ દિવસ પતંજલિ યોગગ્રામમાં વિતાવો , અમે પચાસ દિવસ ન્યુઝપ્રેમીના માધ્યમથી તમારી પાસેથી પ્રાપ્ત થયેલું ત્યાંનું વાતાવરણ ખોબલે ખોબલે મેળવશું.

  8. Too good write up Saurabh bhai

    while reading one can feel that , we ourselves are there itself , excited to come there , pls put some more details for visiting by many readers like me ,

  9. Too good write up Saurabh bhai
    while reading one can feel that , we ourselves are there itself , excited to come there , pls put some more details for visiting by many readers like me ,

  10. સરસ લેખ
    મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગના લોકો ત્યાં જઇ શકે કે કેમ?
    સૌથી ઓછો કેટલો ચાર્જ છે તે જણાવશો.
    બધાજ લેખ વાંચવાની ઉત્કંઠા વધી ગઈ છે

  11. સર જી,
    ખરેખર, તમારી સાથે હરિદ્વારમાં પ્રવાસ કરી રહ્યો છું, એવું મહેસૂસ થાય છે…
    તમારૂં રસાળ અને સરળ શૈલીમાં વર્ણન…
    ખરેખર, આનંદદાયક…
    🌷👌👌👌🌷

  12. Bahuj saras varnan amo vachako apni sathej chiye avu lage che
    Keep it up

  13. While reading I remembered my yoga camp at yog gram in November 2009. It was fascinating experience. Campus was newly built.

  14. વાહ, વાંચવાની ઘણી મજા આવી અને આવતી રહેશે. રહેવાની વ્યવસ્થા અને કુલ ખર્ચ વિશે માહિતી આપી શકો તો ગમશે.

  15. લેખ વાંચ્યા બાદ સાઈટ વિઝીટ કરી. બધી વિગતો જાણી. ત્યાં યોગગ્રામમાં એક દિવસનો ચાર્જ રૂમની કેટેગરી અનુસાર ૫,૦૦૦ થી ૭,૫૦૦ છે. તેમ છતાં ૨૨ મી જુલાઇ ૨૦૨૨ સુધી બુકિંગ ફૂલ છે.

    આપ ખુશનસીબ છો કે એપ્રિલમાં જ આપને બુકિંગ મળી ગયું! અને વધુમાં ૧૦ એપ્રિલ સુધી રામદેવજીનો લાભ પણ મળશે!

  16. Jai shree Krishna , saurabh bhai hu pan tamari sathe j anubhv leto hou avu lage chhe , parox rite… khub saras…..🙏

  17. Saurabhbhai,

    Very detailed and well written article. Description is so well detailed that I felt I am there and seeing every thing Live!. I hope one day I can make it for few days. Good to hear about Hawan and Dhumra chikitsa. Best wishes for your 50 days stay and looking forward to hear from you more.

    Devbhoomi Uttrakhand is pavan bhoomi and Yog, pranayam, ayurved no adhbhut sangam.
    Om Namah Shivay, Om Shree Namo Bhagvate Vasudevah. Jai Ma Ganga.

  18. Pranam sourabh bhai…
    50 divas nu vyasan padid didhu…
    Roj rah joye Nava lekh ni
    Pujya bapu ni katha ma pan jojo
    Jay siyaram

  19. Very nice we r living in London but still me and my wife followed baba ramdevji. We also want to come there.

  20. ઘણું જ સરસ વર્ણન કર્યું . વાંચી ને હું ત્યાં રહેતો હોવ અને ફરતો હોવ એવું અનુભવ્યું . આભાર ..

  21. જાતે જવાય એવું નથી. પ્રત્યક્ષ હાજર હોય તેવી feel આવી. મઝા પડી ગઈ.

  22. યોગ ગ્રામ નો ચાર્જ જણાવશો તે મારા સહિત ઘણા ને જાણવું છે.

  23. થોડું ઘણું ચાર્જ વિશે પણ લખ્યું હોત તો સારું થાતું..

  24. ખુબજ સરસ લેખ છે તમારા અનુભવ share કરતા રહેજો જેનાથી બીજા ને પણ પ્રેરણા મળતી રહે

  25. Saurabh bhai ,

    Really It is a live telecast of your daily routine….
    Pls suggest what will be the total expenture for this 50days .

  26. શ્રી શૌરભભાઈ… આપશ્રી નો હરિદ્વારના પ્રવાસની આબેહૂબ જાણકારી મળી… ખુબજ રસપ્રદ …. મજા આવી ગઈ….ખુબ ખુબ આભાર…..

  27. સૌરભભાઈ 50 દિવસ ના પોગ્રામ નો ચાર્જ કેટલો થયો તે તો કહો

  28. saras saurabh bhai
    atla varshe tame atlo time kadhyo ava bidy schedule ma
    great
    haju 50 varsh jivo tevi bhagvan ne prathna
    pranam
    prakash doshi

    • અતિ સુંદર વર્ણન કર્યું કે જાણે ત્યાં તમારી સાથે જ હોઈએ એમ લાગ્યું…. આ એક અવસર મળ્યો છે પોતાના માં અંદર જવાનો અને કઈંક ઉત્તમ બહાર લાવાનો… તમારી સાથે અમે પણ વરચુઅલી આ 50 દિવસ નો સંગાથ માણી શકસું એનો આનંદ છે

  29. Live telecast thai rahyu chhe.એક જ દિવસ માં આટલું બધું?!! નિવૃત્તિ ની પણ જમાવટ કરી છે હો બાપુ !દેશ માં જે થવું હોય તે થાય પણ દેહ ને અમૂલ્ય લાભ ;તંદુરસ્તી તરબતર અને મન તંદુરસ્તી અદ્વિતીય થય જવાની .

  30. આભાર …. આજથી તમારા હરિદ્વારના નિરામય યોગ ગ્રામના અનુભવ ઘેર બેઠા જાણવા નો લાભ મળશે.

  31. વાહ….તાજા, એકદમ સ્વસ્થ અને ૧૨૫ વરસ જીવાય એવા તંદુરસ્ત થવાની શરૂવાત થઈ ગઈ છે….ખૂબ સરસ👌🏻

  32. ખુબ સરસ વર્ણન કર્યું….આ રીતે અમને પણ સ્વામી જી ના આશ્રમ માં રહેવાનો પરોક્ષ લાભ મળશે… આભાર

  33. આશ્રમ ના તમારા અનુભવ અને વિશ્ર્લેષણ જાણવાની ઉત્કંઠા રહેશે.

  34. આ પચાસ દિવસ રહેવાનો ખર્ચ કેટલો છે , અને એ ખર્ચમાં બધું ઈનકલયુડ કે બીજો કોઈ એક્સ્ટ્રા ખર્ચો પણ છે.?

  35. આપની દિનચર્યા વાંચીને અમને પણ ત્યાં આવવાની ઈચ્છા થઈ ગઈ છે. પણ સંસાર ચક્ર ક્યારે છૂટ આપશે એ ખબર નથી, અને બીજું તેઓની ફી પણ પોષાય કે કેમ તે પણ ખબર નથી. ફી વિશે જણાવશો તો આભારી થઈશ. 🙏🙏❤️

    • વિસતાર પુરવક જીણવટ થી વણવેલી વિગત માટે આભાર મને ચાલવાની ને પીઠ નો પોબરલમ છે મને આવવાનું મન થાય છે

  36. Khub saras jane HU atyare tya hov tevu lagi rahyu chey. bija Divas no intjar chey. Thanks Sir

  37. આદરણીય શ્રી, પ્રથમ દિવસની રોજનીશી વાંચી. હું અને મારા પત્નિ સાથે બેસીને મોટેથી વાંચ્યું. જાણે અમે પણ યોગગ્રામ માં માનસિક રીતે પહોંચી ગયા
    અમો પણ સ્વામીજી એ દર્શાવ્યા પ્રમાણે યોગાસન કરીએ છીએ. આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. બીજા દિવસની રોજનીશી ની આતુરતા નિર્માણ કરી દીધી.

  38. ખૂબ સરસ વર્ણન કર્યું સર તમે તમારી દિનચાર્યનું વાંચતા એવો અનુભવ થયો જાણે પોતેજ પતંજલિ યોગપીઠ પહોંચી ગયા હોય….

  39. સૌરભભાઈ આપનું લખાણ વાંચી પ્રત્યક્ષ આપની સાથે હોય એવી અનુભૂતિ થઈ મારે પણ સજોડે આવવું છે.પ્રોસીઝર અને ખર્ચ વિશે માહિતી આપશો.

  40. સૌરભભાઈ….તમારા લેખ નિયમિત રીતે વાંચું છું અને અત્યારે પણ આ વાંચીને તમારી સાથે જ જણે રહેતો હોઉં એવું અનુભવાય છે… આટલી સુંદર લેખમાળા બદલ આપને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ..
    રાજુ દવેના વંદન 🙏

    • સર જી,
      ખરેખર, તમારી સાથે હરિદ્વારમાં પ્રવાસ કરી રહ્યો છું, એવું મહેસૂસ થાય છે…
      તમારૂં રસાળ અને સરળ શૈલીમાં વર્ણન…
      ખરેખર, આનંદદાયક…
      🌷👌👌👌🌷

  41. સૌરભભાઈ,

    ખુબ ખુબ ધન્યવાદ !

    આપના રસમયરીતે સ્વાનુભાવોનું ભાથું વાંચકોને આપવા બદલ આભાર !

    સાથે સાથે આજથી પૂજ્ય બાપુની કથા પણ છે આપને તો કથામાં જઈ શકાય એટલો સમય નહીં મળે, પણ કદાચ ફુરસદે પૂજ્ય મોરારી બાપુની મુલાકાત તો અવશ્ય કરશો જ !

    આનંદને માણો અને સહુને એનો રસાસ્વાદ કરાવવા માટે અગાઉથી હાર્દિક આભાર ! 🙏

  42. વાહ ! આપનું વર્ણન વાચી ને મને પણ ત્યાં આવવાનું મન થઇ ગયું….

  43. સરસ શરૂઆત ચાલુ રાખજો …સ્વાસ્થ્ય નું ધ્યાન રાખજો …અમારી શુભેચ્છા …આયુર્વેદ ની આડ અસર નથી હોતી એવું પણ સાવ નથી જ ..જોકે અમારા કરતા આપ વધુ જાણતા હશો જ …બહુ બધું સારું છે એમાં પણ પ્રકૃતિ પર આધાર રાખતી ચિકિત્સા શૈલી એ એકલી જ સારી છે અને બીજી બધી નકામી છે એવી એક
    હવા એમના અથવા એમના અનુયાયીઓ ના વ્યક્તવ્યો પરથી જાણવા મળે છે જે ખોટું છે …

  44. વાહ સાહેબ, અમને તો સાવ મફત માં બધે ફેરવી દીધા. વર્ષો પહેલા હરિદ્વાર જઈ ને આનંદ લીધો હતો એ યાદ કરાવી દીધી. ખૂબ ખૂબ આભાર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here