કૃષ્ણ એમની દૃષ્ટિએ, કૃષ્ણ આપણી દૃષ્ટિએ (જન્માષ્ટમી સ્પેશ્યલ, ભાગ : ૧) : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક : બુધવાર, ૧૭ ઑગસ્ટ ૨૦૨૨)

કવિજીવોને કૃષ્ણની બાળલીલા અને રાસલીલામાં વધારે રસ પડે છે. મને પણ બાળપણમાં કૃષ્ણની બાળલીલામાં રસ પડતો હતો.

પુખ્ત થયા પછી પણ જે હિન્દુ કૃષ્ણની બાળલીલા અને રાસલીલામાં જ રચ્યોપચ્યો રહે તે ઘણું બધું ગુમાવે છે.

કૃષ્ણનું જે ઓજસ્વી, પ્રતાપી અને સૌથી આકર્ષક સ્વરૂપ છે તે ગીતાકાર અને મહાભારતના વિષ્ટિકાર કૃષ્ણનું.

શ્રીમદ્ ભાગવતની કથામાંથી કમાણી કરનારા કથાકારો તથા બ્રાહ્મણોએ સદીઓ પહેલાં એક વાયકા ફેલાવી દીધી હતી કે ઘરમાં ‘મહાભારત’નો ગ્રંથ ના રખાય, ઝઘડા થાય! મારા ઘરમાં સસ્તુ સાહિત્યે પ્રગટ કરેલા મહાભારતના સાત દળદાર ભાગ છે અને વડીલ સાહિત્યકાર દિનકર જોષી સંપાદિત વીસ જેટલા ગ્રંથોની શ્રેણી પણ છે. અને જ્યારે જ્યારે મહાભારત વિશે વિચારું છું કે વાંચું છું કે લખું છું ત્યારે ઝઘડા થવાની વાત તો બાજુએ રહી માનસિક પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય છે.

ભાગવતની કથા કરનારાઓએ તો ત્યાં સુધીની વાયકા ફેલાવેલી કે મહાભારતનું પારાયણ ક્યારેય ના થાય અને આમ છતાં જો કોઈ સંભળાવે તો આપણે એને અંત સુધી સાંભળવાનું નહીં.

શા માટે?

કારણ કે મહાભારતના મધ્યમાં ગીતા આવે છે. શ્રીકૃષ્ણના ચિંતનનો અર્ક આપતી અને હિન્દુ ધર્મના અસલ સ્વરૂપનો પરિચય આપતી ભગવદ્ ગીતાને અને ભાગવતની કથા માંડીને લોકોને લાલાની વાત કહીને રડાવતા, રોમાંચ કરાવતા કથાકારોને બાર ગાઉનું અંતર હોય એ સ્વાભાવિક છે.

કોણ જાણે કેમ પણ કવિઓ રાધા-કૃષ્ણનાં કાવ્યો જોડી કાઢે છે ત્યારે બહુ મઝા નથી આવતી, સાચું પૂછો તો એ વેવલાવેડાથી ત્રાસ થાય છે. આજકાલ કૃષ્ણના નામે રોકડી કરનારાઓ વધી પડ્યા છે. કૃષ્ણ વિશેના ભ્રમને વધુ પ્રસરાવતા વક્તા, પ્રવકતા, લેખક, આયોજનકર્તા ઇત્યાદિઓને ભગવાન સદબુદ્ધિ આપે. નરસિંહ-મીરાંની અધ્યાત્મિકતા બેમિસાલ હતી એટલે એમનાં કાવ્યોમાં સો ટચનું સોનું અનુભવવા મળતું. પ્રેમાનંદ જ્યારે સુદામાની વાતમાં કૃષ્ણને લઈ આવે છે ત્યારે હૃદય ભરાઈ આવે છે, પણ દયારામનાં કાવ્યો પછી કૃષ્ણભક્તિનાં કાવ્યોમાં જે વેવલાપણું શરૂ થયું તે અત્યાર સુધી ચાલુ રહ્યું. છેલ્લાં સો-દોઢસો વર્ષમાં કૃષ્ણ વિશે કે રાધાકૃષ્ણ વિશે ગુજરાતીમાં રચાયેલાં અમુક કરોડ કાવ્યોમાંથી જેન્યુઈન કવિતા બે-પાંચ કે વધુમાં વધુ સાત-આઠ કાવ્યોમાં જોવા મળે. બાકી બીજા બધામાં કાં તો વેવલાપણું હોય, કાં આધુનિકતાના નામે તદ્દન વાહિયાત જેવી ઉપમાઓ હોય અને મોટેભાગે તો જે મનોભાવોને પોતે પ્રગટપણે કોઈ સ્ત્રી સમક્ષ રજૂ કરી શકવાની હિંમત ન હોય તે વાતોને રાધાકૃષ્ણનું નામ લઈને કહેવાઈ હોય જેથી લોકોમાં એ ઝટ દઈને સ્વીકાર્ય બની જાય. મને ખબર છે કે કવિબજારને આ વાત ગળે નહીં ઊતરે અને તેઓ આ નભ જોયું તે કાનજી અને રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વહેતું ના મેલો ઘનશ્યામ જેવાં અનેક કાવ્યોનાં ઉદાહરણો આપશે. આ બધાં જ માણવા જેવાં કાવ્યો છે, ભરપૂર મનોરંજન આપતી કવિતાઓ છે. પણ એમાં ક્યાંય સાચા શ્રીકૃષ્ણ પ્રગટતા નથી, એકાદ છુટાછવાયા શબ્દમાં પણ નહીં. આ તમામ મનોરંજક કાવ્યો છે, લોકપ્રિયતા પામેલી રચનાઓ છે એટલું કહેવું પૂરતું છે.

એની વે.

મારા માટે જે સાચા શ્રીકૃષ્ણ છે તે બાળલીલાવાળા કે રાસલીલાવાળા નહીં, પરંતુ મહાભારતવાળા અને ભગવદ્ ગીતાવાળા. મારી આ માન્યતાને જાહેરમાં પ્રગટ કરતાં હું ખચકાતો હતો, કારણ કે મને ખબર છે કે જ્યારે કરોડો લોકો બાળલીલા/ રાસલીલાવાળા કૃષ્ણને ભજતા હોય અને હું એ કૃષ્ણને સાવ રિજેક્ટ તો નહીં પણ અલમોસ્ટ અવગણવાની વાત કરું તો ચારે દિશામાંથી મારા પર ટપલાં પડવાનાં. નૉટ ધૅટ કે ટપલાં ખાવાથી ડરીએ છીએ. ઈન ફેક્ટ, આદત સી પડી ગઈ છે, પણ સમ હાઉ ઑર અધર, હું મારા ‘મનની વાત’ કહેવાની હિંમત એકઠી કરી શકતો નહોતો.

તો આજે કેવી રીતે બહાદુરી દેખાડવાનું મન થયું?

જન્માષ્ટમીએ ફરાળમાં શું શું ખાવું છે એની લાંબી યાદી સવારના પહોરમાં બનાવીને શિંગોડાનો લોટ ક્યાંથી મગાવવો અને સાબુદાણા અહીં સારા મળશે કે ત્યાં એ વિશે એક સાચા વૈષ્ણવ તરીકે કલાકો સુધી ગહન ચિંતન કર્યા પછી હું લખવા માટે સ્ટડી રૂમમાં આવ્યો ત્યારે શોધતાં શોધતાં મારા હાથમાં એક નાનકડી પુસ્તિકા આવી. નાનકડી એટલે સાવ નાનકડી. માત્ર ૭૪ પાનાંની.

અનુક્રમણિકાના ઉઘાડતા પાને જ મેં આ ફકરો વાંચ્યો:

‘હાલ તુરતને માટે વૃંદાવનના શ્રીકૃષ્ણને દૂર રાખી દો, અને સિંહનાદથી ગીતાનું જ્ઞાન ગરજી રહેલા શ્રીકૃષ્ણની ઉપાસના ચારે તરફ ફેલાવી દો… અત્યારે આપણને સૌથી વધુ જરૂર એવા પરાક્રમી વીરના આદર્શની છે કે જેની નસોમાં પગથી માથા સુધી રજોગુણનો અતિશય જોમદાયક પ્રભાવ હોય, જે સત્યને જાણવા માટે હિંમતપૂર્વક મરણને ભેટવા તૈયાર હોય, ત્યાગ જેનું બખ્તર હોય અને તલવાર જેનું જ્ઞાન હોય. જીવનસંગ્રામમાં અત્યારે આપણે માટે બહાદુર યોદ્ધાની ભાવના આવશ્યક છે, નહિ કે જગતને પ્રમોદ-ઉદ્યાન સમજીને પ્રેમકેલી કરતા પ્રેમીની!’

આ શબ્દો હતા સ્વામી વિવેકાનંદના.

મારી તો લાઈફ બની ગઈ.

ઈ.સ. ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદ પોતાના કલકત્તાના ટૂંકા ગાળાના નિવાસ દરમિયાન મોટે ભાગે આલમ બજારમાં આવેલા શ્રીરામકૃષ્ણ મઠના મકાનમાં રહેતા હતા. આ સમય દરમિયાન સાધના માટે તૈયાર થતા કેટલાક યુવાનો તેમને મળ્યા અને બ્રહ્મચર્ય તેમ જ સંન્યાસની પ્રતિજ્ઞા એમણે લીધી. આ યુવાનોને ભાવિ કાર્ય માટે તાલીમ આપવા સ્વામી વિવેકાનંદે ગીતા અને વેદાંતના વર્ગો શરૂ કર્યા તેમ જ એમને ધ્યાન – સાધનાની દીક્ષા આપી. આ વર્ગોમાં સ્વામી વિવેકાનંદે બંગાળીમાં વાર્તાલાપ આપ્યા. મને જે ૭૪ પાનાંની ચોપડી મળી આવી તે ‘ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ ગીતા’ એ મઠની ડાયરીમાંથી મળેલા સ્વામીજીના વાર્તાલાપનો અનુવાદ છે. આ ઉપરાંત આ પુસ્તિકામાં ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ના જુદા જુદા ભાગોમાંથી સંકલિત કરેલા ગદ્યખંડો પણ આપેલા છે. રાજકોટના રામકૃષ્ણ મિશન દ્વારા પ્રગટ થયેલા સમગ્ર સ્વામી વિવેકાનંદ સાહિત્યના દોઢેક ડઝન જેટલા ગ્રંથ મારી પાસે છે, પણ એના વિશે ભવિષ્યમાં ક્યારેક વાત કરીશું. અત્યારે વાત માંડી છે સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ દેખાતા કૃષ્ણ ભગવાન વિશેની. જોઈએ સ્વામીજીની દૃષ્ટિ આપણા જેવા સંસારીજીની દૃષ્ટિ સાથે કેટલી જુદી પડે છે, કેટલી મેળ પામે છે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

15 COMMENTS

  1. સરસ વાત કરી.
    શ્રી કૃષ્ણનાં સહુ પાસાનું મહત્વ છે..
    પણ તમારી કૃષ્ણને નવી દૃષ્ટિએ જોવાની વાત ખૂબ ગમી.

  2. આવું વાંચન, વિચારો હાલના સમયમાં અતિ આવશ્યક છે. જેથી માનવ અત્યાર સામે શક્તિ શાળી બની શકે.

  3. કૃષ્ણ ને કોઈ એક પુખ્ત ઉંમર સાથે જોડી દઈએ તો તમારી વાત સાચી લાગે, પણ કૃષ્ણ તમારા જીવનના દરેક તબક્કે સાથે રહેનાર વ્યક્તિત્વ છે એ દૃષ્ટિ એ જોતા બાળ કનૈયા, યુવા કાનુડા, પુખ્ત વયના કૃષ્ણ એમ દરેક પાસા મહત્વના છે. નાનપણથી જ કનેક્ટ થવા બધા સ્વરૂપોનો મહિમા અગત્યનો છે.
    બાળકના વિકસતા સ્વરૂપ સાથે કદમ મિલાવી ને કૃષ્ણનું સ્વરૂપ પણ વિકસતું જાય છે અને અંતે મહાભારતના ગીતા બોધ આપનાર કૃષ્ણ મનોપટ પર સ્થિર અને કાયમી સ્થાન ગ્રહણ કરે છે.
    બાળ સ્વરૂપ પર અટકી જનાર વૈષ્ણવ જનો મને સમજાણા નથી.
    Sigmond Froid ના મનો વિજ્ઞાન ના સિદ્ધાંતોમાં પણ દરેક માણસ વિકાસના એક તબક્કે સ્થિર થઈ જાય છે , કદાચ આ બાબત અહીં પણ લાગુ પડતી હશે.
    કથાકારો ની સમજણ અને તેથી સમજાવવાની રીત શાસ્ત્રો ને સાચી રીતે સમજવામાં બાધા રૂપ અથવા સહાયક થયા હોય તે પણ એક પરિબળ છે.
    તમે યોગ્ય મુદ્દો ઉપાડ્યો છે, પુખ્ત માણસ ભાંખોડિયા ભેર ચાલવાની જીદ કરે તે વિકાસના કોઈ એક તબક્કે રોકાઈ ગયેલો જણ છે.

  4. તમે ખૂબ સાચી અને સારી વાત કરી.. લેખમાળા ની સરસ શરૂઆત

  5. શ્રી કૃષ્ણ એક યુગપુરુષ હતા, સામાન્ય માણસ માટે તેમને સમજવું સહેલું નથી. તેમને સ્વામી વિવેકાનંદના દૃષ્ટિકોણ તરીકે સમજવાનું ચાલુ રાખો. તમારા ભાગ 2 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ

    • સામાન્ય માણસને સમજવું સહેલું નથી તે સત્ય નથી. સત્ય હંમેશા સરળ અને સહેલું હોય. દુર્બોધ બનાવી ને તેનો વેપાર કરવામાં આવ્યો હોય છે.
      એક સાધુ સાથે ના વાર્તાલાપમાં મારા પૂછેલા એક સાવ સરળ પ્રશ્નનો છેદ તેમણે એવું કહીને ઉડાવી દીધો કે આ તો ભગવાનની માયા છે, સામાન્ય માનવીની સમજની બહાર છે. આવું કહીને તેમણે મને અને પોતાને એમ બંને ને સામાન્ય ની શ્રેણીમાં મૂકી દીધા.
      કેમકે તમે જે સમજો તે જ બીજાને સામાન્ય ભાષામાં સમજાવી શકો. જો નહીં તો ખુદ તમે જ સમજ્યા નથી.
      ગૂઢ કંઇ જ નથી, ગૂઢ બનાવવામાં આવે છે.
      હિતો આવી રીતે જ સ્થાપિત રહી શકે અને રહ્યા છે.

  6. સર, આગળની વાત જરૂરથી લખજો. આ નવી દ્રષ્ટિએ શ્રી કૃષ્ણ વિશે જાણવાનો અનહદ આનંદ થશે. આજની પ્રજા શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રને ભૂલીને , એમની વાંસળી જ ફક્ત યાદ રાખીને બેઠી છે. આવા સમયે એમની આંખો ખોલવી ખૂબ જરૂરી છે.

  7. કૃષ્ણ યોગેશ્વર છે, આપણે તેમને કોઈ પણ પ્રકારની માનવતામાં વ્યાખ્યાયિત કરી શકતા નથી, તેમણે જે કાર્ય કરવાનું કહ્યું તેનું અનુસરણ કરવું એ જ વાસ્તવિક કૃષ્ણ છે, ભાગવત, ગીતા કે મહાભારતમાં હોઈ શકે.ut પણ મારા મત મુજબ તેઓ હંમેશા અમારા માર્ગદર્શક ગુરુ અને સારથી છે

  8. સ્વામી વિવેકાનંદ ની દ્રષ્ટિએ ભગવાન શ્રીકૃષ્ણ ને સમજવાની મજા આવશે.
    ભાગ ૨ ની પ્રતીક્ષામાં…..

  9. ક્રુષ્ણ વિષે વાંચીએ ને વિચારીએ એટલું ઓછું છે. મારી નજરે તો એ મહામાનવ છે.

  10. બહુજ સાતત્ય પૂર્ણ લેખ, વર્તમાન માં બહુ સંખક્ય સમાજ ને મહાભારત ,અને ગીતા ના જ્ઞાન ની પ્રથમ આવશ્યકતા છે, બાળલીલા ,રાસલીલા ફકત જોવા માટે છે, અનુસરવા માટે નહીં, પણ ગીતા અને મહાભારત તે જીવન નો સાર્થક આરાધક છે તે બહુ મૂલ્ય ગ્રંથ ને અનુસરવા અને વર્તમાન નો ચિંતન નો વિષય છે, તમારો લેખ વાંચી ખુબ આનંદ થયો,
    રામ રામ

  11. સૌરભભાઈ,ખરેખર અત્યારે ગીતાના ગાયકને જ યાદ કરવાની જરુર છે. તમે ખૂબ સાચા સમયે આ વિષય હાથ ઉપર લીધો છે. આભાર.

  12. સૌરભ ભાઈ ખૂબ સરસ શરૂઆત. મનની વાત કહેવાની હિંમત રાખનારાઓ ની અલ્પ સંખ્યકોમાં ના આપ એક છો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here