આઓ ફિર સે દિયા જલાએં

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

વાજપેયી-આડવાણી વચ્ચેના 65 વર્ષના સંબંધોનું અવલોકન અને આકલન કરવા નીચેના કેટલાક મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ:

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખપદે રહી ચૂકેલા અત્યારના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અટલ બિહારી વાજપેયી વિશે એક બહુ સરસ નિરીક્ષણ કર્યું છે. ગડકરીએ કહ્યું હતું: ‘સમાજવાદી પાર્ટી મુલાયમ સિંહની પાર્ટી, બસપા માયાવતીની, એઆઈએ-ડીએમકે જયલલિતાની, ડીએમકે કરુણાનિધિની, આરજેડી લાલુ યાદવની, જેડીયુ નીતિશકુમારની, અકાલી દલ પ્રકાશસિંહ બાદલની (અને કૉન્ગ્રેસ નહેરુ-ગાંધી કુટુંબની) પાર્ટી બનીને રહી ગઈ છે, પણ ભાજપ માટે એવું ન કહી શકાય. બાકી ભાજપનો જન્મ થયો ત્યારે એમાં એકમાત્ર વાજપેયી (અને પછી આડવાણી) સિવાય પાર્ટીમાં બીજા કોઈ કદાવર નેતા હતા જ ક્યાં? વાજપેયીએ ઈચ્છયું હોત, તો ભાજપ પણ બીજી પાર્ટીઓની જેમ એના આ નેતાના નામે, વાજપેયીની પાર્ટી તરીકે જાણતી થઈ હોત. પણ એમણે એવું થવા દીધું નહીં. ભાજપને સૌ કોઈની પાર્ટી બનાવી. આ પક્ષમાં કોઈ એક વ્યક્તિનો નિર્ણય આખરી નથી હોતો – ન વાજપેયીનો, ન આડવાણીનો, ન પાર્ટી અધ્યક્ષનો.’ ભાજપ વ્યક્તિવાદથી અને પરિવારવાદથી મુક્ત પાર્ટી છે અને એ રીતે સમગ્ર ભારતના રાજકારણમાં એનું એક યુનિક સ્થાન છે અને એ જશ જાય છે વાજપેયીને, આડવાણીને તેમ જ ભાજપના અત્યાર સુધીના અન્ય તમામ પક્ષપ્રમુખોને. ભાજપ એક ખરા અર્થમાં લોકશાહી ઢબે ચાલતી પોલિટિકલ પાર્ટી છે. આ દૃષ્ટિકોણ નીતિન ગડકરી આપે છે ત્યારે ખ્યાલ આવે છે કે વાત તો એકદમ સાચી છે. મીડિયા દ્વારા ચગાવવામાં આવતી દ્વેષીલી વાતો જે ઘણાના મનમાં જડાઈ ગઈ છે તેના સંદર્ભમાં ગડકરીનું આ નિરીક્ષણ નોંધવા જેવું છે.

મીડિયા કેટલીક વાતો વારંવાર ચગાવતું રહે છે જેને કારણે આપણે એ જૂઠને સત્ય માની બેસીએ છીએ. વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધ પછી બાંગ્લાદેશને છૂટું પાડી દેવાનું પરાક્રમ ભારતીય સેનાએ કર્યું ત્યારે ઈંદિરા ગાંધી દેશનાં વડા પ્રધાન હતાં એટલે આ વિજય પછી સંસદમાં કરેલા પ્રવચનમાં વિરોધ પક્ષના નેતા તરીકે ખુદ વાજપેયીએ ઈંદિરા ગાંધીનાં વખાણ કરીને એમને દુર્ગા કહીને નવાજ્યાં હતાં.

આ હળાહળ જૂઠ છે, પણ વર્ષો નહીં, દાયકાઓ સુધી આ જુઠ્ઠાણું ચાલતું રહ્યું. 1997-98માં વાજપેયીએ રજત શર્માને ‘આપ કી અદાલત’ માટે આપેલા ઈન્ટરવ્યૂના ઉત્તરાર્ધમાં વાજપેયીએ ઘસીને ના પાડી છે કે મેં એવું કહ્યું જ નથી અને આ વિશે વારંવાર સ્પષ્ટતા કરવા છતાં મીડિયા આ ગપ્પું પ્રસરાવે જ રાખે છે.

સંસદમાં કોઈ સભ્યે મજાક ઉડાવવા મૂર્ગાની સાથે દુર્ગાનો પ્રાસ મેળવતું જોડકણું રચ્યું હતું જેમાંથી દુર્ગા શબ્દ ઉપાડીને વાજપેયીના મોંઢામાં મૂકી દેવાની હરકત કોઈ પેટના બળેલા પત્રકારે કરી અને પછી તો આ ચકડોળ ચાલ્યું તે એવું ચાલ્યું કે ચાલતું જ રહ્યું, વાજપેયીના પોતાના ખુલાસાઓ છતાં ચાલતું રહ્યું. મૂર્ગા-દુર્ગાવાળી વાત પત્રકાર કૂમી કપૂરે લખી છે.

આવી જ બીજી એક ભ્રમણા ફેલાયેલી છે જેમાં વાજપેયી ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ સામેલ છે. ઈમરજન્સી વખતે વાજપેયી અને આરએસએસે ઈન્દિરા ગાંધીની માફી માગતા પત્રો લખ્યા હતા એવી અફવા દાયકાઓથી ફેલાવવામાં આવી રહી છે. તમને નવાઈ લાગશે કે આવી અફવા ફેલાવનારા બીજા કોઈ નહીં પણ સુબ્રહ્મણ્મય સ્વામી છે. સ્વામી હિન્દુ વિચારધારાના પ્રખર અનુયાયી છે અને આજની તારીખે ભાજપમાં છે ઉપરાંત ઈમરજન્સી દરમ્યાન એમણે કરેલી હિંમતભરી કામગીરી બદલ સૌ કોઈ એમને વાજબી રીતે બિરદાવે પણ છે.

પણ શું એટલે વાજપેયી – સંઘ વિશેની એમણે ફેલાવેલી અફવા સત્ય પુરવાર થઈ જાય? ના. તો પછી સ્વામી શું કામ પોતાની જ વિચારધારામાં માનનારાઓની બદબોઈ કરતા હશે? ભગવાન જાણે. આપણે તો માત્ર એટલું જાણીએ કે વાજપેયીની પ્રથમવાર બનેલી 13 દિવસની સરકાર તૂટ્યા પછી જે ચૂંટણી થઈ તેમાં ભાજપે સૌથી મોટા પક્ષ તરીકે વિજયી બનીને સાથી પક્ષો સાથે જે સરકાર બનાવી તે પણ માત્ર 13 મહિના ચાલી અને અવિશ્ર્વાસની દરખાસ્ત વખતે માત્ર 1 મતની ખોટથી તૂટી પડી એમાં સુબ્રહ્મણ્મય સ્વામીનો હાથ હતો. વાજપેયીની સરકારને જયલલિતાની પાર્ટીના 35 સભ્યોનો ટેકો હતો. સ્વામીએ જયલલિતાની સોનિયા ગાંધી સામે ચા પર મુલાકાત કરાવીને વાજપેયી સરકારમાંથી હટી જવા માટે જયલલિતાને કન્વિન્સ કર્યા હતાં. સ્વામીના હિન્દુ પ્રેમ માટે, રામજન્મભૂમિ તેમ જ નૅશનલ હેરલ્ડ સહિતના બીજા અનેક કોર્ટ કેસોમાં એમણે ભજવેલી રાષ્ટ્રપ્રેમી ભૂમિકા માટે કોઈ બેમત નથી. અપાર આદર છે એમના માટે. પણ એમને અમુક કારણોસર ભાજપની દરેક સરકારમાં સત્તાથી દૂર રાખવામાં આવે છે. ચન્દ્રશેખર વડા પ્રધાન હતા ત્યારે એમને (નાણામંત્રી નહીં પણ) કૉમર્સ અને ઈન્ડસ્ટ્રી મિનિસ્ટર (તથા વધારાના ચાર્જ તરીકે કાયદા પ્રધાન) બનાવવામાં આવ્યા હતા. તેઓ આજની તારીખે પણ માને છે કે કેન્દ્રીય પ્રધાનમંડળમાં એમનો સમાવેશ નહીં કરીને એમની સાથે અન્યાય થાય છે.

ખેર, રાજકારણમાં જ નહીં દરેક ક્ષેત્રમાં તમારા વિરોધીઓ તેમ જ તમારા અંદરના માણસો પણ તમારા વિશે જુઠ્ઠાણાં ફેલાવતા હોય છે. દરેકને પોતપોતાના કારણો હોય. નજીકના માણસો દ્વારા ફેલાવવામાં આવતાં જુઠ્ઠાણાંઓની વિશ્ર્વસનીયતા વધી જતી હોય છે, પણ જુઠ્ઠાણું આખરે જુઠ્ઠાણું જ હોય છે. આવાં જુઠ્ઠાણાંઓથી, અપપ્રચારોથી અને ગેરહકીકતોથી દૂર રહીને આપણે વાજપેયી-આડવાણી વચ્ચેના રિલેશન્સને જોવાના છે, આધારભૂત અને નક્કર સોર્સ દ્વારા મળેલી માહિતી દ્વારા નિહાળવાના છે. આવા સોર્સમાં આડવાણીએ લખેલી આત્મકથા ‘માય ક્ધટ્રી, માય લાઈફ’માંનું વાજપેયી વિશેનું દીર્ઘ પ્રકરણ મારી એ નવી શ્રેણીનો ઘણો મોટો આધાર છે.

વધુ કાલે.

આજનો વિચાર

ભરી દુુપહરી મેં અંધિયારા
સૂરજ પરછાઈ સે હારા
અન્તરતમ કા નેહ નિચોડેં
બુઝી હુઈ બાતી સુલગાએં
આઓ ફિર સે દિયા જલાએં

હમ પડાવ કો સમઝે મંઝિલ
લક્ષ્ય હુઆ આંખોં સે ઓઝલ
વર્તમાન કે મોહજાલ મેં
આને વાલે કલ ન ભુલાએં
આઓ ફિર સે દિયા જલાએં

આહુતિ બાકી, યજ્ઞ અધૂરા
અપનોં કે વિઘ્નોં ને ઘેરા
અન્તિમ જય કા વજ્ર બનાને
નવ દધીસિ હડ્ડિયાં ગલાએં
આઓ ફિર સે દિયા જલાએં.

અટલ બિહારી વાજપેયી

( મુંબઇ સમાચાર : મંગળવાર, 28 ઓગસ્ટ 2018)

5 COMMENTS

  1. નીતિન ગડકરીએ કરેલ વાત તો સો ટકા સાચી જ છે, ઉપર ઉલ્લેખ કર્યો છે તે દરેક પક્ષો ફક્ત અને ફક્ત પોતાના સ્વાર્થ માટે સ્થપાયેલાં પક્ષો છે જેમાં કોઈ બેમત હોય જ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here