ફરિયાદો કરવી, વખાણો કરવાઃ સૌરભ શાહ

( એક બે ‘તડકભડક’ મૂકવાના બાકી છે જેમાંનો એક આ સાથે પ્રસ્તુત છે.)

(તડકભડકઃ ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, 3 એપ્રિલ 2022)

એક મિત્ર ફરિયાદ કરી રહ્યા હતા, ‘ગયા મહિને અમે ફલાણા તીર્થસ્થળે ગયા હતા. ખૂબ ગંદકી હતી’.

મેં એમને પૂછ્યું, ‘એ ગંદકી દૂર કરવા તમે શું કર્યું?’ અને ઉમેર્યું, ‘માત્ર બીજાના મોઢે ફરિયાદો કરવાથી ગંદકી દૂર નહીં થાય.’

મિત્ર બોલ્યા, ‘મેં કાળજી રાખી કે અમારામાંથી કોઈના તરફથી ગમે ત્યાં કચરો ન ફેંકીએ. એ અમારું કૉન્ટ્રિબ્યુશન હતું.’

મેં કહ્યું, ‘ એ કૉન્ટ્રિબ્યુશન ગંદકી ન વધે તે માટેનું હતું. ગંદકી ઘટે તે માટે તમે લોકોએ શું કર્યું? રસ્તે પડેલી બિસ્લેરીની એકાદ ખાલી બાટલી કે વેફરનું એકાદ ખાલી પડીકું ઉઠાવીને એને કચરાટોપલીમાં નાખ્યું? જો નાખ્યું હોત તો તમારું જોઈને બીજાઓ પણ કદાચ તમારી સાથે સફાઈકાર્યમાં જોડાયા હોત. અને ના પણ જોડાયા હોત તો તમને એટલી ગંદકી ઓછી કરવાનું પુણ્ય અને એટલો જશ જરૂર મળ્યો હોત.’

આપણે પોતે કંઈ કરવું નહીં અને બીજાઓની ખોડખાંપણ કાઢ્યા કરવી. આ ઍટિટ્યુડ એક ઘણો મોટો માનસિક રોગ છે. આવા મનોરોગીઓ ફરિયાદો કરી કરીને જતાવતા હોય છે કે પોતે કેટલા સારા છે. સરકારના ભ્રષ્ટાચાર વિશે ફરિયાદો, રસ્તા પરના ખાડા વિશે ફરિયાદો, ટ્રાફિક જામ વિશે ફરિયાદો, શાળાના કામ વિશે, સોસાયટીના સેક્રેટરી વિશે, પાડોશીની દીકરીના ફ્રેન્ડ વિશે, પત્નીની રસોઈ વિશે, સંતાનોની કુટેવો-બસ, ફરિયાદો જ ફરિયાદો.

દેશના શાસન વિશે ફરિયાદો કરનારાને પૂછીશું કે તમે દેશ વિશેની ફરિયાદો દૂર કરવા શું કર્યું? તો જવાબ મળશેઃ ‘પ્રામાણિકતાથી ટેક્સ ભરું છું એ શું ઓછું છે?’

‘ટેક્સ ભરવો એ તો દેશના દરેક નાગરિકની ફરજ છે, એમાં કંઈ તમે દેશ પર ઉપકાર નથી કરતા.’

‘પણ આ ટેક્સના બદલામાં સરકાર મને શું આપે છે? ભ્રષ્ટાચાર, મોંઘવારી, કુશાસન. આ તે કંઈ સાલી સરકાર છે?’

અહીં પછી તમારે કન્વર્સેશન પૂરું કરી નાખવું પડે કારણકે આવી વાતો આગળ વધે તો પર્સનલ સંબંધો બગડે. વાતનું વતેસર કરવાની ટેવવાળા લોકો પોતાનાં અંગત ફ્રસ્ટ્રેશનો સરકારનો, બીજાઓનો વાંક કાઢીને, એમની સામે ફરિયાદ કરીને બહાર કાઢતા હોય છે. એમની અતિશયોક્તિભરી વાતોને ચેલેન્જ કરવા જશો તો એમને માઠું લાગી જશે. પોતાની વાતના પુરાવારૂપે તેઓ તમને કહેશે કે ‘આવું મેં ફલાણી જગ્યાએ વાંચ્યું, ફલાણી જગ્યાએ સાંભળ્યું/જોયું કે ફલાણા શહેરમાં ગયો ત્યારે બે રિક્શાવાળાઓ સાથે વાત કરતાં કરતાં આ જ જાણવા મળ્યું.’

ચાર જણ પાસેથી સાંભળેલી/જોયેલી/વાંચેલી વાતોથી દેશનું સમગ્ર ચિત્ર ઉપસાવવાની હોંશ રાખતા લોકોને જ ફરિયાદ કરવાની ટેવ હોય છે કે પુતિને યુક્રેઇન માટે જે કર્યું તે બરાબર ન કહેવાય!

આવા લોકો વિશે શું કહેવું આપણે? બસ, એ જ કેઃ ભાઈ, તમે માત્ર એટલું જ ધ્યાન રાખો કે સવારે ફાફડા ખરીદ્યા પછી એની સાથે દુકાનદારે મરચાં આપ્યાં છે કે નહીં. બાકીની ચિંતાઓ પુતિન પર અને યુક્રેઇનના કૉમેડિયન શાસક પર છોડી દો, નકામું બ્લડપ્રેશર વધી જશે.

જે બાબતમાં તમારો અભિપ્રાય સહેજ પણ કામ ન લાગવાનો હોય તે બાબતે ફરિયાદ કરવી નહીં. એને માત્ર બળાપો કહેવાય – ફ્રસ્ટ્રેશન. જે બાબતે તમારા અભિપ્રાયની જરાસરખી પણ વેલ્યુ છે એવું તમને લાગતું હોય તો ફરિયાદ કરતાં પહેલાં બે વાર વિચારવાનું કે જે બાબતે તમે ફરિયાદ કરી રહ્યા છો તે વિશે તમે શું કર્યું. સોસાયટીના કમ્પાઉન્ડમાં કચરાના ઢગલા જોઈને સેક્રેટરી કે ચેરમેનને ગાળો આપતાં પહેલાં તમે પોતે શું ઇનિશ્યેટિવ લીધો? બીજા મેમ્બર્સને ભેગા કરીને ગંદકી દૂર કરવાનો એકાદ વખત પણ પ્રયત્ન કર્યો ખરો?

તીર્થ સ્થળ પરની ગંદકી વિશે ફરિયાદો કર્યા કરનારાઓને લાગે છે કે આવું બોલવાથી પોતે બીજાઓ કરતાં ઊંચા લાગશે, પોતે વધારે સમજુ-સંસ્કારી છે એવી છાપ પડશે. બીજાઓની બિનકાર્યક્ષમતા, બીજાઓની અનિયમિતતા, બીજાઓની બેદરકારી વિશે ફરિયાદ કર્યા કરનારા તમારા મગજમાં આડકતરી રીતે એ વાત ઠસાવવા માગતા હોય છે કે પોતે કેટલા બધા કાર્યક્ષમ, નિયમિત અને પરફેક્ટ છે.

જે બાબતોમાં તમારી કોઈ પહોંચ નથી, જે બાબતોમાં તમારી કોઈ જવાબદારી નથી (યુક્રેઇન), જે બાબતોમાં તમે કંઈ પણ કરવા અસમર્થ છો અને જે બાબતોમાં કંઈ પણ કામ કરવાની જવાબદારી લેવાની તમારી દાનત નથી એવી બાબતોમાં ફરિયાદો કરવાથી દૂર રહેવું, આવું ચાણક્યે કહેવું જોઈતું હતું પણ નથી કહ્યું, એટલે અમે કહીએ છીએ.

આવું જ પ્રશંસાની બાબતમાં. લોકોને વાતેવાતે શહીદ ભગતસિંહ, વીર સાવકર, લતા મંગેશકર, સચિન તેંડુલકર, નરેન્દ્ર મોદી વગેરેનાં વખાણ કરવાની ટેવ હોય છે. આ અને આવા બીજા અનેક મહાનુભાવોની પ્રશંસા થાય એટલી ઓછી. પણ તમે એમની પ્રશંસા કરો એ પહેલાં એમના જીવનનો એકાદ સદ્‌ગુણ પણ તમારા પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો ખરો? જો ન કર્યો હોય તો એમની પ્રશંસા કરીને શું કામ જાણેઅજાણે તમારી એવી ઇમેજ બનાવવાની કોશિશ કરો છો કે તમે પોતે આવી મહાન વ્યક્તિઓના સદ્‌ગુણોને તમારા જીવનમાં ઉતાર્યા છે? કોઈ પણ વ્યક્તિની – એ જાણીતી હોય કે અજાણી, સાચા દિલથી પ્રશંસા કરવી હોય તો પહેલાં એ વિચારો કે તમે એ વ્યક્તિમાંથી એવો કયો ગુણ તમારા પોતાના જીવન માટે અપનાવી શકો એમ છો. લતાજી જેવું ગાઈ શકો એવું ગળું નથી કે તેંડુલકર જેવી બેટિંગ કરતાં નથી આવડતું – ભલે, પણ એમનામાં બીજા અનેક ગુણો છે; એની કલ્પના કરો અને એમાંથી એકાદ ગુણ પણ તમારા જીવનમાં ઊતરે એવી કોશિશ કરો. આવું કરવાથી તમને જ ફાયદો થવાનો છે અને એવું કરશો તો કોઈનાં વખાણ કરીને એમના ઉમદા ગુણોને પારખવા જેટલી તમારામાં અક્કલ છે એવું પ્રગટ કરવાની તમારી હોંશ માત્ર વાણીવિલાસ છે એવું નહીં લાગે – તમને પોતાને અને બીજાઓને પણ.

ફરિયાદો કરવી અને પ્રશંસા કરવી એ તમારો જન્મસિદ્ધ હક્ક છે એવું જ્યારે જ્યારે તમને લાગે અને એ જન્મસિદ્ધ હક્કનો અમલ કરવાની તાલાવેલી થાય ત્યારે આ વાતો ધ્યાનમાં રાખજો. તમારું ભલું થશે, અને બીજાઓનું પણ.

પાન બનાર્સવાલા

અમે તો સમંદર ઉલેચ્યો છે, પ્યારા!
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે;

મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બુદ્‌બુદા ઓળખે છે.

સ્વયં હું જ રાહી, સ્વયં હું જ મંઝિલ,
મળી છે મને સ્થિરતા ધ્રુવ જેવી;
સદીઓથી મારી ખબર છે દિશાને
યુગોથી મને કાફલા ઓળખે છે.

—‘શૂન્ય’ પાલનપુરી

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

9 COMMENTS

  1. જેમ જાહેર સ્થળોએ ગંદકી ન કરવી એ નાગરિકો ની ફરજ છે તેવી રીતે સરકારી સફાઈ કર્મચારીઓ ની પણ ફરજ છે કે નિયમિત યોગ્ય સફાઈ કરે, જે એલોકો બરોબર સફાઈ નથી કરતા….. એક તાજું ઉદાહરણ આપું છું …. મુંબઈ માં અત્યારે ચોમાસા પહેલા ની ગટરો ની સફાઈ ચાલે છે ….. મારા area માં ગટરો ની સફાઈ તો થઈ ગઈ પણ ચાર દિવસ થયા ગટર ની બહાર કચરા ના ઢગલા હજી પડ્યા છે, ઉપાડવા ની કોઈ ને ફુરસદ નથી, senior અધિકારીઓ પણ ધ્યાન નથી રાખતા કે કચરો ઉપાડવાની જેની જવાબદારી છે તે બરોબર કામ કરે છે કે નહિ …. બધો વાંક નાગરિકો નો ના હોય ….!!!

  2. સુંદર આર્ટિકલ, સારા અને ઉમદા વિચારો, પણ એક પણ સભ્ય, ઘર દીઠ અમલ માં મુકવા પ્રયત્ન કરે તો જ આ લેખ ની સફળતા મળે.

  3. Did not like your description of Ukraine Ruler as Comedian Ruler. Uncalled for.
    The continuous war has definitely affected me, rapid increase in cost of living.

  4. મા. સૌરભભાઈ,
    આ લેખ પ્રતીતિકારક ન લાગ્યો.
    જાહેર સેવાઓમાં ઉણપ હોય તો એ ઉણપ શાસકોના ધ્યાન પર લાવવા ફરિયાદ કરવી પડે. મારી ગલીમાં કચરો પડ્યો હોય કે મારી ગલીમાંની ગટર ઉભરાતી હોય તો ફરિયાદ કર્યા વગર બીજો રસ્તો નથી.
    નાનું બાળક રડે (ફરિયાદ કરે) ત્યારે જ માતા દૂધ પીવડાવે છે.
    લેખની પ્રશંસા કરવાનું ટાળ્યું છે.

  5. એ ભાઈ, ચાલવા દ્યો… આ બધું… મઝો પડે છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here