એક ફિલ્મ તમને શું શું શીખવાડી જતી હોય છે

ગુડ મોર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : સોમવાર, 19 નવેમ્બર 2018)

મરાઠી અને ગુજરાતી ભગિની ભાષાઓ છે. બેઉ બહેનોની જનની એક જ છે. બેઉ સંસ્કૃતમાંથી ઊભરી આવે છે એટલે ઘણાબધા શબ્દોમાં સામ્ય છે. પણ કેટલાક શબ્દોના અર્થ મરાઠીમાં સાવ જુદા જ થાય. ગુજરાતીમાં કૌતુક, સમાધાન અને ઘટસ્ફોટનો જે મીનિંગ થાય એના કરતાં મરાઠીમાં સાવ જુદો જ અર્થ થાય. આપણા માટે કૌતુક એટલે વિસ્મય અથવા આશ્ર્ચર્ય. મરાઠીમાં કૌતુક એટલે વખાણ. સમાધાન એટલે ગુજરાતી કોમ્પ્રોમાઈઝ, મરાઠીમાં સંતોષ. કોઈ ખાનગી વાત ખુલ્લી પડે તો ગુજરાતીમાં એનો ઘટસ્ફોટ થયો કહેવાય. મરાઠીમાં પતિ-પત્ની છૂટાં પડે તો એ બંનેએ ડિવોર્સ લીધા એમ ન કહેવાય, એમની વચ્ચે ઘટસ્ફોટ થયો એવું કહેવાય. (આમ તો, આપણા ગુજરાતી જેવો જ મીનિંગ થયો. પતિ-પત્ની વચ્ચે બનતું નથી એવી ખાનગી વાત ફેમિલી કોર્ટમાં જઈને જાહેર કરવી પડે તેને ઘટસ્ફોટ કર્યો એવું જ કહેવાય ને). 

‘ઈથે ઓશાળલા મૃત્યુ’. વસંત કાનેટકરના ‘અશ્રું ચી ઝાલી ફૂલે’ પછીના આ નાટકમાં ડૉ. કાશીનાથ ઘાણેકરનો લીડ રોલ હતો. ઓશાળ એટલે ઓશિયાળું, લજવાવું, અંગ્રેજીમાં જેને અબેશ્ડ કહે તે. (અંગ્રેજી અનઅબેશ્ડ – કોઈ સંકોચ વગર, લજ્જા વગર, બેશરમ બનીને શબ્દ તમે ઘણીવાર વાંચ્યો, સાંભળ્યો કે વાપર્યો હશે. એ અબેશ્ડનો વિરોધી શબ્દ છે). સાહિત્યિક ગુજરાતીમાં આ ટાઈટલનું ટ્રાન્સલેશન, લેખિકા ઉષા શેઠના પુસ્તકનુું શીર્ષક ઊછીનું લઈને કરવું હોય તો કરી શકાય. ‘મૃત્યુ મરી ગયું રે લોલ’. મરાઠી અને ગુજરાતીના અનેક શબ્દોના અર્થ સરખા હોય છે એવું એક ઉદાહરણ આ શીર્ષક: ‘ઈથે ઓશાળલા મૃત્યુ’ – અહીં મૃત્યુ ઓશિયાળું બની ગયું. 

કાશીનાથના મિત્ર-મસીહા પ્રભાકર પણશીકર નિર્મિત-અભિનીત આ નાટકના પણ ધનાધન પ્રયોગો ચાલી રહ્યા હતા. ફિલ્મમાં દર્શાવાયું છે કે ‘ઈથે ઓશાળલા મૃત્યુ’ના એક શોમાં ચાલુ સીને, ડાયલોગ બોલતાં બોલતાં ડૉ. કાશીનાથ ઘાણેકરને હાર્ટ અટેક આવે છે. એ સ્ટેજ પર ફસડાઈ પડે છે. કાશીનાથના અવાજમાં વૉઈસ ઓવર: રોજ ત્રણ અલગ અલગ ઠેકાણે ત્રણ શો કરવાના, બહારગામની ટુર્સ હોય (ગુજરાતી કરતાં મરાઠી રંગભૂમિના કળાકારોએ મુંબઈની બહાર વધારે દોડાદોડ કરવી પડતી હોય છે. ગુજરાત કરતાં મહારાષ્ટ્રનો પ્રદેશ ઘણો વિશાળ અને રાજકોટ – સુરત – અમદાવાદ – વડોદરા જેવાં તો મહારાષ્ટ્રમાં બે-ત્રણ ડઝન સેન્ટર્સ, ઉપરાંત ‘બી’ ટાઉન્સમાં પણ નાટ્યશોખીનો માટે શોઝ યોજાય. આને લીધે આપણા સારાં નાટકોનાં બહુ બહુ તો ૨૦૦-૩૦૦ શો થાય, જેમાં સિદ્ધાર્થ રાંદેરિયા અપવાદ – એમના નાટકોનાં ૫૦૦-૬૦૦ શો થાય. મરાઠીનું સારું નાટક બહુ ઝડપથી ૩૦૦-૪૦૦-૫૦૦ શો કરી લે. ફિલ્મમાં વસંત કાનેટકર એમ કહે કે: ‘મારે કંઈ મારા નાટકના માત્ર ૧૦૦ જ શો નથી કરવા.’ આપણે ત્યાં સો પ્રયોગ થાય તો એ અચીવમેન્ટ ગણાય). બહારગામની દોડધામ ઉપરાંત, ખરાબ આદતો, વ્યસન, તબિયત પ્રત્યેની અને ઓવરઓલ લાઈફ પ્રત્યેની બેદરકારી – એનું પરિણામ આ પ્રથમ હાર્ટ અટેક જેણે ૪૦-૪૨ની નાની ઉંમરે કાશીનાથને વૉર્નિંગ આપી દીધી. 

આ હાર્ટ અટેક પછી ‘ઈથે ઓશાળલા મૃત્યુ’ના શોઝ છોડીને કાશીનાથ ઘાણેકરે રેસ્ટ લેવો પડ્યો. એમનો રોલ ડૉ. શ્રીરામ લાગુ કરવા લાગ્યા. (ફ્લ્મિમાં આ વિગત નથી પણ એવું થયું હતું). 

સાજા થયા પછી કાશીનાથે ‘ગારંબી ચા બાપુ’માં લીડ રોલ કર્યો. શ્રી.ના પેંડસે (શ્રીપાદ નારાયણ પેંડસે) લિખિત આ નાટકથી ફરી એક વાર કાશીનાથનો સિતારો ચમક્યો. પણ તેજસ્વી માણસો ભૂલો પોતાના સિતારાઓ ચમકતા હોય ત્યારે જ કરતા હોય છે. ફોર ધૅટ મેટર ભૂલો તેજસ્વી માણસો જ કરતા હોય છે. મિડિયોકર અને બુઝાયેલા માણસો નવું કશું સાહસ કરવાને પોતાનું સાચવીને બેસી રહેતા હોય છે એટલે એમને ભૂલો કરવાની તક નથી મળતી હોતી, અને એટલે તેઓ પોતાને પેલા તેજસ્વી તારલાઓ કરતાં વધુ ઊંચા માનવાની ભ્રમણામાં રહીને જિંદગી પૂરી કરે છે પછી કાળની ગર્તામાં ખોવાઈ જાય છે. 

કાશીનાથ જેવા કોઈ પણ સફળ માણસના મગજમાં સફળતાની રાઈનો વઘાર થવાનો જ. (કેટલાકના મગજમાં તો નિષ્ફળતાની રાઈ ચઢી જતી હોય છે). આવી તુમાખી ક્રિયેટિવ કળાકારને નવી ઊંચાઈઓની બુલંદી દેખાડી શકતી હોય છે અને ક્યારેક આવો ઘમંડ (મને કોણ કંઈ કહેવાનું છે. હું તો એ બધાથી પર છું) એને ફરી એક વાર ભોંય પર પટકતી હોય છે. કાશીનાથ સાથે એવું જ થયું. ‘ગારંબી ચા બાપુ’ના છેલ્લા દૃશ્યમાં જે અભિનેત્રીએ કાશીનાથના શરીર પર માથું ઢાળી દેવાનું હોય છે એને કાશીનાથે વારંવાર કહ્યું છે કે તારે મારા ગળા પર નહીં, ખભા પર માથું ઢાળવાનું છે. ક્લાઈમેક્સનો સીન છે. તું ગળા પર આવીને પડે છે તો મારી આખી એનર્જી ડાઉન થઈ જાય છે. 

પણ આ શોમાં અભિનેત્રીએ ફરી ભૂલ કરી. કાશીનાથે ચાલુ નાટકમાં એ અભિનેત્રીને કમર પર જોરથી લાંબો ચીમટો ભર્યો. નાટક પૂરું થયું. તાળીઓ પડી. પ્રોડ્યુસરે વિંગમાંથી આ હરકત જોઈ લીધી. અભિનેત્રીએ ભલે ભૂલ કરી પણ કાશીનાથે જે કર્યું તે અક્ષમ્ય અપરાધ હતો. બદતમીજી હતી. સહકલાકારનું જ નહીં, રંગદેવતાનું અપમાન થાય એવું આ વર્તન હતું. તત્ક્ષણ ‘ગારંબી ચા બાપુ’માંથી કાશીનાથને કાઢી મૂકવામાં આવે છે. બીજા દિવસે આ ચીમટા પ્રકરણ છાપામાં ગાજે છે. સમગ્ર નાટ્યજગત, કાશીનાથના હજારો ચાહકો હતપ્રભ થઈ જાય છે. 

આ જ ગાળામાં એક દિવસ દાદરસ્થિત મુંબઈના વિખ્યાત નાટ્યગૃહ ‘શિવાજી મંદિર’ની સામે બે મિત્રો મળે છે. (આ નાટ્યગૃહમાં દાયકાઓથી સપ્તાહના સાતેય દિવસ મરાઠી નાટકો/કાર્યક્રમના ત્રણ-ત્રણ શો રોજ થાય છે. ગિરગામના ‘સાહિત્ય સંઘ’માં પણ તે વખતે દિવસના એક કરતાં વધારે શો થતાં. મરાઠી નાટકો હવે તો પ્રભાદેવીના રવીન્દ્ર નાટ્યગૃહ, માટુંગાના યશવંત નાટ્યગૃહ, પાર્લાના દીનાનાથ, થાણેના ગડકરી રંગાયતન, બોરીવલીના પ્રબોધનકાર તથા થાણે-હીરાનંદાનીના કાશીનાથ ઘાણેકર નાટ્યગૃહ ઉપરાંત કલ્યાણ, ડોંબિવલી વગેરેના સુંદર નાટ્યગૃહોમાં નિયમિત થાય છે, પણ એ જમાનામાં આ બધાં હજુ બંધાયા નહોતાં ત્યારે ૧૯૭૦ના દાયકાના અંતિમ વર્ષોમાં – કૉલેજકાળમાં શિવાજી મંદિર તથા સાહિત્ય સંઘ – દાદર અને ગિરગામ વચ્ચે દોડાદોડી કરીને બે જ દિવસમાં કુલ પાંચ મરાઠી નાટકો જોયાં છે).

કાશીનાથની કારમાં પણશીકર બેઠા છે અને મિત્ર સલાહ આપી રહ્યા છે: નાટ્યજગત હવે બદલાઈ રહ્યું છે. તું તારી તુમાખી છોડીને અપડેટ થા અને કામમાં ધ્યાન આપ. વિજય તેન્ડુલકરની લેખિની વંટોળ બનીને મરાઠી રંગભૂમિ પર ફેલાઈ રહી છે. (તેન્ડુલકરના ‘ગિધાડે’ નાટકમાં ડૉ. શ્રીરામ લાગુનું કામ ખૂબ વખણાતું થયું હતું અને અફકોર્સ શિરવાડકરના ‘નટ સમ્રાટ’ને લીધે શ્રીરામ લાગુ અભિનેતા તરીકે ખૂબ ઊંચા પેડેસ્ટલ પર સ્થપાઈ ચૂક્યા હતા). પણશીકર કહે છે: શ્રીરામ લાગુ જે રીતે કામ કરી રહ્યા છે તે જોઈને લાગે છે કે જો તું નહીં સુધરે તો એક દિવસ એ તારી ને મારી દુકાન બંધ કરાવીને રહેશે.

આ કહેવાય છે ત્યારે બેઉ મિત્રો જુએ છે કે સામે ‘શિવાજી મંદિર’નો શો છૂટ્યો છે અને ડૉ. શ્રીરામ લાગુ પોતાની કારમાં બેસવા જાય તે પહેલાં પ્રશંસકો-પ્રેક્ષકોની પ્રચંડ ગિર્દી એમને ઘેરી વળી છે. કાશીનાથ તરત જ કાર રિવર્સમાં લઈને યુટર્ન મારીને ‘શિવાજી મંદિર’ના એન્ટ્રન્સ નજીક પાર્ક કરીને બહાર નીકળે છે. કાશીનાથને જોતાં જ આખુંય ધાડું હુડુડુડુ કરીને ડૉ. લાગુને પડતા મૂકીને પોતાના પ્રિય સુપરસ્ટારને ઘેરી વળે છે. એકલા ઊભેલા ડૉ. લાગુ પાસે એક બાલિકા હાથમાં ઑટોગ્રાફ બુક અને પેન લઈને આવે છે. ડૉ. લાગુ એમાં હસ્તાક્ષર કરવા જાય તે પહેલાં જ બાલિકા કાશીનાથને ઘેરી વળેલા ટોળાં ભણી જઈને કહે છે: ‘અંકલ ત્યાં ગિરદી બહુ છે. મને એમનો ઑટોગ્રાફ લાવી આપો ને.’ 

ડૉ. લાગુ ક્ષણભર ખમચાય છે. પછી છોકરીને લઈને પોતાના હાથમાંની ઑટોગ્રાફ બુક તથા પેન સાથે પ્રભાકર પણશીકરને મળે છે. ખબરઅંતર પૂછીને લાગુ ઈશારાથી કહે છે: ‘પંત, આ દીકરીને કાશીનાથનો ઑટોગ્રાફ જોઈએ છે (મારો નહીં). જરા તું મદદ..’ શબ્દો બોલાતા નથી પણ ત્રુટક ત્રુટક જેજચર્સ છે. પણશીકર લાગુને કહે છે: ‘જોયું, નાની કિશોરીઓ પણ કાશીનાથની ફૅન છે.’ ત્યારે લાગુ બોલે છે: ‘પણ આ પેઢી મોટી થઈને સમજદાર, (મેચ્યોર્ડ) થઈ જશે ત્યારે એમના હીરો બદલાઈ ગયેલા હશે.’ 

ડૉ. શ્રીરામ લાગુના આ શબ્દો પ્રોફેટિક છે. કામચલાઉ ઘેલછા ઊભી કરતા એકટરો-કળાકારો-લેખકો ઈત્યાદિની સરખામણીએ નક્કર કાર્ય દ્વારા સોલિડ પાયો નાખનારાઓની ઊર્ધ્વ ગતિ ભલે ધીમી હોય પણ એક વખત મૅચ્યોરિટી આવી ગયા પછી એમના કામની ગુણવત્તાની ઊંચાઈ વિશે ખાતરી થઈ ગયા પછી, લોકો પેલી ચમકદમકવાળી આંખો આંજી દેનારી ગ્લેમરમાંથી બહાર આવી જતા હોય છે. 

ડૉ. લાગુને છોડીને પોતાને ઘેરી વળેલી મેદની જોયા પછી કાશીનાથ પણશીકરને પૂછે છે: બોલ હવે, કોણ કોની દુકાન બંધ કરશે? 

પણશીકર ચૂપ થઈ જાય છે. દોસ્તને અમુક હદ સુધી જ સલાહ આપવાની હોય. એથી વધારે સલાહ આપવા જતાં દોસ્તી સામે જોખમ ઊભું થઈ જાય. સહૃદયી મિત્રની સલાહથી જે ન સુધરે તેણે પછી આકરી કિંમત ચૂકવીને પથ્થર પર ઠોકર ખાઈને સુધરવું પડતું હોય છે.

વાર્યા ન વરે તે હાર્યા વરે એવું આપણામાં કહેવાય છે. કાશીનાથ માનવા તૈયાર નહોતા કે એમનું ફૅન ફૉલોઈંગ ઓછું થતું જાય છે. પોતાની જાતજાતની હરકતોથી પોતાના જ પ્રશંસકો દૂર થતા જાય છે અને ડૉ. શ્રીરામ લાગુની લોકપ્રિયતા વધતી જાય છે. એક દિવસ ‘અશ્રું ચી ઝાલી ફુલે’ના પ્રયોગમાં પ્રિન્સિપાલ અને લાલ્યાનો સીન ચાલી રહ્યો છે. પ્રભાકર પણ શીવુરના સંવાદના જવાબમાં કાશીરામ ઘાણેકર પોતાની મોહક અદાથી એક હાથ ઊંચો કરી, હથેળી-આંગળીઓ ફેલાવી ‘ઉસ્મેં ક્યાયે?’ (‘ઉસ મેં ક્યા હૈ’) બોલે છે. અત્યાર સુધી પ્રેક્ષાગારમાં બેઠેલા લોકો આ સંવાદને વધાવી લેતા. સ્ટેજ પર આ સંવાદ બોલાય તે પહેલાં જ તમામ પ્રેક્ષકો એકી સાથે બોલી ઊઠતા: ઉસ્મેં ક્યાયે? નાટ્યગૃહમાં રોમાંચ વ્યાપી જતો, ગરમાટો આવી જતો. પણ આ વખતે કાશીનાથના આ સંવાદનો કોઈ પડઘો પડ્યો નહીં. સન્નાટો. ઑડિયન્સમાંથી એક જણ પણ આ સંવાદથી – અદાથી પ્રભાવિત થયું નહીં. કાશીનાથે ફરી એક વાર એ જ અદામાં આ ડાયલોગ ફેંકયો: ઉસમેં ક્યાયે? કોઈ હાલ્યું નહીં. કાશીનાથ પોતાની જગ્યાએથી ઊભા થઈને સ્ટેજની ફ્રન્ટમાં આવીને સ્પોટલાઈટ પોતાના પર આવે એ રીતે ઊભા રહીને બોલે છે: ઉસ્મેં ક્યાયે? પ્રેક્ષકો ઠંડા છે. પણશીકર ઊભા થઈને કાશીનાથ પાસે આવીને કાનમાં કહે છે: નેકસ્ટ લાઈન બોલ, અને નાટક આગળ વધવા દે. કાશીનાથ છેલ્લે મરણિયો પ્રયાસ કરે છે: ઉસ્મેં… અને કયાએ? બોલતાં બોલતાં એમનો અવાજ ફાટી જાય છે, એ ભાંગી પડે છે, તૂટી જાય છે – પોતાની તૂટતી પ્રતિમા જોઈને જે એક જમાનામાં પેડેસ્ટલ પર હતી.

નાટક જેમતેમ પૂરું થાય છે. પણશીકર કાશીનાથને સમજાવે છે: ૭૦૦-૮૦૦નું ઑડિયન્સ હતું, તું એમની સાથે રિસાઈ જાય એવું ના ચાલે. કાશીનાથ કહે છે; ‘પણ એ લોકોએ તાળીઓ કેમ ના પાડી.’ પણશીકર કહે છે કે ‘અહીંનું ઑડિયન્સ આમેય તાળીઓ ઓછી પાડતું હોય છે’ (આવું બનતું હોય છે. ગુજરાતી નાટક જો નરીમાન પોઈન્ટના ‘ચવ્હાણ’માં ભજવાય તો વાલકેશ્ર્વરથી જોવા આવેલું ઑડિયન્સ ટિકિટના પૈસા તો પૂરા આપી દીધા છે, પછી તાળીઓ શું કામ પાડવાની’ એવા અપ્રોચ સાથે અચ્છા-અચ્છા સીનને ઠંડાગાર બનાવી દે. જ્યારે બોરીવલીના ‘પ્રબોધનકાર’માં આવેલું ઑડિયન્સ સહેજસરખી મઝા પડી જાય તો તાળીઓ અને સીટીઓથી કળાકારનો ઉત્સાહ વધારી દે).

કાશીનાથ સ્વીકારવા તૈયાર નથી કે પોતાની લોકપ્રિયતા ઓસરી રહી છે. એ પણશીકરને કહે છે: નાટક તો ગઈ કાલે જ હાઉસફુલ થઈ ગયું હતું. આ બધા જ લોકો લાલ્યાને જોવા આવ્યા હતા.

પણશીકર કહે છે: તું ભૂલે છે. અત્યાર સુધી તેઓ લાલ્યાને જોતા હતા. આજે એમણે (અભિનેત્રીને ચીમટો ભરવાની ભદ્દી હરકત કરનારા) કાશીનાથને જોયો.

આ સાંભળીને કાશીનાથનો એક ચમચો બોલી ઊઠે છે: પણ લાલ્યો અને કાશીનાથ એક જ તો છે.

દરેક કલાકારે, સર્જકે, લેખકે પોતાના ચમચાઓથી દૂર રહેવું – ખાસ કરીને પોતાની પડતીના કાળમાં. તેઓ તમારું પર્સેપ્શન ખોરવી નાખતા હોય છે. પડતીના સમયે તમને સાચી સલાહ આપવાને બદલે વાસ્તવિક્તાથી દૂર લઈ જઈને ભ્રમણામાં રાખતા હોય છે.

કાશીનાથ માની બેસે છે કે આ શોનું ઑડિયન્સ એવું નહોતું. કોઈએ પૈસા આપીને પોતાના માણસો બેસાડી દીધા હતા – શો ફલોપ કરવા. આ કોઈક ડૉ. શ્રીરામ લાગુ જ છે એવું ભૂંસું કાશીનાથના દિમાગમાં ભરાઈ ગયું છે. ૧૯૭૩. ‘કાચે ચા ચન્દ્ર’. સુરેશ ખરે લિખિત-દિગ્દર્શિત આ સુપરહિટ નાટકમાં લીડ રોલ ડૉ. શ્રીરામ લાગુનો. એક દિવસ નાટકનો શો ચાલુ હતો અને કાશીનાથ પોતાના ચમચામંડળ સાથે આવીને ફ્રન્ટ રોમાં ગોઠવાઈ ગયા. ઑડિયન્સ જ નહીં, સ્ટેજ પરના કળાકારો સુધ્ધાં કાશીનાથને જોઈને એમનો જયજયકાર કરવા લાગ્યા. નાટક થંભી ગયું. સ્ટેજ પર પોતાની ભૂમિકામાં ઓતપ્રોત થઈ ગયેલા ડૉ. શ્રીરામ લાગુ ક્ષોભમાં મુકાઈ ગયા. કાશીનાથે આ તમાશો માણી લીધા પછી મંચ પરના કલાકારોને તોછડાઈથી ઈશારો કરીને કહ્યું: તમતમારે નાટક ચાલુ રાખો.

કાશીનાથ ઘાણેકરના ગમે એટલા આર્ડન્ટ ફૅનને પણ ન પસંદ પડે એવી આ હરકત હતી. ડૉ. લાગુના તમે સગા દુશ્મન હો તો પણ તમે આ પ્રસંગે ડૉ. લાગુના પક્ષે જઈને ઊભા રહો. અને અહીં તો કોઈ ગૅન્ગવૉર થોડી હતી? બે કળાકાર હતા, પ્રતિસ્પર્ધી હતા એ ખરું પણ સંસ્કારી ક્ષેત્રના મહારથીઓ હતા.

આ સીન પછી ડૉ. શ્રીરામ લાગુ (અર્થાત્ સુમીત રાઘવન)ના અવાજમાં વૉઈસ ઓવર છે:

‘ઈથે આલો તેવ્હા ચ માહિતી હોતી કિ હે રંગભૂમિ નવ્હે, રણભૂમિ આહે. ઈથે સ્પર્ધા-પ્રતિસ્પર્ધા, દાવ-પ્રતિદાવ યાંચી પણ એક વિશિષ્ટ ગમ્મત આહે. પણ જેવ્હા એક કળાકાર દુસર્યાના ખેળેત વ્યત્યય આણતો તેવ્હા તો કળાકાર મ્હણૂન સંપલેલા અસતો. આ જ એકા રાત્રિત તો સંપલા કાયમ ચા…’

અને પછી તરત જ કાશીનાથ ઘાણેકર (સુબોધ ભાવે)ના અવાજમાં વૉઈસ ઓવર: અને એક જ રાતમાં, મેં જે કંઈ ગુમાવ્યું હતું તે બધું જ ગુમાવી દીધું. પોતાના જીવ કરતાં પણ હું જેમને અધિક વહાલો હતો એવા મારા ફૅન્સ, મારામાં રહેલો કળાકાર અને…

સંવાદમાં વાક્ય અધૂરું છોડી દેવાયું છે. તમારે તમારા અનુભવ પરથી કલ્પના કરી લેવાની કે આવી પરિસ્થિતિ વખતે માણસ પોતાનું શું શું ગુમાવી બેસતો હોય છે.

ડૉ. લાગુની વાત સાચી હતી. સ્પર્ધા-દાવપેચ તો બધા ક્ષેત્રોમાં હોય. પણ જ્યારે કોઈ દોડવીર બીજા માટેની ઈર્ષ્યાને કારણે એ દોડતો હોય ત્યારે એના પગમાં આંટી ભરાવીને એને પાડી નાખવાની ચેષ્ટા કરે ત્યારે એ સ્પોર્ટ્સમૅન તરીકે પરવારી જતો હોય છે.

અને આ વાત કાશીનાથને પણ સમજાઈ. એણે પોતે પણ પોતાની જાત આગળ કબૂલ કરી. એણે જિંદગીમાં શું શું ગુમાવ્યું એની યાદીમાં ‘અને…’ પછી જે આવે છે તે એની પત્ની ઈરાવતી. તરત જ જે સીન આવે છે એમાં ઈરાવતી કાશીનાથને કહે છે કે એ એને છોડીને જઈ રહી છે – બીજા કોઈની સાથે લગ્ન કરવા. (ઈરાવતી એ પણ શ્રીમતી ઘાણેકરમાંથી શ્રીમતી ભિડે બન્યાં).

કાશીનાથની કારકિર્દીએ જે ઝડપે ઉપરની તરફ ગતિ કરી હતી તેનાથી બમણી ઝડપે નીચે ગબડી રહી હતી. કાશીનાથને કુદરત હજુ એક ગોલ્ડન ચાન્સ આપે છે. આનંદી ગોપાળ જોશીની જિંદગી પરથી શ્રી કૃષ્ણ જનાર્દન જોશીએ લખેલી નવલકથા ‘આનંદી ગોપાળ’ પરથી રામ જોગળેકર એ જ નામનું નાટક લખે છે જેમાં લીડ રોલ કાશીનાથને મળે છે. ફરી એક વાર લાગે છે કે કાશીનાથ આ નાટકથી કમ બૅક કરશે. ઑડિયન્સ વધાવી લે છે પોતાના પ્રિય કળાકારના આ પુનરાગમનને. પણ આ વખતે કાશીરામ નાટક છોડી દે છે. શું કામ?

કાશીનાથ ઘાણેકરની એક ખાસિયત હતી. પોતાનો શો શરૂ થવાનો હોય તે પહેલાં તેઓ ઘરેથી નીકળતી વખતે થિયેટરની બૉક્સ ઑફિસ પર ફોન કરીને પૂછી લે કે શો હાઉસ ફુલ થયો કે નહીં. જો જવાબ મળે કે ના, પાંચ સાત ટિકિટ બાકી છે – તો કાશીનાથ કહી દે કે એ મારા નામે ખરીદી લો અને હાઉસ ફુલનું પાટિયું લટકાવી દો. પછી એ પ્રેક્ષકો વચ્ચે થઈને થિયેટર પર ગ્રાન્ડ એન્ટ્રી મારે.

નાટક જેવું પૂરું થાય કે તરત જ એમનો મેકઅપ મૅન તેલ વગેરે લઈને તૈયાર ઊભો હોય. કાશીનાથ ઝડપથી મૅક-અપ ઉતારીને, નાટ્યગૃહ છોડી રહેલા પ્રેક્ષકોમાં ભળીને પોતાનાં વખાણ સાંભળતા રહે, પોતાની કીર્તિની ગ્લોરીમાં માણતા રહે. (આ બધું જ વિગતે ફિલ્મમાં નથી, પણ આવું હતું) ‘આનંદી ગોપાળ’માં કાશીનાથે બનાવટી ટાલની વિગ, મૂછ, ભ્રમર, મસો વગેરે પહેરવાનાં હતાં જે કાઢવામાં ઘણી વાર લાગી જતી અને ત્યાં સુધી ઑડિયન્સ નીકળી ગયું હોય, થિયેટર ખાલી થઈ જાય. કાશીનાથને મઝા નહોતી આવતી. એમણે સડસડાટ ચાલતું નાટક છોડી દીધું.

એક વાર આ નાટક જોવા ડૉ. શ્રીરામ લાગુ આવ્યા હતા. ફ્રન્ટ રૉમાં બેઠા હતા. લોકો તાળીઓ પાડે પણ લાગુ ચૂપચાપ હાથ રાખીને જોયા કરે. કાશીનાથે આ જોયું. કાશીનાથ નર્વસ થઈ ગયા. પણ લોકોની તાળીઓ પર મુસ્તાક હતા. નાટક પૂરું થયા પછી લાગુ બૅકસ્ટેજમાં આવીને સૌને અભિનંદન આપે છે. કાશીનાથ એક ખૂણામાં બેઠા છે. એક છોકરી લાગુનો ઑટોગ્રાફ લેવા આવે છે. લાગુ જુએ છે કે એની ઑટોગ્રાફ બુકમાં તમામ પાના પર કાશીનાથના જ હસ્તાક્ષર હતા. લાગુ જરાય વિચલિત થયા વિના એકાદ કોરું પાનું શોધીને ઑટોગ્રાફ આપે છે. આ સીન વખતે વૉઈસ ઓવરમાં કાશીનાથનો સંવાદ છે: એ રાત્રે એમને (લાગુને) ખબર પડી તે હું કોણ હતો. અને મને પણ સમજ પડી કે હું તો પાત્ર ‘હતો’, જ્યારે એ ‘છે’ એ ‘રહેશે’.

અભિજિત દેશપાંડેએ દિગ્દર્શન કરેલી આ પહેલી જ ફિલ્મના પ્રથમ સીનમાં જ કાશીનાથ ઘાણેકરનો બહિષ્કાર કરવા માટે મરાઠી નાટ્યજગતના ધુરંધર પ્રોડ્યુસરો ભેગા થયા છે. આ સીનમાં કાશીનાથ ઘાણેકરની ભરપેટ નિંદા છે. સીન અધૂરો મૂકીને ફિલ્મ શરૂ થઈ જાય છે – કાશીનાથની પ્રોમ્પટર તરીકેની કામગીરીથી.

ફિલ્મનો અંત આવી રહ્યો છે ત્યારે આ નાટ્યનિર્માતાઓની મીટિંગવાળો સીન રિપીટ થાય છે અને આ વખતે અધૂરો નથી રહેતો. નિર્માતામંડળીમાં કાશીનાથ તથા મિત્ર-મસીહા અને ‘નાટ્યસંપદા’ સંસ્થાના માલિક પ્રભાકર પણશીકર પણ છે. કાશીનાથનો બહિષ્કાર કરવાનો ઠરાવ અલમોસ્ટ બહુમતીથી પસાર થવાની તૈયારીમાં છે ત્યારે પ્રભાકર પણશીકર ઊભા થઈને પોતાના દોસ્તના બચાવમાં જે એકોક્તિ બોલે છે તે યાદગાર છે:

‘એક મિનિટ, એક મિનિટ… અત્યારે કાશીનાથનાં પાપોનો હિસાબ કરવાવાળા આપણાઓમાંથી કોણ ધોયેલા તાંદૂલ જેવું શુભ્ર છે? ભૂલો થઈ છે, એ અમુક બાબતોમાં સાવ ખોટો પણ હતો, કબૂલ. એણે લક્ષ્મણરેખા પણ ઓળંગી છે, હું માનું છું. પણ અસામાન્ય પ્રતિભા સાથે આવી નાની મોટી ત્રુટિઓ પણ આવી જતી હોય છે. અને મને કહો કે તમારામાંથી કેટલાને ખબર છે કે કાશીનાથ ઘાણેકર હોવું એટલું શું? હિંદી ફિલ્મોને કારણે જ્યારે મરાઠી રંગભૂમિ પર કાગડા ઊડતા હતા ત્યારે આ કાશીનાથ એની વહારે ધાયો. ક્યારેક એ સંભાજી બનીને અવતર્યો તો ક્યારેક લાલ્યા બનીને ઝળક્યો. પ્રેક્ષકોને ખેંચીને ટિકિટબારી પર લઈ આવ્યો. આજે એને કારણે થયેલી નુકસાનીનો હિસાબ માંડતા નિર્માતાઓને ગઈ કાલે કાશીનાથે ઊભા કર્યા હતા, એમની તિજોરીઓ ભરી હતી. રંગભૂમિને જ્યારે જરૂર હતી ત્યારે એ હતો અને આજે એને જ્યારે રંગભૂમિની જરૂર છે ત્યારે આપણે આવી રીતે વર્તીએ છીએ? એને એક તક આપીશું તો એ ફિનિક્સની જેમ પોતાની રાખમાંથી ફરી ઊભો થશે. હું અને મારી કંપની કાશીનાથની પાછળ અડીખમ રહીને ઊભાં છીએ. તમે નક્કી કરો કે કોણ અમારી સાથે છે.’

આવી સોલિલોકી પછી બીજું કંઈ લખવાનું મન થતું નથી.

સમાપ્ત.

આજનો વિચાર

સાચો છું તોય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.

– ડૉ. રઈશ મનીઆર

એક મિનિટ!

કાર્ડિયોલૉજિસ્ટ: યુ હૅવ થ્રી બ્લોક્સ!

બકો: નહીં, ડૉક્ટરસાહેબ. ચાર છે. એક છસો સ્કવેર ફીટનો પાર્લામાં છે, બીજો કાંદિવલીમાં, ત્રીજો હમણાં જ ઘાટકોપરમાં લીધો અને ચોથો ભુજમાં લઈ રાખ્યો છે.

કાર્ડિયોલૉજિસ્ટ: એમાંથી એક કાલે જ વેચી નાખો. પરમ દિવસે તમારી બાયપાસ કરવાની છે.

6 COMMENTS

  1. એકદમ સંપૂર્ણ જેવું લેખ નું મથાળું એવો જ લેખ એક ફિલ્મ આપણ ને શું શું શીખવાડી જાય છે ???

  2. આણી કાશીનાથ…..રંગભૂમિ ના પડદા પાછળ ની દુનિયા થી ઘણે અંશે પરિચિત કરાવ્યા, એક કલાકાર ની વ્યક્તિગત દુનિયા તેના કામ થી કેટલી વિપરીત હોઈ શકે તે જાણ્યું…

  3. તાદ્રશ્ય વણઁન
    મરાઠી ભાષામાં કાંઇ ભાન પડતું નથી પરંતુ તો પણ રસ પડ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here