વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નબળાઈઓ : સૌરભ શાહ

( પ્રાઇમ મિનિસ્ટરનું ‘સ્વોટ’ એનાલિસિસ:ભાગ 2)

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ: બુધવાર, 27 મે 2020)

(આ લેખ 6 વર્ષ પહેલાં છપાયો હતો)

નરેન્દ્ર મોદીએ પહેલી વાર વડા પ્રધાન બનીને જે સાંજે સોગંદ લીધા એ દિવસે સવારે મારો આ લેખ પ્રગટ થયો. એમની સ્ટ્રેન્થ, વીકનેસ, ઑપોર્ચ્યુનિટી તથા એમની સામે તોળાઈ રહેલી થ્રેટ્સનું પૃથક્કરણ કરતી સીરીઝનો આ બીજો હપતો.

પાંચ સ્ટ્રેન્થ્સ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વીકનેસીસની વાત કરીશું.

મોદીની નબળાઈઓ વિશે રાજકીય સમીક્ષકો રમેશ ઓઝા, નગીનદાસ સંઘવી, એક્ટિવિસ્ટ પ્રકાશ ન. શાહ કે પછી પુસ્તક-ઋષિ મહેન્દ્ર મેઘાણી મારા કરતાં વધારે પ્રકાશ પાડી શકે. છેલ્લા દોઢેક દાયકામાં આ સૌએ અનેક વાર પોતપોતાનો મોદીદ્વેષ જાહેરમાં પ્રગટ કર્યો છે. હું પહેલેથી જ મોદીના વિચારોનો ચાહક અને સમર્થક રહ્યો છું, એટલે આ સૌ વડીલોની જેમ મોદીની નબળાઈઓ વિશે ‘તટસ્થ’ અને ‘નિષ્પક્ષ’ અભિપ્રાય ન આપી શકું . જોકે હું માનું છું કે તટસ્થતા અને નિષ્પક્ષતા માત્ર પરિસ્થિતિના આકલન વખતે જ જરૂરી છે. પરિસ્થિતિનું ઇવેલ્યુએશન કરતી વખતે આ બેઉ હોવાં જોઇએ, પણ અભિપ્રાય આપવાનો હોય ત્યારે ‘સિક્કાની બે બાજુએ છે કે’ અથવા ‘સત્ય આ બે અંતિમોની વચ્ચે છે’ અથવા ‘એ તો આવનારો સમય જ કહેશે’ જેવા શબ્દપ્રયોગો ભીરુતા સૂચવે છે. અભિપ્રાયો પ્રગટ કરતી વખતે તમારે સાચાનો અને સારાનો પક્ષ લેવાનો હોય, નિષ્પક્ષ કે તટસ્થ ન રહેવાનું હોય. આ વાત  ગાઈવગાડીને વારંવાર  કહેતો રહ્યો છું, કહેતો રહીશ.

1. મોદીની સૌથી મોટી વીકનેસ છે 2002નાં રમખાણો વખતે ખરડાવવામાં આવેલી એમની ઇમેજ. વડાપ્રધાન બન્યા પછી પણ આ ઇમેજને લઈને એમના વિરોધીઓ સખણા નથી બેસી રહેવાના. મોદીની કટ્ટરવાદી, રમખાણવાદી અને મુસ્લિમવિરોધી ઇમેજ, જે મીડિયાએ અને જે સેસ્યુલરવાદીઓએ  બનાવી છે તે સૌ કાં તો આજે મોદીના પાલામાં આવીને બેસી ગયા છે, કાં તો હાંસિયામાં ધકેલાઈ ગયા છે.

મોદીનું આર.એસ.એસ.નું બેકગ્રાઉન્ડ પણ એમના વિરોધીઓને ખૂંચે છે. પી.એમ. મોદીની દરેક નવી પૉલિસીને તેઓ આર.એસ.એસ.ના ત્રાજવે તોળવાની કોશિશ કરશે અને જરૂર પડ્યે હવનમાં હાડકાં જ નહીં, આખેઆખાં હાડપિંજર નાખીને મોદીના યજ્ઞને અભડાવશે. મોદી હિન્દુત્ત્વનો  ‘હ’ પણ બોલશે તો તેઓ એમના પર – સમગ્ર મોદીસરકાર પર— આ રાક્ષસો તૂટી પડશે. સુપ્રીમ કોર્ટે મોદીને ક્લીનચીટ આપ્યા પછી પણ આ લોકો મોદીએ જ 2002નાં રમખાણો કરાવ્યાં એવો જુઠ્ઠો પ્રચાર ચાલુ રાખે છે. હિન્દુવાદી મોદી આ દેશના મુસ્લિમોને સાઇડલાઇન કરશે એવો પ્રચાર કરીને દેશના સેક્યુલરો મોદીને પજવવાનું ચાલુ રાખશે. વાસ્તવમાં તો મોદીની જે સ્ટ્રેન્થ છે તેને ઊંધી લટકાવીને એને એમની વીકનેસ તરીકે ચીતરવામાં આવે છે. મોદીના ગુજરાતમાં મુસ્લિમોનો ઇક્વલ વિકાસ થયો છે એ વાત આ લોકોના ગળે ઊતરતી નથી. મોદી પી.એમ. તરીકે દેશના સવાસો કરોડ નાગરિકોનું ભલું કરશે જેમાં હિન્દુ ઉપરાંત મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, સિક્ખ- બધા જ – બધા એટલે બધા જ – આવી ગયા એવું આ વાંકેદેખાઓને દેખાતું નથી.

મોદીએ પોતાની આ વીકનેસ દૂર કરવા શું કરવું જોઈએ? કાંઈ નહીં. એ જે કંઈ કરી રહ્યા છે તે જ કરવાનું એમણે ચાલુ રાખવું જોઈએ. જે ઇમેજને કારણે અમેરિકા એમને વિઝા આપતું નહોતું એ અમેરિકાના પ્રેસિડન્ટ, વાઇસ-પ્રેસિડન્ટ ચાર-ચાર વખત એમને ફોન કરીને, સંદેશાઓ મોકલીને આમંત્રણો આપતા થઈ ગયા છે, અછોવાનાં કરે છે, કંકુચોખા મૂકે છે. સમયનું ચક્કર બદલાય છે, ઝડપથી બદલાય છે. ધીરજનો જ સવાલ છે.

2. મોદીની બીજી મોટી નબળાઈ એમનું ઇંગ્લિશ. ગુજરાતી અને હિન્દી બોલવામાં એમને કોઈ ન પહોંચે, પણ અંગ્રેજીમાં સડસડાટ પ્રવચન કરવાનાં એમને ફાંફાં છે.ચીન કે જપાનના રાષ્ટ્રવડાઓને તો કદાચ અંગ્રેજી જ નહીં આવડતું હોય. ફ્રાન્સ અને રશિયા જેવા દેશોના રાષ્ટ્રપ્રમુખો પણ અંગ્રેજીથી કતરાતા હોય છે. પણ  નહેરુ જેવું ફાંકડું અગ્રેજી બોલી-લખી નાખવાથી કંઈ તમે સારા વડાપ્રધાન નથી થઈ જતા. મોદીએ અંગ્રેજીમાં સંભાષણની કળા, અંગ્રેજીમાં વક્તૃત્વની કળા શીખી લેવી જોઇએ. મોદીએ 30 દિવસમાં અંગ્રેજી શિખવાડતી ‘રેપિડેક્સ’નો કોર્સ કરવાની જરૂર છે એવં કોઇ નહીં કહી શકે. વાંચીને કે સાંભળીને તેઓ ઘણું સારું અંગ્રેજી સમજી શકે છે. વાંધો ફ્લ્યુઅન્ટ બોલવાનો છે- મીડિયા સાથે, મીટિંગોમાં, ટીવી માટે ઇન્ટરવ્યૂ આપતી વખતે, બીજા દેશોના વડાઓ સાથેની મુલાકાતોમાં તેમ જ પ્રવચનોમાં. મોદી જે રીતે સતત પોતાને ટીપીટીપીને ઘડતા રહ્યા છે તે જોતાં એક વરસમાં તેઓ બરાક ઓબામા પણ ચકિત થઈ જાય એવું અંગ્રેજી બોલતા હોયતો નવાઈ નહીં લાગે.

મોદીની બીજી બે નબળાઈઓમાંની એક છેઃ તેઓ મીણબત્તીને બેઉ છેડે બાળી રહ્યા છે.

3. મોદીની ત્રીજી વીકનેસ છે બધાં જ કામનો જશ પોતે લઈ લેવાની. ગુજરાતમાં એમના માટે એ ફરિયાદ હતી. ગુજરાતમાં એમના સાથી પ્રધાનો, બ્યુરોક્રેટ્સને એમની કામગીરી માટે ભાગ્યે જ પ્રસિદ્ધિ કે જશ કે રેકગ્નિશન મળતાં. બધે જ મોદી, મોદી, મોદી. ગુજરાતની વાત જુદી હતી. પી.એમ. બન્યા પછી એમની પાસે ગેલેક્સી ઑફ લીડર્સ છે, જે સૌ પોતપોતાની રીતે રાષ્ટ્રીય સ્તરે જાણીતા છે. આ નેતાઓનો જશ પણ મોદી ખાટી જશે તો સ્વાભાવિક રીતે જ ચડભડ શરૂ થશે. ગાંધીજીની છત્રછાયામાં નેહરુ અને સરદારથી માંડીને કાકાસાહેબ, મશરૂવાળા, મહાદેવભાઈ વગેરે સૌકોઈની પ્રતિભાઓ દેશની પ્રજા સુધી પહોંચી હતી. કબૂલ કે અત્યારે મોદી પાસે ગાંધીજીના આ મહાન અનુયાયીઓ જેવા તેજસ્વી તારલાઓ નથી, પણ જે કોઈ છે તે બધા જ સાવ મામૂલી નેતાઓ પણ નથી. મોદીએ હવે વધારે ઉદાર, વધારે મગ્નેનિમસ બનવું જોઈએ. હવે એમની પાસે દરેક ક્ષેત્રના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત એક્સપર્ટ્સ આવવાના. રાજીવ ગાંધીએ સામ પિત્રોડાને કેટલા બધા જાણીતા કર્યા. મોદીએ આવા નિષ્ણાતોને એમની ડ્યુ ક્રેડિટ આપવી જોઈએ. એક નાનકડા દાખલો. 2003ની આસપાસના ગાળામાં ગુજરાતમાં ‘જ્યોતિર્ગ્રામ યોજના’ હેઠળ દરેક ગામને 24 કલાક વીજળી આપવાનું નક્કી થયું ત્યારે રાતોરાત કંઈ વીજમથકો અને વીજળીનાંદોરડાં નહોતાં નખાયાં. આમ છતાં યોજનાના પહેલા જ તબક્કે ટાર્ગેટ પૂરો થયો. કેવી રીતે? ગુજરાત સરકારના એક ઉચ્ચ, તેજસ્વી બ્યુરોક્રેટે સૂચવ્યું હતું  કે ગામડાંઓમાં ખેતરમાં પંપ ચલાવવા માટે વીજળીની ચોરી થાય છે, જેને કારણે લાઇન ટ્રિપ થઈ જાય છે અને એને કારણે ઘરોમાં પણ વીજળી બંધ થઈ જાય છે. એમણે ઉપાય સૂચવ્યો કે ખેતરને અને ઘરને મળતી વીજળીની ફીડર લાઇન અલગ કરી નાખવી. ઘરને મળતી વીજળીનાં દોરડાં જુદાં, ખેતરો માટેનાં જુદાં. થોડા જ મહિનાઓમાં આ સૂચનનો અમલ થયો અને ગુજરાતમાં ગામડાંનાં ઘરોને ચોવીસે કલાક વીજળી મળતી થઈ ગઈ. મોદી માટે આ ઘણી મોટી સિદ્ધિ હતી. આખા દેશમાં ‘જ્યોતિર્ગ્રામ યોજના’નાં ભરપૂર વખાણ થયાં, અનેક રાષ્ટ્રીય એવોર્ડ્સ મળ્યા. પેલા બ્યુરોક્રેટનું નામ શું? કોઈને ખબર નથી.

ગયા સવા દાયકા દરમિયાન ગુજરાતમાં જે કાંઈ ખરાબ થતું તે બધા અપજશનો ટોપલો એકલા મોદીના માથે ઢોળીને એમને ખરડવામાં આવતા. એ હિસાબે જે કાંઈ સારું થાય તેનો જશ મોદી જ લે તે વાજબી જ હતું. પણ હવે નેશનલ લેવલ પર ડિફરન્ટ બૉલ ગેમ રમવાની છે અને મોદી જાણે છે. સેન્ટ્રલ હોલમાં ઇમોશનલ પ્રવચન પછી મોદીએ બે સાઉથ ઇન્ડિયન કાર્યકર્તાઓને એમનાં નામ બોલીને એમણે કરેલાં કામનાં વખાણ કરી એમને રાષ્ટ્રીય સ્તરે રેકગ્નિશન આપ્યું હતું.

4. મોદીની બીજી બે નબળાઈઓમાંની એક છેઃ તેઓ મીણબત્તીને બેઉ છેડે બાળી રહ્યા છે. ટેન્શન, વધુ પડતું કામ, સતત દોડધામ – આ બધાની અસર એમની હેલ્થ પર પડવાની છે. એમને કોઈ વ્યસનો નથી એ એમની તબિયતનો ઘણો મોટો  પ્લસ પોઇન્ટ છે, પણ દેશને આ માણસની હજુ ઘણી જરૂર છે. મોરારજી દેસાઈ અને કે. કા. શાસ્ત્રી જેવું આયુષ્ય ભોગવવા માટે મોદી પોતાનો વર્કલોડ થોડો ઓછો કરે, બીજાઓમાં વહેંચે તો સારું.

5. છેલ્લી વીકનેસઃ મોદી ઓબામાની જેમ સ્પોર્ટસ નથી રમતા. પિક્ચર-નાટક-સાહિત્યના વાચનનો એમની પાસે ટાઇમ નથી. હિલસ્ટેશનો પર જઈને રિલેક્સ થવામાં એ માનતા નથી. આ બધાને કારણે મોદીની જીવન માટેની રસિકતા જરા ઓછી થઈ જાય, એમની પર્સનાલિટી રુક્ષ બની જાય એવું નથી લાગતું તમને?

મોદી પાસે કઈ-કઈ ઓપર્ચ્યુનિટીઝ છે?

1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આજની તારીખે સૌથી મોટી તક છે દેશના સર્વમાન્ય નેતા બની શકવાની. મોદી ધારે તો ઇવન કૉંગ્રેસમાંથી પણ સારા નેતાઓ અને કાર્યકર્તાઓને પોતાની પાસે બોલાવીને એમની ટેલેન્ટ્સનો લાભ લઈ શકે એવી પોઝિશનમાં છે. ડિટ્ટો મુસ્લિમ કમ્યુનિટીનું. મુસ્લિમોમાંથી પણ તેજસ્વી અને પ્રગતિશીલ વિચારધારાવાળા યુવાનો તેમ જ અનુભવીઓને આકર્ષીને દેશની પ્રજાનું માનસ તથા પોતાની ઇમેજ બદલી શકે એમ છે. મોદીની પ્રતિભા અને એમનું ભવ્ય વ્યક્તિત્વ જોઈને આજે દરેક ક્ષેત્રના દરેક ઉંમરના અને દરેક ધર્મના, દરેક રાજકીય પક્ષના લોકો એમની સાથે કામ કરવા તૈયાર છે. તૈયાર જ નથી, તલપાપડ છે. મોદી માટે જાન ન્યોછાવર કરી દઈએ એવો યુફોરિયા દેશના યુવાનોમાં છે. અગાઉ ભારતે એકમાત્ર ગાંધીજીની બાબતમાં આવું જોયું હતું. તે વખતની જેમ આજે ભારતના કે દુનિયાના કોઈ પણ ખૂણે વસતા ટેલેન્ટેડ ભારતીય યુવાનો મોદીના એક અવાજે એ જે કામ સોંપે તે કરવા તૈયાર છે. બધા નેતાઓ આવા સદભાગી નથી હોતા. મોદીએ ખૂબ મહેનતથી આવી તક મેળવ છે.

2. મોદી માટે બીજી સૌથી મોટી ઓપર્ચ્યુનિટી તોતિંગ ગવર્નમેન્ટ મશિનરીની પ્રચંડ તાકાતને દેશ માટે વાપરવાની છે. ટોચના બ્યુરોક્રેટ્સથી માંડીને ચોથા વર્ગના કર્મચારીઓને મોદીએ ગુજરાતમાં ઇન્સ્પાયર કર્યા છે, મોટિવેટ કર્યા છે. આ તમામ સરકારી કર્મચારીઓ દેશ માટે ભારે લાયબલિટી બની શકે છે અને તમે ધારો તો આ જ સરકારી કર્મચારીઓને દેશની સૌથી મોટી એસેટ બનાવી શકો એમ છો. એમને જરૂર હોય છે મોટિવેશનની. મોદીએ ગુજરાતમાં આ કર્મચારીઓનો કેટલો મોટો વિશ્વાસ અને પ્રેમ મેળવ્યો હશે એનો એક તદ્દન નાનકડો દાખલો છે. રાષ્ટ્રપતિ પાસે વડાપ્રધાનપદનો એપોઇન્ટમેન્ટ લેટર (આમ તો આમંત્રણપત્ર કહેવાય એને) લઈને મોદી ગુજરાતની વિદાય લેવા ગયા. ગાંધીનગરના વિધાનસભાગૃહના વિદાય સમારંભની એક તસવીર ફેસબુક રસિયાઓએ કદાચ જોઈ હશે. મોદી એ પિક્ચરની ફ્રેમમાં નથી, પણ ગુજરાત વિધાનસભાના સ્પીકર વજુભાઈ વાળા ‘સત્યમેવ જયતે’ કોતરેલી પોતાની ખુરશી પાસે ઊભા છે. એમની પાછળ લાલ-સોનેરી સાફો અને મરૂન કમરપટ્ટો પહેરીને સફેદ યુનિફોર્મધારી એક ચોપદાર ઊભો છે. એનું માથું ઝૂકી ગયું છે. ચશ્માં કાઢીને એ આંખો લૂછી રહ્યો છે…

મોદીને જો બીજાં દસ, પંદર કે વીસ વર્ષ મળે તો એમની પાસે પાંચમી અને સૌથી મોટી ઓપર્ચ્યુનિટી છે ભારતને વર્લ્ડ લીડર બનાવવાની.

ગુજરાત સરકારમાં મોદી ગમે એટલા કડક સાહેબ હતા, પણ સૌનો આદર કરતા, સૌની સંભાળ રાખતા. ગુજરાતથી વિદાય લેતી વખતે એમણે મુખ્યમંત્રી તરીકેનાં 13 વર્ષ દરમિયાન પોતાને જે પગાર મળ્યો તેમાંથી કરેલી બચતના તમામ 21 લાખથી વધુ રૂપિયા ગુજરાત સચિવાલયના ચોથા વર્ગના કર્મચારીઓની દીકરીઓના શિક્ષણ માટે વહેંચી દીધા.

રાષ્ટ્રીય સ્તરે મોદી પાસે ગુજરાત કરતાં અનેકગણા સરકારી કર્મચારીઓનો સાથ છે. આ સૌનો સદુપયોગ કરીને મોદી દેશના શાસનને એવું મજબૂત અને કાર્યક્ષમ બનાવી શકે એમ છે કે નાનામાં નાનો નાગરિક સરકારી ઑફિસમાં પોતાનું કામ લઈને જાય તો એને નવાઈ લાગશે કે ભારતમાં પણ સરકારી કર્મચારીઓ ‘સાહેબ’ને બદલે ‘સેવક’ હોઈ શકે! મોદી આ તકનો પૂરેપૂરો લાભ ઉઠાવીને સરકારી કર્મચારીઓની માનસિકતા બદલી શકે એમ છે.

3. મોદી પાસેની ત્રીજી સૌથી મોટી  ઓપર્ચ્યુનિટી પોતાને મળેલી 282 બેઠકની તાકાતનો લાભ ઉઠાવીને આર્થિક રિફૉર્મ્સ કરવાની છે. અગાઉ કૉંગ્રેસની સરકાર સામ્યવાદીઓના ટેકાથી રચાતી અને કૉંગ્રેસી નેતાઓના પોતાના વેસ્ટેડ ઇન્ટરેટ્સ પણ રહેતા. ભાજપ-એન.ડી.એ.ની સરકારે તો પોતાના હાથ પાછળ બાંધીને જ રાજ ચલાવવું પડતું. મોદીએ આર્થિક સુધારાઓ કરવા માટે ભારત અને ભારતની પ્રજા સિવાય બીજા કોઈનાય વેસ્ટેડ ઇન્ટરેસ્ટ સાચવવાના નથી. સ્પષ્ટ બહુમતીનો આ ઘણો મોટો પ્રતાપ છે. એર ઇન્ડિયા સહિતનાં ખોટ ખાતાં પબ્લિક સેક્ટર યુનિટ્સ હોય કે પછી ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ્સનો સવાલ હોય, આર્થિક અને નાણાકીય બાબતોમાં મોદીએ કોઈનાં ખિસ્સાં ભરવાનાં નથી. આવતાં પાંચ વર્ષમાં મોદીના નેતૃત્વમાં આ ક્ષેત્રે ગુજરાત કરતાં પણ કંઇક મોટી હરણફાળ ભારત લગાવી શકે એમ છે.

4. મોદી સામેની ચોથી ઓપર્ચ્યુનિટી શિક્ષણ અને આરોગ્યને લગતી છે. આ બેઉ ક્ષેત્રોમાં જેટલો સરકારી ખર્ચ થાય છે એના પ્રમાણમાં એની અસર કે એનું વળતર નગણ્ય છે. કાગળ પરના સિદ્ધિના આંકડાઓ હકીકત કરતાં ઘણા ફુગાવેલા હોય છે. મોદી શિક્ષણ અને હેલ્થના સેક્ટરમાં સરકારે ખર્ચેલા એકએક પૈસાનો યોગ્ય ઉપયોગ થાય અને ધાર્યું પરિણામ આવે એવું તંત્ર ગોઠવી શકે એમ છે, એટલું જ નહીં, શિક્ષણના ક્ષેત્રે તેઓ અંગ્રેજોના હેન્ગઓવરમાં ચાલી રહેલી આખી સિસ્ટમને ક્રમશઃ પરિવર્તિત કરી શકે એમ છે. નાલંદા અને તક્ષશિલાનું સ્થાન વખત જતાં હાર્વર્ડ યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સે લઈ લીધું. ભારત ફરી એકવાર વિશ્વના શિક્ષણની રાજધાની બની શકે એમ છે.

આરોગ્યની બાબતમાં પછાત અને ગમાર ગણાતા આ દેશમાં શિક્ષણનો સ્તર જેમ ઊંચો જશે એમ હેલ્થની બાબતમાં પણ જાગૃતિ આવતી જશે. શિક્ષણ અને આરોગ્ય – આ બંને ક્ષેત્રોમાં સરકારી પૈસા ઉપરાંત ખાનગી ઉદ્યોગગૃહોનાં નાણાં આવતાં થાય તો કેવા ચમત્કારો બને એનું ઉત્તમ ઉદાહરણ વિપ્રોવાળા અઝીમ પ્રેમજીના ટ્રસ્ટ દ્વારા અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા થતી કામગીરીથી આપણે જોયું છે. કુદરતી આપત્તિઓ વખતે ઉદ્યોગગૃહોનાં નાણાં ઉપરાંત એમની પાસેની વ્યવસ્થાશક્તિની એક્સપર્ટીઝ અસરગ્રસ્તો માટે કેટલી મદદરૂપ છે તે પણ આપણે જોયું છે. મોદીને ઉદ્યોગગૃહો સાથેની દોસ્તીનો છોછ નથી, કારણ કે એમને એ લોકો પાસેથી પોતાના અંગત સ્વાર્થ માટે કંઈ પડાવી લેવું નથી. એટલે જ તો એમના આમંત્રણથી સોગંદવિધિમાં અંબાણીબંધુઓ, અદાણી, રૂઇયા વગેરે સહકુટુંબ મિત્રમંડળ સહિત હાજર રહ્યા. કૉંગ્રેસ ઉદ્યોગપતિઓનો ઉપયોગ દેશને નહીં, પોતાની તિજોરીઓ ભરવા માટે કરતી અને ક્યારેય જાહેરમાં એમની સાથેના સંબંધો ઉઘાડા પાડતી નહીં.

5. મોદીને જો બીજાં દસ, પંદર કે વીસ વર્ષ મળે તો એમની પાસે પાંચમી અને સૌથી મોટી ઓપર્ચ્યુનિટી છે ભારતને વર્લ્ડ લીડર બનાવવાની. આજે વિશ્વભરમાં અમેરિકાનો દબદબો છે. સૌ એનાથી થથરે છે, કાંપે છે, ગાળ પણ આપે છે. પણ અંકલ સેમની કૃપા વિના કોઈને ચાલતું નથી. મોદી આવતા બે દાયકામાં એક એવા ભારતનું નિર્માણ કરી શકે એમ છે, જ્યારે એમની પાંચમી સોગંદવિધિ વખતે દુનિયાના તમામ દેશોના વડાઓને તેઓ આમંત્રણ આપી શકશે અને બધા જ દોડીદોડીને આવશે અહીંયાં. પહેલી સોગંદવિધિ સમયે ‘સાર્ક’ દેશોના વડાઓને બોલાવીને એમણે સૂચન તો કરી દીધું છે કે ભવિષ્યમાં તેઓ શું કરી શકે એમ છે. એ સમયે મોદી 83 વર્ષના હશે. તમે કેટલા વર્ષના હશો?

મોદી સામેના ખતરાઓઃ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્વોટ (s.w.o.t.) એનેલિસિસમાં’ એમની સ્ટ્રેન્થ્સ, વીકનેસીસ અને ઓપર્ચ્યુનિટીઝ જોયા પછી છેલ્લે એમની સામેની થ્રેટ્સ જોઈએ.

1. નરેન્દ્ર મોદી સામેની સૌથી મોટી થ્રેટ છે એ જેમને કણાની જેમ આંખમાં ખૂંચે છે તે આતંકવાદીઓ. કબૂલ છે કે આ 2014નું ભારત છે, 1984નું નહીં જ્યારે ખાલિસ્તાની આતંકવાદીઓ ભારતના વડાપ્રધાનનો જીવ લઈ શકતા હતા. છેલ્લાં ત્રીસ વર્ષમાં ભારતના વડાપ્રધાનોને મળતી સુરક્ષામાં ઘણું ઇમ્પ્રૂવમેન્ટ આવ્યું છે. ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઈ.બી.) દ્વારા આતંકવાદીઓની ગતિવિધિઓને લગતી માહિતીની પ્રાપ્તિ વધી છે, છતાં સિક્યુરિટીની બાબતમાં ભારત અમેરિકા જેટલું સજજ નથી. બરાક ઓબામાને મળતી સિક્યુરિટીની તુલનામાં નરેન્દ્ર મોદીને મળતી સિક્યુરિટી ઘણી ઓછી લાગે. ભારત સરકાર એ કક્ષાની સલામતીની વડાપ્રધાન માટે ગોઠવણ ન કરી શકે ત્યાં સુધી મોદી માટે આ સૌથી મોટી થ્રેટ રહેવાની.

2. મોદી સામે બીજી મોટી થ્રેટ છે આંતરવિગ્રહની. 44 બેઠકો મેળવીને ચીત થઈ ગયેલી કૉંગ્રેસ કાયમ ભોંયભેગી રહેવાની નથી. મુસ્લિમ લઘુમતીની ઉશ્કેરણી કૉંગ્રેસ માટે હાથવગી છે. પાકિસ્તાન તો બળતામાં ઘી હોમવા સદાય તત્પર હોવાનું. કેટલાક ઇસ્લામિક દેશો પણ મોદીના ઊગતા સૂરજનો અસ્ત જોવા આતુર હોવાના. આર્થિક વિકાસનો દર વધતો જશે એમ અમેરિકા પણ વધુને વધુ અસ્વસ્થ બનતું જવાનું. અમેરિકા હંમેશાં પાકિસ્તાનને શસ્ત્રો અને આર્થિક સહાય આપીને ભારત વિરુદ્ધ ચડાવતું રહ્યું છે. આ બધાનો સરવાળો ભયંકર પરિણામ લાવી શકે. એક નાનકડો તણખો મોટી આગમાં પરિવર્તિત થઈ શકે.

ગુજરાતના ગોધરાકાંડ પછી જે રમખાણો થયાં તેમાં ગોધરાકાંડ સાવ ભુલાઈ ગયો. હવે ફરી જો ગોધરાકાંડ જેવો બનાવ બને તો તેની અસર એ કાંડ જે રાજ્યમાં બને તે રાજ્ય પૂરતી સીમિત નહીં હોય. આવું થયું તો તે રમખાણો સિવિલ વૉર અથવા તો ગૃહયુદ્ધ કે આંતરયુદ્ધમાં પલટાયા વિના ન રહે. આવા સંજોગોમાં દેશનો સામાજિક અને રાજકીય વિકાસ તો રૂંધાઈ જવાનો જ, સૌથી મોટું નુકસાન આર્થિક ક્ષેત્રે થવાનું. દેશ એક્ઝાટકે દસ-વીસ વર્ષ પાછળ ધકેલાઈ જવાનો.

3. મોદી માટેની ત્રીજી એક થ્રેટ ભાજપમાં ભાગલા પડવાની. 1969 પહેલાં કોઈએ નહોતું ધાર્યું કે કૉંગ્રેસમાં ભાગલા પડશે. દેખીતી રીતે સંપથી રહેતા ભાજપના નેતાઓ ભવિષ્યમાં મોટી સત્તાના સ્વાર્થને કારણે કોઈ ઉદ્યોગપતિના સમૂહ તરફથી મળનારી લાલચોને કારણે કે પછી શિયર ચોક્કસ પ્રકારના વૈચારિક ફ્રસ્ટ્રેશનને કારણે બળવો પોકારીને અલગ ચોકો માંડે તો ભાજપની 282 સીટ્સની સ્પષ્ટ બહુમતીમાંથી એન.ડી.એના સાથી પક્ષો ઉપરાંત જયલલિતા/મમતાના ઑક્સિજનથી સર્વાઇવ થવાના દિવસો મોદીએ જોવા પડે.

4. મોદી માટેની ચોથી થ્રેટ હિન્દુત્વવાદીઓમાંના અધીરા જૂથ તરફથી છે. એક જમાનામાં ગુજરાતમાં આર.એસ.એસ. મોદીથી નારાજ હતું, કારણ? કેશુભાઈની સરકારમાં આર.એસ.એસ. સાથે સંકળાયેલા બિલ્ડરો, ઉદ્યોગપતિઓ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અને ડોક્ટર્સના બેનંબરી ધંધાઓની ફાઇલો ગાંધીનગરના સચિવાલયમાં સહેલાઈથી પાસ થઈ જતી. મોદીના આવ્યા પછી આ બધું ઓછું થઈ ગયું. મોદીએ ગાંધીનગરમાં ગેરકાયદે સરકારી જમીન કે ફૂટપાથ પર ઊભા થઈ ગયેલાં ડઝનબંધ મંદિરો તોડવાનો આદેશ આપ્યો ત્યારે વી.એચ.પી.એ બહુ ઝનૂનપૂર્વક એમની સામે બાંયો ચડાવી હતી. મોદીએ ગુજરાતની સરકારી શાળાઓમાં ગંગાજમની પદ્ધતિ દાખલ કરી ત્યારે ફરી એકવાર સંઘે નારાજગી દેખાડી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘણી બધી પૉલિસીઝ સામે ભવિષ્યમાં સંઘને અને ખાસ કરીને વી.એચ.પી.ને વાંધાવચકા હોવાના, ખાસ કરીને વી.એચ.પીને. આ હિન્દુવાદી સંગઠનોને કે એના કેટલાક નેતાઓને લાગવાનું (ઑલરેડી લાગી રહ્યું છે) કે આ મોદીને કોણે બનાવ્યા? અમારા સપોર્ટ વિના ન તો એ ગુજરાતના મુખ્યમંત્રી બની શક્યા હોત, ન ભારતના પ્રધાનમંત્રીની ખુરશી પર બેસી શક્યા હોત. કે.કા. શાસ્ત્રીએ એક જમાનામાં ‘ઘરના જ ઘાતકી નીકળ્યા’ એવું અલગ સંદર્ભમાં કહ્યું હતું. મોદીને જેમના માટે અપાર આદર છે એ વી.એચ.પીના સ્થાપકોમાંના એક એવા આદરણીય સ્વ.કે.કા. શાસ્રીના વડપણ હેઠળ મોટા થયેલા કેટલાક કાર્યકર્તા અને નેતાઓ ‘ઘરના જ ઘાતકી’ બને એ મોદી સામેની ચોથી મોટી થ્રેટ.

5. મોદી સામેની પાંચમી અને આપણા સ્વોટ એનેલિસિસ પૂરતી અંતિમ થ્રેટ—સ્વયં નરેન્દ્ર મોદી પોતે. જવાહરલાલ નેહરુ જ્યારે ભારતની પ્રજામાં અતિ લોકપ્રિય થવા માંડ્યા હતા ત્યારે—1937ના નવેમ્બરમાં, કલકત્તામાં રામાનંદ ચેટરજીએ સ્થાપેલા માસિક ‘મોડર્ન રિવ્યૂ’માં ‘જવાહરલાલ પોતાની લોકપ્રિયતાના વહેણમાં ખેંચાઈને સરમુખત્યાર ન બની જાય તો સારું, ઘમંડી બનીને આપખુદ ન બની જાય તો સારું’ એવો એક લેખ ‘ચાણક્ય’ના ઉપનામે છપાયેલો. પાછળથી ખબર પડેલી કે એ લેખ ખુદ નેહરુએ છદ્મ નામે લખ્યો હતો. નેહરુએ પોતે જ પોતાની સામે લાલબત્તી ધરી હતી. નેહરુએ ‘ચાણક્ય’ના ઉપનામે લખ્યું હતું: “આ માણસમાં (જવાહરલાલમાં) ભારતનું ઘણું મોટું ભલું કરવાની અને ભારતને બરબાદ (ગ્રેટ ઇન્જરી) કરવાની તાકાત છે. જવાહરલાલ જેવા માણસો એમનામાં સારું કાર્ય કરવાની ગ્રેટ કેપેસિટી હોવા છતાં લોકશાહી માટે જોખમી (અનસેફ) છે. આ માણસ પોતાને ડેમોક્રેટ અને સોશ્યલિસ્ટ કહે છે અને નિઃશંક એ એ જ છે, પણ છેવટે તો માનસશાસ્ત્રીઓ કહે છે એમ દિમાગ દિલનું ગુલામ છે… જવાહરમાં ડિક્ટેટર બનવાની, તાનાશાહ, સરમુખત્યાર, આપખુદ નેતા બનવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે ડિક્ટેટર બનવા માટે જે કંઈ જોઈએ તે બધું જ એની પાસે છે. જબરદસ્ત લોકપ્રિયતા, લોખંડી મનોબળ, કાબેલિયત, મક્કમતા, બીજાઓ પ્રત્યેની અસહનશીલતા અને નબળા તથા બિનકાર્યક્ષમ લોકો પ્રત્યે અમુક પ્રકારની ચીડ… માટે આ માણસને નાથવો જોઈએ, કાબૂમાં રાખવો જોઈએ.”

1937માં આવું લખનારા જવાહરલાલ માટે એમની આત્મખોજ, એમના ઇન્ટ્રોસ્પેક્શન માટે આપણને આદર થાય, પણ પછીનાં 25 વર્ષોમાં જવાહરલાલ ન પોતાને નાથી શક્યા, ન પોતાની કાબેલિયત પુરવાર કરી શક્યા.

મોદી નેહરુની જેમ કોઈ ઉપનામે પોતાના વિશે આવો લેખ લખે કે પોતાનું સ્વોટ એનેલિસિસ કરે તો એમાં શું-શું હોય એ જબરી કલ્પનાનો વિષય છે.

‘ મુંબઈ સમાચાર ‘ માટે સોમવાર, 26 મે 2014થી એક અઠવાડિયા દરમ્યાન લખાયેલી આ લેખમાળાના તમામ છ લેખ એકસાથે અહીં બે દિવસમાં ઠાલવી દીધા. પ્રથમ વાર પી.એમ. બનેલા નરેન્દ્ર મોદીની વડા પ્રધાન તરીકેની ક્ષમતાઓ તથા ક્ષતિઓને તે વખતના સંજોગોમાં એનેલાઈઝ કરી. છ વર્ષ પૂરાં થયાં પછી એમાં તમે શું ઉમેરી શકો છો કે શું બાદ કરી શકો એમ છો? મોદી પોતે શું ઉમેરે અને શું બાદ કરે! કમેન્ટમાં લખો.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

16 COMMENTS

  1. After seven years also, your views matches about NAMO, your excellent analysis at that time is still valid by watching PM’s action and behaviour. You read him throughly, as if you are one of his part of life.
    Excellent analysis…

  2. આપે સુંદર રીતે નરેન્દ્રભાઈ નું રાજકરણ માં સમય સમયે પરિવર્તન ને સાચો ન્યાય આપવા ની કોશિશ કરી છે પરંતુ ચોક્કસ નરેન્દ્રભાઈ ને સહેજ રીતે સમજાય ને એજે નિર્ણય લે એ ભવિષ્ય ના પ્રત્યાઘાત મુજબ ને જનતા ને દેશ ના હિતમાં લે છે.

  3. Superb, I hope Modi can take lots of tips from those articles n he has to take benefits from his team is very much required. Must lift other faces.ego should be within.

  4. Excellent article and purely non biased analysis. Modiji has great determination, hard working. Modiji hai to mumkin hai.

  5. Its a treat to read the meticulous analysis of our PM. I wish him good & strong health as well as good luck. Our country has got great days ahead under his leadership.

  6. I read this article in MUMBAI SAMACHAR. After the passage of time some threats are now no more. It’s true that Modiji has many enemies in his own party . But they’re now defused due to modiji’s popular image. The results of 2019 election has sent persons like yashwant sinha and shatrughna in isolation without any public support.

  7. જી હું તમારા થી એકદમ સહેમત છુ અમુક અતિ લાગણીશીલ હિન્દુત્વવાદી. લોકો ના કારણે મોદી સાહેબ ને સહન કરવા નો વાળો આવે છે. આપણે હિન્દુ હોવાની સાથે નાગરિક ધર્મ નુ પાલન કરીયે. એ સૈના હિત માં છે.

  8. Good article criticism jaroori chhe ….
    Aape kahyu Gandhi Yug ma Ghana nam aagal kavya hata … to anhi mane abhipray aapva nu man thayu maaf kar jo
    Gandhi yug ma e loko j aagal kavya jemne Gandhi e ichchya hata baki to mrutpray thayi gaya hata … jo sardar ne agal kavya hot to desh ni disha alag j hot ….
    Ha modi saheb one man army ni jem kam kare chhe .. amni Aura ma bija loko jankha padi Jay chhe … pan e amno problem nathi amna jeva tejsvi bija chhe j nahi …
    Surya na tej dhankay nahi .. jo koi bijo tejasvi Surya amna bhatha ma hashe to chamak she j ….
    Aap shree biji ek vat bhuli gaya shree modi ji ek Sadhak chhe .. ane desh daaj Amni sadhna chhe ..
    Gamtu karya karva mate thaak na j lage …
    Atle Obama na refreshments sathe na sarkhavay
    Jo ke aap lekhak chho vichar sheel chho

  9. શું વાત છે. આવું સરસ એનાલીસિસ કે નરેન્દ્રભાઇ મોદીને પોતાને પણ વિચારવું પડે.

  10. So depth political & personal analysis of respected PM Narendra Modiji…??..hope by any tool this articles reach to Modiji & he read this articles..!!…this is purely mirror for him to see himself with very spectacular analytics of yours Sirji Saurabh Shah..?..bravo to your writing skill..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here