ધર્મ અને જીવનને ગૂંચવી નાખનારાઓથી બચીએ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક: ચૈત્ર વદ ચોથ, વિક્રમ સંવત: ૨૦૭૭. શનિવાર, ૧ મે ૨૦૨૧)

મૂળ મારી સમસ્યા મહાભારતના કૃષ્ણ અને ભાગવતના કૃષ્ણ વિશેની જ હતી જેનું નિરાકરણ લાવતાં બીજી પ્રચ્છન્ન સમસ્યાઓનો નિવેડો પણ આવી ગયો. અહીં આપેલાં તારણો મેં મારી બુદ્ધિની-સમજની મર્યાદાથી આપેલાં છે. કોઈને ગળે ન ઊતરે કે સ્વીકાર્ય ન હોય તો એમાં મારો વાંક છે કે મારો દોષ છે એમ માનવું. અને જો કોઈને સ્વીકાર્ય લાગે તો તે જ્ઞાન સ્વામી સચ્ચિદાનંદજી પાસેથી પ્રાપ્ત થયું છે એટલે મનોમન એમને વંદન કરી લેવાં. આમેય આ બધી ધર્મસંબંધી જ્ઞાનચર્ચા મેં મારી જિજ્ઞાસા સંતોષવા આરંભેલી છે. જે લોકોને આ તારણો સાથે સહમત ન થવું હોય એ લોકો સાથે ન તો મારે કોઈ જીભાજોડી કરવી છે, ન સામે કોઈ દલીલો કરવી છે. મારે કોઈનેય હું જે માનું છું તે બાબતે મનાવવા નથી. સૌને પોતપોતાની માન્યતાઓ મુબારક. સૌને પોતપોતાના ધર્મ-સંપ્રદાય-પંથ-વાડાના ધર્માચાર્ય દ્વારા જે કંઈ કહેવામાં આવ્યું હોય તે મુબારક. મારાં તારણો:

૧. મહાભારતની રચનાના હજારો વર્ષ પછી જે ભાગવત પુરાણ રચાયું છે તેનો રચનાકાળ જાણી જોઈને ભૂંસી કાઢવામાં આવ્યો હોવો જોઈએ જેથી ભોળી પ્રજા ભવિષ્યમાં એવું માનતી થઈ જાય કે બેઉનું સર્જન એક જ કાળમાં થયું છે. આવો ભ્રમ ફેલાવવાથી ભાગવતના કૃષ્ણને આપોઆપ લોકમાન્યતા પ્રાપ્ત થઈ જાય. ભાગવત કે અન્ય પુરાણોમાં લખ્યું હોય કે મહાભારત કે વેદ-ઉપનિષદમાં પણ આ જ વાત લખી છે તો એનો મતલબ એવો નથી થતો કે ભાગવત કે અન્ય પુરાણો મહાભારત કે વેદ-ઉપનિષદની સમકક્ષ થઈ ગયાં. દાખલા તરીકે મારાં લખાણો-વિચારોમાંથી બેઠ્ઠી કૉપી કરનારા પોણાએક ડઝન લેખકોનું વાંચીને કોઈ એમ લખે કે સૌરભ શાહે પણ આવું જ લખ્યું છે ત્યારે અમે બેઉ સમકક્ષ નથી થઈ જતા. મારામાંથી કોઈએ તફડાવ્યું છે એવો એનો અર્થ થાય. આમ ભાગવતમાં કે અન્ય પુરાણોમાં જે કંઈ સારું છે તે અગાઉનાં શાસ્ત્રોમાંથી તફડાવેલું હોય. આને કારણે પુરાણોને માથે ચડાવવાં જરૂરી નથી. મૂળ ગ્રંથોનો આદર કરવાનો હોય.

ર. થોડીક સદીઓ પહેલાં આ બધાં પુરાણો રચાયાં જેમાં નવી વાર્તાઓ-કલ્પનાના ગુબ્બારાઓ છે. એના રચયિતાઓએ પોતાના સ્વાર્થ ખાતર અથવા પોતાની મોજ ખાતર અથવા પોતાના અને અન્યોના પેટ ભરવા માટે-આજીવિકા માટે અથવા પોતાના મનમાંની ગંદકીને પ્રગટ કરવા માટે અથવા કોઈ દ્વેષ ખાતર અથવા તો અન્ય કોઈ પણ કારણોસર અગાઉનાં પવિત્ર ગ્રંથો (વેદ-ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા)નું અણઘડ રિમિક્સિગં કરીને જે રચ્યું હોય તે માત્ર એટલા માટે સ્વીકારી લેવું કે તે સદીઓ જૂનું છે કે એમાં લાખો લોકોને શ્રદ્ધા છે-તો મારે હિસાબે એ તો મૂર્ખામી થઈ. આજની તારીખે કોઈ લખે કે વિષ્ણુનો રપમો અવતાર માલ્યાવતાર છે જે ગોપીઓનાં વસ્ત્રહરણ કરીને એનાં ચિત્રોને દિનદર્શિકાઓમાં છપાવતો અને દુનિયાને સ્વર્ગ બનાવી દેવાના આશયથી સોમરસની નદીઓમાંથી બાટલીઓ ભરીભરીને પ્રજામાં વેચતો અને કૃષ્ણાવતારની જેમ દાણની ચોરી કરતો એટલું જ નહીં પુષ્પક વિમાનોની ફોજ ઊભી કરીને એણે પોતાની તમામ ગોપીઓનાં કુટુંબોને આજીવિકા આપવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું અને એ માટે બૅન્કોમાંથી કર્જ લઈ લઈને પોતાના માથે દેવું ઊભું કરીને પણ પોતાની ફરજ બજાવી અને જ્યારે દેવાનો એ ડુંગર પોતાની ટચલી આંગળીથી ન ઊંચકી શકાયો ત્યારે રાતોરાત અંતર્ધાન થઈ ગયો. અને બૅન્કોવાળા, સીબીઆઈવાળા, ઈન્ટરપોલવાળા હજુય એના વિરહમાં આંસુડાં પાડીને પ્રતીક્ષા કરી રહ્યા છે કે તું પાછો આવ, પાછો આવ. આ કથા શુકદેવજીએ કહી અને શિવજીએ સાંભળી અને શિવજીએ સતી પાર્વતીને ખાનગીમાં સંભળાવી.

હજાર વર્ષ પછી આજે, આ રીતે લખાયેલું માલ્યાપુરાણ ૧૯મા પુરાણ તરીકે સ્વીકાર્ય હશે એવુું આજે કોઈ કહે તો કેટલું હાસ્યાસ્પદ લાગે? આવું હાસ્યાસ્પદ આપણને આ પુરાણોના વાચન-એના પ્રસારણ વખતે, એની રચના થઈ ત્યારે જો લાગ્યું હોત તો આ દેશનો ધર્મ ઘણી બધી બાબતોમાં અનેક અષ્ટમપષ્ટમ અને અગડમબગડમથી બચી ગયો હોત. 

અને એક મિનિટ. તમને લાગે છે કે માલ્યાપુરાણની વાત મેં મજાકરૂપે કરી છે? ના. અત્યંત ગંભીરતાથીઅને સમજીવિચારીને કરી છે. જો તમે ટ્વિટર પર હશો તો True Indology નામના હેન્ડલથી પરિચિત હશો. ભારતની સંસ્કૃતિ, પરંપરા અને સનાતન ધર્મ વિશે ચિક્કાર સજ્જતા સાથે અને જડબેસલાક પુરાવા આપીને વાત કરે છે. એમની TL ( Time Line) માં ખાંખાખોળા કરશો તો જાણવા મળશે કે કોઈકે ‘અલ્લાનોપનિષદ’ લખ્યું છે જેમાં અકબર બાદશાહનાં ગુણગાન ગવાયાં છે.

૩. અન્ય ધર્મોના આક્રમણની સામે ટકી રહેવા માટે આ પુરાણોની રચના થઈ એ કારણમાં અર્ધસત્ય છે. પૂર્ણ સત્ય એ છે કે સમાજનો જે વર્ગ ધર્મનો ધંધો કરતો હતો, જેમની ઈજારાશાહી હતી આ વિષયમાં, એ ધંધામાં પડતી આવી એટલે ધંધાને ફરી ઊંચકવા પુરાણોની રચના થઈ. સમાજને ક્રિયાકાંડ દ્વારા લૂંટી શકાય એવી સગવડ ઊભી કરવા આ પુરાણો રચાયાં. આ આશય ઉઘાડો ન થઈ જાય એ માટે એમાં અગાઉના પવિત્ર ગ્રંથોની કેટલીક ઉપયોગી વાતો અહીં ત્યાં છાંટવામાં આવી જેથી કોઈ વિરોધ કરે તો એને કહી શકાય કે આવું તો વેદ-ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતામાં પણ લખ્યું છે-તમે શું તમારી એ ભવ્ય પરંપરાનો વિરોધ કરો છો? તમે પાપી છો.

ખરેખર તો જેની કોઈ જરૂર જ નહોતી એવી કથાઓ, ઉપકથાઓ રચીને, જે જ્ઞાન અત્યંત સરળ છે, જીવન ઉપયોગી છે તેને ગૂઢ-ગૂંચવાયેલું કરી નાખીને આપણને એક અલગ જ ચક્કરમાં ફસાવવામાં આવ્યા છે. અને હજુય એ ચક્કર ચાલુ જ છે. સંતોષીમા, વૈભવલક્ષ્મી અને દશામા જેવાં નવાં નવાં પાત્રો ઊભાં કરીને, એમનાં મંદિરો બનાવી, એમની કથા રચી, એમનાં વ્રતો ઉપજાવીને ભોળી પ્રજાને લૂંટવાના ગોરખધંધા વીસમી સદીમાં પણ ચાલુ હતા, આજે ય ચાલુ છે. 

૪. જે રામ, કૃષ્ણ, શિવ, ગણપતિ વગેરેની મૂર્તિને આપણે પૂજીએ છીએ તે તમામ દેવોની મૂર્તિનો ત્યાગ કરવાનું કોઈ નથી કહેતું. એ મૂર્તિઓ સાથે ધાર્મિક લાગણી જોડાઈ ગઈ છે તો ભલે જોડાયેલી રહી પણ એ તમામ દેવી-દેવતાઓની મૂર્તિ પાછળની જે કલ્પિત કહાણીઓ છે તેમાં શ્રદ્ધા રાખવાને બદલે મારે મારા ભગવાનને આ સ્વરૂપે ભજવા છે એવું માનીએ. હું કૃષ્ણની મૂર્તિ આગળ હાથ જોડીને પ્રાર્થના કરતો હોઉં કે આરતી કરતો હોઉં તો મારા મનમાં રાસલીલા કે કામલીલાવાળા કૃષ્ણ નહીં, પણ અર્જુનને ઉપદેશ આપતા કૃષ્ણ હોવા જોઈએ. સરસ્વતીદેવીની મૂર્તિ મારી આંખ સામે રાખીને લેખનકાર્ય કરતો હોઉં તો એ વિદ્યાની દેવી છે અને મારા પર એમના આશીર્વાદ રહે એ માટે મારે મારાથી બનતું બધું જ કરવું જોઈએ એવી ભાવના રાખવી જોઈએ, નહીં કે માતા સરસ્વતી સાથે જોડાયેલી કેટલીક અભદ્ર, બીભત્સ પુરાણકથાઓ મને યાદ આવવી જોઈએ.

ગણપતિની મૂર્તિનાં દર્શન કરીને ઘરની બહાર નીકળતી વખતે મને ગણેશજી વિઘ્નહર્તા દેવ તરીકે દેખાવા જોઈએ. એમનું માથું હાથીનું કેમ છે એવી પૌરાણિક કે બીજી દંતકથાઓ સાથે મને કોઈ લેવાદેવા ન હોવી જોઈએ. મારા ઈષ્ટદેવ શ્રીનાથજીની છબિ સામે કે મૂર્તિ સામે હાથ જોડીને ઊભો રહેતો હોઉં તો પુષ્ટિ સંપ્રદાયે બસો-પાંચસો વર્ષ અગાઉ ઘડી કાઢેલી શ્રીનાથજીની વાર્તાઓ સાથે મને કોઈ લેવાદેવા ન હોવી જોઈએ. માત્ર એ કૃષ્ણનું સ્વરૂપ છે એટલું મારા માટે પૂરતું હોવું જોઈએ. મહાદેવ પર બિલિપત્ર ચડાવવા જતો હોઉં ત્યારે શિવલિંગ સાથે જોડાયેલી કે શિવપુરાણમાં લખાયેલી અમુક ચોક્કસ વાતો મારા મસ્તિષ્કમાં પ્રવેશવી ન જ જોઈએ. પણ આ સૃષ્ટિના ત્રિદેવમાંના એક તરીકે બ્રહ્મા-વિષ્ણુ-મહેશમાંના ભોળા મહાદેવ તરીકેનો મારો પૂજ્યભાવ પ્રગટ થવો જોઈએ. મૂર્તિપૂજામાં જે દૂષણ રહેલું છે તે આવો ભાવ મનમાં પ્રવેશે છે ત્યારે દૂર થઈ જાય છે એવું મારું માનવું છે, એવો મારો અનુભવ પણ છે.

પ. ધર્મસંબંધી, ઈશ્વરસંબંધી જે કંઈ વાતો હોય તે અત્યંત સરળ હોય, કારણ કે જીવન સરળ છે એમાં કોઈ ગૂંચવાડા નથી, કારણ કે કુદરત પોતે સરળ છે, સાહજિક છે. જે સાહજિક હોય છે તેને જ તો આપણે કુદરતી ગણીએ છીએ, પરંતુ આ સમાજમાં કેટલાક વેસ્ટેડ ઈન્ટરેસ્ટ ધરાવનારા લોકોએ આ વાતોને ગૂંચવીને અકુદરતી કરી નાખી છે. આજની તારીખે જે કોઈ લેખક, પ્રવચનકાર, ચિંતક, કથાકાર, ધર્મગુરુ કે વિચારક તમને ગૂંચવી નાખે એવી વાતો કહીને ઈમ્પ્રેસ કરે છે તે તમને છેતરે છે, તમારા પર પોતાનો પ્રભાવ વધારવા માટે એવું કરે છે, તમારાથી પોતે ઊંચો છે, તમે પામર છો, પોતે જ્ઞાની છે એવું તમને જતાવવા માગે છે. એટલે આવું જ્યારે જ્યારે તમારી સાથે થાય ત્યારે સાવધ થઈ જજો. આ વિષયની કોઈ વાત સમજમાં ન આવતી હોય તો તેનું કારણ તમે અભણ છો એવું માની લેવું નહીં. કોઈ તમારી સાથે ચાલાકી કરી રહ્યું છે, તમારી બુદ્ધિ-લાગણી-માનસિકતા સાથે ખિલવાડ કરી રહ્યું છે એવું માનજો. ન સમજાય એવું બોલવું-લખવું કે અટપટી ભાષા વાપરીને સરળ વાતોને ગૂંચવી નાખવી કે પોતાને જે સમજાયું જ નથી તેને વધુ અસ્પષ્ટ બનાવીને વાતને ડહોળી નાખવી-આવું બધું કરવાથી આ ક્ષેત્રમાં ધીકતો ધંધો કરી શકાતો હોય છે એટલું સમજવું. 

આજે આ પાંચ મુદ્દા કહ્યા છે. સમાજને સુધારવાનો મારો કોઈ આશય નથી. સમાજ ભલે જાય એને રસ્તે, હું મારે રસ્તે. મેં મારી સમજ સુધારવાના ઈરાદે જ આ લખ્યું છે. વધુ આવતી કાલે.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

7 COMMENTS

  1. I found one thing in Shrimad Bhagvat as astronomical evidence. During Mohini swaroop episode, hindu month name of summer is different than the current one. Due to earth’s precession, season changes with that month at every 2000 years roughly. Based on it I found that Bhagvat must have been written around 2000 BC. This was my observation, some 15 – 20 years back ; now I don’t remember month’s name etc. finer details. Puranas were written as easy means to understand knowledge by common people as they were / are incapable of understanding deeper meaning from Vedas or it’s commentary in Upnishads.

    But, in our Puranas whatever you see as vulgar, s#x based nirupan is all recent poison injection in last 500 years, to make Hindus self loathing and hence easy pray for conversion.

    Please check Captain Ajit Vadkayil ‘s blogs on his Hinduism Exhumed series which is more than 120 articles. In this series, articles between 105 to 110 about Dwaita, Adwaita, Shiv Shakti are scientific and really good to understand the REAL Science, Quantum Physics behind Vedas.

  2. આપના કૃષ્ણ, પુરાણ વગેરે સબંધી લેખો વાંચ્યા ખરેખર ઘણું જાણવા મળ્યું. આવનારા લેખમાં પણ આવી જ માહિતી આપતા રહેશો અને બની શકે તો એક લેખમાં એવા પુસ્તકો, અન્ય લેખકના લેખ કે અન્ય લિંક વગેરે આપશો જેના થી વાચકો પોતાની જાતે પણ આ જે બખડજન્તર ફેલાયું છે એના વિશે સજાગ અને માહિતગાર થઈ શકે.
    આભાર.

  3. આ લેખ માં તો બહુ મજા આવી. ખરેખર આપણા ધર્મ માં એટલા બધા ગૂંચવાડા છે કે લોકો સત્ય ને અસત્ય, અને અસત્ય ને સત્ય માની બેઠા છે.

  4. સૌરભભાઈ – જય શ્રી કૃષ્ણ
    આપના શ્રીકૃષ્ણ વિશેના વિચારોમાં તથ્ય છે. પુરાણો વિશેની વાતો પણ ગળે ઉતરે એવી છે.
    સ્વામી – બાપજી ના પરિચયમાં પણ પાર્લા ખાતે તેમની એક અંગત બેઠકમાં પણ અને અમુક પુસ્તકો દ્વારા તેમના જલદ વિચારો જાણ્યા છે.
    છતાં મને એમ લાગે છે કે જેમ રામાયણ, મહાભારત પણ અમુક વિચારકો ને મતે કાલ્પનિક કથાઓ છે તેમ અમુક પુરાણ કથાઓ પણ તે રીતે વિકસી હોય અને તે માનનારો વર્ગ પણ ઉભો થયો હોય. જુદી વિચારધારાઓ તેમજ માન્યતાઓ થકી જ દુનિયામાં અલગ અલગ ધર્મોનો ફેલાવો થયો છે જ્યારે અમુક વિચારધારા સાચી હોવા છતાં લોક જુવાળ ઉભો કરી શકતી નથી.
    સ્વામીજીએ શ્રીમદ્ વલ્લભાચાર્ય રચિત ભાગવત બદલ કરેલ ટિપ્પણી બરોબર ન સમજાઈ. વલ્લભાચાર્યજી પોતાની ચોક્કસ વિચરરધારાથી લાખો લોકોને આકર્ષી વૈષ્ણવ ધર્મ સ્થાપી શક્યા.બાકી અમુક વિરોધાભાસી વિચાર ઉભો કરી નાનો વર્ગ ઊભો કરી શકાય

  5. પુરાણ વિશે અપૂરતા જ્ઞાન અને પોતાને ઓશોની સમકક્ષ સ્થાપિત કરવા માંગતા સ્વામીજીના subjective વિચારોથી પ્રેરિત લેખ. પરંપરાથી પ્રચલિત 14 મુખ્ય વિદ્યાઓમાં વેદ અને વેદાંગો સાથે પુરાણ પણ એક છે એ બાબતથી જાણી જોઈને કિનારો કરનારા so called ધાર્મિક અને આધુનિક લોકોથી સમજે બચવું જોઈએ.

    • વેદો લખાયા એના હજારો વર્ષ પછી પુરાણો લખાયાં.
      બેઉને સાથે બોલીને પ્રજાને ગેરમાર્ગે દોરી ન શકાય.
      વેદ અને ઉપનિષદની પવિત્રતા અમર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here