ભાગવતમાંના કૃષ્ણની કથાઓનું હવે શું કરવું : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક: ચૈત્ર વદ ત્રીજ, વિક્રમ સંવત ૨૦૭૭. ૩૦ એપ્રિલ ૨૦૨૧)

વાર્તાલાપનું સમાપન કરતાં સ્વામી સચ્ચિદાનંદજીને મેં પૂછ્યું, ‘તમારી દૃષ્ટિએ એ જમાનામાં પુરાણોનું સર્જન કયા કયા આશયોથી કરવામાં આવ્યું હોવું જોઈએ?’

‘મારી સમજણ પ્રમાણે,’ બાપજીએ કહ્યું, ‘આપણે ત્યાં પહેલાં નિરંજન-નિરાકાર-નિર્ગુણ બ્રહ્મની ઉપાસના હતી ઉપનિષદોમાં. અને દેવોની હતી-એક સાથે ઈન્દ્ર, વરુણ, યમ વગેરે ૩૩ કરોડ દેવો. આખી દુનિયામાં આ હતું. ગ્રીસમાં, રોમમાં, દક્ષિણ અમેરિકામાં-બધે જ. એની સામે બૌદ્ધ ધર્મે બુદ્ધને મૂક્યા અને જૈનોએ મહાવીરને મૂક્યા અને એ બહુ સફળ રહ્યા. દેવોની પૂજાની જગ્યાએ બુદ્ધની પ્રતિમાની પૂજા એટલી બધી જામી કે જ્યાં જુઓ ત્યાં બુદ્ધ જ બુદ્ધ. બુદ્ધની પરંપરામાં મારી દૃષ્ટિએ એક બહુ મોટું દૂષણ એ આવ્યું કે એ ધર્મે વ્યક્તિપૂજા શરૂ કરી. બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ. ઈશ્વરને નથી માનતા. તો પછી બુદ્ધને શરણે શું કામ જાઓ છો? બુદ્ધને શરણે જઈને એમણે વ્યક્તિપૂજા શરૂ કરી. એની પ્રતિકૃતિરૂપે આપણે ત્યાં અવતારવાદ આવ્યો. આપણે રામ અને કૃષ્ણને (ઈતિહાસ પુરુષો ગણવાને બદલે એમને) અવતાર બનાવીને મૂક્યા. અને રામ અને કૃષ્ણ બહુ જામ્યા. એમની કથાઓ વગેરે બહુ જામી. પહેલાં શિવપાર્વતી પછી રામ, પછી કૃષ્ણ અને પછી તો આ નવા ભગવાનો બધા-અત્યારે જે છે એ બધાં. આ રીતે આપણે ત્યાં વ્યક્તિપૂજાની શરૂઆત થઈ. પ્રાચીનકાળમાં ઋષિઓ કાં તો બ્રહ્મપૂજા કરે છે, કાં તો દેવપૂજા કરે છે. વ્યક્તિરૂપી નથી કરતા. હવે વ્યક્તિપૂજા થઈ ગઈ ને બધા વ્યક્તિપૂજા થઈ ગયા. બુદ્ધ અને મહાવીરની સામે રામ અને કૃષ્ણની ઉપાસના બહુ સફળ રહી.’

‘બાપજી, વેદકાળમાં આપણે સૂર્યની ઉપાસના કરતા, કુદરતી તત્ત્વોની-પંચ મહાભૂતોની પૂજા કરતા. મૂર્તિપૂજા જેવું કંઈ હતું જ નહીં. મૂર્તિપૂજા કયા કાળમાં શરૂ થઈ?’

સ્વામીજી કહે છે, ‘મેં કહ્યું ને તમને કે બુદ્ધથી જ થઈ. બુદ્ધનો અર્થ પાછળથી થઈ ગયો ‘બૂત’ અર્થાત્ મૂર્તિ. ફારસીમાં બૂત એ બુદ્ધનું અપભ્રંશ છે. એટલી પ્રતિમાઓ બનાવી, એટલી પ્રતિમાઓ બનાવી, ઠેર ઠેર. અફઘાનિસ્તાનમાં મોટી-ઊંચી પ્રતિમાઓ બનાવી, બામિયાંમાં જે તોડી પાડવામાં આવી. આવી તો મૂર્તિઓ આખી દુનિયામાં બનાવી. બુદ્ધ ગુફાઓમાં મૂર્તિઓ, બધે જ. બુદ્ધકાળમાં આ મૂર્તિપૂજા બહુ પ્રસરી જેનો લાભ પછી આપણે લીધો.’

‘બુદ્ધના કાળ પહેલાં રામ અને કૃષ્ણની પ્રતિમા જેવું હતું જ નહીં એમ?’

‘નહોતું. મૂર્તિઓ તો શું મંદિરો જ નહોતાં ને. ભારતમાં કોઈ પણ જૂનું મંદિર જોવા જાઓ, પંદરસો વરસથી જૂનું કોઈ મંદિર મળતું નથી. બેત્રણ હજાર વર્ષ જૂનું કોઈ મંદિર મળતું નથી. હડપ્પા અને મોહેંજોદડોની સંસ્કૃતિના અવશેષોમાં બધું મળે છે, પણ મંદિર નથી મળતું. નહાવાની જગ્યા, બેસવાની જગ્યા-બધું મળે છે પણ મંદિર નથી મળતું. તે વખતે દેવપૂજા થતી, બલિદાનો આપતાં. દેવપૂજામાં વરસાદ જોઈએ છે તો ઈન્દ્રની પૂજા કરો-યજ્ઞો દ્વારા. સ્વાહા, સ્વાહા. કુદરતી તત્ત્વોની પૂજા યજ્ઞ દ્વારા થતી. અને એમાં બ્રાહ્મણોની આજીવિકા હતી.’ 

‘છેલ્લો સવાલ, બાપજી. આજની તારીખે મહાભારતના પ્રતાપી કૃષ્ણ નવી પેઢી માટે વધારે સ્વીકાર્ય બને એના માટે શું કરી શકાય?’

‘એના માટે એક જ ઉપાય છે કે પૌરાણિક કથાઓને આપણે ઘટના નહીં, પણ લીલા માનીએ. એ ઘટનાઓ નથી. રાસલીલા એ લીલા છે, ઘટના નથી. આ પ્રચાર થવો જોઈએ. દાખલા તરીકે દત્તાત્ર્યને ત્રણ માથાં છે. ત્રણ માથાં માણસને હોય? ત્રણ માથાંનું અર્થઘટન કરીને સમજાવો કે સત્ત્વ, રજ અને તમ આ ત્રણ ગુણો છે એના પ્રતીકરૂપે આપણે ત્રણ માથાં બનાવ્યાં છે. આવું થાય તો નવી પેઢીના મગજમાં વાત ઊતરી શકે. જેટલાં રૂપો પુરાણોમાં છે તે બધાં રૂપકો છે એ સમજાવવું જોઈએ અને બ્રહ્મ એક જ છે જે નિરંજન-નિરાકાર-નિર્ગુણ છે તે સ્વીકારીને વ્યક્તિપૂજાથી બચવું જોઈએ. કોઈ વ્યક્તિને તમે સંત તરીકે માનો, મહાપુરુષ તરીકે માનો એ બરાબર છે, પણ પરમેશ્વર તરીકે કોઈ વ્યક્તિને ના મનાય.’

‘હજુ એક છેલ્લો સવાલ. બધા પુરાણોમાં સૌથી સારું અથવા જેમાં સૌથી ઓછું દૂષણ હોય એવું પુરાણ કયું?’

‘આમ તો મારી દૃષ્ટિએ પદ્મપુરાણ સારું છે જેનો બહુ પ્રચાર નથી થયો. પદ્મપુરાણમાં બધી વાતો આવી જાય છે. રામાયણેય આવે છે, મહાભારતેય આવે છે, ભાગવતેય આવે છે. અપેક્ષાકૃત સારું છે.’ 

‘અને બાપજી, જે પુરાણને બાદ કરી નાખવાની જરૂર હોય…’

મારી વાત સાંભળીને બાપજી ખડખડાટ હસી પડે છે અને બોલે છે, ‘જે પુરાણોમાંથી અમુક અંશો બાદ કરી નાખવાની જરૂર હોય એવું રાખીએ! દયાનંદ સરસ્વતીએ શું કર્યું કે જે અંશો નહોતા ગમતા એને ક્ષેપકો ગણીને કાઢી નાખ્યા…’

‘સૌથી વધારે ક્ષેપકો કયા પુરાણમાંથી કાઢ્યા?’

‘ભાગવતમાંથી!’

કહીને બાપજી ફરીથી હસી પડ્યા. ગંભીર ચર્ચાના અંતે મને પૂછ્યું, ‘સાંજે ભોજનમાં પાંઉભાજી છે, ભાવશે ને? કે પછી તમારા માટે કંઈ બીજું બનાવડાવું?’

મેં કહ્યું, ‘ખૂબ ભાવશે.’ 

બાપજી કહે, ‘મને બિલકુલ નથી ભાવતી. એમાં ભાજી તો જરાય નહીં. પાંઉ પણ નથી ભાવતા પણ દૂધ જોડે ખાઈ લઈશ.’

સ્વામી સચ્ચિદાનંદજીના આશ્રમમાં સાંજે પાંચ વાગ્યે રાતના ભોજનની તૈયારીઓ થઈ જાય છે. છ વાગ્યે તો વાળુ આટોપાઈ ગયું હોય, પણ જે મિત્રો પાંઉભાજી બનાવીને લઈ આવવાના હતા તે હજુ સુધી દેખાતા નથી. મેં બાપજીને કહ્યું, ‘મને પાંઉભાજી ભાવે છે એટલું જ નહીં, બનાવતાં પણ બહુ સારી આવડે છે!’

બાપજી ઉત્સાહમાં આવીને કહે, ‘તો તમને ત્યાં મોકલી આપું! જઈને બનાવો!’

મેં કહ્યું, ‘હવે તો તૈયાર થઈ ગઈ હશે. નેક્સ્ટ ટાઈમ મુંબઈથી થોડાક મારા મસાલા લઈને આવીશ ત્યારે બનાવી આપીશ. તમને ભાવશે.’ પછી મેં વિગતે મારી રેસિપી એમને કહી.

આજના લેખમાં જેનો ઉલ્લેખ છે તે સ્ટડી રૂમમાં સ્વામી સચ્ચિદાનંદ. 1996/97ની સાલની આ તસવીરના તસવીરકાર: કલ્પેશ દૂધિયા

પાઉંભાજી આવી ગઈ. આશ્રમના સર્વે લોકોએ અને કેટલાક મહેમાનોએ પેટભરીને એનો સ્વાદ માણ્યો. સંધ્યાઆરતી વખતે આશ્રમના મંદિરમાં થ્રુઆઉટ આરતીમાં મેં ઘંટ વગાડ્યો. એનો રણકાર હજુય કાનમાં ગૂંજે છે. બાપજીની વિદાય લેતાં પહેલાં મારી વિનંતીને માન્ય રાખીને બાપજી મને મેડા પર આવેલા એમના સ્ટડી-કમ-શયનખંડમાં લઈ ગયા. ૧૯૯૬માં એમનો પહેલવહેલો દીર્ઘ ઈન્ટરવ્યૂ કર્યો ત્યારે જેવો હતો તેવો જ ઓરડો છે. સ્ટડી ટેબલ પર પ્રકાશ માટે ઉપરથી લટકતો એલ્યુમિનિયમના શેડવાળો લૅમ્પ પણ એ જ છે. ગજબની સાદગીમાં તેઓ જીવે છે. પૂજાના ઓરડામાં અજવાળું કરવા માટેની જે સ્વિચ છે તે બેકેલાઈટની કાળી ગોળ સ્વિચ હવે તો એન્ટિકમાં ગણાય.

મને વર્ષોથી ખબર છે કે આ આશ્રમ સ્વામી સચ્ચિદાનંદે સ્થાપ્યો છે, અહીં જે ડોનેશન આવે છે તે એમને કારણે આવે છે છતાં બાપજી દર મહિને આશ્રમમાં થતો પોતાના રહેવા-ખાવાનો ખર્ચ આશ્રમને ચૂકવી દે છે. એમનાં પુસ્તકોની રોયલ્ટીની આવકમાંથી બાપજી આ ખર્ચ ચૂકવી દે છે. હવે તો પ્રવચન વગેરે માટે બહાર જતા નથી (આમ છતાં પ્રવાસો નિરંતર ચાલુ છે. એપ્રિલમાં નેપાળ જવાનો પ્લાન છે) પણ જ્યારે ખૂબ હરતાફરતા ત્યારે રોયલ્ટીની આવકમાંથી લીધેલી પોતાની કારમાં, પોતાનું પેટ્રોલ ભરાવીને નીકળી પડતા.

રસોડામાં એમના માટે કોઈ સ્પેશ્યલ ચીજ ના બને. જે બધા માટે બને તે જ પોતે જમે અને જે પોતે જમે તે બધાને જમાડે. ક્યારેક લાડુ, ભજિયાં વગેરે પણ હોય અને કાંદા-બટાકા-લસણની કોઈ પરહેજ નહીં. બધું જ સાદું, સાત્ત્વિક અને સ્વાસ્થ્યપ્રદ. એક વખત બાપજીની તબિયત ઠીક નહોતી ત્યારે રસોડામાં એમના માટે એક વધારાનું શાક બનાવવામાં આવ્યું. જમતી વખતે એમણે જોયું કે માત્ર પોતાને જ એ શાક પીરસાયું છે. બાપજી ના જમ્યા. રસોડું સંભાળનારા પણ ના જમ્યા. પણ તે દિવસથી સૌના મનમાં ઠસી ગયું કે બાપજી માટે ભોજનમાં ક્યારેય અપવાદો કરવાના નહીં. પાંઉભાજી ન ભાવતી હોવા છતાં બાપજીએ પોતાના માટે કશું નવું બનાવડાવ્યું નહીં (હા, મહેમાનોને પૂછી લીધું) અને દૂધની જોડે પાંઉ ખાઈને ચલાવીને ધુળેટી મનાવી લીધી. આરતી પછી વઘારેલી ધાણીનો પ્રસાદ સૌને બબ્બે ખોબા ભરીને અપાયો. બીજે દિવસે શનિવાર છે. હનુમાન ચાલીસા ગાવા લોકો આવવાના છે. સૌના માટે લીલવાની કચોરી બનવાની છે. કિલોબંધ તાજી તુવેરને ફોલવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. મારે તો એ જ રાત્રે નીકળીને બીજી સવારે મુંબઈ પાછા પહોંચી જવાનું છે. બાપજી પ્રેમથી પૂછે છે, ‘તમને રસ્તામાં ખાવા ભાથું બાંધી આપે?’ હું કહું છું, ‘બાપજી, સવારથી આવ્યો છું ત્યારથી ખા-ખા જ કર્યું છે. રસ્તામાં ક્યાંથી ભૂખ લાગવાની હવે?’

બાપજીના આશ્રમમાં ૨૦૧૮ની ધૂળેટીની સાંજે મને મળવા આવેલા વાચકો સાથે. બ્લ્યુ શર્ટમાં જે છે તે આઇ.બી. (ઇન્ટેલિજન્સ બ્યુરો)ના ઇન્સ્પેક્ટર બારોટ અને છેક ખૂણે વ્હાઇટ શર્ટમાં પ્રિન્સિપાલ શ્રી લિમ્બાચિયા.

અને ખરેખર મારી ભૂખ-તરસ બધું જ અહીં આવીને મટી ગયું છે. ઘણી મોટી તૃપ્તિનો ઓડકાર ખાઈને હું અહીંથી જઈ રહ્યો છું. હું દંતાલી આશ્રમમાં ધુળેટીનો આખો દિવસ છું એવો સંદેશો મેં બપોરે બાપજીના ફોટા સાથે મારા વૉટ્સઍપ ગ્રુપોમાં તથા એફબીના પેજ પર વહેતો મૂક્યો હતો એ વાંચીને કેટલાક વાચકમિત્રો નજીકના ગામમાંથી મને મળવા આવ્યા છે. એક તો છેક નડિયાદથી આવ્યા છે. યુવાન છે. મારું બધું જ વાંચે છે. હું એમને આશ્રમની ઑફિસમાંથી બાપજીની આત્મકથા ‘મારા અનુભવો’ ખરીદીને ભેટ આપું છું. ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈ.બી.)માં ઈન્સ્પેક્ટરની ફરજ બજાવે છે. એમને પાછા નડિયાદ થઈને અમદાવાદ જઈ સવારે જૂનાગઢ એક કેસ માટે પહોંચવાનું છે છતાં પોતાની લાલ-ભૂરી બત્તીવાળી પોલીસ જીપમાં મને આણંદ સ્ટેશન સુધી મૂકી જાય છે. સ્વામી સચ્ચિદાનંદજીના આશ્રમમાં આ રીતે મારા વાચકોને મળીને મને આનંદ થાય છે. બાપજીને પણ. એમણે મારા વાચકને આપેલી પોતાની આત્મકથાના પહેલા પાને સામે ચાલીને પોતાના હસ્તાક્ષર કરી આપીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો. 

મહાભારતના કૃષ્ણ અને ભાગવતના કૃષ્ણ વિશેનું મારું વિચારમંથન હવે ઘણું બધું સ્પષ્ટ થઈ ગયું છે. આર.એ.સી.માંથી છેલ્લી ઘડીએ કન્ફર્મ થઈ ગયેલી બર્થ પર સૂતાં સૂતાં મેં નક્કી કર્યું કે આ મંથનને હું વાચકો સમક્ષ ભગવાન વિષ્ણુના માલ્યાવતાર તરીકે રજૂ કરીશ. હા એ જ માલ્યા જે લંડનમાં છે, તેના માલ્યાપુરાણની ઉપમા આપીને મારી આ બાબતની વિચારસરણી ક્લિયર કરીશ-તમારા સૌની આગળ. કાલે.

આજનો વિચાર

બુદ્ધિપ્રધાન લોકો હંમેશાં અલ્પમાત્રામાં જ હોય છે. તેથી ઉપનિષદોનો પ્રભાવ બહુ નાના સીમિત વર્ગ સુધી જ રહેશે. વિશ્ર્વના બધા મોટા ધર્મો પોતપોતાના બધા ધર્મગ્રંથો ઉપર સૌનો અધિકાર માને છે. એટલે જ તેને ફરજિયાત ભણાવવા માટે ધાર્મિક પાઠશાળાઓ પણ ખોલી છે. એક આપણે જ એવા છીએ જે આપણા મૂળ ગ્રંથને કોઈ જાણી ન લે તેના માટે સજ્જડ પ્રતિબંધ મૂકીએ છીએ. આવા સંકુચિત પ્રતિબંધોથી આપણને જ નુકસાન થયું, થઈ રહ્યું છે અને આગળ ભયંકર થવાનું છે. 

— સ્વામી સચ્ચિદાનંદ (‘ભાગવતનું ચિંતન’ પુસ્તકની પ્રસ્તાવનામાં)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

7 COMMENTS

  1. I have come across your article on ‘puran’ for the first time. Being born in God fearing family where every religious text is considered holy, I have hardly thought about its origin and the Rishis who wrote or contributed to different Purans. Don’t you think what you or Pu. Swamiji contemplate is just your version of the “Puran Prasang” like the old age Rishis did during their time..I think the best answer should be to educate young people of “Sanatan Dharma” by conducting continual education..in modern times “online”…and leave it to them to conclude as per their intellectual.

  2. Saurabhbhai – Simple explanation and good visually written description of Swamiji’s ashram and explanation of purans, Buddha and Mahavir information.

    Overall very nice series.

    Not sure but curiosity always comes, based on time period of Puran, may be it’s written after Adi Shankracharya. Off course, we need to do some more reading and research on this.
    Facts can not be easily found need to do more reading and research.

  3. તો પછી સ્વામીજીના મતે શ્રીમદ્ ભગવદ્ગીતા ગ્રંથ કોણે લખ્યો હશે ? કેમકે ગીતા પણ ઊપનીષદ ની જેમ સ્મૃતી ગ્રંથ છે…આપણે જે અત્યારે ગીતાનું સ્વરૂપ (પુસ્તક) જોઈએ છીએ એમાં પણ ક્ષેપકો હોવાના ? શંકરાચાર્યજી એ જે ભજ્ ગોવિંદમ્ લખ્યું તે ગોવિંદ કોણ ?હાલનો સનાતન ધર્મ જે અવતાર વાદની આસ્થા પર ઊભો છે…તે ખોટો ? આ વિષયની ચર્ચા માટે આપના એક કે બે દિવસ પર્યાપ્ત છે ? આ પ્રશ્ન આપનો વાચક તરીકે પુંછું છું, આલોચના કે ચર્ચા કરી શકું તેટલી મારી ક્ષમતા નથી, હા જે વાચકોને હાલની મંદિર કે આવતારવાદની વ્યવસ્થા વિશે ફરિયાદ હશે તેમને ગમશે… કનૈયાલાલ મુનશીના ક્રૃષ્ણાવતારના ૨ ભાગ વાંચવાં મલ્યા હતા વાંચ્યા છે….આપે પણ વાંચ્યા હશે….

    • પ્રશ્નો થવા જોઈએ. જિજ્ઞાસા પણ થવી જ જોઈએ. પરંતુ આટલા બધા સવાલો પેદા કરવાને બદલે ગીતાના અધ્યયનમાં જો એટલો સમય ગાળીએ, ગીતાને સમજીને યથાશક્તિ એને જીવનમાં ઉતારવાની નિષ્ઠાપૂર્વક કોશિશ કરીએ અને એ પછી એક એક કરીને આવા સવાલો કરીએ તો જીવનમાં વધારે સંતોષ અને આનંદ પ્રાપ્ત થાય એવું મને લાગ્યું છે.

  4. Fantastic presentation of the series of articles.. Thought provoking style of Pujya Swami Sachchidanand and his clear cut vision about religion is marvelous and unparallel. Hearty congratulations to you for this wonderful series.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here