તમે તમારાં સગાંઓને ઠેકાણે પાડ્યાં કે નહીં? : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : રવિવાર, 7 જૂન 2020)

સામાન્ય સંજોગોમાં તમે તમારા કુટુંબીજનોને થાળે પાડો તો સમાજમાં વખાણ થાય. સંતાનો, ભાઈ, ભત્રીજા, સાળા, બનેવી વગેરેને એક યા બીજી રીતે મદદ કરીને જિંદગીમાં ઠરીઠામ કરવાની તમારી ફરજ છે. સ્થિતિપાત્ર લોકો આવું કરતા જ હોય છે. જે વ્યક્તિ સંપન્ન હોય એણે પોતાનાથી નબળા એવા નજીકનાઓની પડખે ઊભા જ રહેવું જોઈએ.

પણ આ નૉર્મલ માણસોની વાત થઈ. રાજકારણીઓ આવું કરવા જાય ત્યારે સમાજમાં ભ્રષ્ટાચાર ફેલાઈ જાય. પંડિત નેહરુ, મુલાયમસિંહ યાદવ અને લાલુપ્રસાદ જેવા અનેક રાજકારણીઓ ભારતમાં હતા અને છે, જેઓ ભાઈ-ભત્રીજાવાદમાંથી ઊંચા આવ્યા નથી. એમણે પોતાની વગ વાપરીને પોતાના સગલાઓને કરોડોપતિ બનાવી દીધા. ભારતના દરેક પક્ષના લગભગ દરેક રાજકારણીએ પોતાને જ નહીં, પોતાના સમગ્ર બહોળા કુટુંબને મિત્રમંડળ સહિત તારી દીધા છે. ખુદ લાલકૃષ્ણ અડવાણી પણ આમાં અપવાદ નથી. શરદ પવારે અને છગન ભુજબળે તો પોતાની આગામી 7 નહીં, 77 પેઢીઓ તરી જાય એવાં કાંડ કર્યાં છે.

રાજકારણમાં સગાંવાદ એટલો વ્યાપક છે કે કોઈ રાજકારણી પોતાના કુટુંબ-મિત્રોને રતીભાર મદદ ન કરે ત્યારે તમને નવાઈ લાગે. સૌપ્રથમ તો ડાઉટ જાય કે શું એને એના કુટુંબીઓ સાથે બનતું નહીં હોય? પણ સહેજ નજીક જઈને જુઓ તો જ એવા રાજકારણીમાં રહેલી સાધુતાનો ખ્યાલ આવે.

ભારતના ભૂતકાળમાં આવા બે રાજકારણી થઈ ગયાઃ એક ગાંધીજી અને બીજા સરદાર વલ્લભભાઈ પટેલ. ગાંધીજીએ જ્યેષ્ઠ પુત્ર હરિલાલને વિદેશ ભણવાની તક મળતી હતી તે જવા દીધી અને બીજા એક લાયક યુવાનને એ સ્કોલરશિપ અપાવી. ગાંધીજીના આવા વર્તન સામે હરિલાલે બંડ પોકાર્યું અને હરિલાલ કયા માર્ગે વળી ગયા તે સૌકોઈ જાણે છે.

વલ્લભભાઈ પટેલ તો ગાંધીજી કરતાં પણ એક ડગલું આગળ વધી ગયા. તેમણે પોતાના પરિવારને જાહેર જીવનથી સાવ અળગો રાખ્યો. એમનાં પત્નીના નામની બહુ ઓછાને ખબર હશે. પુત્રના નામની કેટલાકને ખબર હશે, પણ એ પુત્રે પિતાનું નામ ઉજાળવાનાં કામો થોડાં જ કર્યાં છે. પુત્રીએ સાચવ્યા પિતાને અને પિતાની ગેરહયાતીમાં મુફલિસીમાં જીવન વિતાવ્યું.

મોરારજી દેસાઈ પોતે અણિશુદ્ધ- એટલા બધા અણિશુદ્ધ કે ક્યારેક તમને ચોખલિયા લાગે. રાજકારણમાં જોકે આવા અંતિમોવાળા લોકો સારા – લાલુ, મુલાયમ, માયાવતી, જયલલિતાના અંતિમો કરતાં. પણ મોરારજીભાઈ એમના પુત્રને કન્ટ્રોલ કરી શક્યા નહીં. કાંતિલાલથી છેડો ફાડી શક્યા નહીં. પુત્રપ્રેમને લીધે મોરારજીભાઈની સોનાની થાળીમાં લોઢાની મેખ આવતાં-આવતાં રહી ગઈ.

કોઈ પણ વ્યક્તિને પોતે જો ઊંચા હોદ્દા પર હોય કે વગદાર પોઝિશન પર હોય તો સ્વાભાવિક રીતે જ સૌથી પહેલાં એને પોતાના સંતાનો યાદ આવે. ભાઈઓ, કાકા, મામા, ફોઈના દીકરાઓ યાદ આવે. કઝિન્સ પછી ભાણા-ભત્રીજાઓ અને સાળા-બનેવીઓ યાદ આવે. સૌને પોતાનાથી થાય એટલી મદદ કરવાનું મન થાય, કારણ કે આ જ લોકો એની આસપાસ હોય છે. પોતાની ઇમોશનલ અને સોશ્યલ લાઇફનો આ લોકો એક અનિવાર્ય હિસ્સો હોય છે. કોઈ પણ વ્યક્તિની બાબતમાં આ સાચું હોવાનું. જો મદદ ન કરે કે ન કરી શકે તો સમાજ મહેણાં-ટોણા મારે કે જોયું, માણસ કેવો અહંકારી બની ગયો. આટલો મોટો બની ગયો તો સગી જનેતાને ભૂલી ગયો સગા ભાઈ-ભાંડુને રસ્તે રખડતા રાખીને પોતે દૂધ-મલાઈ આરોગતો થઈ ગયો સમાજનાં મહેણાં ટાળવા માટે ઘણાએ પોતાનો અપત્યપ્રેમ જતાવવો પડે.

મહાત્મા ગાંધી આદર્શ પિતા બનવા ગયા હોત તો રાષ્ટ્રપિતા ન બની શક્યા હોત. માણસ પોતાનાં નીતમત્તાનાં ઉચ્ચ ધોરણો દરેક સંજોગોમાં જાળવી શકે તો જ એ સમાજજીવનમાં ઊંચા સ્થાને બેસવાને લાયક બને.

‘ગ્રંથ’ અને ‘પરિચય પુસ્તિકા’ના સ્થાપક તંત્રી સ્વ. યશવંત દોશી એક જમાનામાં એક છાત્રાલયના ગૃહપતિ હતા. હૉસ્ટેલમાં રહીને છાત્રોને સાચવવાના અને વર્ગમાં જઈને એમને ભણાવવાના.

શિક્ષણસંસ્થાનાં કામોમાંથી ફુરસદ મળે ત્યારે મોડી સાંજે જમવા આવે. જમવાનું ટાઢું થઈ ગયું હોય, ફરી ગરમ કરવું હોય તો એમનાં પત્ની વસંતબહેને ફરી ચૂલો કરવો પડે, પણ એ માટે રોજરોજ બળતણ ખરીદવા જેટલી આવક ન હોય, એટલે યશવંતભાઈને ઠંડું જમાડવું પડે, જે વસંતબહેનને ખટકે.

એક રાત્રે યશવંતભાઈ જમવા બેઠા. ગરમાગરમ જમવાનું. રહસ્ય પૂછ્યું. વસંતબહેને કહ્યું: “હૉસ્ટેલના છોકરાઓના જમી લીધા પછી રસોડું બંધ થાય ત્યારે વધેલો દેવતા ફેંકી દેવામાં આવે છે, તેમાંથી થોડા સળગતા કોલસા ઘરે લઈ આવીને રસોઈ ફરીથી ગરમ કરી.”
યશવંતભાઈએ થાળી દૂર હડસેલી દીધીને કહ્યું : “સંસ્થા માટે નકામો હોય તેવો દેવતા તો શું, સંસ્થા માટે નકામી એવી રાખ પર પણ આપણો હક્ક નથી. આ ઘરમાં એવું કંઈ જોઈએ નહીં.”
યશવંત દોશી શિક્ષણના ક્ષેત્રમાંથી સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રમાં પ્રવેશ્યા પછી પણ એમની આ પ્રામાણિકતા અકબંધ હતી.

આજની તારીખે જવલ્લે જ જોવા મળે એવી આ પ્રામાણિકતા રાજકારણમાં કોના જીવનમાં જોવા મળે છે?

યુ ગેસ્ડ ઇટ રાઇટ. મોદી.

નરેન્દ્ર મોદીનાં સગાંવહાલાંઓ શું કરે છે? નરેન્દ્ર દામોદરદાસ મોદીના પાંચ સગા કાકાઓ. નરસિંહદાસ, નરોત્તમભાઈ, જગજીવનદાસ, કાન્તિલાલ અને જયંતીલાલ. દામોદરદાસ સૌથી મોટા. છએયના પિતા મૂળચંદ મગનલાલ મોદી જે વડનગરમાં ઘાંચીનું કામ કરતા.
દામોદરદાસને પાંચ દીકરા અને એક દીકરી. સૌથી મોટા સોમભાઈ 75 વર્ષના, એમનાથી નાના અમૃતભાઈ જે 72 વર્ષના, ત્રીજા નંબરે આપણા નરેન્દ્રભાઈ 66 વર્ષના અને પછી પ્રહલાદભાઈ 64 વર્ષના, વસંતબહેન 61 અને પંકજભાઈ 58.

દામોદરદાસ અને હીરાબાના ત્રીજા નંબરના સપૂત નરેન્દ્ર મોદીના સગા ભાઈઓમાંથી કે સગા કાકાઓના દીકરાઓમાંથી કોઈ જાહોજલાલીમાં જીવતું નથી. મોદી 13 વર્ષ ગુજરાતના મુખ્ય મંત્રી રહ્યા. 2014થી ભારતના પ્રધાનમંત્રી છે. ભાઈ-ભત્રીજાઓ આજે કરોડપતિઓ હોત. ભારતના લગભગ બધા પોલિટિશિયનો આ જ ધંધા કરી રહ્યા છે. કૉંગ્રેસમાં હોય કે બીજા કોઈ પણ પક્ષમાં. સૌ કોઈ પોતપોતાનાં સગાં-વહાલાં, સાઢુ-બનેવી, મિત્રો-પાડોશીઓને સેટલ કરવામાં લાગી જાય છે. આવું કરવાના ત્રણ ફાયદા. એક તો, ભવિષ્યમાં આ લોકો પોતાને આર્થિક સલામતી બક્ષી શકે. બીજું, પોતાની બે નંબરી આવકનો બેનામી કારોબાર એમને સોંપી શકાય અને ત્રીજું, એમને સેટલ થયેલા જોઈને બીજાઓ પણ પોતાની પાસે ફેવર્સ માગવા આવે અને એમને લાભો અપાવીને પોતે ઔર મજબૂત બની શકે.

નરેન્દ્ર મોદીને આવી કંઈ પડી નથી. કારણ કે મોદી ભવિષ્ય માટે ઇન્સિક્યોર્ડ નથી. કારણ કે મોદીનો કોઈ બેનંબરી કારોબાર નથી, કોઈ બેનામી સંપત્તિનો વહીવટ કરાવવાનો નથી એમણે. કારણકે મોદીએ કોઈનેય ફેવર કરવી નથી, કારણ કે એમને કોઈનીય ફેવર જોઈતી નથી. એ જે કામ કરે છે અને ભવિષ્યમાં કરવા માગે છે એમાં કુદરત અને ભારતની સવાસો કરોડની જનતા એમને સાથ આપી રહી છે, આપતી રહેશે.

મોદીનાં સગાંવહાલાં શું કરી રહ્યાં છે? તમે જાણશો તો તમારી આંખમાંથી બે આંસુ ટપકી પડશે. એક આંસુ આ સગાંઓની અત્યારની પરિસ્થિતિ માટે અને બીજું આ સગાંઓની ખુમારી માટે. પોતાનો સગો ભાઈ કે કાકો કે મામો પીએમ હોય છતાં કરોડપતિ-અબજોપતિ બનવાનાં સપનાં જોયાં વગર પોતે જે મહેનતની કમાણી કરે છે એમાં સંતુષ્ટ રહેવાની ખુમારી આ સૌનામાં છે. મોદી જ નહીં, એમનું આખુંય ખાનદાન દેશ માટે વંદનીય છે. ભૂતકાળમાં જો આપણને તમામ પ્રધાન મંત્રીઓ અને એ સૌનાં ખાનદાનો આવાં મળ્યાં હોત તો આ દેશ આજે ક્યાંનો ક્યાં હોત?

મોદીનાં કુટુંબીજનો શું કરે છે એ વિશેની ઓથેન્ટિક માહિતી સિનિયર અને ક્રેડિબલ જર્નલિસ્ટ ઉદય માહુરકરે ઘણી મહેનતથી ‘ઇન્ડિયા ટુડે’ માટે ભેગી કરી છે જે અહીં શેર કરી છેઃ નરેન્દ્ર મોદીના સૌથી મોટાભાઈ સોમભાઈ કહેતા હોય છે કે, ‘હું નરેન્દ્ર મોદીનો ભાઈ છું, હું વડાપ્રધાનનો ભાઈ નથી. મારી અને એમની વચ્ચે એક અદ્રશ્ય દીવાલ છે જે તમે લોકો જોઈ શકતા નથી. માત્ર હું જ જોઈ શકું છું. એમના માટે હું સવાસો કરોડ ભારતીય જેવો જ એક છું.’ છેલ્લાં અઢી વર્ષથી સોમભાઈ એમના આ જગપ્રસિદ્ધ ભાઈને મળ્યા નથી. ક્યારેક ફોન પર વાત થાય એટલું જ. નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ ગુજરાત સરકારના માહિતી ખાતામાં નોકરી કરે છે. પંકજભાઈ સોમભાઈ કરતાં નસીબદાર છે, કારણ કે માતા હીરાબા એમની સાથે રહે છે અને મોદી ગાંધીનગરના એ ઘરે માને મળવા વરસમાં કમસે કમ એકબે વખત તો આવતા જ હોય છે.

મે મહિનામાં નરેન્દ્ર મોદીએ અઠવાડિયા માટે એમનાં મમ્મીને દિલ્હીમાં પોતાના ઘરે રહેવા માટે બોલાવ્યાં હતાં. અઠવાડિયા માટે જ. બાકી ભારતમાં પ્રાઇમ મિનિસ્ટરો કુટુંબ કબીલા સાથે સરકારી ખર્ચે પીએમ નિવાસમાં રહેતા હોય છે. મોદી 7, રેસકોર્સ રોડમાં રહીને પોતાના ખાવાપીવા સહિતનો તમામ અંગત ખર્ચ પોતાને મળતા પગારમાંથી કરે છે એવું એક રાઇટ ટુ ઇન્ફર્મેશનની અરજીના જવાબમાં બહાર આવ્યું.

પડંતિ નેહરુ પોતાની દીકરી સાથે વડાપ્રધાન નિવાસમાં રહેતા. લાલ બહાદુર શાસ્ત્રી તે વખતના 1, મોતીલાલ નેહરુ પ્લેસના પીએમ હાઉસમાં રહેવા આવ્યા ત્યારે પુત્રો, પૌત્રો સહિતનું આખું ધાડું સાથે લાવ્યા હતા. ઇંદિરા ગાંધીની સાથે એમના બે પુત્રો અને બેઉ પુત્રોનાં પત્ની-બાળકો પણ પીએમ હાઉસમાં જ રહેતાં. અવિવાહિત અટલ બિહારી વાજપેયીએ સુદ્ધાં એમની માનેલી દીકરી નમિતા ભટ્ટાચાર્ય અને એના પતિ રંજનના કુટુંબને પોતાની સાથે રહેવા માટે પીએમ હાઉસમાં બોલાવી લીધેલાં. મોદી વડાપ્રધાનના નિવાસસ્થાને કોઈ કુટુંબીજનને સાથે રાખતા નથી. આટલો બહોળો પરિવાર હોવા છતાં એકલા રહે છે.

આ બહોળા પરિવારના સભ્યો કરે છે શું? નરેન્દ્ર મોદીના બીજા નંબરના મોટા ભાઈ અમૃતભાઈ 2005માં એક પ્રાઇવેટ કંપનીમાં ફિટરની નોકરી કરીને નિવૃત્ત થયા ત્યારે એમનો માસિક પગાર રૂ.10,000 હતો. અમૃતભાઈ અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં એમના દીકરા સંજય સાથે રહે છે. 47 વર્ષના સંજય આઇટીઆઈ સર્ટિફિકેટ મેળવીને પોતાના લેથ મશીન પર એન્જિનિયરિંગ સ્પેર પાર્ટ્સ બનાવવાનું નાનકડું કામકાજ કરે છે. સંજયનો દીકરો નીરવ અને દીકરી નિરાલી બેઉ એન્જિનિયરિંગનું ભણે છે. સંજયે 2009ની સાલમાં એક ગાડી ખરીદી હતી જે એમના ઘરની બહાર ઢંકાઈને પાર્ક થયેલી છે. કુટુંબના સભ્યો ભાગ્યે જ વાપરે છે, મોટે ભાગે ટુ વ્હીલરનો ઉપયોગ કરે છે. સંજયના ફેમિલીમાંથી કોઈએ હજુ વિમાનપ્રવાસ કર્યો નથી. મોદીના સગા ભત્રીજા સંજય અમૃતલાલ મોદી કહે છે કે, ‘અમે લોકો 2003માં કાકા સીએમ હતા ત્યારે ગાંધીનગરના એમના ઘરે આખા પરિવારને મળવા બોલાવ્યા ત્યારે મળ્યા હતા. એ પછી છેક 16 મે 2014ના રોજ (લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યાં એ દિવસે) ગાંધીનગરના એમના ઘરે મળ્યા હતા.’ અત્યાર સુધીમાં બસ, બે જ વાર.

નરેન્દ્ર મોદીથી બે વર્ષ નાના ભાઈ પ્રહલાદ મોદીની રાશનની દુકાન છે. નરેન્દ્ર મોદીના કાકા નરસિંહદાસના દીકરા અશોકભાઈ વડનગરના ઘીકાંટા બજારમાં રેંકડી ફેરવીને પતંગ, ફટાકડા અને નાસ્તાની સીઝનલ ફેરી કરતા હતા. હવે એમણે આ જ કામકાજ માટે મહિને દોઢ હજારના ભાડા પર આઠ બાય ચારની દુકાન કરી છે અને મહિને રૂ. 4,000 કમાય છે. એમનાં પત્ની વીણાબહેન ગામના એક જૈન વેપારીના સદાવ્રતમાં કામ કરીને મહિને રૂ.3,000 કમાય છે. અશોકભાઈ પોતે આ સદાવ્રત માટે ખીચડી-કઢી રાંધવાનું કામ કરે અને વીણાબહેન વાસણો ધોવાનું કામ કરે.

અશોકભાઈના મોટા ભાઈ ભરતભાઈ (55) વડનગરથી 60 કિ.મી. દૂર આવેલા, પાલનપુર નજીકના લાલાવાડા ગામના પેટ્રોલ પમ્પ પર અટેન્ડન્ટની નોકરી કરીને મહિને રૂ.6000 કમાય છે. દર દસ દિવસે તેઓ ઘરે આવે છે. વડનગરમાં એમનાં પત્ની રમીલાબહેન ભોજક શેરીના ઘરના ઓટલેથી જ શાકભાજી, કરિયાણું વગેરે પરચુરણ ચીજો વેચીને મહિને રૂ.3,000 કમાય છે.

ન્યુઝપ્રેમીને સપોર્ટ કરવા આ લિન્ક પર જાઓ

ત્રીજા ભાઈ ચંદ્રકાન્તભાઈ (48) અમદાવાદમાં દાનધર્માદાથી ચાલતી ગૌશાળામાં સેવક છે.

અશોકભાઈ અને ભરતભાઈના ચોથાભાઈ અરવિંદભાઈ (61) ભંગારની ફેરી કરે છે. વડનગર આસપાસના ગામડાઓમાં ઘરે ઘરે ફરીને પતરાના જૂના ડબ્બા, પૂંઠાનાં ખોખાં અને બીજો ભંગાર ભેગો કરીને વેચે છે. મહિને રૂ.6થી 7 હજાર કમાય છે જે રકમ ‘મારા અને મારી પત્ની રમીલા માટે પૂરતી છે’ એવું તેઓ કહે છે.

નરસિંહદાસના સૌથી મોટા દીકરા ભોગીભાઈ (67)ની વડનગરમાં કરિયાણાની દુકાન છે. નરસિંહદાસ પણ એમના મોટા ભાઈ દામોદરદાસની જેમ વડનગરના રેલવે સ્ટેશન પાસે ચાની ટપરી ચલાવતા.

દામોદરદાસના બીજા બે ભાઈઓ કાન્તિલાલ અને જયંતીલાલ નિવૃત્ત શિક્ષકો છે. જયંતીલાલનાં દીકરી લીનાના પતિ બસ કન્ડક્ટર છે. તેઓ વડનગર પાસેના વીસનગરમાં રહે છે. કાન્તિલાલ સુરતમાં તદ્દન સાદું જીવન જીવે છે એવું એમના પડોશી અને મારા એક અજાણ્યા વાચકે આ લેખ વાંચીને જણાવ્યું છે.

મોદી શું કામ મોદી છે તે હવે સમજાય છે.

( આ લેખ નવેમ્બર 2017માં લખ્યો )

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

8 COMMENTS

  1. Sir,
    If possible arrange this article in a form which I can send to many of my friends who doesn’t know about Shri, Modi Ji even after being Gujarati.
    I want to send this article through whats app. Pls. hep me to get this article in my mail.

  2. Prime ministar Nrendra modiji na rajkiy life ni zakhi karavato lelkh very very like Rastra pita Gadhiji,Sardar Vallabhbhai Patel bad apna desh ne Nrendra modi jeva desh bhact mlya je apnu soubhagya chhe.sir tmane khub khub abhinandn, namskar.thank you sir.

  3. ચર્ચિલના જણાવ્યા મુજબ લુંટારાઓ,પીંઢારાઓના હાથમાં ગયેલો આ દેશ ૭૦*૩=૨૧૦ વર્ષ પાછળ ધકેલાઈ ગયો.
    ત્રિશુલ પિક્ચરમાં અમિતાભ ના ડાયલોગ મુજબ જે કામ લોકોએ ૨૫ વર્ષમાં કર્યું તે મારે બે વર્ષમાં કરવું છે(અહી 70 વર્ષ બરાબર દસ વર્ષ ગણીને) મોદી સાહેબે એવું મિશન હાથ ધર્યું છે. અને તેમને બીજા વીસ વર્ષ મળવા જરૂરી છે.
    નમસ્કાર સાહેબજી.

  4. Salute to MODIJI & Entire Modi Parivaar,

    Pan, SaurabhBhai,
    Aevu kem, Mulayam, Mayavati , Akhilesh Pawar, Bhujbal, Lalu , Anteliya Mario, Mrs. Vadra , Farukh, Mahebooba Aa Badhha ne Saja pan Nathi Thati,
    Aa Tammam BaghadBilla ni Sampati ne Tanch ma Layi ne Desh na infrastructure mate, Vapari Na Shakay ?
    Amitbhai nu Dhyan Aa taraf Dor jo …
    Jay Hind …
    Aatala ne Saja thay to Bija 80 % to Apane Aap P M Care maa Deposit Karavi Deshe .
    Atyar Sudhi ma Lalu & Chidambaram ne jj Saja thayi Chhe ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here