ચાણક્યનીતિ કહે છે કે કેટલીક વાતો કોઈને કહેવાની નહીં, કઈ કઈ વાતો: સૌરભ શાહ

(‘ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ, 8 એપ્રિલ 2020)

‘ચાણક્ય નીતિ’ના સાતમા અધ્યાયના પ્રથમ શ્લોકમાં રોજિંદા વ્યવહારોમાં આપણે સૌ જે ભૂલ વારંવાર કરતા હોઈએ છીએ એનો નિર્દેશ છે:

અર્થનાશં મનસ્તાપં ગૃહિણી ચરિતાનિ ચ

નીચવાક્યંચાપમાનં મતિમાન્ન પ્રકાશયેત્॥

બુદ્ધિમાન માણસ આટલી વાતોને મનમાં જ રાખે છે, ક્યારેય એને પ્રગટ થવા દેતો નથી: પોતાને થયેલું આર્થિક નુકસાન, કોઈનાં વાણીવ્યવહારથી થયેલું મનદુખ, પત્નીની ચારિત્ર્યહીનતાની વાત, કોઈ નીચ વ્યક્તિ તરફથી સાંભળેલી હલકી વાતો અને કોઈના દ્વારા થયેલા પોતાના અપમાનની વાતો.

પોતાને ધંધામાં કેવું નુકસાન થયું, કોઈએ તમારી સાથે કઈ રીતે આર્થિક બાબતમાં ઠગાઈ કરી, કેવી રીતે તમે દેવાના કળણમાં ફસાઈ ગયા એવી કથા કહેવાનું ઘણાને ગમતું હોય છે. એમને લાગતું હોય છે કે આવી વાતો સાંભળીને બીજા લોકો સહાનુભૂતિ દર્શાવશે, પોતે અત્યારની પોતાની કંગાલિયતને જસ્ટિફાય કરી શકશે. હકીકતમાં આવી વાતો કરવાનું પરિણામ ઊંધું જ આવે છે. જેને પોતાનો પૈસો સાચવતાં નથી આવડતું એને આર્થિક મદદ કરીશું તો પણ એ ઊંચો નથી આવવાનો એવી છાપ સર્જાય છે. પોતાની નિર્ધનતા માટે બીજાનો વાંક કાઢનારાઓ પ્રત્યે કોઈનેય સહાનુભૂતિ થતી નથી. નિર્ધન વ્યક્તિની નજીક આવતાં લોકો ડરે છે અને નજીકની વ્યક્તિઓને તમારી નિર્ધનતાની જાણ થતાં જ તે તમારાથી ધીમે ધીમે દૂર સરકી જાય છે: ખબર નહીં, ક્યારે તમે એમની પાસે તમારાં રોદણાં રડીને પૈસા માગી બેસો.

કોઈ પણ બાબતે માનસિક સંતાપ વેઠી રહ્યા હો ત્યારે એ સંતાપ દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય પોતાની જાત સાથે વાતચીત કરવાનો જ છે. બીજાઓની સમક્ષ તમારા સંતાપનો ઊભરો ઠાલવવાની ટેવ જ ખોટી. તમે વાતે વાતે ફરિયાદ કરો છો, તમારો સ્વભાવ જ કચકચિયો છે, તમને તો દુનિયામાં બધું જ તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે એવું લાગે છે – આવી છાપ બીજાઓના પર પડશે તો તેઓ તમને દૂર રાખશે. કયારેક કોઈક ગંભીર પ્રૉબ્લેમ જીવનમાં સર્જાયો હોય અને એ વખતે તમે તમારા નિકટના મિત્ર / સાથી / કુટુંબીજન સાથે એની ચર્ચા કરો ત્યાં સુધી ઠીક છે. પણ જ્યારે મળો ત્યારે એમની આગળ તમારા સંતાપનો પટારો ખોલીને બેસી જશો તો કોઈ તમારી સાથે સંબંધ નહીં રાખે. લોકો બે ઘડી મોજ માટે તમને મળે છે, કંઈક નવી – ઈન્ટરેસ્ટિંગ વાતોની આપલે માટે મળે છે. દર વખતે તમારાં આંસું લૂછવા માટે એમને પોતાનો રૂમાલ આપવાનું ગમવાનું નથી.

પત્નીની ખરાબ ચાલચલગત વિશેની વાત ત્રીજી કોઈ વ્યક્તિને ન થાય. ત્રીજી વ્યક્તિ ગમે એટલી નિકટની હોય તો પણ. આ વાત એટલી સેન્સિટિવ છે કે દાવાનળની જેમ ફેલાઈ જશે. સરવાળે તો તમારું જ ખરાબ દેખાવાનું છે. અને શક્ય છે કે જેને તમે આ વાત કહેશો તે પુરુષ હશે તો એ જ તમારી પત્નીની નિકટ જવાની કોશિશ કરશે અને કોઈ સ્ત્રીને આ વાત કહેશો તો એ સ્ત્રી તમારી નજીક સરકવાની કોશિશ કરશે. છેવટે તો આવી વાતો કરવાનો અંજામ દાંપત્યજીવનની તિરાડ વધારે પહોળી થવામાં જ આવવાનો છે. ચાણક્યે ગૃહિણીના ચારિત્ર્યનો જ શ્ર્લોકમાં ઉલ્લેખ કર્યો છે. પત્ની જ નહીં, પતિના ખરાબ ચારિત્ર્ય વિશે પણ પત્નીએ કોઈની સાથે ચર્ચા ન કરવી જોઈએ. બીજું એક કારણ એ કે જો તમારા સ્પાઉઝને ખબર પડી ગઈ કે તમે ત્રીજી વ્યક્તિ સાથે આવી ચર્ચા કરો છો તો શક્ય છે એ આ રસ્તેથી પાછા વળવાનું વિચારતી હોય તો માંડી વાળે: મારી આબરૂ એની આંખમાં એવી જ છે તો ભલે, જાઓ હું એવી જ / એવો જ રહીશ. નુકસાન તમારું જ છે એમાં.

સમાજમાં નીચ લોકો ઘણા હોવાના. તમારી હાજરીમાં તેઓ બીજાઓ વિશે ટીકા કરશે, એમના વિશે જોક્સ કરશે, એમની ખરાબ બાબતો વિશે કહેશે. તમને એમ થાય કે હું ક્યાં આવું બોલું છું, ને તમે સાંભળ્યા કરો. પણ આમાં જોખમ છે. તમે એ નીચ વ્યક્તિની વાતમાં ટાપશી નહીં પૂરી હોય, ઈવન એનો કદાચ વિરોધ પણ કર્યો હશે ને તોય એ નીચ વ્યક્તિ તમારાથી છૂટા પડતા પછી ગામ આખામાં કહેતી ફરશે કે હમણાં જ હું ફલાણાને (એટલે કે તમને) મળીને આવ્યો ને અમે ઢીકણા (એટલે કે કોઈ ત્રીજા જ માણસ વિશે) આવી આવી વાતો કરી. આવું સાંભળનારના મનમાં નક્કી એવી છાપ પડવાની કે તમે જે વાત સાંભળી લીધી એ એટલા માટે સાંભળી કે તમે પણ પેલી ત્રીજી વ્યક્તિ વિશે એવું જ માનો છો. આમ નીચ વ્યક્તિ પોતાના અભિપ્રાયોને તમારી ઈચ્છા વિના તમારા નામે ચડાવી દેવામાં સફળ થઈ જાય છે.

તમારું કોઈએ અપમાન કર્યું હોય ત્યારે બે જ વ્યક્તિને એ વાતની ખબર છે – તમને અને જેણે તમારું અપમાન કર્યું છે એને. અપમાન કરનારી વ્યક્તિ આ વાત કદાચ ચાર જણને કહેશે પણ એ ચાર જણમાંથી બે જણ તો એમ જ વિચારશે કે ખરેખર આ માણસે એનું અપમાન કર્યું હશે કે પછી અમસ્તી જ વાત કરે છે. પણ તમે જ્યારે કોઈને તમારા અપમાનની વાત કરો છો ત્યારે સાંભળનાર સાચું જ માનશે. પોતાનું અપમાન થયું છે એવું કોઈ ખોટેખોટું થોડું કહે. કોઈ જ્યારે તમારું અપમાન કરે છે ત્યારે તમારામાં જ લાગણીઓ સર્જાય છે – સમસમી જવાની, ભોંઠા પડવાની, શરમની – એ બધી જ લાગણીઓ ફરી ત્યારે તમારામાં સર્જાય છે જ્યારે તમે એ કિસ્સાની વિગતો કોઈ ત્રીજાને કહો છો. આમ ફરી વખત તમે જ તમારામાં એ બધી લાગણીઓ સર્જવા માટે જવાબદાર બનો છો. પોતાના અપમાનની વાત કોઈને કહેવાનો મતલબ એ કે આ વખતે તમે જ તમારું અપમાન કર્યું.

જિંદગીમાં આ પાંચ જ નહીં બીજી એવી ઘણી વાતો હશે જે કોઈને ન કહેવામાં જ માલ છે. ચાણક્યે આ પાંચ કહી એટલે આપણે એ પાંચને વિગતે સમજી લીધી.

આગળ વધીએ.

જિંદગીમાં અનેક પ્રયત્નો કર્યા પછી, કડી મહેનત કર્યા પછી પણ કેટલાક લોકો ઉપર નથી આવતા એનું કારણ શું? ઈમોશનલ ક્વોશન્ટ – ઈ. ક્યુ.-ની ટર્મ તો હમણાં હમણાંની છે. ચાણક્યે આવી કોઈ ટર્મ કૉઈન કર્યા વિના ચાણક્યનીતિના સાતમા અધ્યાયના ૧૬મા શ્ર્લોકમાં કહ્યું: ‘જેનો સ્વભાવ અત્યંત ગુસ્સાવાળો છે, જે સદા કટુ વાણી બોલે છે, જે પોતાની દરિદ્રતામાં રચ્યોપચ્યો રહે છે, પોતાના સ્વજનો સાથે વેરભાવથી વર્તે છે, જે નીચ લોકોની સંગતમાં પડ્યોપાથર્યો રહે છે અને જે કુળહીન લોકોની ચાકરી કરે છે એ લોકો નરકમાંથી આ પૃથ્વી પર અવતરેલા હોય છે.’

ક્રોધિત સ્વભાવ અને હંમેશાં કડવાં વેણ બોલવા – એ બે કુલક્ષણોવાળી વ્યક્તિ ગમે એટલી પ્રતિભાવાન અને મહેનતી હશે તો પણ પૃથ્વી પર પોતાના માટે નવું નરક બનાવીને જ રહેશે. દરિદ્રતા માત્ર ધનની નહીં, હૃદય જેનું સાંકડું છે, જેનામાં ઉદારતા નથી એ પણ દરિદ્ર છે. બીજાઓને નિ:સ્વાર્થભાવે જે મદદ નથી કરી શકતો એ પણ દરિદ્ર જ છે. નકામાં લોકોની કંપનીને કારણે વ્યક્તિમાં સુવિચારો ક્યારેય આવતા નથી, આવે તો ટકતા નથી. જે માણસ સ્વભાવે ખાનદાન નથી એની સેવા કરવાનો, એના માટે કંઈ પણ કામ કરવાનો કોઈ ફાયદો નથી.

ધનની મહત્તા વિશે ચાણક્ય આઠમા અધ્યાયના પ્રથમ શ્લોકમાં જ જણાવી દે છે: ‘નાના લોકો ધનને જ સર્વસ્વ માને છે, મધ્યમ સ્તરના લોકો ધનની સાથે પોતાના સન્માનને પણ મહત્ત્વ આપે છે પણ ઉત્તમ સ્તરના લોકો કેવળ પોતાના સન્માનને સર્વશ્રેષ્ઠ ગણે છે.’

દુ:ખ અનેક પ્રકારનાં હોવાના જીવનમાં. પણ એમાંય સૌથી મોટું દુ:ખ કયું? ચાણક્યની દૃષ્ટિએ પોતાની વૃદ્ધાવસ્થામાં પત્નીનું મૃત્યુ થાય ત્યારે, ભાઈભાંડુઓ મિલકત હડપી લે ત્યારે અને બે ટંકના ભોજન માટે બીજાઓ પર આધાર રાખવો પડે ત્યારે વ્યક્તિ સૌથી વધુ દુખી હોય છે.

વિદ્વત્તાના ગુણને ચાણક્ય સર્વોચ્ચ ગણે છે અને કહે છે: વિદ્વાનની જ સર્વત્ર પ્રશંસા થાય છે, વિદ્વાનની સર્વત્ર પૂજા થાય છે. વિદ્યા દ્વારા સંસારની તમામ વસ્તુઓ પ્રાપ્ત થાય છે.

પણ વિદ્યા સાથે ધન કેમ નથી આવતું? સરસ્વતી અને લક્ષ્મી સાથે કેમ એક ઘરમાં રહી શકતાં નથી? કુદરતનો આ જ નિયમ છે, એવું આશ્ર્વાસન આપતાં ચાણક્ય કેટલીક ઉપમાઓ સાથે સમજાવે છે: સોનામાં સુગંધ હોત, શેરડીના સાંઠામાં ફળ લાગતું હોત, ચંદનના ઝાડને પુષ્પ ઉગતાં હોત, વિદ્વાનો ધનિક હોત અને રાજાઓ દીર્ઘાયુ હોત તો કેટલું સારું થાત!

કોઈ તમારું કહ્યું માનતું નથી, તમને ગણતું નથી, તમારી કોઈને પરવા નથી એવી લાગણી થઈ છે ક્યારેય? એનું કારણ જાણવાની કોશિશ કરી છે? નવમા અધ્યાયના નવમા શ્ર્લોકમાં ચાણક્ય કહે છે: ‘જે રૂઠી જશે એવો ભય ન હોય, જે સંતુષ્ટ થશે તો એની પાસેથી ધનની પ્રાપ્તિ થશે એવી લાલચ ન હોય, જે નથી કોઈનું બગાડી શકતો કે નથી કોઈને લાભ કરાવી શકતો એવો માણસ પ્રસન્ન થાય કે અપ્રસન્ન – કોઈને શું કામ એની પડી હોય.’

દસમા અધ્યાયના ત્રીજા શ્ર્લોકમાં ચાણક્યના વિચારો વાંચીને તમારી આંખો ઉઘડી જશે, તમે તમામ ઉધામા છોડીને તમને જે મળી રહ્યું છે એમાંથી સંતોષ મેળવી લેશો. કહે છે: જે વ્યક્તિ સુખની ઈચ્છા રાખે છે એણે વિદ્યાપ્રાપ્તિની આશા છોડી દેવી જોઈએ. અને જો એ વિદ્યા પ્રાપ્ત કરવા માગે છે તો સુખનો પરિત્યાગ કરવો જોઈએ કારણ કે સુખાર્થીને વિદ્યા અને વિદ્યાર્થીને સુખ ક્યારેય મળતું નથી.

આપણને ખબર હોય છે કે આપણામાં કયા ગુણો છે, કયા નથી. કેટલાક ગુણ જન્મજાત હોય છે, સ્વભાવગત હોય છે – કહો કે એ તમારા ડીએનએને કારણે જ તમારામાં આવે છે. પ્રયત્ન કરવાથી થોડો ઘણો સુધારોવધારો થાય, દંભ કરવાથી બીજાઓને તમે દેખાડી શકો કે તમારામાં એ ગુણો છે પણ ચાણક્ય કહે છે કે આ ચાર ગુણ ઈશ્વર તમને જન્મથી જ આપે છે, એ કેળવી શકાતા નથી, ગમે એટલા પ્રયત્ન પછી પણ મેળવી શકાતા નથી. કયા ચાર ગુણ: દાનશીલતા અથવા ઉદાર સ્વભાવ. પ્રિય અથવા મધુર વાણી. ધીરજ અને વિવેક અથવા તો સારા-નરસાનું જ્ઞાન કે પછી ઉચિત શું, અનુચિત શું એવી નીરક્ષીર બુદ્ધિ.

કોની પાસેથી શું શીખી શકાય? ચાણક્ય કહે છે: રાજપુત્રો પાસેથી વિનય અને નમ્રતા, વિદ્વાનો પાસેથી ઉત્તમ વિચારો, જુગારીઓ પાસેથી જુઠ્ઠું બોલવાની કળા અને સ્ત્રીઓ પાસેથી છળકપટની વિદ્યા શીખી શકાય.

આની સાથે જ ચાણક્ય કહે છે કે આવકનાં સાધનોનો વિચાર કર્યા વિના આડેધડ ખર્ચા કરતી વ્યક્તિ, વારંવાર કલહ કરતી વ્યક્તિ અને બધી જ સ્ત્રીઓ સાથે સંભોગ કરતો નર બહુ જલદી નષ્ટ પામે છે.

યાદ છે, રજનીશે કહ્યું હતું કે વર્તમાનમાં જીવો? એમણે તો કહ્યું જ હતું. ચાણક્યે રજનીશના જન્મના સેંકડો વર્ષ પહેલાં કહ્યું, તેરમા અધ્યાયના બીજા શ્ર્લોકમાં: ‘વીતી ગયેલી ઘટનાને યાદ કરીને શોક કરવો નહીં, ભવિષ્યની ચિંતા કરવી નહીં. બુદ્ધિમાન એ છે જે વર્તમાન વિશે જ વિચારે છે.’

ભૌતિકતામાંથી આધ્યાત્મિકતા તરફ જવાની દિશા જડી ગઈ છે. ચાણક્ય હવે ધીમે ધીમે એ તરફ લઈ જાય છે. આ જ અધ્યાયના ૧૩મા શ્ર્લોકમાં કહે છે: સંસારમાં કોઈનેય મનચાહ્યું સુખ મળતું નથી. સુખદુખની પ્રાપ્તિ ઈશ્ર્વરને આધીન છે (મનુષ્યના પ્રયત્નોને નહીં) માટે જે કંઈ સુખ મળે એમાં સંતોષ માની લેવો, વધુ સુખની પ્રાપ્તિ માટે પ્રયત્નો કરીને દુખી થવું નહીં.

જિંદગીમાં શું કરવું છે એની સ્પષ્ટતા જેનામાં નથી એવા લોકો દુખી જ રહેવાના. ૧૫મા શ્ર્લોકમાં ચાણક્યે કહ્યું છે: પોતાના કર્તવ્યપથ વિશેનો નિર્ણય નહીં કરી શકનારા લોકોને ન ઘરમાં સુખ મળે છે, ન વનમાં. ઘરમાં તેઓ મનોમન બળ્યા કરે છે અને વનમાં પોતાના પરિવાર-આપ્તજનોને છોડી દેવાની પીડા એમને બાળે છે.

ઘણું મોટું આશ્ર્વાસન છે આ શ્ર્લોકમાં – ૧૪મો અધ્યાય, ત્રીજો શ્ર્લોક:

પુનર્વિત્તં પુનર્મિત્રં પુનર્ભાર્યા પુનર્મહી

એતત્સર્વં પુનર્લભ્યં ન શરીરં પુન: પુન:॥

ધન નવેસરથી મળી શકે છે, નવા મિત્રો ફરી મળી શકે છે, પત્ની બીજી મળી શકે છે, જમીન પાછી મળી શકે છે પણ આ શરીર ફરી કયારેય મળવાનું નથી (માટે આરોગ્ય સાચવો, શરીરની ર્જીણાવસ્થા વહેલી ન આવે એની તકેદારી રાખો).

ચાણક્યનીતિ અને ચાણક્યસૂત્રોનો અભ્યાસ કરીને, એને જીવનમાં ઉતારીને નરેન્દ્ર મોદીની જેમ આપણે પણ વડા પ્રધાન બનીશું કે નહીં એની કોઈ ગૅરન્ટી નથી પણ એક સારા મતદાતા તો જરૂર બની શકીએ.

10 COMMENTS

  1. સૌરભભાઈ અમે તમારા આર્ટીકલ પેલા રેગ્યુલર મુંબઈ સમાચારમાં વાંચતા હતા પરંતુ ઘણા વખતથી ન્યૂઝ મીડિયા તમારા આર્ટિકલ વાંચવા નથી મળતા આ પ્લેટફોર્મ ઘણું સારું છે માટે અમે આજથી જોઈન કરે છે

  2. વાસ્તવિકતા માં રહેવું. સરસ નિયમો છે ? ? ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here