૨૬/૧૧નો મુંબઈ હુમલો કૉન્ગ્રેસ અને પાકિસ્તાનનો સહિયારો પ્રોજેક્ટ હતો?

(હિન્દુ આતંકવાદની ભ્રમણાઃ લેખઃ ૭)

ગુડ મોર્નિંગઃ સૌરભ શાહ

(NewsPremi, સોમવાર, ૧ એપ્રિલ ૨૦૧૯)

૨૬/૧૧ની તારીખ માત્ર મુંબઈ જ નહીં સમગ્ર દેશના કૅલેન્ડરની એક કાળી તારીખ છે. ૨૦૦૮ની ૨૬મી નવેમ્બરની મોડી સાંજે દસ પાકિસ્તાની આતંકવાદીઓ મુંબઈના કોલાબા વિસ્તારના દરિયાકાંઠે પાકિસ્તાનથી આવી ચડે છે. તાજ અને ટ્રાઈડ્રન્ટ(ઑબેરોય) હોટલો, કાફે લિયોપોલ્ડ, સીએસટી સ્ટેશન વગેરે સ્થળોએ આતંક મચાવીને કુલ ૧૬૬ વ્યક્તિઓની હત્યા કરે છે અને ૩૦૦ને ઘાયલ કરે છે. તમને એની વિગતો ખબર છે. જે ખબર નથી એ ચોંકાવનારી વાતો આર.વી.એસ.મણીએ એમના પુસ્તકમાં લખી છે.

૨૦૦૮નો સમયગાળો એ જમાનાનો છે જ્યારે કૉન્ગ્રેસ સરકાર પાકિસ્તાન સાથે વાટાઘાટો કર્યા કરતી સર્જિકલ સ્ટ્રાઈક્‌સ કરવાને બદલે. અને આ બાજુ એ વર્ષોમાં છાશવારે દેશભરમાં આતંકવાદી ઘટનાઓ બન્યા કરતી. ૨૦૦૪ થી ૨૦૧૪નાં દસ વર્ષોમાં પાકિસ્તાની આતંકવાદીઓની દહેશતવાદી ઘટનાઓથી ભારત ફફડતું હતું અને ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ જેવાં છાપાંઓ ‘અમન કી આશા’નાં કૅમ્પેઈનો ચલાવીને પાકિસ્તાન સાથે દોસ્તી કરવાના નારા લગાવી રહ્યા હતા.

આવી જ એક, હોમ સેક્રેટરી લેવલની મંત્રણા ૨૫ નવેમ્બર ૨૦૦૮ના રોજ ગોઠવવામાં આવેલી(તારીખ ફરી વાંચજો અને યાદ રાખજો). ભારતના હોમ સેક્રેટરી મધુકર ગુપ્તાએ મણિસર અને અન્ય સાથીઓને આ મંત્રણામાં ચર્ચા કરી શકાય એવા મુદ્દાઓની નોંધ બનાવવાનું કામ સોંપ્યું હતું. સાથોસાથ ભારતથી જે ડેલીગેશન પાકિસ્તાન જવાનું હતું તેમાં કોણ કોણ જવાનું છે એ નામ પણ ફાઈનલાઈઝ થઈ રહ્યાં હતાં.

ડેલીગેશન બીએસએફ(બૉર્ડર સિક્યુરિટી ફોર્સ)ના વિમાનમાં રવાના થવાનું હતું અને ભારતના હોમ સેક્રેટરી ૨૩મી નવેમ્બરે તે વખતના પાકિસ્તની ડેપ્યુટી સેક્રેટરીની સાથે અમૃતસરથી બાય રોડ અટારી બૉર્ડર જઈને ત્યાંની ઈમિગ્રેશન ઑફિસની વ્યવસ્થા તપાસીને લાહોર અને લાહોરથી ઈસ્લામાબાદ પહોંચે એવું ટાઈમટેબલ નક્કી થયું હતું.
પરંપરા મુજબ ડેલીગેશનમાં હોમ સેક્રેટરીના નેતૃત્વ હેઠળ ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલી વિવિધ એજન્સીના પ્રતિનિધિઓ, ઈન્ટરનલ સિક્યુરિટી તેમજ વિદેશીઓ ઈન્ચાર્જમાં હોય એ ઑફિસરો વગેરે લઈ જવાના હોય. આ વખતે બૉર્ડર મૅનેજમેન્ટના ઍડિશનલ સેક્રેટરી અનવર અહેસાન અહમદને પણ એમાં સામેલ કરવામાં આવ્યા. મણિસર વાચકોને યાદ કરાવે છે કે ૨૦૦૩માં આવું પ્રતિનિધિમંડળ પાકિસ્તાન ગયું ત્યારે તેમાં બૉર્ડર મૅનેજમેન્ટના કોઈ પ્રતિનિધિ નહોતા. પાકિસ્તાન સાથેની હોમ સેક્રેટરી લેવલ ટૉક(એચ.એસ.એલ.ટી.)માં બૉર્ડર મૅનેજમેન્ટના પ્રતિનિધિને સામેલ કરવાનું પગલું અનકન્વેન્શનલ અને અનપ્રિસિડન્ટેડ હતું.(આ મુદ્દો સ્મરણમાં ચિટકાડી દેજો).

અને બીજો મુદ્દો એ યાદ રાખજો કે એ જ ગાળામાં કેન્દ્રીય ગૃહ સચિવના નામે કોર્ટમાંથી એક કન્ટેમ્પ્ટની નોટિસ મળી હતી. યુ.પી.ના એક સરકારી કૌભાંડના કેસમાં કોઈ વિશ્વનાથ ચતુર્વેદી એના પિટિશનર હતા. આ કેસને મિનિસ્ટરી ઑફ હોમ અફેર્સ સાથે કોઈ લેવાદેવા નહોતી પણ કોર્ટ નોટિસ મોકલી હોય એટલે એનો જવાબ આપવા તમારે હાજર તો થવું જ પડે. અલાહબાદ હાઈ કોર્ટની લખનૌ બૅન્ચ સમક્ષ ૨૫ નવેમ્બર ૨૦૦૮ના રોજ સુનવણીની તારીખ રાખવામાં આવી હતી.

ઍડિશનલ સેક્રેટરી(બૉર્ડર મૅનેજમેન્ટ)એ કેન્દ્રીય ગૃહ સચિવને સલાહ આપી કે આર.વી.એસ.મણિને કોર્ટની સુનવણી માટે લખનૌ મોકલવામાં આવે.(ધીમે ધીમે આ રહસ્ય ખુલતું જશે). અનવર અહેસાન અહમદે એમ કહ્યું કે મણિ જ્યારે ડિપાર્ટમેન્ટ ઑફ ઈન્ડસ્ટ્રિયલ પૉલિસી અને પ્રમોશનમાં કામ કરતા હતા ત્યારે એમની કામગીરી પર મેં(અહમદે) દેખરેખ રાખી છે અને મણિને કોર્ટ કેસીસ હૅન્ડલ કરવાનો ઘણો સારો અનુભવ છે. આથી ગૃહખાતાનું પ્રતિનિધિ મંડળ જ્યારે ઈસ્લામાબાદ ગયું ત્યારે મણિસરે(જે ગૃહખાતામાં અન્ડર સેક્રેટરી હતા, ઈન્ટરનલ સિક્યુરિટી વિભાગના) ઍફિડેવિટ તૈયાર કરાવીને હોમ સેક્રેટરી પ્રવાસે નીકળે એ પહેલાં એમની સહી લઈ લીધી.

અલાહબાદ હાઈકોર્ટની લખનૌ બૅન્ચ સમક્ષ એ ઍફિડેવિટ રજુ કરવામાં આવી. તે વખતના આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ આર. દ્વિવેદીએ ગૃહ ખાતાનું પ્રતિનિધિત્વ કરીને એ જ દિવસે ફરિયાદ રદ કરાવી અને મણિસરે એ જ દિવસે, ૨૫ નવેમ્બરે, સાંજે દિલ્હી પાછા જવાનું નક્કી કર્યું.

લખનૌના ઍરપોર્ટ પર મણિસર દિલ્હીની ફ્‌લાઈટ પકડી રહ્યા હતા ત્યાં જ એમના મોબાઈલ પર(હવે એ સેલફોન રાખતા થઈ ગયા હતા) +92 આગળ હોય એવા નંબર પરથી ફોન આવ્યો. ભારતનો ઈન્ટરનૅશનલ કન્ટ્રી કોડ જેમ +91 છે એમ પાકિસ્તાનનો કન્ટ્રી કોડ +92 છે. મણિસરે તરત ફોન કાપી નાખ્યો. ફરી ફોન આવ્યો. હવે ઉપાડવો પડ્યો. સામે છેડે મણિસરના ઉપરી(ઈન્ટરનલ સિક્યુરિટી વિભાગના ડિરેક્‌ટર) હતા. એમણે જણાવ્યું કે ડેલીગેશન જે વિષયો પર મંત્રણા કરી રહ્યું છે તેનો એજન્ડા પૂરો કરવાનો હજુ બાકી છે અને કામ પૂરું કરતાં હજુ એક દિવસ વધારે લાગશે. સાહેબે મણિસરને જણાવ્યું કે ડેલીગેશન માટે પાકિસ્તાનમાં એક દિવસ વધારે રહેવા માટેની ફૉર્માલિટીઝ તમે પતાવી દેજો.

નવી દિલ્હી આવીને ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ મણિસરે એક દિવસના એક્‌સટેન્શનની ફૉર્માલિટીઝ પૂરી કરી અને એ અંગેના ફૉર્મલ ઑર્ડર્સ ઈસ્લામાબાદના ભારતીય હાઈ કમિશનને ઈ મેઈલ કરી દીધા.

મણિસરના પુસ્તકમાં લખાયું છેઃ ‘પાછળથી મને જાણકારી મળી કે ડેલીગેશનના પ્રતિનિધિઓની વધારે રોકાવાની કોઈ ઈચ્છા નહોતી પણ ઍડિશનલ સેક્રેટરી(બૉર્ડર મૅનેજમેન્ટ) જે ડેલીગેશનમાં હોમ સેક્રેટરી પછીના સૌથી સિનિયર સભ્ય હતા એમણે, હોમ સેક્રેટરીને પ્રવાસ એક દિવસ લંબાવવાની સલાહ આપી હતી. બાકીના બધા જ અફસરો એમના કરતાં જુનિયર હતા એટલે કોઈ વિરોધ કરી શક્યું નહીં. છેવટે પાકિસ્તાનના ગૃહ મંત્રી રહેમાન મલિક સાથે ૨૬-૧૧-૨૦૦૮ના રોજ મીટિંગ યોજાઈ છે એવું કારણ બતાવીને એક વધુ દિવસનું રોકાણ કરવાનો નિર્ણય લેવાયો.’

૨૬ નવેમ્બરની બપોરે રહેમાન સાથેની મીટિંગ બાદ ડેલીગેશનના પ્રતિનિધિઓને ફરવા માટે પાકિસ્તાનના હિલ સ્ટેશન મરી લઈ જવામાં આવ્યા. ઈસ્લામાબાદની ૩૦ કિલોમીટરના અંતરે આવેલું આ હવા ખાવાનું સ્થળ સિમલા જેવી ખુશનુમા આબોહવા ધરાવે છે, સમુદ્રની સપાટીથી ૭,૫૦૦ ફીટ ઊંચાઈએ છે. અને સૌથી મોટી વાત એ છે કે ત્યાં મોબાઈલ ટાવર્સના સિગ્નલો બહુ ઝાંખાંપાંખાં મળે છે.

સમજ્યા કંઈ?

૨૬/૧૧નો હુમલો થાય ત્યારે ભારતના ગૃહ ખાતાના તમામ ઉચ્ચ અધિકારીઓ પાકિસ્તાનમાં એવી રીતે ફસાઈ જાય જ્યાં કોઈ ભારતથી કમ્યુનિકેશન કરી ના શકે. ગૃહ મંત્રી શિવરાજ પાટિલને તાત્કાલિક કોઈ નિર્ણય શા માટે નહીં લેવાયો તે માટેનું બહાનું મળી જાય.

મણિસર શંકા વ્યક્ત કરતાં લખે છેઃ ‘શું ભારતીય ટીમમાં કોઈ મોલ(દેશવિરોધી જાસૂસ) હતો? આપણને ખબર નથી. પણ એટલી ખબર છે કે ઍડિશનલ સેક્રેટરી(બૉર્ડર મૅનેજમેન્ટ)નું નામ આ ડેલીગેશનમાં કોઈ રાજકારણીના સૂચનથી ઉમેરાયું હતું. એ મહાશય(અનવર અહેસાન અહમદ) ડેલીગેશનમાં, હોમ સેક્રેટરી સિવાયના, બાકીના બધા જ પ્રતિનિધિઓ કરતાં સિનિયર હતા. હવે સરકારી કામકાજમાં એવી પ્રથા ચાલતી આવે છે કે બે ઑફિસરોએ પોતપોતાના ભિન્ન મત ઉપરી સમક્ષ રજૂ કરવાના હોય તો એ બે ઑફિસરમાંથી જે સિનિયર હોય એના મતનું વજન વધારે પડે. પાછળથી જાણકારી મળી કે આ ડેલીગેશનમાં ભારતની બે ઈન્ટેલિજન્સ એજન્સીઝનું પ્રતિનિધિત્વ કરતા બે અધિકારીઓ હતા જે બંને જોઈન્ટ સેક્રેટરીનો હોદ્દો ધરાવતા હતા. એ બંને પાસે ખાનગી માહિતી હતી કે ભારત પર કોઈક આતંકવાદી હુમલો થઈ શકે એમ છે, માટે એક દિવસ અહીં વધુ રોકાવાને બદલે અપણે ભારતભેગા થઈ જવું જોઈએ એવો મત એ બંનેનો હતો. પણ ઍડિશનલ સેક્રેટરી(બૉર્ડર મૅનેજમેન્ટ)નો હોદ્દો એ બંને કરતાં ઊંચો કહેવાય એટલે તેઓ હોમ સેક્રેટરી આગળ ગળું ખોંખારીને પોતની વાત કરી શકતા નહીં. આ બે જોઈન્ટ સેક્રેટરીમાંના એક પાસે સંભવિત હુમલા વિશે કેટલીક વધારે માહિતી હતી એટલે પાકિસ્તાનના હોમ મિનિસ્ટરને મળવા જવાને બદલે(અને મરી હિલસ્ટેશન પર હવા ખાવા જવાને બદલે) ‘મારે એક અર્જન્ટ કામ છે’ એવું કહીને તેઓ ૨૬મી નવેમ્બરની સવારે દિલ્હી ભેગા થઈ ગયા.’

મણિસરને સ્પષ્ટ લાગે છે કે ડેલીગેશનના લીડર તરીકે હોમ સેક્રેટરીએ બ્યુરોક્રેટિક હાયર આર્કી આગળ નમતું જોખવું પડ્યું અને પોતના પ્રતિનિધિમંડળના નંબર ટુની સલાહ માનવી પડી. એ નંબર ટુને બદલે જેમની પાસે સંભવિત હુમલા વિશે કંઈક માહિતી હતી તેના પર ધ્યાન આપવામાં આવ્યું હોત તો એ દિશામાં કંઈક નક્કર પગલાં લેવાઈ શક્યાં હોત. આ હુમલો થયો ત્યારે હોમ સેક્રેટરી અને એમની ટીમ દિલ્હીમાં હાજર હોત તો હુમલાખોરો સામે પગલાં લેવાનાં કાર્યમાં વિવિધ એજન્સીઓ સાથેનું કોઑર્ડિનૅશન વધારે સારી રીતે અમલમાં મૂકાયું હોત અને નુકસાન ઓછું થયું હોત, ઓછા માણસોની જાનહાનિ થઈ હોત. આવું મણિસરનું માનવું છે. અને આમ તો આ કૉમન સેન્સની વાત છે. મણિસરે બીજો પણ એક મુદ્દો ઊભો કર્યો છે હોમ સેક્રેટરી લેવલ ટોક્‌સ માટે આજના ટેક્‌નોલોજિના જમાનામાં શા માટે તમામ અગત્યના અધિકારીઓએ એક સાથે મંત્રણા માટે પાકિસ્તાનની રૂબરૂ મુલાકાત લેવી પડે? નાગપુરમાં ૧ જૂન ૨૦૦૬ના રોજ આર.એસ.એસ. ના વડામથક પર પર હુમલો થયો ત્યારે પણ આખું ગૃહ ખાતું મંત્રણા કરવા માટે પાકિસ્તાન પહોંચી ગયેલું.( એ તો સારું થયું કે આપણી પાસે માહિતી હતી એટલે એ હુમલામાં ઝાઝું નુકસાન ન થયું).

આર.વી.એસ. મણિએ ૨૬/૧૧ના સંદર્ભમાં કેટલાક મહત્વના પ્રશ્નો ઊભા કર્યા છે જેનો જવાબ કૉન્ગ્રેસી રાજકારણીઓનો કૉલર પકડીને ભારતની જનતાએ માગવો જોઈએઃ

૧) સામાન્ય રીતે આવા પ્રતિનિધિમંડળમાં ક્યારેય ઍડિશનલ સેક્રેટરી(બૉર્ડર મૅનેજમેન્ટ)ની જવાબદારી સંભાળતા અધિકારીને સામેલ કરવામાં આવતા નથી તો આ વખતે શું કામ એમને ટીમમાં ઉમેરવામાં આવ્યા?

૨) એ અધિકારીને ટીમમાં લેવાનું દબાણ કોણે કર્યું?

૩) ડેલીગેશન શા માટે પોતાના અગાઉથી નક્કી થયેલા ટાઈમટેબલને વળગી ન રહ્યું?

૪) હોમ સેક્રેટરીએ પોતાના જ બે વિશ્વસનીય જોઈન્ટ સેક્રેટરીની સલાહ માનવાને બદલે ડેલીગેશનના નંબર ટુની સલાહ કેમ માની?

૫) ડેલીગેશનમાં નંબર ટુને સામેલ કરવા પાછળનો હિડન એજન્ડા શું હતો?

આ પાંચ સવાલના જવાબ શોધવા માટે જો કોઈ ઉચ્ચસ્તરીય તપાસ થાય તો કૉન્ગ્રેસી નેતાઓ પોતાના જન્મ વખતના પોશાકમાં દેખાઈ જાય. ૨૬/૧૧ના હુમલાની આથીય વધુ ચોંકાવનારી વિગતો મણિસરે આપી છે. કાલે.

આજનો વિચાર

ગયા અઠવાડિયે ‘હોળાષ્ટક’ ગયું અને આ અઠવાડિયે ‘ગપ્પાષ્ટક’ ગયું! ‘મુંબઈ સમચાર’માંથી ‘ગુડ મોર્નિંગ’ને ‘ગુડ બાય’ કહેવામાં આવ્યું.
–ઈલિયાસ શેખ( પોતાની ફેસબુક વૉલ પર)

એક મિનિટ!

બકાનો બાયોડેટા જોઈને શેઠે એને બોતેર હજારનો પગાર ઑફર કર્યો.
બકો બાયોડેટા પાછો લઈને ઊભો થઈ ગયોઃ શેઠ, બોતેર હજાર તો રાહુલ ગાંધી અમને ઘેરબેઠાં આપવાનો છે!

8 COMMENTS

  1. Pakistanis always treat high level Indian OFFICERS very nicely and make them tilt in favour of Pakistan.The Shimla Agreement after the 1971 war is an perfect example,where we gave away 91000 POWs and got none in return,because all the officers were flooded with gifts by Bhutto..Why did the Indian negotiating team did not ask for all our POWs to be returned?

  2. Mumbai Samachar without ‘GOOD MORNING’ by SAURABH SHAH is empty box , not worth buying from news stand

  3. At last suedo gang chopped finger of eklavya, when ms,pinki dalal existed from samachar and nilesh dave entering was very significant sign of something fishy is going on, many good old ladies and gentlemen shown door by hook and crook ways, but eklavya was strong like granite of good morning back page, nilesh dave and his secular gang wanted to chop eklavya by any means, lastly 2019 election became sword for suedo gang this crooks gotta chance to kill good morning in name of congress, let this election finish, we readers will show them who is boss, I swear to social media we will fight this evil cartel of suedo gang, for time being stick on this pages, let may result comes, just matters of few days, god bless all good morning readers.

  4. Why Saurabhai your articles are not coming in Mumbai Samachar. First read your article. Without your article do not like to read Mumbai Samachar.

  5. Reading newspremi daily at night. Hard to believe you are not there with Mumbai samachar. Stopped reading samachar with the same interest as before.

  6. સૌરભ ભાઈ જયારથી મુંબઇ સમાચાર ના તંત્રી બદલાના છે તયારથી મુંબઇ સમાચાર નું વેચાણ ઓછું થઈ ગયું છે
    અને હવે તમારી વિદાય થઈ એટલે અમો બધા પણ મુંબઇ સમાચાર થી અલગ પડસુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here