જીવનમાં તમે કોઈ બ્લન્ડર કરી બેઠા હો ત્યારે એનાં કારણો ચૂંથવા નહીં બેસવાનુંઃ સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ એક્‌સક્‌લુઝિવઃ શુક્રવાર, ૧૭ એપ્રિલ ૨૦૨૦)

બુદ્ધિમાન એ છે જે પોતાનાથી બળવાન આગળ ઝુકી જાય છે એવી વિદુરજીની સલાહ છે. ઘણા લોકો પોતાની કેપેસિટીનો તાગ મેળવ્યા વિના પોતાનાથી અનેકગણા શક્તિશાળીઓ સાથે બાથ ભીડવાનું દુઃસાહસ કરતા હોય છે. ક્યારેક એમની આસપાસના લોકો ડેવિડ વર્સીસ ગોલિઆથનું યુદ્ધ જોઈને મનોરંજન થશે એવા આશયથી પેલા ચિરકુટને પાનો ચડાવતા હોય છે. પણ જો તમારી હેસિયત ના હોય, તમારી ઔકાત ન હોય તો આવા ખેલ કરવાનું માંડી વાળવું. ગાંધીજીમાં ઘણી મોટી પાત્રતા હતી એટલે તેઓ અંગ્રેજોના વિશાળકાય તંત્ર સામે લડી શક્યા. બધાનું એવું ગજું ન હોય.

વિદુરજીએ એક બહુ સરસ સલાહ મોટાભાઈ ધૃતરાષ્ટ્રને આપી: ‘જે નર ન કરવા યોગ્ય કાર્યથી ડરે છે, કરવા યોગ્ય કાર્યને ન કરવાથી પણ ડરે છે અને અકાળે મંત્રણાનો ભેદ જાહેર થઈ જવાથી (એટલે કે ગુપ્ત વાત કસમયે પ્રગટ થઈ જવાથી) પણ ડરે છે તે જ યોગ્ય રાજા છે.’

ઉપવાસના સમયે વિદુરજીની આ વાતને કોણ સો ટકા સમર્થન નહીં આપે? ‘ગરીબો હંમેશાં સ્વાદિષ્ટ ભોજન જ કરતા હોય છે કારણકે ભૂખ તેમના ભોજનમાં સ્વાદ ઉત્પન્ન કરે છે અને ભૂખ ધનિકોને બહુ દુર્લભ હોય છે. હે રાજન! મોટેભાગે ધનવાનોમાં ભોજન પચાવવાની શક્તિ હોતી નથી, પરંતુ ગરીબ લોકોના પેટમાં તો લાકડું પણ પચી જાય છે.’

વિદુરજીએ બીજી એક સચોટ વાત કહીઃ ‘સમાજના નીચલા સ્તરના લોકોને અજીવિકા છૂટી જવાનો ભય હોય છે, મધ્યમ વર્ગના લોકોને મૃત્યુનો ભય સતાવે છે તથા ઉત્તમ પુરુષોને અપમાનિત થવનો, આબરૂ ગુમાવવાનો ભય સતાવે છે.’

પંચેન્દ્રિયોને કાબૂમાં રાખવાની વાત એટલા બધા લોકોએ કરી અને આપણે સાંભળી કે કંટાળી ગયા. પણ બુદ્ધિમાનો, ગુરુજનો, ચિંતકો શા માટે વારંવાર આ વાત કરતા હશે એવું વિચાર્યું તમે? જીવનમા જ્યાં છીએ ત્યાંથી આગળ વધવા માટે પંચેન્દ્રિય પર લગામ રાખવી અત્યંત જરૂરી છે. મોદી-રામદેવ-યોગી જ નહીં અંબાણી-બચ્ચન-સચિન જેવાએ પણ પંચેન્દ્રિય પર કાબૂ મેળવ્યો હશે ત્યારે જ તો તેઓ આ ઊંચાઈએ પહોંચ્યા. શું નથી એમની પાસે. ધારે તે ખાઈ શકે, ઐશ્વર્યમાં આળોટી શકે, મરજી થાય તે ભોગવી શકે એટલું ધન, એટલી સગવડો આ સૌની પાસે છે. પણ વિચાર કરો કે જો તેઓ પંચેન્દ્રિયો પર લગામ ન રાખે અને ભોગવિલાસમાં પડી જાય તો આપણને તેઓ ક્યાં સુધી યાદ રહેવાના? સમાજમાં ઉચ્ચ સ્થાન ધરાવતી દરેક વ્યક્તિ પોતાના સ્થાને ત્યારે જ પહોંચતી હોય છે જ્યારે પંચેન્દ્રિય પર તેઓ કાબૂ મેળવી શકે. એટલે જ વિદુરજીની અ વાત પુનરાવર્તન સમી લાગતી હોય તોય ધ્યાન દઈને સાંભળવી જોઈએ: ‘જે મનુષ્ય પાંચ ઈન્દ્રિયોને – વાણી, સ્પર્શ, રૂપ, રસ, ગંધ થકી વિષયો તરફ દોડતી પાંચ ઈન્દ્રિયોને મોહવશ કાબૂમાં નથી રાખતો તે મનુષ્યને વિપત્તિ ગળી જાય છે.’

આજના જમાના પ્રમાણે કહીએ કે પંચેન્દ્રિયોને કાબૂમાં રાખવાનો મતલબ ડિસિપ્લિન્ડ લાઈફ રાખવી. જિંદગીના દરેક પહેલુમાં શિસ્ત રાખવી, અતિરેક ત્યજવા. લાઈફસ્ટાઈલમાં મૉડરેટ રહેવું.

જાહેર જીવન જીવતા, ખૂબ બધા અજાણ્યાઓના કે અપરિચિતોના સંપર્કમાં આવતા લોકો માટે વિદુરજીએ શું સલાહ આપી છે? કહે છેઃ ‘મૂર્ખજનો ગાળો અને નિંદા વડે ડાહ્યા માણસોને કષ્ટ પહોંચાડે છે. એમને સામે ગાળો દેનાર કે પછી એમની નિંદા કરનાર વક્તા કે લેખક પાપનો ભાગીદાર બને છે તથા ક્ષમા કરનાર પ્રાજ્ઞ પુરુષ પાપથી છૂટી જાય છે.’

સોશ્યલ મિડિયા પર કોઈ તમારી સળી કરે, છૂંછી કરે કે પછી અપમાન કરવાના ઈરાદે તમને ટ્રોલ કરે તો સામો જવાબ આપીને તમારી શક્તિઓનો વ્યય નહીં કરવાનો. રૂબરૂ મળતી વખતે કોઈ તમને સંભળાવી દેવા માગતું હોય તો સામો જવાબ આપશો તો તમે પણ એના જેટલા નીચા સ્તરના લાગશો. કલ્પના કરો કે બચ્ચનજી કોઈ સમારંભમાં પસાર થતા હોય અને કોઈ એમને કહે કે તમારી ફલાણી ફિલ્મ તો ફાલતુ હતી કે તમારો દીકરો સાવ નકામો નીકળ્યો કે તમે શું કામ મોદીની ચમચાગીરી કરો છો તો શું બચ્ચનજી આવું બોલનારનું ગળું પકડશે? એના તરફ નજર પણ નહીં નાખે. એમને ખબર છે કે કેટલાક લોકો ભસીને બે સેકન્ડ માટે પ્રસિદ્ધ થઈ જવા માગતા હોય છે. ભલે થતા. પણ આવા લોકોને ઇમ્પોર્ટન્સ આપીને બચ્ચનજી ક્યારેય પોતાના સ્ટેચર સાથે, પોતાની ગરિમા સાથે કૉમ્પ્રોમાઈઝ નહીં કરે. શીખવા જેવું છે આ.

અને એટલે જ નૅક્‌સ્ટ શ્લોકમાં વિદુરજી જણાવે છેઃ ‘હે મહારાજ! વાણીનો સંયમ રાખવો એ ખૂબ દુષ્કર છે, તેમ જ ચમત્કારી અને અર્થવાળી વાણી પણ વધારે બોલી શકાતી નથી.’

આ શ્લોકના સેકન્ડ હાફ વિશે પણ ચિંતન કરવા જેવું છે. માર્ક ટ્‌વેનથી માંડીને વિન્સ્ટન ચર્ચિલના નામે ચડેલી આ વાત ઘણી જાણીતી છે. કોઈએ એમને પૂછ્યું કે તમારે અમારે ત્યાં આવીને પાંચ મિનિટ માટે પ્રવચન કરવાનું છે ક્યારે આવશો? મહાનુભાવે કહ્યું કે બે મહિના સુધી તૈયારી કરવી પડે. અને અડધો કલાકનું પ્રવચન ગોઠવીએ તો? મહિનો. પોણો કલાક? પંદર દિવસ અને જો અમે તમને દોઢ-બે કલાકના પ્રવચન માટે આમંત્રણ આપીએ તો? મહાનુભાવ કહે ચાલો, હું તૈયાર છું.

લાંબુ લાંબુ બોલવું કે લાંભ લાંબુ લખવું કે પછી લાંબી લાંબી દલીલબાજીમાં ઊતરી પડવું તે વિદ્વાનોનું લક્ષણ નથી. જે. કૃષ્ણમૂર્તિથી માંડીને રજનીશજી સુધીના વક્તાઓ ઓછું બોલતા, વાક્યોમાં યોગ્ય સ્થળોએ વિરામ (પૉઝ) લઈને બોલતા અને મર્યાદિત સમયમાં બોલવાનું પૂરું કરતા. પોણો કલાક પ્રવચન કરવાના સમય સિવાય બાકીના આખા દિવસ મૌન પાળતા કે ખપ પૂરતું જ – ઓછું ઓછું બોલતા. વર્ષમાં અનેકવાર પ્રવચનો કરવાનું બંધ કરીને એકાંતવાસ ગાળતા, પોતાની બૅટરી રિચાર્જ કરવા માટે મૌન પાળતા, ચિંતન કરતા. પાણીનો નળ ખુલ્લો મૂકીને ધોધ વહી જતો હોય ત્યારે ક્યાં સુધી એ ધારા વહેશે? ક્યારેક તો ટાંકી ખાલી થઈ જવાની. જેઓ મૌલિક વિચારો, મૌલિક અર્થવાતો અને મૌલિક સર્જન કરે છે એમની વાણીમાં – લેખનમાં ચમત્કારિક શક્તિ હોય છે. આ શક્તિ જ્યાં ને ત્યાં ખર્ચાઈ જવાથી નથી આવતી. એમનો એક એક શબ્દ અર્થસભર હોય છે. એટલે જે વિદુરજીએ કહ્યુંઃ ‘ચમત્કારી અને અર્થવાળી વાણી વધારે બોલી શકતી નથી. વાણી સારી રીતે બોલાઈ હોય તો બધાનું કલ્યાણ કરે છે અને જો ભૂંડી રીતે બોલાઈ હોય તો અનર્થનું કારણ બને છે.’

જીવનમાં અમુક બાબતો આપણા હાથમાં નથી હોતી. આપણે પોતે નથી સમજી શકતા કે આટલી મોટી ભૂલ આપણે કેવી રીતે કરી બેઠા. વિદુરજી આનું કારણ આપે છેઃ ‘જેને દેવો પરાજય આપવા ઈચ્છે છે તેની બુદ્ધિ પ્રથમ હરી લે છે, એટલે તેને બધું વિપરીત કર્મ જ સૂઝે છે. વિનાશ કાળ આવે છે ત્યારે બુદ્ધિ મલિન થઈ જાય છે. પછી અન્યાય પણ ન્યાય જેવો ભાસે છે અને તે હ્ર્દયમાંથી ખસતો નથી.’

જીવનમાં તમે કોઈ બ્લન્ડર કરી બેઠા હો ત્યારે એનાં કારણો ચૂંથવા નહીં બેસવાનું. વિનાશકાળે વિપરીત બુદ્ધિ. કુદરતે તે ગાળામાં તમારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી એવું માનીને પછડાટમાંથી ઊભા થઈ જવાનું.

ચોત્રીસમા અધ્યાયના અંતે વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છેઃ ‘હે રાજેન્દ્ર! ધર્મધારીઓમાં ઉત્તમ યુધિષ્ઠિર દયા, સૌમ્યતા તથા તમારા પ્રત્યેના ગૌરવને લીધે ઘણાં કષ્ટો સહન કરે છે.’

વધુ આવતી કાલે.

આજનો વિચાર

નવાઈની વાત છે નહીં, લોકો જ્યારે માત્ર પોતાના માટે ખરેખર જરૂરિયાતની હોય એવી જ ચીજવસ્તુઓની ખરીદી કરતા થઈ જાય ત્યારે દુનિયાનું અર્થતંત્ર ખતરામાં આવી જાય છે.
–વૉટ્‌સએપ પર વાંચેલું

3 COMMENTS

  1. તા.14/4/2020.. નો લેખ .. વિદુર નીતિ નો વાંચીને postive વિચારો કરવા જોઈએ… તમારા “one pen army”.. નીડરતા અને સાચી હકીકત માટે સૌરભભાઈ ને પ્રણામ …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here