વૃદ્ધાશ્રમમાં રહેવા માગતાં તમામ માબાપો પોતાનાં સેતાનોથી તરછોડાયેલાં નથા હોતાં : સૌરભ શાહ

જે સમાજમાં વૃદ્ધાશ્રમો વધતા જાય તે સમાજ પ્રગતિ કરી રહ્યો છે એવું કહેવાય કે અધોગતિ તરફ ધકેલાઈ રહ્યો છે એવું માનવાનું?

આપણી એક કુટેવ છે. કોઈ પણ વાત હોય એને અગાઉથી નક્કી કરેલા એક ખાતામાં નાખી દેવાની, એના પર એક ચોક્કસ લેબલ ચિપકાવી દેવાનું. તથાકથિત અભ્યાસીઓ-વિચારકો-પંડિતો અને સમાજશાસ્ત્રીઓ-માનસશાસ્ત્રીઓએ આપણને આ શીખવાડ્યું છે. માણસના સ્વભાવને અને એના વર્તનને, તમે અગાઉથી તૈયાર કરેલાં પાંચ-પચ્ચીસ ખાનાંઓમાંના એકમાં મૂકી દો એટલે તમે જાણે સમજદાર થઈ ગયા.

એવું નથી.

બે વ્યક્તિ વચ્ચેના મતભેદને આપણે હંમેશાં જનરેશન ગેપ કે પછી કૌટુંબિક વિખવાદ કે પછી લગ્નજીવનની તકરાર કે પછી ભાઈઓ અથવા ભાગીદારો અથવા સાસુ-વહુના વચ્ચેના ઝઘડાનાં ખાનાંમાં મૂકી દેવા આતુર હોઈએ છીએ. હકીકત એ છે કે સાસુ-વહુનો ઝઘડો કે અન્ય કોઈ પણ સંબંધમાં થતો વિખવાદ માત્ર એ સંબંધને કારણે નથી થતો પણ બે વ્યક્તિ વચ્ચેના મતભેદને કારણે થતો હોય છે અને આવા મતભેદો થવા સામાન્ય છે, કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે એમ તુન્ડે તુન્ડે મતિર્ભિન્ના. દરેક વ્યક્તિની પરિસ્થિતિ, સોચ,સમજદારી, અક્કલ, અનુભવ આ બધું જ બીજાના કરતાં જુદું જ હોય. બાપ-દીકરા વચ્ચે પણ આવું જ સમજવાનું. પેલો દીકરો છે અને આ બાપ છે એટલે જ આવા મતભેદો છે એવું નથી હોતું. આ બે અલગ-અલગ વ્યક્તિઓ છે અને એટલે એમની વચ્ચે મતભેદ હોઈ શકે છે, મનમેળ પણ હોઈ શકે છે.

વૃદ્ધાશ્રમોને ખોડાં ઢોરની પાંજરાપોળ કહીને વખોડવાની ચાલ કોણે શરૂ કરી હશે તે ભગવાન જાણે પણ જેણે શરૂ કરી હશે તે વ્યક્તિ જરૂર બિચારી દુભાયેલી, વાંકદેખી અને કદાચ પેટની બળેલી હશે. દીકરાએ માબાપને વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધાં આવું વાંચી વાંચીને આપણા મનમાં પણ તમામ ઘરડાંઘર માટે દયામણો ભાવ અને તમામ દીકરાઓ માટે તિરસ્કારનો ભાવ પ્રગટતો થઈ ગયો છે.

અપવાદો જરૂર હશે પણ તે માત્ર અપવાદો જ હશે. વૃદ્ધાશ્રમમાં રહેતાં કે વૃદ્ધાશ્રમમાં રહેવા માગતાં તમામ માબાપો પોતાનાં સંતાનોથી તરછોડાયેલાં નથી હોતાં. આ વાત ભારપૂર્વક કહી છે. ચીસો પાડીને કહી છે. તમે પણ બરાબર સાંભળજો.

વૃદ્ધાશ્રમો કંઈ નર્કાગાર નથી હોતા. અનેક વૃદ્ધાશ્રમો તો સ્વર્ગસમા હોય છે. વિદેશોમાં અને ભારતમાં પણ. જે સિનિયર સીટિઝનોએ પોતાના કાર્યમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય એમના માટે સંયુક્ત કુટુંબમાં દીકરા-વહુ સાથે રહેવાનો વિકલ્પ હોય છે અને દીકરા-વહુ જુદાં રહે માબાપ જુદાં રહે એવો વિકલ્પ પણ હોય છે તે જ રીતે માબાપ પાસે વૃદ્ધાશ્રમમાં રહેવાનો પણ વિકલ્પ પણ હોય છે.

વૃદ્ધાશ્રમ શબ્દ એટલો તો વગોવાઈ ગયો છે કે એની જગ્યાએ કોઈ નવો શબ્દ પ્રચલિત કરવો પડે-થશે. જેમ ઘરડાં, બુઢ્ઢા, વૃદ્ધ કે ડોસાડગરાં માટે સિનિયર સીટિઝન કે વડીલ જેવા સન્માનીય શબ્દો પ્રચલિત થયા એ જ રીતે વૃદ્ધાશ્રમ જેવો તિરસ્કારયુક્ત બની ગયેલો શબ્દ પણ રિપ્લેસ થશે. અપંગની જગ્યાએ વિકલાંગ અને હવે દિવ્યાંગ શબ્દ પ્રચલિત છે એમ.

સાઠ-પાંસઠ-સિત્તેર પછી, જ્યારે તમને ખબર છે કે હવે શરીરની સાચવણી કરવાની વધારે જરૂર પડવાની છે, રોજિંદા જીવનમાં બીજાઓની મદદ લેવાની વધારે જરૂર પડવાની છે ત્યારે તમે તમારી સગવડ સાચવવા કોઈ એવી વસાહતમાં જઈને રહો જ્યાં તબીબી સારવાર હાથવગી હોય, જ્યાં તમારા ખાવાપીવા માટે તેમજ કસરત જેવાં અન્ય રૂટિનો સાચવવા માટે ઝાઝી સ્ટ્રગલ કરવી ન પડતી હોય તો ખોટું શું છે?

વૃદ્ધાશ્રમમાં રહેવા જતાં તમામ માબાપ કંઈ દીકરાવહુના તરછોડાયેલાં નથી હોતાં- તેઓ પોતાની સગવડ વધુ સારી રીતે સચવાય એટલે પોતાનું ઘર દીકરાને સોંપીને રાજીખુશીથી રહેવા આવ્યાં હોય છે. પણ સમાજમાં વૃદ્ધાશ્રમનું નામ એટલું તો ખરડાઈ ગયું છે કે કોઈ માબાપ સ્વેચ્છાએ, ઉમળકાથી વૃદ્ધાશ્રમમાં જવાનું નક્કી કરે તો એમને વિચાર આવે કે લોકો શું કહેશે? દીકરાવહુને થાય કે બીજાં કુટુંબીજનોમાં અમારું ખરાબ દેખાશે. આ માનસિકતા રાતોરાત નથી બદલાવાની. વૃદ્ધાશ્રમો કંઈ ખોડાં ઢોર રાખવાની પાંજરાપોળ નથી એવું સ્વીકારતા વખત લાગશે.

વૃદ્ધાશ્રમ વાસ્તવમાં તો ત્યાં રહેતા વડીલોનું મુક્તાંગણ છે, સ્વતંત્ર રીતે જીવન માણવા માટેની જગ્યા છે. એ કોઈ મજબૂરી નથી કે નથી કોઈ કારાગૃહ જ્યાં શારીરિક કે માનસિક બંધનોને કારણે જીવન દોહ્યલું લાગે.

જે વડીલોએ કામકાજમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય એમના માટે વૃદ્ધાશ્રમમાં રહેવા જવાનો વિકલ્પ ખુલ્લો હોવો જોઈએ. જેમની પાસે સગવડ હોય, ઈચ્છા હોય તેઓ પોતાનાં વહુ-દીકરા અને પૌત્ર-પૌત્રી સાથે રહે. એ પણ સારું છે. જેમણે પોતાનું ઘર જુદું, દીકરા-વહુનું ઘર જુદું-એ રીતે રહેવું હોય તેઓ એ રીતે રહે. એ પણ સારું છે. અને જે સિનિયર સીટિઝનોને પોતાની પસંદગીના વૃદ્ધાશ્રમમાં જઈને રહેવું હોય તેઓ ત્યાં જઈને રહે એ પણ સારું છે.

વૃદ્ધાશ્રમ સાથે જોડાઈ ગયેલા અપમાનિત ભાવ દૂર કરીએ. વૃદ્ધાશ્રમમાં રહેવા જવા માગતા વડીલોને એનાં સંતાનો દ્વારા અન્યાય થઈ રહ્યો છે એવી માનસિકતા પણ દૂર કરીએ. મુજ વીતી તુજ વીતશે-વાળી શાપ આપવાની પંક્તિને મગજમાંથી ભૂંસી કાઢીએ. મારાં માબાપ મારું ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં રહેવા ગયાં છે તો સમાજમાં મારું કેવું લાગશે એવી ગિલ્ટ ફીલિંગથી દૂર રહીએ. અમે વૃદ્ધાશ્રમમાં રહીએ છીએ એટલે લોકો માની લેશે કે અમને અમારાં દીકરા-વહુ સાથે બનતું નથી એવો ડર પણ છોડીએ.

પરદેશોમાં હોય છે એવાં સુખસાહ્યબી ધરાવતાં વૃદ્ધાશ્રમો છેલ્લા બે-ત્રણ દાયકાથી આપણા દેશમાં પણ બનવા લાગ્યા છે. કોઈ કહેશે કે ફલાણા વૃદ્ધાશ્રમમાં જઈને જોઈ આવો, કેવી બદતર હાલતમાં વડીલો રહે છે તો એમને કહેવાનું કે આવી જ હાલતમાં રહેતાં દીકરા-વહુનાં ઘરો આ દેશમાં આના કરતાં લાખ ગણા વધારે હશે. એ તો દરેકની આર્થિક પરિસ્થિતિ પર નિર્ભર છે. જીવનમાં શું કામ કર્યું છે, કેટલું કામ કર્યું છે અને એ કામમાંથી કેટલી કમાણી કરી છે, એ કમાણીનું આયોજન કેવી રીતે કર્યું છે તેના પર તમારી યુવાનીની તેમજ વૃદ્ધાવસ્થાની આર્થિક પરિસ્થિતિઓ આધાર રહેલો છે.

અપવાદ રૂપે એવા કિસ્સાઓ તમે લઈ આવશો કે આ વૃદ્ધદંપતીને એમનાં સંતાનોએ ન સાચવ્યાં તો એવા કિસ્સાઓની સરખામણીએ અનેક ગણા વધારે કિસ્સા તમને સમાજમાં જોવા મળશે જેમાં માબાપ હસીખુશીથી પોતાનાં સંતાનો સાથે રહેતાં હોય. સૌ કોઈ એક જ ઘરમાં પ્રસન્નતાથી રહેતું હોય. સમાજના ગરીબ, મધ્યમવર્ગીય, શ્રીમંત-તમામ સ્તરનાં કુટુંબોમાં તમને જોવા મળશે કે સંતાનો પોતાનાં માબાપને અને માબાપ પોતાનાં દીકરાવહુને સાચવતાં હોય, હળીમળીને રહેતાં હોય, એકબીજાની અગવડ-સગવડમાં ભાગીદાર બની જતાં હોય.

અને છેલ્લે ફાધર્સ ડે નિમિત્તે એક નાનકડી વાત.

મેં એક વખત મારા પપ્પા વિશેના લેખમાં આ લખ્યું હતું: મારા દીકરાના જન્મ પછી બાળઉછેરને લગતું એક અંગ્રેજી પુસ્તક હું ઘરે લઈને આવ્યો. પપ્પાએ એ જોઈને મને પૂછ્યું, `સૌરભ, આ તું તારા માટે લાવ્યો છે કે મારા માટે?’

પાન બનારસવાલા

બાપની જગ્યા આ દુનિયામાં કોઈ ન લઈ શકે, મા પણ નહીં.

-અજ્ઞાત્

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

15 COMMENTS

  1. વૃદ્ધા શ્રમ ને મુક્તાગણ નામ આપી શકાય
    જ્યાં જીવન ભર ની દોડ કરી મુક્ત થઈ ભાઈ બંધ મિત્રો
    અને જીવનસાથી સાથે કોઈ પણ જાતની ચિંતા મુક્ત થઈ શેષ જીવન જીવી શકાય

  2. It’s choice one has to make it’s acceptable practice In developed world for both seniors and young adults to live let live others In their own comfort zone

  3. ઘણા વડીલો પણ જક્કી સ્વભાવ ના હોય છે વર્ષો સુધી દિકરમાં વહુ સાથે તાલ મેલ બેસાડી શકતા નથી જેમ દરેક દીકરા વહુ શેતાન નથી તેમ દરેક વૃદ્ધ વ્યક્તિ પણ હંમેશા સદગુણી અને આદર્શ વ્યક્તિ હોય એવું જરૂરી નથી તેના અપલક્ષણો કુટેવો ક્લેશ થી બચવાનું અંતિમ પગલું હોઈ શકે છે વાણી વર્તન ભાષાને વ્યવહાર માં સંયમ હોવો ખાસ જરૂરી હોય છે

  4. તમે બરાબર લખ્યું છે. અમારી સંસ્થા – શ્રી રામ ચંદ્ર મિશન (હાર્ટફૂલનેસ) ના ગુરૂએ આ નીડ પુરી કરવા બેંગલોરમાં પરમ ધામ નામનું સિનીયર / વયસ્ક અભ્યાસીઓ માટે વ્યવસ્થા ઉભી કરી છે. આ જગ્યાએ તમે કહ્યું તે પ્રમાણે રહેવા માટે સહજ માર્ગના અભ્યાસીઓ રહે છે.

    https://www.sahajmarg.org/smww/param-dham

  5. સૌરભ ભાઈને અમારા અભિનંદન. તેમની વાત બિલકુલ સાચી છે કે આપણે વૃદ્ધાશ્રમ શબ્દનો કોઈ સારો શબ્દ શોધી કાઢી જોઈએ. દરેક વૃદ્ધાશ્રમ અલગ અલગ વ્યવસ્થા બનાવતા હોય છે. અમે અમે જે વૃદ્ધાશ્રમ ની નજીકમાં રહીએ છીએ તેને હું સ્વર્ગ કહી શકું. ટૂંકી જગ્યામાં વધુ લખી શકાય તેમ નથી.

  6. Absolutely dis-agree with ur article .
    Sry to say but it’s a fact. Those parents who doesn’t want to go at all but by forcibly they go to gharda-ghar for their kids peace.
    Let them stay with kids & enjoy in there own way . Nothing wrong in that & kids don’t want to seva when parents on bed. Lastly ,
    🌹🙏🕉 Shanti…..Shanti…..Shanti….

  7. ઉપર ઉલ્લેખ કરેલ સંસ્થા વડોદરા, ગોત્રી-સેવાસી રોડ પર છે.

  8. આપની વાત સાથે સહમત, એક નવો વિચાર.
    “સ્વર્ગ કોમ્યુનિટી કેર” નામથી ઓલ્ડ એજ કેર સેન્ટર ચાલે છે, જેમાં તમે વર્ણન કર્યું છે તેવા વડીલો, જેમને કાળજી ની જરૂર હોય અથવા પુત્રો વિદેશ સેટ થયા હોય, અથવા બીજા સ્ટેટ માં હોય તેમના માતા પિતા સહર્ષ અહીં રહે છે, અને તેમની સાર સંભાળ-સારવાર દરેક જવાબદારી સંસ્થા યોગ્ય ફી લઈને સારી રીતે સાચવે છે, કોઈ દયા દાન કે લાચારી નહીં.

  9. વૃદ્ધાશ્રમ કે ઘરડાઘર ને બદલે Munnabhai MBBS ની જેમ Second innings home નામ આપીએ તો કેવું રહે?

  10. It’s reality which we have to accept not as necessary evil but as free adventure

    In my opinion one should enjoy old age life with similar age group and allow others to live mostly with their group

  11. તમારો આ લેખ સમાજ ને નવી સમજ આપી શકે. પણ બધા જ વૃધ્ધ આશ્રમોની સારી પરિસ્થિતિ સારી થયા પછી.

  12. દીકરા અને પોત્રા-પોત્રીઓ ને છોડીને એક અલગ જગ્યાએ શા માટે જવું પડે કોઈ બાપે અથવા માએ ? આવું ગણિત, ગુજરાતી કે સમાજવિદ્યા મારા મગજમાં બેસતી નથી. એવું ક્યાંય પુરાણો માં નથી વાંચ્યું, રામાયણ કે મહાભારત માં પણ નથી વાંચ્યું.

    આ બંને મહાકાવ્યમાં મહાભારતમાં રાજા કે રાણી વૃદ્ધ અવસ્થામાં જંગલમાં સન્યાસ આશ્રમ ધારણ કરતા અને મોક્ષની પ્રાપ્તિ માટે વિચરતા એવું વાંચ્યું છે. (સામન્ય જનતા ની અવસ્થા કેવી હતી એ સમયે એવો ઉલ્લેખ જોવાનો રહ્યો).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here