“ મારા કરતાં વિરુદ્ધ મતને સ્વીકારવાની સહિષ્ણુતા મારામાં ન હોત તો હું અને મારી પત્ની કે’ દહાડાનાં છૂટાં પડી ગયાં હોત!” : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૧૨ માર્ચ ૨૦૨૩)

કોઈનું ખરાબ કરવાનું મન ન થાય, સારું કરવાની ઈચ્છા થાય, એ માટે અનુકૂળ એવું માનસિક વાતાવરણ કોણ તૈયાર કરી આપે? સારા લોકો, સારું વાંચન, સારી જગ્યાઓ, સારા અવાજો અને સભાનતાપૂર્વક મનમાં સર્જેલા સારા વિચારો.

હું ખરાબ માણસ હોઉં તેને કારણે મારી આસપાસનાઓને કે સમાજને કે દુનિયાને જે નુકસાન થશે એના કરતાં વધારે નુકસાન મને પોતાને થવાનું છે. બીજાઓ માટે નહીં તો કમ સે કમ મારે મારા ભલા માટે ખરાબ કામો કરવાથી દૂર રહેવું જોઈએ. અને એ જ રીતે હું જો મારું સારું ઈચ્છતો હોઉં તો મારે સારા માણસ બનવું જોઈએ. સિદ્ધાંતો, આદર્શો અને નીતિમૂલ્યો કયારેય આઉટડેટેડ થતાં નથી. કોઈકને આવી બધી વાતો બિનવ્યવહારુ કે ‘જરાક વધુ પડતી’ લાગે તો ભલે. મારું મન દૃઢતાપૂર્વક જે કહી રહ્યું છે તે મેં આજે તમને કહ્યું. દુનિયાને સુધારવાનો ઈજારો લઈને કોઈ નથી બેઠું. પણ મને જે દિશામાં પ્રવાસ કરવાનું મન થાય તે દિશામાં જવા માટે હું બીજાઓને પણ ઉશ્કેરું એ સ્વાભાવિક છે જેથી રસ્તામાં કંપની રહે.

ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ એટલે જ તમારે વાંચવી જોઈએ – રસ્તામાં કંપની રહે. ગાંધીજીનું જીવન નજીકથી જાણ્યું હોય તો જ એમના વિચારોને યોગ્ય સંદર્ભમાં સમજી શકીએ અને તો જ એ વિચારોની આજના જમાના માટેની ઉપયોગિતા જાણી શકીએ કે એ વિચારોનું પૂનર્મૂલ્યાંકન તેમ જ પુનઃઅર્થઘટન કરી શકીએ.

ગાંધીજી પોતાનાથી વિરુદ્ધ જેમનો મત હોય, જેમની સાથે પોતે સહમત ન થતા હોય એવા વિચારને હૃદયપૂર્વક આદર આપતા. બે વ્યક્તિઓ વચ્ચે ભિન્નમત હોય એમાં કશું ખોટું નથી, એવું સ્વીકારીને એમણે એક વખત પોતાના સામયિક ‘યંગ ઈન્ડિયા’માં લખ્યું હતું: ‘ભિન્નમતને કારણે એકબીજાનો દ્વેષ કરવાની કોઈ જરૂર નથી. મારા કરતાં વિરુદ્ધ મતને સ્વીકારવાની સહિષ્ણુતા મારામાં ન હોત તો હું અને મારી પત્ની કે’ દહાડાનાં છૂટાં પડી ગયાં હોત!’

ગાંધીજી વિશે આપણે સાંભળ્યું છે બહુ, જાણ્યું છે ઓછું. ગાંધીવિચારો જાણે હવે કેવળ મુઠ્ઠીભર ચિંતકો – વિચારકો માટેના અભ્યાસના વિષય પૂરતા જ સીમિત થઈ ગયા હોય એવું વાતાવરણ છે અને બીજા અંતિમે તમામ પ્રકારના લેભાગુઓ ગાંધીના નામને વટાવી ખાવા આતુર હોય એવું આપણે સતત અનુભવ્યું છે.

ગાંધીજીને આ બે અંતિમોમાંથી બહાર કાઢવાના પ્રયાસરૂપે છેલ્લા ત્રણ દાયકા કરતાં વધુ સમયથી જયારે ચાન્સ મળે ત્યારે હું ગાંધીજી વિશે, એમના વિચારો તથા એમના વ્યવહારો વિશે સતત લખતો રહ્યો છું. ‘સત્યના પ્રયોગો’ તમારે વાંચવી જ જોઈએ એવો આગ્રહ કરવાનું કારણ પણ આ જ છે.

ગાંધીજીની ખ્યાતિને કારણે એમની આત્મકથા એટલી જાણીતી બની છે કે કોઈપણ નોર્મલ વાચક પોતે આ આત્મકથા પૂરેપૂરી કયારેય નથી વાંચી એવું પ્રગટ કરતાં સંકોચાય. હકીકત, મોટાભાગે, એ હોય કે શાળા જીવન દરમિયાન આત્મકથાનાં બે-પાંચ પ્રકરણો પાઠયપુસ્તકમાં છપાયાં હોય એટલે વાંચવા પડયાં હોય. એ ઉપરાંત કેટલાક છૂટાછવાયા કિસ્સા કયાંક ટાંકવામાં આવ્યા હોય તો તે વિશેની જાણકારી હોય. પ્લસ એટનબરોની ફિલ્મ કદાચ જોયેલી હોય.

તમે ગાંધીજીની આત્મકથા પૂરેપૂરી વાંચી જ છે એવું માની લઉં છું. આમ છતાં તમારા વિચારોમાં, તમારી વિચારસરણીમાં આગામી વર્ષો દરમિયાન જે ફેરફારો થઈ શકે છે એ ફેરફારો અનુભવવાની થ્રિલ ખાતર પણ ફરી વાર વાંચજો. આ વાંચન પાછળ ખર્ચાયેલી રોજની કેટલીક મિનિટોના સરવાળા જેટલા થોડાક કલાકો તમને બાકીની જિંદગી દરમિયાન ખૂબ મોટું વળતર આપ્યા કરશે.

ગાંધીજીનાં લખાણો (પ્રવચનો તથા પત્રો સહિત) કુલ સો મોટા ગ્રંથરૂપે ઉપલબ્ધ છે. ગુજરાતીમાં ‘ગાંધીજીનો અક્ષરદેહ’ તથા અંગ્રેજીમાં ‘ધ કમ્પલીટ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી.’ (ગુજરાતીમાં છેલ્લા ડઝનેક ગ્રંથો હજુય પ્રગટ થવાના બાકી છે). આ સો ગ્રંથો સાથે બે મોટા ગ્રંથ જેટલી નામસૂચિ, વિષયસૂચિ સામેલ છે જેથી તમને સંદર્ભ મેળવવામાં આસાની રહે. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ આ શત ગ્રંથોમાંના માત્ર એક ગ્રંથનો હિસ્સો છે, પૂરેપૂરો ગ્રંથ પણ નહીં. તમે જોઈ શકો છો કે ગાંધીવિચારો એક અફાટ સાગર છે. કદાચ એટલે જ સામાન્ય વાચક કિનારા પરનાં થોડાંક છબછબિયાંથી આગળ વધતાં ડરતો હશે. આ સો ગ્રંથ ઉપરાંત પ્યારેલાલ અને તેંડુલકરે લખેલા અનુક્રમે ચાર અને આઠ દળદાર ગ્રંથો તેમ જ બીજાં ડઝનબંધ અલગ અલગ દૃષ્ટિકોણથી લખાયેલા અંગ્રેજી, ગુજરાતી, હિન્દી તથા મરાઠી પુસ્તકો છે, જેમાંથી તમને ગાંધીજીના જીવનનાં અનેક પાસાંઓનો પરિચય થાય.

ગાંધીજીની આત્મકથામાં એમના દક્ષિણ આફ્રિકાના દિવસો વિશે જોઈએ એટલી વિગતોથી કે પૂરતાં લંબાણથી વાતો નથી આવતી. કારણ કે આત્મકથા લખતાં પહેલાં ગાંધીજીએ લગભગ આત્મકથા જેટલું જ લાંબું પુસ્તક ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’ લખી લીધું હતું. એ પુસ્તક ૧૯૨૪માં પ્રગટ થયું. આત્મકથા પુસ્તક સ્વરૂપે ૧૯૨૭માં પ્રગટ થઈ અને તે પહેલાં ‘નવજીવન’માં ધારાવાહિક સ્વરૂપે પ્રગટ થઈ.

ગાંધીજીએ ૧૯૨૭ પછીનાં વર્ષોની આત્મકથા લખી નથી. પણ એમના જીવનના અંતિમ બે દાયકા વિશે અનેક વ્યક્તિઓએ ખૂબ લખ્યું છે. મહાદેવ દેસાઈની ડાયરીઓ (ભાગ ૧ થી ૨૦)નાં ૯,૦૮૫ પાનાંઓમાં ૧૯૪૨માં મહાદેવભાઈનું અવસાન થયું ત્યાં સુધીના કાળની અદ્ભુત ઑથેન્ટિક વિગતો છે. આ રોજનીશી કહેવાય મહાદેવભાઈની પણ એમાં અત્રતત્રસર્વત્ર ગાંધીજી છવાયેલા છે. મહાદેવભાઈએ પોતાના પુત્ર નારાયણ દેસાઈના જન્મની નોંધ પણ આ ડાયરીમાં નથી લખી અથવા તો એકદમ અછડતી, એક વાક્યની ઊડતી નોંધ, લખી છે એવું ખુદ નારાયણ દેસાઈએ પિતાની જીવનકથા લખતાં ‘અગ્નિકુંડમાં ખીલેલું ગુલાબ’માં કહ્યું છે.

મહાદેવ દેસાઈના અવસાન પછી ગાંધીજીના અંગત સચિવ બનેલા પ્યારેલાલે ‘પૂર્ણાહુતિ’ શીર્ષકથી ચાર ભાગના દળદાર ગ્રંથ લખ્યા છે. એ બે હજારથી વધુ પાનાંમાં ગાંધીજીના છેલ્લા શ્ર્વાસ સુધીની ઝીણામાં ઝીણી વિગતો પ્યારેલાલે નોંધી છે.

આ લેખમાં ટાંકેલા ગાંધીવિષયક ગ્રંથો/પુસ્તકો વાંચ્યા વિના ગાંધીવિચારોની આકરી ટીકા તેમ જ મોંફાટ પ્રશંસા ન કરાય એવું હું નમ્રપણે માનું છું, કમ સે કમ જાહેરમાં તો નહીં જ.

તો શરૂ કરો આજથી વાંચવાનું.

—–

પાન બનારસવાલા

જેમ સ્વામી આનંદ ઈત્યાદિ મિત્રોના પ્રેમને વશ થઈને મેં સત્યના પ્રયોગો પૂરતી આત્મકથા લખવાનો આરંભ કર્યો તેમ ગીતાજીના અનુવાદને વિશે પણ થયું છે. ‘તમે ગીતાનો જે અર્થ કરો છો તે અર્થ ત્યારે જ સમજાય જયારે તમે એકવાર આખી ગીતાનો અનુવાદ કરી જાઓ અને તેની ઉપર ટીકા કરવી હોય તે કરો ને અમે તે આખું એક વાર વાંચી જઈએ. છૂટાછવાયા શ્ર્લોકમાંથી અહિંસાદિ ઘટાવો એ મને તો બરોબર લાગતું નથી’ –આમ સ્વામી આનંદે અસહકારના યુગમાં મને કહેલું. મને તેમની દલીલમાં તથ્ય લાગ્યું. ‘નવરાશે એ કરીશ’, એમ મેં જવાબ આપ્યો. પછી હું જેલમાં ગયો, ત્યાં તો ગીતાનો અભ્યાસ કંઈક વધારે ઊંડાણથી કરવા પામ્યો…’

– મહાત્મા ગાંધી (‘અનાસક્તિયોગ’ની પ્રસ્તાવનામાં, જેનો બૃહદ્ અંગ્રેજી અનુવાદ મહાદેવભાઈ દેસાઈએ ‘ધી ગીતા ઍકૉર્ડિંગ ટુ ગાંધી’ના નામે કર્યો જેની સ્પેશ્યલ ડિલક્સ આવૃત્તિ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામાના ઘરે ગયા હતા ત્યારે એમને ભેટ આપી હતી).

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

6 COMMENTS

  1. મારો અનુભવ છે કે જ્યારે પણ તમે સત્ય ના પ્રયોગો વાંચો છો ત્યારે તમે પણ કોમન મેન માંથી અન કોમન મેન બનવાની યાત્રા આરંભી દ્યો છો

  2. I am reading Mahatma Letrechre regularly. I getting solutions of so many my problems. Regularly we have to read it.
    I am 73 years running, retired SBI officer living @ Vadodara . At present @ Melbourne with my son.

  3. ઘણાં વખતે તમારા તરફથી ગાંધીજી વિશેનો લેખ આવ્યો, જે વાંચવાની બહુ મજા આવી. ઘણી વખત મેં માર્ક કર્યું છે કે મારા મનમાં જે વિચારો ચાલતા હોય એ મને તમારા લેખો દ્વારા વાંચવા મળે, કમસેકમ એટલાં પુરતો તો હું તમારી કેટેગરી ની નજીક આવી શકું. બાકી તો તમારૂં સ્થાન સામાન્ય માણસ કરતાં ઘણું ઉંચુ છે. તમે જે પુસ્તકો નો ઉલ્લેખ કર્યો એમાંથી

    દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ નો ઈતિહાસ
    આત્મકથા (સત્યના પ્રયોગો)
    પૂર્ણાહુતિ – ૪ભાગ
    અગ્નિ કુંડમાં ઊગેલું ગુલાબ
    આ બધા મારી પાસે છે, મેં વાંચ્યા છે.

    મયુર પારેખ

    • ‘મહાત્મા’ આ શબ્દ મા જ બધું સમજાઈ જાય છે.
      મહાત્મા ગાંધી વિશે ટૂંકમાં અને સચોટ માહિતીઓ સમયાંતરે આપ આપતા રહેશો તો આજકાલ સોશિયલ મીડિયા પર જે વિષ ફેલાવવા મા આવી રહ્યુ છે અને લોકો એને સત્ય માને છે, એ વાતે ગાંધીજી વિશે તથ્યોને ને આધારીત માહિતીઓ જાણવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here