વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે બેચાર વિચારોઃ સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી ડૉટ કૉમ’ : ગુરુવાર, 24 ઑગસ્ટ 2023)

આજે કવિ-લેખક-પત્રકાર-કોશરચનાકાર અને કરસનદાસ મૂળજી જેવા દોસ્તારોની પડખે રહેનાર નર્મદાશંકર લાલશંકર દવેની વર્ષગાંઠ. 1833ની 24મી ઑગસ્ટે ‘નર્મદ’નો જન્મ. આપણે ગુજરાતીઓ આ દિવસની ઉજવણી ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ તરીકે કરીએ છીએ. યુનેસ્કો તરફથી 21 ફેબ્રુઆરીનો દિવસ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે. તે વખતે જગતઆખા સાથે આપણે આપણી માતૃભાષાનું ગૌરવ કરીએ છીએ એ તો અલગ.

વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓની યાદીમાં ગુજરાતીનો ક્રમ કેટલામો આવે છે? નિરાશાવાદી ગુજરાતીઓએ જવાબ આપવાની જરૂર નથી. આપણું સ્થાન ટૉપ ટ્વેન્ટીફાઇવમાં (25માં)છે.

વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ગુજરાતીનું પણ નામ મૂકવું જ પડે એવી આપણી માતૃભાષા છે

ચીનમાં ઘણી ભાષાઓ બોલાય છે જેમાંથી મેન્ડેરિનનું સ્થાન વિશ્વમાં પ્રથમ છે. બીજા નંબરે સ્પૅનિશ અને ત્રીજા-ચોથા નંબરે અંગ્રેજી-હિન્દી છે.

હિન્દીનું સ્થાન આટલું ઉપર છે એનું આપણને એક ભારતીય તરીકે ગૌરવ હોવું જોઈએ. અને બંગાળી (પાંચમા ક્રમે), (મરાઠી દસમા ક્રમે), તેલુગુ (અગિયારમા ક્રમે) અને તમિળ (અઢારમા ક્રમે) છે એનું પણ ગૌરવ હોવું જોઈએ.

ગુજરાતી 24મા ક્રમે છે. વિશ્વમાં સાડા પાંચ કરોડથી વધુ લોકો ગુજરાતી બોલે છે. (ટુ બી પ્રિસાઇસઃ પાંચ કરોડ 64 લાખ). ટૉપ ટ્વેન્ટી ફાઇવમાં ફ્રેન્ચનું સ્થાન પંદરમું, જર્મનનું 16મું, ઇટાલિયનનું 22મું અને ઇજિપ્શન-અરેબિકનું 23મું છે. ફારસીનું 25મું. રશિયન (7), જપનીઝ (8), ટર્કિશ (13), કોરિયન (14), ઉર્દૂ (20) વગેરે ભાષાઓ ટૉપ ટ્વેન્ટીમાં છે.

વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ગુજરાતીનું પણ નામ મૂકવું જ પડે એવી આપણી માતૃભાષા છે. આ ભાષા વર્તમાનપત્રો કે સામયિકો થકી નથી જીવવાની. એ જમાનો હવે પૂરો થઈ ગયો. જે પ્રિન્ટ મિડિયા પોતે જ આખરી શ્વાસ લઈ રહ્યું હોય તે ભાષાને કેવી રીતે જીવાડી શકે?

ગુજરાતી ભાષા જીવે છે, ઘણું લાંબું જીવશે અને અમરતા પ્રાપ્ત કરશે તે ગુજરાતીઓને કારણે.

જે ગુજરાતીઓ ઘરમાં ગુજરાતી બોલે છે, ગુજરાતી બોલીને ધંધો-નોકરી-કામકાજ કરે છે, જે ગુજરાતીઓ ગુજરાતીમાં ઝઘડો કરે છે, ગુજરાતીમાં પ્રેમ કરે છે અને જેમને સપનાંઓ પણ ગુજરાતીમાં આવે છે એ સાડા પાંચ કરોડથી વધુ લોકોને કારણે ગુજરાતી જીવે છે.

ગુજરાતી માત્ર લખાતી ભાષા નથી, માત્ર વંચાતી ભાષા નથી. ગુજરાતી લખનારાઓ અને વાંચનારાઓ કરતાં વધારે સમૃદ્ધિ આ ભાષાને એ લોકોએ આપી છે જેઓ ગુજરાતી બોલે છે, ગુજરાતી સાંભળે છે. ભવિષ્યમાં ગુજરાતી લખનારા-વાંચનારાઓ કરતાં વધારે મહત્વ ગુજરાતી બોલનારા-સાંભળનારાઓનું રહેવાનું. ફાઉન્ટન પેન અને પેન્સિલના ચાહકો પણ ઑડિયો-વીડિયો પ્લેટફૉર્મ પર સંભળાવાના-દેખાવાના.

ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. એટલે જ, ગુજરાતી ભાષા જેમની આજીવિકા છે એ બધાનું ભાવિ પણ ઉજ્જવળ છે.

ગુજરાતી ભાષાને જે ચાહે છે, એનો આદર કરે છે એ સૌનું ભાવિ ઘણું ઉજ્જવળ છે.

માતાને કેવી રીતે પ્રેમ કરવો એ બાળકને શીખવવું નથી પડતું. માતૃભાષાને પ્રેમ કરવાની રીત ગુજરાતીઓને શીખવવાની ન હોય. ‘માતૃભાષા બચાવોની’ ઝુંબેશના દેખાડા પણ ન કરવાના હોય. જે ભાષા તમને પોતાને જીવાડતી હોય એને બચાવવાનું તમારું કોઈ ગજું ખરું?

હા, પબ્લિસિટી માટે આવી ચળવળો ચલાવો તે ઠીક છે. તમારે તમારું ગાડું ગબડાવવા આવું બધું કરવું પડે, પણ એ માટે ‘ગુજરાતી ખતરામાં છે’ એવો હાઉ ઊભો કરવાની જરૂર?

કોઈ ભાષાને બીજી ભાષા સાથે કૉમ્પીટિશન નથી હોતી, વેર નથી હોતું. અરાજકતાવાદીઓ ભાષાનું રાજકારણ ખેલવામાં પાવરધા હોય છે. એમાં લેફ્ટિસ્ટો ભળ્યા અને લેફટિસ્ટોને જોઇને એમનો સામનો કરવા જેઓ હજુ વાડ પર બેઠા છે એવા અધૂરા અને હાઇપરડા હિન્દુવાદીઓ ભળ્યા.

ગુજરાતી ભાષાનું સૌંદર્ય એની લિપિમાં, વ્યાકરણમાં, જોડણીમાં, ઉચ્ચારોમાં અને એની લિખાવટમાં છે. આ બધાંની સાથે ચેડાં કરવાની ખૂબ કોશિશો થઈ. કંપોઝ કરવામાં સરળતા પડે એટલે ‘તંત્રી’ની જગ્યાએ ‘તન્ત્ રી’ લખવું જોઈએ એવો પ્રચાર વર્ષો સુધી ચાલ્યો. આ તદ્દન વાહિયાત ઝુંબેશને ગુજરાતીઓએ જાકારો આપ્યો. એક ‘ઈ’ અને એક ‘ઉ’વાળું ઊંઝા જોડણીનું ગતકડું કેટલાક જોકરોએ વિદ્વતાનું મહોરું પહેરીને શરૂ કર્યું હતું. એ આખી સાલી હરામી સેક્યુલર ગૅન્ગ હતી એની તો બહુ પાછળથી ખબર પડી. ભાષાની જોડણીમાં અરાજકતા ફેલાવવાના ઇરાદે ભેગી થયેલી મવાલીઓની ભાંગફોડિયા ટોળકીને ઉઠાવીને ઉકરડામાં ફેંકી દીધી ગુજરાતીઓએ.

ભાષાનું માધુર્ય અને લાલિત્ય જ નહીં, ભાષાની ચોક્સાઈ અને એની લિખાવટની વૈજ્ઞાનિક પદ્ધતિ માટે પણ જોડણીની ચોક્સાઈ જરૂરી હોય છે. ઉચ્ચારણ શાસ્ત્રનું મહત્વ વેદકાળથી ચાલ્યું આવે છે. પેલી ઝનૂની ગૅન્ગ ‘દિન’ અને ‘દીન’ વચ્ચેનો, ‘પિતા’ અને ‘પીતા’ વચ્ચેનો ભેદ મિટાવી દેવા આવી હતી. કાવ્યનું પિંગળશાસ્ત્ર, છંદ, અરુઝ-આ બધામાં હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈ તથા હ્રસ્વ ઉ અને દીર્ઘ ઊનું એટલું જ મહત્વ છે જેટલું સંગીતનું સૂરમાં. શાળામાં નાની ઇ અને મોટી ઈ તથા ઊંધો સાતડો અને છત્તો સાતડો ભલે કહેતા હોઈએ પણ એ ભેદ જો ભાષામાં ન જળવાય તો ભાષા બેસૂરી બની જાય, કાનમાં વાગે. વેદની ઋચાઓના પઠનમાં જોડણીની બારીકી સમજીને ઉચ્ચારણ કરવાનું હોય. આ શાસ્ત્રીય પરંપરાની સાથે પેલું કરવાના ઇરાદાથી આવેલી ઊંઝા જોડણીવાળી ગૅન્ગ સામે અમે તલવાર લઈને મેદાનમાં ઉતરેલા. છેવટે બધાને કબરભેગા કર્યા.

ભાષાનાં બાલબચ્ચાં જેવી બોલીઓને એનું પોતાનું માધુર્ય છે. જ્યૉર્જ બર્નાર્ડ શોએ ‘પિગ્મેલિયન’માં બ્રિટનના વિવિધ પ્રદેશોમાં બોલાતી અંગ્રેજી ભાષાની બોલીઓનું મેઘધનુષ રચીને અંગ્રેજીની સમૃદ્ધિનો, એના વ્યાપનો ખ્યાલ આપણને આપ્યો. એના પરથી બનેલી ફિલ્મ ‘માય ફેર લેડી’ તમે જોઈ હશે- ઑડ્રી હૅપ્બર્ન અને રેક્સ હૅરિસનવાળી. ગુજરાતીમાં આ નાટકનું રૂપાંતર ‘સંતુ રંગીલી’ના નામે ગુજરાતી સાહિત્યના લિવિંગ લેજન્ડ મધુ રાયે કર્યું અને તખ્તા પર સરિતા જોષી તથા પ્રવીણ જોષીએ એને અમર કર્યું. દક્ષિણ ગુજરાતથી માંડીને ચરોતર, મહેસાણા, કાઠિયાવાડ સુધીની અનેક બોલીઓના સમૃદ્ધ વારસાને મધુ રાયે તખ્તા પર પોતાની આગવી લેખન શૈલીથી જીવંત કર્યો. મરાઠીમાં આ જ સ્ક્રિપ્ટનું ટ્રાન્સલેશન પુ. લ. દેશપાંડેએ કર્યું- ભક્તિ બર્વે અને સતીષ દુભાષીએ લીડ રોલ કર્યા. મુંબઈની મરાઠી જુદી, નાસિક-કોલ્હાપુર-સાંગલીની મરાઠી જુદી જુદી.

ગુજરાતી ભાષાને પ્રેમ કરનારાઓ આ પ્રેમની અભિવ્યક્તિ માટે પોતપોતાના રસ્તાઓ શોધી લેતા હોય છે. મધુ રાયે ‘સંતુ રંગીલી’ દ્વારા ગુજરાતી ભાષાને વહાલ કર્યું. કોઈ કમર્શિયલ નાટકમાં આવી ઉમદા સાહિત્યિક પંક્તિઓ સાંભળી છે કદી?

આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ;
ઘાસચાસની પાસ પણ, વિશ્વપતિનો વાસ.

આ પંક્તિઓનો ઉપયોગ નાટકમાં સંતુને ‘સ’, ‘શ’ અને ‘ષ’ના ઉચ્ચારભેદ શીખવાડવા થાય છે. આ પંક્તિઓ કોણે લખી? 1820માં જન્મેલા દલપતરામે. એમની પેલી ફેમસ પ્રાર્થનાના ત્રીજા અંતરામાં આ પંક્તિઓ આવે છે. કઈ ફેમસ પ્રાર્થના?

ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ,
ગુણ તારાં નિત ગાઈએ, થાય અમારાં કામ;
હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ,
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજે માફ.

આ કવિતાનો બીજો બંધ છેઃ

પરોઢિયે નિત ઊઠીને લેવું ઇશ્વર નામ,
દાતણ કરી નાહ્યા પછી કરવા પાઠ તમામ;
કહું કરો માબાપનું દો મોટાંને માન,
ગુરુને બાપ સમા ગણશો મળશે સારું જ્ઞાન,

હવે આપણાવાળી વાત આવે છેઃ

આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ,
ઘાસચાસની પાસ પણ, વિશ્વપતિનો વાસ;
ભોંયમાં પેસી ભોંયરે કરીએ છાની વાત,
ઘડીએ મનમાં ઘાટ તે જાણે જગનો તાત.

ઈશ્વરથી કોઈ વાત છાની રહેતી નથી. આપણી માતૃભાષાને આપણે કેટલું ચાહીએ છીએ એ વાત પણ છાની રહેતી નથી.

આજનો વિચાર

તમને જે જે કંઈ કહેવામાં આવી છે તે બધી વાતોને ફરીથી જોખીતોળી જુઓ. એમાંથી તમારા આત્માનું જે અપમાન કરતી હોય એ બધી જ વાતોને ઉકરડે નાખો.

– વૉલ્ટ વ્હિટમન (અમેરિકન કવિ, નિબંધકાર, પત્રકાર, ૧૮૧૯-૧૮૯૨. એમના જગપ્રસિદ્ધ કાવ્યસંગ્રહ ‘લીવ્ઝ ઓફ ગ્રાસ’નો સુંદર અનુવાદ હરીન્દ્ર દવેએ કર્યો છે: ‘તૃણપર્ણ’.)

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

1 COMMENT

  1. આપની વાત સાથે સંમત પણ ગુજરાતી ભાષામાં ભણવા વાળો વર્ગ સંકોચન પામતો જાય છે. માત્ર બોલવાથી ભાષા તો કદાચ રહેશે જ પણ એનું સૌંદર્ય કે માધુર્ય એની મીઠાશ ક્યારે ટકે? આપણા સાહિત્યકારો જેમાં ઝવેરચંદ મેઘાણીની જ માત્ર વાત કરીએ તો આજનો ઈંગ્લીશ મીડિયમનું બાળક શું એ વાત વાંચી અને સમજી શકશે દા. ત. કુંડલાના કાઠીએ એનો માલ અરઠીલાની સીમમાંથી પાછો વાળ્યો આમાં માલ એટલે સામાન નહિ પણ ઢોર થાય એ વાત આ બાળક સમજે તો નવાઈ! આવું તો ઘણા બધ સાહિત્યકારોની કૃતિઓમાં બને જ. માનવીની ભવાઈ જેવી ગુજરાતી સાહિત્યની અમાર કૃતિ પણ અંગ્રેજી માધ્યમ વાળું બાળક સમજી જ ન શકે. અનિલ જોશીની એક કવિતાની પંક્તિ :
    કૂવો ઉલેચીને ખેતરમાં વાવ્યો
    ને ઊગ્યો તે બાજરાનો મોલ
    કાંટાની વાળ કૂદી આવ્યો રે આજ
    મારા વાલમનો હરિયાળો કોલ આને સમજી શકે એ બાળકો? વિચારવું રહ્યું અને જેમાં સમજણ કે ઊંડાણ ન હોય એવી માત્ર બોલચાલની ભાષા જો જીવતી હોય તો એને મરણ પથારીએ અસ્તિત્વ ધરાવતી વ્યક્તિ જેટલી જ સમજી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here