વિઘ્નો, પડકારો, મુસીબતો વિનાની જિંદગી ફિક્કી છેઃ સૌરભ શાહ

(લાઉડમાઉથઃ ‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૯ ફેબ્રુઆરી ૨૦૨૨)

બસ, આ એક કામ થઈ જાય તો ગંગા નાહ્યા! દીકરાનાં લગ્ન હો, દીકરીનું ઍડમિશન હો, નોકરી-ધંધાની કોઈ અડચણ દૂર કરવાની હો કે પછી અંગત જીવનની સૌથી મોટી લાગતી સમસ્યાનું નિરાકરણ હો. જીવનનું આ એક વિઘ્ન પાર થઈ જાય એ પછી કોઈ સંઘર્ષ નથી, કોઈ તકલીફો નથી એવું કેટલીવાર વિચાર્યું છે તમે? અને એ કામ થઈ ગયા પછી કે એ વિઘ્ન દૂર થઈ ગયા પછી શું જીવન સડસડાટ ચાલતું રહ્યું છે? જીવનમાં કોઈ વિઘ્નો નથી આવ્યાં?

જે લોકો રાજકારણમાં, ઉદ્યોગજગતમાં, કળાજગતમાં અત્યારે ટોચ પર છે એમની પાસે પૈસા-પ્રતિષ્ઠા વગેરેનો કોઈ પાર નથી. આમ છતાં તેઓ સૌ દિવસ-રાત કામમાં ખૂંપેલા રહે છે.

વિઘ્નો જીવનના છેક છેલ્લા શ્વાસ સુધી આવવાના છે. અંતિમ પળ સુધી યુદ્ધ કરવાનું છે. કારણ કે આપણે જેને વિઘ્નો, સંઘર્ષ કે યુદ્ધ કહીએ છીએ એ જ આપણા અસ્તિત્વને નવી નવી ઊંચાઈઓ આપે છે.

સંતાનોને થાળે પાડી દઈને, બે પૈસા કમાઈને પલાંઠી મારીને બાકીનું જવન વ્યતીત કરનારાઓ માટે આ જગતનું મેઘધનુષ ફિક્કું છે. જીવનમાં આગળ વધવું એટલે માત્ર વધુ પૈસા કમાવવા, વધુ પ્રતિષ્ઠા મેળવવી એવું નહીં. જે લોકો રાજકારણમાં, ઉદ્યોગજગતમાં, કળાજગતમાં અત્યારે ટોચ પર છે એમની પાસે પૈસા-પ્રતિષ્ઠા વગેરેનો કોઈ પાર નથી. આમ છતાં તેઓ સૌ દિવસ-રાત કામમાં ખૂંપેલા રહે છે. કામ કરતી વખતે આમાંના કોઈનેય સિદ્ધિઓ ચાંદીની તાસક પર મૂકીને આપવામાં નથી આવતી. દરેકે દરેક જણે પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરવા માટે સંઘર્ષ કરવો પડતો હોય છે – આ સ્ટેજ પર પહોંચ્યા પછી પણ.

તમારી પાસે બધું જ આવી ગયા પછી, એમાંનું કશું લૂંટાઈ ન જાય એ માટે પણ તમારે યુદ્ધ ચાલુ રાખવાનું છે.

એક પછી એક નવા પડકારો ઉપાડતા રહીએ છીએ ત્યારે આગળ વધીએ છીએ. જે ઘડીએ પડકારો ઉપાડવાનું બંધ કરીને, જે છે તેને સાચવીને બેસી રહેવાની માનસિકતા પ્રવેશશે તે જ ઘડીએ આપણે કાળની ગર્તામાં ધકેલાઈ જઈશું. આ કુદરતી ન્યાય છે. કુદરતને એવા લોકો પ્યારા છે જેઓ પોતાની પ્રવૃત્તિ દ્વારા આ દુનિયામાં પોતપોતાના ગજા પ્રમાણે સતત કશુંક નવું ને નવું ઉમેરતા રહે છે અને સાથોસાથ પોતાનું ગજું, પોતાની ક્ષમતા વધારવાની કોશિશ કરતા રહે છે. આવું કરતી વખતે માર્ગમાં વિઘ્નો આવવાના જ છે. આ વિઘ્નોને દૂર કરવા માટે સંઘર્ષ કરવો જ પડશે. આ સંઘર્ષને યુદ્ધનું નામ આપો તો યુદ્ધ. ઉમાશંકર જોશીએઓ સાચું જ કહ્યું હતુઃ ‘આયુષ્ય છે ત્યાં લગી છે જ યુદ્ધ/કો મૃત્યુ પૂર્વ ન સંપૂર્ણ બુદ્ધ.’

જિંદગી ચાલશે ત્યાં સુધી આ યુદ્ધ તો ચાલવાનું જ છે. તમારી પાસે બધું જ આવી ગયા પછી, એમાંનું કશું લૂંટાઈ ન જાય એ માટે પણ તમારે યુદ્ધ ચાલુ રાખવાનું છે. તમારી પ્રતિભાનો વિસ્તાર થતો રહે, તમારા થકી આ જગતમાં નવું નવું ઉમેરાતું રહે એ માટે પણ તમારે રણમેદાન છોડવાનું નથી.

આપણામાં એક બહુ ખોટી કન્સેપ્ટ મનમાં ઘૂસી ગઈ છે કે અસ્તિત્વ ટકાવી રાખવા માટે જ સંઘર્ષ કરવાનો હોય છે. અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો સંઘર્ષ તો બે પૈસા કમાઈને, સારી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરીને, સંતાનોને ઠેકાણે પાડીને, એલઆઈસી-મેડિક્લેઇમ કઢાવીને પૂરો થઈ જવાનો છે.

અસ્તિત્વ ટકાવી રાખવું એ તો માત્ર પહેલું પગથિયું છે. એના વિના શિખર પર આરોહણ કરવા જવાનું શક્ય નથી. પણ આ પહેલા પગથિયે જ પડ્યા પાથર્યા રહેવું. એ કંઈ જીવનનો હેતુ નથી. હેતુ છે જીવનને ખડતલ બનાવીને શિખર સુધી પહોંચવાનો અને એક શિખર સર કર્યા પછી બીજાં નવાં નવાં શિખરો સર કરવા માટે આરોહણ કરતા રહેવાનો.

સેટલ થતાં થતાં કે સેટલ થઈ ગયા પછી બીજાં અનેક કામ કરવાનાં હોય છે જે તમારા જીવનને વિસ્તારે, તમારામાં રહેલી ક્ષમતાઓને બહાર લાવે, તમારી પ્રતિભાની કસોટી કરે

ખૂબ સંઘર્ષ કર્યો, હવે બહુ થયું; ખૂબ લડાઈઓ લડી, હવે શાંતિથી જીવીએ – આવું વિચારીએ છીએ ત્યારે જીવન સમાપ્ત થઈ જાય છે, માત્ર આયુષ્ય બાકી રહે છે અને એ બાકી રહેલા આયુષ્યનાં વર્ષોની મંદ-સ્થિર ગતિ આપણને જીવતે જીવ મારી નાખે છે.

જીવનમાં પાયાની કહેવાય એવી આ બધી વાતો સાઠ-સિત્તેર કે એંશી વર્ષે શીખવા બેસવાની ન હોય. નાનપણથી જ જીવનમાં વણાઈ જવી જોઈએ. પેરન્ટ્સ તરફથી જે સંસ્કારો મળે એમાં ગૂંથાઈ જવી જોઈએ કે લાઇફમાં સેટલ થઈ જવું એ જ એકમાત્ર હેતુ ન હોઈ શકે. સેટલ થતાં થતાં કે સેટલ થઈ ગયા પછી બીજાં અનેક કામ કરવાનાં હોય છે જે તમારા જીવનને વિસ્તારે, તમારામાં રહેલી ક્ષમતાઓને બહાર લાવે, તમારી પ્રતિભાની કસોટી કરે, તમારા સુવર્ણને તપાવીને એમાંની અશુદ્ધિઓ દૂર કરે અને તમને ઉજાળે એટલું જ નહીં તમારા થકી આ દુનિયાનું અજવાળું પણ વધે.

પ્રતિકૂળ સંજોગોને અનુકૂળ બનાવવાની મથામણ કરતાં કરતાં જ જીવનનો સાચો મર્મ જડે છે.

ભગવાને આ જિંદગી નિરંતર આરામ કરવા માટે કે કાયમી જલસા કરવા માટે નથી બનાવી. આરામનું અને જલસાનું મહત્ત્વ છે, રિચાર્જ થવા માટે, નવા જોમથી ફરી કામ કરવાની ઊર્જા મળે એ માટે. બાકી તો કામ સતત નવું નવું કામ એ જ જીવનનો મૂળ હેતુ છે. બાકીની બધી જ પ્રવૃત્તિઓ આ હેતુને પરિપૂર્ણ કરવા માટેની સુવિધાઓ સમક્ષ છે. અને કામ કરતાં રહેવું હશે, નવું નવું કામ કરીને આગળ વધતાં રહેવું હશે તો અંતરાયો આવવાના જ છે, આ વિઘ્નો દૂર કરવામાં સંઘર્ષ થવાનો જ છે. આ સમજ જિંદગીમાં જેટલી વહેલી આવી જાય એટલું સારું. ન આવી હોય તો ભલે અત્યારે આવતી.

ચિંતામુક્ત થઈ જવા માટે નિવૃત્તિ લઈને બેસી રહેવું કે નિષ્ક્રિય થઈ જવું એ તો દ્રોહ થયો કુદરતનો. પ્રતિકૂળ સંજોગોને અનુકૂળ બનાવવાની મથામણ કરતાં કરતાં જ જીવનનો સાચો મર્મ જડે છે. રણમેદાન કે યુદ્ધભૂમિ એ જ સાચું ઘર છે – પુરુષાર્થવાદીઓ માટે, પુરુષાતનથી ભર્યા મનુષ્યો માટે.

થાક્યા વિના, હાર્યા વિના, પોતાની જે કંઈ ક્ષમતા છે તેને પૂરેપૂરી નીચોવીને જે સતત નિષ્ઠાથી લાડ લડાવે છે અને એની બધી મનોકામનાઓ પૂરી કરતો રહે છે.

રોજ એક નવો દિવસ ઊગે છે ત્યારે એ નવા પડકારો સાથે આવે છે. આજે તો ખાઈપીને જલસા કરીશું એવો સંદેશો સૂરજ નથી લાવતો. 360 દિવસ સુધી દિનરાત સંઘર્ષ ચાલવાનો છે અને એ સંઘર્ષને માણતાં રહીને જિંદગી ખુશીઓથી ભરી દેવાની છે. વિઘ્નોને પાર કરીએ છીએ ત્યારે પ્રસન્નતાનું નિર્માણ થાય છે. આ પ્રસન્નતા એગક ઔર લડાઈ લડવાનું બળ પૂરું પાડે છે.

માનસિક-શારીરિક સંઘર્ષ, કઠણાઈઓથી હર્યુંભર્યું જીવન માણસને કસે છે. આ કસરતથી એનું જીવન ખડતલ બને છે. દુનિયા આવા ખડતલ માણસોથી આગળ વધે છે, માંદલા લોકોનું કામ નથી અહીંયા. સુસ્ત, આળસુ, પરોપજીવી, બેજવાબદાર કે બેદરકાર લોકો દુનિયા પર બોજા સમાન છે. થાક્યા વિના, હાર્યા વિના, પોતાની જે કંઈ ક્ષમતા છે તેને પૂરેપૂરી નીચોવીને જે સતત નિષ્ઠાથી લાડ લડાવે છે અને એની બધી મનોકામનાઓ પૂરી કરતો રહે છે.

છેલ્લા શ્વાસ સુધી યુદ્ધ કરતાં રહેવાનું જોમ મળે એ માટે ભગવાન પાસે ચાર આશીર્વાદ માગવાના. એક તો આરોગ્ય, બીજું જ્ઞાન, ત્રીજું વરદાન સંબંધોનું માગવાનું અ ચોથી માગણી ધનવૈભવની કરવાની. આ ચારેય આશીર્વાદ ભગવાન ત્યારે આપે જ્યારે એની પ્રાપ્તિ માટે આપણે પોતે પૂરતી મહેનત કરી હોય. આપણે કરેલી મહેનત તરફ ભગવાનનું ધ્યાન જાય છે તયારે જ એ આશીર્વાદ મોકલે છે. ભગવાનનું ધ્યાન જલદી આકર્ષાય એ માટે વધુ મહેનત કરવી પડે – આરોગ્ય જાળવવા/સુધારવા, નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરવા, સંબંધો બાંધવા/સાચવવા/સુધારવા અને ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત કરવા.

આ આશીર્વાદ મળ્યા પછી આ જીવન યુદ્ધ કરવાની શક્તિ આપશે કે પછી આજીવન યુદ્ધ કરતાં રહેવાનો સંકલ્પ અમલમાં મૂકવાને કારણે આ ચાર આશીર્વાદ પ્રાપ્ત થશે? ખબર નથી. બેઉ શક્ય છે.

વિઘ્નોથી કે અડચણોથી થાકી ન જઈએ, એ છો તો જીવવાની મઝા છે.

સાયલન્સ પ્લીઝ!

ઝરનોં સે ઇતના મધુર સંગીત કભી ન સુનાઈ દેતા અગર રાહોં મેં ઉનકે પત્થર ન હોતે.

– એક મિત્રનું વૉટ્સએપ સ્ટેટસ

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!

—સૌ.શા.

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

11 COMMENTS

  1. मज्जा આવી ગઇ.
    Boss કરવું શું? તે પ્રશ્ન ખૂબ અઘરો છે.

    • Loved the article.. I used to read your morning column in Bombay samachar and MidDay. Today is time since I am able to read good anytical article from your typical nib.

  2. જિંદગી પ્રત્યેના અભિગમ વિશે નવી રીતે વિચારવાની દ્રષ્ટિ. સંઘર્ષના દિવસો પછી મન ગમતી પ્રવૃતિ કરી શકાય તો તે શાંતિથી વધારે આનંદદાયક છે. ખૂબ સુંદર લેખ.

  3. બહુ જ હૃદયસ્પર્શી રીતે કહ્યું છે. મારા એક સંબંધી કે જે એક ડૉક્ટર છે. એ હમેશ કહ્યા કરે કે બસ, હવે શાંતિ થી બેસવું છે. ત્યારે હું તેનો વિરોધ કરતો હોઉં છું. પણ તમારા જેવી સચોટતા થી કહેવા જેટલી માં સરસ્વતીની મને કૃપા નથી. આ લેખ એને વંચાવવા એને ત્યાં જવાનો છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here