તમે અને તમારું માનસિક વાતાવરણ, તમારું ભૌતિક વાતાવરણ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : ગુરુવાર, ૪ માર્ચ ૨૦૨૧)

જેવા વાતાવરણમાં આપણે ચોવીસમાંથી વધુમાં વધુ કલાક ગાળીએ છીએ, છેવટે એવા જ બની જઈએ છીએ. એ વાતાવરણ માનસિક પણ હોય અને ભૌતિક પણ હોય. આવું થાય ત્યારે એના ફાયદા-ગેરફાયદા બેઉ થાય. વાતાવરણ અને તમારું આંતરિક સત્વ, તમારો સ્વ-ભાવ, તમારું પોતાનાપણું જો એકબીજા સાથે તાલ મિલાવતું હોય અને તમારી હેસિયત એ વાતાવરણને ઝીલવાની હોય તો તમે તમારા વાતાવરણવાળા ક્ષેત્રમાં ક્યાંના ક્યાં પહોંચી જાઓ.

પણ જો વાતાવરણ સાથે તમારી જાતનો મેળ ન પડતો હોય અથવા એ વાતાવરણને પામવાની તમારી ત્રેવડ ન હોય તો તમે હતાશ-નિરાશ થઈને ડૂચા જેવી જિંદગી જીવતા થઈ જાઓ.

માનસિક વાતાવરણ બહુ મોટો ભાગ ભજવે છે તમારું વ્યક્તિત્વ ઘડવામાં. માબાપોએ નાનપણથી જ સંતાનો માટે આ ધ્યાન રાખવું જોઈએ અને બાર-તેર વર્ષના થયા પછી, જરાક સમજણા થયા પછી, સંતાનોએ ખુદ પોતાનું માનસિક વાતાવરણ પોતાના જેવું જોઈએ છે એ રીતનું સર્જવાના પ્રયત્નો શરૂ કરી દેવા જોઈએ. વખત જતાં, દસ-બાર વર્ષ પછી, પચ્ચીસીની ઉંમરથી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી, દરેક વ્યક્તિએ પોતાના માનસિક વાતાવરણ માટે સતત જાગ્રત રહેવું જોઈએ. ખાવાપીવા કે પહેરવાઓઢવા માટે આપણે કેટલા સાવચેત રહીએ છીએ. એવી જ રીતે. ક્યારેય આપણે જૂની, વાસી, ઊતરી ગયેલી રસોઈ મોઢામાં મૂકતા નથી. ગંદા કપડાં, ફાટેલાં કપડાં પહેરતાં નથી . ભોજન-કપડાંની જેમ આપણા માનસિક વાતાવરણને પૌષ્ટિક બનાવે એવા વિચારો સિવાયના ઊતરી ગયેલા અને ફાટી ગયેલા વિચારોને મનમાં પ્રવેશવા દેવા જોઈએ નહીં. એવું જ જોવા-સાંભળવાની બાબતમાં. આંખ-કાન દ્વારા તમારામાં શું શું પ્રવેશશે અને શું નહીં એનું ધ્યાન તમારે પોતે રાખવાનું છે. ટીવીની ચેનલોને કે પડોશી સાથેની કૂથલીને તમારે તમારા માનસિક વાતાવરણમાં પ્રવેશવા દેવી હોય તો તમારી મરજી. રોજ સવારે ઊઠીને ઘરમાં છાપાં વેરવિખેર કરીને વાંચવાં છે કે પ્રાર્થનાના, યોગાભ્યાસના, શાસ્ત્રીય સંગીતના કે પછી એકદમ શાંતિના વાતાવરણમાં તમારે રહેવું છે એ તમારે નક્કી કરવાનું. તમારું ભૌતિક વાતાવરણ તમારા માનસિક વાતાવરણ પર અસર કરે છે, કરે છે ને કરે જ છે. ઘરમાં પરિવારજનોનો કકળાટ સહન કરવાને બદલે દિવસ દરમ્યાન ત્યાંથી છટકીને લાયબ્રેરીમાં જતા રહો કે કામધંધે જતા રહો. પરિવારના સભ્યો જો તમારા વાતાવરણને અનુકૂળ થઈ શકે એવા હોય, તમારા વાતાવરણને કાળજીપૂર્વક ઉછેરીને એને ખાતર-પાણી આપી શકવાની પાત્રતા ધરાવતા હોય તો તમારા જેવું નસીબદાર બીજું કોઈ નહીં. અન્યથા એમનાથી દૂર થઈ જાઓ જેથી એ તમને નડે નહીં, તમે એમને નડો નહીં. સંબંધોમાં કકળાટ વધારવા કરતાં શૂન્યાવકાશ થઈ જાય તે વધુ સારું.

તમારા દિમાગમાં સતત જેનું રટણ ચાલતું હશે એ જ દિશામાં તમે આગળ વધવાના. મારે મહાન અભિનેતા બનવું છે એવું રટણ કર્યા કરશો તો એકને એક દિવસ તમે અભિનયના ક્ષેત્રમાં જરૂર આવી જવાના. કસોટી હવે થશે. તમારામાં જો એક્‌ટિંગ કરવાની ખરેખર પ્રતિભા હશે તો તમે આકાશને આંબી જશો. તમારું ભૌતિક વાતાવરણ પણ એટલો જ મોટો ભાગ ભજવશે જેટલો મહત્વનો રોલ તમારું માનસિક વાતાવરણ ભજવે છે. રાજકારણમાં પણ આવું બનતું હોય છે, ઉદ્યોગક્ષેત્ર અને પત્રકારત્વ સહિત દરેક ક્ષેત્રમાં આવું બનતું હોય છે. તમારું ભૌતિક વાતાવરણ આત્મસાત કરવાની પાત્રતા તમારામાં હોવી જોઈએ. તમારું ભૌતિક વાતાવરણ ઝીલવાની હેસિયત હોવી જોઈએ તમારામાં. અને જો આ ભૌતિક વાતાવરણનો મેળ જો તમારા માનસિક વાતાવરણ સાથે ન જામતો હોય તો એની ભ્રમણકક્ષામાંથી છૂટીને, એને ફગાવીને તમને પોષે એવું તમારા માનસિક વાતાવરણને અનુકૂળ હોય એવું ભૌતિક વાતાવરણ બનાવી લેવાની તાકાત તમારામાં હોવી જોઈએ. આવી તાકાત ન હોય તો ‘મારા વાતાવરણનો જ બધો વાંક છે’ એવી છટકબારીનો ઉપયોગ નહીં કરવાનો. શરીર તમારું ખેંખલું હોય અને તમે કોઈ પહેલવાન સાથે કુસ્તી ન લડી શકો તો એમાં વાંક તમારો. તમારા શરીરને પહેલવાન જેવું બનાવવાની જવાબદારી તમારી પોતાની હોય, જેની સાથે કુસ્તી લડવા જાઓ છો એની નહીં.

તમારું ભૌતિક વાતાવરણ કેવું છે એનું તમે નિરીક્ષણ કરો પછી નક્કી કરો કે એ તમને અનુરૂપ છે કે નહીં. તમારી જિંદગીને એ ઉપયોગી થાય તે માટે તમારે એ ભૌતિક વાતાવરણમાં કેવા ફેરફાર કરવા છે અથવા એ વાતાવરણનો તમે પૂરતો ઉપયોગ કરી શકો એ માટે તમારે તમારામાં કેવા કેવા ફેરફારો કરવા જોઈએ. આ તો થઈ ભૌતિક વાતાવરણ તમારા માનસિક વાતાવરણ સાથે મેળ ખાતું હોય ત્યારની.

પણ ભૌતિક વાતાવરણ તમારા માનસિક વાતાવરણને બિલકુલ અનુરૂપ ન હોય તો? તમારે સંતુરવાદક બનવું છે પણ કુટુંબની કરિયાણાની દુકાન છે તો? તો તમારે એ ભૌતિક વાતાવરણમાંથી છૂટવા માટેની તાકાત કેળવવી પડે. એ માટે જે કંઈ સંઘર્ષ કરવો પડે, જે કંઈ ઘા સહન કરવા પડે, જે કંઈ જતું કરવું પડે તે કરવાની તૈયારી જોઈએ. મને તો ખૂબ મન હતું સંતુરવાદક બનવાનું પણ કરિયાણું વેચવાના ધંધામાંથી ફુરસદ ન મળી એવી ફરિયાદ કરશો તો બીજાઓ કદાચ તમારા માટે સહાનુભૂતિ દેખાડશે પણ તમારા અંતરાત્માને તો ખબર હશે કે આ બહાનું છે. તમારામાં ત્રેવડ નહોતી કે તમે તમારા ભૌતિક વાતાવરણને ફગાવી શકો, તમારામાં હેસિયત નહોતી કે તમે તમારા માનસિક વાતાવરણને ઓપ આપે એવું ભૌતિક વાતાવરણ સર્જી શકો.

તમારે ખૂબ મોટા લેખક બનવું હોય પણ તમારા મનમાં સતત એ જ વિચારો ચાલ્યા કરતા હોય કે લેખનમાંથી ખૂબ પૈસા કમાઈશ, એ પૈસાને આવી રીતે વાપરીશ, ખૂબ પ્રસિદ્ધ થઈશ, લોકો મારી સાથે સેલ્ફી લેવા પડાપડી કરશે, મારી લોકપ્રિયતાનો હું અમુકતમુક રીતે ઉપયોગ કરીશ તો તમે ક્યારેય મોટા લેખક બની શકવાના નથી. મોટા લેખક બનવું હોય તો તમારું માનસિક વાતાવરણ સર્જન માટેના નવા નવા વિચારોથી સતત છલકાતું રહેવું જોઈએ, બીજા કોઈપણ વિચારોથી ફંટાયા તો ગયા કામથી. ફેક્‌ટરી નાખવાની હોંશ હોય તો ઉત્પાદન, સેલ્સ, મેનેજમેન્ટ અને ફાઈનાન્સના વિચારોથી મગજ ઊભરાતું હોવું જોઈએ. પ્રોફિટમાંથી સ્વિત્ઝરલેન્ડ ફરવા જવાના કે નવો બંગલો, મોંઘી ગાડીમાં ફરવાના વિચારોથી જો માનસિક વાતાવરણ છલકાતું હશે તો તમારી ફેક્‌ટરી ગઈ પાણીમાં.

માનસિક વાતાવરણ કેવું હોવું જોઈએ ને કેવું નહીં તે તમારા હાથમાં છે. ભૌતિક વાતાવરણને પણ તમે તમારી મરજી મુજબનું બનાવી શકો છો.

આ બેઉ વાતો સીધીસરળ નથી, સહેલી પણ નથી. જિંદગીમાં બધું જ કંઈ બગાસું ખાતાં પતાસું મોઢામાં આવી જાય એ રીતે મળવાનું નથી. મહેનત કરવી પડે, પરસેવો પાડવો પડે, ઘણું બધું જતું પણ કરવું પડે. તમારે નક્કી કરવાનું કે તમારા માટે વધુ મૂલ્યવાન શું છે. પછી જે વિકલ્પ પસંદ કરો તેને કચકચાવીને વળગી રહેવાનું.

જિંદગીમાં કોઈ પણ તબક્કે અફસોસ નહીં કરવાનો. ક્યારેય તમે તમારી પરિસ્થિતિ કે તમારા વાતાવરણને દોષ નહીં દેતા. કારણ કે એ વાતાવરણને બદલવાનો વિકલ્પ તમારી પાસે હતો, આજે પણ છે.

આજનો વિચાર

અનિષ્ટના આકર્ષણથી મનને બચાવતા રહેવું એ જો એક જાતની તપશ્ચર્યા છે તો ઈષ્ટ પ્રત્યે મનમાં આકર્ષણ ઊભું કરતાં રહેવું એ એક જાતની સાધના છે.

— આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. Excellent article , sir. Generally we keep on complaining about our surroundings…instead of trying to change it….instead of working hard on our ambition.

  2. એકદમ સચોટ રજૂઆત.
    ખરેખર ! આજુબાજુનું અને ઘરનું વાતાવરણ આપણા મન પર ઘણી જ અસર કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here