જિંદગીનો એક જ હેતુ છે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શુક્રવાર, ૫ માર્ચ ૨૦૨૧)

જિંદગીનો હેતુ શું, મકસદ શું એવો સવાલ લઈને લોકો પોતપોતાના ગુરુઓ પાસે ભટક્યા કરે છે. મોટાભાગના લોકો ગુરુઓની વાત સમજી શકતા નથી અને ભટકી જાય છે.

જિંદગીનો અર્થ/હેતુ/મકસદ/ગોલ શોધવા જવાનું જ ન હોય. એ આપોઆપ મળી જતો હોય છે. કોઈને પૂછવાથી નથી મળતો. કોઈ તમને કહે કે તમારી જિંદગીનો (કે પછી દરેકની કે કોઈની પણ જિંદગીનો) અર્થ/હેતુ/મકસદ/ગોલ ફલાણો છે તો એ ઉછીનો જવાબ તમને ફિટ થાય કે ન પણ થાય. મોટે ભાગે તો ન જ થાય. જે યાત્રા તમારી છે, તમારે જ કરવાની છે એની મંઝિલ બીજું કોઈ કેવી રીતે તય કરે? એ તો આપોઆપ તમને મળી જશે. તમારે કરવાનું એટલું જ કે ચાલ્યા કરવાનું. થાક લાગે ત્યારે થોડોક વિસામો લઈ ફરી ચાલવા માંડવાનું. ચાલતાં ચાલતાં આપોઆપ એ રસ્તો તમને તમારી મંઝિલ સુધી પહોંચાડશે. બસ ફક્ત એક શરત છે.

કઈ શરત?

તમારે તમારી જાતને બહેતર બનાવતાં રહેવાનું. આટલી સભાનતા જોઈએ. આટલી જાગૃતિ ન હોય તો આપણામાં અને ચોપગા પ્રાણીમાં કોઈ ફરક નથી. જાતને બહેતર બનાવવી એટલે શું? એને માપવા માટેની કોઈ ફૂટપટ્ટી છે? કોઈ યંત્ર કે સાધન છે?

એ સાધન તમારે તમારા માટે બનાવી લેવાનું. દરેક માટે એ કસ્ટમ મેઈડ હોવાનું. એટલે જ કુદરતે રેડીમેડ બનાવીને તમને આપ્યું નથી. આંગળાંની છાપને જેમ દુનિયાની દરેક વ્યક્તિ માટે એ સાધન એનું પોતાનું હોવાનું.

રોજ સવારે ઊઠીને પથારીમાંથી બહાર પગ મૂકતાં પહેલાં આ વિચાર મનમાં કરવોઃ ગઈ કાલ કરતાં આજે મારી જાતને મારે વધુ સારી બનાવવાની છે.

બસ, આટલો જ વિચાર કરવાનો. ડીટેલમાં નહીં જવાનું. પછી નહાઈધોઈને તૈયાર થતી વખતે વિગતોમાં ઉતરવાનું. મનોમન વિચારવાનું કે ગઈ કાલે મેં એવું શું શું કર્યું જેમાં ઇમ્પ્રુવ કરવાની મને જરૂર છે. ગઈ કાલે મેં સાઈડ બતાવ્યા વિના અચાનક જ ટર્ન લીધો. ઓકે. આજે એવું નહીં થાય. ગઈ કાલે સવારના નાસ્તાની બાબતમાં અમસ્તું જ મેં ઘરમાં રમખાણ કર્યું હતું. આજે એવી જ પરિસ્થિતિ હશે તો પણ મારી પ્રતિક્રિયા, મારી બીહેવિયર ગઈ કાલ જેવી આકરી નહીં હોય. ગઈ કાલે ટીવી પર નેટફ્‌લિક્‌સ ચાલુ કરવામાં રિમોટનાં બટન આડાઅવળાં દબાઇ ગયાં. આજે પહેલેથી જ બરાબર સમજી લઈશ જેથી ગોટાળો ન થાય.

આપણી મુસીબત એ છે કે આપણે સેલ્ફ ઈન્ટ્રોસ્પેક્‌શન કરતા નથી અને કોઈ મહાત્માના કહેવાથી કરીએ છીએ ત્યારે બહુ ભેદભરમની વાતોમાં સ્યુડો ફિલોસોફિકલ વાતોમાં સરી પડીને ગોટાળે ચડી જઈએ છીએ. આત્મચિંતન કરવા માટે અટપટા માર્ગે ચડી જવું જરૂરી નથી. એવા રવાડે કોઈ ચડાવતું હોય તો પાછા વળી જવું. આત્મચિંતનનો સીધોસાદો રસ્તો છે. રોજબરોજની નાનીનાની વર્તણૂકો વિશે પુનર્વિચાર કરવો અને એમાં જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય ફેરફારો કરવા.

રાત્રે પથારીમાં સૂતાં પહેલાં બે મિનિટની સમીક્ષા કરી લેવાની. સવારે તૈયાર થતી વખતે જે જે બાબતોમાં ઇમ્પ્રુવ થવાનું ધાર્યું હતું ત્યાં સુધારો થયો કે નહીં? ન થયો તો શા માટે ન થયો. અને નક્કી કરવાનું કે કાલે આ બાબતે સુધારો કરવાનો છે.

જાતને બહેતર બનાવવાની આ તદ્દન સીધી ને સરળ પ્રોસેસ છે. એના માટે ન તો કોઈ પહાડ જેવા સંકલ્પોની જરૂર છે, ન કોઈ વિલ પાવરની આવશ્યકતા છે, ન કોઈ સંત-મહાત્માને એ બાબતે ડિસ્ટર્બ કરવાની જરૂર છે.

જિંદગીનો જો કોઈ હેતુ હોય તો તે એક જ છે – જાતને બહેતર બનાવતાં જવું. અને જાતને બહેતર બનાવતાં બનાવતાં જ જિંદગીનો હેતુ શું છે એનો જવાબ મળી જશે. આ ગોળગોળ લાગતી વાત વાસ્તવમાં એકમેક સાથે અવિભાજ્યપણે જોડાયેલી છે. આ કોઈ ચબરાકીભર્યાં કે ચાલાકીભર્યાં વાક્યો નથી. આમાં વાક્‌ચાતુરી નથી પણ જિંદગીનું ગાંભીર્ય અને ઊંડાણ સમાયેલાં છે. જિંદગીનો હેતુ અને જાતને બહેતર બનાવ્યા કરવાની પ્રક્રિયા – આ બંનેનું અસ્તિત્વ એકબીજાને કારણે છે અને આ બેમાંથી કોઈ એક ન હોય તો પછી બીજાનું કોઈ અસ્તિત્વ નથી.

ધારો કે અત્યારે તમે એવાં કામોમાં પ્રવૃત્ત છો જેમાં તમને ‘મઝા’ નથી આવતી. તમે એવી પ્રવૃત્તિઓમાંથી આજીવિકા કમાઈ રહ્યા છો જે ક્ષેત્રમાં આવવાની તમારી કોઈ ઈચ્છા નહોતી. તમને લાગે છે કે તમારી જિંદગીનો હેતુ/મકસદ/ગોલ/અર્થ કંઈક જુદો જ છે અને અત્યારે તમે અટવાઈ ગયા છો, ભૂલા પડ્યા છો, તમારો સમય બરબાદ કરી રહ્યા છો.

આવી પરિસ્થિતિમાં પણ તમારે રોજેરોજ તમારી જાતને બહેતર બનાવવાની જે પ્રક્રિયા છે એમાં ઓતપ્રોત કરી દેવી જોઈએ. તમારે કારના શો રૂમના માલિક થવું છે પણ ત્યારે પંક્ચર રિપેરિંગની ટપરી છે તો પણ તમારે રોજેરોજ તમે વધુ ને વધુ સારી રીતે પંક્ચર કેવી રીતે રિપેર કરી શકો એમ છો એ વિશે સભાન રહેવું જોઈએ. પંક્ચર રિપેરિંગની બાબતમાં નિપુણતા સાધીને તમે કંઈ આપોઆપ કારના શો રૂમના માલિક નથી બની જવાના. એ માટે તો બીજું ઘણું બધું જોઈએ અને પાત્રતા પણ જોઈએ – મોટો કારોબાર હૅન્ડલ કરવાની, ફાઈનાન્સ અને કર્મચારીઓને મૅનેજ કરવાની. પણ જો તમને નાનામાં નાનું કામ એકાગ્ર બનીને કરવાની ટેવ પડી હશે તો પંક્ચર રિપેરરમાંથી કાર શો રૂમના માલિક સુધીની તમારી યાત્રા દરમ્યાન ઓછામાં ઓછી અડચણો આવવાની.

જિંદગીને સમજવી બહુ આસાન છે. જીવન એકદમ હળવુંફુલ છે. એને કૉમ્પ્લિકેટેડ બનાવી દેનારાઓથી દૂર રહીએ. જીવનની હળવાશને ભારેખમ બનાવી દેનારાઓથી ડિસ્ટન્સ રાખીએ.

આજનો વિચાર

જે કંઈ કરવું તેમાં પૂરેપૂરા ખર્ચાઈ જવું. અન્યથા ન કરવું.

— અજ્ઞાત

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

6 COMMENTS

  1. મને તમારી સરળતા ગમી.

    માનવ જીવનનો હેતુ સમજવાનો પ્રયાસ બહુ બધા લોકોએ કર્યો છે અને ખૂબ જ ગૂંચવણ ઉભી કરી છે.

    સરળ સમજ હોવાનો ફાયદો છે. પણ સમજ સાચી છે તે કોણ કહી શકે?

    તે જ વ્યક્તિ જે જીવનનો સાચો હેતુ અને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ થઈ હોય. શું આજના સમયમાં આવી વ્યક્તિ આપણી વચ્ચે હોવાનું શક્ય છે?

    મારો જવાબ “હા” છે. પણ આવી વ્યક્તિને ઓળખવાનું મોટા ભાગના લોકોનું ગજું નથી કારણ કે આ અનુભવનો વિષય છે. મોટા ભાગના લોકો તેને તર્કથી મૂલવવાનો પ્રયત્ન કરતા હોવાથી અસફળ રહે છે.

    મારી સમજ મુજબ “ઈશ્વર સાથે વાતચીત” (Conversations with God) નામની ચોપડી બહુજ સુંદર રીતે જીવનનો હેતુ શું છે તે સરળ રીતે સમજાવવાનો સરસ પ્રયાસ છે. આ ચોપડી વાંચવાથી આ વિષય વિશે એક ચોક્કસ સમજણ વિકસવાની શક્યતા ઉભી થાય છે.

    પણ જે આ વિષયનો પ્રત્યક્ષ અનુભવ કરવા માંગે છે તેના માર્ગ પોતાની આંખ બંધ કરીને હ્રદયમાં રહેલા ઈશ્વરને ખરા દિલથી પ્રાર્થના કરવા સિવાય બીજો કોઈ નથી.

  2. વાહહહહ , સર. આપની આ વાત મને બહુ જ ગમી. કોઈ ખોટી ચર્ચા – વિચારણા કર્યાં વગર , કોઈ ઉપદેશના મોટા થોથા વાંચ્યા વગર , કોઈ મોટીવેશનલ સ્પીચ વગર , આપે જીવન જીવવાનો હેતૂ…. એને બહેતર બનાવવાનો સરળ માર્ગ જે સૂઝાડ્યો છે…. માન ગયે ??સર , આજથી જ નહીં પણ આ ઘડીથી આપનું આ સૂચન હું મારા માટે અમલમાં મૂકુ છુ અને મારી જાતને…. મારા જીવનને વધુ અને વધુ બહેતરીન બનાવવાનું આપને હું વચન આપું છું.

  3. વર્તમાન શિક્ષણ જગતમાં થતા પરિવર્તનો અને વાસ્તવિકતાથી અળગા રહેલા નિયમોની વણજાર અંગે આપશ્રીનું મંતવ્ય, લેખનીને આગામી કોલમમાં સ્થાન આપવા વિનંતી.

  4. તમારી વાતોએ ફાધર વાલેસની યાદ અપાવી દીધી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here