તમને લડાવી મારનારા આડતિયાઓ અને બનાવટી શુભેચ્છકોને ઓળખો

તડકભડક

સૌરભ શાહ

બે વ્યક્તિઓને લડાવવાનું કામ સહેલું છે. સમાજના બે વર્ગને આપસમાં ઉશ્કેરીને લડાવવાનું કામ પણ સહેલું છે. અઘરું જે છે તે બેઉને ભેગા કરવાનું તે વ્યક્તિ હોય કે સમાજ.

પેલાં તો તારા વિશે આમ કહેતો હતો કે પેલી તો તારા વિશે તેમ કહેતી હતી એવું તમને જ્યારે સંભળાવવામાં આવે છે. ત્યારે કહેનાર તમારો ગમે એટલો મોટો હિતેચ્છુ હોય તોય એ કામ તો તમારા દુશ્મનનું જ કરે છે. જેણે તમારા વિશે આડુંઅવળું કહ્યું હોય એની અમે તમારી વચ્ચેની ખાઈ પહોળી કરીને તમારો પ્રેમ જીતવા માગનારા આડતિયાઓ ઘણા હોય છે આ સમાજમાં. કોઈ પરિચિત મને ફોન કરીને કે મેસેજ મૂકીને જણાવે. કે ફલાણાએ તમારા વિશે આવું ડિરોગેટરી કહ્યું છે કે લખ્યું છે તો તરત સૌથી પહેલી શંકા મને આવો સંદેશો આપનાર પેલી પરિચિત વ્યક્તિ વિશે એ આવે કે આવો સંદેશો આપવા પાછળ એમનો બદઈરાદો કયો હશે? બદઈરાદો હશે એ તો હું માની જ લઉં છું. પણ એકઝેટલી એમનો કયા પ્રકારનો દુરાશય હશે તે સમજવાની કોશિશ કરતો હોઉં છું અને અત્યાર સુધી ક્યારેય ખોટો પડતો નથી.

કોઈની પણ કાન ભંભેરણી કરવી સહેલી છે. મંથરાઓનો આ જગતમાં તોટો નથી. કાચા કાનના લોકોની પણ આ જગતમાં કમી નથી. આવી કૈકેયીઓ જ અનેક રામાયણોની જનક બની જાય છે.

બે વ્યક્તિઓ-એ બંને એકબીજાથી પરિચિત હોય કે ન પણ હોય-વચ્ચે કશુંક સળગાવવાની ઘણાને મઝા આવતી હોય છે. તેઓને ચોક્કસ નાનપણમાં એમની ગલીના કૂતરા કે એવા જ કોઈ નિર્દોષ જીવની પૂંછડીએ દોરી વડે પતરાનું ડબલું કે ફટાકડાની લૂમ બાંધવાની હલકટ ટેવ હોવાની. કૃષ્ણ પક્ષની ચૌદસને દિવસે જન્મી હોય એવી આ વ્યક્તિઓને સમાજમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોઈને મનમાં સળવળાટ થતો હોય છે. એટલે જ તેઓ દીવાસળી ગજવામાં જ રાખીને ફરતા હોય છે અને ચાન્સ મળે ત્યારે પલીતો ચાંપવાનું છોડતા નથી.

વ્યક્તિ જો મેચ્યોર્ડ હોય તો પેલા આડતિયા જેવાં માણસને કહી દેશે કે ‘તમે મને જણાવ્યું કે પેલા ભાઈએ મારા વિશે શું કીધું તે બદલ અને મારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને દિલ્સોજી પ્રગટ કરવા માટે ફોન કર્યાે તે બદલ આભાર.’ પણ એ છંછેડાશે નહીં, કોઈના પર બદલો લેવા બાંયો નહીં ચડાવે. એને ખબર છે કે અનેક સમાજ કંટકોનું કામ કાન ભંભેરણી કરવાનું જ છે. કોઈની સાથે દુશ્મનાવટ કરવી હશે તો તે આપકમાઈથી કરશે, કોઈએ તમારા કાન ભંભેરવાની ધૃષ્ટતા કરીને તમને વહાલા થવાની તમારી ચાપલૂસી કરવાની કોશિશ કરી તો કરી. તમારા માટે એ કાન ભંભેરનારી વ્યક્તિ કોઈ સહૃદયી કે શુભેચ્છક નથી તે સમજવાનું તમારે. કૈકેયીકૃત્ય કરનારાઓને તમે તમારા શુભેચ્છક માની બેસો છો ત્યારે તમે મૂર્ખા બનો છો. શુભેચ્છક એ હોય જે તમારા માટે કોઈએ શું ખરાબ કહ્યું કે કર્યું એવું કહીને તમને વહાલો ન થતો હોય. શુભેચ્છક એ કહેવાય જે તમારા માટે ઓલરેડી કશુંક સારું કૃત્ય કરી ચૂક્યો હોય. હું તો ત્યાં સુધી કહીશ કે ભવિષ્યમાં હું તમારા માટે સારું કરીશ અથવા કરવાની ક્ષમતા ધરાવું છું એવું કહેનારી વ્યક્તિને પણ તરત જ તમારા શુભેચ્છકના લિસ્ટમાં મૂકી દેવાની ઉતાવળ નહીં કરવાની. કોણી પર કેક લગાડનારા આવા અનેક તમારી આસપાસ રખડતા હશે અને તમારા માટે કશુંય સારું ‘કર્યા’ વિના માત્ર સારું સારું ‘કહ્યા’ કરતા લોકો પણ તમારા શુભેચ્છકો નથી. કરવામાં અને કહેવામાં ફરક છે- આસમાન જમીનનો ફરક છે. કરવું એટલે કંઈક એવું નક્કર કામ કરવું જેને તમે પ્રત્યક્ષપણે જોઈ શકો. શુભેચ્છાની લાગણી તો બનાવટી પણ હોઈ શકે છે. જ્યાં સુધી એ લાગણી કોઈ નક્કર કામરૂપે, જોઈ શકાય એવી પ્રત્યક્ષ ચીજરૂપે પ્રગટ થતી નથી ત્યાં સુધી એ શુભેચ્છાની લાગણીનું કંઈ મૂલ્ય નથી.

મારા બિલ્ડિંગનો વોચમેન મને રોજ સલામ મારીને એની મારા પ્રત્યેની શુભેચ્છા દેખાડે તેનું મને કોઈ મૂલ્ય નથી. પણ કોઈ દિવસ હું વરસાદથી બાઝી ગયેલી લીલને કારણે લપસી પડું તો મને ટેકો આપીને ઊભો કરીને એ પોતાની ખુરશીમાં બેસાડીને પવાલામાંથી પાણી પીવડાવે તો એ મારો શુભેચ્છક છે. રોજ એની સલામનો પ્રત્યુત્તર હું સ્મિતથી આપું એમાં મારી શુભેચ્છા પ્રગટ નથી થતી. પણ મને ખબર પડે કે એ રજા લઈને ઉત્તર પ્રદેશના કોઈ ખૂણે આવેલા ગામે એનાં બાળકો-પત્નીને મળવા જઈ રહ્યો છું ત્યારે હું એને જે કવર આપું તેમાં મારી ખરી શુભેચ્છા પ્રગટ થવાની છે.

નેકસ્ટ ટાઈમ, ખાલી ફોગટના શુભેચ્છકોને કે તમને કોઈની સામે લડાવી મારવાનો જેમનો પેશો છે એવા આડતિયાઓને જુઓ તો મને યાદ કરજો, આ વાતોને યાદ કરજો અને સાવધ રહીને તમારું નુકસાન કરનારાઓથી બચીને રહેજો.

પાન બનાર્સવાલા!

મારા પર બસ તમે એટલો જ ઉપકાર કરજો કે મારા પર કોઈ ઉપકાર નહીં કરતા!

– હિંદી ફિલ્મનો ડાયલોગ

www.facebook.com/Saurabh.a.shah

(સંદેશ, ઉત્સવ પૂર્તિ, 17 જૂન 2018)

4 COMMENTS

  1. ? લેખ.
    ઘણા ફેસબુકીયા, વ્હોટસેપિયા, ટ્વીટરીયા અને લંગોટિયા મિત્રો પણ તમને શુભેચ્છક સંદેશાઓ અને તમારા ગુરૂ બનીને જ્ઞાન તો ઘણું આપી દેશે. પણ જરૂર પડ્યે મદદ કેટલા કરે છે એ તમારે જોવાનું હોય છે.

  2. ખૂબ જ વિચારદાયક લેખ, આજે સમાજમાં અને દરેક જગ્યાએ આવા આડતીયાઓ છે, જેઓનું કામ લોકો ને અંદરોઅંદર લગાવવા નું છે, આપે જણાવ્યું તે મુજબ આવા લેભાગુ હિતેચ્છુઓ થી સાવધ રહેવું જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here