સુભાષબાબુએ ભારત પાછા આવતાંની સાથે જ ગાંધીજીને ત્રણ પ્રશ્નો પૂછયા : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : રવિવાર, ૨૪ જાન્યુઆરી ૨૦૨૧)

નેતાજી સુભાષચંદ્ર બોઝ કરતાં પંડિત જવાહરલાલ નેહરુ ઉંમરમાં આઠ વર્ષ મોટા. નેતાજીનો જન્મ ૨૩ (ત્રેવીસ) જાન્યુઆરી ૧૮૯૭ના રોજ જન્મયા. નેહરુનું બાળપણ અલાહાબાદમાં વીત્યું. સુભાષ ઓરિસાના કટક શહેરમાં ઊછર્યા. બેઉના પિતા ખાધેપીધે સુખી હતા. મોતીલાલ નેહરુ જોકે, ખૂબ શ્રીમંત હતા. જાનકીનાથ બોઝ પણ લૉયર હતા. પ્રેકટિસ સારી ચાલતી. જાનકીનાથના ઘરમાં ટેનિસ કોર્ટ કે સ્વિમિંગ પુલ નહોતાં પણ પૈસાની એમને કોઈ તાણ નહોતી. ભણવાનું મહત્ત્વ બેઉ કુટુંબોમાં હતું.

નેહરુને સંસ્કૃત ભણાવવા ગંગાનાથ ઝા નામના વિદ્વાન આવતા પણ આ દેવભાષા એમની વિદ્યાને ચડી નહીં. એને બદલે વિદેશીઓના સહવાસથી નેહરુ અંગ્રેજી સાહિત્યમાં ખૂંપી ગયા. સુભાષબાબુને રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદમાં રસ પડવા લાગ્યો. એમનું બધું જ વાંચી નાંખ્યું. સુભાષબાબુ બીજા મિત્રો સાથે , વિદ્યાર્થીઓનું ગ્રુપ બનાવીને એમના વિચારો વિશે ચર્ચા વિચારણા કરતા. નેહરુ-સુભાષની માનસિક્તા કિશોરાવસ્થાથી જ એ જુદી-જુદી દિશામાં ફંટાવા લાગી.

નેહરુ 1905માં વિલાયત ભણવા ગયા. કુલ ૭ વર્ષ ઈંગ્લેન્ડ રહીને ભણ્યા. ૧૯૧૨માં પાછા આવ્યા. આ ગાળામાં ‘મારામાં પૂર્વ અને પશ્ચિમના સંસ્કારોની કંઈક અજીબ રીતે ભેળસેળ થઈ ગઈ અને હું ન અહીંનો રહ્યો, ન ત્યાંનો’ એવું ખુદ નેહરુએ નોંધ્યું છે.

સુભાષચંદ્ર ઑક્ટોબર ૧૯૧૯માં વિલાયત ગયા અને એપ્રિલ ૧૯૨૧માં પાછા આવી ગયા. દોઢેક વર્ષમાં જ. સુભાષબાબુએ ત્યાં જઈને ઈન્ડિયન સિવિલ સર્વીસીઝની પરીક્ષામાં ચોથું સ્થાન મેળવ્યું. આઈસીએસ બન્યા પછી અંગ્રેજી સરકારની સેવા કરીને આખી જિંદગી સુખસમૃદ્ધિમાં વીતે એમ હતું. પણ સાત જ મહિનાના મનોમંથન પછી એમણે મોટાભાઈ શરદ ચંદ્ર બોઝ (જે નેહરુની જ ઉંમરના હતા)ને લખ્યું. ‘દરેક સરકારી કર્મચારી, ચાહે એ મામૂલી, અપરાધી હોય કે પછી ગવર્નર જેવો લાટસાહેબ હોય, છેવટે તો એ ભારતમાં બ્રિટિશ શાસનનાં મૂળીયાંને વધુ ઊંડા નાખવામાં જ મદદ કરતો હોય છે.’

નેહરુને ભારત આવ્યા પછી પોતાની અવઢવમાંથી બહાર આવતાં વર્ષો લાગી ગયાં. નેહરુ ૧૯૧૨માં વિલાયતથી પાછા આવ્યા ત્યારે ૨૩ વર્ષના હતા. સુભાષ ૧૯૨૧માં પાછા આવ્યા ત્યારે ૨૫ના હતા. નેહરુ છેક ચાર વર્ષ પછી, ૧૯૧૬માં ગાંધીજીને રૂબરૂ મળ્યા અને એના બીજાં ચાર વર્ષ પછી, ૧૯૨૦માં પ્રતાપગઢ તથા જૌનપુરના ખેડૂતોના સંઘર્ષમાં જોડાયા.

સુભાષબાબુ ૧૯૨૧માં લંડનથી મુંબઈ પાછા આવ્યા એ જ બપોરે ગાંધીજીને મળવા મુંબઈના ગિરગામ વિસ્તારમાં આવેલા લેબર્નમ રોડ પરના ‘મણિભુવન’માં ગયા. સુભાષે ગાંધીજીને અને એમના અનુયાયીઓને ખાદીનાં વસ્ત્રોમાં જોયા. પોતે વિદેશી પોશાકમાં હતા. એમણે પોતાના આ પહેરવેશ બદલ ગાંધીજીની ક્ષમા માગી અને ગાંધીજીએ સ્મિત કરીને સુભાષને કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું. સુભાષ ગાંધીજીને પોતાના નેતા માનીને એમની સાથે ચળવળમાં જોડાવા માગતા હતા. પણ એ પહેલાં તેઓ ગાંધીજીનું માઈન્ડસેટ જાણવા માગતા હતા. ચર્ચા દરમ્યાન સુભાષે ગાંધીજી પાસે ત્રણ મુદ્દા બાબતે ચોખવટ માગી. એક તો, એ જાણવા માંગતા હતા કે ચળવળના અંતે પ્રજા કેવી રીતે અસહકારના આંદોલનમાં જોડાઈને સરકાર સામે ના-કર (કરવેરા નહીં ભરવાની) લડતમાં જોડાવાની છે. બીજું, અસહકારની લડતને કારણે તેમ જ કરવેરા નહીં ભરવાથી બ્રિટીશ સરકાર પર કેવી રીતે આ દેશ છોડી જવાનું અને ભારતીયોને આઝાદી આપવાનું દબાણ આવવાનું છે? અને ત્રીજી વાત સુભાષબાબુ એ જાણવા માગતા હતા કે એક વર્ષમાં સ્વરાજ મળી જવાનું છે એવું વચન ગાંધીજી કયા આધારે આપી રહ્યા હતા?

ગાંધીજીએ પહેલા સવાલનો જે જવાબ આપ્યો તેનાથી સુભાષ સંપૂર્ણ પણે સંતુષ્ટ થઈ ગયા પણ બાકીના બે સવાલોના જવાબ સુભાષના ગળે ઊતર્યા નહીં. ગાંધીજીને મળ્યા પછી પોતે ‘હતાશ થયા, નાસીપાસ થયા’ એવું સુભાષે નોંધ્યું છે. આની સામે નેહરુ ગાંધીજી સાથેની પ્રથમ મુલાકાતમાં જ ગાંધીજીથી જબરજસ્ત પ્રભાવિત થયા હતા.

ગાંધીજીની સલાહથી સુભાષબાબુ કલક્તા જઈને દેશબંધુ ચિત્તરંજન દાસને મળ્યા. સુભાષે કેમ્બ્રિજના ગાળામાં એમની સાથે પત્રવ્યવહાર તો કર્યો જ હતો. દેશબંધુને મળીને સુભાષ ઉત્સાહમાં આવી ગયા. ગાંધીજીને મળ્યા પછી હતોત્સાહ થયા હોવા છતાં સુભાષ ગાંધીજીની આગેવાની હેઠળની કૉંગ્રેસના કામકાજમાં ગળાડૂબ ખૂંપી ગયા.

૧૯૨૧ની ૧૭ નવેમ્બરે પ્રિન્સ ઑફ વેલ્સનું મુંબઈમાં આગમન થયું. ભારતમાં એમની પધરામણીના વિરોધમાં દેશભરમાં દેખાવો થયા, હડતાળ થઈ. એ દિવસે કલકત્તાનું આખું જનજીવન ખોરવાઈ ગયું અને કલકત્તામાં જડબેસલાક બંધ પડાવવાનો સમગ્ર જશ સુભાષચંદ્ર બોઝને જતો હતો. એમની આગેવાની હેઠળ કૉન્ગ્રેસી કાર્યકર્તાઓએ કલકત્તા બંધની જવાબદારી સંભાળી હતી. આની સામે સરકારે તમામ ‘દેશપ્રેમી સંગઠનો’ પર પ્રતિબંધ મૂક્યો જેને પડકારવાનું કૉન્ગ્રેસે નક્કી કર્યું. પણ દેશબંધુ ચિત્તરંજન દાસની સ્ટ્રેટેજી જુદી હતી. એ માનતા કે સરકાર સાથે આ તબક્કે સામી છાતીએ ખુલ્લંખુલ્લાં લડવું સામા પૂરે તરવા બરાબર છે. સરકારનો વિરોધ આરંભે મોળી રીતે કરવો જોઈએ. શરૂઆતમાં પાંચ-પાંચ કાર્યકર્તાઓને છૂપાવેશે ખાદીનું કાપડ વેચવા માટે છૂટા મૂકી જોઈએ, પછી જો સરકાર આવા નાના-નાના જૂથ સામે પગલાં લેશે તો લોકોને લાગશે કે સરકાર સામાન્ય માણસોને હેરાનગતિ કરી છે, એમના પર જુલમ કરે છે, એમને એમનું કામ કરવા નથી દેતી. એવું થશે ત્યારે કૉન્ગ્રેસના ઝંડા હેઠળ રેલી કાઢવી જોઈએ. ચિત્તરંજન દાસની ગણતરી મુજબ એમનાં પત્ની બસંતી દેવી સ્વંયસેવકોના પહેલા ગ્રુપમાં જોડાયા. સરકારે એ જ કર્યું જે ચિત્તરંજન દાસે ધાર્યું હતું. બસંતી દેવીની ધરપકડ થઈ. લોકોનો રોષ ભભૂકી ઉઠયો. સુભાષબાબુએ લખ્યું છેઃ ‘એ સમાચાર દાવાનળની જેમ શહેરમાં ફેલાઈ ગયા અને બચ્ચાં-બુઢ્ઢા, ગરીબ-તવંગર સૌ કોઈ સ્વંયસેવક બનવા માટે પડાપડી કરવા લાગ્યા. સત્તાવાળા ચેતી ગયા. એમણે આખા શહેરને સશસ્ત્ર છાવણીમાં પલટી નાખ્યું.’

પ્રજાના આ ગુસ્સાની આગ બ્રિટિશ પોલીસને પણ દઝાડી ગઈ. કેટલાક કૉન્સ્ટેબલોએ બીજા દિવસે રાજીનામું આપવાના સોગંદ લીધા. સરકારે મધરાતે જ બસંતી દેવીને મુક્ત કરી દેવાં પડયાં. સ્વયંસેવકોએ ધરપક્ડી વહોરી લેવાનું શરૂ કર્યું. જેલો ઉભરાઈ ગઈ. છાવણીના કેદખાનામાં પણ જગ્યા રહી નહીં. આંદોલનને કચડી નાખવા સરકારે દેશબંધુ ચિત્તરંજન દાસ અને એમના નિકટના સાથીઓને પક્ડી લીધા જેમાં સુભાષબાબુ હતા. ૧૦ ડિસેમ્બર ૧૯૨૧ની સાંજે સુભાષચંદ્ર બોઝ જેલમાં ગયા. બ્રિટિશ રાજમાં આવા બીજા દસ જેલવાસ એમણે ભોગવવાના હતા.

યોગાનુયોગ જુઓ. પાછળથી સુભાષ-બાબુના કટ્ટર વિરોધી પુરવાર થયેલા જવાહરલાલ પણ ૧૯૨૧માં જ પ્રથમ વાર જેલમાં ગયા અને તે પણ ડિસેમ્બરમાં જ. પાંચમી ડિસેમ્બરે.

(ક્રમશ).

આજનો વિચાર

ઈતિહાસમાં ક્યારેય વાટાઘાટ કે મંત્રણાઓથી કોઈ પરિવર્તન આવ્યું જ નથી.

– સુભાષચંદ્ર બોઝ

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

3 COMMENTS

  1. સાહેબ, સુભાષ એવું માનતા કે વટાઘાટોથી કોઈ પરિવર્તન આવ્યું નથી. તો અત્યારે ખેડૂતો વાટાઘાટો નથી કરવા માંગતા એ સાચા જ છે ને
    અને સરકાર વાટાઘાટો કરવા માંગે છે એ ખોટી છે ને ?

  2. Subhashchadra Bose and Gandhiji no samvad and Swantra Bharat ni ladat nu shabdik chitran tamra lekh ma jova malyu. Aap no khub khub abhaar.

  3. સત્ય સમાજ સુધી પહોંચાડવા બદલ ધન્યવાદ. કદાચ આજે વધુ ને વધુ ભારતીય ભૂતકાળમાં મીડિયા દ્વારા ફેલાયલા ભ્રમ ને જાણવા માગે છે. આપણે જેટલું જલ્દી જાગૃતિ કૅળવશુ એટલા જલ્દી ઈન્ડિયા ને હિન્દુસ્તાન નહીં તો કમસે કમ ભારત બનાવી શકસુ. હું “ઈન્ડીયન” કેમ બન્યો એ આપના લેખો થી ઉજાગર થાય છે. ધન્યવાદ ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here