સૌ કોઈએ શ્રીમંત હોવું શું કામ જરૂરી છે – સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, ૩૦ એપ્રિલ ૨૦૨૩ )

‘દિલ ઢૂંઢતા હૈ ફિર વો હી ફુર્સત કે રાત દિન’, ગીત વિશે નુક્તેચીની કરતાં ગુલઝારે કહ્યું છે કે: ‘મિસરા ગાલિબ કા હૈ, કૈફિયત હરેક કી અપની અપની…’ ગાલિબની ગઝલના એક મિસરા તરફથી ગુલઝારે એક આખું મૌલિક ગીત લખ્યું છે જે મદનમોહને કમ્પોઝ કર્યું, ફિલ્મ ‘મૌસમ’માં વપરાયું. કંઈક એવી જ વાત અત્યારે થઈ રહી છે: મિસરા રજનીશજી કા હૈ, કૈફિયત હરેક કી અપની અપની…

ઓશો રજનીશે કહ્યું: “હું ચાહું છું કે તમે સૌ દરેકે દરેક રીતે શ્રીમંત બનો – ભૌતિક અર્થમાં, માનસિક રીતે, આધ્યાત્મિકરૂપે. આ પૃથ્વી પર ક્યારેય ન થઈ હોય એવી શ્રીમંતમાં શ્રીમંત વ્યક્તિ જેવી વૈભવી જિંદગી તમારી હોય.

આપણને સૌને ખબર છે કે રજનીશજીની જિંદગી કેટલી વૈભવશાળી હતી. 85 રૉલ્સ રોયસ ગાડીઓ અને 100 રોલેક્સ ઘડિયાળો વગેરે. ઘણા લોકોએ સમજ્યા વગર એ વાતની ટીકા પણ કરી. રજનીશજી પાસે ગાડીઓ અને ઘડિયાળો નૉર્મલ શ્રીમંત માણસ કરતાં પણ ઘણી વધારે હતી. પણ શું કોઈએ રજનીશજી પાસેનાં પુસ્તકોની સંખ્યા વિશે વાત કરી? એમની પાસે 90,000થી વધુ પુસ્તકો હતાં. એ દરેક પુસ્તકના છેલ્લા પાને તે વાંચ્યા પછી એમની સહી રહેતી. દરેક પુસ્તકમાં ક્યાંક અંડરલાઈન તો ક્યાંક નોટ્સ તો ક્યાંક હાઈલાઈટ કરેલી હોય. મોટા ભાગનાં પુસ્તકો વેલ થમ્બ્ડ રહેતાં. નેવું હજાર પુસ્તક અને એક પુસ્તક વાંચતા સરાસરી અમુક વખત લાગે એવો ગુણાકાર કરીને રજનીશજીને ખોટા ચીતરનારા વાયડાઓ પણ ચોક્કસ હશે. દરેક પુસ્તક વાંચવા માટેનું હોતું નથી એની જાણ પુસ્તકો ખરીદીને સંગ્રહવાની ટેવ જેમને હોય તેમને ખબર હોય. કોઈ કોઈ પુસ્તક પાંચ મિનિટમાં સૂંઘીને આઘું મૂકી દેવાનું હોય. કોઈમાંથી અડધો કલાક પાનાં ફેરવીને જે પામવાનું હોય તે પામી લેવાનું હોય. પછી ક્રીમ બિસ્કિટમાંનું ક્રીમ ક્રીમ ચાટી લીધા પછી બાળક જેમ બિસ્કિટ દૂર મૂકી દે એમ મૂકી દેવાનું હોય. કોઈ પુસ્તકનો એક-બે કલાક સત્સંગ કરીને જાણી લેવાય કે આમાંથી આપણા માટે શું કામનું છે, શું નહીં. કોઈ પુસ્તકના આગળના કન્ટેન્ટ પેજના તથા છેલ્લે આપેલાં ઈન્ડેક્સ પાનાંઓમાંથી જે રિફર કરવું હોય તે કરી લેવાનું હોય. ક્યારેક પુસ્તકના દરેકે દરેક પાનાં પર ઝડપી નજર ફરી જાય તો ક્યારેક પુસ્તકનો એકેએક શબ્દ ધ્યાનપૂર્વક વંચાઈ જાય. ક્યારેક એક જ પુસ્તક બે વાર વાંચવા મજબૂર થઈ જઇએ તો કોઈ કોઈ પુસ્તકો દર વર્ષે ફરી ફરી વાંચવાની મઝા પડે.

રજનીશજી પાસે 90,000 (નેવું હજાર) પુસ્તકો હતાં. એમણે પોતે કહી છે આ વાત. એમના મનગમતાં દસ પુસ્તકો વિશે એક પ્રવચન સિરીઝ પણ એમણે કરી છે. મેં એ વિશે લંબાણથી લખ્યું છે.

રજનીશજી પુસ્તકો પઝેસ કરવાની બાબતમાં પણ શ્રીમંત હતા – માત્ર રૉલ્સ રૉયસ અને રોલેક્સ કે રોબ્સ કે કફ લિન્ક્સની બાબતમાં જ નહીં. એટલું જ નહીં, રજનીશજીએ ‘લખેલાં’ પુસ્તકોની સંખ્યા પણ સૌથી પ્રોલિફિક લખનાર જગતના ટૉપ હન્ડ્રેડ લેખકોની હરોળમાં એમને મૂકી શકાય એટલી છે. 500 કરતાં વધુ. હા, એ પુસ્તકો એમણે પોતાના હાથે નથી લખ્યાં. એમનાં પ્રવચનોની ટેપ પરથી ટ્રાન્સક્રિપ્શન પામેલાં છે. પણ તેથી શું થઈ ગયું. કેટલાય મહાન લેખકો જાતે લખવાને બદલે પોતાના મદદનીશને ડિક્ટેશન આપતા હોય છે (અમે અમારી આંગળીઓમાં પેન પકડીને જાતે લખીએ છીએ. અમે મહાન નથી). આપણે એમ માનવાનું કે રજનીશે પોતાના સ્ટડીરૂમમાં ડિક્ટેશન આપવાને બદલે ક્યારેક હજારો તો ક્યારેક સેંકડો શ્રોતાઓની હાજરીમાં માઈક પર ડિક્ટેશન આપ્યું.

રજનીશજી દરેક રીતે શ્રીમંત હતા. છતાં નિર્લેપ હતા. આ તમામ શ્રીમંતાઈ પ્રાપ્ત કરી લીધા પછી એમનામાં ન તો આછકલાઈ પ્રવેશી હતી, ન કોઈ ડર, ન અહંકાર, ન એમની જીજીવિષામાં કોઈ વધઘટ થઈ હતી. આ તમામ શ્રીમંતાઈ બાવજૂદ, કદાચ એને કારણે જ, તેઓ સાધુ હતા, ત્યાગી હતા, સંત હતા. કોઈએ પોતાની અમીરી ગરીબીને કારણે આ વાત સાથે સંમત ન થવું હોય તો છૂટ છે. એને લીધે રજનીશજીની અમીરાત ઓછી થઈ જતી નથી. રજનીશજી ભોગી હતા, ઉચ્ચ કક્ષાના ભોગી હતા. જેમણે બધું જ ઉચ્ચત્તમ સ્તરનું ભોગવ્યું. સ્વામી રામદેવે રજનીશના સંદર્ભમાં નહીં પણ ઈન જનરલ જે કહ્યું છે તે અહીં પણ લાગુ પડે છે: ‘ભોગી બનવા માટે યોગી બનવું પડે.’

સારામાં સારી રીતે ભોગ ભોગવવા હશે તો સારામાં સારા યોગી બનવું પડશે. ખખડી ગયેલી કૃશ કાયાવાળો માયકાંગલો પુરુષ મેનકાને ક્યાંથી ભોગવી શકવાનો? દુનિયાની મોંઘામાં મોંઘી સુરાની લિજ્જત ક્યાંથી માણી શકવાનો?

શ્રીમંતાઈ પામ્યા બાદ તમે લાલચી મટી જાઓ છો. એક રસગુલ્લું ખાધા પછી, બીજું અને બીજું ખાધા પછી ત્રીજું ખાવાની લાલચ થવાની. પણ છઠ્ઠું, નવમું કે બારમું ખાઈ લીધા પછી! લાલચ મટી જવાની. અને જ્યારે તમને ખાતરી થઈ જાય કે તમે જ્યારે જેટલા જોઈએ એટલાં રસગુલ્લાં ખાઈ શકો છો એવી સગવડ, એટલા પૈસા, એવી તબિયત ધરાવો છો ત્યારે રસગુલ્લાં માટેની તમારી લાલચ પૂરેપૂરી ખતમ થઈ જવાની. તમને ખબર છે કે બાય રસગુલ્લાં વૉટ ડુ આય મીન!

દરેક રીતે શ્રીમંતાઈ પ્રાપ્ત કરવાનો ટાર્ગેટ રાખવાના પાયામાં કન્સેપ્ટ એ છે કે આ શ્રીમંતાઈ મેળવવા માટે જે કંઈ કરવું પડે તે કરવામાં આપણે આપણામાં રહેલા પોટેન્શ્યલનું છેલ્લાં છેલ્લું ટીપું નીચોવીને જીવીએ. કુદરતે આપણને આપેલી શક્તિઓને પૂરેપૂરી વાપરીએ. એને રાખી મૂકીને, એને વપરાયા વિનાની રહેવા દઈને એનો બગાડ ના કરીએ.

પાન બનારસવાલા

આ દુનિયા તમારા અભિપ્રાયથી નથી બદલાતી, તમે કરેલાં કામથી બદલાય છે.

—અજ્ઞાત

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

13 COMMENTS

  1. RAJNISH JI NA PRAVACHANO “KRISHNA MARI DRASHTI YE” JARUR THI VANCHO. FANTASTIC BOOK, YOU CAN GET IT ON AMOZON.IN AT ABOUT 450/- RS. I READ IT TWICE.

  2. સાહેબ
    મને ખાલી આટલું કહો કે તમને ગમી હોય એવી કઈ બુક્સ તમે હર વરસે વાચવાની પસંદ કરશો. .
    જેથી અમે પણ એ વસાવી સકિયે.
    બાકી આપે પરફેક્ટ કીધું એમ મને અમુક ફેરવી જવાની હોય એવી લાગે અને અમુક લાઈફ ટાઈમ હૃદય માં લખાઈ જાય
    ફોર example Dhruv Bhatt સાહેબ ની લગભગ દરેક બુક
    મને હૃદય માં કંડારાઈ ગઈ. તેમજ અવિનાશ ભટ્ટ ની પણ વરસો પહેલા વાચેલી બુક્સ પણ અફલાતૂન
    રજનીશ જી ની પણ ગુજરાતી અનુવાદ પામેલી ઘણી બુક્સ છે મારી પાસે જેમાંની શૂન્ય ની નાવ અને મહાવીર મારી દૃષ્ટિ
    એ મારી મનગમતી . અને એમના પ્રવચન ની કેસેટો મળતી ભાડા પર ખડગ સ્ટ્રીટ મસ્જિદ બંદર માં તેમાંની ગીતા ના પ્રવચનો….OMG.

  3. રજનીશમાં જરાયે આછકલાઈ ન હતી! સૌરભભાઈ, કઈ દુનિયામાં જીવો છો? રજનીશ પર બનેલી વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી વેબ સીરીઝ જોઈ છે? રજનીશ વિશે તંદુરસ્ત અને સંતુલિત ચર્ચા કરતું આર આર શેઠ દ્વારા પ્રકાશિત સર્વેશ વોરાનું પુસ્તક વાંચ્યું છે? એ વાંચ્યું હોત તો ઓશો વિશે વખાણનો આટલો ખડકલો ન કર્યો હોત.

    • Instead of watching rubbish web series and trash books on Osho read his own books and listen to his lectures. You will get much wiser. Please come out of the gutter class writers and webseries makers if you really think that you are a matured person.

      • સર્વેશ વોરા સામે વાંધો હોય તો નગીનદાસ સંઘવી લિખિત “ઓશો – વિદ્રોહ અને વિવાદોની આરપાર” અને પત્રકાર અભય દુબેએ ઓશો આશ્રમની ગતિવિધિઓ વિશે ઊંડું સંશોધન કરીને લખેલું પુસ્તક “Who killed Osho” વાંચી જજો.
        ઓશો ઉત્તમ વિચારક હતા એની ના છે જ નહીં, પરંતુ આગળ જતાં mediocrityમાં સરી પડ્યા. જૂહુ ખાતે એમનાં જીવનનાં અંતિમ વર્ષોનાં પ્રવચનોમાં એમની ભયંકર નિરાશા છતી થાય છે. એમનું અધ્યાત્મ એમને પોતાને જ કામ ન લાગ્યું, બીજાનું એનાથી શું ભલું થવાનું?

        • Don’t read ABOUT Osho. Read Osho or listen to him.

          Sarvesh or Sanghavisaheb are NOT an authority on the philosophy of Osho. In fact both are NOT an authority on philosophy at all.

          રસ્તા પરના ખૂમચાવાળા પાસેથી ભેળપુરી કે વડાપાંઉ ખવાય. ઑથેન્ટિક ફુડ માટે હજારોનું બિલ આવે એવી સ્પેશ્યાલિટી રેસ્ટોરાંમાં જઈને ખાવાનું હોય. બંધાનું એ ગજું નહીં.

  4. રસગુલ્લા વધારે ખાવાથી ભૂખ ઘટે પણ પૈસા અને સત્તા/લાલસા માં એવું નાતી પણ ભૂખ વધે.

  5. Actually richness of an individual to be eternal…
    from soul… It can not be correlated with material world things like luxury watches or cars etc…
    & of course health of an individual in all terms like physical, psychological & emotional is very important..
    Rajnishji is one of the popular philosopher of our era however his philosophy is derived from all our ancient transcripts including Bhagavad Gita..

  6. Mankind has extracted Mother Earth’s resources to the extent it is now becoming barren at an unimaginable rate and our eyes are not opened. Pollution all over is in front of us and we are in a rat race to make our lives more comfortable by all means. Our culture is totally against it.
    If every one follows late Rajnishji’s advice, God knows what will happen .
    You have mentioned a purchased book can sometimes be understood just by glancing over flipping pages.
    With average intelligence I am happy just by glancing over lives of people you are appreciating in this article and have kept away from their super intelligence.

  7. પ્રિય સૌરભ ભાઈ, એ વાત પણ સત્ય છે કે રજનીશ ખુબજ પ્રભુધ્ધ ચિંતક હતા,પરંતુ તેઓ નું જીવન અને કાર્ય હમેશાં વિવાદાસ્પદ બની રહ્યાં,રામદેવજી,અને રજનીશ કે કોઈ પણ આધુનિક અને આધ્યાત્મિક ગુરૂ ની સરખામણી થાય એ પણ એક અદ્ભુત રૂપક છે

  8. હા પણ રાજનીશજી અલિપ્ત રહી શક્યા એવું કેટલા જાણ રહી શકે ? એટલા માટે જ્ઞાનીઓ આ લાલસાઓ થી દૂર રહેવું જ સારુ એમ કહે છે. ખૂબ બધો પૈસો મેળવવામાં એના સાથે બીજી આદતો અને દુર્ગુણો પણ આવવાના. કોઈ વિરલાઓ જ એનાથી અલિપ્ત રહી શકે.
    એટલા માટે ચિક્કાર પૈસાની મનાઈ નથી પણ એજ સર્વસ્વ બની જાય અને આધ્યાત્મિકતાના જે બીજા ગુણો પ્રગટાવવાના હોય એનો કોઈ પુરુષાર્થ જ ન કરીએ તો કેવું ?

  9. ભોગ તો ત્યાગનો કરવાનો….
    આ વાત ગાંડપણ તો નથી જ.. શૌરભ ભાઈ…

  10. I agree. One has to be rich enough to enjoy things he want to enjoy. Richness follows hardwork. Just criticising someone for being rich is foolish. If you don’t earn money, you have no right to unnecessarily doing comments.
    I like your rationale thinking and powerful but simple presentation.
    Dr Bharat Desai Bilimora

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here