જેમ રોટલી બ્રેડ નથી એમ ગુરુ ટીચર નથી અને સેવા એ સર્વિસ નથી : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ એક્સક્લુઝિવ : ગુરુવાર, 19 નવેમ્બર 2020)

ઘણા વખત પહેલાં એક લેખ લખ્યો હતો, કદાચ યાદ હશે તમને. લખ્યું હતું કે પશ્ચિમની સંસ્કૃતિ પાસે રોટલી, ભાખરી, પૂરી, થેપલાં, રોટલા, નાન,પરાઠા, કુલચા જેવી આપણી રોજબરોજની જિંદગીમાં વણાઈ ગયેલી વાનગીઓ નથી એટલે તેઓ એ બધાને એક જ શબ્દથી ઓળખે છે- બ્રેડ. રોટલી-પૂરીથી માંડીને નાન-પરાઠા સુધીની દરેક વાનગીને બ્રેડ તરીકે ઓળખવી એ ત્યાંના લોકોની મર્યાદિત સમજણનું પરિણામ છે. પોતાની સંસ્કૃતિમાં જેને સ્થાન નથી એને એક સંકુચિત ઢાંચામાં નાખીને સમજવાની કોશિશ તેઓ કરે છે જેમાં નિષ્ફળ જાય છે અને બીજી બાજુ આપણને અન્યાય કરે છે.

આપણામાં સમજ છે. એટલે આપણે ક્રોસાં, ડોનટ, બેગલ, બેગેત વગેરેને ન તો રોટી કહીએ છીએ, ન બ્રેડ-એ દરેક વાનગીનું સ્વરૂપ, એ સૌની ઓળખાણ-સ્વાદ જુદાં છે એટલે એને ઓરિજિનલ નામે જ ઓળખીએ છીએ. આ વૃત્તિ આપણી સમજદારીનો પુરાવો છે, આપણી ઉદારતાનો પુરાવો છે, અન્યનો આદર કરવાની આપણી પરંપરાનો પુરાવો છે.

રોટી-બ્રેડનો દાખલો આપીને ધર્મ-રિલિજિયનની વાત કરી હતી. આપણે જેને ધર્મ કહીએ છીએ એ કન્સેપ્ટનું વર્ણન કરવા માટે વિદેશીઓ પાસે બીજી કોઈ સંજ્ઞા નથી, અન્ય કોઈ લેબલ નથી માટે તેઓ રિલિજિયન શબ્દ વાપરે છે. વાપરે છે એટલું જ નહીં પણ હિંદુ ધર્મને રિલિજિયન કહીને એને ઇસાઇયત, ઇસ્લામ વગેરે રિલિજિયનની પંગતમાં બેસાડીને એ બધાની સાથે તુલના પણ કરે છે. એ બધાં જ રિલિજિયનો છે અને માનવસર્જિત છે. એની સ્થાપના કરનાર કોઈ એક વ્યક્તિ છે. દરેક રિલિજિયનના અનુયાયીઓ માટે એક પર્ટિક્યુલર કિતાબ હોય છે જેમાં લખ્યા પ્રમાણે અનુયાયીએ વર્તવાનું હોય છે. આ રિલિજિયનોને આપણી ભાષામાં સંપ્રદાયો કહી શકીએ.

ધર્મ તો એક જ છે આ દુનિયામાં અને તે છે સનાતન ધર્મ જેને હિંદુ ધર્મના લેબલથી ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મની સ્થાપના કોણે કરી? કોઈએ નહીં. વૈદિક કાળથી ચાલી આવેલી વૈચારિક માન્યતાઓ તેમ જ રોજબરોજની જીવનશૈલીમાંથી સનાતન પરંપરાને આકાર મળ્યો. બાઇબલ-કુરાનની જેમ વિદેશીઓ, હિંદુ ધર્મને રિલિજિયન કક્ષાએ મૂકવા માટે, ગીતા લઈ આવ્યા. પણ ગીતા એકમાત્ર આપણી માર્ગદર્શિકા નથી. વેદ-ઉપનિષદોથી માંડીને રામાયણ-મહાભારત અને કેટલાંક પુરાણો પણ હિન્દુ ધર્મના આધારસ્તંભ જેવા ગ્રંથો છે. અન્ય પ્રજા પાસે એમના રિલિજિયનનો માત્ર એક જ ગ્રંથ હોય એટલે હિંદુઓ પાસે પણ એકમાત્ર ગીતા છે એવો પ્રચાર આપણો નથી, એ લોકોનો છે. આ વાત સમજવા જેવી છે.

સનાતન પરંપરામાં એવી અનેક વાતો છે જે વિદેશીઓની સમજની બહાર છે. જેમ આપણાં ખમણ, આપણી દાળ ઢોકળી કે આપણી ખાંડવી એ લોકોની સમજના તથા એમના સ્વાદના પરિઘની બહાર છે, બરાબર એવું જ આપણી સંસ્કૃતિની પરંપરાની બાબતમાં છે. આવા સંજોગોમાં શું કરવું જોઇએ? આપણે જેમ એમના પિત્ઝા, પાસ્તા વગેરેને એ જ નામોએ ઓળખીએ છીએ એમ એ લોકોએ પણ ખમણ-દાળ ઢોકળી-ખાંડવીને એ જ નામોએ ઓળખવાનાં હોય, એનો અંગ્રેજી-ફ્રેન્ચ અનુવાદ કરવા બેસવાનું ન હોય.

આ વાતો ઉપરાંત ગુરુ પૂર્ણિમા વખતે બીજા કોઈક લેખમાં લખ્યું હતું કે ગુરુ પૂર્ણિમાએ જેને ને તેને પગે ન લાગવાનું હોય, માત્ર ગુરુને જ પગે લાગવાનું હોય. જિંદગીમાં તમે ઘણા બધા પાસેથી શીખો છો- કોઈ જાણીતા શેફ પાસેથી વાનગી બનાવતાં, ડ્રાઇવિંગ સ્કૂલના ઇન્સ્ટ્રક્ટર પાસેથી ગાડી ચલાવતાં, શાળા-કૉલેજના અધ્યાપકો પાસેથી વિવિધ વિષયોને લગતી માહિતી પ્રાપ્ત કરો છો, માબાપ-વડીલો-મિત્રો પણ તમને કંઇક ને કંઇક શીખવાડતા રહે છે. આ સૌનો આદર જરૂર કરીએ પણ એમને ‘ગુરુ’નો દરજ્જો ન અપાય. ગુરુ તો એને કહેવાય જે તમને આધ્યાત્મિક અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના તેજ તરફ લઈ જાય. પણ આપણે તો આ શબ્દને અભડાવનારા લોકોનો સાથ આપીને લવગુરુ, મૅનેજમેન્ટ ગુરુ, ઇન્વેસ્ટમેન્ટ ગુરુ જેવા શબ્દો અપનાવી લઇએ છીએ એટલું જ નહીં ગેન્ગસ્ટરની ટોળકીના મુખિયાને હિન્દી ફિલ્મના સ્ક્રિપ્ટરાઇટરો ‘ગુરુ’ના નામે ઓળખાવે તોય કોઇ પ્રકારે વિરોધ દર્શાવતા નથી.

આવી અનેક સંજ્ઞાઓ વિશે વિદેશીઓએ ફેલાવેલા ભ્રમને કારણે આપણે ત્યાંના તથાકથિત બૌદ્ધિકો પણ વિદેશી ચાલે ચાલતા થઇ ગયા જેને પરિણામે આવો ભ્રમ આપણે સૌ પાળતા થઈ ગયા. આ ભ્રમને તોડવાનું અભિયાન શરૂ કરવા માટે એક પાથ બ્રેકિંગ પુસ્તક હમણાં જ પ્રગટ થયું છે. ‘બ્રેકિંગ ઇન્ડિયા’ પુસ્તકથી તમે રાજીવ મલ્હોત્રાના નામથી પરિચિત હશો. એમણે સત્યનારાયણદાસ બાબાજીની સાથે મળીને એક અંગ્રેજી પુસ્તક લખ્યું છે જેનું શીર્ષક છેઃ ‘સંસ્કૃત નૉન-ટ્રાન્સલેટેબલ્સ’. પેટા શીર્ષક છેઃ ‘ધ ઇમ્પોર્ટન્સ ઑફ સંસ્કૃતાઇઝિંગ ઇન્ગલિશ’.

જે સંસ્કૃત શબ્દોનો અંગ્રેજીમાં અનુવાદ થઈ શકે એમ ન હોય, તેનો મારી મચડીને તરજૂમો કરવાનું બંધ કરો, એને બદલે આપણે જેમ પેન, પેન્સિલ, ટેબલ, ટ્રેન, મોટર, ઇન્ટરનેટ, મોબાઇલ જેવા હજારો શબ્દો આપણી વૉકેબ્યુલરીમાં સમાવીને આપણા શબ્દભંડોળને સમૃદ્ધ કરતા રહ્યા છીએ એમ અંગ્રેજી ભાષામાં પણ અમુક સંસ્કૃત શબ્દોનો યથાવત ઉપયોગ થવો જોઇએ જેથી એ શબ્દના અર્થ વિશે સમજફેર થવાની શક્યતા ન રહે. રોટલી-પૂરી એટલે બ્રેડ એવી કોઇ ગેરસમજ ન થાય.

રાજીવ મલ્હોત્રા અને એમના સાથી લેખક (જેઓ પીએચ.ડી. છે અને પ્રતિષ્ઠિત અમેરિકન યુનિવર્સિટીઓના વિઝિટિંગ પ્રોફેસર છે, વેદ-આયુર્વેદના જ્ઞાતા છે, પંદર પુસ્તકો એમણે લખ્યાં છે) તરફથી આ પુસ્તક દ્વારા 54 સંસ્કૃત શબ્દોના મૂળમાં જઇને એના માટેના અંગ્રેજી શબ્દો શા માટે અયોગ્ય છે એ વિશેની વિગતે વાતો થયેલી છે.

દાખલા તરીકેઃ ‘સેવા’ જેને અંગ્રેજીમાં ખોટી રીતે સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. નોકરીના અર્થમાં સર્વિસ વપરાય પણ ફલાણાએ ઢીંકણી ઑફિસમાં 40 વર્ષ સુધી ‘સેવા’ આપી એવું ન કહેવાય. કસ્ટમર સર્વિસમાં પણ ગ્રાહક સેવા શબ્દપ્રયોગ થાય છે જે ખોટો છે. આ બધામાં ‘સેવા’ને બદલે અન્ય કોઇ શબ્દ વપરાવો જોઈએ. ‘સેવા’ શબ્દને અભડાવવાની જરૂર નથી.

સેવા હંમેશાં નિસ્વાર્થ હોય. નિઃસ્વાર્થ સેવા તો અંજળપાણી જેવો શબ્દપ્રયોગ થયો. સેવા માટે નિઃસ્વાર્થ વિશેષણ વાપરવાની જરૂર જ નથી કારણકે જેમાં કોઈ પ્રકારનો પ્રગટ-અપ્રગટ સ્વાર્થ ન હોય તે પ્રવૃત્તિને જ તમે ‘સેવા’ કહી શકો. ભગવાનની પ્રાપ્તિના આનંદ માટે જરા સરખો અહમ આડે લાવ્યા વિના તનથી, મનથી, ધનથી જે નિરંતર પ્રવૃત્તિ થાય તે સેવા છે. ભક્તિ અને સેવા એકબીજાના પર્યાય છે. ગુરુ, માબાપ, વડીલો, અતિથિ કે દુઃખદર્દમાં હોય એવા કોઈપણ જીવની કે સમગ્ર સમાજની સેવા થઈ શકે છે.આ દરેક સેવાનું ફળ, ભગવાનની સેવા કરવાથી જે ફળ મળે એવું જ હોય છે. દરેક જીવમાં ભગવાનનો વાસ હોય છે.

સેવા કરનારનું મન પવિત્ર હોવું જોઇએ –ક્રોધ, લોભ, મોહ, અહમ અને અન્ય નકારાત્મક લાગણીઓથી મુક્ત હોવું જોઇએ. આવું મન ધરાવતી વ્યક્તિ સેવા કરે ત્યારે એને સેવક કહેવાય. તમારા માટે કામ કરનાર સૌ કોઈ કર્મચારીને ‘સેવક’નો દરજ્જો ન આપી શકાય.
સિક્ખોમાં કર-સેવાનું મહત્વ છે. ગુરુદ્વારામાં જઇને કર દ્વારા-હાથ દ્વારા કોઇપણ નાનુંમોટું કામ કરવું એટલે કરસેવા. હિંદુ ધર્મમાં તો સેવાનું મહત્ત્વ છે જ.

આની સામે ખ્રિસ્તીઓ દ્વારા વનવાસીઓ કે સમાજના વંચિત વર્ગ માટે ખોલવામાં આવતી હૉસ્પિટલો કે શિક્ષણ સંસ્થાઓ કે અન્ય પ્રવૃત્તિઓ ‘સેવા’ નથી કારણ કે આ તમામમાં વટાળપ્રવૃત્તિ કેન્દ્રસ્થાને હોય છે, ધર્માંતરણનો હેતુ હોય છે એ સૌમાં.

આ જ રીતે ‘દાસ’ને ‘સ્લેવ’ કહેવામાં પણ ગંભીર ભૂલ થતી હોય છે. ‘શ્રદ્ધા’ને ‘ફેઇથ’ કહેવામાં અને ‘સંસ્કાર’ને ‘રિચ્યુઅલ’ કે ‘સેરિમની’ કહેવામાં ભૂલ થાય છે. ‘અહિંસા’ એટલે ‘નૉન વાયોલન્સ’ નહીં અને ‘ધ્યાન’ એટલે ‘મેડિટેશન’ નહીં, ‘સમાધિ’ એટલે ‘ટ્રાન્સ’ નહીં. આત્મા, માયા, પ્રકૃતિ, સાધના, દેવતા સહિતના બીજા અનેક સંસ્કૃત શબ્દોના પ્રચલિત અંગ્રેજી અર્થો શા માટે ખોટા છે તેના પ્રમાણો આપીને સૈદ્ધાંતિક ચર્ચાઓ આ પુસ્તકમાં સામેલ છે.

વિદેશીઓ હંમેશાં આપણને એમની દ્રષ્ટિએ જોતા રહ્યા છે. અંગ્રેજી શાસનકાળના બસો વર્ષ અને 1947 પછીના નહેરુવાદી શાસનકાળને કારણે જન્મેલા બ્રાઉન અંગ્રેજ સાહેબોને કારણે આપણે પણ આપણને વિદેશીઓની દ્રષ્ટિએ જોતા થઇ ગયા, વિદેશી માપદંડોથી આપણી સંસ્કૃતિને મૂલવતા થઈ ગયા.

એક દાખલો અગાઉ ઘણીવાર આપ્યો છે, યાદ હશે તમને. ભારતના નકશા સાથે દુનિયાનો નકશો મૂકીને જુઓ કે ‘મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ’ ક્યાં આવ્યાં છે? આ ‘મધ્ય પૂર્વના દેશો’ ભારતની પૂર્વમાં છે? ના, પૂર્વમાં તો જાપાન-ચીન વગેરે છે. આપણે જેને ‘મિડલ ઇસ્ટ’ તરીકે ઓળખીએ છીએ તે યુ.એ.ઇ., કુવૈત, ઇરાક, ઇરાન ઇત્યાદિ તો ભારતની પશ્ચિમમાં આવ્યાં છે. આપણે યુરોપ-અમેરિકાને વેસ્ટ ગણીએ છીએ તો આ દેશોને મિડલ-વેસ્ટ કન્ટ્રીઝ તરીકે ઓળખવા જોઇએ ને?

પણ યુરોપ-અમેરિકા માટે ભારત-જાપાન-ચીન પૂર્વના દેશો છે એટલે પૂર્વ તરફ જતાં વચ્ચે જે આવે તે દેશો એમના માટે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ કહેવાય. એમણે કહ્યું એટલે આપણે પણ લોલે લોલ કહીને સ્વીકારી લીધું!

આ તો એક નાનકડો દાખલો છે. પણ આવી માનસિકતાને કારણે આપણી જાતને, આપણા દેશને, આપણી પરંપરાને આપણી નજરથી જોવાને બદલે વિદેશી નજરથી જોતા થઈ ગયા છીએ, આપણા માટે ગૌરવ લેવાને બદલે આપણી સંસ્કૃતિને કોસતા થઇ ગયા છીએ.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

5 COMMENTS

  1. Saurabbhai, Rajiv Malhotraji, and so many other people had contributed in this effort a lot. Now collectively we should keep this effort to go on. Spread this knowledge, learn and share your wisdom, support them and also fight against those brown Britishers. We should be proud of richest heritage given by our Rushi Munis. They don’t recognize our word Pranayam, they always states this as breathing exercise. There is huge difference between breathing exercise and Pranayam.

    Har Har Har Mahadev.

  2. સર…….. સર…… સર , રાજીવ મલ્હોત્રાના પુસ્તકની વાત સમજાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ? આજે આપે આ લેખ મૂકીને અમારી સૌની કાનપટ્ટી પકડાવી દીધી છે. અંગ્રેજી ભાષાના વહેમમાં રહીને આપણી પોતાની ભાષાને આપણે જ જ્યારે તરછોડી છે ત્યારે પરદેશીઓ પાસે શું આશા રાખવાની !! સંસ્કૃત તો દરેક ભાષાની જનની છે. એનું તે વળી , ભાષાંતર હોય ??

  3. જો આપણને સૌરભભાઈ એ સમજાવેલ વિચાર યોગ્ય લાગ્યો હોય તો તેને આપણા જીવનમાં વણી લેવો જોઈએ. અને આપણે તેનો જે યોગ્ય ઉચ્ચાર છે તે જ કરવો જોઈએ.

    કોઈ પણ કાર્ય ની શરૂઆત આપણા થી થવી જોઈએ. તો જ બધાં શરૂ કરશે.

  4. યોગ ને બદલે યોગા, રામ નું રામા , કૃષ્ણ નું ક્રિષ્ના , અર્જુન નું અર્જુના , ભીમ માટે ભીમા, યુધિષ્ઠિર માટે યુધિષ્ઠીરા વગેરે વગેરે, આ બધા માં “આ ”
    ” જોડવા નું ભલે વિદેશીઓ એ શરૂ કર્યું હશે, પણ આપણી પ્રજાએ પણ એ ભૂલ સુધારવા ને બદલે નિષ્ક્રિય રહીને પોતે પણ એ જ ઉચ્ચારો અપનાવીને બહુજ મોટી ભૂલ કરી છે. ઉચ્ચારો પ્રત્યે ઉદાસીનતા રાખીએ તો તમે જણાવેલ પરિણામ જ મળે સંસ્કૃતિ ની અવમાનના જોવા મળે.

  5. એકદમ સત્ય વાત. બધાએ સમજવાનું અને અનુસરણ કરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here