મહાન બનવા માટે માણસમાં શું શું જોઈએ: સૌરભ શાહ

( લાઉડમાઉથ: સંદેશ, અર્ધસાપ્તાહિક પૂર્તિ, બુધવાર, 9 સપ્ટેમ્બર 2020)

અનેક ક્ષેત્રની મહાન વ્યક્તિઓને જોઈને એક વિચાર મનમાં સતત ઘૂમરાયા કરતો હતો કે મહાન માણસો કેવી કેવી રીતે મહાન બનતા હશે. એવો એક કયો સૌથી મોટો ગુણ કે એવી એક કઈ સૌથી મોટી ખાસિયત એમનામાં હોય છે જેના વિના તેઓ મહાનતાની એ ઊંચાઈ પ્રાપ્ત કરી જ ન શકે?

આવડત તો હોવી જ જોઈએ. જે ક્ષેત્રમાં તમે આગળ વધતા હો તે ક્ષેત્રને લગતી પ્રતિભા તમારામાં ઠાંસી ઠાંસીને ભરી હોવી જોઈએ. ગાયક બનવા માગતા હો તો લતાજી જેવું ગળું કે ક્રિકેટર બનવા માગતા હો તો સચિન જેવી બેટિંગ કે અભિનય ક્ષેત્રમાં બચ્ચનજી જેવી પ્રતિભા કે પછી લેખન ક્ષેત્રે ચાર્લ્સ ડિકન્સની જેમ પ્લૉટના વળાંકોની કલ્પના કે સ્ટીફન કિંગ જેવી વર્ણનશૈલી વગેરે અનેક ઉદાહરણો આપી શકીએ. બૅન્કિંગ, રાજકારણ, શિક્ષણ, બિઝનેસ, કે ડૉક્ટર-ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ-આર્કિટેક્ટ જેવા પ્રોફેશનલ્સ, કોઈપણ ક્ષેત્ર હોય એમાં ટોચ પર પહોંચવા માટે એ ક્ષેત્રમાં જરૂરી એવી આવડત તમારામાં ભરપૂર હોવી જોઈએ એ વિશે તો કોઈ બેમત નથી.

એ પછી મહેનત આવે. ગમે એટલી ટેલન્ટ હોય પણ મહેનત એમાં ન ભળે તો એ આવડતનું કંઈ મૂલ્ય નથી. અને મહેનત એટલે કેવી મહેનત. પરસેવાનું છેલ્લું ટીપું નીચોવાઈ જાય એવી મહેનત. આગળપાછળ જોયા વિના કરેલી મહેનત. અંગત મોજશોખ અને કુટુંબ સંબંધોને બાજુએ રાખીને કરેલી મહેનત. આરોગ્ય માટે એકસો દસ ટકાની કાળજી રાખતા રાખતા ખાવાપીવાની તમામ પરહેજી પાળીને અને યોગ્ય વ્યાયામ-યોગ કરીને થયેલી મહેનત. જે મહેનત મોદીજી, લતાજી, બચ્ચનજી, સચિનજી, મૂકેશજીએ કરી છે એવી મહેનત. અને અફકોર્સ આ મહેનતમાં નિયમિતતા ભળવી જ જોઈએ. અઠવાડિયું દિવસરાત કામ કરી લીધું અને પછી છ મહિના પડ્યા રહ્યા એવું ન ચાલે.

પણ આપણે જોયું છે કે જેમનામાં ભરપૂર આવડત હોય – ટેલેન્ટથી ફાટ ફાટ થતા હોય એવા લોકો સખત મહેનત કર્યા પછી પણ મહાન નથી બનતા. સફળ હોવું એક વાત છે, મહાનતા આખી જુદા લેવલની વાત છે. ગાયક મિકા સિંહ સફળ છે, જગજિત સિંહ મહાન હતા. જ્હોન અબ્રાહમ સફળ છે, બચ્ચનજી મહાન છે. ડૉ. મનમોહન સિંહ દસ વર્ષ સુધી ટકી રહેવામાં સફળ રહ્યા, એમના કરતાં અડધા સમયની સરકારના વડા અટલ બિહારી વાજપેયી મહાન હતા. અત્યારના ગુજરાતી કટાર લેખકો કે ધારાવાહિક નવલકથાકારો સફળ છે પણ નર્મદ-મુનશી-મેઘાણી મહાન હતા.

આપણે મહાનતાની વાત કરીએ છીએ, સફળતાની નહીં. સક્સેસ અને ગ્રેટનેસ વચ્ચેનો તફાવત ધ્યાનમાં લીધા પછી આ વાત થાય છે. સક્સેસફુલ થવાની કળા તો તમને કોઈપણ મોટિવેશનલ સ્પીકર બે-પાંચ લાખ રૂપિયા લઈને ત્રણ દિવસના સેમિનારમાં શીખવાડી દેશે. મહાન થવાની કળા વિશેના કોચિંગ ક્લાસ નથી ચાલતા. ચાલી શકે પણ નહીં. સ્વામી વિવેકાનંદ, ગાંધીજી અને સરદાર પટેલથી માંડીને ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી, પં. દીનદયાલ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી કે નરેન્દ્ર મોદી-કોઈનેય સફળ બનવા માટે મોટિવેશનલ સ્પીકરોનાં સંભાષણોની તો જરૂર પડી જ નથી, મહાન બનવા માટેના કોચિંગ ક્લાસ ભરવાની પણ જરૂર નથી પડી.

આ સૌમાં કે આવી કોઈપણ મહાન વ્યક્તિમાં, જગતભરના મહાન માણસોમાં આવડત અને મહેનત ઉપરાંતનું એક ત્રીજું તથ્ય પણ હોય છે જેને લીધે તેઓ મહાનતાના શીખરે પહોંચે છે અને આ તત્ત્વનું નામ નસીબ નથી. નસીબ તો આ સૌએ પોતાનું પોતે જ ઘડ્યું છે. પુરુષાર્થ કરીને પ્રારબ્ધને પલટો આપ્યો છે.

આવડત તથા મહેનત ઉપરાંત બીજી ઘણી પેટા ખાસિયતો પણ હોવી જોઈએ. જરૂર હોવી જોઈએ. પણ એ બધી ખાસિયતો નાનામોટા મરીમસાલા જેવી હોવાની. ન હોય તો ચાલી જાય પણ હોય તો સ્વાદમાં વૃદ્ધિ થાય. અથવા તો કોપરું-કોથમીર ગણો એને. ભભરાવીએ તો સરસ લાગે, ન હોય તોય ઝાઝો મોટો ફરક ન પડે. આપણે મેઈન ઈન્ગ્રેડિયન્ટની વાત કરીએ છીએ. જેના વિના વાનગી અધૂરી રહે જેમ કે પાણીપુરીમાં પુરી તો જોઈએ જ, પાણી પણ જોઈએ. જેમ કે, પાઉંભાજીમાં ભાજી તો જોઈએ જ પાઉં પણ જોઈએ. જેમ કે, વૅલ હજાર દાખલાઓ આપી શકીએ.

મહાપુરુષોનું જીવન બારીકાઈથી તપાસતાં તેઓની મહાનતાનું આ ત્રીજું તત્ત્વ મને હાથ લાગ્યું છે. તમે ગેસ કરો કે આ ત્રીજું ઈન્ગ્રેડિયન્ટ કયું છે.

ત્રીજું જે ઈન્ગ્રેડિયન્ટ છે તે – સૌને સાથે લઈને ચાલવાની વૃત્તિ.

જિંદગીમાં મતભેદો તો થવાના. સૌની સાથે થવાના. જેમની સાથે સૌથી સારું બનતું હોય એમની સાથે પણ થવાના. જે વ્યક્તિઓ આપણી સૌથી નજીક હોય એમની સાથે સૌથી વધારે થવાના. આ મતભેદોને ઓગાળતાં આવડવું જોઈએ અને જે મતભેદો ઓગળી શકે એમ ન હોય એને બાજુએ મૂકીને સાથે મળીને આગળ વધતાં આવડવું જોઈએ.

મનભેદ જેવો શબ્દ માત્ર મતભેદ સાથે પ્રાસ મેળવવા માટે જોડી કાઢવામાં આવેલો અને ખોટી રીતે પ્રચલિત થયેલો શબ્દ છે.

મતભેદ હોય તોય મનભેદ ન હોવો જોઈએ એવી ચવાઈને ચુથ્થા જેવી બની ગયેલી વાતમાં પ્રાસના ત્રાસ સિવાય બીજું કશું નથી. આવા પ્રાસાનુપ્રાસવાળાં ઘણાં વાક્યો બોલવામાં કે લખવામાં ચમત્કારપૂર્ણ લાગે, પરંતુ એમાં થોડું ખોદકામ કરતાં જ ખબર પડે કે આમાં કશું ઊંડાણ નથી, કોઈ ચિંતન કે ઉમદા વિચાર નથી, માત્ર શૈલીવેડા છે. અબૂધ અને અભણોને આંજી નાખવાની હાથચાલાકી છે. મતભેદ-મનભેદવાળો રૂઢિપ્રયોગ આવો જ એક છીછરો રૂઢિપ્રયોગ છે જેનાથી છેતરાઈને અંજાઈ જવાની જરૂર નથી.

વાજપેયીએ સળંગ પાંચ વર્ષ સુધી જે એન.ડી.એ.ની સરકાર ચલાવી તેમાં લગભગ બે ડઝન નાના-મોટા રાજકીય પક્ષો સત્તાના ભાગીદાર હતા. સૌની સાથે ભાજપને મતભેદ. એ બધામાંથી મોટા ભાગનાને એકબીજા સાથે પણ મતભેદ. મનભેદવાળી તો વાત જ ક્યાંય નહોતી, કારણ કે તેઓ ભેગા થયા એ પહેલાં એ બધાની વચ્ચે મનમેળ હતો જ ક્યાં? મનમેળ ન હોય તોય મતભેદો બાજુએ મૂકીને સ્થિર શાસન આપી શકાય. આર્ટિકલ 370, રામમંદિર અને યુનિફોર્મ સિવિલ કોડ આ ત્રણ મુદ્દા ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં લખ્યા હતા. પણ બીજા પક્ષોને સાથે લઈને સરકાર રચાઈ ત્યારે જે કૉમન મિનિમમ પ્રોગ્રામ બન્યો તેમાં આ ત્રણેય મુદ્દા નહોતા. જો આવું ન થયું હોત તો સરકાર જ ન બની હોત અને ભાજપને સળંગ પાંચ વર્ષ શાસન કરતાં આવડી શકે છે તેવું દેશના મતદારો સમક્ષ સિદ્ધ ન થયું હોત. કૉન્ગ્રેસ કરતાં ભાજપ વધુ સારું શાસન આપવા સમર્થ છે એવું પણ પ્રજાને ન સમજાયું હોત. વાજપેયી સરકારના એ પરફોર્મન્સ વિના 2014માં મોદી સરકાર બની શકી હોત? ડાઉટફુલ છે. પાયો વાજપેયીએ નાખ્યો અને ઈમારત મોદીએ ચણી. પાયો નાખવા માટે વાજપેયીએ કેટલાક લોકોની ગાળો ખાઈને પણ બીજા રાજકીય પક્ષો સાથે મતભેદ ક્રિયેટ કરતા (અને ભાજપ માટે અતિ મહત્ત્વના એવા) ત્રણ મુદ્દાઓને બાજુએ રાખવા પડ્યા.

મનભેદ જેવો શબ્દ માત્ર મતભેદ સાથે પ્રાસ મેળવવા માટે જોડી કાઢવામાં આવેલો અને ખોટી રીતે પ્રચલિત થયેલો શબ્દ છે. એ રૂઢિપ્રયોગમાંથી બહાર આવી જઈએ તો મનમેળ અને મતભેદવાળી વાત સારી રીતે સમજી શકીશું. વાજપેયીએ જેમ મનમેળ વિનાની સરકાર ચલાવવા માટે મતભેદો બાજુએ મૂકવા પડ્યા એ જ રીતે જિંદગીમાં મહાન કાર્યો કરવા માટે જેમની સાથે મનમેળ નથી હોતો તેમની સાથે પણ કૉમન મિનિમમ પ્રોગ્રામ બનાવીને આગળ વધવાનું હોય છે. ગાંધીજીથી બચ્ચનજી સુધીના સૌ કોઈ આ જ રીતે આગળ વધીને મહાનતાના શિખર પર બિરાજ્યા છે.

સૌને સાથે લઈને ચાલવાનો મતલબ એ નથી કે પોતાનું ધાર્યું ન કરવું. મહાન માણસોએ પોતાનું જ ધાર્યું કરવું જોઈએ. બીજાનું ધાર્યું તો ગુલામો કરે. પોતાનું ધાર્યું કરવા માટે બે વાત જોઈએ. એક તો નીરક્ષીર વિવેક અને બીજી મક્કમતા. શું સારું છે, શું સાચું છે તે પારખવા માટેની કોઠાસૂઝ એટલે નીરક્ષીર વિવેક. ક્યારેક એવું પણ બને કે જે સાચું અને સારું હોય તેનો પણ તમારે કામચલાઉ ત્યાગ કરવો પડે. આવો ત્યાગ ક્યારે કરવો અને ક્યારે નહીં એની નિર્ણયશક્તિ પણ તમારામાં નીરક્ષીર વિવેક હોય તો જ આવે. પાણી અને દૂધને અલગ કરવાની કળા સૌ કોઈનામાં નથી હોતી. જેમનામાં આ દુર્લભ ગુણ હોય છે તેઓ ઘણી વખત આવો વિવેક દેખાડ્યા પછી મક્કમ રહી શકતા નથી. મક્કમતા વિનાનો નીરક્ષીર વિવેક બહુ કામનો નથી હોતો.

સૌને સાથે રાખવા માટે તમારે ન્યુસન્સ મેકર્સને ચલાવી લેવાની જરૂર નથી. એમને દંડ આપવો કે સાઈડલાઈન કરીને અવગણવા તે પરિસ્થિતિ પર આધાર રાખે છે. પણ જો એમને ચલાવી લેશો તો એમને પ્રોત્સાહન મળશે અને તેઓ વધુ કૂદકા મારશે જેને લીધે તમારા જેન્યુઈન સપોર્ટર્સમાં અસંતોષ ફેલાશે, તેઓ તમારાથી અંતર રાખતા થઈ જશે. તમે વીક દેખાશો અને વધુ વીક થતા જશો.

સૌને સાથે રાખવાની કળા હસ્તગત કરવા માટે તમારામાં એ દૃષ્ટિસૂઝ હોવી જોઈએ કે કઈ વ્યક્તિમાં કઈ ખૂબી છે અને તમારા ધ્યેય માટે એ ખૂબીનો તમે કેવી રીતે ઉપયોગ કરી શકો છો અને એ ઉપયોગના બદલામાં તમે એને શું વળતર આપી શકો છો.

દરેક મહાન વ્યક્તિ લોકોને પોતાની સાથે જોડીને આગળ વધી હોય છે, લોકોને પોતાની વિરુદ્ધ થવા માટે ઉશ્કેરીને નહીં.

આ દુનિયામાં કોઈ ચીજ નકામી નથી. દરેકે દરેક નિર્જીવ ચીજનું કંઈક ને કંઈક મહત્ત્વ તો હોવાનું જ. જો નિર્જીવ ચીજ પૂરેપૂરી નકામી ન હોય તો સજીવ વ્યક્તિ કેવી રીતે આખેઆખી નકામી હોઈ શકે. દરેકે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે તમારા જીવન માટે કામની હોવાની. તમારે એ જોવાનું, ત્રાજવે જોખવાનું કે એ વ્યક્તિમાં તમારા માટે જે કંઈ કામનું છે તેનું કેટલું વળતર આપવાનું તમને વાજબી લાગે છે. ક્યારેક તમારે મોંઘો લાગતો સોદો પણ કરી નાખવો પડે. રેલવે સ્ટેશન પર વીસ રૂપિયે મળતી પાણીની બૉટલ માટે તમારે સહરાના રણમાં પાંચસો રૂપિયા ખર્ચવા પડે ત્યારે એનો કોઈ અફસોસ ન હોય. તમને ખબર હોય છે કે જિંદગી આખી કંઈ સહરાના રણમાં ગુજરવાની નથી. અને ન કરે નારાયણ ને સહરાના રણમાં જ આખી જિંદગી ગુજારવાની હશે તો પાંચસો રૂપિયાની પાણીની બૉટલને બદલે બીજા કોઈ ને કોઈ વિકલ્પો મળી રહેશે.

સૌને સાથે લઈને ચાલવાનો મતલબ એ પણ નથી કે તમારો કોઈ વિરોધી ન હોય. જેઓને સ્પષ્ટ ખબર છે કે શું સારું અને સાચું છે અને એવી ખબર પડ્યા પછી જેઓ પોતાના વિચારો પર મક્કમ છે એમના વિરોધીઓ હોવાના જ. પણ તમને તમારા મતમાં એકવાર પાકી શ્રદ્ધા બેસી ગયા પછી વિરોધીઓ ગમે એટલે કાંકરા-પથ્થર-પહાડ તમારા પર ફેંકે તમારે તો એને ઝીલીને એના વડે તમારો જ કિલ્લો વધુ ને વધુ મોટો કરતાં રહેવાનું.

તાકાત લોકોને તમારી ખિલાફ કરવાથી નહીં પણ એમને તમારી સાથે જોડવાથી સર્જાતી હોય છે એવી ચાણક્યનીતિની છાંટવાળો સંવાદ અંડરવર્લ્ડવાળી કોઈ હિંદી ફિલ્મમાં વપરાઈ ચૂક્યો છે અને સો ટકા સત્ય છે એમાં. દરેક મહાન વ્યક્તિ લોકોને પોતાની સાથે જોડીને આગળ વધી હોય છે, લોકોને પોતાની વિરુદ્ધ થવા માટે ઉશ્કેરીને નહીં. અહીં બહુ ટ્રિકી સિચ્યુએશન ઊભી થાય છે. એક બાજુ આપણી માનીએ છીએ કે લોકોને આપણી ખિલાફ ન કરવા જોઈએ અને બીજી બાજુ આપણે કહીએ છીએ કે મક્કમતા ધરાવનારાઓ જ મહાન બને અને જેઓ પોતાના વિચારોમાં મક્કમ છે એમના વિરોધીઓ તો હોવાના જ. આ ડાયલેમાને કેવી રીતે સોલ્વ કરીશું. દેખીતી રીતે અહીં વિરોધાભાસ છે અને દુવિધા સર્જાય છે કે આ બેમાંથી શું સારું?

વિચારીએ આવતા બુધવારે.

સાયલન્સ પ્લીઝ!

મન ખુલ્લું હોવું જોઈએ. શીખવા માટે અને શીખેલું ભૂલવા માટે પણ તૈયાર હોવું જોઈએ.

-–અજ્ઞાત
••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

  1. આ આર્ટિકલ નો 09-09-2020 પછી નો ભાગ જોઈએ છે.

  2. મહાન બનવાના ગુણો અંગેના લેખમાં તમે અમિતાભ બચ્ચનને મહાન ગણાવ્યા છે પણ તેને વધુ સફળ માણસ ગણી શકાય, મહાન નહીં. તેમનામાં ઘણાં સારા ગુણો છે જેને હિસાબે સફળતા મળી છે અને ટકાવી પણ રાખી છે. તેનો મતલબ તે મહાન છે તેવું ના કહી શકાય. તમારા વિશ્લેષણ પ્રમાણે તે બધાને સાથે લઈને ચાલતા હોય તેવું મને લાગતું નથી. એક સારા કલાકાર અને સારા માણસ તરીકે કદર કરું છું.

    • Agree with you. Same applies to few other names too.
      In a classroom every one can not have first rank. All students should gain something useful.
      ” Sarve Janaha Sukhino Bhavantu”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here