તમારું લોહી પી જતી જળો પણ તમારા માટે કામની છે! —હરદ્વારના યોગગ્રામમાં ૧૯મો દિવસ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ચૈત્ર વદ ત્રીજ, વિક્રમ સંવત ૨૦૭૮. મંગળવાર, ૧૯ એપ્રિલ ૨૦૨૨)

બે અઠવાડિયાંથી વધુ સમય થઈ ગયો, મેં ઘઉં – ચોખા – સાકર/ખાંડ/ગોળ – ઘી – તેલ – મરચું – મીઠું, કશું જ ખાધું નથી. જિંદગી આખી આ બધાંનો ત્યાગ કરવાનો છે એવું નથી. પચાસ દિવસ દરમ્યાન આ બધું છોડ્યા પછી એકાવનમા દિવસથી આ સૌના પર નિયંત્રણ આવી જવાનું એ ચોક્કસ. રોજિંદા આહારમાં આ બધાંનું પ્રમાણ ઘણું ઘટી જવાનું.

યોગગ્રામમાં આવીને રિયલાઈઝ થાય છે કે અત્યાર સુધી તમે વર્ષો સુધી શરીરના પોષણ માટે નહીં પણ જીભના સ્વાદ માટે ખાતા હતા. એક ઉપમા સૂઝે છે. ધારો કે પેટ્રોલ કે ડીઝલની વાસ તમને નથી ગમતી. કોઈ ઓઈલ કંપનીએ પરફ્યુમ ઉમેરેલું પેટ્રોલ બનાવ્યું છે જેની સુગંધ તમને બહુ ગમે છે. પણ એવું સુગંધિત પેટ્રોલ તમારી કારની કે તમારા સ્કૂટર/બાઈકની ટાંકીમાં ભરશો તો એન્જિન પર અવળી અસર પડશે અને તમારા વાહનના પાર્ટસ જલદી ઘસાઈ જશે. તો તમે શું કરશો? તમને પ્રસન્ન કરે એવું, મન તરબતર કરી નાખે એવું, પરફ્યુમવાળું પેટ્રોલ ટાંકીમાં નખાવશો કે પછી તમને જેની ગંધ નથી ગમતી એવું નૉર્મલ પેટ્રોલ વાપરશો?

ખોરાકનું આવું જ છે. નાનપણથી જ પૌષ્ટિક આહારની ટેવ પ્રત્યે આપણાં માબાપો જ સભાન નથી હોતાં. છોકરાંઓને લાડ લડાવવા માટે અણસમજુ પેરન્ટ્‌સ એમને ચોકલેટ – પીપરમીન્ટ – આઈસ્ક્રીમ – મીઠાઈઓ – પિત્ઝા – વેફર્સ – કોકાકોલાની લાલચ આપતાં થઈ જાય એ પછી છોકરાંઓને આ નથી ભાવતું ને તે નથી ભાવતું એવી જીદ કરવાની ટેવ પડતી જાય. સ્કૂલમાં જતાં થાય એટલે દેખાદેખીથી જન્ક ફૂડના રવાડે ચડી જાય. આ જન્ક ફૂડના પ્રચારપ્રસાર માટે મલ્ટીનેશનલ કંપનીઓ, જે ભારતમાં અબજો રૂપિયાનું ટર્નઓવર કરતી થઈ ગઈ છે તે, જવાબદાર છે. કેટલીક સ્કૂલો આવી કંપનીઓની એજન્ટ હોય છે જે પોતાની કેન્ટીનોમાં એકસ્ટ્રા કમિશનથી મળતી એરિયેટેડ કોલ્ડ ડ્રિન્ક્‌સ કે વેફર્સ જેવી ચીજો વેચીને વિદ્યાર્થીઓને પૌષ્ટિક નાસ્તાઓથી વંચિત રાખે છે. મોટાભાગનાં સ્ટુડન્ટ્‌સ પણ નાદાન બુદ્ધિને કારણે જન્ક ફૂડ ખાવું એટલે મોડર્ન ગણાઈએ પણ ઘરે થી ખાખરા, બટાકાપૌંઆ, પાપડપૌંઆ કે એવાં બીજાં ડઝનબંધ પૌષ્ટિક નાસ્તાઓ લંચ બૉક્સમાં લાવવા જૂનવાણી ગણાય એવું માનતા થઈ જાય છે. હવે તો ઘણી માતાઓ પોતે જ ટિફિનમાં જન્ક ફૂડ પધરાવીને બાળકને ખુશ કરવાના બહાને પોતાની જવાબદારીમાંથી છટકીને પોતાની અણઆવડતને છુપાવતી થઈ ગઈ છે. આમાં આ યંગ મધર્સનો પણ વાંક નથી. તેઓ જે વાતાવરણમાં જીવે છે એ જ દૂષિત છે, તેઓ જ્યાં નોકરી – વ્યવસાય કરે છે તે ઑફિસોમાં અને જો પોતે હાઉસવાઇફ હોય તો ઘરના અને અડોશ પડોશના વાતાવરણમાં સર્વત્ર જન્ક ફૂડના પ્રદૂષણની બોલબોલા છે.

ખોરાકમાં સ્વાદનું મોટું મહત્ત્વ છે એ તો સ્વીકારી લીધું પણ સ્વાદ એટલે શું એની આપણને ખબર નથી. નમક, ખાંડ અને તેલ – ઘીથી ભરપૂર વાનગીઓ જ સ્વાદિષ્ટ હોય એવું માની લીધું છે.

‘ભગવાને આપણને સૌને કેટલું સુંદર શરીર આપ્યું છે, જીવન આપ્યું છે, બુદ્ધિ આપી છે. એમની આ કૃપાનો અનાદર નહીં કરવાનો’: સ્વામી રામદેવ

સ્વામી રામદેવ કહેતા હોય છે કે સ્વાદ માટે જ જે ખાતા હો એને જીભ પર મૂકીને એનો પૂરેપૂરો સ્વાદ માણી લો. મોઢામાં એક રસગુલ્લું, એક પાણીપુરી મૂકીને એને પૂરેપૂરી માણીને સ્વાદની ઇચ્છા બે મિનિટમાં પૂરી કરી લઈએ. કારણ કે તમને ખબર છે કે આ ખોરાક જીભમાંથી ગળાની નીચે ગયા પછી તમને કંઈ ફરક નથી પડવાનો કે તમે સ્વાદિષ્ટ ખાધું છે કે પછી બીજું કંઈ, તમે તમને ભાવતું ખાધું છે કે બીજું કંઈ. જે કંઈ ખેલ છે તે માત્ર જીભ પર ખાવાનું હોય છે તે ક્ષણો પૂરતો હોય છે. તો પછી બે મિનિટ માટે એને માણી લો. પણ પછી પૌષ્ટિક ખોરાક શરીરને આપો.

આજે સ્વામીજીએ યોગાભ્યાસ દરમ્યાન કહ્યું કે, ‘ભગવાને આપણને સૌને કેટલું સુંદર શરીર આપ્યું છે, જીવન આપ્યું છે, બુદ્ધિ આપી છે. એમની આ કૃપાનો અનાદર નહીં કરવાનો. કોઈપણ સાત્ત્વિક તત્ત્વનો અનાદર નહીં કરવાનો. કોઈપણ ખરાબ તત્ત્વનો આદર નહીં કરવાનો.’

સ્વામીજીએ કહ્યું કે ‘જીવન વિધિ—નિષેધથી ચાલે છે.’

સ્વામીજીની આ વાત વિશે જરા વિગતે વિચારીએ. વિધિ એટલે શું શું કરવું, ક્યા નિયમો જીવનમાં પાળવા. નિષેધ એટલે શું શું ન કરવું, જીવનમાંથી કઈ બાબતોનો ત્યાગ કરવો અથવા કઈ બાબતોને પ્રવેશવા જ ન દેવી. અંગ્રેજીમાં કહીએ તો જિંદગીમાં કેટલાક ‘ડુઝ’ અને ‘ડોન્ટ્‌સ’ નક્કી કરી લેવાનાં.

‘જીવન એક અખંડ, પ્રચંડ પુરુષાર્થ છે. વિનમ્રતા અને વિનયની સાથે થતો પુરુષાર્થ છે’: સ્વામિ રામદેવ

તમારે કાલે કેટલા વાગે ઉઠવાનું છે તેનો નિર્ણય વિધિનો એક હિસ્સો થયો. ઉઠ્યા પછી શું શું નથી જ કરવું તે નિષેધનો હિસ્સો ગણાય. આ જ રીતે ખાવાપીવાની બાબતમાં ધંધા – વ્યવસાય – નોકરીની બાબતમાં, સંબંધોની બાબતમાં, કમાણીની બાબતમાં, ખર્ચ કરવાની બાબતમાં, સામાજિક અને જાહેર જીવનની બાબતમાં, ચારિત્ર્યની બાબતમાં, વિચારોની બાબતમાં, વ્યવહારોની બાબતમાં, વાંચનની બાબતમાં, બોલવાની અને જોવાની અને સાંભળવાની બાબતમાં, હરવાફરવાની બાબતમાં – જીવનનની દરેકે દરેકે બાબતમાં કેટલીક વિધિઓ નક્કી કરવાની હોય, કેટલાક નિષેધ પાળવાના હોય. આ નક્કી કરવાનું કામ તમારું. તમારા સંસ્કાર, તમારો ઉછેર, તમારું આસપાસનું વાતાવરણ, તમારાં લક્ષ્ય—આ બધું જ તમારા વિધિ-નિષેધ નક્કી કરવામાં ભાગ ભજવે છે. એવું મને લાગે છે. તમે આ વિશે નિરાંતે વિચારશો તો તમને પણ લાગશે અને સ્વામીજી એ એક વાકયમાં કહી દીધેલી ઘણી મોટી વાત સમજવામાં આસાની થશે.

સ્વામીજીએ આજે એ પણ કહ્યું કે, ‘જીવન એક અખંડ, પ્રચંડ પુરુષાર્થ છે. વિનમ્રતા અને વિનયની સાથે થતો પુરુષાર્થ છે.’
એમણે કહ્યું, ‘ક્ષણિક આવેશ કે આવેગોમાં તણાઈ જતાં બચીએ. ઉત્તેજના, આક્રોશ, રિએક્‌શન, ક્રોધ, લાલચ, ધનદૌલત, ખાવાપીવાનું – આ બધાં ક્ષણિક આવેશનાં પરિણામો કે કારણો છે. ધીરજ ક્યારેય નહીં ખોતા. ક્ષણિકવાદી નહીં બનતા. શાશ્વતના પ્રતિનિધિ બનજો. મન થયું એટલે તરત શૉપિંગ માટે ઉપડી જવાને બદલે જેટલું છે તેને માણતાં શીખો, ઓછામાં સંતોષ લેતાં શીખી જાઓ.’

સ્વામીજીની એકએક વાત સૂત્રાત્મક હોય છે. દરેક સૂત્ર પર તમે ભાષ્ય લખી શકો: ‘પરંપરાના નામ પર તમે પરંપરાવાદી નહીં બની જતા… યોગનું પહેલું ચરણ જ શ્રદ્ધા છે પણ અંધશ્રદ્ધા – અંધવિશ્વાસ ઠીક નથી. પાખંડનો વિરોધ કરજો, એનું સમર્થન નહીં કરતા… પ્રાર્થનાપૂર્વક પુરુષાર્થ કરજો… હું તો એક દિવસ જાણે આખી જિંદગી જીવી લેતો હોઉં એ રીતે જીવું છું. આવતી કાલ મળી જાય તો એ બોનસ છે… સાત્ત્વિક આત્માને ક્યારેય સતાવશો નહીં. બેબસ – લાચારને પણ ક્યારેય સતાવશો નહીં… વ્યક્તિની નહીં, વ્યક્તિત્ત્વની ઉપાસના કરો. ચિત્રની નહીં ચરિત્રની ઉપાસના કરો… દિવસના 16 થી 18 કલાક દરેકે કામ કરવું જોઈએ… મૂળિયાં સાથે જોડાયેલા રહીને આકાશને આંબવાનું છે… આદતો બદલો – જીવવાની, ખાવપીવાની આદતો બદલી નાખો…વિપશ્યના કરતા હોય છે કેટલાક લોકો. એમાં શૂન્યની સાધના કરવાની હોય છે. આપણી પાસે સાધના કરવા માટે બીજું ઘણું છે – ઓમ, ગાયત્રી મંત્ર – બીજું ઘણું. તો પછી શૂન્યની ઉપાસના શું કામ કરીએ? હું કોઈની આલોચના નથી કરતો પણ જે હકીકત છે, જે સત્ય છે તેની જાણકારી તમને આપું છું… કિડનીનો પ્રોબ્લેમ હોય તો ગોખરુ અને કુલકનું પાણી બનાવીને પીતા રહો. સ્ટોન ફૉર્મેશન નહીં થાય. ધાણાને પાણીમાં ક્રશ કરીને ગાળીને એનું પાણી પીતા રહો…’

આ બધી જ સૂત્રાત્મક વાતો આજે એક જ દિવસમાં, સવારની યોગશિબિર દરમ્યાન, સ્વામીજી પાસેથી સાંભળી. દરેક સૂત્ર વિશે ચિંતન કરીને એકએક લેખ લખી શકાય.

કેટલાક અસાધ્ય ચર્મરોગો તેમ જ બીજી ઘણી બીમારીઓની સારવારના એક ભાગરૂપે લીચ થેરપી અક્સીર પુરવાર થઈ છે. સ્વામીજીએ એક વખત કહ્યું હતું ભવિષ્યમાં દેશ આખામાં ખુલનારાં સેંકડો પતંજલિ વેલનેસ સેન્ટરોમાં લીચ થેરપી ઉપલબ્ધ થઈ જાય એવું પ્લાનિંગ છે

યોગગ્રામમાં આવતાં પહેલાં મને થોડી ઘણી ખબર હતી કે અહીં પ્રાકૃતિક ચિકિત્સાના એક ભાગરૂપે લીચ થેરપી પણ મળે છે. લીચ એટલે જળો. પાણીમાં થાય. જળો એક વખત તમારા પગ પર કે શરીરના કોઈ પણ અંગ પર ચીટકી જાય તો તમારું લોહી ચૂસી ચૂસીને તગડી ન થઈ જાય ત્યાં સુધી તમને છોડે નહીં અને પછી પોતે મરી જાય.

પ્રાકૃતિક ચિકિત્સામાં લીચ થેરપીને શાસ્ત્રીય સ્વરૂપ આપવામાં આવ્યું છે. અહીં ઘણા લોકો લીચ મૂકાવે છે. ડૉક્ટરો પાસે રેકમેન્ડેશન લેવું પડે અથવા ડૉક્ટર સામેથી તમને સજેસ્ટ કરે. મારે લીચ થેરપીની કોઈ જરૂર નથી. પણ પોતાના પગની વેરિકોઝ વેઈનના ઇલાજ માટે જેણે યોગગ્રામમાં લીચ મૂકાવી એની પાસેથી મેં આ વાતો જાણી છેઃ

સૌથી પહેલાં તો લીચ મૂકાવવાનો નિર્ણય કર્યા બાદ બ્લડ ટેસ્ટ કરાવવો પડે—તમે એચ.આઈ.વી. પોઝિટિવ નથી એની ખાતરી કરી લેવા. કારણ કે ચિકિત્સા સહાયકો તમારા બ્લડવાળી જળોને હૅન્ડલ કરવાના હોય છે. ઉપરાંત, તમારું લોહી તાત્કાલિક ગંઠાઈ જાય એવું છે કે નહીં એ પણ તમારા બ્લડ રિપોર્ટથી નક્કી થઈ જાય. આ બેઉ બાબતોમાં પ્રૉબ્લેમ હોય તો તમને લીચ થેરપી ન આપી શકાય.

લીચને પાણી ભરેલા જારમાં રાખવામાં આવી હોય. જે ભાગ પર લીચ મૂકવાની હોય ત્યાં પહેલાં દૂધ ચોપડવામાં આવે. વેરિકોઝ વેઈન માટે પગ પર બે – ત્રણ જગ્યાએ મૂકવાની હોય, ડિપેન્ડ્‌સ કે પ્રૉબ્લેમ કેટલો છે. ઘણાને ખભા પર, મોં પર, માથા પર, આંખ પાસે, પીઠ પર – એવી રીતે વિવિધ અંગોની સારવાર માટે લીચ મૂકવવાની હોય. દૂધ એટલા માટે કે લીચને ખ્યાલ આવે કે અહીં ખોરાક છે. લીચ શરીર પર અડે ત્યારે કીડી ચટકો ભરતી હોય એવું લાગે. કેટલાકને વધારે દર્દ પણ થાય – જેવું જેનું શરીર. લગભગ એક થી બે કલાક સુધી ધીમે ધીમે આ જળો તમારા શરીરમાંથી અશુદ્ધ લોહી ચૂસતી રહે. એ દરમ્યાન એ એકદમ જાડી ટેટા જેવી તે થઈ જાય. સમય નોંધીને અનુભવી થેરપિસ્ટ આ જળોને તમારા શરીર પરથી દૂર કરે. લીચ એમને એમ નહીં ઉખડે. એના પર જરા હળદર ભભરાવે એટલે તરત જ ખરીને નીચે પડે. એને ઉપાડીને થેરપિસ્ટ આસ્તેથી નીચોવી નાખે. જળોએ ચૂસેલું બધું જ અશુદ્ધ લોહી જળોના શરીરમાંથી બહાર ઠાલવીને લોહીનો યોગ્ય નિકાલ કરી દે અને જળોને પાછી પાણીવાળા જારમાં મૂકી દે. એક વખત આ રીતે વપરાઈ ગયેલી જળોને એક અઠવાડિયા સુધી ‘આરામ’ આપે, અઠવાડિયા પછી ફરી કામે લગાડે. જળોમાંથી જો લોહી નીચોવી લેવામાં ન આવે તો જળો મરી જાય. કેટલાક અસાધ્ય ચર્મરોગો તેમ જ બીજી ઘણી બીમારીઓની સારવારના એક ભાગરૂપે લીચ થેરપી અક્સીર પુરવાર થઈ છે. સ્વામીજીએ એક વખત કહ્યું હતું ભવિષ્યમાં દેશ આખામાં ખુલનારાં સેંકડો પતંજલિ વેલનેસ સેન્ટરોમાં લીચ થેરપી ઉપલબ્ધ થઈ જાય એવું પ્લાનિંગ છે. લીચ થેરપી લીધા પછી એક દિવસ માટે સંપૂર્ણ આરામ લેવાનો અને નહાવાનું પણ નહીં. બીજા દિવસે બેન્ડેજ ખોલીને ડૉક્ટર જે સૂચન કરે તે મુજબ આગળ વધવાનું.

કેટલાય બિનજરૂરી અવાજો, ખાસ કરીને શહેરી – સેમી શહેરી વિસ્તારોમાં આપણા કાને પડતો હશે અને આપણાને ખબર પણ ન પડે એ રીતે આપણા અચેતન મનને ક્ષુબ્ધ કર્યા કરતા હશે

મેં આજે બે નવી થેરપી લીધી જેમાંથી એક હતી કર્ણ – પૂરણ. બેઉ કાનમાં વારાફરતી ઔષધીય તેલ નાખે. એ પહેલાં કાન પર મસાજ કરીને એનું રક્તાભિસરણ ગતિશીલ બનાવી દે. કાન બહુ નાજુક અવયવ છે. અનેક બીમારીઓની આડઅસર પણ કાન પર પડતી હોય છે જેને કારણે બહેરાશ આવી જતી હોય છે. મેં છેલ્લે બે – ત્રણ વર્ષ પહેલાં કાનની તપાસ કરાવી હતી. મેટલના સાધન વડે અવાજનાં ધીમાં આંદોલનો કરીને તપાસ થઈ હતી. ફેફસાંની પણ તપાસ કરાવી હતી. ફૂંક મારીને પ્લાસ્ટિકનો બોલ કેટલો ઊંચો ઉછાળી શકાય છે એવું બધું જુએ. લકીલી, બધું જ ટનાટન હતું અને હજુ સુધી એ બાબતોએ કોઈ કષ્ટ નથી.

કાનમાં પૂમડાં ભરાવીને એક કલાક સુધી તેલને એમાં શોષાવા દેવાનું. આ દરમ્યાન બહારનો અવાજ બહુ ઓછા પ્રમાણમાં સંભળાય. થેરપી લઈને હું જમવા માટે ડાઈનિંગ હૉલમાં ગયો. કોઈની સાથે વાત કરતી વખતે બરાબર સંભળાય એ માટે એક કાનનું પૂમડું જેવું કાઢ્યુ કે તરત ડાઈનિંગ હૉલમાં થતો લોકોનો ગણગણાટ મને રેલવે પ્લેટફૉર્મ પરના ઘોંઘાટ જેવો મોટો લાગવા માંડ્યો. હું અશાંત થઈ ગયો. મેં પૂમડું પાછું ખોસી દીધું. સામાન્ય સંજોગોમાં રોજ આટલો જ ગણગણાટ ડાઈનિંગ હૉલમાં હોય છે જેની મેં ક્યારેય નોંધ પણ નથી લીધી. જરા વિચાર કરો કે આવા તો કેટલાય બિનજરૂરી અવાજો, ખાસ કરીને શહેરી – સેમી શહેરી વિસ્તારોમાં આપણા કાને પડતો હશે અને આપણાને ખબર પણ ન પડે એ રીતે આપણા અચેતન મનને ક્ષુબ્ધ કર્યા કરતા હશે, રેલગાડી, લાઉડસ્પીકરો, પાણીની મોટર, ટ્રાફિક – હૉર્ન, ટીવી – અનેક ફિજુલ અવાજોથી મન ડહોળાયેલું રહેતું હશે અને આપણને ખબર પણ નહીં પડતી હોય. મનોજકુમારની એક પ્યાર કા નગમા હૈવાળી ફિલ્મ ‘શોર’ યાદ આવી ગઈ.

કર્ણ – પૂરણ કરાવીને, જમતાં પહેલાં, મારે એક વૉટર થેરપી લેવાની હતી. જળ ચિકિત્સા એક ઘણું મોટું શાસ્ત્ર છે. માટીપ્રયોગ તથા યજ્ઞ ચિકિત્સા વિશે વિગતે વાત કરી એ રીતે આગામી દિવસોમાં એના વિશે પણ વિગતે લખવાનો વિચાર છે.વૉટર થેરપીના અનેક પ્રકાર હોય છે. અહીં અડધો એક ડઝન કરતાં વધારે જાતની જળચિકિત્સા થાય છે.

બાથટબ કરતાં થોડા પહોળા એવા ટબમાં લાંબા થઈને બેસી જવાનું— ગળાથી ઉપરનો ભાગ પાણીની બહાર રહે તે રીતે. છલોછલ પાણીમાં મુઠ્ઠી ભરીને મેગ્નેશિયમ અને મીઠું નાખીને મશીન ચાલુ થાય. પાણીમાં ચારે દિશાઓ મૂકેલા ફુવારા વિવિધ પ્રેશરથી પાણી છોડ્યા કરે અને તમારા શરીરના વિવિધ અંગોને, સ્પર્શે, તમને ગુદગુદી થાય. મઝા પડે. જોકે, આ બધું મઝા માટે નથી હોતું. ઔષધીય પાણી દ્વારા, પાણીના પ્રેશર દ્વારા શરીરને જે મસાજ મળે તેનું મહત્ત્વ છે. પંદર – વીસ મિનિટ ‘મઝા’ કરીને રૂમ પર આવીને નહાઈ લેવાનું.

અહીં રોજેરોજ સવારે લંચ પહેલાં અને બપોરે લંચ પછી દરેક જણે બે – ત્રણ – ચાર ટ્રીટમેન્ટો લેવાની હોય છે. આવી દરેક થેરપી જો તમે શહેરમાં છુટક – છુટક લેવા જાઓ તો ટ્રીટમેન્ટ દીઠ પાંચસોથી લઈને પાંચ હજાર રૂપિયાનો ખર્ચ થઈ જાય. કૅનેડાથી પોતાની માતા સાથે આવેલી ગરિમા નામની યુવતીએ મને કહ્યું કે ત્યાં એક વખત એ પોતાની બહેનપણીને લઈને પોતાની બર્થડે મનાવવા આવા જ એક ઉપચાર કેન્દ્રમાં ગઈ ત્યારે એણે બે જણ માટે બે કલાકના પાંચસો ડૉલર્સ ચૂકવ્યા હતા.

યોગગ્રામ – નિરામયમમાં કુલ લગભગ અગિયારસો વ્યક્તિઓને રહેવાની સારવાર આપવાની વ્યવસ્થા છે. એમના માટે અહીં કુલ બે હજાર વ્યક્તિઓનો સ્ટાફ છે જેમાં મોટા મોટા ડૉક્ટરો, આયુર્વેદાચાર્યો, નેચરોપથિસ્ટસ, યોગાચાર્યો, યજ્ઞ વિધિ કરાવનારા સ્વામીજીઓથી માંડીને ચિકિત્સા સહાયકો, વેઈટરો, એડમિન સ્ટાફ, હાઉસ કીપિંગ સ્ટાફ વગેરેનો સમાવેશ થઈ જાય. પ્રેટિકલી દરેક વ્યક્તિ દીઠ બે જણનો સ્ટાફ થયો.

યોગપીઠ અહીંથી અડધો કલાક દૂર છે. દિલ્હી હરદ્વાર હાઈવેને ટચ આવેલા યોગપીઠના કોમ્પ્લેક્સમાં એપ્રિલની 25 તારીખથી યોગગ્રામ જેવું જ ‘પતંજલિ વેલનેસ’ સેન્ટર શરૂ થઈ રહ્યું છે. એમાં બે હજાર લોકોને રહેવાની, સારવાર આપવાની વ્યવસ્થા ગોઠવાઈ છે. દુનિયાનું સૌથી મોટું યોગ – આયુર્વેદ – પ્રાકૃત્તિક ચિકિત્સા કેન્દ્ર બનશે. સ્વામીજી 25મીએ ત્યાં મોટા પાયે યજ્ઞ કરીને એનું ઉદ્‌ઘાટન કરશે અને પાંચેક દિવસ માટે ત્યાં જ સવારની યોગશિબિર લેશે. અહીંના કેટલાક વરિષ્ઠ ડૉક્ટરો તેમ જ અનુભવી યોગાચાર્યો પણ પોતપોતાના મદદનીશોને અહીંનો કારભાર સોંપીને ત્યાંના નવા સંકુલની વ્યવસ્થાઓ ગોઠવીને અઠવાડિયામાં પાછા આવતા રહેશે. સ્વામીજી સળંગ પાંચ – છ દિવસ ત્યાં રહ્યા બાદ વારાફરતી આ બેઉ સંકુલમાં શિબિર લેતા રહેશે.

આજે સવારના યોગાભ્યાસ પછી બ્રેકફાસ્ટ પહેલાં રૂમમાં પેટ – પેડુ પર તેમ જ આંખ પર મિટ્ટીપટ્ટી મૂકતી વખતે યુટ્યુબ પર ભારતરત્ન સ્વસામ્રાજ્ઞી એમ.એસ. સુબ્બુલક્ષ્મીના કંઠમાં ગવાતી સુપ્રભાતમ્ પ્રાર્થના સાંભળી. એમના કંઠે વિષ્ણુસહસ્ત્રનામ સાંભળવાની પણ ખૂબ મઝા આવે. તમે પણ સાંભળજો.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

11 COMMENTS

  1. Sir Tamara Lekho Adarpuravak Vanchu Chhu Pan Aa Tamari Haridvar Yatra Nu pustak Chhapay To Jivanbhar Upyogi Bani Rahe.

  2. ખરેખર તમે અનુકરણીય નવું જીવન જીવી રહ્યા છો.
    આનંદ આનંદ.
    જીભના ચટકા ફક્ત બાળકોને નથી લાગતા, મોટેરાંઓ અને પીઢ લોકો પણ તે બાબતમાં બાકાત નથી.
    અનુભવો share કરો છો. આભાર

  3. Your all the articles on yoggram series of your stay is very knowledgeable and inspiring. Even i want to go Thr. Do you have any idea is thr any kind of concession for needy people?
    I am sure after your 50days stay you will be transformed into completely different person

  4. ઘણું નવું જાણવા મળી રહ્યું છે. આભાર.
    નવું જરૂરી કરવા માટેની દૃઢતા ભેગી કરવાની કોશિશ ચાલુ છે.
    નબળું મન લાભ ચાહે પણ બદલાવ લાવવું અઘરું છે.

  5. સર જી આપની લેખમાળા વાંચી પ્રત્યક્ષ હાજર હોઈએ એવી અનુભૂતિ થાય છે.મન ત્યાં પહોંચી જાય છે.ખૂબ ખૂબ આભાર

  6. Aaje ek vichar avyo. Tame swamiji ni janma thi atyar sudhi ni jeevani lakho to bahu samaj upyogi kam thase . Pachhi thi ena par thi koi biopic banawse to newspremi ne kamani par thase ane samaj ne swamiji no vastavik parichay thase

  7. જીવનને જોવાની નવી દ્રષ્ટિ મળી. આભાર સૌરભભાઈ

  8. Tamara sundar mahiti sabhar lekh vachvani khub maza aave che bija divasna lekhni rah jovanu shru thai jay che.
    Namast

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here