ડૉક્ટરોએ લખી આપેલી દવાઓ છોડતાં તમને ડર લાગે છે કારણકે ડ્રગ માફિયાઓએ તમને ડરાવી દીધા છે — હરદ્વારના યોગગ્રામમાં ૧૫મો દિવસ : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ : ચૈત્ર સુદ ચૌદસ, વિક્રમ સંવત ૨૦૭૮. શુક્રવાર, ૧૫ એપ્રિલ ૨૦૨૨)

સ્વામી રામદેવજીએ આજે પરોઢિયે પાંચ વાગ્યે યોગાભ્યાસ કરાવવાની શરૂઆત કરતાં કહ્યું: ‘દરિદ્રતામાં સુખ નથી, ઐશ્વર્યમાં છે. પણ ઐશ્વર્ય આવતાંની સાથે એમાં વિલાસિતા પ્રવેશી જાય એનું જોખમ હોય છે. ઐશ્વર્ય આને પર ઉસે સહી દિશા મેં લગાઓ. સમૃદ્ધિ સેવા માટે છે… પુરુષાર્થ કરીશું તો અર્થનું આગમન નિશ્ચિત છે પણ પુરુષાર્થ કરીને જે સમર્થ બને છે તે સેવા કરે.’

સ્વામીજીએ કહ્યું, ‘ક્યારેય ભગવાનની કૃપાનો અનાદર નહીં કરતા, શુભનો અનાદર નહીં કરતા, ગુરુનો-શાસ્ત્રનો-વેદનો અનાદર નહીં કરતા.’

આપણા સૌના વ્યવહાર જગતને લાગુ પડે એવી ઔર એક વાત સ્વામીજી પાસેથી શીખવાની છે, એમણે કહ્યું: ‘સ્વામી રામદેવ ક્યારેય દેખાડા પાછળ એક પૈસો ખર્ચ નહીં કરે.’

સ્વાસ્થ્ય અંગે વાત કરતાં એમણે કહ્યું, ‘ડૉક્ટરોએ લખી આપેલી દવાઓ છોડતાં તમને ડર લાગે છે ક્યોંકિ તુમ્હેં ડરાયા ગયા હૈ — જો ડ્રગમાફિયા હૈ, મેડિકલ માફિયા હૈ — ઉન્હોંને ડરાયા હૈ તુમ્હેં’ આટલું કહીને એમણે ઉમેર્યું, ‘મેં જ્યારે આ બે શબ્દો પહેલી વાર વાપર્યા ત્યારે કેટલાક લોકો તૂટી પડતા હતા મારા પર’.
સ્વામીજીએ આ બે શબ્દો કૉઈન કર્યા છે, પ્રચલિત કર્યા છે— ડ્રગમાફિયા, મેડિકલ માફિયા. આ બંને માફિયાઓનો પ્રચાર-પ્રસાર કરવાનું કામ મીડિયામાફિયા દ્વારા થતું હોય છે. મીડિયામાફિયા શબ્દ સ્વામીજીનો નથી.

આજે પંદરમી એપ્રિલ-દોઢેક કલાકના યોગાભ્યાસ બાદ સ્વામીજીએ વાત પરથી વાત નીકળતાં કહ્યું, ‘હું મંચ પરથી જે કંઈ કહું છું તે બધું જ તમને યાદ રહેવાનું નથી. એટલે જ હું કહેતો હોઉં છું કે ડાયરી લઈને બેસો. આ અમારા સૌરભ શાહજી બહોત બડે લેખક ભી હૈં, વિચારક ભી હૈં, ચિંતક ભી હૈં ઔર પૂજ્ય (મોરારી) બાપુ કે પ્રેમી હૈં. પૂજ્ય બાપુ કી ભાષા મેં બોલેં તો ઉનકે ‘ફ્લાવર’ હૈં! (મુઝે) બોલે, ‘સ્વામીજી, મૈં યહાં પચાસ દિન કે લિયે આયા હૂઁ…’ મૈંને કહા, ‘ક્યું?’ બોલે, ‘મૈં કાયાકલ્પ કરને કે લિયે આયા હૂં… કલ તો (ઉનકા) બર્થ-ડે થા. બધાઈ હો આપ કો, બહોત આશીર્વાદ… ઔર બોલે, ‘સ્વામીજી, મેરી બીમારી તો સાત-આઠ દિન મેં ઠીક હો ગઈ. અબ કુછ રહા હી નહીં… અબ તો અંદર સે રૂપાંતરણ હોગા…’

યોગાભ્યાસ પછી બ્રેકફાસ્ટ, ટ્રીટમેન્ટ અને લંચ બાદ આરામ કરવાને બદલે મારા મિત્ર જય વસાવડાએ ‘ગુરુ તત્ત્વ’ વિશેના ગ્રંથ માટે એક લેખ લખવાનું આમંત્રણ આપેલું તો મનોમન મારા માટે જેઓ ગુરુ સમાન છે તે સૌનું સ્મરણ કરીને લેખ શરૂ કર્યો. લાંબો થશે. આજે, કાલે, પરમ દિવસે, જેમ અને જ્યારે સમય મળશે એમ ટુકડે ટુકડે લખીને પૂરો કરીશ. સ્વામી સચ્ચિદાનંદ, પૂ. બાપુ, સ્વામી રામદેવ, નરેન્દ્ર મોદી સૌ કોઈ યાદ આવ્યા આ લેખ લખતાં લખતાં.

કોઈ મારી પાસે એક જ શબ્દમાં જવાબ માગે કે યોગગ્રામમાં આવીને તમે શું પામ્યા? તો હું કહું કે- સંજિદગી, સિરિયસનેસ, ગંભીરતા , નિષ્ઠા. હજુ તો માત્ર બે જ અઠવાડિયાં અહીં આવ્યે થયાં છે. પચાસ દિવસ પછી મુંબઈ પાછો જઈશ ત્યારે મારા આ જવાબમાં વધુ ઊંડાણ ઉમેરાયું હશે કે નહીં એની મને ખબર નથી. કદાચ સાવ જુદો જવાબ પણ હોય. પરંતુ અત્યારે મને લાગી રહ્યું છે કે શારીરિક શુદ્ધિની સાથે મારામાં માનસિક શુદ્ધિની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. અગાઉ હું જે જે બાબતે સભાન હતો, સિરિયસ હતો તેના કરતાં વધુ ગંભીરતાપૂર્વક, વધુ નિષ્ઠાપૂર્વક આ બધી જ બાબતોને હું લેતો થઈ જઈશ એવું મને લાગે છે અને એ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ક્યાં સુધી પહોંચે છે એ હવે જોવાનું છે.

મારા કામ પ્રત્યે હું વધારે સિરિયસ થઈ રહ્યો છું. મારા લેખનને વધુ ગંભીરતાથી લઈ રહ્યો છું. અહીં સવારના સાડા ત્રણે ઉઠી ગયા પછી રાતના નવ, સાડા નવ, દસ તો ક્યારેક અગિયાર વાગ્યા સુધી અતિ વ્યસ્ત ટાઇમટેબલ હોય છે. કોઈ ભાગદોડ, ધમાચકડી કે સ્ટ્રેસ નથી હોતાં પણ સતત પ્રવૃત્તિશીલ રહીએ એવું શેડ્યુલ હોય છે. બે ઘડી ગપ્પાં મારી લઈએ કે ફોન પર તાજા સમાચાર જાણી લઈએ એવી ફુરસદ દિવસ દરમ્યાન મળી જાય પણ એ બધા માટે ઝાઝો સમય ન હોય. સમય સાચવી સાચવીને તમારે વાપરવો પડે. અન્યથા એક યા બીજી ટ્રીટમેન્ટ રહી જાય, ડૉક્ટર સાથેનું કન્સલ્ટેશન મુલતવી રાખવું પડે કે પછી સવાર-સાંજના વૉકમાંથી કશુંક જતું કરવું પડે કે ટૂંકાવી દેવું છે.

મુંબઈમાં નહોતી એટલી સમયની કદર અહીં કરતો થઈ ગયો છું. ટોળટપ્પાંમાં કે આળસમાં સમય ગુમાવવો પરવડે એમ નથી. થાક લાગતો નથી. ખોરાક પર નિયંત્રણ હોય, આહાર ઉપરાંત વિચારો પર પણ નિયંત્રણ હોય અને સાથે સઘન યોગ-પ્રાણાયામ કરતાં હોઈએ તો શરીરમાં કોઈ પણ ઉંમરે થાક પ્રવેશતો નથી. કોઈ પણ કામ કરવાનો કંટાળો આવતો નથી. પોતાનું કામ તો જાતે કરી જ લઈએ, બીજાને પણ મદદ કરીએ. શરીર જ્યારે નૈસર્ગિક રીતે બીમારીઓઓથી મુક્ત થઈ જાય ત્યારે એક નવી ઉર્જાનો અનુભવ થતો હોય છે. જીવનની દરેકે દરેક ક્ષણ અમુલ્ય છે, ઉપયોગી છે એવી સભાનતા પ્રવેશે છે. એને વેડફવી નથી એવી ગંભીરતા મગજમાં પ્રવેશે છે.

યોગગ્રામ આવવાનો બીજો સૌથી મોટો ફાયદો મને એ થઈ રહ્યો છે કે હું બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠતો થઈ ગયો. સવારે સાડા ત્રણે મારું એલાર્મ વાગે એ પહેલાં જ આંખ ઉઘડી જાય છે…આ કામ ધારીએ છીએ એટલું અઘરું નથી અને એની સામે જો તમે બ્રાહ્મમુહૂર્તમાં જાગતા થઈ જાઓ તો એના ફાયદાઓ તમે ધારો છો એના કરતાં કંઈકગણા વધારે છે

મારા ઘરની વ્યક્તિઓનું, મારી આસપાસની વ્યક્તિઓનું, મારા જીવનમાં કેટલું મહત્ત્વ છે એ વિશે વધુ ગંભીરતા મારામાં આવી રહી છે. મારા પરિચયમાં આવતી, મને ક્યારેય રૂબરૂ ન મળી હોય એવી વ્યક્તિઓ પણ મારા જીવન માટે કેટલી મહત્ત્વની છે એ મને સમજાઈ રહ્યું છે. મારા પોતાના સ્વાસ્થ્ય ઉપરાંત મારી માનસિકતા પણ સાબૂત રહે એ માટેની સંજિદગી પણ આવી રહી છે. દરેક વ્યક્તિએ આ માટે પોતાની રીતે પ્રયત્નો કરવા પડે. પોતે સતત પોઝિટિવ લોકોથી, પોઝિટિવ વિચારોથી, પોઝિટિવ વાતાવરણથી ઘેરાયેલા હોય એ માટે પોતે જ પ્રયત્નો કરવાના હોય. નેગેટિવ બધું જ ઉપેક્ષિત હોય, એના વિશે વિચારવાનું પણ નહીં. નેગેટિવ વાતો, લોકો કે વાતાવરણ વિશે વિચારીએ છીએ ત્યારે એ બધું નાબૂદ નથી થતું, દ્વિગુણિત થઈ જાય છે.તો આ બધી વાતોને એક શબ્દમાં વર્ણવીએ તો — નિષ્ઠા. જીવન પ્રત્યેની નિષ્ઠા, ઈશ્વરે વરસાવેલા આશીર્વાદ પ્રત્યેની નિષ્ઠા, સ્વ-ધર્મ પ્રત્યેની નિષ્ઠા. અહીં આવ્યા પછી આ નિષ્ઠા વધી રહી છે.

યોગગ્રામ આવવાનો બીજો સૌથી મોટો ફાયદો મને એ થઈ રહ્યો છે કે હું બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠતો થઈ ગયો. સવારે સાડા ત્રણે મારું એલાર્મ વાગે એ પહેલાં જ આંખ ઉઘડી જાય છે. આજે થોડીક વાત એ વિશે તમને કહું. મને ખબર છે કે સૌ કોઈના માટે સવારે વહેલા ઉઠવું પ્રેક્ટિકલી શક્ય નથી હોતું અને બ્રાહ્મમુહૂર્તમાં જાગી જવું તો લગભગ બધા જ માટે ઇમ્પોસિબલ ટાસ્ક હોય. પણ અહીં આવીને સમજાય છે કે આ કામ ધારીએ છીએ એટલું અઘરું નથી અને એની સામે જો તમે બ્રાહ્મમુહૂર્તમાં જાગતા થઈ જાઓ તો એના ફાયદાઓ તમે ધારો છો એના કરતાં કંઈકગણા વધારે છે.

બ્રાહ્મમુહૂર્તમાં જાગવાનું કામ રાતોરાત નહીં થાય. થોડી પ્રેક્ટિસ કરવી પડે, થોડી (થોડીક જ) લાઇફ સ્ટાઇલ બદલવી પડે. જરા વિગતે સમજીએ. પણ તે પહેલાં આપણે સૌએ નાનપણમાં ગોખેલું એક જોડકણું યાદ કરીએ લઈએ:

રાત્રે વહેલા જે સુઈ,વહેલા ઉઠે વીર;બળ-બુદ્ધિ ને ધન વધે,સુખમાં રહે શરીર

સવારે વહેલા ઉઠવા માટે સૌપ્રથમ તો રાત્રે વહેલા સૂવાની ટેવ પાડવી પડે. વહેલા સૂવા માટેની ટેવ પાડવાનો અક્સીર ઇલાજ છે— વહેલા ઉઠી જવું. મજાક નથી કરતો. એક અઠવાડિયું પણ નહીં, બે-ત્રણ દિવસ જ,ઍલાર્મ મૂકીને આળસ કર્યા વિના જો સાડા ત્રણ-ચાર વાગ્યે ઊઠી જશો તો રાત્રે નવ-દસ વાગ્યે પથારીમાં પડવું ફરજિયાત બની જશે. ટ્રાય કરી જોજો.

આપણામાં કહેવાય છે ને કે રાત્રે દસથી મધરાતના બે સુધીની નીંદર સોનાના પાયે આવે. બેથી છ સુધી ચાંદીના પાયે અને છ પછી એટલે કે સૂર્યોદય પછીની ઊંઘ લોઢાના પાયે આવે.

રાતના દસ વાગ્યે સૂઈ જવું હોય તો ચોવિયાર (ચૌવિહાર)નો નિયમ પાળવો પડે. સૂર્યાસ્ત પહેલાં રાતનું વાળુ આટોપી લેવાનું. એ શક્ય ન હોય તો મોડામાં મોડું સાત કે આઠની વચ્ચે જમવાનું પૂરું કરી લેવું.

અહીં યોગગ્રામમાં સાંજની યોગ સેશન 6થી 7-30 સુધીની હોય છે અને તરત જ ડાયનિંગ હૉલ ખુલી જાય પણ યોગ કરીને સીધા જમવા બેસી જવા કરતાં હું થોડું ચાલવા જવાનું પસંદ કરું. પાછા આવીને ફરી એક વાર નહાઈ ધોઈને ફ્રેશ થવાનું ગમે. જમતાં-જમતાં સાડા આઠ, ક્યારેક નવ પણ વાગી જાય. છતાં સવારે સાડા ત્રણે ઉઠવાની તકલીફ નથી પડતી. એનું શું કારણ? અહીંનું ડિનર એકદમ લાઇટ હોય છે. ડિનર જ નહીં, લંચ, બ્રેકફાસ્ટ બધું જ લાઇટ હોય છે. ઘરે જોકે, સાતેય દિવસ તમે અહીંના જેવું ખાઈ ના શકો (એવી જરૂર પણ નથી) પણ એટલું જરૂર ધ્યાન રાખી શકો કે રાતનું ભોજન ભારે ન હોય; લગ્ન કે પાર્ટીમાં ગયા હોઈએ તોય ઉણોદરી (ઊણું ઉદર. પેટમાં થોડી જગ્યા રાખીને જમવાનું પૂરું કરી નાખવું) બનીને જમવું. અને ઘરે જો અત્યારની સિઝનમાં કેરીનો રસ અને ઘીમાં ઝબોળેલી બે પડવાળી રોટલી ખાવી હોય તો લંચમાં એ બધું ખાવું. ભજિયાં-શીખંડ પૂરી વગેરે લંચમાં ખાવાં. સાંજે લાઇટ ખાવું. વરસને વચલે દહાડે અપવાદ થાય તો બહુ ટેન્શન નહીં લેવું.

સૂવાનો ટાઇમ નિશ્ચિત કરીને એના ઓછામાં ઓછા બે કલાક પહેલાં ડિનર/સપર/વાળુ આટોપી લેવું.

ખુશવંત સિંહ અલમોસ્ટ શતાયુ થયા. એંશી પ્લસની ઉંમર સુધી સવારે ઊઠીને ટેનિસ રમવા જતા. જે જમાનામાં સ્નૂઝવાળાં ઍલાર્મ નહોતાં ત્યારે ટેબલ પર બે ઘડિયાળ રાખતા. એકમાં સાડા ચારનું ઍલાર્મ સેટ કરતા, બીજામાં પોણા પાંચનું. પાંચ સાડા પાંચે વાગ્યે ઘરેથી નીકળીને ચાલીને જિમખાના પહોંચી જતા.

પત્રકાર-લેખક ખુશવંત સિંહ ખાવા (અને પીવા)ની બાબતમાં જલસા મારતા પણ એમનું રૂટિન બહુ સ્ટ્રિક્ટ હતું. પોતાને ત્યાં મહેમાનને બોલાવ્યા હોય કે પછી પોતે મહેમાન બનીને કોઈને ત્યાં જતા હોય તો એમની સૂચના સ્પષ્ટ રહેતી—સાંજે સાત વાગ્યે ડ્રિન્ક્સ શરૂ થઈ જશે. બે પેગ પીવાશે. આઠ વાગ્યે ડિનર સર્વ થઈ જશે. નવ વાગ્યે છુટાં પડી જવાનું.

એમના વિશેનો એક જાણીતો કિસ્સો છે. એમને ત્યાં એક વખત અમેરિકાના ઍમ્બેસેડર પોતાની પત્ની સાથે જમવા આવ્યા. નવ વાગ્યે ભોજન પૂરું થઈ ગયું એટલે ઍમ્બેસેડરે સિગાર કાઢીને ખુશવંત સિંહનાં પત્નીને કહ્યું, ‘મૅડમ, મને તમારે ત્યાંના નિયમો ખબર છે. આ સિગાર પીને હું તમારી વિદાય લઉં.’

ખુશવંત સિંહનાં પત્નીએ ઍમ્બેસેડરને વિવેકપૂર્વક કહ્યું, ‘સર, સિગાર તો તમે તમારા ઘરે જતાં જતાં કારમાં પણ પી શકો છો.’

ખુશવંત સિંહ અલમોસ્ટ શતાયુ થયા. એંશી પ્લસની ઉંમર સુધી સવારે ઊઠીને ટેનિસ રમવા જતા. જે જમાનામાં સ્નૂઝવાળાં ઍલાર્મ નહોતાં ત્યારે ટેબલ પર બે ઘડિયાળ રાખતા. એકમાં સાડા ચારનું ઍલાર્મ સેટ કરતા, બીજામાં પોણા પાંચનું. પાંચ સાડા પાંચે વાગ્યે ઘરેથી નીકળીને ચાલીને જિમખાના પહોંચી જતા.

આજના જમાનામાં રાત્રે વહેલા સૂઈ જવાનું કષ્ટભર્યું લાગે. કુટુંબકબીલા સાથે રહેનારા માટે વધારે કષ્ટભર્યું હોય, સંયુક્ત કુટુંબમાં રહેનારાઓ માટે એથીય વધુ કષ્ટદાયક હોય.

રાત્રે ટાઇમપાસ કરવા ટીવી જોવાની ટેવ બંધ કરવી. અહીંની મારી રૂમમાં ટીવી છે પણ મેં એક પણ વખત ચાલુ નથી કર્યું. કશુંક જોવાની ઇચ્છા થાય તો પાંચ-દસ મિનિટ માટે યુ-ટ્યુબ પર મારા ફેવરિટ કમલેશ મોદી ‘ફૂડી’ની ચેનલ પરનો લેટેસ્ટ વીડિયો જોઈ લઉં. ગુજરાતમાં કોઈ ગામ એવું બાકી નથી જ્યાંની સ્પેશ્યાલિટી વાનગીઓ કમલેશ મોદીએ ત્યાં જઈને માણી નહીં હોય. (અહીં હરદ્વારના યોગગ્રામમાં એવું ટેસ્ટી ફૂડ જોવું તો શું એના વિશે સાંભળવું પણ ‘પાપ’ ગણાય!)

ટીવી પરના સમાચાર કે સિરિયલો કે અન્ય શોઝ તમારો કિંમતી સમય ખાઈ જાય છે. મને તો જોકે મુંબઈમાં પણ ટીવી જોવાની આદત નહોતી. રિપબ્લિક ટીવી પર અર્ણબ ગોસ્વામી સાથે લાઇવ ડિબેટ હોય એટલો વખત જ મારા લૅપટૉપ પર ચેનલ ચાલુ રાખીને મૉનિટર કરું. ડિબેટ પૂરી. લૅપટૉપ બંધ.

ઓટીટી પર કે પ્લેયર પર મૂવી જોવાનું ખૂબ ગમે પણ એ હવે કન્ટ્રોલ કરવું પડશે. બહુ સિલેક્ટિવ રહેવું છે. સવારે આસ્થા ચેનલ પર સ્વામી રામદેવને ઘણાં વર્ષોથી અનિયમિતરૂપે તો અનિયમિતરૂપે પણ ખૂબ જોયા છે. એનો જ ફાયદો અત્યારે થઈ રહ્યો છે. પૂજ્ય મોરારી બાપુની રામકથાનું લાઇવ પ્રસારણ તક મળે ત્યારે અચુક જોવાનું અને મોદીજીની ‘મન કી બાત’ ક્યારેય મિસ નહીં કરવાની.

સૂતાં પહેલાં ટીવી વગેરે જોવાની આદત દૂર કરવી. દસ વાગ્યે પથારીમાં પડતાંવેંત ઊંઘ આવી જાય એ માટે વહેલા જમીને, સૂવાના એક કલાક પહેલાં ઘરમાં બીજા બધાથી અલૂફ થઈને પોતાનામાં સમાઈ જવું. બહુ ચિંતન કરવા માટે ન પ્રેરે એવું પાંચ-પંદર મિનિટનું હળવું વાંચન કરીને ટેન્શનવાળા વિચારોમાં અટવાઈ જવાને બદલે પ્રસન્ન ચિત્તે આંખો બંધ રાખીને પાંચ મિનિટ પડ્યા રહેવાથી ઊંઘ તરત જ આવી જાય છે.

પત્રકારત્વના મારા વ્યવસાયને કારણે દૈનિક વર્તમાનપત્રોમાં મારે સેકન્ડ શિફ્ટમાં, નાઇટ શિફ્ટમાં કામ કરવું પડે; બહારગામના રિપૉર્ટિંગના એસાઇન્મેન્ટ ઓછામાં ઓછા સમયમાં પૂરા કરીને તાત્કાલિક પાછા આવીને રિપોર્ટ ફાઇલ કરવાના હોય એટલે ત્યાં ઉજાગરા કરીને કામ કરવું પડે, જવાઆવવાના પ્રવાસોમાં ઉજાગરા થાય. ખાવાપીવાનું શેડ્યુલ પણ ભાગ્યે જ જળવાય. નવલકથાકાર તરીકે આખી નવલકથા મેં ક્યારેય સળંગ નથી લખી, પ્રકરણ લખાતું જાય અને છપાતું જાય, પછી નેક્સ્ટ ચૅપ્ટર લખાય. એ પણ છેલ્લી ઘડીએ. રાતભર જાગીને પ્રકરણ પૂરું કરવું પડે. ક્યારેક એક પ્રકરણ લખવા માટે બે-ત્રણ ઉજાગરા કરવા પડે.

વર્ષો સુધી આ બધાંને લીધે મારાં આહાર અને નિદ્રા પર વિપરીત અસર પડતી રહી. લકીલી તબિયતની બાબતમાં કોઈ મેજર સેટબૅક ન આવ્યો અને હવે આવશે પણ નહીં કારણકે યોગગ્રામમાં 50 દિવસ રહીને મારો કાયાકલ્પ કરીને જ પાછો જવાનો છું. આજે ‘ન્યુઝપ્રેમી’ના એક વાચકે મને મારી બે તસવીરો મોકલીને લખ્યું: ‘તફાવત સ્પષ્ટ દેખાય છે.’ પહેલી તસવીર અહીં આવ્યાના બીજા-ત્રીજા દિવસે સ્વામી રામદેવને પહેલવહેલી વાર મળ્યો ત્યારની હતી, બીજી તસવીર એના બાર દિવસ પછી, અહીંના રૂમની બાલ્કનીમાં મારી વર્ષગાંઠના દિવસે હવન કરી રહ્યો છું એની છે.

બ્રાહ્મમુહૂર્તમાં જાગી જવાના ફાયદાઓ વિશે થોડીક હજી જાત અનુભવની વાતો મારે તમારી સાથે શેર કરવી છે. આવતી કાલે આ ટૉપિક કન્ટિન્યુ કરીશું.

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

8 COMMENTS

  1. આપ હમેંશા લખતા રહો અને અમે આપના શબ્દોની સરિતામાં બ્રહ્મ સમયમાં ડુબકી લગાવીને ગુજરાતી ભાષા સાહિત્યનો આનંદ લેતા રહીએ ,એ જ ઈશ્વરને પ્રાર્થના . શુભેચ્છા સહિત વંદન 🌷🙏🌷

  2. ખૂબ સરસ સોરભભાઈ, મજા આવે છે, તમારી સહજ શૈલી મા અને નિખાલસ વાતો મા.

  3. તમારા લેખો સત્યની સાથે ચાલે છે.
    ઘણુ જાણવા મળે છે.

  4. Saurabhbhai. Excellent to read your articles and diversity of topics. Sometime Yoga and it’s different aspects. In addition, western movies article. Enjoying both with same interest. Also came to know many new indforormation on all this.
    Hope you recv my comments but never got any revert so I doubt
    Anyways real waiting eagerly to read daily new.
    Bhain Shah

  5. તમારા લખાણ ની મજા જ અનેરી છે.સ્પષ્ટ અને સંવેદનશીલ,સાફસુથરુ.લેખ આવે,તરતજ વાંચીને ફરી એક વાર સમજાય માટે વાંચવો પડે..આનંદની અનુભૂતિ અંદર થી થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here