( ગુડ મૉર્નિંગ : ચૈત્રી પૂનમ, હનુમાન જયંતિ, વિક્રમ સંવત ૨૦૭૮. શનિવાર, ૧૬ એપ્રિલ ૨૦૨૨)
બ્રાહ્મમુહૂર્તમાં જાગી ગયા પછી તમારે શું કરવું? ટીવી ચાલુ કરીને આગલી રાતે નહીં જોયેલી સિરિયલોનું રિપીટ ટેલિકાસ્ટ જોવું? યુટ્યુબ પર ન્યુઝ ચેનલોએ રેકૉર્ડ કરેલી ગઈકાલના ‘ગરમાગરમ’ સમાચાર વિશેની હૉટ ડિબેટ્સ જોવી? મનગમતું પિક્ચર જોવું? વૉક લેવો? યોગ-પ્રાણાયામનો અભ્યાસ કરવો? નજીકના પાર્કમાં લટાર મારીને ગેટની બહાર ઊભા રહેતા ખાણીપીણીના સ્ટૉલ પરથી પૌંઆ, ખીચિયું, જ્યુસ કે ઇડલીસાંભાર માણવા? શું કરવું?
આનો જવાબ પાંચસો વર્ષ પહેલાં નરસિંહ મહેતાએ આપી દીધો છે.
રાત રહે જાહરે,
પાછલી ખટ ઘડી,
સાધુપુરુષને સૂઈ ન રહેવું;
નિદ્રાને પરહરી, સમરવા શ્રી હરિ,
એક તું, એક તું એમ કહેવું.
જોગિયા હોય તેણે જોગ સંભાળવા,
ભોગિયા હોય તેણે ભોગ તજવા,
વેદિયા હોય તેણે વેદ વિચારવા,
સુકવિ હોય તેણે સદ્ગ્રંથ બાંધવા.
દાતાર હોય તેણે દાન કરવું.
પતિવ્રતા નારીએ કંથને પૂછવું-
કંથ કહે તે તો ચિત્ત ધરવું;
આપણે આપણા ધર્મ સંભાળવા
કર્મનો મર્મ લેવો વિચારી…
નરસૈયાના સ્વામીને સ્નેહથી સમરતાં,
હરિ નવ અવતરે નર ને નારી…
નિનુ મઝુમદારે સ્વરબદ્ધ કરેલું નરસિંહ મહેતાનું આ પ્રભાતિયું કૌમુદી મુનશીના સ્વરમાં સાંભળવાની તમને મઝા આવશે. સાથે હરીન્દ્ર દવેની કૉમેન્ટ્રી પણ સાંભળવા જેવી છે. યુટ્યુબ પર શોધી લેશો.
નરસિંહ જેમને ‘સાધુ-પુરુષ’ કહે છે એમાં ‘સાધુ’ એટલે સારા માણસો. આપણને સૌને સંબોધીને નરસિંહે આ વાત કરી છે. બાકી, જેઓ ખરેખર સાધુ છે, સંત છે, સંન્યાસી છે એમને તો નરસિંહની સલાહની કોઈ જરૂર નથી હોતી- તેઓને તો બ્રાહ્મમુહૂર્તનું મહત્ત્વ કેટલું છે એની ખબર જ છે અને બ્રાહ્મમુહૂર્તમાં શું કરવું તેની વર્ષોની તપસ્યા પણ છે.
તો આ ‘સાધુ પુરુષ’ એટલે સારા માણસો અને ‘પુરુષ’માં સ્ત્રી-પુરુષ-બાળકો સૌ કોઈ આવી જાય. (ચેરમેનમાંથી ચેરપર્સન કરવાવાળા જેન્ડરવાદીઓ પ્લીઝ જરા બાજુએ હટી જાય. અહીં તમારું કંઈ કામ નથી).
ખટ ઘડી એટલે છ ઘડી. ઘડી એટલે 24 મિનિટનો સમય. સૂર્યોદય પહેલાં બે કલાકને 24 મિનિટનો સમય બાકી હોય ત્યારે બ્રાહ્મમુહૂર્ત શરૂ થઈ જાય. માનો કે આવતી કાલે સૂર્યોદય 6 વાગ્યે થવાનો છે તો એના લગભગ અઢી કલાક પહેલાં એટલે કે સાડા ત્રણ વાગ્યાથી બ્રાહ્મમુહૂર્તની શરૂઆત થઈ ગઈ ગણાય. છેક વેદકાળથી આપણા ઋષિમુનિઓએ આ બ્રાહ્મમુહૂર્તનું મહત્ત્વ સમજાવ્યું છે. આ સમયે તમે જે કંઈ વાંચો કે જે કંઈ પ્રવૃત્તિ કરો એની અસર તમારા મનમાં કાયમી છાપ છોડી જાય.
ભગવદ્ ગોમંડળ કોશ અનુસાર સૂર્યોદય પહેલાંની છ ઘડીનો નહીં પણ બે ઘડીનો અર્થાત્ 48 મિનિટનો સમય બ્રાહ્મમુહૂર્તનો ગણાય. અર્થાત્ 6 વાગ્યે સૂર્યોદય થવાનો હોય તેના લગભગ પોણો કલાક પહેલાં, સવા પાંચ વાગ્યાથી બ્રાહ્મમુહૂર્તનો આરંભ થાય.
આપણને જોકે, નરસિંહવાળો બ્રાહ્મમુહૂર્તનો સમય વધારે એક્સાઇટિંગ લાગે છે.
તમામ ઋષિ, મહર્ષિ, સિદ્ધ, દેવ બધા જ આ સમયે બ્રહ્મચિંતન કરતા હોય છે એટલે એમના ચિંતનનો પ્રભાવ તેજના રૂપમાં સર્વત્ર ફેલાય છે એવું શાસ્ત્રો કહે છે. જે લોકો આ સમયે યોગ્ય રીતે બ્રહ્મચિંતન કરે તેઓ આ તેજને યથાયોગ્ય રીતે પ્રાપ્ત કરે છે.
બ્રહ્મચિંતનનો વિશાળ અર્થ કરીએ તો માત્ર ઈશ્વર સ્મરણ નહીં, પણ ઘણી બધી પ્રવૃત્તિઓનો એમાં સમાવેશ કરી શકાય. મહેતાસાહેબના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે બ્રાહ્મમુહૂર્તમાં જાગીને, પ્રભુનું નામ લઈને, આ જગતનું સંચાલન કરનાર ઈશ્વર જ છે – બીજું કોઈ નહીં, એવી સભાનતા મનમાં સ્થાપી લેવી, જેથી આપણે નિષ્ઠાથી આપણું કામ કરીએ પણ એ કામનું પરિણામ શું આપવું, કેટલું આપવું, ક્યારે આપવું – તેના પર માત્ર અને માત્ર ભગવાનનો જ અધિકાર છે એવું સ્વીકારી લઈએ અને કામ શરૂ કરી દઈએ.
કેવું કામ?
નરસિંહ કહે છે કે જેઓ જોગી છે, યોગી છે- એમણે યોગ કરવાનો. જેઓ ભોગી છે, સંસારી છે, એમણે આ સમયે ભોગ ત્યજીને પથારીમાંથી ઊભા થઈ જવાનું હોય. ‘વેદિયા’ શબ્દ આપણે ત્યાં વગોવી નાખવામાં આવ્યો છે. આવા બીજા ઘણા શબ્દો અભડાવી દેવાનું પાપ કેટલાક લોકોએ કર્યું છે જે શોચનીય છે. એક-બે દિવસ પહેલાંના લેખમાં પણ આ વાતનો ઉલ્લેખ થયેલો. વેદિયા એટલે વેદશાસ્ત્રી. જેમણે વેદ-ઉપનિષદનો અભ્યાસ કર્યો છે એવા વિદ્વાનોએ વેદાભ્યાસ કરવો. સુકવિ એટલે આમ તો સારો કવિ પણ એમાં આપણે કવિ ઉપરાંત લેખક, નવલકથાકાર, ભાષ્યકાર, સૌ કોઈને સાંકળી લઈએ, કટારલેખકોને પણ. તો આ સૌએ સદગ્રંથ બાંધવા. અર્થાત્ બુક બાઇન્ડિંગનો વ્યવસાય કરવો એવું નહીં, પણ સારું સારું લખવા બેસી જવું.
એ પહેલાં નરસિંહે કહ્યું કે વૈષ્ણવ હોય એણે કૃષ્ણ ભજવા. જેઓ વૈષ્ણવ ન હોય તેઓ પણ કૃષ્ણને ભજી શકે અને કૃષ્ણને ન ભજવા હોય તો પોતપોતાના ઇષ્ટદેવને ભજી શકે. વેદિયા અને સુકવિની વાત કરીને નરસિંહે શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનયોગ તરફ ઇશારો કર્યો અને એ પહેલાં વૈષ્ણવ-કૃષ્ણવાળી વાત કરીને ભક્તિયોગ તરફ.
આગળ નરસિંહે કહ્યું કે જેઓ સ્થિતિપાત્ર છે, સમર્થ છે તેઓમાં જો દાન કરવાની ઇચ્છા પ્રગટતી હોય તો એવા દાતારોએ બ્રાહ્મમુહૂર્તમાં પોતાનું દાન કોને, કેવી રીતે મળશે એની ગોઠવણ વિશે વિચારતાં રહેવું.
ફરી એક વાર ફેક નારીવાદીવાળા ન્યુસન્સ મેકર્સ જરા બહાર જઈને ઊભા રહે. નરસિંહ કહે છે કે પતિવ્રતા નારીએ કંથને પૂછવું. વિચ મીન્સ કે કંથ પોતે પણ બ્રાહ્મમુહૂર્તમાં જાગી ગયેલો હોવો જોઈએ. પથારીમાં પડ્યો પડ્યો હુકમ ના કરે. પત્નીએ શું પૂછવાનું છે? આજે ઘરે કોઈ મહેમાન આવવાના છે? આવવાના હોય તો એની તૈયારી શરૂ કરી દઈએ. આજે તમારો કોઈ વિશેષ પ્લાન છે? સાંજનો શું પ્રોગ્રામ છે? અને ‘કંથ કહે તે તો ચિત્ત ધરવું’. આ બધી બાબતોના ડિસ્કશન પછી જે નક્કી થયું હોય તે મગજમાં બરાબર યાદ રહી જાય તે જરૂરી છે અને આખા દિવસનું ટાઇમટેબલ એ રીતે ગોઠવી દેવું.
ભક્તિયોગ અને જ્ઞાનયોગ પછી નરસિંહે અહીં સૌથી વધુ અગત્યના એવા કર્મયોગની વાત કરી છેઃ ‘આપણે આપણા ધર્મ સંભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી.’
આપણે આપણા ધર્મ સંભાળવા. અહીં ધર્મ એટલે સ્વ-ધર્મ. ધર્મ એટલે માત્ર રિલિજિયન નહીં પણ જીવનકર્મ. ધર્મનો બહુ વિશાળ અર્થ છે, આપણે ત્યાં. રિલિજિયન તો ધર્મનો એક હિસ્સો છે, ખૂબ અગત્યનો હિસ્સો છે પણ હિસ્સો જ છે. ધર્મ એટલે સ્વ-ધર્મ એવી સમજણ જેઓ ગીતાને બરાબર પચાવી જાણે છે તે સૌ કોઈ સ્વીકારશે. પ્રૉફેસરનો ધર્મ ભણાવવાનો છે. ડૉક્ટરનો ધર્મ દર્દીઓને સાજા કરવાનો છે. સંગીતકારનો ધર્મ વાદન-ગાયનનો. લેખકનો ધર્મ લખવાનો.
પ્રાતઃકાળ શરૂ થાય એ પહેલાંના અઢી કલાકનો સમય દરેકે પોતપોતાના ધર્મને ઉજાળવા માટે કરવો એવું મહેતાજીનું કહેવું છે.
અહીં જરાક ફંટાઈને કાલગણનાની આપણી ભવ્ય પરંપરાના કેટલાક શબ્દો જોઈ લઈએ. પ્રહર એટલે ત્રણ કલાકનો સમય. અર્થાત્ સાડા સાત ઘડી જેટલો વખત (ઘડી એટલે 24 મિનિટ એ હવે તમને યાદ છે). પ્રહર એટલે 24 કલાકના રાતદિવસનો આઠમો ભાગ.
પ્રહર અથવા તો પહોર પરથી પ્રહરી શબ્દ બન્યો – પ્રહરી એટલે ચોકીદાર, દ્વારપાલ. દોપહર એટલે સૂર્યોદય થયા પછીના બે પ્રહર બાદનો ( છ કલાક પછીનો) સમય.
24 કલાકના 8 પ્રહર. 1 પ્રહરની સાડા સાત ઘડી. એક ઘડીની 60 પળ. 1 પળની 60 વિપળ. 1 વિપળ બરાબર 30 ક્ષણ. આધુનિક ગણતરી મુજબ એક પળ બરાબર ચોવીસ સેકન્ડ.
બ્રાહ્મમુહૂર્તના લગભગ અઢી કલાક જેટલા સમયની અગણિત ક્ષણો, પળો, સેકન્ડો અને મિનિટો જીવનમાં વેડફાઈ ગઈ એનો હિસાબ લગાવીએ છીએ ત્યારે ભાન થાય છે કે હરદ્વાર આવીને યોગગ્રામમાં સવારે સાડા ત્રણ વાગ્યે જાગી જવાની આદત ભવિષ્યમાં, બાકીના જીવન માટે, કેટલી બધી મૂલ્યવાન પુરવાર થવાની છે.
છેલ્લે એક પર્સનલ વાત કહીને આજના લેખનું સમાપન કરું. ગુજરાતી ભાષાના પ્રથમ પંક્તિના ચિંતન-વિચારક ગુણવંત શાહ સાથે મારે પિતા-પુત્ર જેવો સંબંધ છે. મેં 2003માં પ્રગટ થયેલું મારું એક પુસ્તક એમનાં ચરણોમાં અર્પણ કર્યું એના પાંચેક વર્ષ પહેલાં એમણે પોતાનો નિબંધ સંગ્રહ ‘વિરાટને હિંડોળે’ મને અર્પણ કરીને અર્પણપંક્તિ મૂકી છેઃ ‘મૈત્રી તો ધરતીકંપનું મૌન પણ પચાવી શકે.’
યોગગ્રામની પચાસ દિવસની યાત્રા શરૂ કરતાં પહેલાં હું વડોદરાના એમના ‘ટહુકા’ પર જઈને આશીર્વાદ લઈ આવ્યો હતો. એમણે મને પાછા આવ્યા બાદ મારા અનુભવોનું બયાન સાંભળવા ફરી વડોદરે આવવાનું કહ્યું છે. જરૂર જઈશ.
ગુણવંતભાઈને 1997માં સાઠ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે આકાશવાણી એમનો દીર્ધ ઇન્ટરવ્યુ આર્કાઇવ્ઝ માટે રેકૉર્ડ કરવા માગતું હતું. ત્રણ-ચાર કલાકનો ઇન્ટરવ્યુ રેકૉર્ડ કરીને એમાંથી એક કલાકની મુલાકાત પ્રસારિત થવાની હતી. ભાઈએ (અમે સૌ ગુણવંતભાઈને માત્ર ભાઈના લાડકા સંબોધનથી ઓળખીએ છીએ) આકાશવાણીને કહ્યું કે, ‘સૌરભ મારો ઈન્ટરવ્યુ લે તો હું આવું. પૂછી જુઓ એને, એની ફી બહુ મોટી હશે – આકાશવાણીને પોસાય તો બોલાવી લાવો એને?’
આકાશવાણીમાંથી મને ફોન આવ્યો. બીજા દિવસે જ મુલાકાત રેકૉર્ડ કરવાની હતી. સમયની મારામારી હતી. ભાઈનો ઈન્ટરવ્યુ અને તે પણ ઑલ ઇન્ડિયા રેડિયોના આક્રાઇવ્ઝમાં સંઘરાવાનો હોય એ માટે મારે પૈસાની તો કંઈ શરત હોય જ નહીં – ભાઈ મારા માટે આગ્રહ રાખે એમાં જ મને કરોડ રૂપિયા મળી ગયા. મેં ‘આકાશવાણી’ને બે શરત કહીઃ એક, આખી મુલાકાતમાંથી જે એક કલાકનું પ્રસારણ કરવાનું છે તેનું એડિટિંગ હું પોતે સ્ટુડિયોમાં બેસીને કરીશ અને બે, આર્કાઇવ્ઝ માટે રેકૉર્ડ થનારા ત્રણ-ચાર કલાકના ઇન્ટરવ્યુની એક કૉપી આકાશવાણીએ મને આપવી પડશે.
બેઉ શરતો માન્ય થઈ. આખી રાત, લિટરલી આખી રાત, મેં ઇન્ટરવ્યુ માટેની તૈયારી કરી અને સવારે દસ વાગ્યે આકાશવાણી પર પહોંચીને મોડી બપોર સુધી ભાઈનો ઇન્ટરવ્યુ લીધો.
ભાઈ વડોદરાથી મુંબઈ આવે એટલે એમને સૌની સાથે વાત કરવાની ચટપટી થાય. પોતે વહેલા ઊઠી જાય એટલે માની લે કે મુંબઈગરાઓ પણ એમના જેવી સુટેવવાળા હોવાના. હું મોડો ઊઠું એટલે આગલા બે-ચાર ફોન પતાવીને છેક સવારે સાત-સાડા સાતે મને ફોન કરે. પપ્પા એમને કહે કે સૌરભ તો સૂતો છે એટલે પ્રેમથી હુકમ કરીને ભાઈ કહેઃ ‘ઉઠાડો એને!’
મારે ફોન લેવો જ પડે. ભાઈ મને મીઠો ઠપકો આપે કે ‘આટલે મોડે સુધી ઊંઘે છે!’ હું કહું, ‘ભાઈ, પહેલાં પૂછો તો ખરા કે રાત્રે કેટલા વાગ્યે કામ પૂરું કરીને સૂતો છું. માંડ સાડા ત્રણ વાગ્યે સૂવા પામ્યો!’
આવું બધું ચાલ્યા કરે.
પછી મેં ‘મિડ-ડે’માં તંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી. બપોરનું છાપું. સવારે દસ વાગ્યે છપાઈને બાર વાગ્યે લંચ ટાઇમ થાય તે પહેલાં મુંબઈના સેન્ટ્રલ-વેસ્ટર્ન સબર્બના દરેકે દરેક સ્ટેશનના બુક સ્ટૉલ પર પહોંચી જ જવું જોઈએ. આવામાં તમે ફ્રેશ ન્યુઝ કેટલા આપો? મેં મૅનેજમેન્ટને સમજાવીને છાપું આગલી સાંજે તૈયાર થઈ જાય એવી પ્રથા બંધ કરાવીને નાઇટ શિફ્ટ શરૂ કરાવી અને હું પોતે સવારે પાંચ વાગ્યે ઑફિસે પહોંચીને સાડા આઠ વાગ્યા સુધીમાં ફ્રેશ છાપું તૈયાર કરીશ એવું ગોઠવ્યું.
સવારે પાંચ વાગ્યે ઑફિસે પહોંચવા માટે મારે ઘરેથી બહુ વહેલા નીકળવું પડે. વહેલા ઉઠવાની ટેવ નહીં એટલે સવારના પહોરમાં દોડાદોડ થઈ જાય. એક-બે મહિનામાં હું કંટાળી ગયો. પણ છાપું પહેલાં કરતાં ઘણું સુધરી ગયું હતું અને સૌ કોઈ ખુશ હતું એટલે મારે સવારે પાંચ વાગ્યે ઑફિસે પહોંચી જવું અનિવાર્ય હતું. મેં નક્કી કર્યું કે ભલે આસમાન તૂટી પડે પણ હવે હું રોજ સાડા ત્રણ વાગ્યે ઊઠી જઈશ અને શાંતિથી, કોઈ ઉચાટ-હડબડી વિના તૈયાર થઈને પોણા પાંચે ઑફિસે પહોંચી જવાનો ટાર્ગેટ રાખીશ. અઠવાડિયું તકલીફ પડી. કારણ કે ઑફિસેથી પાછા આવવાનો મારો કોઈ નિશ્ચિત સમય નહીં. સવારના પાંચથી સાંજના પાંચ પછી પણ કામના ભારને લીધે નીકળાય નહીં. ઘણી વખત તો ઘરે આવતાં રાત્રે નવ-દસ વાગી જાય. પણ સવારે સાડા ત્રણ વાગ્યે જાગી જવાના ફાયદા એટલા બધા હતા કે રાત્રે કેટલા વાગ્યે ઘરે પાછા આવીએ છીએ તે વાત ગૌણ બની જતી. પાંચને બદલે પોણા પાંચે પહોંચી જવાનો ફાયદો એ થતો કે પંદર મિનિટમાં મારી કેબિનમાં સેટલ થઈને શાર્પ પાંચના ટકોરે હું ન્યુઝરૂમમાં પહોંચીને મારી ટીમ સાથેની શિફ્ટ શરૂ કરી શકતો.
આ રૂટિન સેટ થઈ ગયું એટલે મને એક દિવસ તોફાન કરવાનો વિચાર આવ્યો. ભાઈ વડોદરામાં પાંચ વાગ્યે જાગી જાય એની મને ખબર. વર્ષોથી એમની આ ટેવ છે. મેં ઘરેથી નીકળીને ઑફિસ પહોંચું એની પંદર મિનિટ પહેલાં, સાડા ચાર વાગ્યે, એમને ફોન કર્યો. ‘ભાઈ, આટલે મોડે સુધી તમે ઊંઘો છો!’
અને પછી તો હવે બદલો લેવાનો મારો વારો હતો. હિન્દી ફિલ્મોવાળા કહેતા હોય છે કે ખૂન કા બદલા ખૂન! અહીં જોકે, સાવ જુદી જ રીતનું ‘રિવેન્જ’ હતું. અઠવાડિયામાં એક વાર હું ભાઈને બ્રાહ્મમુહૂર્તમાં સાડા ચાર વાગ્યે જગાડીને વાત ન કરું તો મને ચેન ન પડે. અને આવા ‘ક-સમયે’ મુંબઈથી મારો ફોન ન આવે તો ભાઈને ચેન ન પડે!
યોગગ્રામમાં આવીને બ્રાહ્મમુહૂર્ત સાથે સંકળાયેલી આ બધી સ્મૃતિઓ તાજી થઈ ગઈ અને તમારી સાથે શેર કરી દીધી.
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
•••
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
સૌરભભાઇ,
આપ નાં પતંજલિ યોગ ગ્રામ નાં લેખો વાંચની આદત પડી ગઈ છે.બાબાજી વિશે ની ઘણી ગેરસમજો દૂર થઈ રહી છે .આપે ૫૦દિવસનું કદાચ લાઈફ માં એક જ વાર થઈ શકે એવું અનુષ્ઠાન કરી રહ્યા છો ! ભાગ્યશાળી છો.હું અને મારા પત્ની સવારે ૮વાગે ઇન્ડિયા ટીવી સામે બાબાજી સાથે યોગ કરવા બેસી જઈયે છીએ ૫૦ દિવસ પછી એક નવી સૌરભ લઈને તમે આવશો એ નક્કી:-)
प्रेरणादायक प्रत्येक लेख
યોગ ગ્રામની લેખશ્રેણી અનન્ય છે, અદભૂત છે અને ક્યારેક તો અલૌકિક પણ લાગે છે!
આદરણીય ગુણવંતભાઇ વિશેની વાત વાંચતા વર્ષો પહેલાં વનકૂવા મુકામે યોજાયેલ છેલ્લી વાચન શિબિરની યાદ તાજી થઇ જ્યારે તમને પહેલી વાર મળવા-સાંભળવાનો મોકો મળ્યો હતો.
Khoob saras gamyu
ભાઇ Kiran Thakarની વાતનો કેચ કરી લો. બહુ સાચી વાત છે એમની. બહુ સરસ પુસ્તક થાય આ અનોખી લેખમાળાનું. આજના આ મણકામાં ગુણવંત શાહવાળી વાત તો ચટાકેદાર છે જ પણ મીડ ડેના તમારા અનુભવની કથા પણ થ્રીલિંગ છે. તમારા વખતના ‘મીડ ડે’ માં તમે મારી પાસે એક ‘માયાનગર’ નામે કોલમ પણ શરુ કરાવી હતી, જેમાં હુ મારી રીતના કટાક્ષ-લખાણો લખતો હતો. આગળ જતાં તેનુંં ‘
‘શબ્દઠઠ્ઠા ‘ નામે પુસ્તક મેં બનાવ્યું જેને ગુજરાતી સાહિત્ય પરિષદનુંં ‘જ્યોતિ ન્દ્ર દવે પારીતોષિક મળેલું. તમારો આ ઉછાળ જોઇને આપણું એ સંધાન તાજું થવા ઉપરાંત તમારી ઇંટર્વ્યુકળાના સંદર્ભમાં તમે ઇ ટીવી પર કરેલો મારો લાંબો ઈટરવ્યુ કરેલો જે આજ સુધી મેં સાચવી રાખ્યો છે. (બીજા ઘણા ખોઇ નાખ્યા છે પણ આ નહિં !)
આભાર,મુરબ્બી રજનીભાઈ. તમને મારું લેખન કાર્ય પસંદ હોય એ મારા માટે આશીર્વાદરૂપ વાત થઈ.
ગુણુંભાઈને યાદ કર્યા…!! વાહ.! અનેરી મજા આવી. મહેતાજીનું આ પ્રભાતિયું આ પહેલા નથી વાંચ્યું. એનીય ખરી મજા આવી. આપની સાથે સાથે અમે માણીએ છીએ અહીં બેઠાં આપના આ દિવસોની વાતો, ઘટનાઓ, ઘટનાક્રમો…!! Thanks..!
https://youtu.be/Gvnfql-2qM8
સાંભળી લો!
આપના દરેક લેખ વાંચવાની મઝા આવે છે.પહેલા દિવસે પાંચ
વાગ્યે જે TTKSG જ્યૂસ પીધું, તેમાં સ for….. સરગવો, સદાબહાર,કે shisham પાન, તપાસ કરી જણાવવા મહેરબાની.
સદાબહાર.
આપની સાથે ફોન પર વાત કરવી હોય અથવા ઇ મેઈલ થઈ communicate કરવું હોય તો શું કરવું ?
Hisaurabhshah@gmail.com
ખરેખર.. ખૂબ જ્ઞાન ને લાગતી વાત કરો છો..
સૌરભભાઈ…. નમસ્કાર, પ્રભુ એક કામ ખાસ કરજો કે ૫૦ દિવસના અનુભવો અને સમગ્ર યોગગામ કેવી રીતે બન્યું છે એ વિશે એક પુસ્તક લખશો…. એવું વિનંતી પુર્વક સૂચન છે.
ગુજરાતી ભાષામાં આપણે જે ગંદા મુહાવરા બનાવી દીધા છે એમાં શિરમોર છે,”ભગવાન નું માણસ”. એક તદ્દન નિકટ ના સ્વજન ને ખૂબ જ સારી ભાવના સાથે વાતવાતમાં મેં કહ્યું કે તમારો દીકરો તો ભગવાન નો માણસ,તો મારી પર તાડુકી ઉઠ્યા. કહે કે જરાય નહીં, મારો દીકરો એકદમ હોંશિયાર અને પાંચ માં પુછાય એવો છે. એટલે કે આપણી ભાષા માં ભગવાન નું માણસ એટલે સાદોભોળો અને થોડો અક્કલહીન માણસ.કેવી હીન માનસિકતા!!
સૌરભભાઈ……
આપ જે લખો છો, એ માત્ર ગમતું નથી પણ સાથે સાથે તેનો એહસાસ થાય છે. આપના આર્ટિકલ અમને ignite કરે છે.
Khub j sahaj ane saras che
This ‘mati’ for lap is not available in Patanjali Stores. Can u pls suggest them, since u r there.
નમસ્કાર સૌરભ ભાઈ, આપના નામ માં જ સૌર શબ્દ નો સમાવેશ છે તેથી જ આપના વિચારો, આપના શબ્દો અને આપની પ્રસ્તુતી સૌર ઊર્જા ની જેમ ઊર્જાવાન છે. જે અમને સૌને દિવ્ય બળ પુરુ પાડે છે. શબ્દો ને પણ ફાવી ગયું છે આપ દ્વારા વિચરવું, આપને વાંચવા એ ભક્તિનો અહેસાસ છે. આપને ચરણવંદન અને શુભેચ્છા. ભરત વ્યાસ. 🙏🏻🌹🙏🏻
હા સર જી મારે પણ બ્રહ્મ મુહૂર્ત માં ઉઠવાની ટેવ માટે જ યોગગ્રામ જવું છે.અને ગુણવંત શાહ તેમ જ આપ જેવા રત્નો થી જ આપણું આ સાહિત્ય ટકી રહ્યું છે.આપને તેંન ગુણવંત શાહ ને રૂબરૂ મળવા ની તીવ્ર ઈચ્છા છે.ક્યારે પુરી થશે.
આપની ઘણી વાતો આપની કલમે જ જાણવા મળી ખૂબ ખૂબ આભાર
સૌરભભાઇ તમારા લેખ વાચવાની મજા આવે છે
Gunvantbhai no interview newspremi par muko ne please
Very nice topic for us
Kharekhar ghani maza awe chhe. Gunvantbhai nu vachta vachta ankho bhini thai gai
સૌરભ ભાઈ લખે અને મજા ન પડે? એવુ બનેજ નહી .
હા કેમ કે ખાંડ ખાવ અને ગળી ન લાગે એવું ક્યારેય બને જ નહીં
મુ.સૌરભભાઈ
તમારા બધા લેખો વાંચવાની ખૂબ મઝા આવે છે.દરરોજ અચૂક વાંચું છું .
બનેતો એકવાર મળવાની ઈરછા છે.
નમસ્તે