ગુડ મોર્નિંગ – સૌરભ શાહ
( મુંબઇ સમાચાર : બુધવાર, 20 ફેબ્રુઆરી 2019)
પુલવામાના શહીદોની ચિતા પર પોતાની ભાખરી શેકી લેવાની લાલચ મમતા બેનરજી રોકી શકે એમ નથી. મમતા જાહેરમાં કહે છે કે ઈલેક્શન માથે છે ત્યારે જ આ હુમલો થયો એમાં સરકારની કોઈ ચાલ છે. અર્થાત્ આ હુમલો મોદીએ કરાવ્યો છે એવું મમતા કહેવા માગે છે. શારદા ચીટ ફન્ડના હજારો કરોડ રૂપિયામાં પગથી માથા સુધી ખૂંપી ચૂકેલા મમતા બેનરજી બ્લ્યુ પટ્ટીની સસ્તી સ્લિપર પહેરીને સાદગીનો માત્ર દેખાવ કરે છે, દંભ કરે છે. રાજકીય રીતે મોદીની સામે જંતુ બરાબર અને દેશદ્રોહીઓની દોસ્તી કરવામાં અવ્વલ નંબર ધરાવતી મમતા બેનરજીની સોચ કેટલી નિમ્નકક્ષાની છે એની તમને ખબર જ હતી, આ તો એક વધુ પુરાવો.
કૅગના રાફેલ વિશેના રિપોર્ટનું મૂલ્ય પસ્તી જેટલું પણ નથી, આવું કોણે કહ્યું? રાહુલ ગાંધીએ જે મમતાદીદીને વહાલા થવાની એક પણ તક છોડતા નથી. સુપ્રીમ કોર્ટ જ્યારે જ્યારે દેશની પ્રગતિ થાય એવા ચુકાદાઓ આપે છે ત્યારે સુપ્રીમ કોર્ટની ટીકા કોણ કરે છે? સામ્યવાદીઓ.
ઈલેક્શન કમિશનની તટસ્થતા વગોવાય એ રીતે, પોતાની હાર થાય ત્યારે ઈવીએમથી થતા મતદાનની ટીકા કોણ કરે છે? માયાવતી અને એનો ભત્રીજો અખિલેશ.
કૅગ, સુપ્રીમ કોર્ટ કે ચૂંટણી પંચ આ બધી જ બંધારણ દ્વારા અસ્તિત્વમાં આવેલી ભારતની લોકશાહીના પાયા મજબૂત કરી રહેલી સંસ્થાઓ છે. ૨૦૧૪ પછી આ સંસ્થાઓ તટસ્થપણે કાર્ય કરી રહી છે, એ પહેલાં સૌ કોઈ જાણે છે કે કૉન્ગ્રેસ કેવી રીતે એમના પર દબાણ લાવતી હતી. સુપ્રીમ કોર્ટ પાસે ૨૦૦૨ના ગોધરા હિન્દુ હત્યાકાંડ પછીનાં રમખાણો વખતે સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને કેવા કેવા ચુકાદાઓ આપીને ખુશ કરી તેની આપણને ખબર છે. બંધારણની એક ઔર સંસ્થા નામે સીબીઆઈને તો કૉન્ગ્રેસે પોતાનું બગલબચ્ચું બનાવી દીધેલી. વણઝારા અને અમિત શાહને સીબીઆઈ દ્વારા ખોટા કેસોમાં સંડોવીને જેલમાં નાખ્યા પછી કૉન્ગ્રેસે સીબીઆઈના ગળે પટ્ટો બાંધીને સીએમ મોદી સામે ભસતી કરી દીધેલી. સીબીઆઈ પણ હવે ધીરે ધીરે સ્વતંત્ર થતી જાય છે.
અત્યારની સરકાર બંધારણીય સંસ્થાઓની સત્તાને આડે નથી આવતી. એમની મર્યાદા જાળવે છે. એમનું સન્માન કરે છે. આમ છતાં વામપંથીઓના હીરો અને સામ્યવાદી પક્ષના ગૅંગ લીડર સીતારામ યેચુરી સોમવારે કહે છે કે મોદી જો ફરી ચૂંટાઈને આવશે તો દેશની બધી જ બંધારણીય સંસ્થાઓ પડી ભાંગશે.
સામ્યવાદીઓ અને સેક્યુલરો ઍનાર્કિસ્ટ હોય છે, તમને વિગતે આ વિશે અગાઉ જણાવ્યું જ છે કે કઈ રીતે તેઓ કોઈ પણ પ્રકારનું નક્કર કાર્ય કર્યા વિના બીજાઓને માત્ર ગાળાગાળી કરીને, પ્રજાની આંખમાં ધૂળ નાખીને, અંધાધૂંધી ફેલાવીને, લોકોને ક્ધફયુઝ કરીને સત્તા હડપ કરવા માગતા હોય છે.
આવી જ એક સામ્યવાદી ગરોળીનું નામ ધ કિ્વન્ટ છે જેના માલિક રાઘવ બહલ પર હમણાં જ ઈન્કમ ટ્ૅક્સે દરોડા પાડ્યા. ધ કિ્વન્ટ જેવાં જીવજંતુઓ આજકાલ ઈન્ટરનેટ પર ખૂબ ફૂલ્યાફાલ્યા છે. સોમવારે આ ન્યૂઝ પોર્ટલે એક નિબંધ સ્પર્ધા અનાઉન્સ કરી. દસ હજાર રૂપિયાનું ઈનામ. વિષય શું છે? દેશ માટે સંપૂર્ણ બહુમતી ધરાવતી સરકાર સારી કે પછી મહાગઠબંધન ધરાવતી કોએલિશન સરકાર સારી?
લેફ્ટિસ્ટોને સંપૂર્ણ બહુમતીવાળી સરકાર નથી જોઈતી. એક તો, પોતે બાપ જન્મારામાં ક્યારેય પૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવી શકે એમ છે જ નહીં. બીજું, અન્ય કોઈ પક્ષની બહુમતી સરકાર હોય તો પોતાનું ઈમ્પોર્ટન્સ હણાઈ જાય. ભાજપ ફરી વાર સંપૂર્ણ બહુમતી પ્રાપ્ત કરીને સરકાર બનાવશે તો આ દેશમાંથી સામ્યવાદના લાલ રંગને કાયમી તિલાંજલિ આપી દેવામાં આવશે એની સીતારામ યેચુરી અને એના ભાંગફોડિયા સાથીઓને ખબર છે. ગઠબંધન કે કોએલિશન સરકાર આવે એમાં જ સામ્યવાદીઓનો ફાયદો છે. તેઓ ગઠબંધન સરકારમાં સામેલ થયા વિના (જેથી કોઈ જાતની જવાબદારી પોતાના માથે ના આવે) બહારથી ટેકો આપવામાં માને છે, જેથી સરકારમાં બેસીને કોઈ કામ કર્યા વિના બહાર રહીને પોતાની મુનસફી પ્રમાણે સરકારને નચાવી શકે અને પોતાની કરપ્ટ મંશાઓને પૂરી કરી શકે. સામ્યવાદીઓ પહેલેથી આ જ કરતા આવ્યા છે, સોનિયાની લીડરશિપ હેઠળની મૂંગા મનમોહન સિંહની સરકાર વખતે પણ તેઓએ આ જ કર્યું હતું અને ભવિષ્ય માટે પણ તેઓ આવી મેલીમુરાદ ધરાવે છે. વાસ્તે આવી અવળચંડી નિબંધ સ્પર્ધા.
ફરી ફરી ફરી કહીએ છીએ કે મીડિયા સતત ભ્રમણાઓ ફેલાવીને મોટા મોટા ચમરબંધીઓને પણ મોદી માટે શંકા થાય એવું વાતાવરણ ફેલાવી દેવામાં સફળ થઈ રહી છે. આવા સંજોગોમાં પોતાની વિવેકબુદ્ધિ પર ભરોસો રાખીને, દૂધ-પાણીને છૂટાં કરીને, મીડિયામાં દેખાતી-વંચાતી દરેક સામગ્રી તપાસવી જોઈએ. શંકા પડે એવી કોઈપણ માહિતીની ચકાસણી કરવાની સગવડ ન હોય તો થમ્બ રૂલ એક જ રાખવાનો: જે માહિતી સાચી છે કે ખોટી એવી શંકા જાય એને ખોટી માનવી. જે માહિતી અકલ્પનીય લાગે, એક્ઝોટિક લાગે તેને પણ ખોટી જ માનવી. જે માહિતીમાં સોર્સ ટાંકવામાં આવ્યો હોય તે સોર્સ સુધી ગૂગલ દ્વારા પહોંચ્યા વિના એના પર ભરોસો નહીં કરવો. તમને જેની વિશ્ર્વસનીયતા પર ભરોસો હોય અને અત્યાર સુધીની તમારી કસોટીઓમાં જે સો ટચનું સોનું પુરવાર થયા હોય એવા લોકોનાં નામ વટાવી ખાનારા સોશ્યલ મીડિયાના બદમાશ તત્ત્વોને ઉઘાડાં પાડીને તમારે તમારું જ હિત સાચવવાનું છે અને રોજ એકવાર ગાવાનું છે કે અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા.
મીડિયા દ્વારા ફેલાઈ રહેલા ઊંડા અંધકારમાં જો કોઈ દીવો પ્રગટાવતું હોય તો એને બે હાથ વડે સંકોરીને દેશદ્રોહીઓની ફૂંકથી બચાવી લેવાનો હોય.
આજનો વિચાર
જે ડરનો આપણે સામનો કરતા નથી તે પછી આપણી મર્યાદા બની જાય છે.
– વૉટ્સએપ પર વાંચેલું.
એક મિનિટ!
પકો: બકા, કેમ બહુ ઉદાસ છે?
બકો: આ જો ને, વૉટ્સએપ પર આજકાલ માત્ર સ્યુડો દેશભક્તિના જ સંદેશા ફર્યા કરે છે. કોઈ નિર્દોષ જોક્સ મોકલતું જ નથી.
પકો: એમ?
બકો: હા, એટલે હવે લાગે છે કે થોડા દિવસ માટે ‘એક મિનિટ’માં આપણી ગેરહાજરી નોંધાવવી પડવાની.