3,000 શીખોની કતલ કરનારાઓ આપણને શીખવાડી રહ્યા છે કે સહિષ્ણુતા કોને કહેવાય

ગુડ મૉર્નિંગ

સૌરભ શાહ

સુબ્રહ્મણ્યમ સ્વામી સુપ્રીમ કોર્ટને ટાંકીને કહે છે કે મસ્જિદ ઈસ્લામનું અભિન્ન અંગ નથી. સાઉદી અરેબિયા જઈને જુઓ કે ગૂગલમાં ‘ડિમોલિશન ઑફ મોસ્ક્સ ઈન સાઉદી અરેબિયા’ નાખીને સર્વ કરો. એક લાંબી યાદી તમને જોવા મળશે. મક્કામાં ખુદ પયગંબર મહોમ્મદના આદેશથી મસ્જિદ બાંધવામાં આવી હતી જેને સાઉદી અરેબિયાની સરકારે એક નવું મકાન બાંધવા તોડી પાડી જેનો યુનેસ્કોએ વિરોધ કર્યો હતો, સાઉદી અરેબિયામાં એનો વિરોધ નહોતો થયો. યુનેસ્કોએ કહ્યું કે એક હેરિટેજ ઈમારત તરીકે તમારે આ એક મસ્જિદ રહેવા દેવી જોઈતી હતી. સાઉદી સરકારે યુનેસ્કોને લખ્યું: ‘ડોન્ટ ટીચ અસ આયડોલ વર્શિપ…’ અમને મૂર્તિ પૂજા શીખવાડવાની જરૂર નથી. મસ્જિદ માત્ર નમાજ કરવા માટે ભેગા થવાનું સ્થળ છે, એથી વિશેષ કશું નહીં. એને બીજે ખસેડી શકાય છે, તોડી પાડી શકાય છે.

સાઉદી અરેબિયામાં નવાં રસ્તાઓ બાંધવા, નવાં રેસિડેન્શ્યલ અપાર્ટમેન્ટ્સ બાંધવા મસ્જિદો ડિમોલિશ થતી રહે છે. ટર્કીના પ્રેસિડન્ટે પણ જાહેરમાં કહ્યું છે કે, ‘મસ્જિદો કરતાં હાઈવે બાંધવા વધારે જરૂરી છે. જો મારે હાઈવેઝ બાંધવા દરેક મસ્જિદ તોડી પાડવી પડશે તો હું એ કરીશ.’

ઈરાક, કતાર, પાકિસ્તાન આતંકવાદી અને આતંક ફેલાવવા મસ્જિદોને બૉમ્બથી ઉડાવી દેતા હોય છે. અને હવે આ લોકો આપણને ભારતમાં કહે છે કે મસ્જિદોનું મહત્ત્વ મંદિર જેવું છે? બાબરી મસ્જિદ ક્યારે મસ્જિદ હતી? 1885થી આજ દિન સુધી ત્યાં નમાજ પઢાઈ નથી. 1949માં અચાનક ત્યાં મૂર્તિ આવી ગઈ, કોઈને ખબર નથી કે કેવી રીતે આવી પણ હજુય એ મૂર્તિ ત્યાં જ છે. પણ જવાહરલાલ નહેરુએ એને તાળાં લગાવી દીધાં કે જેથી આપણે ત્યાં જઈને ભગવાનની રામની પૂજા ન કરી શકીએ. 1986માં રાજીવ ગાંધીએ તાળાં ખોલી નાખ્યાં. 1989માં એમણે ત્યાં શિલાન્યાસ કરવાની મંજૂરી આપી. 1949થી એ માત્ર મંદિર છે અને એટલે જ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોષીને મસ્જિદ તોડવા બદલ કસૂરવાર ઠેરવી ન શકાય, છઠ્ઠી ડિસેમ્બર 1992ના રોજ એ મહાનુભાવોએ જે તોડકામ કર્યું હતું તે નવું મંદિર બાંધવા માટે જૂના મંદિરનું તોડકામ કર્યું હતું.

મસ્જિદ બાંધવા સામે આપણને કોઈ વાંધો જ નથી. અયોધ્યાના રામમંદિર વિસ્તારમાં મુસ્લિમો છે જ નહીં આમ છતાં ત્યાં મસ્જિદો તો છે. મેં પોતે 21 મસ્જિદ ગણી છે જેમાંની 7 મસ્જિદોની મુલાકાત મેં લીધી છે જ્યાં મેં જોયું છે કે ત્યાં નમાજ પઢવા કોઈ જતું નથી. એ જગ્યામાં બકરી, ગાય, ભેંસ વગેરે ઢોર રખડતાં હોય છે. રામ જન્મભૂમિની જગ્યાએ જો હું (સ્વામી) મસ્જિદ બાંધીશ તો કોઈ ત્યાં નમાજ પઢવા આવવાનું નથી, કારણ કે એ જગ્યાની નજીક કોઈ મુસ્લિમો રહેતા નથી. મુસ્લિમો પાડોશના આંબેડકર જિલ્લામાં રહે છે.

હું (સ્વામી) કહું છું કે આ દેશ હિન્દુ રાષ્ટ્ર છે અને આજની તારીખેય અહીં 82 ટકા હિન્દુઓ છે. આવું સાંભળીને લોકો મને કહેતા હોય છે ના, આ હિન્દુ રાષ્ટ્ર ન કહેવાય, કારણ કે આ દેશને બનાવવામાં મુસ્લિમોનો અને ખ્રિસ્તીઓનો પણ ફાળો છે. આ દલીલ ખોટી છે. ગંગા વહેતી વહેતી આગળ વધે છે ત્યારે એમાં ઘણી બધી નદી ભળે છે. અલાહાબાદમાં તો જમના પણ ભળી જાય છે છતાં ગંગા નામ બદલાતું નથી. આ પરંપરાનું ગૌરવ આપણને સૌને હોવું જોઈએ.

ભારતના ભાગલાને આપણે સ્વીકાર્યા છે, મુસ્લિમોએ એનો સ્વીકાર કર્યો છે. જે લોકોને અહીંયા રહેવું હતું એમને આપણે કહ્યું કે કોઈ વાંધો નહીં, રહો. આપણી તો આ પરંપરા રહી છે. પારસીઓ અહીં આવ્યા ત્યારે આપણે એમને પણ સાચવી લીધા. કોઈ સમસ્યા ઊભી નથી થઈ. પારસીઓ આવ્યા ત્યારે દ્વારકાના શંકરાચાર્યે પાંચ શરતો મૂકી હતી જે એમણે પાળી: એક, તમારે પર્શ્યન ડ્રેસ નહીં પહેરવાનો – તમારે સાડી અને કૂર્તા – પાયજામા પહેરવાનાં. બે, તમારે લગ્નવિધિ વખતે સંસ્કૃતના બે શ્ર્લોક પઢવાના જે હું (શંકરાચાર્ય) તમને લખીને આપીશ. ત્રણ, તમે પર્શ્યન (ફારસી) ભાષા નહીં બોલો, ગુજરાતી બોલશો. ચાર, તમે ગૌમાંસનું ભક્ષણ નહીં કરો અને બીજી એક શરત હતી. આ પાંચ શરતોનું પાલન કરીને પારસીઓ ભારતની પ્રજા સાથે સુંદર રીતે ભળી ગયા. અંગ્રેજોએ પાર્ટિશન વખતે પારસીઓને કહ્યું કે તમે એક નાનકડી પ્રજા છો, આ જંગી હિન્દુ બહુમતી તમને કચડી નાખશે, અમે જતાં જતાં તમને અમુક બાબતોમાં કાયદો કરીને અનામત આપવા માગીએ છીએ. ત્યારે પારસીઓએ કહ્યું કે એક હજાર વર્ષથી આ હિન્દુઓએ અમને સાચવ્યા છે, અમને તમારી કોઈ મહેરબાનીની જરૂર નથી.

ભારતમાં પારસીઓની વસતી 60,000 જેટલી જ છે છતાં કેટકેટલી અગત્યની જગ્યાઓએ પારસીઓ છે. એમની વસ્તીના પ્રમાણની સરખામણી કરો તો પારસીઓએ આ દેશમાં વધુ ઉચ્ચ હોદ્દાઓ શોભાવ્યા છે. છતાં કોઈ ફરિયાદ કરતું નથી, કારણ કે પારસીઓ આ દેશની મુખ્ય સાંસ્કૃતિક ધારા સાથે એકરૂપ થઈને જીવે છે.

તમે અલ્લાહની પ્રાર્થના કરો એમાં અમને કોઈ વાંધો નથી. અમે તમને મસ્જિદ બાંધવા દઈશું – તમારે જ્યાં બાંધવી હોય ત્યાં બાંધો, માત્ર બીજાઓના ધર્મમાં દખલગીરી નહીં કરવાની. પણ તમારે આરબ દેશમાં લોકો જેવાં કપડાં પહેરે છે તે અહીં પહેરવાની શું જરૂર છે? શા માટે તમારી સ્ત્રીઓને તમારે બુરખામાં રાખવી જોઈએ? અને મુસ્લિમ મહિલાઓ પોતે કંઈ બુરખામાં રહેવા માગે છે એવું નથી. ટ્રિપલ તલાકના કિસ્સા પછી જોયું છે કે ઘણા મોટા પ્રમાણમાં મુસ્લિમ મહિલાઓ બીજેપીને વોટ આપતી થઈ ગઈ છે.

કૉંગ્રેસે અત્યાર સુધી વિચાર્યા કર્યું કે હિન્દુઓમાં ભાગલા પાડી શકાશે: યાદવ, જાટ, ક્ષત્રિય, બ્રાહ્મણ, પ્રદેશ, ભાષા, જાતિ-હિન્દુઓમાં ભાગલા પાડો અને મુસ્લિમોને એકત્રિત કરો. આપણે એમ ન કરતાં વિરુદ્ધ કરી રહ્યા છીએ. હિન્દુઓને યુનાઈટ કરી રહ્યા છીએ અને મુસ્લિમને ડિવાઈડ કરી રહ્યા છીએ. અને આપણે જે કામ કરી રહ્યા છીએ એ તો બંધારણીય છે – એક સમાન હક્ક. આપણે તો પરંપરાથી સ્ત્રી-પુરુષ એકસમાનતામાં માનતા આવ્યા છીએ.

છેલ્લે બે એક વાત. 2019ની ચૂંટણીમાં યુપીએ કરતાં કે એમના મહાગઠબંધન કરતાં બીજું કોઈપણ સત્તા પર આવે તે સારું છે. 2019ની ચૂંટણી આવશે તે પહેલાં એમના બધા લીડરો બહાર નહીં પણ અંદર હશે, કારણ કે એમણે ગંજાવર ભ્રષ્ટાચાર કર્યો છે. આપણા દેશનો 10 ટકા કરતાં વધુ દરે વિકાસ થઈ શકે છે, કારણ કે આપણા દેશની પ્રજા જીડીપીના 36 ટકા જેટલી બચત કરતી હોય છે. પણ કરપ્શનને કારણે આપણે આપણી પાસેનાં સંસાધનોને વિકાસ કાર્યોમાં વાપરી શકતા નથી.

ભારતની માનસિકતા બદલવા માટે શાળા-કૉલેજમાં ટેકસ્ટ બુક્સ દ્વારા જે ભણાવવામાં આવે છે તેમાં પરિવર્તન આવવું જોઈએ અને કેટલાક લોકો આ પરિવર્તનનો વિરોધ કરી રહ્યા છે. એ લોકો બૂમરાણ મચાવી રહ્યા છે કે ભારતમાં સ્ત્રીઓ સલામત નથી. હકીકત એ છે કે ભારત કરતાં અમેરિકામાં રેપનું પ્રમાણ દસગણું વધારે છે, છતાં આપણી ટીવી ચેનલો ભારતને બદનામ કર્યા કરશે. લિન્ચિંગના ટોળાશાહી દ્વારા થતી હત્યાના સમાચારો ચગાવવામાં આવે છે. બે વરસ પહેલાં બહાદુર ગઢના એક દલિતના ન્યૂઝ આ જ રીતે ઉછાળવામાં આવ્યા હતા. મેં જાતતપાસ કરીને જાણ્યું ત્યારે ખબર પડી કે શેડયુલ્ડ કાસ્ટના એક પરિવારમાં પ્રોપર્ટીના મામલે ઝઘડો થયો હતો. એને પરિણામે એક જૂથે બીજા જૂથની વ્યક્તિને બાળી નાખી જેથી સઘળી મિલકત પોતાના નામે થઈ જાય. આપસનો મામલો હતો. કોર્ટે કસૂરવારને સજા પણ કરી, પરંતુ મીડિયા શરૂઆતની બાતમી આપીને છટકી જતું હોય છે.

આજે ટોલરન્સની વાતો થાય છે. આપણે અસહિષ્ણુ બની ગયા છીએ એવું એ લોકો કહે છે, મીડિયા કહે છે. ઈમરજન્સીના મહિનાઓ શું સહિષ્ણુતાનો ગાળો હતો? 1984માં પહેલી નવેમ્બરે કૉંગ્રેસના બે કેબિનેટ મિનિસ્ટરોના નેતૃત્વ હેઠળ 3,000 શીખોને રહેંસી નાખવામાં આવ્યા તે શું સહિષ્ણુતા હતી? લિન્ચિંગનો સૌથી મોટો બનાવ તો એ હતો. જે લોકોએ ઈમરજન્સી ડિકલેર કરી, જે લોકોએ ત્રણ હજાર શીખોને મારી નાખ્યા, હાજીપુરા અને મેરઠમાં 42 યુવાન મુસ્લિમોની જેમણે કતલ કરી એ લોકો આપણને શીખવાડી રહ્યા છે કે સહિષ્ણુતા કોને કહેવાય?

આ બધા લોકોથી સાવધાન. એમની વાતોમાં નહીં આવતા. ટેક્સ્ટ બુક્સમાં ફેરફારો થવા જોઈએ જેથી આપણી નવી પેઢીનું બ્રેઈન વૉશિંગ થતું અટકે, એમનામાં લઘુતાગ્રંથિ ના આવે. મેં સરકારને દરખાસ્ત કરી છે કે ટેક્સ્ટ બુક્સ બદલવાનો ઉત્તમ માર્ગ રાજીવ મલ્હોત્રાના નેતૃત્વ હેઠળ સમિતિનું ગઠન કરવાનો છે. અને આવું પગલું ન લેવાય ત્યાં સુધી હું જંપીને બેસીશ નહીં.

આજે એ લોકોમાં ગભરાટ ફેલાયો છે, કારણ કે તેઓ આપણો વિજય થઈ રહ્યો છે તે જોઈ શકે છે. એ લોકોની જુઠ્ઠી આક્ષેપબાજીઓના મારાને લીધે આપણે બી જવાની જરૂર નથી, આપણા પોતાના વિશે શંકા કરવાની જરૂર નથી. અત્યારે આપણે ઘણા કઠિન સમયમાં લડત આપીને દરેક પ્રકારની ક્રાન્તિ લાવી રહ્યા છીએ. નવી જાગૃતિ આવી રહી છે. નવી માનસિકતા સર્જાઈ રહી છે. યુવાનોમાં આપણો સાચો ઈતિહાસ જાણવાની ભૂખ ઊઘડી રહી છે.

સિરીઝ પૂરી.

આજનો વિચાર

પુરુષ જો લગ્ન પછી પણ એ જ રીતે વર્તવાનું ચાલુ રાખે જે રીતે તેઓ લગ્ન પહેલાં બીહેવ કરતા હતા તો ડાયવોર્સ થાય જ નહીં.

સ્ત્રી જો લગ્ન પહેલાં એ રીતે વર્તે જે રીતે લગ્ન પછી વર્તતી હોય છે તો મેરેજ થાય જ નહીં.

– વૉટ્સએપ પર વાંચેલું

એક મિનિટ!

પકો: બકા, હું કંઈ પોલિટિક્સમાં નથી અને મારે કંઈ લેવા દેવા નથી ભાજપ કે કૉંગ્રેસ જોડે. પણ મારું માનવું છે કે દેશમાં બે જ પાર્ટી હોવી જોઈએ.

બકો: કઈ કઈ?

પકો: એક શનિવારે રાત્રે, અને બીજી રવિવારની રાત્રે.

11 COMMENTS

  1. Mob lynching
    This reminds me an era of CPI-M led Ranvir Sena’s mascara in Lalu led Bihar during 1990’s

  2. આ દરેક દેશપ્રેમી (સાચા)નો અંતર્નાદ બની શકે ,શાહજી અમે પૂરી નિષ્ઠાથી આપની સાથે છીએ.

  3. આ દરેક દેશપ્રેમી (સાચા)નો અંતર્નાદ બની શકે ,શાહજી અમે પૂરી નિષ્ઠાથી આપની સાથે છીએ.

  4. ખુબ સુંદર માહિતી સ્વામી જી આવી જ વાતો ભારત હિત હિન્દુ હિત ની જણાવજો રાજીવ મલહોત્રા વિશે થોડી વધુ માહિતી આપશો બાકી તો આ લેખ છપ્પર ફાડકે હે જય હિન્દ

  5. Thoughts expressed by you in your various articles like in this one, are worthy of spreading amongst everyone who loves Bharat. Translation of your articles in all languages of India and making them available simultaneously through print and electronic media now onwards will help voters in casting their votes sensibly.

  6. Thank you Saurabh Shah for (Re)presenting Subramaniam Swami & Rajiv Malhotra in a fantabulous way to aware people & being a true nationalist journalist !!

  7. ..૭૧ પેઢી ખાય એટલા પૈસા ખાઈને બેઠેલી નહેરુ-ઈંદિરા-સોનીયા કોંગ્રેસ, ૨૦-૨૫ પેઢી ના પૈસા વેરીને(ઈન્વેસ્ટ કરીને); વેચાઉ મિડીયા અને ખાઉધરા વિપક્ષો અને પાકિસ્તાન તથા હિંદુસ્તાનના ગદ્દાર જ હોય એટલા મુસ્લિમોના સહારે મોદી-*ભાજપ*ને હંફાવવા બેઠી છે..
    પણ જાગી ગયેલ હિંદુસ્તાનીઓ ,અને ‘સમજ’વાદી મુસ્લિમ(પુરુષો અને ખાસ તો સ્ત્રીઓ) હવે ભારતનો સાચો ઇતિહાસ (ને, કોંગ્રેસનો ખોટો) જાણી રહ્યા છે !!
    ‘એક થઈએ, એક્ટીવ થઈએ !
    -હાં?

  8. સૌરભ શાહ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ નવ નિર્માણ માટે કરાયેલા પ્રયાસોને સો સો સલામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here