જેણે ચિરસ્મરણીય અનુભવો કરવા હોય, તેણે હિંમતપૂર્વક સાહસ કરવું: પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ: ભાગ બીજો

(ગુડ મૉર્નિંગ : રવિવાર, મહા સુદ છઠ, વિક્રમ સંવત ૨૦૭૮. ૬ ફેબ્રુઆરી ૨૦૨૨)

‘જીવનમાં ઉત્તમ વ્યક્તિની પ્રાપ્તિ, હીરાની પ્રાપ્તિ કરતાં પણ વધુ મહત્ત્વની હોય છે. પછી તે વ્યક્તિ પતિ હોય, પત્ની હોય, મિત્ર હોય કે ગુરુ હોય, કોઈ પણ હોય’.

‘મારા અનુભવો’માં એક જગ્યાએ સ્વામી સચ્ચિદાનંદે આ વાત લખી છે. ઉત્તમ વ્યક્તિની શોધ અને પ્રાપ્તિ વિશે તેઓ આગળ લખે છે:

‘શ્રેષ્ઠ વ્યક્તિથી સંસારમાં કશું જ વધુ કીમતી નથી. સોનું શોધવા નીકળેલા માણસો કરતાં ઉત્તમ વ્યક્તિ શોધવા નીકળેલા માણસો વધુ ડાહ્યા હોય છે, કારણ કે સોનાના સુખ કરતાં ઉત્તમ વ્યક્તિનું સુખ ઘણું વધારે છે. સોનું તો કદાચ કોઈ સમયે દુઃખ રૂપ થઈ શકે છે. પણ ઉત્તમ વ્યક્તિઓ જીવનમાં અનાયાસે મળી જતી હોય છે. અનાયાસે મળતા લાભોમાં તો ઈશ્વર કૃપાની અનુભૂતિ કરવી જ જોઈએ’.

સ્વામીજીએ આ જે વાત લખી છે તેનો સાક્ષાત્કાર આપણને સૌને જીવનમાં થતો રહે છે. આગ્રહો, માન્યતાઓ અને પૂર્વગ્રહયુક્ત દ્રષ્ટિ છોડીને એમાં નીરક્ષીર વિવેક ઉમેરીએ છીએ ત્યારે ઉત્તમ વ્યક્તિઓનું પ્રત્યક્ષ કે પરોક્ષ સાન્નિધ્ય આપણને સાંપડતું હોય છે.

પર્સનલ વાત કરું તો સ્વામી સચ્ચિદાનંદના વ્યક્તિત્વનો પરિચય (પ્રથમ પરોક્ષ અને ત્યારબાદ પ્રત્યક્ષ) થયો એ વાત મારા જીવન માટે હીરાની જ નહીં, હીરાની મોટી ખાણની પ્રાપ્તિ બરાબર પુરવાર થઈ છે. મારા પૂર્વગ્રહોને જો મેં આઘા ઠેલ્યા ન હોત તો હું ક્યારેય એમના વિચારો સુધી પહોંચી ન શક્યો હોત અને મારામાં નીરક્ષીર વિવેક ખીલ્યો ન હોત તો હું આટલા દાયકાઓ પછી પણ એમની સાથે આટલું નિકટનું વૈચારિક સાન્નિધ્ય મેળવી શક્યો ન હોત.

1987ના આરંભની વાત. એ વખતે હું ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં નોકરી કરવા મુંબઈથી સુરત ગયો હતો. પાર્લે પોઇન્ટ નજીક ઘોડદોડ રોડ પરના મારા ઘરની બાજુમાં રહેતા મારા નેક્સ્ટ ડોર નેબર સાથે મારે ઝાઝો નહીં પણ હાય-હેલ્લોનો સંબંધ. એક દિવસ મને કહે કે ‘આવતા અઠવાડિયે નાનપુરા પાસેની એક સ્કૂલના ચોગાનમાં એક સંતનું પ્રવચન છે, જઈએ સાથે.’ મેં પૂછ્યું કે ‘શું નામ છે?’ એ કહે, ‘સ્વામી સચ્ચિદાનંદ’. મારા માટે આ નામ તદ્દન નવું હતું. મારા પિતાને કારણે મને રજનીશજી, કૃષ્ણમૂર્તિ તથા અન્ય આધ્યાત્મિક પુરુષોના જીવન-કથનમાં ઊંડો રસ પણ ભારતીય જ્ઞાનગુરુઓથી બહુધા દૂર રહેવાની વૃત્તિ જે મારી સ્યુડો ઈન્ટલેક્‌ચ્યુઅલ કુબુદ્ધિની ચટપટીની નીપજ હતી. મને જેમના નામની આગળ ‘સ્વામી’નું પ્રીફિક્‌સ લાગ્યું હોય અને પાછળ ‘આનંદ’નું સફિક્‌સ લાગ્યું હોય એવા લોકો માટે એલર્જી રહેતી. પણ મારા પાડોશી ધરાર મારે ત્યાં સ્વામી સચ્ચિદાનંદ લિખિત ચાર-છ પુસ્તકો મૂકી ગયા જેનાં પાનાં ફેરવવામાં પણ મને રસ નહોતો. બે દિવસ પછી પૂછી ગયા કે, ‘વાંચ્યું એમાંથી કશુંક?’ મેં કહ્યું, ‘નથી વાંચ્યું અને વાંચવું પણ નથી, તમે તમારી ચોપડીઓ પાછી લઈ જાઓ’. એમણે આગ્રહપૂર્વક કહ્યું કે, ‘તમારા ઘરમાં આટલાં પુસ્તકો છે, તમે સારા વાચક છો. મારી તમને વિનંતી છે કે બીજું કંઈ નહીં તો છેવટે ‘મારા અનુભવો’માંથી કોઈ પણ એક પ્રકરણ રેન્ડમલી પસંદ કરીને વાંચી જાઓ. પછી તમે કહેશો ત્યારે આ બધા જ પુસ્તકો હું પાછાં લઈ જઈશ.’

લોકોની ભીડને ચીરીને એમનાં નજીકથી દર્શન કર્યા: એમનાં ચરણસ્પર્શ કરવાનો એ પહેલવહેલો લહાવો.

પાડોશીનું માન રાખવા એ રાત્રે મેં ‘મારા અનુભવો’ની ત્રણેક મહિના પહેલાં જ પ્રગટ થયેલી નકલ હાથમાં લીધી અને વચ્ચેથી કોઈ પ્રકરણ પસંદ કરીને વાંચવાનું શરૂ કર્યું. ભગવાનના સોગંદ, આખી રાત જાગીને મેં ‘મારા અનુભવો’ પૂરું કર્યું. (રઘુવીર ચૌધરીએ આવી જ વાત અશ્વિની ભટ્ટ માટે લખી છે. રઘુવીરભાઈને થ્રિલર રાઇટર્સની એલર્જી પણ કોઈના આગ્રહને વશ થઈને એમણે ‘ઓથાર’ (કે પછી ‘અશકા માંડલ’) હાથમાં લીધી અને આખી રાત જાગીને પૂરી કરી. એ પછી તો ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રગટ થયેલા પુસ્તક ‘ગુજરાતી નવલકથા’માં એમણે અશ્વિની ભટ્ટની બેસ્ટ સેલર્સ વિશે એક દીર્ઘ વિવેચન લેખ પણ લખ્યો).

બીજે દિવસે સવારે હું પાડોશીને જઈને કહી આવ્યો કે આપણે આ સંતના પ્રવચનમાં સાથે જઈશું.

જે મેદાનમાં સ્વામી સચ્ચિદાનંદનું પ્રવચન હતું એમાં ભારે ભીડ હતી. સ્વામીજીને મેં પહેલી જ વાર જોયા. બહુ દૂરથી જોયા. પ્રભાવશાળી વ્યક્તિત્વ અને એટલું જ પ્રભાવશાળી વક્તવ્ય. ભારતીય ઇતિહાસને લગતી, ભારતની પરંપરાને લગતી વાતો હતી. સ્વામીજીનાં તમામ પ્રવચનોનું રેકોર્ડિંગ ઉપલબ્ધ છે. 1987ના જાન્યુઆરી/ફેબ્રુઆરીમાં સુરતના પ્રવચનનું રેકોર્ડિંગ શોધીને સાંભળો તો ખબર પડે કે એક્ઝેક્ટલી કયા વિષયનું પ્રવચન હતું. સાંજનો સમય હતો. બાજુની મસ્જિદમાંથી મગરિબની નમાઝ માટેની આઝાન લાઉડ સ્પીકર પર મોટા અવાજે શરૂ થઈ. સ્વામીજીના શબ્દો સંભળાવામાં ખલેલ પડી. સ્વામીજીએ તરત જ પ્રવચન છોડીને માઇક પર રામધૂન શરૂ કરી દીધી. સેંકડો શ્રોતાઓ એમાં જોડાયા. આઝાનનો અવાજ ડૂબી ગયો. આખું વાતાવરણ રામધૂનમય થઈ ગયું. થોડી મિનિટોમાં મસ્જિદનું લાઉડ સ્પીકર મૌન થયું એટલે સ્વામીજીએ પ્રવચનનો તંતુ સાધી લીધો અને શ્રોતાઓએ એમને તાળીઓના પ્રચંડ ગડગડાટથી વધાવી લીધા.

સ્વામીજીના બોલાયેલા શબ્દોથી તો હું પ્રભાવિત થયો જ હતો, આગલી રાતે એમના લખાયેલા શબ્દોના પ્રભાવમાંથી હજુ બહાર નીકળ્યો નહોતો, એમાં વળી આ બાંગ વર્સિસ રામધૂન વાળી વાત ઉમેરાઈ – હું ચકાચૌંધ થઈ ગયો. પ્રવચન પૂરું થયા પછી લોકોની ભીડને ચીરીને એમનાં નજીકથી દર્શન કર્યા: એમનાં ચરણસ્પર્શ કરવાનો એ પહેલવહેલો લહાવો.

એ પછીના દાયકા દરમ્યાન પત્ર દ્વારા, ક્યારેક ફોન પર તો ક્યારેક રૂબરૂમાં અલપઝલપ સંપર્ક વધતો રહ્યો પણ 1997ના ગાળામાં મેં ‘સ્વામી સચ્ચિદાનંદ સાથે ચોવીસ કલાક’ એવો એમની મુલાકાત પર આધારિત લાંબો લેખ લખ્યો, એમના આશ્રમમાં એક રાત રહ્યો એ પછી એમની સાથેનો સંપર્ક વધતો ગયો. સ્વામીજી સાથેની ઘણી વાતો અવારનવાર મેં વાચકો સાથે શેર કરી છે. છેલ્લે પુરાણો વિશેની મૂંઝવણ દૂર કરવા એમનો ઇન્ટરવ્યુ કર્યો તે પણ તમારામાંના ઘણાએ વાંચ્યો હશે – ‘ન્યુઝપ્રેમી’ પર જ છે.

2020ના ફેબ્રુઆરી-માર્ચમાં મેં એમને ફોન કર્યો કે ‘બાપજી, એપ્રિલમાં દંતાલી આવીને બે-ત્રણ દિવસ તમારા સાન્નિધ્યમાં રહેવું છે.’ એમણે કહ્યું, ‘અત્યારે હું નર્મદાની પરિક્રમા કરી રહ્યો છું. માર્ચના અંત સુધી પૂરી થઈ જશે. તમે એપ્રિલમાં જરૂર આવો. કઈ તારીખે આવશો?’ મેં એમને તારીખ કહી અને એમને મળવાનો હેતુ કહ્યો, ‘બાપજી, એ દિવસે મારી સાઠમી વર્ષગાંઠ છે. મારે કોઈ ષષ્ટિપૂર્તિની ઉજવણી નથી કરવી. મુંબઈમાં કેટલાક સુહૃદયી મિત્રો આવું કાવતરું ગોઠવી રહ્યા છે પણ હું બધાથી દૂર, એકલો તમારી પાસે આવીને તમારા આશીર્વાદ લઈને હવે પછીનાં વર્ષો આરંભ કરવા માગું છું’.

સ્વામજીએ પ્રસન્ન થઈને મારા પ્રસ્તાવ પર મંજૂરીની મહોર મારી આપી. પણ થોડાક જ અઠવાડિયામાં કોરોનાની મહામારીનો પ્રકોપ વધ્યો. પ્રધાનમંત્રીએ ચૈત્રી નવરાત્રિથી સમગ્ર દેશમાં લૉકડાઉન જાહેર કર્યું જે લંબાતું ગયું. મુંબઈથી આણંદની ટ્રેનયાત્રા કરીને પેટલાદ-દંતાલી પહોંચવાનું અશક્ય બની ગયું. સ્વામીજીએ પણ નર્મદા પરિક્રમા અધૂરી મૂકીને આશ્રમમાં પાછા આવી જવું પડ્યું. સ્વામીજીનું સાંન્નિધ્ય તો ન સાંપડ્યું પણ એમના આશીર્વાદ સાથે એ દિવસે નકોરડો ઉપવાસ રાખીને ઘરે જ અમે સાઠમી વર્ષગાંઠની ઉજવણી કરી.

સ્વામીજી સાથેનાં મારાં જે સંસ્મરણો ઑલરેડી લખાયેલાં છે તેમાં બીજી ઘણી યાદગાર વાતો ઉમેરી શકાય. એમની સાથેની સ્મૃતિઓ ભેગી કરીને એક આખું પુસ્તક લખાય. 1997માં ચોવીસ કલાકવાળો જે ઇન્ટરવ્યુ હતો તે એક મેગેઝિનમાં પ્રગટ થયેલો જે પાછળથી રઘુવીર ચૌધરીએ સ્વામી સચ્ચિદાનંદ વિશે સંપાદિત કરેલા એક પુસ્તકમાં સમાવ્યો છે એવી જાણ મને ઘણા વખત પછી થઈ, આનંદ થયો. કદાચ ‘ધર્મવિવેક’ કે એવા જ કોઈક નામનું એ પુસ્તક છે.

સ્વામી સચ્ચિદાનંદ જેવા યુગપુરુષના પ્રત્યક્ષ કે પરોક્ષ પરિચયમાં આવવું, એમના વિચારોથી પ્રભાવિત થઈને પોતાના વિચારજગતની સમૃદ્ધિમાં ઉમેરો કરવો અને એમના જેવા ધ્રુવતારક થકી જીવનયાત્રાનો આગળનો માર્ગ નક્કી કરતાં રહેવું – આવું સદ્‌ભાગ્ય સાંપડે એ ભગવાનના સૌથી મોટા આશીર્વાદ છે.

રાષ્ટ્રના પ્રથમ હરોળના સાધુ સંતમાં સ્વામી સચ્ચિદાનંદનું નામ સૌ કોઈ આદરપૂર્વક લે છે. ગુજરાતના વિચાર વૈભવના વારસામાં એમણે કરેલો ઉમેરો અદ્વિતીય છે. ભારતના રાષ્ટ્રીયસંતને છાજે એવું મૌલિક સૂત્ર દાયકાઓ પહેલાં એમણે આપ્યું ‘વીરતા પરમો ધર્મ’. આજે આ સૂત્ર ઘેર ઘેર ગાજે છે. ભારતના સંસ્કારો માટે, ભારતની ધાર્મિક-આધ્યાત્મિક પરંપરા માટે, ભારતની સામાજિક-રાજકીય વ્યવસ્થા માટે તેમ જ વ્યક્તિની અંગત જિંદગીને વધુ ચોખ્ખી નીતિમય તથા સમૃદ્ધ બનાવવા માટે નેવું વર્ષના આયુષ્ય દરમ્યાન સ્વામી સચ્ચિદાનંદે દિવસરાત જે તપશ્ચર્યા કરી છે તેના સાક્ષી આપણે સૌ, એમના લાખો વાચકો-શ્રોતાઓ-ચાહકો-ભક્તો તો છીએ જ. આ વર્ષે રાષ્ટ્રીય સ્તરે એમનું આ કાર્ય ભારત સરકાર દ્વારા નવાજવામાં આવ્યું. ઇનામો-અકરામો-પારિતોષિકો અને બહુમાનો કંઈ દરેક વખતે યોગ્ય વ્યક્તિને જ મળે એ જરૂરી નથી હોતું. પણ જ્યારે જ્યારે આવાં બહુમાનો સંપૂર્ણપણે યોગ્ય વ્યક્તિને મળે છે ત્યારે તેને આપનારનું તેમ જ તેને સ્વીકારનારનું બેઉનું માન વધતું હોય છે.

સ્વામી સચ્ચિદાનંદ જેવા યુગપુરુષના પ્રત્યક્ષ કે પરોક્ષ પરિચયમાં આવવું, એમના વિચારોથી પ્રભાવિત થઈને પોતાના વિચારજગતની સમૃદ્ધિમાં ઉમેરો કરવો અને એમના જેવા ધ્રુવતારક થકી જીવનયાત્રાનો આગળનો માર્ગ નક્કી કરતાં રહેવું – આવું સદ્‌ભાગ્ય સાંપડે એ ભગવાનના સૌથી મોટા આશીર્વાદ છે. ‘મારા અનુભવો’માં સ્વામીજીએ લખ્યું છે:

‘હીરા અને રત્નોને જો ધરતી ઉપરથી મેળવી શકાતાં હોત તો તેમનું મૂલ્ય ન રહ્યું હોત. ધરતી ઉપર ઘણા ઊંડા પેટાળમાંથી ઘણું ખોદકામ કર્યા પછી કદાચ તેમની પ્રાપ્તિ થાય છે. માટી દૂર કરવા તથા પથ્થરોને દૂર કરવા કોદાળીના કેટલાય ટચકા મારવા પડતા હોય છે. માટી અને પથ્થરોને દૂર કરવાની સાધના એ જ ખરી સાધના છે. તેનાથી થાકી જનારા કે ધીરજ ખોઈ બેસનારા હીરાના અધિકારી નથી થઈ શકતા.’

સ્વામી સચ્ચિદાનંદની આત્મકથામાંથી મળ્યા કરતાં હીરા-મોતી-સુવર્ણમુદ્રાઓ વિશેની વાત થોડીક આગળ લંબાવવી છે. એમના અનુભવોના નવનીતમાંથી નીકળેલું આ વાક્ય મનમાં સંઘરી રાખવા જેવું છે:

‘પદ્માસન વાળીને નામસ્મરણ કે ધ્યાન કરવા કરતાં એકાંતમાં એકલા ચાલવાથી ઈશ્વરમાં વધુ મન લાગે છે.’

આ વાક્યમાં ત્રણ વાત યાદ રાખવાની – 1. એકાંત, 2. એકલા અને 3. ચાલવું.

તમારું જીવન તમે જેમના સંસર્ગમાં આવો છો, જેમના વિચારોથી પ્રભાવિત થાઓ છો તેના થકી પણ ઘડાતું હોય છે. સંતકૃપા અને ઈશ્વરની કૃપાનો અનુભવ આ કે આવી અનેક બાબતોમાં સૌ કોઈને થતો રહેતો હોય છે.

સ્વામીજીએ ‘મારા પૂર્વાશ્રમનાં સંસ્મરણો’માં પોતે ગૃહત્યાગ કર્યો એ પહેલાંના વર્ષોના પ્રસંગો વિગતે વર્ણવ્યાં છે. એ પહેલાં એમણે 1997 વાળા ઇન્ટરવ્યુમાં એમણે એ વર્ષોની જે એકાદબે વાત કહી હતી તે પહેલ વહેલીવાર એમણે જાહેર કરી હતી. ‘મારા અનુભવો’માં વાચકોને આંચકો લાગે એવી વાત એમણે લખી છે:

‘હું ચા નથી પીતો. એક સમય હતો જ્યારે હું ચા પીતો, પાન ખાતો, સિગારેટ પણ પીતો, પણ એ બધું તો એક જ દિવસે છોડી દીધું હતું આજે (1953માં) તે વાતને બે વર્ષ વીતી ગયાં હતાં. વ્યસનોને છોડવાં બહુ કઠિન હોય છે. વ્યસન બેધારી તલવાર છે. એક તરફ એ તમારાં આરોગ્ય તથા લક્ષ્મીને કાપે છે, તો બીજી તરફ તમારા મનોબળને પણ કાપે છે. આ ત્રણે વ્યસનો કેવી રીતે છોડ્યાં તેનો મારી પાસે એક જ જવાબ છે, ‘ઈશ્વર કૃપાથી’. પાનનો ચસકો તો એટલો બધો કે જેટલો કાથો તેટલો જ ચૂનો અને તમાકુ તો ખરી જ. જમ્યા પછી, ચા પીધા પછી પાન તો જોઈએ જ. આ બધું એક જ દિવસે, એક જ ઝાટકે છૂટી ગયું હતું. મારા કરતાંય લોકોને નવાઈ લાગતી હતી. મેં ઈશ્વરનાં દર્શન નથી કર્યાં, પણ તેની કૃપાનાં દર્શન અસંખ્ય વાર કર્યા છે. તેની જ કૃપાનું આ બધું પરિણામ છે, નહિ તો મારી રાખ પણ અત્યારે ના હોત’.

તમારું જીવન તમે જેમના સંસર્ગમાં આવો છો, જેમના વિચારોથી પ્રભાવિત થાઓ છો તેના થકી પણ ઘડાતું હોય છે. સંતકૃપા અને ઈશ્વરની કૃપાનો અનુભવ આ કે આવી અનેક બાબતોમાં સૌ કોઈને થતો રહેતો હોય છે. મને પણ થયો છે. પાંચ કે સાત વર્ષ અગાઉ મેં એક ઝાટકે સિગારેટની આદતથી મુક્તિ મેળવી અને એનાં થોડાંક વર્ષ પછી દારૂથી. આ બંનેય મારી ટીનએજથી મને વળગેલાં. બેઉ વ્યસનોથી દૂર થયા પછી, બાપજી કહે છે એમ મારાં આરોગ્ય તથા લક્ષ્મીમાં ફરક પડ્યો છે, મનોબળમાં પણ અને મારી બાહ્ય-આંતરિક શુદ્ધિ વધી છે. અફસોસ માત્ર એટલો જ છે કે આ કામ થવું જોઈતું હતું એના કરતાં એક-બે દાયકા મોડું થયું.

બાપજી પાસેથી ઘણું ઘણું શીખવાનું છે. ડગલેને પગલે એમની વાણી, એમના વિચારો તમારી શ્રદ્ધામાં ઉમેરો કરતાં રહે છે. ‘મારા અનુભવો’માં ‘પ્રથમ પ્રવચન’ શીર્ષકવાળા પ્રકરણના આરંભે તેઓ નોંધે છે:

‘જેણે ચિરસ્મરણીય અનુભવો કરવા હોય, તેણે હિંમતપૂર્વક સાહસ કરવું… ખાધું-પીધું ને રાજ કર્યું જેવું ભલેને રાજમહેલનું જીવન હોય પણ ખાવાપીવાની સલામતીની દૃષ્ટિવાળું આવું જીવન હજાર વર્ષનું લાંબું હોય તો પણ તે અર્થહીન છે… પ્રબળ લક્ષ્યની પ્રાપ્તિ માટે જીવનને કઠોરમાં કઠોર માર્ગ ઉપર પટકી દેનાર કાં તો ફના થઈ જાય છે, કાં તો આબાદ થઈ જાય છે.’

આ જ વાતનો જાણે તંતુ મેળવીને સાંધતા હોય એમ એક અલગ પ્રકરણમાં અને અલગ સંદર્ભમાં બાપજીએ નોંધ્યું છે:

‘જેણે ઈશ્વરની કૃપાનો અનુભવ કરવો હોય તેણે જાણી કરીને આપત્તિઓ વહોરી લેવી. દુઃખો અને આપત્તિઓ વિના પણ ઈશ્વરની કૃપાનો અનુભવ તો થાય જ છે, પણ પેલો અનુભવ તો હાડોહાડ લાગી જાય તેવો હોય. જેના માટે અને જેના સહારે ફનાગીરી સ્વીકારી હોય તે (ઈશ્વર) તમને ફના કરીને પણ આબાદ કરતો હોય છે. હું ફનાગીરીના માર્ગે ધપી રહ્યો હતો આ ઉંમરે આ માર્ગે આવી રીતે કોણ ડાહ્યો માણસ આગળ વધે?’

સ્વામીજી કહે છે : ‘ઉત્સાહ વિના મહત્ત્વનું કાર્ય ન થઈ શકે, પણ ઉત્સાહ ઉપર વિવેકનું નિયંત્રણ જરૂરી છે.’

જીવનમાં શિસ્ત અને નિયમપાલનની મહત્તા વિશે તો જાણે કે સૌ કોઈને ખરબર છે. પણ આ બાબતમાં રબ્બરની માફક એટલું ન તાણવું કે વખત જતાં તે તૂટી જાય. સમાધાન અને વિવેકસભર બાંધછોડ કોને કહેવાય અને પલાયન, તકવાદ કે દંભ કોને કહેવાય એ વિશે મનમાં સ્પષ્ટતા હોય તો જ આ કામ કાયમી ધોરણે જીવનમાં અમલમાં મૂકી શકીએ. સ્વામી સચ્ચિદાનંદે ‘મારા અનુભવો’માં અલગ અલગ સ્થળોએ નોંધેલી આ વાતોને એકસાથે આ સંદર્ભમાં વાંચીને વિચારીશું તો વધુ સ્પષ્ટતા થશે:

1 ‘પ્રયાગરાજ સુધી પગપાળા જવા વિચારેલું પણ ઉત્સાહની ઘેલછાએ હું એટલું અને એવું ચાલ્યો કે પગમાં ફોલ્લા પડી ગયા. જીવનમાં પણ આ જ નિયમ કામ કરે છે. મધ્યમ માર્ગથી ચાલો તો ઠેઠ લક્ષ્યે પહોંચાય. પણ જો દોડવા માંડ્યા તો કદાચ અધવચ્ચે પણ ન પહોંચાય. પછી એ દોટ પરમેશ્વર તરફ હોય કે ભોગો તરફ હોય, દોટ એ દોટ છે. કોઈ વાર કોઈ પ્રસંગે જરૂરી પણ હોય છે, પણ જીવનની સમતુલા તો મધ્યમ માર્ગમાં જ રહેલી હોય છે. ઉત્સાહ વિના મહત્ત્વનું કાર્ય ન થઈ શકે, પણ ઉત્સાહ ઉપર વિવેકનું નિયંત્રણ જરૂરી છે.’

2. ‘હું આજે એમ કહી શકું કે ઘણા અને કઠોર નિયમોથી પોતે અને લોકો અગવડમાં મૂકાતાં હોય છે. જીવનવિકાસ માટે અમુક નિયમો જરૂરી છે, પણ જડતાપૂર્વક વિવેકહીન નિયમોથી ત્યાગ-વૈરાગ્યને નહીં પણ અવરોધને જ પોષણ મળતું હોય છે. તેમાં પણ ખાસ કરીને ભ્રમણશીલ વ્યક્તિએ તો ખાવાપીવાની બાબતમાં કઠોર નિયમો ન રાખવા ઘટે.’

3. ‘નિયમોની જડતા કરતાં વિવેકભરી ચેતના ઉત્તમ કહેવાય.’

4. ‘કડક નિયમો બનાવવા અને લોકો ઉપર લાદી દેવા એ કઠિન કામ નથી. પણ હળવા નિયમોને પણ જીવનમાં પાળી બતાવવા તે જ કઠિન કામ છે.’

5. જેણે પોતાના વ્યક્તિત્વને કે સંસ્થાને ચિરંજીવી બનાવવાં હોય તેણે ઉચ્ચ આચરણનો ઢોલ વગાડવો નહિ. આવો ઢોલ વગાડ્યા પછી જ્યારે ઉચ્ચતાથી મધ્યમતામાં આવવાનું થશે ત્યારે દર્શકોની આંખો તેને સહન નહિ કરી શકે… એક વાર તમે આચાર તત્ત્વને અત્યંત છેડે પહોંચાડી તેના દ્વારા ઊભી થયેલી પ્રતિષ્ઠાને ભોગવો તે પછી તે જ આચારસંહિતાના મધ્ય ભાગમાં તમે આવો તો પણ જનસમુદાયમાં પતિત જેવા ગણાવા લાગો… આચરણ સંબંધી નિયમો એવા અને એટલા જ રાખવા જે સહજ અને કાયમી પાળી શકાય તેવા હોય… યોગ્ય આહાર, યોગ્ય વિહાર, યોગ્ય નિદ્રા, યોગ્ય આજીવિકા, યોગ્ય ભવન વગેરે સૌમાં યથાયોગ્ય રાખવાથી જીવન સહજ રીતે એકધારું જીવી શકાય છે. ત્યાગ અને વૈરાગ્ય વગેરે ગુણો સ્થાયી ભાવવાળા નથી હોતા, આંધીની માફક, ઉભરાની માફક આવે, પણ ઓછાય થઈ જાય અને અમુક કાળે પૂરતા સમાપ્ત થઈ જાય… જીવનમાં બે સ્થિતિઓ છેઃ વાસ્તવિક સ્થિતિ તથા વિશેષ સ્થિતિ. એક નટ દોરડા ઉપર ખેલ કરે છે તે તેની વિશિષ્ટ સ્થિતિ છે. દોરડા ઉપર અડધો કલાક કે કલાક રહી શકાય, જીવનભર ન રહેવાય. પણ તે જ નટ જમીન ઉપર ઊભો રહે છે કે ખાટલા પર બેસે છે તે વાસ્તવિક સ્થિતિ છે…’

સ્વામી સચ્ચિદાનંદની આત્મકથા ‘મારા અનુભવો’માંના કથારસને માણવા તમારે એ પુસ્તક મેળવીને આખેઆખું વાંચવું જોઈએ. સ્વામીજીના અનુભવો ઉપરાંત ‘મારા અનુભવો’માં પાને પાને મળી આવતા એમના વિચારોમાંથી પ્રેરણા મેળવવા આ લેખો લખાયા છે.

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. આપનો આ લેખ વાંચ્યા બાદ સ્વામી જી ની “મારા અનુભવો” બુક મંગાવી ને હાલ વાંચન ચાલુ છે.
    તેમાં સ્વામીજી ની ગૃહ ત્યાગ અને વ્યસન ત્યાગની વાત વાંચી, સાથે તમેં પણ ત્યજી દીધેલા સ્મોકિંગ તથા દારૂ ના વ્યસન ની વાત વાંચી.
    આમાંથી પ્રેરણા લઈને 3 દિવસથી મેં પણ તમાકુ ની જૂની ટેવ (19 વર્ષ) ને તિલાંજલિ અર્પી દીધી છે.
    ભૂતકાળ માં 2-3 વખત આવું કરી ચુક્યો છું,પણ એ કોઈના કહેવાથી કે બીજા કોઈ કારણોસર, પણ આ વખતે અનુભૂતિ કંઈક અલગ છે. જે સ્વેચ્છાએ પૂરી શ્રદ્ધા સાથે લીધેલો નિર્ણય છે.
    આ વખતે મને પૂરો આત્મવિશ્વાસ છે કે આ કુટેવ છોડવા માં હું જરૂર સફળ થઈશ.

    તમને અને સ્વામીજી બંનેને
    ખૂબ ખૂબ આભાર સાથે નતમસ્તક નમન.

  2. Coincidently, currently reading the ” Mara Anubhavo” only.

    Regarding the 24b hours with swamiji… It was published in network magazine… I was having it’s copy till very recently… If I recall well… It started with the quote written at Ashram… “Darroj ave tene ek pranaam, ek var ave ene hajar” ….

    If

  3. Very much inspiring and thought provoking. Getting rid of addictions , diet disciplines and concession in it and small but consistent adherence to any activity is indeed a great idea.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here