જીવનમાં ‘પ્લાન બી’ની નહીં, યા હોમ કરીને ઝંપલાવવાની જરૂર છે : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક : શનિવાર, ૨૫ નવેમ્બર ૨૦૨૩)

આમ તો વૈકલ્પિક વ્યૂહરચનાને પ્લાન બી કહેવાય. આ સ્ટ્રેટેજિ ફેઈલ ગઈ તો એની અવેજીમાં તૈયાર રાખેલી બીજી સ્ટ્રેટેજિ અમલમાં મૂકવાની. લશ્કરથી માંડીને બિઝનેસ સુધીનાં ક્ષેત્રોમાં પ્લાન બી હાથવગો રાખવાનું કૉમન છે. પણ જિંદગીમાં પ્લાન બી હાથવગો રાખનારાઓ પ્લાન એને અમલમાં મૂકતી વખતે પૂરતા પ્રયત્નો કરવામાં નિષ્ફળ જતા હોય છે. લેટ્સ ટ્રાય, આ રીતે કામ થાય તો ઠીક છે નહીં તો પછી પ્લાન બી તો છે જ એવું માનનારાઓ પ્લાન એને અમલમાં મૂકતી વખતે જેટલા ઢીલાપોચા હોય છે એટલા જ અધકચરા એમના પ્રયત્નો પ્લાન બીને અમલમાં મૂકતી વખતે હોવાના. કારણ કે તે વખતેય એમના બૅક ઑફ ધ માઈન્ડમાં આ પ્લાન નિષ્ફળ જશે તો ત્રીજો પ્લાન છે જ એવી ભાવના હોવાની. આમ એક પછી એક નિષ્ફળતાઓની લંગાર લાગતી જવાની જેના મૂળમાં વૈકલ્પિક પ્લાન તો છે જ- એવી ભાવના હોવાની.

પ્લાન બી તૈયાર ન રાખ્યો હોય તો જ ‘કોઈ પણ ભોગે’નું ઝનૂન, એવી પૅશન જન્મે.

જીવનમાં પ્લાન બી એટલે તૂ નહીં ઔર સહી. આવી ભાવના મનમાં હોય ત્યારે તમે ક્યારેય સામેના પાત્રને દિલ નીચોવીને પ્રેમ કરી શકો નહીં, ક્યારેય તમે પૂરેપૂરા ઠલવાઈ જાઓ નહીં, ક્યારેય તમે સંપૂર્ણપણે ન્યોચ્છાવર થાઓ નહીં.

પ્લાન બી તૈયાર ન રાખ્યો હોય તો જ ‘કોઈ પણ ભોગે’નું ઝનૂન, એવી પૅશન જન્મે. ‘કામ ન કેમ થાય’ એવી રીતે ઝંપલાવ્યું હોય તો જ તમારી શક્તિઓ પૂરેપૂરી ખીલી ઊઠે. કવિ નર્મદે દોઢસો વર્ષ પહેલાં ‘યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે’ કહ્યું ત્યારે એણે પણ આ જ વાત કહી હતી. યા હોમ કરીને પડો, પ્લાન બી છે આગે એવું નહોતું કહ્યું એણે. ફત્તેહ છે આગે એવું કહ્યું હતું. આવી ફત્તેહ એ લોકોને જ મળે છે જેમણે પ્લાન બી તૈયાર કર્યા વિના જ યા હોમ કર્યું હોય છે.

જ્યારે પણ, જે કંઈ કામ હાથમાં લઈએ છીએ ત્યારે લાખ ડિસ્ટર્બન્સ રહેવાનાં, લાખ ડિસ્ટ્રેક્શન્સ રહેવાનાં. એક વખત એ કામમાં પરોવાતા જઈએ તેમ મન એકાગ્ર બનતું જાય અને એક તબક્કે એ એકાગ્રતા એવી કક્ષાએ પહોંચી જાય જ્યાં આજુબાજુનો બધો જ કોલાહલ સંભળાતો બંધ થઈ જાય. તમે જે લક્ષ્ય વીંધવાનું નક્કી કર્યું છે તેના સિવાય મનમાં બીજી એકેય ખલેલજનક પ્રવૃત્તિ બચતી નથી. અર્જુનને મેદાન, ઝાડ, પાંદડાં કશું જ નહોતું દેખાયું, પક્ષીનું શરીર પણ નહીં, માત્ર આંખ દેખાઈ, કારણ કે એણે એ જ વીંધવાની હતી, એ જ એનું લક્ષ્ય હતું.

આપણી એકાગ્રતા જામતી નથી, કારણ કે આ નથી ને તે નથીની ફરિયાદો છૂટતી નથી. આ ખૂટે છે ને તે ખૂટે છેના વિચારોમાં અટવાયા કરીએ છીએ. મેડિકલમાં ઍડ્મિશન નહીં મળે તો ડેન્ટિસ્ટ્રીમાં અને એમાંય નહીં મળે તો છેવટે હોમિયોપથીમાં પ્રવેશ મળી જશે એવા પ્લાન બી, પ્લાન સી જેમને સધિયારો આપતા હોય એમનો પ્લાન એ હંમેશાં નિષ્ફળ જતો હોય છે. તેઓ પોરસાતા હોય છે કે જોયું અમે કેવા શાણા કે પ્લાન બી, પ્લાન સી તૈયાર હતો તો તરત કામ લાગ્યો. તેઓ સમજતા નથી કે તમારો પ્લાન એ નિષ્ફળ ગયો એનું કારણ જ એ હતું કે તમે વૈકલ્પિક પ્લાન્સ તૈયાર રાખ્યા હતા. તમારી પાસે કોઈ વિકલ્પ ન હોય ત્યારે જ તમે મરણિયા બનીને મંડી પડો છો અને જ્યાં સુધી તમારો હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધી મચક આપતા નથી. જીવનમાં પ્લાન બી તૈયાર રાખનારાઓને ખબર નથી હોતી કે એમને પ્લાન બીની જરૂર પડવાનું કારણ જ એ છે કે એમની પાસે પ્લાન બી રેડી છે.

લાગ્યું તો તીર નહીં તો તુક્કો જેમની ફિલોસોફી છે એમનાં તીર ક્યારેય નિશાન સુધી પહોંચતાં નથી, કારણ કે તીર છોડવામાં એમની નિષ્ઠા જ નથી હોતી. એકનિષ્ઠાથી કરેલા કામનું જ શુભ પરિણામ આવી શકે. ટ્રાય તો કરી જોઈએ, ટ્રાય કરવામાં શું જાય છે એવું વિચારીને જ્યારે કોઈ કામ શરૂ કરો છો ત્યારે એ કામ શરૂ થતાંની સાથે જ દમ તોડી બેસે છે. એને બદલે કોઈ કામ શરૂ કરતી વખતે મનમાં એ ના કેમ થાય, કોઈ પણ ભોગે હું એને કરીને જંપીશ એવો દૃઢ વિચાર હોય છે ત્યારે એનું તમને જોઈએ એવું પરિણામ આવતું જ હોય છે.

પર્સનલ અને પબ્લિક લાઈફમાં બેઉ રીતે કામ કરી જોયાં છે. પ્લાન બી તૈયાર રાખીને પણ કામ શરૂ કર્યાં છે અને અચૂક નિષ્ફળ ગયાં છે. એને બદલે જ્યારે જ્યારે ડર્યા વિના યા હોમ કરીને ઝંપલાવ્યું છે, નીચે કોઈ નેટ રાખ્યા વિના, પ્લાન બી વિશે વિચાર્યા વિના ઝંપલાવ્યું છે ત્યારે અચૂક ફત્તેહ મળી છે. નર્મદે પણ શું જાતઅનુભવ પરથી જ એ કવિતા લખી હશે!

આજનો વિચાર

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે
યા હોમ કરીને પડો, ફતેહ છે આગે

કેટલાંક કરમો વિષે ઢીલ નવ ચાલે
શંકા-ભય તો બહુ રોજ હામને ખાળે

હજી સમય નથી આવિયો કહી દિન ગાળે
જન બ્હાનું કરે નવ સરે, અર્થ કો કાળે

ઝંપલાવવાથી સિદ્ધિ જોઈ બળ લાગે
યા હોમ કરીને પડો, ફતેહ છે આગે

કવિ નર્મદાશંકર લાલશંકર દવે (જ: ૨૪-૮-૧૮૩૩ અ: ૨૬-૨-૧૮૬૬)

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

2 COMMENTS

  1. શાસ્ત્રો (જેમકે અષ્ટાવક્ર ગીતા અને બીજા માં પણ) માં એક વાત આવે છે.
    સવિકલ્પ અને નિર્વિકલ્પ (સમાધિ)

    સવિકલ્પ એટલે વિકલ્પો સહિત નું – optional
    નિર્વિકલ્પ એટલે no option
    એમાં સવિકલ્પ કરતાં નિર્વિકલ્પ નું મહત્વ ખૂબ વધારે છે..

    જ્યારે કોઈ ચોઈસ કરવાની હોય ત્યારે કયારેક વિકલ્પો ઠીક છે,
    પણ
    જ્યારે કોઈ મહત્વ નું લક્ષ્ય હાંસિલ કરવાનું હોય ત્યારે no option એ જ best option હોય છે means PLAN B જેવું કાઇ અસ્તિત્વ માં જ નથી, એમ મંડ્યો પડે એ જીતે જ..

    Think & Grow Rich માં નેપોલિયન હિલ કોઈ એક રાજા ની એક વાત બહુ સરસ કહે છે,
    જ્યારે આ રાજા બીજા દેશ માં એના વહાણ દરિયા કાંઠે લાંગરે ત્યારપછી સૈનિકો ને હેઠા ઉતારી મૂકે અને વહાણો બાળી નાખે..
    એ પુસ્તક ની BURN YOUR SHIP થીયરી મને ગમી.

    anyway આપનો લેખ મને ખૂબ ગમ્યો..

  2. સ્વામી વિવેકાનંદ પણ આવું જ કહેતા હતા.. ભાવ એ જ હતો…
    ઉઠો જાગો, અને ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી પર્યન્ત ચાલુ રાખો…

    ઉત્તમ લેખ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here