પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ : શનિવાર, મહા સુદ પાંચમ, વિક્રમ સંવત ૨૦૭૮. વસંત પંચમી. ૫ ફેબ્રુઆરી ૨૦૨૨)

‘કોઈ પાકી ધૂન વિના સાહસ નથી કરી શકતું, અને ધૂની માણસને લોકો ડાહ્યો નથી માનતા. જોકે, આવા ધૂની માણસો જ કોઈ વાર મહાન કાર્ય કરી શકતા હોય છે. બહુ ફૂંકી ફૂંકીને પગલાં ભરનારા બહુ બહુ તો સારી રીતે ઘરબાર-પેઢીઓ સાચવનારા થતા હોય છે, ઇતિહાસ રચનારા નહિ.’

સ્વામી સચ્ચિદાનંદની આત્મકથા ‘મારા અનુભવો’ના ત્રીજા જ પાને આ યુગના સ્વામી વિવેકાનંદ સમા ક્રાંતિકારી સંતે આ વાક્ય લખ્યું છે. 1986માં પ્રગટ થયેલી આ આત્મકથા અત્યાર સુધીમાં લગભગ પાંત્રીસ વખત પુનર્મુદ્રણ પામી છે અને એની કુલ એક લાખ જેટલી નકલો ગુજરાતીઓના ઘરમાં, પુસ્તકાલયોમાં પહોંચી છે.

‘મારા અનુભવો’ની વિશેષતા એ છે કે જેટલી વખત વાંચો એટલી વખત એમાંથી કંઈક નવું ને નવું મળતું રહે. આ મહાન પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રગટ થઈ એના ત્રણ-ચાર મહિના પછી, જાન્યુઆરી 1987માં પ્રથમ વાર વાંચી. અશ્વિની ભટ્ટની થ્રિલર વાંચતા હોઈએ એ રીતે, આખી રાત જાગીને, એક જ બેઠકે પૂરી કરી. છેલ્લાં સાડા ત્રણેક દાયકામાં અનેકવાર વાંચી, રિફર કરી, મિત્રોને ભેટ આપી. ખુદ સ્વામીજીના હાથે, એમના હસ્તાક્ષર કરેલી નકલ મેળવવાનું સદ્‌ભાગ્ય મળ્યું. થોડાક સપ્તાહ પહેલાં કિન્ડલ પર ઇબુક ડાઉનલોડ કરીને વાંચી અને ઠેકઠેકાણે હાઇલાઇટ્સ કરી. ક્વોટેબલ ક્વોટ્સનો ખજાનો છે એમાં.

સ્વામીજીના આ અનુભવગત મૌલિક વિચારોને વહેંચવા માટે કોઈ અવસરની રાહ જોવાની ન હોય. પણ બે અઠવાડિયાં પહેલાં એમને પદ્મભુષણથી સન્માનિત કરવાની જાહેરાત ભારત સરકારે કરી એને નિમિત્ત બનાવીને એમના ચોવીસ કેરેટના વિચારો, જે ‘મારા અનુભવો’માં પથરાયેલા છે તે તમારી સાથે વહેંચવા છે.

‘મારા અનુભવો’માં કથારસ તો પાકો છે જ છે. સ્વામી સચ્ચિદાનંદે કયા સંજોગોમાં ગૃહત્યાગ કર્યો, ક્યાં ક્યાં ભ્રમણ કર્યું, કેવી રીતે અભ્યાસ કર્યો, સંન્યાસ લીધો અને સંન્યાસી બન્યા પછી સંસારીઓ તથા સાધુઓ સાથે કેવા કેવા અનુભવો થયા એનું સવિસ્તર, ચિત્રાત્મક અને રોચક બયાન તમને ચારસો પાનાંના આ પુસ્તકમાં મળે જ છે. મારે એમાંથી માત્ર આપણને વિચારતા કરી મૂકે એવા ક્વોટ્સ જે મેં હાઇલાઇટ કર્યા છે તે તમારી સાથે વહેંચવા છે. તમારામાંના ઘણાએ ‘મારા અનુભવો’ વાંચી હશે, એ વાચકોના મનમાં પણ આ ક્વોટ્સ વાંચીને તાજગીનું વાતાવરણ સર્જાશે, જે મારા મનમાં સર્જાયું હતું. જેમણે હજુ સુધી આ સો ટચના સોના જેવું પુસ્તક વાંચ્યું નથી એમણે તો આજે જ આ પુસ્તક મેળવીને વાંચી લેવું જોઈએ. બહુ કિફાયત ભાવે મળે છે. પાકા પૂંઠાના દળદાર પુસ્તકની માત્ર પોણા બસો રૂપિયાની છાપેલી કિંમત છે.

સ્વામી સચ્ચિદાનંદ ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદ શહેરને અડીને આવેલા દંતાલી ગામમાં શ્રી ભક્તિ નિકેતન નામના પોતાના આશ્રમમાં નિવાસ કરે છે. આ વર્ષની 22મી એપ્રિલે તેઓ નેવું પૂરાં કરીને આયુષ્યના એકાણુમા વર્ષમાં પ્રવેશ કરશે. ભગવાન એમને સવાસો વર્ષનું સ્વાસ્થ્યભર્યું આયુષ્ય આપે એવી પ્રાર્થના. આપણે નસીબદાર છીએ કે આવા યુગપુરુષ જે ગાળામાં વિદ્યમાન છે તે ગાળામાં આપણે પણ જીવીએ છીએ.

સ્વામી સચ્ચિદાનંદના જીવન વિશે વિશેષ જાણકારી મેળવવી હોય તો ‘મારા અનુભવો’ વાંચ્યા પછી બીજાં અડધોએક ડઝન પુસ્તકો તમારે વાંચવા જોઈએ – નાનાં નાનાં છેઃ ‘અગવડોમાં આરાધના’, ‘મારા ઉપકારકો’, ‘કડવા-મીઠા અનુભવો’, ‘મારા પૂર્વાશ્રમનાં સંસ્મરણો’, ‘મારી બાયપાસ સર્જરી’ અને ‘અમારા ત્રણ વૃદ્ધાશ્રમોના અનુભવો’. આ પુસ્તકો આત્મકથાના ખંડો જેવા જ છે.

સ્વામીજીએ ભારતમાં અને વિદેશમાં અનેક પ્રવાસો કર્યા છે. છેલ્લાં થોડાંક વર્ષથી ચાલવાની તકલીફ હોવા છતાં એમના પ્રવાસો ચાલુ જ છે. જરૂર પડ્યે વ્હીલચેરનો ઉપયોગ કરીને પણ પ્રવાસ કરે. 2020ના માર્ચમાં નર્મદાની પરિક્રમા કરી જે કોરોનાનું પહેલું લૉકડાઉન જાહેર થયું એટલે અધૂરી મૂકવીપડી. લૉકડાઉન ખુલી ગયા પછી પેન્ડેમિકના આ ગાળામાં પણ એમણે પ્રવાસો કર્યા છે.

દેશ-વિદેશના એમના દરેક પ્રવાસના અનુભવોનું એમણે વિગતવાર પોતાનાં પુસ્તકોમાં આલેખન કર્યું છે. 1986માં આત્મકથા પ્રગટ થઈ એ પહેલાં એમનું પ્રવાસવર્ણનનું પહેલું પુસ્તક ‘વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો’ પ્રગટ થઈ ચૂક્યું હતું. આ પુસ્તક પહેલાં એમનાં છ પુસ્તકો લખાઈ ચૂક્યાં હતાં જેમાં ‘ભારતીય દર્શનો’ સૌથી પહેલું પુસ્તક હતું. ‘સંસાર રામાયણ’ એમનું પાંચમું પુસ્તક, જે પ્રગટ થયું ત્યારથી બેસ્ટ સેલર છે. એક્ચ્યુલી તો એમનું લગભગ દરેક પુસ્તક એમના વિશાળ ચાહક-વાચક વર્ગને કારણે બેસ્ટ સેલર બની જતું હોય છે. અત્યાર સુધીમાં એમનાં કુલ 135 જેટલાં પુસ્તકો પ્રગટ થયાં છે જેમાંથી પ્રવાસ વર્ણનનાં પુસ્તકો 33 જેટલાં છે.

આત્મકથા ઉપરાંત અનુભવકથાઓના છ પુસ્તકોમાં આ પ્રવાસવર્ણનનાં પુસ્તકો ઉમેરો તો તમે સ્વામી સચ્ચિદાનંદના જીવનની પળેપળનો ઉજળો હિસાબ પામી શકો. પ્રવાસવર્ણનનાં પુસ્તકોની વાત ફરી ક્યારેક.

‘મારા અનુભવો’ના પ્રથમ પ્રકરણમાં વાંચેલી એક વાત મનમાં સખત રીતે ચોંટી ગઈ છે. કોઈ પણ મોટી-મહાન વ્યક્તિના સારાં નરસાં કામોને ત્રાજવામાં તોળીને ન્યાયાધીશ બનીને અભિપ્રાયોની ફેંકાફેંક કરવાની ટેવ સોશિયલ મિડિયા નહોતું ત્યારે પણ લોકોમાં હતી. ટ્વિટર વગેરે પછી તો બુઝાયેલી દિવાસળી જેટલુંય જેમનું મહત્ત્વ નથી એવા એવા લોકો આવી પ્રવૃત્તિમાં રાચતા થઈ ગયા છે. ખેર.

સ્વામી સચ્ચિદાનંદ લખે છે: ‘અગ્નિમાં ધુમાડો હોય તેમ પ્રત્યેક સત્કર્મમાં પણ કંઈક દોષ તો રહેવાનો જ. સારાં કામો કરવાં હોય તેણે બે-પાંચ ટકાવાળી ઉધાર બાજુ જોયા કરવાની નહીં, પંચાણું ટકાવાળી જમા બાજુ જોવાની. દુરુપયોગના બે ટકા આગળ કરીને જે લોકો પ્રત્યેક કાર્યને વખોડે છે તે કદી સારાં કામો નથી કરી શકતા.’

પ્રથમ પ્રકરણના અંતે, ધર્મશાળામાં ભિક્ષુકો સાથે ગાળેલી રાત પછી સચ્ચિદાનંદજીનું આ ચિંતન છે:
‘મારા મનમાં આ લોકો (ભિક્ષુકો) પ્રત્યે આજે પણ લાગણી છે. હું વિચારું છું કે એમને જીવનમાં શું મળ્યું છે? એમની પાસે ઘર નથી, નોકરી ધંધા નથી, બૅન્ક-બૅલેન્સ નથી, કશું જ નથી. શહેરની કે પછી સ્વભાવની લાચારીએ તેમને ભિખારી બનાવી દીધા છે. એક ટુકડો રોટીની એ અપેક્ષા રાખે છે, મોટા ભાગે આ ટુકડો શ્રીમંતોને ત્યાંથી નહિ, ગરીબોને ત્યાંથી તેને મળતો હોય છે. ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય તેમની પાસે શું છે? તે કાંઈ દેવો નથી કે આપણે તેમની પાસે ઉત્તમ સ્વભાવ કે જીવનની અપેક્ષા રાખી શકીએ. તેમનામાં અનેક દોષો છે. દોષો તો આપણામાંય ક્યાં નથી. પણ દોષોનું ઢાંકણ પૈસો છે. ગમે તેવા લોકોને પણ પૈસો ઢાંકી શકે છે. આપણે આપણા દોષો પૈસાથી ઢાંકી શકીએ છીએ પેલા પાસે પૈસાનું ઢાંકણ નથી એટલે તેમના નાના દોષો પણ મોટા દેખાય છે.’

માણસની ટેવો બદલાઈ શકે છે. ગૃહત્યાગ કર્યા પછી સચ્ચિદાનંદજીની સવારના નાસ્તો કરવાની ટેવ છૂટી રહી હતી. તેઓ લખે છે: ‘વ્યક્તિની પાસે દ્રઢ ધ્યેય તથા પ્રબળ ઉત્સાહ હોય તો તે હજારો કષ્ટોને ફૂલની માફક સહી શકે છે. જે માણસ સવારના નાસ્તામાં થોડુંક મોડું થાય તો આકુળવ્યાકુળ થઈ જતો તે જ માણસ નાસ્તાને ભૂલીને સડસડાટ પવન સાથે હોડ કરી રહ્યો છે… બસ, એક જ ધ્યેય હતું – ક્યારે કુંભમેળામાં પહોંચું અને ક્યારે કોઈ સદ્‌ગુરુની શરણાગતિ સ્વીકારું.’

સદ્‌ગુણી માણસે જીવનમાં વધારે સભાન રહેવું પડે. બાપજી લખે છે: ‘ત્યાગની પણ ખુમારી હોય છે. આવી ખુમારી ધીરે ધીરે અહંભાવમાં પણ બદલાઈ જતી હોય છે. કોઈ પણ ગુણ ઝટ દઈને દોષમાં રૂપાંતર થઈ જતાં વાર નથી કરતો. ઈશ્વરકૃપા હોય તો જ સભાનતા રહે, નહિ તો ગુણો પણ વ્યક્તિને બેભાન બનાવી મૂકે.’

ઈશ્વર પરની શ્રદ્ધા વિશે બીજા પ્રકરણમાં બે વાત છે. બંનેને જોડીને સમજીએ તો વધારે ઊંડાણ પામી શકાશે: ‘અતૂટ શ્રદ્ધા હોય, માથા પર થોડી આપત્તિ હોય અને માણસ એકાકી પગપાળા યાત્રા કરતો હોય તો ઈશ્વર સ્મરણ બહુ સરસ થાય… અનિશ્ચિતતામાં જ ઈશ્વર પરનો વિશ્વાસ નિશ્ચિતતા જન્માવતો હોય છે. ઈશ્વર પરના વિશ્વાસ સિવાય મારી પાસે કશું જ નહોતું. આજ સુધી ઈશ્વરની બહુ જરૂર પડી નહોતી. કારણ કે હું રળતો-કમાતો અને મારી જરૂરિયાતો મેળવી લેતો. પણ આજે પ્રથમ દિવસે બધું જ અનિશ્ચિત હતું. એટલે આજે ઈશ્વર વિશ્વાસની ઓથ બહુ ભારે બળ બનીને ટેકો આપી રહી હતી. પ્રભુની ઓથ અને હૂંફ જેને હોય તે કપરું જીવન પણ હસતાં હસતાં પૂરું કરી શકે છે.’

જીવનમાં કોઈ સંકલ્પ લઈને એને અમલમાં મૂકતાં હોઈએ ત્યારે જાતજાતનાં વિઘ્નો આવતાં હોય છે. આવી અડચણો આવે ત્યારે મન પોતાની આદત મુજબ કમ્ફર્ટ ઝોનમાં પાછા જવા માટે તલસતું હોય છે. જે માર્ગ કાંટાળો છે તેના પર ચાલવાનો નિર્ણય કર્યા પછી પગમાં વધારે સારાં પગરખાં પહેર્યાં હોત, તડકો ન લાગે એ માટે ટોપી સાથે લઈ લીધી હોત, ટિફિન અને પાણીનો કૂંજો જેવી બીજી લાખ સગવડો સાથે રાખી હોત એવો વિચારો આવે ત્યારે સ્વામી સચ્ચિદાનંદે પ્રથમ બે પ્રકરણમાં બે વાર ભાર દઈ દઈને જે વાતો લખી છે તે યાદ કરવી: પહેલી જ રાતનો અનુભવ વર્ણવતાં લખે છે:

‘હું સૂતો તો ખરો, પણ તરત જ અનુભવ થયો કે ઓઢવાનું ઘણું ઓછું છે. ટાઢ વાઈ રહી છે. પણ હવે શું થાય? ઘેરથી થોડું વધારે લીધું હોત તો? એક વિચાર આવ્યો અને હસી પડ્યો. મનોમન બોલ્યો: ‘ઘર જ ના છોડ્યું હોત તો?’ કવિ પ્રીતમની પંક્તિઓ યાદ આવી: હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જો ને/પરથમ પહેલું મસ્તક મૂકી વરતી લેવું નામ જો ને…’

આગળ લખે છે:

‘એક વિચાર આવી ગયો. એક પૈસાના સિંગ-ચણા લીધા હોત તો ટેકો થઈ જાત. ત્યારે ( ૧૯૫૧માં) એક પૈસાની પણ ખાસ્સી વસ્તુ આવતી. પણ વળી પાછો ખ્યાલ થતાં જ મનોમન હસ્યો: ‘તો ઘેર જ રહેવું હતું ને! કોણે તને જબરજસ્તીથી ઊંડાં પાણીમાં ઉતાર્યો છે!’

કારકિર્દીની પસંદગી કર્યા પછી કે જીવનના કોઈ પણ અગત્યના નિર્ણયો કર્યા પછી જ્યારે જ્યારે અવઢવ થાય કે વિચાર આવે કે આને બદલે આ કર્યું હોત તો વધારે સારું થાત ત્યારે સ્વામી સચ્ચિદાનંદના આ ઉપરોક્ત બે વિચારો વાગોળી લેવાના.

આજે મહા સુદ પાંચમ છે. વસંત પંચમી. યોગાનુયોગ વિક્રમ સંવત ૨૦૨૫ની વસંત પંચમીએ (૧૯૬૮ની સાલમાં) દંતાલીસ્થિત શ્રી ભક્તિનિકેતન આશ્રમનું ખાતમુહૂર્ત થયું હતું.
સ્વામીજીએ ‘મારા અનુભવો’માં નોંધ્યું છે એમ તે વખતે બે રૂમ અને રસોડું, બસ આટલી જ સુવિધા હતી. આજે લગભગ 55થી વધુ રૂમો, સત્સંગ હૉલ, મંદિર વગેરે ઘણો વિસ્તાર થયો છે.

વધુ આવતી કાલે. આજે થોડા ફંટાઈને વાત પૂરી કરીએ.

વસંત પંચમીએ સરસ્વતીપૂજન થાય. લેખકો-સંગીતકારો-કળાકારો વગેરે જેના આશીર્વાદ વિના પોતાનું કામ આગળ ન વધારી શકે તે મા સરસ્વતીની આરાધના આમ તો રોજ જ કરવાની હોય, ગણેશજી, હનુમાનજી અને પોતપોતાના ઇષ્ટદેવ-દેવીઓની જોડે. પણ આજના દિવસની મહત્તા અમારા જેવાઓમાં થોડી વધારે. આજની વાત પૂરી કરતાં પહેલાં સાંતાક્રુઝમાં આર.ડી. બર્મન જે મકાનના ફ્લૅટમાં રહેતા હતા તેના ગુજરાતી પાડોશીએ કહેલી એક વાત યાદ આવે છે. સાંતાક્રુઝના વેસ્ટ એવન્યુના ‘ઓડિના’ બિલ્ડિંગમાં પંચમ રહેવા આવ્યા ૧૯૭૨માં. થોડાં વર્ષ પછી, ૧૯૮૨માં, એ જ મકાનથી બે-ત્રણ મકાન છોડીને ‘મેરિલેન્ડ્સ’માં રહેવા ગયા. (આ બે મકાનોના કૉર્નર પરના ચાર રસ્તાને આર.ડી. બર્મન ચૌક નામ અપાયું છે. આ તકતી જ્યાં શોભે છે તેની બરાબર ડાયગ્નોલી ઓપોઝિટ ‘રામ ઔર શ્યામ’ની વર્લ્ડ ફેમસ સેવપુરીવાળાનો મોટો ખુમચો છે. આર.ડી.ના ઘરે મ્યુઝિક રૂમની સેશન્સ વખતે અહીંથી જ સેવપુરીઓ જતી હતી.)

વસંત પંચમીના દિવસે આર.ડી. બર્મન બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં બંગાળી ભોજન બનાવડાવીને ઇન્ડસ્ટ્રીના સૌ મિત્રોને મિજબાની માટે બોલાવતા. ગુલઝાર, આશા ભોંસલે, ગુલશન બાવરા વગેરે. પોતાના સાથી વાદકોને પણ આમંત્રણ અપાતું — હોમી મુલ્લાં, કાંચાભાઈ, કેરસી લૉર્ડ અને બીજા કેટલાય. સાથે બિલ્ડિંગના તમામ રહેવાસીઓને પણ સામેલ કરતા. આર.ડી. બર્મનના એક જમાનાના ગુજરાતી પાડોશીના જણાવ્યા પ્રમાણે આમંત્રણ આપવા માટે પંચમદા બિલ્ડિંગના દરેક ફ્લૅટમાં જાતે જતા. વિચાર કરો કે વસંત પંચમીના થોડાક દિવસ પહેલાં તમારા ઘરની બેલ વાગે, તમે બારણું ખોલો અને સામે આર.ડી. બર્મન જાતેપોતે ઊભા હોય અને તમારા ડ્રોઇંગ રૂમમાં પ્રવેશીને બે હાથ જોડીને તમને આમંત્રણ આપતાં કહેતા હોય: વસંત પંચમીએ નીચે કંપાઉન્ડમાં ભોજન સમારંભ રાખ્યો છે, કૃપા કરીને સમય કાઢીને જરૂર પધારજો, ભૂલતા નહીં!’
* * *
(‘મારા અનુભવો’ સ્વામી સચ્ચિદાનંદ. પ્રકાશકઃ ગૂર્જર પ્રકાશન, અમદાવાદ. ફોનઃ 079-22144663. Email: gurjarprakashan@gmail.com પૃષ્ઠ 416, કિંમતઃ રૂ.170. ઓનલાઇન ખરીદી માટે bookpratha.com)

•••

આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

4 COMMENTS

  1. Pujya Swami na Pustako vanchya chhey. Uparant temna preranadayi pravachano internet upar ghaniwar sambhadine santosh maley chhey. Favorites ma rakhya chhey.
    Bharatna prajajano kayarata chhodi shoorveer baney, swarakshan karee shakey, Itihas ma kareli bhoolo samajiye : tevi temni mahechchha rahee chhey.
    Temna koi shishyo nathee. Koi panth sthapyo nathee.
    Padmabhushan malye paan nis-spuhee rahya hashey. Temney vandan.

  2. સૌરભભાઈ આપ જ્યારે પણ સ્વામીજી માટે લખો છો ત્યારે એક ખાસ આદરભાવ ડગલે ને પગલે દેખાય છે.આપને અને આપના કલમને આજના પવિત્ર દિવસે ખાસ વંદન.🙏

  3. સાહેબ શ્રી,. આપ પોતે સ્વામીજીને મળવા માટે દંતાલી આશ્રમ ગયા હતા, જ્યાં આપ લગભગ બે થી ત્રણ દિવસ રોકાયા હતા. આપનો મુખ્ય ઉદ્દેશ ભગવાન શ્રી કૃષ્ણને ગીતાકાર તરીકે આજના પ્રવર્તમાન સમયે વાંચકોને જણાવવાનો હતો. તે સમયના આપના બધા જ લેખો અદ્ભુત હતા. ત્યારનુ સ્વામીજી નું પુસ્તક ” મારા અનુભવો ” મારી પાસે છે.

  4. વસંત પંચમીને દિવસે “પંચમ”ને યાદ કરે તે સૌરભભાઈ જ હોય! સૌરભભાઈ એમ લાગે કે તમારી પાસેથી આર.ડી.ની વાતો સાંભળ્યા જ કરીએ. તમે નસીબદાર છો એના યુગ માં જીવ્યા, અમે થોડા મોડા પડ્યા! By the way આર.ડી. ઉપરના તમારા પુસ્તક નો ઈન્તેજાર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here