હિન્દુવાદીઓની વાત કેમ દબાઈ જાય છે


ન્યુઝવ્યુઝ ઃ સૌરભ શાહ

(newspremi.com, મંગળવાર, ૩ માર્ચ ૨૦૨૦)

જે સાચી વાત છે તે આપણા સુધી પહોંચતી નથી. એને બદલે ફેક ન્યુઝ અને પૂર્વગ્રહયુક્ત ન્યુઝ એનેલિસિસની ગટર રોજેરોજ આપણા માનસને અભડાવ્યા કરે છે. વાંક તાહિર હુસૈનનો હોય પણ દોષનો ટોપલો કપિલ મિશ્રા પર ઢોળવામાં આવે. હિન્દુઓને કટ્ટરવાદી તરીકે ચીતરવામાં આવે. મોદીને અસહિષ્ણુ જ નહીં રાક્ષસ તરીકે, એક સદંતર નિષ્ફળ રાજકારણી તરીકે ચીતરવામાં આવે. ભારત એક ડેન્જરસ અને પછાત મેન્ટાલિટીવાળો દેશ છે જેની ઈકોનોમી ડૂબી ગઈ છે એવો પ્રચાર છેક વિદેશો સુધી લઈ જવામાં આવે. આ દેશમાં ખટપટ, ક્રાઈમ અને કોમવાદ સિવાય બીજું કંઈ ચાલતું નથી – આપણે સૌ જાણે નાઈજિરિયા, નિકારાગુઆ કે વેનેઝુએલામાં રહેતા હોઈએ એવા મતલબના સમાચાર રોજેરોજ છાપાંની હેડલાઈનોમાં વાંચીએ છીએ, ટીવીના પ્રાઈમ ન્યુઝમાં જોઈએ છીએ. ગઈ કાલના લેખના અંતે લખેલુંઃ ‘આવું શા માટે થાય છે?’. ચાલો તપાસીએ ‘આવું’ થવાનું કારણ શું?

ભારતમાં હિન્દુઓની બહુમતી હોવા છતાં આપણા વિચારોનો પ્રચાર-પ્રસાર પૂરતા પ્રમાણમાં થતો નથી. આપણા વિરુદ્ધનો – નૅગેટિવ પ્રચાર – ચિક્કાર થાય છે. આપણી લાગણીઓનો પડઘો યોગ્ય રીતે પડતો નથી. એટલું જ નહીં આપણે જે કંઈ વિચારીએ છીએ, કહીએ છીએ એને વિકૃત બનાવીને, મિસક્વોટ કરીને, લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આનું કારણ શું? આપણે જે માનીએ છીએ તે નરૅટિવ દુનિયા સુધી પહોંચવાને બદલે એમનો નરૅટિવ, એમની વિચારસરણી લોકો સુધી કેમ પહોંચે છે?

એનું કારણ એ છે કે વિચારો સર્જવાની, વિચારો ઉછેરવાની અને વિચારોનો વ્યાપક પ્રચાર કરવાની ઈકો સિસ્ટમ પર લેફ્ટિસ્ટો અને ઇસ્લામિસ્ટો અર્થાત્ ઍન્ટિહિન્દુવાદીઓની મૉનોપોલી થઈ ગઈ છે. ઈકો સિસ્ટમ એટલે આમ તો ઈકોલૉજીની સિસ્ટમ અર્થાત્‌ પર્યાવરણ વ્યવસ્થા. આપણે એને સગવડ માટે ‘વાતાવરણ’નું નામ આપી શકીએ. પણ ઈકો સિસ્ટમ શબ્દપ્રયોગ આજકાલ ફૅશનમાં છે એટલે ચલાવી લઈએ. બીજું કારણ છે એકો ચૅમ્બર્સ – એકો અર્થાત્‌ પડઘો. અગાઉ સમજાવેલું એ રીતે – ગલીમાં એક કૂતરું ભસે એટલે બીજાં કૂતરાં પણ પોતાને જરૂર હોય કે ન હોય ભસવા માંડે. એક જણ કરે એનું અનુકરણ બાકીના સૌ મળતિયાઓ કરે – આવી દેખાદેખી કરવા પાછળ કોઈ પ્રગટ કારણ હોય કે ન હોય – મંડી પડવાનું.

આપણી વાત યોગ્ય સંદર્ભમાં પૂરતા લોકો સુધી પહોંચતી નથી એનું ફ્રસ્ટેશન છે. મોદીના રાજમાં આવું? આવો સવાલ આપણને થાય. પણ મોદી તો ૨૦૧૪માં આવ્યા. પેલા લોકોની ઈકો સિસ્ટમ ૧૯૪૭થી બનતી આવી છે. આ ઈકો સિસ્ટમ રાતોરાત નથી સર્જાતી, રાતોરાત તૂટી પડતી પણ નથી એટલે રાતોરાત બદલાઈ જવાની પણ નથી. કેવી રીતે સર્જાય છે આ ઈકો સિસ્ટમ. સમજવાની કોશિશ કરીએ. ઈકો સિસ્ટમ કોઈ એક ફૅક્ટરને કારણે નથી સર્જાતી. મારે હિસાબે વિચારોના પ્રચાર-પ્રસાર-સ્વીકારની ઈકો સિસ્ટમ દસ પાયાઓ પર ઊભેલી છે, કહો કે દસે દિશાઓમાં ફેલાયેલી છે. થોડીક લાંબી વાત થશે પણ આ દરેક મુદ્દા વિશે વિગતે કહેવું છે.

૧) ભણતરઃ અન્ન એવો ઓડકાર એ જ રીતે જેવું ભણતર એવું ઘડતર. આપણું માનસ ઘડવામાં નાનપણથી મળતા શિક્ષણનો ઘણો મોટો ફાળો છે. નાનપણથી આપણે આપણા દેશનો ખોટો ઇતિહાસ ભણ્યા. નાનપણથી જ આપણે આ દેશને જાતપાતમાં, અસ્પૃષ્યતામાં અને સતીપ્રથામાં માનતા એક પછાત અને જંગલી દેશ તરીકે ઓળખ્યો. જુલમી મોગલ શાસકોને ઉદારમતવાદી અને સહિષ્ણુ સમ્રાટો તરીકે આપણા ઇતિહાસમાં ચીતરવામાં આવ્યા. કૉન્વેન્ટ કે મિશનરી સ્કૂલોમાં ભણેલાઓમાંના મોટાભાગના ભારતીયો ટીનએજ પૂરી કર્યા પછી પણ ભારત તરફ ઓછી નજરથી જોતા રહે છે.
ખોટું અને ખરાબ શિક્ષણ લઈને ઉછરેલી પ્રજામાંથી બહુ ઓછા લોકોમાં મૅચ્યોર થયા પછી સમજ આવતી હોય છે કે શિક્ષણકારોએ અમારી સાથે છેતરપિંડી કરી છે. નેહરુએ મૌલાના આઝાદ જેવા કટ્ટરવાદી મુસ્લિમને શિક્ષણમંત્રી બનાવ્યા અને મૌલાનાએ લેફ્‌ટિસ્ટ તેમ જ ઈસ્લામિસ્ટ વિચારધારાઓ ધરાવનારા શિક્ષણાકારો/ ઇતિહાસકારોના હાથમાં આ દેશની નવી પેઢીની બાગડોર સોંપી દીધી.

ભારતમાં સરકારી સ્તરે શિક્ષણની તરાહ નહીં બદલાય ત્યાં સુધી 80% હિન્દુ પ્રજાની ફરિયાદ ચાલુ રહેવાની છે. ગુરુકુળપ્રથા તેમ જ દેશપ્રેમી શિક્ષણસંસ્થાઓ આપણા દેશમાં છે. પરંતુ એની સામે દેશ માટે ગૌરવ ન થાય એવી શિક્ષણપ્રથામાં અપનાવનારી શાળા/કૉલેજ/યુનિવર્સિટીઓ દસગણી છે. સરકારી સ્તરે રાતોરાત શિક્ષણપ્રથા બદલવાનું કામ અઘરું છે. નોટબંધી કે બાલાકોટની ઍર સ્ટ્રાઈક રાતોરાત થાય પણ શિક્ષણપ્રથા રાતોરાત બદલાઈ શકે નહીં. આ દિશામાં વાજપેયીજીની સરકારના શિક્ષણમંત્રી મુરલી મનોહર જોશીએ થોડુંક કામ કર્યું પણ તે વખતની એન.ડી.એ. સરકાર વીસ દોડવીરો એકબીજાના પગ સાથે રસ્સી બાંધીને દોડે એ રીતે ખોડંગાતી હતી. એ વખતે જેટલું કામ થયું તેની સામે પણ સામ્યવાદીઓ તથા કૉન્ગ્રેસીઓ ‘ઈતિહાસના શિક્ષણનું ભગવાકરણ’ થઈ રહ્યું છે એવી ફરિયાદ લઈને સુપ્રીમ કોર્ટમાં ગયા. સુપ્રીમ કોર્ટે લાલ સલામવાળાઓને અને બનાવટી ગાંધીવાદીઓને લપડાક મારી અને વાજપેયી સરકારના ‘ભગવાકરણ’ને મંજૂર રાખ્યું. પણ પછી ૨૦૦૪માં તખ્તો પલટાયો સોનિયા-મનમોહનની સરકારમાં કપિલ સિબ્બલ નામના હિન્દુવિરોધી એચ.આર.ડી મિનિસ્ટર બન્યા. કપિલ સિબ્બલે દેશના બાળકોને શિક્ષણ આપવાની સલાહકાર સમિતિમાં કોને સ્થાન આપ્યું હતું ખબર છે? તિસ્તા સેતલવાડને.

૨૦૧૪માં અને ૨૦૧૯માં મોદી સરકાર સ્વયં નિર્ણયો કરી શકે એવી બહુમતીથી કામ કરી રહી છે. ટ્રિપલ તલાક, ૩૭૦ અને સીએએથી લઈને અનેક નિર્ણયોની બાબતમાં આપણે એમની મક્કમતા જોઈ લીધી છે.
મોદી સરકારમાં સ્મૃતિ ઈરાની અને પ્રકાશ જાવડેકર પછી છેલ્લા નવ-દસ મહિનાથી રમેશ પોખરિયાલ મિનિસ્ટર ઑફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટની ફરજ બજાવે છે (જે મિનિસ્ટરી અગાઉ શિક્ષણ મંત્રાલય ગણાતી). પોખરિયાલ પણ કૅપેબલ માણસ છે. ચીફ મિનિસ્ટર તરીકે બે વર્ષ માટે ઉત્તરાખંડનો વહીવટ સંભાળી ચૂક્યા છે, સંઘના જૂના માણસ છે. પોખરિયાલે નવલકથા, વાર્તાસંગ્રહ તથા કવિતા સહિત કુલ ૪૪ પુસ્તકો હિન્દીમાં લખ્યા છે જે દેશના બે જાણીતા પ્રકાશકો વાણી પ્રકાશન તથા ડાયમંડ બુક્‌સ દ્વારા પ્રગટ થયાં છે.

ઘણા હિન્દુવાદીઓ ફરિયાદ કરતા રહે છે કે મોદી સરકારે શિક્ષણક્ષેત્રે કંઈ કર્યું નથી. ઈરાની-જાવડેકર નિષ્ફળ મંત્રીઓ હતા વગેરે. મોદી સરકારે ઉચ્ચ શિક્ષણને પ્રાયોરિટી આપીને દેશમાં હાર્વર્ડ – કૅમ્બ્રિજ – ઑક્સફર્ડની કક્ષાની આપણી પોતાની યુનિવર્સિટીઓ સર્જવા માટે અમુક લાખ કરોડ રુપિયા ખર્ચવાની જોગવાઈ કરી છે. આઈઆઈટી – આઈઆઈએમ તથા ઍમ્સની શાખાઓની સંખ્યા વિસ્તારી છે અને હવે જમ્મુ-કાશ્મીરમાં પણ આ સંસ્થાઓ ઊભી થશે.
પાયાના શિક્ષણ માટે એચ.આર.ડી. મિનિસ્ટ્રીની દેખરેખ હેઠળ એન.સી.ઈ.આર.ટી.(નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ) કામ કરતી હોય છે જેના દ્વારા શાળાનાં દસ વત્તા બે વર્ષના અભ્યાસક્રમની તથા તેને લગતાં પાઠ્યપુસ્તકોની ગાઈડલાઈન્સ તૈયાર થતી હોય છે.

ભારતના બંધારણ મુજબ દેશને ચલાવવાના અમુક વિષયો કેન્દ્રને આધીન હોય, અમુક રાજ્યને અને અમુક બેઉની જવાબદારી હોય. જેમ કે ચલણ, સંરક્ષણ, વિદેશનીતિથી માંડીને બીજા અનેક વિષયો માત્ર કેન્દ્રને હસ્તક હોવાના. એમાં રાજ્ય કે રાજ્યની સરકારનો બિલકુલ ચંચુપાત ન ચાલે. શિક્ષણને મૂળ બંધારણમાં રાજ્યનો વિષય ગણવામાં આવ્યો પણ 1976માં બંધારણના ૪૨મા સુધારામાં શિક્ષણને કૉનકરન્ટ લિસ્ટમાં મૂકવામાં આવ્યું અર્થાત્‌ શિક્ષણ હવે કેન્દ્ર અને રાજ્ય બેઉની સહિયારી જવાબદારીનો વિષય છે એવું નક્કી થયું.

છેલ્લા પાંચ-છ વર્ષથી ચાલી રહેલી કસરતના અંતે આ વર્ષે મોદી સરકારની નવી શિક્ષણનીતિ જાહેર થશે. માટે રાહ જોઈએ.
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ) તો આંખે ચડેલી છે. દેશની અન્ય અનેક યુનિવર્સિટીઓમાં લેફ્‌ટિસ્ટ શિક્ષણકારોએ દેશદ્રોહીઓને ઉત્તેજન આપતું વાતાવરણ ગત દાયકાઓ દરમ્યાન તૈયાર કરેલું છે. આને કારણે વિદ્યાર્થીઓ તેમ જ એમને ભણાવતી ફેકલ્ટીઓનું માનસ લેફ્‍ટિસ્ટોના લાલ રંગે રંગાયું. ભગવો રંગ જોઈને તેઓ ભડકવાના જ છે.

સિત્તેર વર્ષથી લેફ્‌ટિસ્ટ શિક્ષણકારો જે સિસ્ટમમાં ઘૂસી ગયા હોય એ સિસ્ટમમાં ભણીગણીને તૈયાર થયેલા વિદ્યાર્થીઓ કોઈપણ ધંધા-વ્યવસાય-નોકરીમાં જોડાશે ત્યારે એમના મનમાં ભગવા રંગ માટે અણગમો જ હોવાનો, ક્યારેક ધૃણા પણ હોવાની. તેઓ ગમે તે ઉંમરે મત આપવા જશે ત્યારે એમના મગજ પર પોતે જે શિક્ષણ લીધું છે તે જ હાવી રહેવાનું. આપણા વિરુદ્ધની અને એ લોકોની તરફેણ કરતી ઈકો સિસ્ટમ હોવાનાં દસ કારણોમાંનું આ એક સૌથી મોટું કારણ – શિક્ષણ. મોદી સરકાર ભારતની શિક્ષણ પ્રણાલીમાં ધરખમ ફેરફારો કરશે ત્યારે વિપક્ષો, અત્યારે સીએએ વિરુદ્ધ જેટલાં તોફાનો કરે છે તેનાં કરતાં અનેકગણા ઉધામા કરવાના. ‘ભારતમાં શિક્ષણનું ભગવાકરણ થઈ ગયું છે’ અને ‘ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની કોશિશ થઈ રહી છે’ એવો કુપ્રચાર જોરશોરથી થવાનો છે. આપણે એ લોકોના તરફડાટનો તમાશો જોયા કરવાનો અને એમને પૂછવાનું: ભારતના શિક્ષણને ભગવા રંગે ન રંગીએ તો શું પાકિસ્તાનના શિક્ષણનું ભગવાકરણ કરીશું? ભારત હિન્દુ રાષ્ટ્ર તરીકેનું ગૌરવ ન લે તો શું પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પોતાને હિન્દુ રાષ્ટ્ર કહેવડાવશે?

એજ્યુકેશન પછી બીજો મુદ્દો છે મિડિયા અને ત્રીજો બ્યુરોક્રસી. એ પછી બીજા સાત મુદ્દા જોવાના છે.

આ દસેદસ ક્ષેત્રમાં કઈ કઈ રીતે લેફટિસ્ટ અને ઇસ્લામિસ્ટોની એન્ટિહિન્દુવાદી મેન્ટાલિટીએ પગપેસારો કર્યો છે એ સમજીશું તો ખ્યાલ આવશે કે એમની ઈકો સિસ્ટમ કઈ રીતે કામ કરે છે. હવે પછી વારાફરતી બાકી રહેલા નવેય મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું.

આજનો વિચાર

ભારતમાં રહેતા લાખો રહેવાસીઓ તથા નાગરિકોને બાકાત રાખવાના ઈરાદે લાગણીથી ખેંચાઈને ‘ભારત માત કી જય’ જેવા આતંકવાદી (મિલિટન્ટ) નારાઓ લગાવવામાં આવે છે.
—ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ

ભારત માતા કી જય કે નારેમેં ક્યા દિક્કત હૈ?
—પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

છોટી સી બાત

તું અડધી રાત્રે સપનામાં આવે છે. તને પોસાય છે દોઢું રિક્શાભાડું?
—ડિમ્પલ પટેલ (ટ્વિટર પરથી)

11 COMMENTS

  1. Saheb aa Harsh Mander J Sikshak hato ane pachi NAC dwara samgra Sikhan Paddhati ne ene Abdhavi. Gujarat, Karnatak, Haryana maan pan kyan Hindutva vadi sikhsan male chhe? Bahu dukhad vaat chhe.

  2. સર,
    ફરી એક વખત આપનો મસ્ત, વિચારતા કારી મૂકે, સમજવામાં આવે તે રીતની રજુઆત વાળો લેખ ખૂબ ગમ્યો…આભાર.
    એકવાત બીજી સર, આપણે સીધી કે પરોક્ષ રીતે તેઓની strength & આપણી નબળાઇઓ વિશે ખૂબ વિચારીએ, સાંભળીયે, વાંચીએ છીએ…
    થોડા લેખ તેઓની નબળાઈઓ & આપણી strength વિશે પણ આપના તરફથી લખાય તેવી અપેક્ષા છે.
    મોદીજી & શાહજી પર જ વાતો અટકાવવી..!!
    આપણા થી શુ થઈ શકે..? કાઈ ઠોશ બાબત થઈ શકે..? કે only social Media માં ચર્ચઓ..???
    Sorry sir, વધુ પડતી આશાઓ રખાય જતી હોય તેમ લાગે છે…

  3. Superb analysis.

    Went Str straight into heart.

    Modiji hai toh hee mumkin hai.

    God bless Modiji.
    Rest he will take care.

  4. સૌરભભાઈ,
    હિન્દુ ઓની વાત કેમ દબાઈ જાય છે – ના સુન્દર લેખના ત્રણ કોઠા જવા સાત કોઠા પણ નેત્રોદ્ઘાટક હશે જ. કળીયુગમાં કૌરવ-માનસિકતાની “સંઘ-શક્તિ” એક થાય જ છે જે રંગીન પૈસા, અન્ય આકર્ષણો, કમીના-પણા ઈત્યાદિથી સામા પક્ષને હંફાવવામા, તોડી, નબળો બનાવવામાં માહેર છે, અને હિન્દુઓ પોતાના ઐક્યને નેવે મૂકી વિદેશ ભણી દોટ મૂકે છે. ખરેખર, પરમાત્મા પણ કળીયુગના આ ખેલને જોતાં મલકાતા તો હશે જ – ભગવાન પણ જોય છે કોનામાં કેટલું કોવત, ઝૂઝારુપણુ છે.
    અસ્તુ

    એક મુદ્દાની વાત એ કે સત્ય યુગમાં અસંસ્કાર, અધર્મ ખૂબ વખોડાતા હતા એને માટે યુદ્ધ પણ થયાં હતાં; આજના કળિયુગમાં ધર્મ, સાતત્ય, વિગેરે પિટાય છે. બીજી વાત – આજે અંગ્રેજોના પાળેલા ખાન્ધિયા (ડાબેરી પક્ષો), કટ્ટરતાના

  5. System ખોટા પ્રચાર પર કાનૂન કડક બનાવી શકાય. તેના ઉપર પગલાં લેવામાં આવે

  6. આપણા દબાઈ જતાં અવાજની કારણ મીમાંસા શરૂ કરી તમે જે વિશ્લેણાત્મક વાત કરી રહ્યાં છો તે ખૂબ જ સમજવા લાયક છે, સૌરભ ભાઈ, એવું મને અનેલગે છે અને તમારાં દરેક વાંચક/ચાહક ને પણ લાગતું હશે.
    મોદી સરકાર સામે આવનાર સમયમાં કેટલાં મોટા પડકારો છે. હિંદુત્વના માટે નાં સંઘર્ષમાં મોદીજી ને તન, મન, ધન થી સાથ આપી આપણે જાત ઉપકાર કરવાનો છે.
    તમારી કલમ ને અદૃશ્ય શક્તિ નો સાથ મળતો રહે ,એવી શુભેચ્છા સાથે,
    આગળનાં લેખો ની પ્રતીક્ષા કરતો….અસ્તુ.

  7. આજના ભારતીય શિક્ષણમાં ધરખમ ફેરફારો થવા જ જોઇએ. એ આજના સમયની અનિવાર્ય આવશ્યકતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here