જિંદગી નાઈન ટુ ફાઇવના રૂટિન માટે નથી : સૌરભ શાહ

(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૨૦ જૂન ૨૦૨૧)

જિંદગીની રોજિંદી બાબતો, આ રૂટિન, અસ્તિત્વ ટકાવી રાખવા માટેનું છે. પણ જિંદગી માત્ર અસ્તિત્વ ટકાવી રાખવા નથી મળી.

અસ્તિત્વ ટકાવી રાખવાની જદ્દોજહત કરોડો કોક્રોચ કરતા હોય છે. અંતે ગટરમાં જ મરતા હોય છે. જિંદગી ગટરમાં મરવા માટે નથી મળી. અત્યાર સુધી ક્યારેય ન થયાં હોય એવાં કામ કરવા માટે મળી છે. આવાં અગણિત કામ થયાં ત્યારે દુનિયા આગળ વધી, માનવજાતના હજારો વર્ષના ઇતિહાસનાં સોપાન ઘડાયાં. અગ્નિ, પૈડું, ઓજાર અને વહાણથી લઈને ટેલિફોન, સેટેલાઇટ તથા ઇન્ટરનેટ સુધીની સંખ્યાબંધ શોધખોળો પાછળ ખર્ચાયેલી જિંદગીઓએ માણસના અસ્તિત્વને અર્થ આપ્યો છે. જગતભરના સંગીતકારો, સાહિત્યકારો અને કળાકારોએ આ અર્થને રસપૂર્ણ બનાવી એમાં ઊંડાણ ઉમેર્યું છે. કોઈએ કલ્પના પણ ન કરી હોય એવાં આ તમામ કામ થકી જ દુનિયા આગળ વધે છે. નાઇન ટુ ફાઇવનું રૂટિન અસ્તિત્વ ટકાવી રાખવા અનિવાર્ય છે, પણ પૂરતું નથી.

ઘરમાં ઝાડુ-પોતાં, રસોઈ-કપડાંનું રૂટિન સરખું ન હોય કે દેશમાં વીજળી, પાણી, વાહનવ્યવહાર વગેરેનું રૂટિન ખોરવાઈ જાય તો જિંદગી ખોરવાઈ જાય. રૂટિન અનિવાર્ય છે અને આ રૂટિન જાળવનારાઓ પણ એટલા જ અગત્યના છે. ઘરમાં ગૃહિણી, નોકરો અને ઓફિસોમાં પટાવાળા, ક્લાર્ક, એક્ઝિક્યુટિવ, મેનેજર વગેરેના કામની કદર કરીએ અને એમને પૂરતું વળતર ઉપરાંત યોગ્ય માન-સન્માન પણ આપીએ. સામૂહિક ધોરણે આ તમામ લોકો અનિવાર્ય છે અને વ્યક્તિગત ધોરણે આ દરેક માણસ રિપ્લેસેબલ છે.

મુદ્દો રૂટિનની અવગણના કરવાનો નથી કે એ કાર્યોને ઉતારી પાડવાનો પણ નથી; વાત આ રૂટિનથી ઉપર ઉઠવાની છે, કોક્રોચની માફક માત્ર અસ્તિત્વ ટકાવી રાખવાની મશક્કત કર્યા કરવાની નથી. જરૂરી નથી કે અત્યાર સુધી ક્યારેય કોઇએ ન કર્યાં હોય એવાં કામ કરશો તો ઇતિહાસમાં તમારું નામ સોનેરી અક્ષરે લખાઈ જશે. એડમંડ હિલેરી અને તેન્ઝિંગ નોર્ગેનું નામ સૌ કોઇએ સાંભળ્યું છે અને સોનેરી અક્ષરોમાં લખાયેલું વાંચ્યું પણ છે. પરંતુ જ્યોર્જ મેલરી કોણ હતો? એવરેસ્ટની ટોચે પહોંચનારો એ પહેલવહેલો પર્વતારોહક હતો એવું માનવામાં આવે છે. પણ એ જીવતો પાછો ફર્યો નહીં અને એના સાથી આરોહકો આ બાબતના કોઈ પુરાવા લાવી શક્યા નહીં. હિલેરી-તેન્ઝિંગની વિરાટ સિદ્ધિના અઢી-ત્રણ દાયકા અગાઉ મેલરીએ આ સાહસ કર્યું.

તમારી જિંદગી હિલેરી જેવી નહીં પણ મેલરી જેવી પુરવાર થાય તો ભલે. અત્યાર સુધી ન થયેલાં કામ કરવાના પ્રયત્નોના અંતે મૃત્યુ જ મળવાનું હોય તો એ મોત મેડિક્લેમનાં ખોટાં બિલો મૂકીને ફાઈવસ્ટાર હોસ્પિટલના આઇ.સી.યુમાં વેન્ટિલેટર પર જીવવા કરતાં સારું.

પૈસા કે પ્રસિદ્ધિ આડપેદાશો છે – અત્યાર સુધી ન થયેલાં કામ કરવા માટેની. ખરેખરું વળતર તો જિંદગી વેડફાઈ નથી ગઈ એવા અહેસાસ પછીનો સંતોષ છે.

જીવનનો હેતુ શોધવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. જીવનનું આજીવન લક્ષ્ય એક જ છે- જે કામ અત્યાર સુધી કોઈએ કર્યાં નથી, કદાચ કરવાનું વિચાર્યું પણ નથી તે કામ કરવાં. જિંદગી અર્થહીન બની જતી કે ખાલીખમ લાગે કે જિંદગીમાં બધું જ મળી ગયા પછી પણ કંઈક ખૂટતું લાગે કે વીતેલાં વર્ષો વેડફાઈ ગયા જેવું લાગે ત્યારે બારી ખુલ્લી મૂકીને વરસાદની શિકરોને રૂમમાં પ્રવેશવાનું આમંત્રણ આપીને વિચારવું કે આસપાસના લોકો મને પાગલ કહે એવાં કયાં કયાં કામ મારે કરવાં છે?

સાથે સાથે એક ઑર વાત જે અન્યાયની ભાવના અને અસંતોષની લાગણી સાથે સંકળાયેલી છે. જીવનમાં મારી હેસિયત આજીવન ભાડાના ઘરમાં રહેવાની હોય તો મારે સમજવાનું કે આ જ મારી ઔકાત છે. મારે કોઈના પેન્ટહાઉસ કે બંગલોને જોઈને અસંતુષ્ટ ન થવાનું હોય. જે ઘડીએ હું મારી લાયકાત સમજ્યા વિના અસંતુષ્ટ બની જઈશ એના બીજા જ દિવસે હું મારો અસંતોષ છુપાવવા અન્યાયની ફરિયાદકરતો થઈ જઈશ. મને ક્યાં ક્યાં અન્યાય થયો છે એની લાંબી યાદી તૈયાર કરીને મારી લાકડાની તલવાર વડે મારાથી વધુ સુપાત્રોની સામે કડવો બનીને ઝઘડો વહોરતો થઈ જઈશ.

ભગવાને મને ભાડું ભરવાની ત્રેવડ આપી છે એ કેટલા મોટા આશીર્વાદ છે કે હું કમ સે કમ બેઘર તો નથી એવા સંતોષથી જીવવાને બદલે મારા આખા જીવનમાં કડવાશ વ્યાપી જશે.

અન્યાય આખી જુદી વાત છે. અસંતોષ જુદી વાત છે. આ બંને વચ્ચેનો તફાવત જો સમજી લેવામાં આવે તો દુનિયા આખીમાં થતા વર્ગવિગ્રહો એક રાતમાં મટી જાય.

કુદરત સૌ કોઈને એના ગજા પ્રમાણેનું આપે છે. કવિ શોભિત દેસાઈ પેલી જાણીતી કહેવતને આગળ લંબાવતાં ઘણી વાર કહેતા હોય છે કે ભગવાન હાથીને મણ, કીડીને કણ અને એક્સવાયઝેડને પણ આપે છે. (આ એક્સવાયઝેડમાં કોઈ લાયકાત વગરના કવિનું નામ આવે, ક્યારેક લાયકાત વગરના પત્રકાર, સાહિત્યકાર, અભિનેતા વગેરેના નામ આવે. ડિપેન્ડ્સ ઑન મૂડ). ‘એક્સવાયઝેડને પણ’ તો મતલબ એ થયો કે ભગવાન ઘણી વખત તો લાયકાત ન હોય એવી વ્યક્તિને પણ આપતો હોય છે.

સમજવાનું આ છે આપણે. ભગવાન ક્યારેય અન્યાય કરતો નથી. અન્યાય થતો હોય એવું લાગતું હોય તો તે આપણે જે આપણને કરતા હોઈએ છીએ – આપણે સમય વેડફીને, આપણી શક્તિ ખોટી દિશામાં ખર્ચીને, આપણી આળસને લૅક ઑફ ઑપોર્ચ્યુનિટીનું નામ આપીને, આપણા કામમાં પૂરેપૂરી નિષ્ઠા ન નિચોવીને. આવી રીતે જિંદગી જીવનારાઓ જીવનમાં ઉપર ન આવે અને મને અન્યાય થાય છે એવું જતાવે એ વળી ક્યાંનો ન્યાય? એવા લોકો માટે સહાનુભૂતિ પણ કેવી રીતે હોઈ શકે?

અસંતોષ પોઝિટિવ હોઈ શકે. મૂકેશભાઈને અસંતોષ હોય કે આ વખતે ‘ફૉર્બ્સ’ના બિલિયોનેરની યાદીમાં મારો નંબર આટલામો જ કેમ તો નેક્સ્ટ યર તેઓ કંપની માટે વધારે મહેનત કરી/કરાવીને હજુ વધારે આગળ આવી શકે. કોઈ પટાવાળાના પુત્રને એસ.એસ.સી.માં ઓછા ટકા આવ્યાનો અસંતોષ હોય તો એ નેક્સ્ટ બે વરસમાં વધારે મહેનત કરીને બારમામાં ટૉપર બની શકે. પણ મૂકેશભાઈ કે વિદ્યાર્થી જો ‘મને અન્યાય થયો છે’ એવી રટ લગાવીને બેસી રહેશે તો ક્યારેય ઉપર નહીં આવે.

આપણને ટેવ હોય છે આપણા અસંતોષની ઉપર અન્યાયનું લેબલ ચિપકાવીને. આપણી કમીઓને ઢાંકી દેવાની. કમીઓને ઢાંકી દેવાથી એ દૂર થઈ જવાની નથી. મને જો ભાડાના ઘરમાં રહેવાનો અસંતોષ થાય તો મારે બે પૈસા વધુ કમાઈને પોતાનું ઘર ખરીદવા માટે બચત શરૂ કરી દેવી જોઈએ. પણ મારા અસંતોષને જો હું અન્યાયનું નામ આપીને કે ક્લિષ્ટ કરવા માંડીશ કે આ તે કંઈ સાલી દુનિયા છે, આટઆટલી મજૂરી કરીને-સવારથી સાંજ સુધી બરડો ફાટી જાય એટલું કામ કરીને-મહિનાને અંતે મળે છે શું? – તો હું ક્યારેય ઉપર નહીં આવું. એટલું જ નહીં, અત્યારે જે કંઈ મળ્યું છે તે બધું પણ એ કકળાટ, કલેશની જ્વાળામાં હોમાઈ જશે.

સામાજિક સ્તરે અને રાજકીય ક્ષેત્રે બીજાની ચિતા પર ભાખરી શેકવા માગતા લેભાગુઓ આપણા અસંતોષને અન્યાયનાં ચશ્માંથી દેખાડીને પોતાના લાભ ખાટી જતા હોય છે. આપણે નિર્દોષ અને અણસમજુ પ્રજા એમની વાતોમાં આવી જઈને ‘ન્યાય માગતા’ થઈ જઈએ છીએ.

શેનો ન્યાય જોઈએ છે? અન્યાય જ નથી થતો તો ન્યાય ક્યાંથી મળવાનો? હા, અસંતોષનો ઈલાજ છે. વધારે મહેનત કરીએ, દિલથી અને સાચી દિશામાં મહેનત કરીએ, દિલચોરી અને કામચોરી ન કરીએ, નિષ્ઠા અને પ્રામાણિકતા એમાં ભેળવીએ. જે અસંતોષ હશે તે દૂર થવાનો જ છે આટલું કરીશું તો.

પણ અસંતોષને જો અન્યાયનું મહોરું પહેરાવા દીધું તો આપણે તો ડૂબીશું જ, સાથે આખા સમાજને સાથે લઈને ડૂબીશું.

એકધારું જીવ્યા કરતા લોકોએ ક્યારેક વિશ્રામ લઈને આવી બધી વાતો વાગોળતા રહેવું જોઈએ.

પાન બનાર્સવાલા

બની ગયેલા બનાવ વિશે જ આગાહી થઈ શકે.

— યુજિન આયનેસ્કો ( ફ્રેન્ચ નાટ્યકાર)

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here