માનસ:ગણિકાનો પાંચમો દિવસ : દરેક માણસને પોતાના કર્મમાંથી આનંદ આવવો જોઈએઃ મોરારિબાપુ

(newspremi.com, બુધવાર, ‌‌24 જૂન 2020)

(માનસ:ગણિકા, પાંચમો દિવસ : અયોધ્યા, 26 ડિસેમ્બર 2018)

ટાઢ એટલી છે અયોધ્યામાં કે સવારે કથામાં જવા નીકળીએ ત્યારે વાત કરતી વખતે મોઢામાંથી ‘ધુમાડા’ નીકળે! ઠંડીમાં વરાળ થઈને થીજી જતી શ્વાસની હવા બર્ફીલા હિલ સ્ટેશનો પર માણી હોય. પણ આ થથરાવતી ઠંડી કથામંડપમાં ઉષ્મામાં ફેરવાઈ જાય અને પૂજ્ય મોરારિબાપુની વાણી શરૂ થાય ત્યારે તો એ હૂંફમાં પરિવર્તન પામે.

ક્યાં ક્યાંથી લોકો કથાશ્રવણ માટે આવે છે. એક 19 વર્ષીય ટીનેજર એના 25 વર્ષના દોસ્તાર સાથે છેક પંજાબથી, નવી નવી નોકરીમાં દસ દિવસની રજા લઈને અયોધ્યા આવ્યો છે. એક વિનોદકુમાર સપત્નીક કાઠમંડુથી આવ્યા છે. અમારા જેવાઓ મુંબઈથી, અને ગુજરાત તથા દેશભરમાંથી રામભક્તો પધાર્યા છે – બાપુની કથા સાંભળવા. સ્થાનિકોમાં તો જબરો ઉત્સાહ છે. રામકથાના શ્રવણ માટે તો તેઓ હોંશથી ઊમટી પડે જ છે, કથાના અન્ય શ્રોતાઓની સગવડો સાચવી લેવા માટે સદા તત્પર હોય છે. નાનીમોટી ચીજ વેચનારા ફેરિયાઓ, દુકાનદારો, હૉટેલ-રેંકડીવાળાઓ કે રિક્શા-ટેક્સીવાળા સૌ કોઈ જય સિયારામ સાથે અભિવાદન કરીને પોતાના માલસામાન કે સેવાના બદલામાં એક રૂપિયો વધારાનો માગતા નથી, આપો તો લેતાય નથી. કનકભવનની ઐતિહાસિક જગ્યાએ ભોજનની થાળીમાં ગાયનું દેશી ઘી ચોપડેલી ગરમાગરમ રોટલીઓ આગ્રહ કરી કરીને પીરસ્યા કરે, સાથે બે અતિ સ્વાદિષ્ટ શાક, દાળ-ભાત વગેરે પેટ ભરીને જમાડે અને પછી અમને કહેઃ આજે બરાબર જમ્યા નહીં આપ! બિલ ચૂકવીએ ત્યારે ખબર પડે કે એ અનલિમિટેડ થાળીના માત્ર રૂપિયા 60 (સાઠ). કોણ કહે છે કે ભારતમાં મોંઘવારી વધી ગઈ છે? મુંબઈની એસી રેસ્ટોરાંમાં તો આટલાનો ખાલી પાપડ આવે. અને એય શેકેલો. ફ્રાઈડ મગાવો તો નેવું અને મસાલા પાપડ ખાવો હોય તો સવાસો. એક છોટુ અમારા માટે પાણીની બાટલીઓનું ભારેખમ બૉક્સ ઊંચકીને ઉપરના માળે આપવા આવ્યો તો મેં પાકિટમાંથી વીસની નોટ કાઢીને એને આપવા માંડી. એ કહેઃ ‘નીચે તમારા જે મિત્રે મોકલ્યું છે એણે ઑલરેડી દસ રૂપિયા દીધા છે.’ આવું કોઈ કહે? મેં એને ધરાર વીસની નોટ આપી. બીજા પણ વીસ આપવા જોઈતા હતા. કોણ કહે છે કે ભારતમાં સાદગી નથી, વિવેક નથી, પ્રામાણિકતા અને સજ્જનતા નથી? આપણામાં ના હોય એટલે શું બીજા બધામાંય ના હોય? જરા ઘરની બહાર નીકળીને જોઈએ તો ખરા.

એક એવી સ્ત્રી જે તમારી સાથેના સંસર્ગ દ્વારા પામી જાય કે તમે કેટલી ગણનામાં છો, (માણસ તરીકેની) તમારી હેસિયત શું છે

ઉદારતા પણ ભરપૂર છે. બાપુએ ગણિકાઓની તબીબી સારવાર માટે ફંડ ઊભું કરવાની ઘોષણા કરતાં પ્રથમ 11 લાખની રકમ પોતાની નોંધાવી એ પછી કુલ આંકડો કૂદકે ને ભૂસકે વધીને આજે 4 કરોડ 38 લાખને આંબી ગયો છે એવી જાહેરાત થઈ. કથામાં હાજરી આપનારાઓ માટે તો મંડપમાં જ ડોનેશન બૉક્સ છે પણ બહારગામના તેમ જ પરદેશના દાતાઓ માટે હજુ સુધી કોઈ વ્યવસ્થા જાહેર નહોતી થઈ જે આજે માઈક પરથી કરવામાં આવી. એક બહુ મોટું કામ બાપુ દ્વારા થઈ રહ્યું છે.

કથારંભે બાપુએ કહ્યું કે શબ્દકોશમાં ગણિકાના અનેક અર્થ છે જેમાંના એક અર્થના પાયામાં ‘ગણના’ છે. એક એવી સ્ત્રી જે તમારી સાથેના સંસર્ગ દ્વારા પામી જાય કે તમે કેટલી ગણનામાં છો, (માણસ તરીકેની) તમારી હેસિયત શું છે, તમારી ઔકાત કેટલી છે.

બીજી એક માહિતી બાપુએ આપીઃ દક્ષિણ ભારતના વિજયનગર રાજ્યના સમ્રાટ ધર્મદેવે એક ગણિકાને પત્નીનું સ્થાન આપ્યું હતું. એમના પુત્ર-પુત્રીઓને ગણિકાઓ સંગીત શીખવતી, સંસ્કાર આપતી. દરબારમાં શાસ્ત્રાર્થ વખતે ચૂક થતી તો એ ભૂલને ગણિકાઓ સુધારી શકતી એટલી તેઓ પ્રજ્ઞાવાન પણ હતી. વિજયનગર રાજ્યમાં ગણિકાનગર વસાવવામાં આવ્યું હતું અને સમગ્ર રાજ્યમાં ગણિકાઓને બહુ મોટો દરજ્જો આપવામાં આવ્યો હતો. એમના ચાલવા માટે ખાસ માર્ગ બનાવવામાં આવતા જેના પર કોઈ ઐરાગેરાની અવરજવર વર્જ્ય હતી. બાપુ કહે છેઃ વેદોં તક ઈનકા ઉલ્લેખ હૈ.

અસત્યની રક્ષા આપણે કરવી પડે છે જ્યારે સત્ય આપણી રક્ષા કરે છે: મોરારિબાપુ

એક પ્રાચીન કથા છે, બાપુ વાત માંડે છેઃ એક યુવક ઋષિના આશ્રમમાં અભ્યાસ માટે ગયો. ઋષિએ એને શિષ્ય બનાવતાં પહેલાં એનું ગોત્ર પૂછ્યું. યુવક કહે કે મને ખબર નથી. ઋષિએ કહ્યું, જા તારા ઘરે જઈને જાણી લાવ. યુવક ઘરે ગયો. માતાને પૂછ્યું. માતાએ કહ્યું કેઃ મને પણ ખબર નથી કે તારું ગોત્ર કયું છે કારણ કે મેં તો કંઈ કેટલા મહાપુરુષોની સેવા કરી છે. મેં સેવેલા પુરુષોમાંથી તારો પિતા કોણ હશે એની મને ખબર નથી. યુવકે આ વાત ઋષિ પાસે આવીને કહી. ઋષિ યુવકની માતાની નિર્ભિકતા પર વારી ગયા. ઋષિએ કહ્યું કે તારી માતાનું નામ શું? યુવકે કહ્યુઃ જાબાલ. ઋષિએ કહ્યું કે આજથી તારું ગોત્ર તારી માતાના નામથી ઓળખાશે. યુવકનું નામ સત્યકામ, જે પાછળથી સત્યકામ જાબાલ તરીકે જાણીતો થયો.

આ વાર્તા સંભળાવવા પાછળનો બાપુનો હેતુ સત્યના ઉચ્ચારણનો મહિમા કરવાનો છે તેની હવે તમને ખબર પડે છે. બાપુ કહે છે કે અસત્યની રક્ષા આપણે કરવી પડે છે જ્યારે સત્ય આપણી રક્ષા કરે છે. અસત્ય હોય ત્યારે કેટકેટલી પળોજણ હોય- આ તર્ક લડાવું, આ સાવધાની રાખું, આ પ્રમાણ લાવું, આનો આધાર લઉં. અસત્યની રક્ષા કરવાની જવાબદારી આપણી બની જાય છે. સત્ય આપણી રક્ષા કરવાની જવાબદારી નિભાવે છે.

બાપુ કહે છે કે એક યુવકે પ્રશ્ન કર્યો છે કે તમે વાલ્મીકિ રામાયણનું પ્રમાણ આપીને ગણિકાનું મહાત્મ્ય ગાયું, શું તુલસી રામાયણમાં ગણિકાનું મહિમાગાન થયું છે? બાપુ કહે છેઃ કેમ નહીં, ઠેર ઠેર થયું છે, તમે અભ્યાસ તો કરો, માનસમાં ડૂબકી તો લગાવો, પોતાની મેળે ઉત્તરો મળતા થશે. રામચરિતમાનસમાં ઉત્તરકાંડમાં જ્યારે રામનો રાજ્યાભિષેક થઈ રહ્યો છે ત્યારે ગોસ્વામીજી લખે છેઃ

નભ દુંદુભિ બાજહિં વિપુલ ગંધર્વ કિન્નર ગાવહીં
નાચહીં અપછરા વૃંદ પરમાનંદ સુર મુનિ પાવહીં.

દેવગણિકાઓ નર્તન કરી રહી છે. કિન્નર ગંધર્વ ગાન કરી રહ્યા છે. વિપુલ માત્રામાં દુંદુભિ વાગી રહ્યાં છે. આ નૃત્યને જોઈને બે સમાજ પરમાનંદનો અનુભવ કરી રહ્યા છે. આમાંથી એક સમાજ છે સુર સમાજ, બીજો છે મુનિ સમાજ. પરમાનંદ સુર મુનિ પાવહીં-એવું લખ્યું છે. આનંદ, પરમાનંદ અને બ્રહ્માનંદ-ત્રણ પ્રકાર છે. એક અર્થમાં, આનંદને જોડી શકાય, બાપુ કહે છે આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે, નવો શબ્દ બનાવી શકાય – કર્માનંદ. આપણને આપણા કર્મથી આનંદ મળવો જોઈએ. એક લેખકને એની લેખિની આનંદ આવવો જોઈએ. કવિતાના સર્જકને સર્જનથી આનંદ મળવો જોઈએ. ગાયકને ગાવામાંથી આનંદ મળવો જોઈએ. આદમી કો અપને કર્મ કા આનંદ આના ચાહિયે ક્યોંકિ હમ કર્મ કે બિના એક ક્ષણ ભી જી નહીં સકતે ઐસા ગીતાકાર કા શાશ્વત વચન હૈ. એક કિસાન કો ખેતી કરને કા આનંદ આના ચાહિયે. એક બહન-બેટી કો રસોઈ કા આનંદ આના ચાહિયે- કરે તો! ફાસ્ટ ફૂડના જગતમાં- કરે તો! કર્માનંદ. માનસમાં ક્રાંતિકારી સૂત્રો ઠેર ઠેર છે. અમે કથા ગાઈએ છીએ તો અમને કથા ગાવાનો આનંદ આવવો જોઈએ. જેને તુલસી સ્વાન્તઃ સુખાય કહે છે. જે વ્યક્તિને પોતાનામાંથી આનંદ નથી મળતો એનું મન ક્યારેય સ્થિર નથી હોતું. વિવિધ ઉપકરણોથી આનંદ મેળવવાની કોશિશ કરતાં રહીશું તો ઉપકરણ નહીં હોય ત્યારે આનંદ ખંડિત થઈ જશે. મને જો ખીર ખાવામાંથી આનંદ મળતો હોય ને મને ખીર કોઈ નહીં આપે તો મારો આનંદ ખંડિત થઈ જશે. ઉપકરણોના આધારે મળતો આનંદ અખંડ નથી હોતો, ખંડિત થઈ જાય છે એવું ગોસ્વામી કહે છેઃ નિજ સુખ બિનુ મન હોઈ કિ થીરા. પરસ કિ હોઈ બિહિન સમીરા. કેટલો વૈજ્ઞાનિક સૂત્રપાત છે. (થીરા એટલે સ્થિર, પરસ એટલે સ્પર્શ). જેમ પવન ન હોય તો કોઈ કોઈને સ્પર્શ નહીં કરી શકે. એમ માણસને જો પોતાનો આનંદ ન હોય તો એનું મન સ્થિર ન થઈ શકે. આનંદ અને સુખની વ્યાખ્યાઓ જુદી જુદી છે પણ અહીં ગોસ્વામી સ્વાન્તઃ સુખની વાત કરે છે ત્યારે એ બેઉને જોડી દઈએ. કર્માનંદ.

“બાપુ, તમે જ્યાં ગયા હતા ત્યાં જ (કામાઠીપુરામાં) જઈને કથા કેમ નથી કરતા?”

નાટ્યશાસ્રના રચયિતા ભરતમુનિએ આપેલા ગણિકાના પર્યાય શબ્દો વર્ણવીને બાપુ કહે છે કે બૌદ્ધ ધર્મશાસ્ત્રમાં, જૈન ધર્મશાસ્ત્રમાં, ઈસાઈ પરંપરામાં- દરેક ઠેકાણે ગણિકાઓના માનભેર ઉલ્લેખો થયા છે. અહીં બાપુ સાંઈરામ દવે રચિત એક હૃદયસ્પર્શી કવિતાનું પઠન કરે છેઃ

કિસીને મેરી રુહ કે છાલે નહીં દેખે
મૈં વો કમરા હૂં જિસને ઉજાલે નહીં દેખે
બડે બડે નામ હૈ, ઓહદે હૈ જિનકે શહર મેં
મેરે કમરે ને તો ઈજ્જતવાલે નહીં દેખે
અપની અપની પ્યાસ લે કે રોજ આતે લોગ
કિસી કે હાથોં મેં નિવાલે નહીં દેખે
કૈદ હૂં મૈં ઝરૂરત-એ-જિસ્મ કી આંધી મેં
પૂજારી દેખે હૈ, શિવાલય નહીં દેખે
હાથ મેરા થામ કર કમરે સે નિકાલે
મૈંને ઐસે દિલવાલે નહીં દેખે
શરાબ કમ પડી તો મુઝે પી ગયે થે લોગ
યહાં કભી કિસીને ખાલી પ્યાલે નહીં દેખે

“બાપુ, તમે લોકસભામાં ચૂંટાઈને જાઓ તો શાસક પક્ષમાં બેસો કે વિપક્ષમાં?”

બાપુ કહે છે કે બહાર તો બહુ ગરમાગરમ ચર્ચાઓ થઈ રહી છે (આ રામકથા ‘માનસઃ ગણિકા’ વિશે) પણ અયોધ્યામાં તો કેટલી શાંતિ છે! સાધુસંતોના આશીર્વાદ છે, બહેનબેટીઓ પણ આવી છે. કોઈ મને પૂછે છે કે બાપુ, તમે જ્યાં ગયા હતા ત્યાં જ (કામાઠીપુરામાં) જઈને કથા કેમ નથી કરતા. હું કહું છું કે ત્યાં જગ્યા નથી, તમે લોકોએ જ રહેવા દીધી નથી!

બાપુની આ ચાબૂકના સોળ તથાકથિતોની પીઠ પર યુગો સુધી રહેવાના.

બાપુ કહે છેઃ કોઈએ મને પૂછ્યું છે કે તમે લોકસભામાં ચૂંટાઈને જાઓ તો શાસક પક્ષમાં બેસો કે વિપક્ષમાં? બાપુ બુલંદ અવાજે બોલે છેઃ હું કોઈ પક્ષમાં બેસવાને બદલે મારી વ્યાસપીઠ લગાવીને રામકથા સંભળાવીશ, પણ જે લોકો રામનામથી ડરે છે એમની સાથે બેસાય કેવી રીતે. સૂરસમ્રાજ્ઞી લતાજી રાજ્યસભામાં નોમિનેટ થયાં પછી ત્યાં ગૃહમાં હાજરી નહોતાં આપતાં ત્યારે કોઈએ પૂછ્યું તો એમણે કહ્યુઃ બેસૂરાઓની સાથે કેવી રીતે બેસાય? બાપુ કહેઃ દેશમાં રામરાજ્ય આવ્યું કે નહીં એની ખબર નથી પણ રામકથારાજ્ય જરૂર આવી ગયું છે. અહીં અવધમાં તો ગલીએ ગલીએ રામકથા થાય છે. (બાપુની વાત સાચી છે. અમારા ઉતારાના વિસ્તારમાં ગઈકાલ સાંજથી આજ વહેલી પરોઢ સુધી રામચરિત માનસનો અખંડ પાઠ થઈ રહ્યો હતો જેની ચોપાઈઓ અને તબલાં-હાર્મોનિયમના સૂર અમને ઊંઘમાં પણ કથામંડપમાં જ હોઈએ એવો આનંદ આપતા હતા).

આ દુનિયામાં મારો કોઈ મિત્ર નથી: મોરારિબાપુ

બાપુ આજે આનંદ-વિનોદના મૂડમાં છે. ખૂબ હળવાફૂલ કરી નાખ્યા બધાને. બાપુ કહેઃ કોઈએ મને પ્રશ્ન પૂછ્યો છેઃ બાપુ, તમે તમારા હાથે ચા બનાવો છો? બાપુ જવાબમાં કહેઃ બિલકુલ બનાવું છું. કૈલાસ-માનસરોવરની કથા વખતે પણ ત્યાં બનાવી હતી. ચા બનાવવામાં તો માણસ ક્યાંથી ક્યાં પહોંચી જતો હોય છે!

બાપુને પોતાના જીવનમાં આવેલા શત્રુઓ વિશે લખવાનું કહેવામાં આવ્યું એ સંદર્ભમાં બાપુ કહેઃ આ દુનિયામાં મારો કોઈ મિત્ર નથી. અને એનો ફાયદો એ છે કે મારે કોઈ શત્રુ પણ નથી! ગીતામાં કહ્યું છે કે માણસ પોતે જ પોતાનો મિત્ર છે, પોતે જ પોતાનો શત્રુ છે.

રામકથામાં આજે રામજન્મ થયો છે. અયોધ્યાની કથામાં બાપુ રામજન્મની ચોપાઈઓ અને દોહાઓ જે ઉમંગથી ગાતા હોય તે રૂબરૂ જોવાનો-સાંભળવાનો લહાવો મળી રહ્યો છે. કથાએ આજે બપોરે બે વાગ્યા પછી વિરામ લીધો. શ્રોતાઓને જાણે બોનસ મળી ગયું. અમને હંમેશાં નવાઈ લાગી છેઃ બાપુ ચાર-પાંચ કલાક સુધી પાણીનું એક ટીપું પીધા વિના કેવી રીતે બુલંદ અવાજે કથા ગાઈ શકે છે. પલાંઠી મારીને કલાકો સુધી એક આસને કેવી રીતે બેસી શકે છે. આપણે તો ખાલી સાંભળવાનું છે તોય અડધો કલાક-કલાક થાય અને પલાંઠી ખોલીએ, પગ લાંબા કરીએ, પાછા વાળીએ. પાણીનો ઘૂંટડો પી લઈએ. બાપુ પાસે ઘણું ઘણું શીખવાનું છે. શરૂઆત અહીંથી તો કરીએ.

to read this article in English यहाँ मिलेगा

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને સપોર્ટ કરવા માટેની અપીલ : સૌરભ શાહ

પ્રિય વાચકો,

ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા, વખણાતા અને ચર્ચાતા લેખક-પત્રકારોમાંના એક સૌરભ શાહ તમને રોજ ‘ન્યુઝપ્રેમી’ દ્વારા મળે છે.

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના ચાલતું સ્વતંત્ર, તથા કોઈનીય સાડીબારી ન રાખતું ડિજિટલ મિડિયા છે અને એટલે એ ભરોસાપાત્ર છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા પ્લેટફૉર્મને અડીખમ રાખવા તમારા સપોર્ટની જરૂર છે.

‘ધ ક્વિન્ટ’, ‘ધ પ્રિન્ટ’, ‘ધ વાયર’, ‘સ્ક્રોલ’ કે બીજાં ડઝનેક તોતિંગ અંગ્રેજી ડિજિટલ મિડિયા કરોડો રૂપિયાનું ફંડિંગ ઉભું કરીને પોતાના એજન્ડાને— કામકાજને આગળ વધારી રહ્યા છે. ‘ન્યુઝપ્રેમી’ આવી રીતે કામકાજ કરવામાં માનતું નથી. ઇન્વેસ્ટર્સ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા પછી અમુક મિડિયા કરોડરજ્જુ વિનાનાં બની જતાં હોય છે. ઇન્વેસ્ટરોનો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવાથી સચવાતો હોય ત્યારે મિડિયાએ પણ વાચકોનો દ્રોહ કરીને, વાચકોને ઊંધા રવાડે ચડાવીને એન્ટી-નેશનલ ન્યુઝ અને એન્ટી-નેશનલ વ્યુઝ આપવાની પ્રવૃત્તિમાં જોરશોરથી ભાગ લેવો પડતો હોય છે.

આ જ કારણોસર ‘ન્યુઝપ્રેમી’માં જાહેરખબરો પણ ઉઘરાવવામાં નથી આવતી. જે ઘડીએ એડવર્ટાઇઝરના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ ન જળવાય એ જ ઘડીએ કાં તો તમારો હાથ આમળીને તમારી પાસે તેઓ પોતાનું ધાર્યું કરાવતા થઈ જાય અને વાચકો ગેરમાર્ગે દોરવાઈ જાય, કાં પછી તમારી નૌકાને મધદરિયે હાલકડોલક કરીને ડુબાડી દેવાની ધમકી આપવામાં આવે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મીસમા સૌરભ શાહ દ્વારા 24×7 થઈ રહી છે. ( એક વાચકે ‘ વન કેન’—one pen, one man, one can—નું બિરૂદ આપ્યું છે. કોઈ એક લેખની કમેન્ટમાં છે.)

‘ન્યુઝપ્રેમી’નું લેખન-સંપાદન તથા એની સાજસજ્જા મુંબઈમાં થાય છે. ટાઇપસેટિંગ ભાવનગર અને અમદાવાદમાં થાય છે. ‘ન્યુઝપ્રેમી’ના એડમિનિસ્ટ્રેશનની જવાબદારી પૂણેથી નિભાવવામાં આવે છે અને ‘ન્યુઝપ્રેમી’ને ટેક્નિકલ સપોર્ટ બેંગ્લોર સ્થિત ગુજરાતી ટેકનોક્રેટ આપે છે. ‘ન્યુઝપ્રેમી’ની હિન્દી આવૃત્તિ માટેનું અનુવાદકાર્ય મુંબઈ – અમદાવાદમાં થાય છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here