જિસસ કોણ હતા, એમની માતા વર્જિન મેરી કોણ હતી: જીવન જોવાય છે, જન્મ નહીં

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : બુધવાર, 26 ડિસેમ્બર 2018)

પૂજ્ય મોરારિબાપુની દરેક નવ દિવસીય રામકથાના પ્રત્યેક દિવસનો આરંભ શંખનાદથી અને ત્યારબાદ હનુમાન ચાલીસાના ગાનથી થાય છે. એ પછી વેદ તથા ઉપનિષદના મંત્રોચ્ચારોથી આખોય કથામંડપ મહાન ઋષિમુનિના તપોવનસ્થિત આશ્રમ જેવા વાતાવરણથી છલકાઈ જાય છે. ત્યારબાદ બાપુને વર્ષોથી સાથ આપી રહેલા સંગીતકારો, ગાયકો અને વાદકો તબલાં, હારમોનિયમ, શરણાઈ, બેન્જો કે મંજીરાંની વારાફરતી સંગત કરીને પવિત્ર થઈ ગયેલા વાતાવરણને સ્થિર કરવામાં સહાયરૂપ થાય છે. એ પછી રામચરિત માનસની કેટલીક મનગમતી ચોપાઈઓ તથા રામજીની સ્તુતિઓનું ગાન. એ પછી દરેક કથાના પર્ટિક્યુલર વિષયને અનુરૂપ, કથાના કેન્દ્રીય વિચારને વ્યક્ત કરતી ચોપાઈ-દોહાનું ગાન. વિતેલા વીસેક કલાક દરમ્યાન જે કંઈ સાંસારિક ખલેલોથી ચિત્ત ક્ષુબ્ધ બની ગયું હોય તેનું ડિ-ટોક્સિફિકેશન કરવાની આ અદ્ભુત વિધિ કલાકેક ચાલે અને ત્યાં સુધીમાં આમતેમ ભટકતું તમારું મન હનુમાનજીની પ્રતિમાની છબિમાં કેન્દ્રસ્થ થઈ જાય, તમે પૂરેપૂરા રામમય બની જાઓ. કથામાં ક્યારેક પ્રાસંગિક રમૂજો તો ક્યારેક સંદર્ભ સાથે હિન્દી ફિલ્મની કોઈ પંક્તિ આવે કે લોકગીત કે સમૃદ્ધ ગુજરાતી કવિતા સાહિત્યમાંથી કશુંક ટાંકવામાં આવે તો એ બધા શણગાર પછી પણ તમારું ધ્યાન હનુમાનજીની જેમ રામજીમાં જ પરોવાયેલું રહે.

‘માનસ : ગણિકા’નો આજે ચોથો દિવસ. અયોધ્યાના જાણીતા દેવ-કાલી રોડ પર આવેલી, નામનાં કોઈપણ જાતના પાટિયાં વગરની, બે ફેમસ નાસ્તાની દુકાનો એકબીજાને અડીને આવેલી છે. જલેબીઓ તળાઈને ચાસણીમાં બોળાઈ રહી છે. રબડીનો થાળ તૈયાર છે. સમોસાં પણ ઊતરી રહ્યાં છે. દહીં કચોરી સાથે આ સઘળો નાસ્તો પેટમાં ઠાંસીને મેળા જેવું વાતાવરણ ધરાવતા કથાસ્થળ પર નવ વાગ્યે પહોંચીને સેટલ થઈ જઈએ છીએ. કથા દસ વાગ્યે શરૂ થશે એ પછીના 4 કલાક સુધી રામચરિત માનસનું પાન કરવાનું છે એટલે આમેય ભૂખ-તરસ ભૂલી જવાનાં છે.

આજે નાતાલનો દિવસ છે. બાપુની કથામાં રામજન્મના દિવસનું અનેરું મહત્ત્વ છે. આજે ભગવાન ઈસુનો જન્મદિવસ છે. બાપુ વ્યાસપીઠ પર સેટલ થયા એટલે મેં ‘સંગીતની દુનિયા’ પરિવારના મોભી નરેશભાઈ તથા નીલેશભાઈ વાવડિયાના ઈશારાથી મંચ પર જઈ બાપુને પ્રણામ કરીને નાતાલની શુભેચ્છારૂપે સાન્તાક્લોઝ દાદાની ફૂમતાંવાળી લાલ ટોપી એમનાં ચરણોમાં મૂકીને આશીર્વાદ લીધા – આજે આવી જ ટોપી પહેરીને કથા શ્રવણ કરવાની આજ્ઞા માગી. બાપુના આશીર્વાદ મેળવ્યા પછી અમે મિત્રોએ સાન્તાક્લોઝની ટોપીઓ અમારા થેલામાંથી કાઢીને માથા પર ગોઠવીને એકબીજાનાં ફૂમતાં સરખાં કર્યાં એક ટોપી અમારી બાજુમાં બિરાજેલાં ન્યૂ યૉર્કથી આવેલાં વિદેશી મહિલાને ભેટ આપી જેઓ અમેરિકન ઉચ્ચારણની છાંટવાળી શુદ્ધ હિન્દી બોલી શકે છે, ચોપાઈ પણ ગાઈ શકે છે. એક ટોપી બાપુના આ વખતના ગણિકાઓના લાભાર્થે જાહેર કરવામાં આવેલા ફંડમાં એક કરોડ રૂપિયાનું દાન આપનાર રમેશભાઈ સચદેવને આપી જેઓ યુ.કે.થી આવ્યા છે. સૌએ પહેરી લીધી.

એક આડ વાત: ગઈ કાલે મોડી સાંજે મિત્રો દેવ-કાલી રોડની દુકાનેથી જલેબી બંધાવીને અમારા માટે લાવતા હતા ત્યારે સહેજ ધ્યાન ચૂકાઈ ગયું અને જલેબીનું પડીકું મારા સુધી પહોંચવાને બદલે મારા બાપ-દાદાઓના પૂર્વજો કૂદકો મારીને લઈ ગયા. આજે ઉતારેથી નીકળતી વખતે મુંબઈથી લાવેલા ગાંઠિયા-પાપડીનાં પડીકાં સાથે રાખ્યાં હતાં તેમાંનું એક આવ્વા જ વાંદરાં આવીને ખેંચી ગયા. જલેબી-પાપડી એમની પાસે પહોંચી ગયા છે. કાલે હાથમાં મરચાંનું પડીકું રાખવાનો વિચાર છે.

લગભગ એક કલાક સુધી આંખો બંધ રાખીને ધ્યાનસ્થ થઈ ગયા પછી બાપુનો સ્વર કાને પડે છે: ‘બાપ!’

બાપુના હૃદયમાં બે વાત ઘૂમરાતી લાગે છે. આજનો ભગવાન ઈસુનો જન્મદિવસ અને ગઈ કાલે સાંજે પેલા ગણિકાપુત્ર યુવાને પૂછેલો પ્રશ્ન: બાપુ, હું કોઠા પર શું કામ જન્મ્યો?

ગણિકાઓ માટેના તબીબી ફંડમાં બાપુની અપીલથી અત્યાર સુધીમાં કુલ સવા ત્રણ કરોડથી વધુ રકમ માત્ર 48 કલાકમાં જ ભેગી થઈ ગઈ છે. બાપુ કહે છે કે પૈસાને લક્ષ્મીમાં કન્વર્ટ કરવાનો એકમાત્ર ઉપાય એ છે કે એને કરુણાની સાથે કરુણાના અધિકારી સુધી પહોંચાડો.

આજની કથાનું કેન્દ્રબિંદુ જે બે વિચારોના સંદર્ભમાં બંધાઈ રહ્યું હશે તેનો માહોલ બાપુને પ્રિય એવા (અને પીએમ મોદીએ એક જમાનામાં કહેલું કે એમને પણ પ્રિય છે એવા) આનંદ બક્ષીના શબ્દો ભજનના ઢાળમાં ઢાળીને ગવાય છે: કુછ તો લોગ કહેંગે, લોગોં કા કામ હૈ કહના…

બાપુ કહે છે: ‘આજે જેનો જન્મદિવસ છે એ ઈસુ બહુ માસૂમ છે. એની મા તો એનાથીય માસૂમ છે. મધર મૅરી. આ વર્જિન મૅરી કોણ હતી? ઈસુ એનો બેટો. અહીં કોણ કેવી રીતે જન્મે છે એ નથી જોવાતું. કોણ કેવી રીતે જીવી જાય છે એનું મહત્ત્વ છે.’

બાપુની વાતનો સંદર્ભ છોડ્યા વિના વિસ્તાર કરીએ. મધર મૅરીને વર્જિન મૅરી પણ કહે છે. પણ અહીં વર્જિનમાં કુંવારિકાનો અર્થ નહીં પણ અપરિણીતાનો અર્થ અભિપ્રેત છે. મૅરી અપરિણીત હતી- અનમેરીડ. વર્જિન કે અક્ષત નહીં. જેના પિતાનું નામ ખબર નથી એવા ઈસુને આ અપરિણીતા મૅરી જન્મ આપે છે. મૅરીને પણ સમાજે તરછોડી છે, તિરસ્કૃત કરી છે – એના આવા કૃત્ય માટે. અંગ્રેજી શબ્દ વાપરી ન શકાય એવો છે પણ ઉર્દૂમાં જે છોકરો કોઈનોય વારસદાર નથી એને લાવારિસ સંતાન કહે છે. જેના પિતાનો કોઈ પત્તો નથી. ઈસુ આવું સંતાન હતા.

બાપુ કહે છે: ‘બધા જ તંતુ એકબીજા સાથે સંકળાયેલા છે.’ કાલે રાત્રે પેલા યુવાને વ્યથાપૂર્વક જે સવાલ પૂછયો હતો તેનો ઉત્તર બાપુ ઈસુના જન્મદિવસના સંદર્ભમાં આપે છે: ‘જન્મ-મૃત્યુ આપણા હાથમાં નથી. એ બે છેડા વચ્ચે જીવાતું જીવન આપણા હાથમાં છે.’

બાપુ બહુ ઓછા શબ્દોમાં જે કહેવાનું હોય તે કહી દેતા હોય છે. એમની વાણી શ્લોક જેવી છે. એક પણ વધારાનો શબ્દ નહીં મળે. અમે બહુ બોલકા-બડબડ કરનારા માણસ છીએ. કોઈ વાત એક વાક્યમાં કહી શકાતી હોય તો પણ એના માટે એક આખો લેખ લખી નાખીએ. શ્લોકવાણીને લોકવાણીમાં ઢાળીએ. ઈસુનો જન્મ પણ ગઈકાલે લગભગ બસોથી વધુ ગણિકાઓ સાથે થયેલા સત્સંગ વખતે ઉપસ્થિત રહેલા ગણિકાપુત્રની જેમ જ થયો. પણ ઈસુએ નાની ઉંમરમાં (32 જ વર્ષનું આયુષ્ય) જે કામ કર્યું તેને કારણે દુનિયા આખી આજે એમનો જન્મદિવસ ઉજવે છે એવું કહીને બાપુએ પેલા યુવકને સંબોધ્યા વગર ઈશારો કર્યો કે કોઠામાં મારો જન્મ શું કામ થયો એ પ્રશ્નમાં ગૂંચવાઈ જવાને બદલે જીવન એવું જીવીએ કે લોકોને આપણો જન્મદિવસ યાદ રહી જાય, જીવન દરમ્યાન એવાં મહાન કામ કરવામાં ઓતપ્રોત થઈ જઈએ.

બાકી તો, બાપુ કહે છે: ‘અહીં વળી કોણ દૂધે ધોયેલું છે?’ સુરદાસને ટાંકીને કહે છે: ‘મો સમ કૌન કુટિલ, ખલ, કામી.’ અને વળી પાછી બાપુની સિક્સર: ‘તથાકથિત કેટલીય ધર્મધજાઓ “લહેરાતી” નથી હોતી, “ફફડતી” હોય છે!’

બાપુ કહે છે: ગણિકાઓમાં રહેલી સમદર્શિતા તો જુઓ. તેઓ કુળ, જાત, ઉંમર, કાળા-ગોરા કશું જ જોતી નથી. અને આપણે? તુલના કરવા જઈશું તો બહુ પસ્તાઈશું. ગણિકા તો નિમિત્ત છે – આપણા માટે અંદર ઝાંકવાની આ તક છે. આ કથા ‘કામ’ માટે નહીં ‘રામ’ માટે છે. ઈસુ નાની વયમાં બહુ મોટાં કામ કરી ગયા. સૌ સનાતનીઓને વિનંતી કે ઈસુનો જન્મદિવસ આપણે બહુ ભાવથી ઉજવીએ. હું તો એમના જન્મસ્થળ જેરૂસલેમમાં જઈને નવ દિવસની રામકથા ગાઈ આવ્યો છું. ઈસુના જન્મદિવસ કરતાં બમણા ઉત્સાહથી રામના જન્મનો દિવસ-રામનવમી ઉજવીએ, જન્માષ્ટમી, મહાશિવરાત્રિ, નવરાત્રિ અને હનુમાન જયંતી ઉજવીએ. સામેવાળા આપણા જેટલા ઉદાર ભલે ન હોય તે છતાં ઈસુના જન્મદિવસને બડી ચાહથી ઉજવીએ.

બાપુએ 25 ડિસેમ્બરે જન્મેલા અટલ બિહારી વાજપેયીજી તથા પંડિત મદનમોહન માલવિયાજીને પણ ભાવપૂર્વક યાદ કર્યા અને પેલા યુવક તથા એના પરિવારજનોને સંબોધીને કહ્યું: તમારા માટે વાલ્મીકિ રામાયણમાંથી એક પ્રમાણ લઈને આવ્યો છું. બાપુ સંસ્કૃતનો શ્લોક ટાંકીને એનો સીધો અનુવાદ બોલતાં ઉમેરે છે: ‘આ અનુવાદમાં મેં ક્યાંય મારી બુદ્ધિનો વઘાર નથી કર્યો.’

વાલ્મીકિ રામાયણના એ શ્લોકનો સંદર્ભ પૂરેપૂરો સમજાય એ માટે બાપુ પ્રથમ રામચરિત માનસમાં તુલસીએ લખેલી ચોપાઈ ટાંકીને કહે છે: ‘પૃથ્વી પર પરમાત્માને અવતરિત કરવાના હતા પણ તે વખતે આખી સૃષ્ટિ ભ્રષ્ટાચારથી ભરાઈ ચૂકી હતી, કોઈ ધર્મને સાંભળવા તૈયાર નહીં એવા વાતાવરણમાં ભગવાન રામના પ્રાગટ્યની તૈયારી કરવા બધા દેવો બ્રહ્માજીની આગેવાનીમાં શું કરે છે? પૃથ્વી પરના અસુર તત્ત્વોના નાશ માટે, આ સમસ્યાના ઉકેલ માટે કેવો ઉપાય સૂચવવામાં આવે છે?’

તુલસીના શબ્દો છે: ‘જય જય સુરનાયક જન સુખદાયક પ્રનતપાલ ભગવંતા’

વાલ્મીકિ રામાયણના શ્લોકનો પહેલો શબ્દ અપ્સરા છે. બાપુ કહે છે કે આ અપ્સરા એટલે દેવોની ગણિકા- દેવગણિકા. એક કથા તો એવી છે કે આ સૃષ્ટિનો જન્મ દેવગણિકા અને એક યુવાનના સંસર્ગથી જન્મેલા સંતાન દ્વારા થયો.

“હે અપ્સરાએં, મૈં અવતાર લૂં તબ આપ મેરે કાર્યમેં સહયોગ કરે ઐસે મેરે તુલ્ય (હરિતુલ્ય) પુત્રોં કો પ્રગટ કરો.”

વાલ્મીકિના શ્લોકનો આ અનુવાદ છે. અપ્સરાઓ એટલે કે દેવગણિકાઓ ઉપરાંત બીજા વર્ગોનો પણ ઉલ્લેખ છે એમાં પણ પહેલો ઉલ્લેખ અપ્સરાઓનો છે. આ સૌને બહ્માએ કહ્યું કે તમે બધાં પોતપોતાના તપ અને તેજથી સંતાન પ્રાપ્ત કરો જે અસુરોનો નાશ કરે. આનો અર્થ એ થયો કે રામકાર્યમાં જે ફોજ હતી તેમાં (ગણિકાઓના મંચ તરફ હાથ કરીને) આમનાં સંતાનો હતાં. આદિકવિ વાલ્મીકિનાં આ વચનો છે. તો બેટા (પેલા યુવકને સંબોધીને), ક્યાં જન્મ લીધો છે એની ચિંતા જવા દે, તારા પૂર્વજન્મનો હિસાબ એવો છે કે, રામતુલ્ય થઈને રામની સેનામાં જોડાઈને આસુરી વૃત્તિનો વિધ્વંસ કરીને વિશ્વમાં રામરાજ્યની સ્થાપના કરવામાં તમારું પણ યોગદાન હતું. જિસસ કોણ છે? મધર મૅરી કોણ છે?

તુલસીએ ભગવાનની લાગણી જે શબ્દોમાં વ્યક્ત કરી છે એને બાપુ ટાંકે છે: ‘સબ મમ પ્રિય, સબ મમ ઉપજાયે/ સબ તે અધિક મનુજ મોહે ભાયે’

અર્થ સિમ્પલ છે: આ આખો સંસાર મારી માયાથી ઉત્પન્ન થયેલો છે. એમાં અનેક પ્રકારના ચરાચર જીવો છે. એ બધા જ મને પ્રિય છે કારણ કે એ બધા મારું સર્જન છે (પણ) મનુષ્ય મને સૌથી વધુ પ્રિય છે.

કદાચ પેલા યુવકના પિતાના સંદર્ભમાં કે કદાચ હરિનામના સંદર્ભમાં બાપુને ‘આબરૂ’ (1968)માં મૂકેશજીએ ગાયેલી આ પંક્તિઓ યાદ આવે છે:

જિન્હેં હમ ભૂલના ચાહે
વો અકસર યાદ આતે હૈં
બુરા હોઈસ મોહબ્બત કા
વો ક્યોં કર યાદ આતે હૈં…

‘હરિરુપેણ પુત્રો પ્રગટ કરવા માટે વાલ્મીકિ રામાયણમાં આ બહેન-બેટીઓનો ખૂબ આદરથી ઉલ્લેખ થયો છે. આ પુત્રોએ જ આસુરી શક્તિઓનો નાશ કરીને દુનિયામાં રામરાજ્ય સ્થાપવામાં મદદ કરી. એ યુવકને હું ફરીવાર કહીશ કે આપણે કોઈકનું ‘કૃત્ય’ છીએ એ યાદ રાખો, જન્મ અને મૃત્યુ વચ્ચેની જે ક્ષણો જીવવા મળી છે એને યાદ રાખો. સાધુઓનું કુળ અને નદીઓનું મૂળ ન પુછાય એવું કહેવાય છે પણ હું કહું છું કે કોઈનાય કુળ કે મૂળને જાણવાની જરૂર નથી. કારણ કે સારા લોકોને પણ એમનો ભૂતકાળ હોય છે અને ખરાબ ગણાતા લોકોને એમનું નવું ભવિષ્ય હોય છે.’

બાપુ કહે છે: ‘પ્રત્યેક કથામાં મારો અને તમારો નવો જન્મ થતો હોય છે.’

બાપુની આ વાતમાં સો ટકા સત્ય છે. દરેક કથા સાંભળતી વખતે બાપુમાં કંઈક નવું ઉમેરાયેલું હોય એવું પ્રતીત થાય છે. અને એ જાણીને, સમજીને જીવીએ તો આપણામાં પણ કશુંક નવું ઉમેરાયેલું અનુભવીએ છીએ. નવું સત્ય ઉમેરાય ત્યારે આપણામાં નિ:સત્ત્વ જે કંઈ હોય તે નાશ પામતું હોય છે. પુનર્જન્મ કદાચ આને જ કહેતા હશે.

વૈશાલીની નગરવધૂ આમ્રપાલી, ઉજ્જૈનની વસંતસેના અને આગ્રાની રામજનીબાઈના સવિસ્તર ઉલ્લેખ કરીને બાપુ કહે છે કે એક જમાનામાં આ ત્રણેય નગરીઓ (ગણિકાઓનાં) કેન્દ્રો હતી. બાપુ ઉમેરે છે: પરમાત્માની રચનાઓને ઠુકરાવશો તો શું મળશે? (કંઈ નહીં મળે, માટે જ સ્વીકારી લો). કોઈ એવી રાત નથી હોતી જેને સવાર ન હોય. અને અત્યારે તો મોં સૂઝણું થવાની ઘડી આવી રહી હોય એવું લાગી રહ્યું છે. આ દુનિયામાં કોઈ દેહ વેચીને કમાય છે, કોઈ દિલ વેચીને તો કોઈ દિમાગ વેચીને કમાય છે. (બાપુએ વિવેક રાખીને કહ્યું નહીં પણ કેટલાય લોકો તો પોતાનો આત્મા વેચીને ધીકતી કમાણી કરી લેતા હોય છે).

બાપુનું કહેવું છે: પાપી ગંગામાં સ્નાન કરે તો ગંગા અપવિત્ર નથી થઈ જતી, પાપી પાવન થઈ જાય છે.

ચોથા દિવસની કથા સાંભળીને લાગી રહ્યું છે કે દરેક દિવસે કથાની ઊંચાઈ એટલી વધતી જાય છે કે નવમા દિવસે તો એ કૈલાસને આંબી જવાની.

6 COMMENTS

  1. સૌરભભાઇ, મારે તો બસ આપની કોલમ જ રામ કથા છે. કેમકે આસ્થા ઉપર થતું પ્રસારણ પણ નોકરીને લીધે જોઈ શકતો નથી. માનસ ગણિકા ના બે દિવસ પૂર્વે તલગાજરડા જઈ, પૂજ્ય બાપુના સાક્ષાત દર્શન કર્યા. એ વખતે આ વીસમી સદીના ઉત્તરાર્ધના ગાંધીજી સમાન બાપુના વિરાટ સંકલ્પો વિશે વિચારતા આંખો છલકાઇ ગઈ. રામનામી સાથે બાપુની ચા અને પ્રસાદનો લાભ લીધો. તથાકથિત બિનસાંપ્રદાયિકો, જુઓ , સમજો, સ્વીકારો. આ મારું ગુજરાત છે, જેની કરુણાની ગંગામાં સૌ કૃતાર્થ થાય છે.

  2. એકદમ સાચી વાત બોસ, કથાની ઊંચાઈ કૈલાસ ને આંબી જશે.. Thanks ખૂબ સરસ સૌરભભાઈ

  3. બાપુની અદભૂત વાતો. સત્ય, પ્રેમ, કરુણા.
    સૌરભ શાહ આપનો આભાર.. સરસ રજૂઆત બદલ.

  4. તથાકથિત ધર્મધજાઓ ફરકતી નથી હોતી
    ફફડતી હોય છે.
    વાહ સૌરભભાઈ આભાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here