બાપુ, હું કોઠા પર શું કામ જન્મ્યો?

ગુડ મૉર્નિંગસૌરભ શાહ

( મુંબઇ સમાચાર : મંગળવાર, 25 ડિસેમ્બર 2018)

સરયુ નદીને કિનારે વસેલા અયોધ્યાની રજ જીવનમાં પહેલવહેલીવાર માથે ચડાવતી વખતે તમે આ ઐતિહાસિક નગર વિશે શું વિચારો? એ જ કે ક્યારેક રાજા દશરથની આ રાજધાની હશે, ક્યારેક દશરથજીના મહેલમાં ઠુમક ચલત બાળ પ્રભુ રામચંદ્રે પગમાં પહેરેલી નાની નાની ઝાંઝરીઓનો અવાજ સંભળાતો હશે. આ અયોધ્યા નગરી રામજીનાં લગ્ન સીતાજી સાથે થયાં ત્યારે હર્ષથી નાચી ઊઠી હશે અને આ જ નગરવાસીઓ પ્રભુના વનવાસ વખતે શોકમગ્ન થઈને બહાવરા થઈ ગયા હશે. 14 વર્ષનાં વહાણાં વાયા પછી જેમના વાળમાં સફેદી આવી ગઈ હશે એવા અયોધ્યાવાસીઓના ગાલ, રામનો વનવાસ પૂરો થયા પછી ફરી હરખનાં આંસુ વડે ખરડાયા હશે.

આવી આ અયોધ્યાનગરીના એક અતિ સુંદર પવિત્ર સ્થળે અમારો ઉતારો છે અને અયોધ્યા જંક્શન સ્ટેશન અહીંથી થોડાંક જ ડગલાં દૂર છે.

અયોધ્યા એટલે મારે મન છઠ્ઠી ડિસેમ્બર પણ ખરી. અયોધ્યા એટલે મારે મન મંદિર વહીં બનાયેંગેના નારાનું ગુંજન પણ ખરું. આ અયોધ્યાનો પહેરવેશ શહેરી છે પણ એનો આત્મા ગ્રામીણ છે, પવિત્ર છે, પ્રદૂષિત નથી. કોઈ પણ પ્રવાસીને અયોધ્યા પોતાના વતનના ગામની યાદ દેવડાવે છે. એવું શું કામ હશે? ભગવાન રામ, જે દરેક ભારતીયના હૃદયમાં વસે છે એમની આ જન્મસ્થળી છે એટલે? કે પછી પૂજ્ય મોરારિબાપુ કહે છે કે ‘મારામાં અયોધ્યા વસે છે’ એવું દરેક ભારતીયને લાગતું હશે એટલે એને આ નગરમાં પોતાના વતનની ઝાંખી થતી હશે?

રેલવે ટ્રેકની પેલે પાર આવેલા શ્રીરામ મિષ્ટાન્ન ભંડારમાં સવારનો બ્રેકફાસ્ટ કર્યો. ગરમ ચનાપકોડી અને ચાના બે કપ. કથા મંડપમાં પહોંચીને જુઓ છો તો પંખા રાખવા પડ્યા નથી. વિચાર કરો અયોધ્યામાં માગસર મહિનામાં કેટલી ઠંડી હશે કે સવારે-બપોરે પંખાની પણ જરૂર ન પડે.

વિશાળ કથામંડપમાં બાપુની વ્યાસપીઠ. બાપુના જમણા હાથે બનાવેલા મંચ પર ભારતના વિવિધ નગરોમાંથી આવેલી ગણિકાઓને સ્થાન છે. ડાબે હાથે, ‘સંગીતની દુનિયા’ના એન્ક્લોઝરની પાછળ બનાવાયેલા મંચ પર સાધુ સંતો અને ધર્માચાર્યો બિરાજમાન છે. બાપુ આજે કથા દરમ્યાન આ વિગતનો ભારપૂર્વક ઉલ્લેખ કરીને સિક્સર મારતાં કહે છે કે: પણ તમને શ્રોતાઓને તમારા જમણા હાથે સાધુ સંતો નજરે પડશે અને તમારા ડાબા હાથે આ બહેન-દીકરીઓ દેખાશે – મારા માટે તો તેઓ મારા જમણા હાથે છે!

જેમના માટે ‘માનસ : ગણિકા’ થઈ રહી છે તેઓનો દિવસ અધરવાઈઝ સાંજ આથમ્યા પછી શરૂ થતો હશે. પણ અયોધ્યામાં મોરારિબાપુની રામકથા સાંભળવા આ સૌ કોઈ આટલી ઠંડીમાં પણ વહેલાસર ઊઠીને તૈયાર થઈને સમયસર કથામંડપમાં પોતાનું માનભર્યું સ્થાન લઈ લે છે.

ત્રીજા દિવસની કથાની શરૂઆત થાય તે પહેલાં એક જાહેરાત થાય છે કે આ ઉપેક્ષિતોની મેડિકલ સારવાર માટે ભંડોળ ભેગું કરવાની વાત ગઈ કાલે થઈ તેની રકમ અલમોસ્ટ બે કરોડ રૂપિયા જેટલી થઈ ગઈ છે. હજુ તો આ ત્રીજો જ દિવસ છે.

આરંભે બાપુ કહે છે કે કહાં સે શુરૂ કરું, કહાં તમામ કરું. એટલી બધી માહિતી મારી પાસે આવી રહી છે. મેરી બહેન-બેટિયાં, અપને આપ કો કભી ઉદાસ-માયૂસ મત સમજના. તમારી સાથે આ દુનિયાનો કોઈ જીવ હોય કે ન હોય શિવ તો છે જ.

આ સંદર્ભમાં બાપુ કાશ્મીરની રૂપ રૂપના અંબાર જેવી અને અત્યંત ધનિક એવી ગણિકા મહાનંદાની વાત લંબાણપૂર્વક કહે છે. મહાનંદાના ઘરે દર અઠવાડિયે રુદ્રાભિષેક કરવા બ્રાહ્મણો જતા. ખૂબ રસની કથા છે. મહાનંદા પાસે જે કોઈ આવતું-કોઈ એક દિવસ માટે, કોઈ બે દિવસ માટે, કોઈ ત્રણ દિવસ માટે – જેટલા દિવસ માટે આવે એટલા દિવસ દરમ્યાન મહાનંદા એમની સાથે એક પતિવ્રતા નારીની જેમ રહેતી. એ ગાળા દરમ્યાન બીજા કોઈ પુરુષની હાજરી તો શું, બીજા કોઈ પુરુષનો વિચાર સુદ્ધાં એના મનમાં ન હોય. એવી એની નિષ્ઠા હતી.

એક વખત એક ધનિક યુવાન મહાનંદા પાસે આવે છે. ત્રણ દિવસ એની સાથે રહેવાનો છે. કથા તો બહુ લાંબી છે અને રસપ્રદ પણ છે. ટૂંકમાં વાત કરીએ. એ યુવાનનું શરીર અમુક કારણોસર આગમાં બળી રહ્યું છે. મહાનંદા આ જોઈ રહી છે. શરીર હજુ પૂરું બળે એ પહેલાં મહાનંદા ઝડપથી સાજસજ્જા કરીને આવે છે અને યુવાનની સાથે પોતે પણ આગમાં ઝંપલાવી દે છે. ત્રણ દિવસ માટે એને પતિ માન્યો હતો. પણ હજુ ત્રણ દિવસ પૂરા નહોતા થયા. પતિવ્રતા નારીની ફરજ મહાનંદાએ નિભાવી ત્યાં જ આગની જ્વાળાઓ ઓલવાઈ ગઈ અને યુવાનનું જેમણે રૂપ ધારણ કર્યું હતું તે સ્વયં શિવ પ્રગટ થયા. મહાનંદાની નિષ્ઠાની પરીક્ષા કરવા માગતા હતા. મહાનંદા આકરી કસોટીમાંથી હેમખેમ પાર પડી. જેની સાથે કોઈ જીવ ન હોય તો એની સાથે શિવ તો હોય જ.

બાપુ ભજનના નિર્મળ અંદાજમાં પાકિઝગી સાથેના આ શબ્દો ગાય છે અને કથામંડપમાં હાજર રહેલા સૌ કોઈને આ શબ્દોને ઝીલવાનું નિમંત્રણ આપે છે: ઈન્હીં લોગોંને લે લીના દુપટ્ટા મેરા… ઈન્હીં તથાકથિત લોગોંને, બાપુ ઉમેરે છે. હમરી ન માનો સિપૈયા સે પૂછો. બાપુ હનુમાનજીને સિપાઈ બનાવે છે, રક્ષક બનાવે છે અને આ જ ગીતના રાગમાં હનુમાન ચાલીસાના આ શબ્દોને રમતા મૂકે છે: સાધુસંત કે તુમ રખવાલે…

બાપુએ ગઈ કાલે શરૂ કરેલા સાહિરના એ કાવ્યની બાકીની પંક્તિઓમાંની કેટલીક ક્વોટ કરે છે:

મદદ ચાહતી હૈ યે હવ્વા કી બેટી,
યશોદા કી હમ્જિન્સ, રાધા કી બેટી,
પયમ્બર કી ઉમ્મત ઝુલેખા કી બેટી,
જિન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ

ઝરા ઈસ મુલ્ક કે રહબરોં કો બુલાઓ
યે કૂચે, યે ગલિયાં, યે મંઝર દિખાઓ
જિન્હેં નાઝ હૈ હિન્દ પર ઉનકો લાઓ
જિન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહાં હૈ
કહાં હૈ, કહાં હૈ, કહાં હૈ…

મહાનંદા તો મોક્ષ પામી. શિવપૂજનની કસોટીમાં પાર ઊતરી એટલે શંકરે એને આશીર્વાદ માગવાનું કહ્યું. મહાનંદાએ વરદાન માગ્યું કે મને અપનાવો, મારા ગામના જેટલા જડ-ચેતન જીવો છે એ સૌને અપનાવો અને કૈલાસ લઈ જાઓ.

મહાનંદાની કથાના સંદર્ભમાં બાપુ કહે છે કે જેણે સમાજની સંસ્કારિતાને બચાવવા પોતાનાં બદન વેચ્યાં છે એમનાં બાળકોના શિક્ષણ માટે પણ સમાજે વિચારવું જોઈએ. આવું કરવું એ પૂજા પણ છે, પ્રાયશ્ચિત પણ છે. હા, પ્રાયશ્ચિત છે. એમના માટે રોજગારીની પણ કોઈ વ્યવસ્થા ઊભી કરો.

રામાયણની મૂળ કથા સૌ કોઈ જાણે છે. એ કથાની સાથે સાંપ્રત તેમ જ અમર વિષયોને વણી લઈને બાપુ કથા કહેતા હોય છે. ત્રીજા દિવસના અંતે તેઓ કહે છે: રામકથા હવે શરૂ થઈ રહી છે. રામકથા ગંગા જેવી છે. એને મોજ આવે તે રીતે વહ્યા કરે. એ કંઈ કેનાલ થોડી છે કે બે બંધિયાર કૃત્રિમ કાંઠા વચ્ચેથી વહે?

કુંભજ ઋષિના સંદર્ભમાં બાપુએ એક સરસ વાત કહી: કોઈ આપણને બહુ માનસન્માન સત્કાર આપે ત્યારે એવું નહીં માનવાનું કે આપણે મોટા છીએ એટલે આ સન્માન મળે છે. સમજવાનું કે એ એમની મોટાઈ છે કે તેઓ તમને માન આપે છે.

આજે સાંજે બાપુના ઉતારે ન ભૂતો ન ભવિષ્યતિ દૃશ્યોના સાક્ષી બનવાનું સદ્ભાગ્ય મળ્યું. કથામાં આમંત્રિત તમામ ગણિકાઓને બાપુએ ચા-નાસ્તા માટે નિમંત્રણ આપ્યું હતું. દરેકને વારાફરતી બોલાવીને શાલ-રામચરિત માનસ તથા કવર આપતી વખતે ક્યારેક એમાંની કોઈ સન્નારી પોતાની વ્યથાઓ બાપુ સમક્ષ પ્રગટ કરે તો ક્યારેક બાપુ એમની સાથે પ્રશ્નોત્તરી કરે. બાપુના હિંચકાની સૌથી નજીક બેસીને મેં જે કંઈ જોયું-સાંભળ્યું તે બધું જ દુર્લભ હતું. એનું કોઈ વીડિયો રેકોર્ડિંગ નથી, નથી કોઈ ફોટા. બધું જ મનમાં સંઘરેલું છે. પણ આ વિશે નથી લખવું. કદાચ, બાપુ આ બધી વાતોનો કાલે કથામાં ઉલ્લેખ કરશે.

કદાચ નહીં, ચોક્કસ. એમાંથી માત્ર એક સવાલ લીક કરું. એક કૉલેજિયન યુવાને બાપુને પૂછ્યું: બાપુ, હું કોઠા પર શું કામ જન્મ્યો?

આજની કથા દરમ્યાન બાપુએ એક સંદર્ભ આપીને કહ્યું કે, મને સાન્તાક્લોઝ ગમે છે. થેલામાં ભેટ લઈને બાળકોને કોઈ ખુશખુશાલ કરતું હોય તે કોને ન ગમે? બાપુને ખબર હોવાની કે કથાના આ ત્રીજા દિવસની તારીખ 24 ડિસેમ્બર છે અને આવતી કાલે 25 ડિસેમ્બર છે. નાતાલ છે. અમારો વિચાર છે કાલે કથામાં નાતાલની ઉજવણી કરવાનો. જોઈએ!

4 COMMENTS

  1. Your presentation of RamKatha is superb.the whole essence of Katha is covered. in your article.thanks a lot.

  2. “તમારી સાથે આ દુનિયા નો કોઈ જીવ હોય કે ના હોય શિવ તો છે જ”
    “કોઈ આપણને બહુ માન સન્માન આપે ત્યારે એમ નહિ સમજવાનું કે આપણે મોટા છીએ, પણ એ તેની મોટાઈ છે”

    • રામ કથા માં ઉપસ્થિતી જ રામ દરબાર ની હાજરી સમ છે ધન્યતા નો અનુભવ જ રામાનુભૂતી છે.
      શબ્દો થી પ્રત્યક્ષતા નો ભાવ પ્રગટ કરાવનાર પણ કથાકારથી કમ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here