જય વસાવડા નવી પેઢીના ખૂબ લોકપ્રિય લેખક છે, અતિ ચુંબકીય વ્યાખ્યાનો આપે છે, જગતપ્રવાસી છે અને મારા મિત્ર છે, ઘણા સારા મિત્ર છે, વર્ષો જૂના મિત્ર છે.
જય વસાવડાના અનેક વિચારો સાથે હું સહમત નથી, મારા અનેક વિચારો સાથે તેઓ સહમત નથી. આમ છતાં અમે અમારી વચ્ચેના ડિફરન્સીસને વચ્ચે લાવ્યા વિના કલાકો સુધી નિરાંતે વાતચીત કરી શકીએ છીએ- એકબીજા પ્રત્યેનો આદર અકબંધ રાખીને આ વિશાળ-હર્યાભર્યા જગતની અનેક અલકમલકની વાતો કરી શકીએ છીએ.
જય વસાવડાના અનેક ટીકાકારો છે, મારા પણ. હોવાના જ. ગાંધીજી, મોદીજી કે રજનીશજી સહિત ભારતની અને દુનિયાની અનેક હસ્તીઓ પર પથરા ફેંકનારાઓ ઘણા છે. તો ગુજરાતની અમારા જેવી- એમના રજકણ સમી- વ્યક્તિઓ ટ્રોલ થવાની જ. કશો વાંધો નથી.
જય વસાવડા આયુષ્યનાં ૫૦ વર્ષ પૂરાં કરી રહ્યા છે. ૧૯૭૩ની દશેરાએ એમનો જન્મ. અંગ્રેજી કૅલેન્ડર મુજબ ૬ઠ્ઠી ઑક્ટોબરે એમનો બર્થ ડે ઉજવાય. આ શુભ પ્રસંગને ઉજવવા મુંબઈમાં મારા ઘરે અમે કલાકો સુધી વાતો કરી. આ દીર્ઘ મુલાકાતનો ત્રીજો ભાગ આઠમી ઑક્ટોબરે YouTube પર રાત્રે ૯ વાગે રિલીઝ થશે. આ રહ્યો એનો પ્રોમો.