‘હિન્દુ આતંકવાદ’ શબ્દો ક્યા કેસથી પ્રચલિત થયા?

ગુડ મૉર્નિંગ : સૌરભ શાહ

(ન્યુઝપ્રેમી ડૉટ કૉમ, શનિવાર, ૩૦ માર્ચ, ૨૦૧૯)

સરકારી કામકાજમાં, બ્યુરોક્રસીમાં, પ્રોટોકોલનું ઘણું મહત્વ હોય. કોણ, કોને, ક્યારે મળી શકે અને કેવી રીતે મળી શકે એના નિયમો હોવાના— કેટલાક વણલખ્યા નિયમો પણ હોવાના અને કેટલાક નિયમો પરંપરાગત રીતે ચાલી આવતી રૂઢીઓને હિસાબે બન્યા હોય. ફૉરમાલિટી પાળવી પડે. એકબીજાના હોદ્દાનું માન પાળવું પડે.

ગૃહમંત્રી શિવરાજ પાટિલના એડિશનલ પ્રાઈવેટ સેક્રેટરીએ આર.વી.એસ. મણિને ( જે અંડર સેક્રેટરી તરીકે હોમ મિનિસ્ટરીમાં કામગીરી બજાવતા હતા અને જેમણે ‘ધ મિથ ઑફ હિન્દુ ટેરર’ પુસ્તક લખ્યું એમને ) ગૃહમંત્રીની કૅબિનમાં જવાનું કહ્યું. મણિસર જાણતા હતા કે ગૃહમંત્રી સાથે કેવી રીતે પેશ આવવું. હોમ મિનિસ્ટર અંડર સેક્રેટરી લેવલના અફસરને બોલાવે એવું ભાગ્યે જ બનતું. મણિસર જાણતા હતા કે આવા પ્રસંગે જ્યાં સુધી ‘પ્લીઝ હૅવ અ સીટ’ એવું બોલવામાં ન આવે કે ઈશારા દ્વારા કહેવામાં ન આવે ત્યાં સુધી સામે ચાલીને ખુરશી ખેંચીને બેસી જવાનું ન હોય. હોમ મિનિસ્ટરને ( કે પછી એવા કોઈ પણ કૅબિનેટ મંત્રી કે રાજ્યકક્ષાના મંત્રીને ) મળતી વખતે બ્યુરોક્રેટે પોતની હેસિયત મુજબનું અંતર સાહેબના ટેબલથી રાખવાનું હોય. ઉપરી અધિકારીઓ સાહેબના ટેબલની નજીકની ખુરશીમાં બેસે અને જેટલા જુનિયર તમે હો એટલા તમારે ટેબલથી વધારે દૂર બેસવાનું. પણ અફકોર્સ, સાહેબનો અવાજ તમારા કાન સુધી પહોંચવો જોઈએ. મણિસરે અન્ડર સેક્રેટરીને છાજે એવી જગ્યાએ બેઠક લીધી. એ વખતે હોમ મિનિસ્ટરની કેબિનના નાના સોફા પર બે જેન્ટલમેન બેઠા હતા. એ બે જણ તેમ જ હોમ મિનિસ્ટર પોતે— ત્રણેય એકબીજાના ગોઠિયા હોય એ રીતનું વાતાવરણ બંધાયું હતું. આમાંના એક રાજકારણી હતા જેમણે ભવિષ્યમાં આતંકવાદી ધટનાઓના સૂત્રધારોનો પક્ષ લઈને જાહેરમાં નિવેદનો કર્યા. હોમ મિનિસ્ટર જે રાજકીય પક્ષના હતા તે જ પક્ષની મધ્યપ્રદેશની સરકારના મુખ્યમંત્રી રહી ચૂકેલા. પછી જોકે, ફેંકાઈ ગયેલા. પંદર વર્ષથી એ રાજ્યમાં કૉન્ગ્રેસની સરકાર નહોતી. આતંકવાદી ઘટનાઓ માટે જે કેટલાંક જૂથો જવાબદાર હતા એમનો ખુલ્લેખુલ્લો બચાવ કરવાને કારણે એ મહાશય ખાસ્સા ચર્ચાસ્પદ બન્યા હતા અને એટલે મણિસર એમને જોયેથી ઓળખતા હતા. એ હતા દિગ્વિજય સિંહ.

બીજા મહાશય તે વખતે મણિસર માટે અજાણ્યા હતા. એ અજાણ્યા શખ્સે મણિસર પાસેથી તાજેતરમાં થયેલી આતંકવાદી ઘટનાઓની વિગતો માગી, કેટલા મર્યા, દરેક કેસનું ઈન્વેસ્ટિગેશન કેટલે પહોંચ્યું વગેરે. જે રીતે એ મહાશય મણિસર પાસેથી માહિતી કઢાવતા હતા એ જોતાં મણિસરને લાગ્યું કે આ માણસ પોલિસ અફસર હોવો જોઈએ. મણિસરને ઘણા વખત પછી ખબર પડી કે એ ઑફિસર કોણ હતા. કમનસીબે ૨૬/૧૧ના હુમલામાં એ માર્યા ગયા. એમનું નામ હેમન્ત કરકરે.

એ પછી દિગ્વિજય સિંહે મણિસર પાસે કેટલીક માહિતી માગી. મણિસરે ગૃહમંત્રી સહિત બાકીના બંનેને જણાવ્યું પણ ખરું કે અત્યારે એમના ડિપાર્ટમેન્ટના બીજા સિનિયર ઑફિસરો ઇસ્લામાબાદ છે અને એમનો પ્રવાસ પૂરો થવામાં જ છે, થોડા જ કલાકોમાં તે બધા દિલ્હી પહોંચી રહ્યા છે. આવી જાણકારી આપવી મણિસર માટે જરૂરી હતી કારણ કે કોઈને એવું ન લાગે કે હોમ સેક્રેટરીની ગેરહાજરીમાં એમનો કોઈ જુનિયર ઑફિસર ( અન્ડર સેક્રેટરી ) ગૃહમંત્રી સુધી પહોંચીને બધી માહિતી આપી રહ્યો છે.

જોકે, પેલા ત્રણેય હોમ સેક્રેટરી પાછા ફરે એની રાહ જોવા માગતા નહોતા. મણિસરને બોલાવ્યા પછી હોમ મિનિસ્ટર તો જાણે પોતાના રસનો આ વિષય નથી એવી રીતે શાંતિથી ચૂપચાપ તમાશો જોઈ રહ્યા હતા. બાકીના બે જણ જે હતા એ જ મણિસર સાથેની મીટિંગ કન્ડક્ટ કરી રહ્યા હતા. બંને જણા વચ્ચે વચ્ચે આપસમાં જે વાતચીત કરી રહ્યા હતા તેના પરથી મણિસરને લાગ્યું કે એમણે જે માહિતી આપી કે આ બધા હુમલાઓમાં ‘એક પર્ટિક્યુલર ધર્મના લોકો’ (મુસ્લિમો) સંડોવાયેલા છે એ હકીકતથી એ બંનેય કંઈ બહુ ખુશ નહોતા.

પણ જે ફૅક્ટ હતી તે તો હતી જ. ઈન્વેસ્ટિગેટિંગ એજન્સીઓ તરફથી ઈન્ટરનલ સિક્યુરિટી ડિવિઝન પાસે જે કંઈ માહિતી આવતી એ અત્યંત આધારભૂત સોર્સિસ સિવાય બીજા કોઈ સૂત્રો તરફથી મણિસરને માહિતી નહોતી મળી. પણ હોમ મિનિસ્ટરની ઑફિસમાં પેલા બે ( દિગ્વિજય અને કરકરે ) જે ગુસપુસ કરી રહ્યા હતા તેના પરથી ક્લિયર હતું કે મુસ્લિમો આતંકવાદીઓની મદદ કરી રહ્યા હતા એવી ઈન્ટેલિજન્સવાળાઓએ શોધી કાઢેલી કડીઓથી બંનેય નારાજ હતા. જે રીતે મણિસર પાસેથી આ બેઉ માહિતી કઢાવતા હતા તેના પરથી મણિસરને સ્પષ્ટ થઈ ગયું હતું કે એ માહિતી જેમના તરફથી આવી હતી ( ઈન્ટેલિજન્સ એજન્સીઓ તરફથી ) એમના પર એ બેઉને ભરોસો નહોતો અને તેઓ નાંદેડ, બજરંગ દળ વગેરેના ઉલ્લેખો કરીને આ એજન્સીઓની ભરોસાપાત્રતા સામે જાણે શંકા વ્યક્ત કરી રહ્યા હતા.

નાંદેડનો કિસ્સો શું હતો? હિન્દુઓ ટેરરિસ્ટ છે એવી અફવા ફેલાવવાની શરૂઆત આ કેસથી થઈ. ત્યાં સુધી આપણે ‘હિન્દુ આતંકવાદ’ જેવા કોઈ શબ્દો ક્યારેય સાંભળ્યા નહોતા.

પેલા બેઉ જણાની વાત પરથી લાગતું હતું કે નાંદેડમાં કોઈ બૉમ્બધડાકો થયો હતો જેનો સંબંધ બજરંગ દળ સાથે હતો. હવે મઝાની વાત જુઓ. હોમ મિનિસ્ટરની ઑફિસમાં ૧ જૂન ૨૦૦૬ના દિવસે મણિસરને બોલાવવામાં આવ્યા. મણિસરના ઈન્ટરનલ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટને નાંદેડના બૉમ્બધડાકા વિશે કશી જાણકારી નહોતી. પછીથી મણિસરને ખબર પડી કે અઠવાડિયા અગાઉ, ૨૪ મે ૨૦૦૬ના રોજ નાંદેડમાં એક બૉમ્બધડાકો થયો હતો. એમાં બજરંગ દળની ‘સંડોવણી’ હતી એ વિશે પણ મણિસરને ક્યાંથી ખબર હોય.

નાંદેડના આ કેસનું થોડું બૅકગ્રાઉન્ડ જાણી લઈએ પછી મણિસર સાથેની વાતને એની સાથે જોડી દઈએ.

૨૦૦૬ની ૨૪મી મેના રોજ સમીર કુલકર્ણી નામના હિન્દુની વર્કશોપમાં ‘બૉમ્બધડાકો’ થયો હોવાના સમાચાર પોલિસને મળ્યા. સમીર કુલકર્ણી કયારેક બજરંગ દળના કાર્યાલયે જતો. એટલે વાત એવી ચગાવવામાં આવી કે સમીર કુલકર્ણી પોતાની વર્કશોપમાં પાઈપ બૉમ્બ બનાવતો હતો ત્યારે અકસ્માતે બૉમ્બ ફૂટ્યો, ધડાકો થયો અને આગ લાગી. સી.બી.આઈ.એ આ તપાસ પોલિસ પાસેથી પોતાના હાથમાં લીધી. સી.બી.આઈ.ના ઈન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું કે નાના સેન્ટરો પર નાનો ધંધો લઈને બેઠેલા લોકોમાંથી ઘણા એવા હોય છે જેઓ બિસનેસમાં મંદી હોય ત્યારે પોતે જ પોતાના પ્રિમાઈસિસને આગ લગાડીને ઈન્સ્યોરન્સ કંપનીને છેતરીને રોકડી કરી લે. સમીર કુલકર્ણીએ આવી જ બદમાશી કરી હતી. એ કોઈ બૉમ્બવૉમ્બ બનાવતો નહોતો.

સી.બી.આઈ.ના સુપરવાઈઝરી અફસર તથા સિનિયર મૅનેજમેન્ટે આ જે તપાસ કરી એમાં ‘ફેરફારો’ કરવાના દબાણને વશ થયા વિના કોઈ ચાર્જ ફ્રેમ કર્યા વિના કેસ બંધ કરી દીધો. ઉપરવાળા આકાઓનું કહ્યું ન માનવા બદલ, હકીકતો સાથે ચેડાં કરીને ‘ફેરફારો’વાળો નવો (બનાવટી) રિપોર્ટ તૈયાર ન કરવા બદલ અધિકારીને સજા થઈ. એમનું નામ સી.બી.આઈ.ના નેક્સ્ટ ડિરેક્ટર તરીકે બોલાતું હતું. એમને ડિરેક્ટર તરીકે બઢતી ન મળી.

જે કેસ કોઈ રીતે ટેરર કે આતંકનો હતો જ નહીં તેને મીડિયાએ ચગાવ્યો. નાઉ એન્ટર્સ તીસ્તા સેતલવાડ. એણે સુપ્રીમ કોર્ટમાં સી.બી.આઈ. વિરૂદ્ધ ફરિયાદ કરી. પીયુસીએલ નામની એનજીઓ પણ એમાં કૂદી પડી. પીપલ્સ યુનિયન ઑફ સિવિક લિબર્ટીઝ જેવું રૂપાળું નામ ધરાવતી આ સંસ્થાએ દેશનું ઘણું મોટું નુક્સાન કર્યું છે. સેક્યુલરો અને લેફ્ટિસ્ટોને મીડિયા સાથે ઘણા સારા સંબંધો હોવાના કારણ કે મીડિયામાં એમણે જ પોતાના માણસો દરેક સ્તરે ગોઠવી દીધા હોય છે. ૨૦૦૮માં સી.બી.આઈ. પાસે નાંદેડનો કેસ રિઓપન કરવામાં આવ્યો. આ કેસને માલેગાંવ બૉમ્બ બ્લાસ્ટ કેસ સાથે સાંકળી દેવામાં આવ્યો. લેફ.કર્નલ પુરોહિતને આ કેસમાં આરોપી બનાવીને એમની ધરપકડ કરવામાં આવી. સી.બી.આઈ.એ નાંદેડ કેસમાં દસ જણની ધરપકડ કરી પણ કહ્યું કે અમે એમની પાસેથી કોઈ માહિતી મેળવી શકતા નથી.

કેવી રીતે મળે? જે કેસ બૉમ્બ બ્લાસ્ટનો હતો જ નહીં તે કેસમાં તમે બૉમ્બ કેવી રીતે ફૂટ્યો એના સગડ મેળવવાની કોશિશ કરો તો કેવી રીતે એમાં આગળ વધી શકો?

૨૦૦૬ની પહેલી જૂનથી જે નગણ્ય કેસ બનનાવવાની ખટપટ પેલા બે જણ (દિગ્વિજય અને કરકરે) કરતા હતા તેઓ છેવટે કાગનો વાઘ બનાવીને જ ઝંપ્યા. નાંદેડના આ કેસને મારી મચડીને ‘હિન્દુ આતંકવાદ’નો કેસ બનાવીને મીડિયામાં પ્લાન્ટ કરવામાં આવ્યો. સેક્યુલર મીડિયાને તો જાણે ગોળનું ગાડું મળી ગયું. દેશભરમાં ‘હિન્દુ આતંકવાદ’ની ભ્રમણા ફેલાવવામાં મીડિયા સફળ રહ્યું.

નાંદેડના કેસ પછી કૉન્ગ્રેસને ખાતરી થઈ ગઈ કે ‘હિન્દુ આતંકવાદ’ની ભ્રમણા ફેલાવવામાં સેક્યુલર મીડિયા એમની સાથે છે એ પછી સમીર કુલકર્ણી અને કર્નલ પુરોહિત ઉપરાંત સ્વામી અસીમાનંદજી, સાધ્વી પ્રજ્ઞાદેવી અને બીજા અનેક હિન્દુઓને માલેગાંવ, સમઝૌતા, મક્કા મસ્જીદ, અજમેર શરીફ વગેરે કેસીસમાં એક પછી એક સંડોવવામાં આવતા ગયા.

વધુ કાલે.

આજનો વિચાર

કૉન્ગ્રેસના રાજમાં સોનિયા ગાંધી વિશ્વનાં ચોથા સૌથી ધનિક મહિલા બન્યા. મોદીના રાજમાં ભારત વિશ્વનો ચોથો સૌથી શક્તિશાળી દેશ બન્યો. હવે વોટ તમારો. ફેંસલો તમારો.
_વૉટ્સએપ પર વાંચેલું.

એક મિનિટ!

રાહુલ: હું જીતીશ તો દરેકના ખાતામાં ૭૨,૦૦૦ રૂપિયા નાખીશ.

બકો: અત્યારે જ નાખી દે, તું હારીશ તો અમે તને પાછા આપી દઈશું!

3 COMMENTS

  1. હિંદુઓ જ હિન્દુઓના દુશ્મન કેમ બને છે ? સરકાર અને મીડિયા પણ મોટા ભાગે હિન્દુઓનું જ બનેલું છે ને.પાકિસ્તાનની સરકાર આ રીતે બળજબરીથી મુસ્લિમોને ફસાવે ખરી ?

  2. Bhasha ni ane samaj ni maryada aave chhe etle nahito aa haramkhoro mate gandi gal sivay kai lakhayaj nahi comment ma ……….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here