બચ્ચનજી અને સચિનના બનારસી ગુરુજી : સૌરભ શાહ

(બનારસમાં પાંચ દિવસ: ભાગ 6)
(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શનિવાર, 23 મે 2020)

આજે બનારસ શહેરની નહીં પણ એક એવા બનારસીબાબુની વાત કહું જે જગમશહૂર છે. વેલ, અલમોસ્ટ. અમિતાભ બચ્ચન અને સચિન તેન્ડુલકરના જ્યોતિષ ડૉ. ચંદ્રમૌલિ ઉપાધ્યાયનો ઉલ્લેખ સિરીઝના આરંભે જ કર્યો. ઉપાધ્યાય ગુરુજીને મળવા જતાં પહેલાં જ્યોતિષ વિશેના મારા અંગત અભિપ્રાયોને મેં એક ખૂંટે બાંધી દીધા હતા. મારો મત તો મેં એક કરતાં વધારે વાર મારાં લખાણોમાં વ્યક્ત થવા દીધો છે અને મારા કોઈ એક જૂના પુસ્તકમાં પણ એક દીર્ઘ લેખ એ વિષેનો મેં લીધો છે.

બનારસ હિન્દુ યુનિવર્સિટીની લાઈબ્રેરી જેટલી સમૃદ્ધ છે એટલી જ સમૃદ્ધ અહીંની સંસ્કૃત ફેકલ્ટી છે,સ્વાભાવિક છે. સંસ્કૃત માટે તો આ શહેર જગતઆખામાં રાજધાનીનું નગર ગણાય છે. બનારસમાં એક આખી અલગ જ સંસ્કૃત વિદ્યાપીઠ છે પણ એ પવિત્ર વિદ્યાધામની અમારી મુલાકાત ગોઠવાય એટલો સમય રહ્યો નહીં. બીએચયુની સંસ્કૃત ફેકલ્ટીમાં એક આખો ડિપાર્ટમેન્ટ જ્યોતિષ વિદ્યાનો છે. આ વિભાગના વડા ડૉ. ચંદ્રમૌલિ ઉપાધ્યાયે અમને આપેલા સમય કરતાં અમે ખાસ્સા એવા મોડા છીએ. હૃદયપૂર્વક ક્ષમાપ્રાર્થીને અમે એમની ડેસ્ક સામેની મુલાકાતીઓ માટેની ખુરશીમાં ધીમેકથી ગોઠવાઈ જઈએ છીએ, કારણ કે અત્યારે એમના હાથ નીચે ભણતો વિદ્યાર્થી એમને પોતાની કુંડળી બતાવી રહ્યો છે. કોઈની અંગત વાત સંભળાય નહીં અને સાંભળી હોય તો બીજાને કહેવાય નહીં એવું અમે સજ્જડપણે માનીએ છીએ પણ અહીં તમને ખબર નથી પડવાની કે એ વિદ્યાર્થી કોણ હતો એટલે કોઈની પ્રાઈવસીમાં ભંગ નથી થઈ રહ્યો. વિદ્યાર્થીની મૂંઝવણ એ હતી કે એ પિતાની ફેક્ટરીમાં જોડાવા માગે છે પણ પિતા એને પોતાના ધંધામાં આવવા નથી દેતા! જરાક કૉમિક સિચ્યુએશન હતી. નૉર્મલી આના કરતાં જુદી જ સમસ્યા હોય. યંગસ્ટર પોતે બાપના ધંધામાં પડવાને બદલે પોતાની રીતે કોઈ બીજા ક્ષેત્રમાં ઝંપલાવવા માગતો હોય તે બાપા એના પર ઈમોશનલ અત્યાચાર કરતા હોય કે બેટા, આ જે કંઈ છે તે તારું જ છે ને, તું આ ફેક્ટરી નહીં સંભાળી લે તો બીજું કોણ આનું ધ્યાન રાખશે.

ગુરુજી એને ગણતરી સાથે સમજાવે છે કે અત્યારે તારી સારી સાડા સાતી ચાલી રહી છે એટલે જે થશે તે સારા માટે થશે અને પ્રિસ્ક્રિપ્શનરૂપે એને ગોમેદનું રત્ન પહેરવાનું લખી આપ્યું.

ઉપરની તસવીરમાં યોગી આદિત્યનાથની બાજુમાં અને નીચેના ફોટામાં વડા પ્રધાનની પાછળ તથા એમના કાંડે નાડાછડી બાંધી રહેલા બનારસ હિન્દુ યુનિવર્સિટીની સંસ્કૃત ફેકલ્ટીના જ્યોતિષ ડિપાર્ટમેન્ટના વડા ડૉ. ચંદ્રમૌલિ ઉપાધ્યાય. શાસ્ત્રો કહે છે કે જેને નાડાછડી બાંધો એને બ્રહ્મા પાસેથી કીર્તિ, વિષ્ણુ પાસેથી સુરક્ષા મળે, મહેશ એના અવગુણોનો સર્વનાશ કરી નાખે; લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતી એના પર કૃપા વરસાવે.



વિદ્યાર્થીના ગયા પછી અમને કહે કે આપ મોડા આવ્યા છો, કોઈ વાંધો નહીં, પણ આ રીતે ત્રણેક જણ બીજા આવવાના છે તો વચ્ચે વચ્ચે વિક્ષેપ પડતો રહેશે, વાંધો નથી ને?

અમને શું વાંધો હોય. વળી વાંક તો અમારો જ હતો. અમે ગુરુજીને પ્રશ્નો પૂછતા ગયા, તેઓ વિગતે ઉત્તર આપતા ગયા. પછી તો એવા ખિલ્યા કે અમારા પૂછ્યા વિના જ ઘણી બધી વાતો કરતા રહ્યા. આ છે એમની જીવનકહાણી : ડૉ. ચંદ્રમૌલિએ અમને કહ્યું કે ૩૫ વર્ષની ઉંમર સુધી તો મારે દર મહિને ખાવા-પીવાનાય સાંસાં હતા. લગ્ન તો થઈ જ ચૂકેલા. દીકરો પણ મોટો થઈ રહ્યો હતો. પૈસાના અભાવે ક્યારેક પિતા પાસે સોએક રૂપિયા જેવી મામુલી રકમ માટે હાથ લાંબો કરવો પડે તો શરમના માર્યા ભોંયમાં પેસી જવા જેવું થતું. પિતા એ વખતે આ જ ડિપાર્ટમેન્ટના હેડ હતા. ડૉ. ચંદ્રમૌલિના કહેવા મુજબ અનુપમ ખેર અને પોતે એક જ ઉંમરના. અનુભવના પણ તેઓ ગુરુજી છે. બેઉ અત્યારે (2017માં) ૬૧ વર્ષના. મીન્સ કે પચીસેક વર્ષમાં જ ગુરુજીએ આટલી વિરાટ પ્રગતિ કરી.

પુત્રે પણ ભવિષ્ય ભાખવાનું નક્કી કર્યું છે એ જાણીને પિતાએ કહી દીધું: મારા એક પણ કલાયન્ટને હું તારી પાસે મોકલવાનો નથી, અને તારે પણ એમની પાસે જવાનું નહીં, એ સામેથી આવે તો પણ નહીં લેવાના… તું તારા કલાયન્ટો જાતે શોધી લેજે.

આર્થિક સંકડામણમાંથી મુક્તિ મેળવવા ઉપાધ્યાયજીએ લોકોની કુંડળીઓ બનાવવાનું કામ શરૂ કર્યું. કોઈની પાસે પૈસા તો મગાય નહીં. ક્યારેક કોઈ મહેનત કરાવીને એક રૂપિયોય ન પરખાવે એવું બને. તો ક્યારેક દસ-વીસ રૂપિયાની દક્ષિણા મૂકતા જાય. એમાંથી એમણે લોકોને કુંડળી જોઈ આપવાનું કામ શરૂ કર્યું. પિતાજી ઑલરેડી મોટા જ્યોતિષાચાર્ય હતા. ઈન્દિરા ગાંધી એમને કન્સલ્ટ કરતા. પુત્રે પણ ભવિષ્ય ભાખવાનું નક્કી કર્યું છે એ જાણીને પિતાએ કહી દીધું: મારા એક પણ કલાયન્ટને હું તારી પાસે મોકલવાનો નથી, અને તારે પણ એમની પાસે જવાનું નહીં, એ સામેથી આવે તો પણ નહીં લેવાના… તું તારા કલાયન્ટો જાતે શોધી લેજે.

બચ્ચનજી પરનાં કાળાં ડિબાંગ વાદળાં ધીમે ધીમે વિખેરાતાં જાય છે. સંકટો દૂર થવાની શરૂઆત થઈ.

નરેશ ગોયલ એમના પહેલા ક્લાયન્ટ. પોતાની જેટ ઍરવેઝની ટિકિટ મોકલીને એમને દિલ્હી બોલાવ્યા. ધીમે ધીમે ક્લાયન્ટો વધતા ગયા. એક દિવસ અમરસિંહ સાથે મુલાકાત થઈ. અમરસિંહના એ ચડતીના દિવસો હતા, પણ એમના મોટાભાઈ જેવા મિત્ર અમિતાભ બચ્ચનના પડતીના. બૅન્ગલોરમાં મિસ વર્લ્ડની ઈવેન્ટ ફલોપ જતાં એબીસીએલ ભારે મુસીબતમાં આવી ગઈ હતી. એ પછી એમબીએની ડિગ્રી ધરાવતા મેનેજરો બચ્ચનજીને ફલૉપ કેવી રીતે જવું એની પ્રેરણા આપતા રહ્યા. એક તબક્કે જુહુના દસમા રસ્તા પરના કૉર્નરનો ‘પ્રતીક્ષા’ બંગલો કૅનેરા બૅન્કવાળા ટાંચમાં લેવાના હતા. જયા બચ્ચને ઘર ચલાવવા નિર્માતા સંજય ગોરડિયાના ‘બા રિટાયર થાય છે’ નાટકના હિન્દી વર્ઝનમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આ ગાળામાં અમરસિંહ ડૉ. ચંદ્રમૌલિ ઉપાધ્યાયને અમિતાભ બચ્ચન સાથે મેળવે છે. બચ્ચનજી માટે બનારસના સંકટ મોચન હનુમાનજીના મંદિરમાં મોટી પૂજા થાય છે. બચ્ચનજી પરનાં કાળાં ડિબાંગ વાદળાં ધીમે ધીમે વિખેરાતાં જાય છે. સંકટો દૂર થવાની શરૂઆત થઈ. બીપીએલની ઍડ માટેનો કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ, કૌન બનેગા કરોડપતિનો આરંભ, એ પછી યશ ચોપરાની ‘મહોબ્બતે’માં શાહરુખ ખાન સામે ટક્કર. એક નવા જ બચ્ચનજી ઊભર્યા. એમને જેટલી હાશ થઈ હશે એના કરતાં વધારે આપણા જેવા એમના કરોડો ચાહકોને હાશ થઈ હશે. આપણા પર આવું સંકટ આવે તો બંગલો વેચીને ફલેટમાં કે પછી ફલેટ વેચીને મુંબઈના દૂર દૂરના સબર્બમાં કે પછી મુંબઈ છોડીને દેશમાં જતા રહીએ. બચ્ચનજી કેવી રીતે જઈ શકે? અને જાય પણ શું કામ?

બચ્ચનજીના ઘરે અભિષેકના લગ્ન પ્રસંગે સચિન તેન્ડુલકર પણ મહેમાન હતા. ઓળખાણ થઈ. ઘણા વખત પછી સચિન આઉટ ઑફ ફૉર્મ છે એવી બૂમરાણ મચી. ટીમમાંથી પડતો મૂકો એવી માગણી ઊઠી. પણ સચિન માટે એ માત્ર એક ખરાબ પિરિયડ હતો. ડૉ. ચંદ્રમૌલિને તેડું આવ્યું. તે વખતે સચિનનો બાન્દ્રામાં બંગલો નહોતો, ફલેટમાં રહેતા. જ્યોતિષાચાર્યને ક્ન્સલ્ટ કર્યા પછી સચિનનો આત્મવિશ્ર્વાસ વધ્યો. બીજી અનેક સેન્ચ્યુરીઓ ફટકારી, બીજા ઘણા વિશ્વવિક્રમો સર્જ્યા.

અમારે ગુરુજી પાસેથી જે જાણવી હતી તે એક જ વાત હતી કે ગુરુજી, આવું શું કામ થતું હોય છે જીવનમાં. માણસ છેક શિખરે પહોંચી જાય ત્યારે જ શું કામ ધડામ દઈને પટકાતો હોય છે?

ડૉ. ચંદ્રમૌલિ ઉપાધ્યાયે અમને ગાંઠે બાંધી રાખવા જેવી વાત કરી: સૌરભજી, ચડતી પછી પડતી આવતી જ હોય છે અને લખી રાખો કે દરેક પડતી પછી ચડતી પણ આવવાની જ હોય છે. ઊંચે પહોંચેલી વ્યક્તિ નીચે પટકાય છે તેનું કારણ એ કે હવે એણે અગાઉના કરતાં પણ મોટી ઊંચાઈ મેળવવાની હોય છે.

ગુરુજીની વાતોમાં સચ્ચાઈનો રણકો હતો, અનુભવસિદ્ધ રણકો હતો એ.

એક આસિસ્ટન્ટ આવીને કહી જાય છે કે બહાર ત્રણ જણ રાહ જોઈને બેઠા છે. ગુરુજીએ કહ્યું: ‘એમને કહો કે હજુ રાહ જોવી પડશે. મુંબઈથી મહેમાનો આવ્યા છે.’

પછી મોડે સુધી એમની સાથે વાતો થતી રહી—થોડી અલકમલકની, થોડી ઑફ ધ રેકૉર્ડ. બનારસ હિન્દુ યુનિવર્સિટીની ઊડતી પણ ભરપૂર પ્રસન્નતાસભર મુલાકાત બાદ મોડી સાંજે અમારે પંડિત શિવકુમાર શર્માના સંતૂરવાદનના જલસામાં પહોંચવાનું હતું.

12 COMMENTS

  1. સર , ડૉક્ટર ચંદ્રમૌલિજીએ કહેલી ગાંઠે બાંધી રાખવા જેવી વાત અહીં શૅર કરવા બદલ આપનો આભાર. આવા બીજા લેખ મૂકતા રહો. જાણવાનો અને વાંચવાનો ખૂબ આનંદ આવે છે.

  2. જયોતિષ શાસ્ત્ર એટલે ડૂબતાને (તણખલા નો?) સહારો. …માણસ જ્યારે ખૂબ નિરાશ થઈ ગયો હોય ત્યારે તે જ્યોતિષી નો હાથ પકડે છે….સારું થાય તો સારું નહીતો તેના ભાગ્ય !!

    સુંદર યાત્રા લેખ…???

  3. Very value able information

    While reading it feels that reader is roaming in streets of Banaras

  4. બનારસ વિશે ના લેખ ની હમેંશા પ્રતિક્ષા રહતી હોય છે ખુબજ સરસ લેખ

  5. Thank you very much for such an informative articles on our heritage. In today’s era not many Journos are putting efforts to write and spread lights on our rich heritage. Looking forward to reading more such articles.
    Once again thanking you respectfully.

  6. વાહ.. સવાર થી રાહ જોતો હતો..હવે તૃપ્ત થયો. લખતા રહેજો સૌરભ ભાઈ.. આ બનારસ ટ્રીપ ખૂબજ સરસ રજૂઆત કરી છે સાહેબ.. આગળ હજી પણ લખજો સાહેબ..જ્યાં સુધી મુંબઈ ના આવે..?વંદન સાથે આપનો વાચક મિત્ર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here