ધનની મર્યાદા અને લક્ષ્મીની મહત્તા અને સમજવાનો ઉત્સવ : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક : શુક્રવાર, ૧૦ નવેમ્બર ૨૦૨૩)

આજે ધન તેરસ પ્રસંગે ધનને લગતો એક કિસ્સો યાદ આવે છે.

રામ માધવ એ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાષ્ટ્રીય પ્રવક્તા હતા. એ પછી તેઓ ભાજપના વન ઑફ ધ જનરલ સેક્રેટરીઝ બન્યા. હું વાત ર૦૦૨ અને ર૦૦૪ વચ્ચેના ગાળાની કરું છું. દેશમાં ટોટલી એન્ટી-હિન્દુ માહોલ હતો, થૅન્ક્સ ટુ ટોટલી સેક્યુલર મીડિયા. રામ માધવના ઈનિશ્યેટિવથી દેશભરના હિંદુત્વના વિચારકો ભેગા થાય, આપસમાં હળેમળે, ચર્ચા કરે એવા આશયથી એક હિન્દુ થિન્કટૅન્ક જેવી અનૌપચારિક પ્રવૃત્તિ શરૂ થઈ. લાલ કૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, અરુણ શૌરીથી માંડીને મારા જેવા કેટલાંક અજાણ્યા નામો સહિતના પચાસ-સાઠ વિચારકો વરસમાં એક વાર ત્રણ દિવસ દરમિયાન મળે.

વિવિધ વિષયો પર ચર્ચા થાય. નરેન્દ્ર મોદી એ વખતે ગુજરાતમાં અને ત્રણ દિવસ પછી છેલ્લી સેશન પૂરી થાય એટલે અચૂક ફોન કરીને પૂછે કે ગુજરાત વિશે કયા કયા મુદ્દા ચર્ચાયા.

પ્રથમ વર્ષની આવી બેઠક પછી સાઠમાંથી બાર જણને પસંદ કરીને એક કોર-કમિટી બની જેમાં મારો સમાવેશ હતો.

આવી કોઈ એક બેઠકમાં મીનાક્ષી જૈન તરફથી એક સૂચન આવ્યું. તેઓ મહાન પત્રકાર ગિરિલાલ જૈનનાં પુત્રી થાય. ગિરિલાલ જૈન ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના તંત્રી હતા. હસમુખ ગાંધી જેવા આસાનીથી ન રીઝે એવા પત્રકાર ગિરિલાલ જૈનનાં બે મોઢે વખાણ કરતા. મીનાક્ષી જૈન સ્વયંપ્રકાશિત વિદુષી છે. હિંદુત્વ વિશે ખૂબ ઊંડો અભ્યાસ કરીને એના વિવિધ પાસાં પર માઈન્ડ બોગલિંગ પુસ્તકો લખ્યાં છે. એમના તરફથી એક સૂચન આવ્યું.

સૂચન એવું હતું કે કૉન્ગ્રેસના રાજમાં જેમ સામ્યવાદી અને સેક્યુલર વિચારકો-પત્રકારો-લેખકોને વધુ પાવરફુલ બનાવવા સરકાર તરફથી જાતજાતના નાનામોટા તોતિંગ લાભો અપાતા રહ્યા જેને કારણે આ લોકોની વિચારસરણી વધુ વધુ ફેલાતી ગઈ એમ વાજપેયી સરકારે પણ હિંદુત્વનું કામ કરનારા વિચારકો વગેરેનું ‘ભલું’ કરવું જોઈએ.

મીનાક્ષી જૈનના આ સૂચન પાછળનો વિચાર કંઈ હિંદુત્વના વિચારકો-પત્રકારો વગેરેને લલચાવીને ભ્રષ્ટ કરવાનો નહોતો. વધુ ને વધુ વિચારકો આ તરફ આકર્ષાય એવો શુભ આશય હતો. મીનાક્ષી જૈનના આ વિગતવાર સૂચન પછી બેઠક ચર્ચાવિચારણા માટે ખુલ્લી મુકાઈ ત્યારે આ સૂચનનો નમ્રપણે પરંતુ સ્પષ્ટ વિરોધ કરનારાઓમાં હું સૌથી પહેલો હતો. વિરોધ માટેનાં મારાં કારણો અલમોસ્ટ બધાએ એપ્રિશ્યેટ કર્યાં, મીનાક્ષીજીએ પણ.

હવે આજથી આઠેક વર્ષ પહેલાંનો એક પ્રસંગ. આ વાતનો અછડતો ઉલ્લેખ વડોદરામાં એક વરિષ્ઠ આદરણીય લેખકને ત્યાં અમે મિત્રો બેઠા હતા ત્યારે નીકળ્યો. મીનાક્ષી જૈનવાળી વાતનો ઉલ્લેખ સાંભળીને મારા એક મિત્રે કહ્યું કે એમાં ખોટું શું છે, જે સારું કામ છે તે કરવા માટે સરકાર સપોર્ટ કરે તો લેખકો જરા મોકળા મને જીવી શકે. મેં એમને સમજાવ્યું કે હિંદુત્વ વિશે લખવાથી બહુ પૈસા મળે છે કે પછી બીજા-ત્રીજા લાભો મળે છે એવું વાતાવરણ બન્યા પછી તદ્દન ખોટા લોકો, કોઈ જાતના કન્વિક્શન વિના, લખતા થઈ જશે અને જેઓ ઑલરેડી કોઈ લાભની અપેક્ષા રાખ્યા વિના લખી રહ્યા છે એમની આબરૂ ધોવાઈ જશે.

આદરણીય વરિષ્ઠ લેખકે મારા ટેકામાં કહ્યું, ‘સૌરભની વાત સાચી છે. ધારો કે, એ આવા લાભ લેતો થઈ જાય તો એની કલમનું સત ઓછું થઈ જાય, એનું તેજ જતું રહે.’

આ વાત તે વખતે નવી શરૂ થયેલી અર્ણબ ગોસ્વામીની ‘રિપબ્લિક’ ચેનલ પરની ચર્ચાથી શરૂ થઈ હતી જેમાં બરખા-રાજદીપનાં નામો ઉમેરાયાં અને વાત આ તરફ ફંટાઈ ગઈ. પછી તો બીજી અનેક ક્ષેત્રની વાતો થઈ.

મુંબઈ પાછા આવતાં આ મુદ્દા પર રિફ્લેકશન કરતો હતો ત્યારે મને ત્રણ મુદ્દાઓ આ વિશે મળ્યા જે તમારી સાથે શેર કરવા માગું છું. આમેય ધનતેરસથી દિવાળી સુધીનો માહોલ લક્ષ્મીપૂજન, ચાંદીના સિક્કા અને ધનની મહિમા સ્થાપિત કરવાના પવિત્ર દિવસો છે. એટલે આ ટૉપિકનું રિલેવન્સ અત્યારે વધી જાય છે. આ વાત બધાને લાગુ પડે છે કે નહીં એની મને ખબર નથી, સૌને લાગુ પડવી જ જોઈએ એવો કોઈ આગ્રહ પણ નથી, પરંતુ જેમની આજીવિકા મા સરસ્વતીની કૃપાથી આવતી હોય, અને માત્ર મા સરસ્વતીની કૃપાથી જ આવતી હોય એમના માટે આ ત્રણ મુદ્દાઓ રિલેવન્ટ છે. તમે વાંસળીવાદક હો, પ્રોગ્રામોમાં સરસ બાંસુરીવાદન વગાડતા પણ હો પણ તમારી આજીવિકાનું મુખ્ય સાધન તમારી દવાની દુકાન હોય કે પછી એલઆઈસીના એજન્ટ તરીકે તમે તમારું ગુજરાન ચલાવતા હો અને સાઈડમાં કોઈ છાપામાં તમે કૉલમ પણ લખતા હો એવા લોકો આમાં ન ગણાય.

૧. હું જે લખું એમાંથી પૈસા મળે અને મને પૈસા મળે એ માટે હું લખું—આ બંને તદ્દન જુદી બાબતો છે.

મારી કોઈ ચોપડી બહુ વેચાય અને એમાંથી મને બહુ રૉયલ્ટી મળે (અને એ રૉયલ્ટીમાંથી હું ‘એન્ટિલા’ કરતાં પણ ઊંચો બંગલો બનાવું) તો એ આવકાર્ય છે.

પણ મારી પાસે ઘરનું ભાડું ભરવાના પૈસા નથી એટલે હું મારી નીતિમત્તા વિરુદ્ધનું, મારા સિદ્ધાંતો કે મારી માન્યતામાં ન બેસતું હોય એવું લખવાનું કામ કરું તો એ આવકાર્ય નથી.

હું અમુક પુસ્તક એવું લખું જે મરણ પ્રસંગે/લગ્ન પ્રસંગે/બર્થડે પર/વેલેન્ટાઈન્સ ડે પર ભેટ આપવામાં કામ લાગે તો એમાં મારી કલમનું તેજ ઝાંખું થઈ જવાનું.

સંબંધો વિશે, વૃદ્ધાવસ્થા વિશે કે મરણ વિશે કે પછી એવા બીજા ડઝનબંધ વિષયો વિશે મેં જે કંઈ અલગ અલગ તબક્કે લખ્યું હોય તેનાં વિવિધ સંકલનો પ્રગટ કરું અને પ્રસંગ અનુસાર એ પુસ્તકો વેચાતાં રહે ત્યારે મારું સત ઓછું નથી થતું, ઉલટાનું વધે છે.

સમજાય છે મારી આ વાત?

કવિ નર્મદે લખ્યું હતું: ‘હમારી પાસે સ્વતંત્રતા મોટું ધન છે અને મોટી પદવી છે, જેની આગળ ખુશામતધન અને ખુશામતપદવી કંઈ જ નથી.’

કૉલેજમાં કોઈ છોકરો પૈસાદાર છે એટલે રૂપાળી છોકરી એને પોતાના તરફ આકર્ષીને એને પરણે એમાં અને કોઈ છોકરીને કુદરતી રીતે, અનાયાસ કોઈની સાથે પ્રેમ થઈ જાય અને એ શ્રીમંત નીકળે એમાં-ફરક છે. હવે ખ્યાલ આવ્યો?

ર. જ્યારે તમે કોઈ હેતુને આંખ સામે રાખીને લખો છો ત્યારે તમારામાં વહી રહેલા મા સરસ્વતીના આશીર્વાદના પ્રવાહમાં અડચણો ઊભી થાય છે. તમારું લક્ષ્ય કામ કરવાની પ્રવૃત્તિ પરથી હટીને એના પરિણામ પર કેન્દ્રિત થાય ત્યારે શું થાય? વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર તમે સવાસો દોઢસો કિલોમીટરની સ્પીડે ડ્રાઈવિંગ કરી રહ્યા હો ત્યારે તમારું ધ્યાન પ્રત્યેક ક્ષણે સામે-આજુબાજુ-પાછળ દોડતા ભારખટારાઓથી માંડીને બીજાં વાહનો તરફ જ હોવું જોઈએ. એક સેકન્ડ માટે પણ જો તમારા ધ્યાનબહાર સ્ટિયરિંગ આડુંઅવળું થયું કે પેડલ પર પગ મૂકવા-ઊંચકવામાં સેકન્ડના સોમા ભાગનો પણ વિલંબ થયો તો તમારું જ નહીં, તમારા સહિતના સૌ કોઈનું તત્ક્ષણ જયશ્રી કૃષ્ણ. આ તો અમસ્તો દાખલો છે. મને ડ્રાઈવિંગ આવડતું નથી. (કુરૂક્ષેત્રના મેદાનમાં પહોંચી ગયેલા અર્જુનને પણ ક્યાં આવડતું હતું.)

તમારું કામ થતું હોય ત્યારે કામ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિમાં તમારું ધ્યાન ન હોય તો જ એ કામ એની શ્રેષ્ઠ કક્ષાએ પૂર્ણ થાય.

૩. મિત્રની કારમાં મુંબઈ પાછા આવતાં એક વિચાર મને વારંવાર આવતો રહ્યો: હું શું કામ લખું છું? પૈસા માટે, પ્રસિદ્ધિ માટે કે પછી મારે અત્યાર સુધી હું જે લખી ગયો છું તેના કરતાં વધારે સારું લખવાની કોશિશ કરવી છે એના માટે?

હિંદુત્વ વિશે લખવાથી, બોલવાથી કે એવા વિચારો રાખવાથી આર્થિક લાભ થાય એવું વાતાવરણ ન તો બાબરી તૂટી ત્યારે ૧૯૯રમાં હતું, ન ર૦૦રમાં, ન ૨૦૧૪ પછી. સારું છે કે વાજપેયી સરકારે કે મોદી સરકારે મીનાક્ષી જૈનનું સૂચન અમલમાં ના મૂક્યું. હિંદુત્વની ભવ્ય પરંપરા અને ભારતની સંસ્કૃતિ કંઈ એવી ઝાંખીપાંખી નથી કે જેને સામ્યવાદી વિચારોને ફેલાવવા માટે જેમ ભાડૂતી સૈનિકોની જરૂર પડે છે એવા ભાડાના પ્રચારકોની ખપ હોય. પેલા સેક્યુલરિયાઓ છો ને આજની તારીખેય ભૂતકાળની સરકારોએ આપેલા અગણિત લાભોમાં આળોટતા હોય. આપણને ક્યાં એ લોકોની ઈર્ષ્યા છે કે આપણે ક્યાં એવાઓની સાથે સ્પર્ધા પણ કરવી છે?

કવિ દલપતરામે રાણી વિક્ટોરિયાનાં વખાણ કરતી એક કવિતા લખી હતી: ‘હરખ હવે તું હિન્દુસ્તાન’ અંગ્રેજોની કદમબોસી કરતી આ ઘટિયા કવિતા વાંચીને જ, આગબબૂલા થઈ ગયેલા કવિ નર્મદે લખ્યું હતું: ‘હમારી પાસે સ્વતંત્રતા મોટું ધન છે અને મોટી પદવી છે, જેની આગળ ખુશામતધન અને ખુશામતપદવી કંઈ જ નથી’

પૈસો કમાવા માટે પ્રામાણિકતા, નિષ્ઠા, સિદ્ધાંતો, આત્મગૌરવ વગેરેને નેવે મૂકી દેવામાં ખોટનો સોદો થતો હોય એવું લાગે છે. આ બધાં સદગુણોની વ્યાખ્યા દરેકની પોતપોતાની હોવાની અને એ વ્યાખ્યાઓને દરેક જણ પોતાની પરિસ્થિતિ; પોતાની જરૂરિયાત મુજબ રબર બૅન્ડની જેમ ખેંચી-સંકોચીને લાંબીટૂંકી કરતું રહેવાનું.

પૈસો જરૂરી છે અને પૈસો જોઈએ જ છે. મને, તમને, બધાને. સવાલ કેટલો અને એના કરતાં મોટો સવાલ કેવી રીતે એ જોઈએ છે તે છે.

આજે ધનતેરસ નિમિત્તે ધન વિશે જેટલું ચિંતન થવું જોઈએ એટલું કરી નાખ્યું જેનો સાર બે પ્રશ્નમાં મૂકી શકીએ: કેટલું? કેવી રીતે?

• • •

તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

5 COMMENTS

  1. ખૂબ જ સારો લેખ. અભિનંદન.

  2. SUPERB….. તમારા ધન કમાવવા માટે ના સિદ્ધાંતો એકદમ યોગ્ય અને સચ્ચા છે

  3. શ્રેય અને પ્રેય ની વચ્ચે ની અવઢવ સચોટ રીતે વર્ણવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here