મકર સંક્રાન્ત પહેલાંના દિવસોને કમૂરતાં કેમ કહે છે : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : બુધવાર, ૧૩ જાન્યુઆરી ૨૦૨૧)

તમે એક ધંધો શરૂ કર્યો છે. ન ચાલ્યો. ખોટ ખાઈને બંધ કરી દેવાનું વિચારો છો. આ પરિસ્થિતિમાં ભવિષ્યમાં નવું શું કરવું એવું વિચારવાને બદલે થોડો વખત માટે થંભી જવામાં ડહાપણ છે.

તમારી નોકરી છૂટી ગઈ કે પછી છોડી દીધી. તાત્કાલિક બીજી નોકરી વિશે નિર્ણય કરવો જરા ઉતાવળિયું પગલું ગણાશે.

તમે જેના પ્રેમમાં હતા એ વ્યક્તિને તમે છોડી દીધી કે એ તમને છોડીને જતી રહી છે. તમારા ડિવોર્સ થવાની તૈયારી છે. તમારા સ્પાઉઝનું અકાળે અવસાન થયું છે. આવા સંજોગોમાં નવા પ્રેમી, નવા જીવનસાથી, નવા સ્પાઉઝની તલાશ કરવાને બદલે અથવા કોઈ સામેથી આવે તેનો તરત સ્વીકાર કરી લેવાને બદલે પરિસ્થિતિ થાળે પડે એની રાહ જોવી જોઈએ.

જીવનમાં જ્યારે જ્યારે પરિવર્તનનો ગાળો આવે, સંક્રાન્તનો ગાળો આવે, ત્યારે એ ગાળાને કમૂરતાં ગણીને કોઈ નિર્ણય ન લેવો જોઈએ.

એક નાનકડી પર્સનલ વાત. 1985ના જાન્યુઆરીનું પ્રથમ સપ્તાહ. હરકિસન મહેતાએ મારી સૌપ્રથમ નવલકથાને ધારાવાહિક પ્રગટ કરવાનું નક્કી કરી લીધું હતું અને મારે એમને આ નવલકથાનાં થોડાં નામ સજેસ્ટ કરવાનાં હતાં જેમાંથી એ પોતાને ગમતો એક વિકલ્પ પસંદ કરી શકે. હું એક કાગળ પર સાતેક શિર્ષક લખીને ગયો. તે વખતે કાર્ટૂનિસ્ટ નારદ પણ ત્યાં હતા. હરકિસનભાઈએ બધાં નામ વાંચ્યાં. થોડી આમતેમ વાતો કરી અને કોઈ નિર્ણય લીધા વિના મને વિદાય કર્યો.

બેએક અઠવાડિયાં પછી વાચકોમાં મારી પ્રથમ નવલકથાના નામની જાહેરાત થઈ ગઈ એ પછી નારદજી મને મળ્યા ત્યારે એમણે કહ્યું: ‘એ જ દિવસે હરકિસનભાઈએ તેં આપેલાં સાત નામમાંથી ‘વેર-વૈભવ’ શિર્ષક પસંદ કરી લીધું હતું. પણ તારા ગયા પછી એમણે મને કહ્યું કે છોકરાની પહેલી નવલકથા છે, મકર સંક્રાન્ત આડે આવે છે, એટલે ઉત્તરાયણ પછી ડિક્લેર કરીશું.’

આ નાનકડો પ્રસંગ મારા માટે બહુ મોટી વાત હતી. તથાકથિત સાયન્ટિફિક મિજાજના ઈન્ટલેક્ચ્યુઅલ્સ કહેશે કે મકર સંક્રાન્ત પહેલાં શિર્ષક ડિક્લેર કર્યું હોય કે એના પછી એની જાહેરાત કરી હોય-નવલકથા તો એની એ જ હતી. આવી અંધશ્રદ્ધા શું કામ?

ભારતીય પરંપરાની આવી અનેક શુકન-અપશુકન કે મુહૂર્ત-કમૂરતની વાતોને આપણા જ દેશના લેફ્ટિસ્ટ મેન્ટાલિટીવાળાઓ ઊતારી પાડીને પોતાને બૌદ્ધિકમાં ખપાવતા રહ્યા છે. અને આપણે પણ જો એમની જેમ ઈન્ટલેક્ચ્યુઅલમાં ગણાવું હશે તો આવી બધી ‘અંધશ્રદ્ધાઓ’થી દૂર થઈ જવું પડશે એવું આપણા મગજમાં ઠસાવી દેવામાં આવ્યું છે.

અમાસને અશુભ ગણવામાં આવી એનું કારણ એ હશે કે એ જમાનામાં ઈલેક્ટ્રિસિટી નહોતી. અમાસની રાતના અંધારામાં ગમે એ માણસ ન કરવાં જેવાં કામ કરીને તમારું અહિત કરી શકે. ઉપવાસોનું મહાત્મ્ય આરોગ્ય સાથે સંકળાયેલું હતું-ખાસ કરીને ચોમાસાના દિવસોમાં. સૂર્યગ્રહણ વખતે ઘરની બહાર ન નીકળવાની પરંપરા પાછળનો આશય એ કે કોઈ નરી આંખે સૂર્યગ્રહણ જોઈને પોતાની આંખને નુકસાન ન કરી બેસે. ખગોળશાસ્ત્રની બાબતમાં તેમ જ અનેક વૈજ્ઞાનિક બાબતોમાં આપણો દેશ બાકીની દુનિયા કરતાં ઘણો આગળ હતો. આપણા આ જ્ઞાનવારસાને તફડાવીને પોતાના નામે કરી દેનારાઓને દુનિયા આજે પૂજે છે. આપણા દેશના વામપંથીઓએ પણ આપણને એ તફડંચીકારોની પૂજા કરતાં કરી દીધા છે. દુનિયા જ્યારે તીરઝડપે આગળ વધતી હતી ત્યારે આપણે આપણી બિનઆક્રમકતાની નીતિને કારણે આક્રમણખોરોના ભોગ બન્યા. કોઈ તમારું પાકીટ ઝૂંટવી જાય તો તમારે કોઈ બીજાનું પાકીટ ઝૂંટવીને તમને થયેલું નુકસાન ભરપાઈ થાય એવું કરવાની જરૂર નથી. તમે તમારા પાકીટનું રક્ષણ કરી શકો એટલી તાકાત તમારામાં જરૂર હોવી જોઈએ. એ બાબતમાં આપણે પાઠ લઈને હવે સક્ષમ બન્યા છીએ પણ આપણે બીજાઓની જેમ લોકોને ગુલામ બનાવવાની, સામ્રાજ્યવાદ વિકસાવવાની કે બીજાઓ પર આક્રમણ કરવાની જરૂર નથી. ભારતીય પરંપરાની આગવી બાબતોને સમજીએ, સ્વીકારીએ, જીવનમાં ઊતારીએ. આયુર્વેદ, યોગ, પ્રાણાયામને હજુ હમણાં સુધી દુનિયા સ્વીકારતી નહોતી અને આપણે પણ આપણા દેશના ચંદ લેભાગુ લેફ્ટિસ્ટોથી અંજાઈને ‘આવી જુનવાણી આરોગ્ય વ્યવસ્થામાં અમે માનતા નથી’ એવું કહીને વેસ્ટર્ન મેડિસિન્સમાં ‘શ્રદ્ધા’ રાખીને પોતાની જાતને ‘આધુનિક’માં ખપાવતા હતા-હજુ સુધી. હવે આપણામાં અક્કલ આવી. ધીમે ધીમે બીજી ઘણી બાબતોમાં અક્કલ આવવાની. ગૌમાંસના નામે હિન્દુસમાજની ટીકા કરનારા રાજકીય લેભાગુઓએ મીડિયામાં આવેલા એક અગત્યના સમાચારને સાવ દબાવી દીધા. ગૂગલ સર્ચ કરીને જોઈ લેજો. વર્લ્ડ ઈકનોમિક ફોરમના વડા એ સ્વિટ્ઝરલેન્ડના ડેવોસ સ્કીઈંગ રિસોર્ટમાં યોજાતી પરિષદમાં ફોરમના તમામ શ્રીમંત દેશોના પ્રતિનિધિઓની હાજરીમાં શું કહ્યું ખબર છે? કહ્યું કે જો આ જગતમાં બીફ (ગૌમાંસ) ન ખાવામાં આવે તો ડાયેટ રિલેટેડ મૃત્યુમાં 2.4 ટકાનો ઘટાડો થઈ જાય એવા સંશોધનને અમે સ્વીકારીએ છીએ અને શ્રીમંત દેશોમાં બીફ ખાવાનું પ્રમાણ વધારે હોવાથી ત્યાં તો મૃત્યુના દરમાં લગભગ પાંચ ટકાનો ઘટાડો થઈ જાય. પ્રોટીન-વિટામિન વગેરે માટે માંસાહાર કરવો અનિવાર્ય નથી-કઠોળ, શાકભાજી-ફ્રૂટ્સ વગેરેમાંથી તે પૂરતા પ્રમાણમાં મળી રહે છે એવું પણ એમણે કહ્યું છે, જે આપણે સૈકાઓથી કહેતા આવ્યા છીએ.

જે વાતો જે જમાનામાં પ્રસ્તુત હોય એની નિંદા નહીં કરવાની. એમાંની કેટલીક વાતો આજે પણ પ્રસ્તુત હોવાની. એમાંની કેટલીક વાતો આજે પ્રસ્તુત ન પણ હોય તે છતાં એને આપણે આદર આપી શકીએ તેમ જ કોઈને જો હાનિકારક ન હોય તો પરંપરા તથા સંસ્કૃતિના એક ભાગરૂપે અપનાવી પણ શકીએ.

અંગ્રેજોના આવ્યા પહેલાં આપણે ધોતિયાં-લૂંગી વગેરે પહેરતાં. પેન્ટ-શર્ટ એની સરખામણીએ ભારત જેવી આબોહવાવાળા સમશીતોષ્ણ દેશમાં ઈન્કવીનિયન્ટ છે. જાડું જીન્સ કે કોટ-પાટલૂન-ટાઈ તો નરી મૂર્ખામી છે. છતાં એને જો સંસ્કૃતિના નામે અપનાવી શકતા હોઈએ તો આપણી પરંપરાની આજે અપ્રસ્તુત થઈ ગયેલી કોઈક વાતોને કેમ ન અપનાવી શકીએ?

મૂળ વાતને આગળ વધારીએ. પરિવર્તનકાળમાં, સંક્રાન્તિના કાળમાં, કોઈ નિર્ણય લેવાને બદલે થોડો સમય રાહ જોવી સારી. નદી કે સમુદ્રમાં તરતાં હોઈએ અને વહેણમાં કે મોજામાં અટવાઈ જઈએ કે ડૂબવા માંડીએ ત્યારે આપણી પહેલી ફરજ એ કે માથું પાણીની બહાર રહે એ માટે મથામણ કરવી. માથું અત્યારે કઈ દિશામાં છે – જે દિશામાં જઈ રહ્યા હતા તે જ દિશામાં છે કે નહીં – એ વિશે ચિંતા કરવાની જરૂર નથી. દિશા પછી નક્કી થઈ જશે. દિશા નહીં જડે તો જોયું જશે. પણ અત્યારે સમય નથી દિશા શોધીને એ તરફ આગળ વધવાનો. અત્યારે સમયનો તકાદો એ છે કે પાણીમાં ડૂબી ન જઈએ. માથું પાણીથી ઉપર રહે.

સંક્રાન્તિકાળમાં, જીવનમાં પલટો આવી રહ્યો હોય એવા ગાળામાં, આ વાત યાદ રાખવાની હોય છે. એક તરફ કશુંક અધૂરું છૂટી રહ્યું હોય અને બીજી તરફ કશુંક નવું શરૂ થઈ રહ્યું હોય ત્યારે જે કંઈ બને છે તે પરિવર્તન છે. એ ગાળો સંક્રાન્તનો ગાળો છે. જૂનું અધૂરું છૂટવાનો કે જૂનું પૂરું થઈ જવાનો આનંદ હોઈ શકે શોક પણ હોઈ શકે. નવું શરૂ કરવાના રોમાંચને માણવા માટે મનમાં ચાલતી આનંદ-શોકની લાગણીનો પ્રવાહ બીજે વાળી દેવો પડે. અન્યથા નવામાં પણ તમે જૂનું જ શોધવાના. નવું કંઈ પણ હોય, નવો બિઝનેસ – નવી નોકરી – નવી જગ્યા – નવો સંબંધ – નવી કારકિર્દી, નવાના રોમાંચને માણવા માટે કે પછી નવી શરૂઆતને ભાવાવેશમાં તણાયા વિના પ્રોપર્લી નાણવા માટે જૂના આનંદ-શોકના પ્રવાહને બીજે વાળી દેવા જોઈએ અન્યથા એ ભૂતકાળ જેવું જ ભવિષ્ય તમને મળશે. એવા વાસી ભવિષ્યનું આપણને કંઈ કામ નથી. જીવનમાં આગળ વધવા માટે ન તો ભૂતકાળના આનંદની ક્ષણોનું પુનરાવર્તન જોઈએ, ન ભૂતકાળના શોકગ્રસ્ત દિવસોનું પુનરાવર્તન જોઈએ. તો જ જિંદગી હરહંમેશ ફ્રેશ રહે, તરોતાઝા રહે.

પરિવર્તનના ગાળા દરમિયાન થોડો સમય સ્થિર થઈ જઈશું તો આપોઆપ દિશા જડશે, કારણ કે છટપટાહટને શાંત થઈને ધીરજમાં પલટવા માટે પૂરતો સમય મળી ગયો હશે.

‘કળ વળવી’ શબ્દપ્રયોગનો અંગ્રેજી અનુવાદ શું થતો હશે ભગવાન જાણે. શક્ય છે કે ‘પાંથીમાં સિંદૂર પૂરવું’ની જેમ એનો કોઈ પરફેક્ટ અંગ્રેજી ફ્રેઝ ન હોય. પણ આપણા જીવનમાં એ બહુ ઉપયોગી શબ્દપ્રયોગ છે. કળ વળવી. માત્ર શારીરિક ઈજા પામીએ ત્યારે જ નહીં, માનસિક આઘાત પછી પણ કળ વળવી જોઈએ. આઘાતના જ નહીં અકલ્પનીય ખુશીના સમાચાર પછી પણ ઉમંગથી ઉથળતા હૃદયને કળ વળવાનો સમય આપવો જોઈએ એવું તમે અનુભવ્યું હશે. આ કળ વળવાનો સમય એટલે પરિવર્તન દરમિયાન થંભી જવાનો કે નિષ્ક્રિય થઈ જવાનો વખત. આવેશની ભરતી કે આવેશની ઓટ દરમિયાન નિર્ણય લેવાનું ટાળીએ એ જ મારે હિસાબે તો સંક્રાન્તનો, મકરસંક્રાન્તિનો સંદેશો છે અને આ સંક્રાન્ત દર વર્ષે આવે છે એનો મતલબ એ કે પરિવર્તન એ કુદરતનો સ્વભાવ છે. કુદરતના આ સ્વભાવને લીધે આપણે સાવચેતીથી જીવતા શીખીએ છીએ, આશા રાખીને જીવતાં શીખીએ છીએ. હવેથી છ મહિના સુધી રોજ સવારે પૂર્વની ક્ષિતિજે ઊગતો સૂરજ થોડો થોડો ઉત્તર તરફ સરકીને ઊગશે. છ મહિના પછી દક્ષિણ તરફ સરકીને ઊગશે, એ પછીના છ મહિના પછી ફરી એકવાર ઉત્તરાયણ આવશે, પછી ફરી દક્ષિણાયન.

માત્ર કુદરત પાસેથી શીખવા માંડીએ તો જીવનમાં કોઈ ગુરુની, ઉપદેશકની, માર્ગદર્શકની, મોટિવેટરની કે કૉલમનિસ્ટની તમને જરૂર નહીં પડે.

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

2 COMMENTS

  1. Very nice article. Our Rushi Muni stayed closed to the nature (prakruti is better word). They understood our mind well that no expert psychologist can explain well today. How to calm the mind and live. There is no better word then Aatm Santosh. I am still learning and learnt some more from your article today.

  2. ધન્યવાદ. આવેશ માં લેવાયેલ નિર્ણય નાં પરિણામ જેવા ધાર્યા હોય તેવા ન મળે. બહુ સહજ રીતે સમજાવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here